Gujaratna Mahaan Rajvioni Gatha books and stories free download online pdf in Gujarati

ગુજરાતના મહાન રાજવીઓની ગાથા

ગુજરાતના મહાન રાજવી-ગોંડલનરેશ ભગવતસિંહજી :-

વિકિપીડિયા ધ ફ્રી એન્સાયકલોપીડિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. જે અંગ્રેજી ભાષામાં છે. પણ તમને ખબર છે કે આપણું ગુજરાતનું પણ આગવું એક એન્સાયકલોપીડિયા છે! નામ છે “ભગવદ્ગોમંડલ”. આ ભગવદ્ગોમંડલમાં ગુજરાતી ભાષાના લગભગ તમામ શબ્દોના જુદા જુદા અર્થ આપેલા છે. ચાહે એ શબ્દ શુદ્ધ ગુજરાતીનો હોય કે પછી તળપદી ગુજરાતીનો! અને આ મહાન ગ્રંથનો વિચાર જેમને આવેલો એવા રાજાધિરાજ ગોંડલ નરેશ એવા ભગવતસિંહજીના શાસનકાળની આજે તમને ઝાંખી કરાવવા જઈ રહ્યો છું. તો તૈયાર થઇ જાઓ ગુર્જર ધરાના એક મહાન અને ઉદાર શાસક એવા શ્રીમાન ભગવતસિંહજીની જીવનગાથા વાંચવા માટે.

ભગવતસિંહજીનો જન્મ સંગ્રામસિંહજી-બીજા અને મોંઘીબાના સંતાન રૂપે ૨૪ ઓક્ટોબર ૧૯૬૫ના દિવસે ગોંડલમાં થયો હતો. સંગ્રામસિંહજી કુંભાજીએ સ્થાપેલા ગોંડલ રાજ્યના બારમા ક્રમના રાજવી હતા. તેમનું મૃત્યુ ૧૯૬૯માં થયું ત્યારે ભગવતસિંહજી માત્ર ૪ વરસના જ હતા. આથી ૧૫ વર્ષ માટે ગોંડલને બ્રિટીશ સરકારે સંભાળ્યું.

નવ વર્ષની ઉંમરે ભગવતસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણવાનું શરુ કર્યું અને પાશ્ચાત્ય ધાબે શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ ૧૮૮૩માં એમણે યુરોપ પ્રવાસ કર્યો. ત્યાં ઇંગ્લેન્ડ, સ્કોટલેંડ, પેરીસ, રોમ, ફ્લોરેન્સ, વેનિસ વગેરે શહેરોની મુલાકાત લીધી અને જેની નોંધ પોતાની “ the journal of a visit to England” નામની ડાયરીમાં કરી હતી.

તેમને મળેલી ડીગ્રીઝની વાત કરીએ તો અચંબિત થઇ જવાય છે. એલ.એલ.ડી., MRCPE, MBCM, DCL, MD, Fellow physician જેવી કાયદાકીય અને મેડીકલની ડીગ્રીઝ મેળવીને અમુલ્ય જ્ઞાન હાંસિલ કર્યું. મહારાણી વિક્ટોરિયાના શાસનના સુવર્ણ મહોત્સવમાં જનારા એક માત્ર સૌરાષ્ટ્રના રાજવી ભગવતસિંહજી હતા. ત્યાં તેમનું K.C.I.E. એટલે કે Knight commanderના ખિતાબથી સન્માન કરવામાં આવ્યું.

ભગવતસિંહજીના અગત્યના કાર્યોની એક ઝલક :

ભગવતસિંહજીએ ૧૮૮૪થી ૧૯૪૪ સુધી એટલે કે પુરા ૬૦ વર્ષ સુધી ગોંડલ પર રાજ્ય કર્યું. જેને ગોંડલનો આધુનિકરણનો યુગ કહેવાય છે. ભગવતસિંહજીને ગોંડલના આધુનિકરણના પિતા કહેવાય છે.

તેમણે બીજા રાજાઓની જેમ કોઈ દિવસ મોજ શોખમાં સમય વેડફ્યો નહતો. આનંદ પ્રમાદને એમના જીવનમાં સ્થાન નહતું એમ કહીએ તો પણ ચાલે. રાજ્યની આવકના માત્ર ૨% જેટલી જ રકમ પોતાના માટે વાપરતા.

તેઓ ખેડૂતો, વિદ્યાર્થીઓની શિક્ષા અને ઉદ્યોગોને કેવી રીતે સરળતા રહે એ વિષય પર સતત પ્રયત્નશીલ રહેતા. પ્રખ્યાત કવિ ન્હાનાલાલે ૧૯૩૨માં એમના માટે કહેલું કે, “અન્ય રાજાઓ પ્રજા પર કયો નવો કર કે મહેસુલ નાખી શકાય એ વિષે વિચારે છે જ્યારે ગોંડલ નરેશ કયો કર કે મહેસુલ નાબુદ કરી શકાય એ વિષે વિચારે છે”

તેમના વહીવટનું સૂત્ર હતું “પ્રજા કલ્યાણ” અને “ગોંડલ-સૌથી પ્રથમ”!

ખેડૂતોને મહેસુલ ભરવામાં સરળતા રહે અને તેઓ આબાદ થાય એટલા માટે એમણે ૧૦,૨૦ કે ૩૦ વર્ષે મહેસુલની પુનઃ આકારણીના બદલે કાયમી વિઘોટી દાખલ કરી.

૧૯૦૦માં પડેલા કાળા દુકાળને પહોચી વળવા માટે ખેડૂતોનું ચોથા ભાગનું મહેસુલ માફ કર્યું.

ટ્રામ કોઈ શહેરે જોઈ સુદ્ધાં નહતી એ સમયે ૧૮૯૮-૯૯માં ગોંડલમાં પહેલીવહેલી ટ્રામ સેવા શરુ કરાવી. ૧૯૨૪માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગોંડલમાં વીજળીની વ્યવસ્થા કરાવડાવી. ઉદ્યોગોને વેગ આપવા માટે નાના-મોટા પચાસ જેટલા કર માફ કર્યા હતા.

એ વખતના રૂપિયા ૩ લાખ જેટલી માતબર રકમથી ગોંડલમાં ‘ગરાસીયા કોલેજ’ની સ્થાપના કરી. સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી દાખલ કરનાર ભગવતસિંહજી હતા.

એમના રાણી નંદકુંવરબા પણ ભણેલા અને ચતુર બાઈ હતા. સમુદ્ર પાર કરીને સૌપ્રથમ વિદેશ જવાવાળા રાણી તે આ નંદકુંવરબા જ હતા. ઉપરાંત ૧૮૮૫માં હરતાફરતા દવાખાનાની શરૂઆત પણ આ જ રાજવીએ કરી હતી.

ભગવતસિંહજીએ રાજકુટુંબમાં વર્ષોથી ચાલી આવતી પડદા પ્રથા બંધ કરાવી અને ગોંડલને એક સમૃદ્ધ, સુદ્રઢ અને સુસંગઠિત રાજ્ય બનાવ્યું.

ભગવદ્ગોમંડલની રચના વિશે :-

ગુજરાતી ભાષાનો પોતાનો આગવો શબ્દકોશ એ ભગવતસિંહજીનું સ્વપ્ન હતું. અંદાજે ૧૯૧૫ના સમયમાં એનું કામકાજ શરુ કરાવડાવ્યું હતું. ૧૯૨૮ની પહેલી ઓક્ટોબરે માત્ર ભગવદ્ગોમંડલ માટે અલાયદી ઓફીસ ચાલુ કરી અને ૨૫ ઓગસ્ટ ૧૯૪૪ના દિવસે એમનું આ સ્વપ્ન પૂરું થયું.

ભગવદ્ગોમંડલની પ્રથમ આવૃત્તિ ૯૦૨ પાનાની હતી. આ પછી સમયાંતરે એની નવી આવૃત્તિઓ બહાર પડતી ગઈ. છેલ્લો અને નવમો અંક ૯ માર્ચ ૧૯૫૫ના દિવસે પ્રકાશિત થયો. એ સમયે એની કિંમત ૫૪૫ રૂપિયા હતી પણ રાજ્યાશ્રયના કારણે અને લોકોને જ્ઞાન મળે તેવી ભગવતસિંહજીની અંતરની ઈચ્છાના લીધે માત્ર ૧૪૬ રૂપિયામાં એ તમામ ઉપલબ્ધ હતા.

અત્યારે આખુંય આ ભગવદ્ગોમંડલ “ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ”નામની કંપનીએ એન્ડ્રોઇડ એપ્લીકેશન સ્વરૂપે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવેલ છે.

આમ, ગોંડલના મહાન અને જ્ઞાની તેમજ દીર્ઘદ્રષ્ટા રાજવી એવા ભગવતસિંહજીને આજેય એમણે કરેલા અને કરાવડાવેલા સુધારા અને સુકર્મો માટે ગોંડલ એમને યાદ કરીને ગર્વ અનુભવે છે.

ગુજરાતના મહાન રાજવી-ભાવનગરના તખ્તસિંહજી અને ભાવસિંહજી-બીજા:-

હાલનું ભાવનગર એટલે જોઇને આંખો ઠરે એવું રળીયામણું શહેર! પરંતુ ઘણા બધા લોકો એ વાતથી અજાણ હશે કે ભાવનગરને આટલું સમૃદ્ધ બનાવવા પાછળ કેટલાય લોકોએ અને રાજવીઓએ પોતાનું આખું જીવન વગર કોઈ અપેક્ષાએ ન્યોછાવર કરી દીધું. આજે એવા જ ભાવનગરના બે મહાન રાજવીઓ તખ્તસિંહજી અને તેમના પુત્ર એવા ભાવસિંહજી-બીજાએ ભાવનગર અને ભાવતું નગર બનાવવા માટે કરેલા પ્રયત્નોની તમને ઝાંખી કરાવવા જઈ રહ્યો છું. આ પહેલા આપણે ગોંડલને શ્રી ભગવતસિંહજીની વાત કરી ગયા જે તમને આ પેજની જૂની પોસ્ટમાં મળી રહેશે.

તખ્તસિંહજી એ ભાવનગરના રાજા જશવંતસિંહજી અને એમની રાણી હરિબાના પુત્ર હતા. તેમનો જન્મ ૧૮૫૮માં થયો હતો અને વિધિની વક્રતા એવી બની કે ૧૮૭૦માં જ તેમના પિતાજીનું અવસાન થયું. હવે માત્ર બાર વર્ષ જેટલી નાજુક ઉંમરે એમને તો રાજા બનાવવામાં આવે એવી કોઈ શક્યતા નહતી. એટલે સાર્વભૌમ સત્તા એવી અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે ગૌરીશંકર (ગગા) ઓઝાની નિમણુક કરવામાં આવી.

આ પછી ૧૮૭૦માં શરુ થયેલી રાજકોટની રાજકુમાર કોલેજમાં તખ્તસિંહજીએ પ્રથમ વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો અને ડીગ્રી મેળવી. ૧૮૭૪માં એમના લગ્ન ચાર રાજ કન્યાઓ સાથે થયા. જેમાં ગોંડલ, વઢવાણ, વાંકાનેર અને તળાજાની રાજકુંવરીઓ તેમની પત્ની બની.

લગ્ન થયા પછી, લગભગ પાંચમાં વર્ષે તખ્તસિંહજીની સગીરાવસ્થા પૂર્ણ થતી હતી પરંતુ બુદ્ધિમાન મદદનીશ કારભારી એવા શ્રી શામળદાસે સંયુક્ત વહીવટકર્તા મેજર વોટસન સમક્ષ માંગ કરી કે હિંદુ શાસ્ત્ર મુજબ બાળકની ઉંમર તેના ગર્ભધારણના સમયથી ગણાય છે. એટલે તખ્તસિંહજી ૧૮૭૯ના બદલે ૧૮૭૮ના વર્ષથી જ ભાવનગરની ગાદીએ બેઠા.

તખ્તસિંહજીનું શાસન :

તખ્તસિંહજીનું નસીબ ખરાબ માનીએ તો બહુ અતિશયોક્તિ ન કહેવાય. કારણ કે૧૮૭૮માં સુકો દુકાળ અને ૧૯૭૯માં લીલો દુકાળ પડવાના લીધે ભાવનગરની પ્રજા પરેશાન થઇ ગઈ. પરંતુ એમની દુરન્દેશી અને વર્ષોની સમૃદ્ધિના લીધે અનાજ અને ઘાસચારાનો સારો જથ્થો હોવાથી કોઈ ખાસ મુશ્કેલી ન પડી. તેમ છતાં પ્રજાવત્સલ તખ્તસિંહજીએ ભાવનગરથી વઢવાણની રેલ્વે લાઈન દ્વારા રાહત કાર્યો ચાલુ કર્યા અને આખા રાજ્યમાં ભૂગર્ભજળ વાપરવા માટે ૨૦૦૦થી વધારે કુવા ખોદાવડાવ્યા.

પોતાની કોલેજ એવી રાજકુમાર કોલેજને ૧ લાખ જેટલું માતબર દાન આપીને પોતાનું એના પ્રત્યેનું ઋણ ચુકવ્યું. ઉપરાંત એમણે તખ્તસિંહજી હોસ્પિટલનો પાયો નંખાવ્યો. તેમના ગોંડલના રાણીએ રાજ્યમાં માજીરાજબા કન્યાશાળા શરુ કરાવડાવી.

ઇંગ્લેન્ડની એ સમયની મહારાણી વિક્ટોરિયાના પૌત્ર એવા પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરે ભાવનગરની મુલાકાત લીધી હતી એમની યાદમાં તખ્તસિંહજીએ પીપાવાવ પાસે વિક્ટર પોર્ટ બંધાવવાનો નિર્ણય લીધો. જેના બાંધકામમાં ઈજ્નેત સીમ્સનો મહત્વનો ફાળો ગણાય છે.

વહીવટ ચલાવવા માટે તખ્તસિંહજીએ ચાર સભ્યોની એક સ્ટેટ કાઉન્સિલ રચી હતી જે એમનું વહીવટ સુધારણા માટેનું અગત્યનું પગલું લેખાય છે.

ભાવસિંહજી-બીજા:-

ભાવસિંહજી-બીજા એ તખ્તસિંહજી અને તેમના ગોંડલના રાણી માજીરાજબાના સુપુત્ર હતા. તેમનો જન્મ ૧૮૭૫માં થયો હતો. જન્મતાવેંત જ એમની માતાનું મૃત્યુ થવાથી તેમનો ઉછેર એમના નાની એવા મોંઘીબાએ કરેલો.

રાજકોટની એ જ રાજકુમાર કોલેજમાં એમણે શિક્ષણ લીધું. ત્યારબાદ ૨૧માં વર્ષ સુધી તો એમણે લગભગ બધા જ વહીવટી ખાતાઓ વિષે માહિતી મેળવી લીધી હતી.

આ અરસામાં ૧૮૯૬માં પિતા તખ્તસિંહજીનું હૃદય બંધ પડી જવાથી અવસાન થયું અને ભાવસિંહજી-બીજાએ ભાવનગરી બાગડોર પોતાના હસ્તક લીધી. તેમણે લગભગ ૧૮૯૬થી ૧૯૧૯ સુધી રાજ કર્યું. તેમના રાજમાં ત્રણ અણધાર્યા બનાવો બન્યા. ૧) ૧૯૦૦નો દુકાળ, ૨) ૧૯૦૩માં પ્લેગનો રોગચાળો અને ૩) પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪ થી ૧૯૧૮).

દુકાળના લીધે કરકસરના પગલાં સ્વરૂપે ભાવસિંહજી-બીજાએ ખર્ચ બચાવવા માટે કાઉન્સિલ પદ્ધતિની જગ્યા પર ફરીથી જૂની દીવાની પદ્ધતિ દાખલ કરી.

તેમના શાસન દરમિયાન જ ભાવનગર રાજ્યનો ‘વાર્ષિક વહીવટી રીપોર્ટ’ જાહેર કરવાની પ્રથા શરુ કરવામાં આવી. પ્રજાની સુખાકારીની યોજનાઓ ઘડવા માટે તેમને એક ‘આર્થિક સમિતિ’ની પણ રચના કરી હતી.

ખેડૂતો માટે ૨૦ લાખ રૂપિયાની રકમ અલગ કાઢીને ‘ખેડૂત સંકટ નિવારણ ફંડ’ ઉભું કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતી સુધારણા માટેનું મોડેલ ફાર્મ, પુત્રી મનહરકુંવરબાના નામે ‘મનહર તળાવ’, તેમજ દુકાળથી પીડિત લોકો માટે ‘ગરીબખાના’ ખોલવામાં આવેલા.

આ બધું કરવા છતાં રાજ્યની આર્થિક પરિસ્થિતિ પ્રતિકુળ હતી. એટલા માટે સેક્રેટરી પ્રભાશંકર પટ્ટનીની સલાહથી ભાવ્સીન્હ્જીએ ૨૦ લાખ રૂપિયાના ૫% વ્યાજદરે ૨૦ વર્ષની મુદતના ભાવનગર સ્ટેટ બોન્ડ બહાર પાડ્યા. જેમાં થયેલા રોકાણથી આર્થિક ભીંસને પહોચી વળવા માટે નાણું મળ્યું.

તેમણે “ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક’ પણ ચાલુ કરાવડાવી. જેમાં થાપણો પર ૩.૭૫% વ્યાજ આપવામાં આવતું હતું. તેમણે રેલ્વેનું કામ કોઈ પણ સંજોગોમાં અટવાઈ ન પડે તે માટે અલાયદો ‘રેલ્વે રીઝર્વ ફંડ’ સ્થાપ્યો હતો. સૌરાષ્ટ્રમાં દારૂબંધી કરવાનું શ્રેય તેમના ફાળે જાય છે.

તેમના મહારાણી, નંદકુંવરબા પણ સામાજિક જાગૃતિ લાવવામાં પાછીપાની કરતા નહતા. તેમને ‘ગુજરાત હિંદુ સ્ત્રીમંડળ’, ‘ગોપનાથ મેટરનીટી હોસ્પિટલ’, ‘નંદકુંવરબા અનાથાશ્રમ’, ‘સ્ત્રી આરોગ્ય’ તેમજ ‘શ્રી નંદકુંવરબા રાજપૂત કુમારિકા જનાના બોર્ડીંગ વિદ્યાલય અને ‘શ્રી નંદકુંવરબા રાજપૂત વિદ્યાલય’ની સ્થાપના કરી હતી.

આમ, ભાવનગર રાજ્યને સુવ્યવસ્થિત રાજ્ય બનાવવા માટે આ રાજવી પરિવારે પોતાનું તન મન અને ધન એમ ત્રણેય વસ્તુઓ ન્યોછાવર કરી દીધી હતી. આપણે સૌએ એમના આ પ્રયત્નોને ભૂલવા ન જોઈએ. તેમની પોતાની સૂઝબુઝના એ સમયે યોગ્ય ઉપયોગના લીધે આપણા માનીતા ગુજરાતને આવા ઉત્તમ શહેરોની ભેટ મળી છે.

***