Premalaap - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમાલાપ-૬

પ્રેમાલાપ-૬

'પ્રેમમાં ગળાડૂબ થવાથી લઈને પ્રેમને પામી લીધા સુધીની બધી જ વાતોની સફર એટલે "પ્રેમાલાપ" જે આપણે સહુ ખુબ સરસ રીતે માણી રહ્યા છીએ. આજે પણ એવી જ કોઈ મજબૂત વાત લઈને આપની સમક્ષ રજુ થઇ છું.

આગળના ભાગમાં જોયું કે પ્રેમમાં સરખામણી ના હોય અને એ જ સરખામણી ૨ વ્યક્તિને દૂર કરી દે છે એ વાત આપણે જોઈ. આજે એ જ પ્રેમને ફાંસ મારતી અને સંબંધમાં ઉધઈનું કામ કરતા પરિબળની ચર્ચા કરીશુ અને એમાંથી કાંઈક શીખીશુ.

સંબંધમાં પ્રેમ ક્યારે જળવાઈ ક્યારે રહે??

-જયારે સામે વાળા વ્યક્તિની ખુશી અને એનું અસ્તિત્વ આપણી ખુશી અને અસ્તિત્વ કરતા વધારે મહત્વનું હોય.

બદલાતા સમય-સંજોગ અને બદલાતી પરિસ્થિતિ સાથે માણસ પણ એટલો જ બદલાઈ ગયો છે કે આપણે વાત શું કરીએ! એ જ જમાના સાથે ડગ માંડતા જિંદગી કાંઈક વધારે જ બદલાઈ ગઈ છે. આજે સંબંધમાં આવતી મોટી તકલીફ એ છે કે આપણી પાસે આપણા જીવનસાથી માટે સમય જ નથી. સમય એટલે એ રીતે નહિ કે ફરવું, હારવું ને મોજ કરવું, સમય એટલે એ રીતે કે આપણે આપણા જીવનસાથી સાથે વાર્તાલાપ કરીએ, ટેરેસ પર કોફી પીએ, દરિયા કિનારે બેસી બસ મૌન રહીને એકબીજાના સંવાદોને અનુભવીએ, એના શબ્દોથી નહિ આંખોથી એના મનની વાતનો અહેસાસ કરી લઈએ, જીવનમાં એણે જોયેલા સપનાઓ જે કદાચ આજે ભુલાઈ ગયા છે એને યાદ કરીને એને આજે ફરી જગાડીએ અને એને પુરા કરવા માટે પ્રોત્સાહન આપીએ, એની કમજોરીને એની તાકાત બનાઇએ, એના આત્મવિશ્વાસમાં વધારો કરીએ, એને દરેક પરિસ્થિથિથી લડતા શીખવાડીએ, હિમ્મત બંને સાથે મળીને કેળવીએ, પુરુષ હોય કે સ્ત્રી સાથે રહીને દરેક કામમાં એકબીજાની સહમતીથી કરીએ અને એકબીજાને સમય આપી એ કામ શીખવાડીએ ETC ....

હવે તમે એમ કહેશો કે આ બધું 'પ્રેમપુરાણ' લાગી રહ્યું છે. પરંતુ આ જ સત્ય છે સાહેબ, આ બધી વસ્તુઓની ખામી છે એટલે જ આજે છુટા-છેડા ના કેસ વધે છે વકીલોના ઘર તો એમ જ ભરાય છે આપણા જેવા લોકોની મુર્ખામીથી (કોઈ વકીલ સાહેબોને ઉદ્દેશીને નથી, જનરલ વાત છે). વકીલો તો હાલની તારીખે છુટા-છેડાના કેસમાં સહમંજુરીથી સમાધાન થઇ જાય એવી દરેક કોશિશ કરે છે પછી જો શક્ય ના બને તો જ એ આગળ કાર્યવાહી કરે. પરંતુ મારા કહેવાનો ઉદ્દેશ એક જ છે કે આપણે આપણા સંબંધને મજબૂતાઈની ડોરથી બાંધી નથી શકતા અને એટલે જ તકલીફોનો સામનો કરતા દરીએ છીએ અને એ જ કારણે સંબંધોમાં તિરાડ અને ભંગાણ આવે છે.

કહેવાય છે કે જયારે તમે કોઈના માટે જીવતા શીખી જાઓ ને ત્યારથી દરેક તકલીફો આપણને નાની લાગે અને એ જ તકલીફોનો સામનો ખૂબ હિંમતભેર કરી શકીએ છે અને એ સંબંધમાં ક્યારેય ભંગાણ નથી આવતું.

પ્રેમમાં ત્યાગ, બલિદાનની ભાવનાનો અસર:-

ખુબ મહત્વનો મુદ્દો કહી શકાય એવો આ એક મુદ્દો છે જેની પર આપણે આજે આપણા વિચારોને રમતા મુકીશું.

'તને ખુશ રાખવાનો છે મારો હેતુ,

એટલે મેં બાંધી લીધો છે આ સેતુ.'

કોઈને ખુશ રાખવા અથવા તો એની જિંદગીમાં તકલીફોને ઓછી કરવા જો ત્યાગ, બલિદાન આપવું પડે તો એ 'હાર' નથી સાહેબમ એ તો જીત તરફ એક મહાન મહારથીનું પગલું છે. અહીંયા આપણે વાત કોઈ વ્યક્તિને છોડી દેવાની નથી કરતા, વાત છે એ દરેક વાત, દરેક ખરાબ આદત, દરેક ખોટી જીદને છોડી દેવાની થાય જે જેનાથી સંબંધમાં દરાર આવે છે.

'કોઈના માટે હું શું કામ બદલું મારી જાત ને??

હું જ શું કામ મારી વસ્તુ છોડું?

જીદ્દ એની છે તો મારી પણ છે!

હું એના માટે ત્યાગ, બલિદાન કેમ આપું?

ETC ....'

દરેક પરિવારની, સંબંધની, સમાજની, લોકોની બધાની આ એક જ તકલીફ છે કે કોઈએ બદલાવું નથી. બધા એ સામે વાળા ને બદલવાની કોશિશ કરવી છે. આશા હંમેશા એવી જ રાખીએ છે કે સામે વાલી વ્યક્તિ આપણા માટે બદલાઈ જાય. અરે, સાહેબ એમાં પણ લોકો એવી એવી વાતો ને શરતો મૂકે છે કે,

'મને પ્રેમ કરતો / કરતી હશે તો એને બદલાવું પડશે, મારા માટે એટલું તો કરી જ શકે ને !!! ETC .....

સાહેબ, કેમ??? કેમ કોઈ માણસ આવી અપેક્ષા રાખે??? સંબંધ બંનેનો હોય તો બંનેએ એકબીજાને સમજીને, વાતચીત કરીને, સમાધાન કરીને બધું જ સાથે કરવાનું હોય ને?? શુ કામ એવી આશા રાખીએ કે સામે વાળું જ બદલાય ??? કેમ આપણે આગળ આવીને પહેલ ના કરી શકીએ??? કેમ આપણે થોડા નીચે ના નમી શકીએ?? કેમ આપણે આપણા અહંકારને, જીદ કે અલ્લડપણાને સાઈડમાં ના મૂકી શકીએ??

૧૦૦ બાત કી એક બાત જો મેને સ્વામી ગોપાલદાસજી સે શીખી હૈ,

'જીન્દગીમેં કોઈ ભી ઇન્સાન આપકી હર expectation કો fulfill કરીને કે લિયે નહિ આયા હૈ.'

સિમ્પલ છે ને એકદમ, આ એક વાક્યમાં જ ગોપાલદાસજીએ બધા જ સવાલોના જવાબ આપી દીધા છે. માણસ ધરતી પર આવ્યું છે તો એના પણ કેટલાય સપના, આશાઓ છે અને એને પુરી કરવામાં માણસ પોતાની બધી જ મહેનત લગાડી દે છે એ વાત પણ સત્ય છે. પછી આપણે એવી આશા રાખીએ કે એ વ્યક્તિ આપના પણ બધા જ સપના પુરા કરે, આપણે કહીએ એ પ્રમાણે જીવે તો એ વાત માં કેટલો માલ ગણાય???

પ્રેમનો સંબંધ તો કેટલો મીઠો ને મધુર હોય દોસ્ત, જેમાં કેવું હોવું જોઈએ એ આપણે એક કવિયત્રીની ભાષામાં સાંભળીએ,

'સપનાનો મહેલ સોનેથી મઢ્યો,

મહેનતની મૂડીથી મંઝિલ ચડ્યો,

ધીરજની ધૂપમાં શેકાતો ફર્યો,

સમયની પરીક્ષામાં ખુદને શોધતો રહ્યો,

ત્યારે,

તે આશાનું કિરણ બની અજવાસ કર્યો,

સુખનું સરનામું બની વાસ કર્યો,

સપનાના મહેલમાં ખુશીનો ઉજાસ કર્યો,

મનનાં મંદિરમાં દિપક સમો અજવાસ કર્યો,

ફૂલોના સુવાસ સમો શ્વાસ ભર્યો,

અને એટલે જ,

મે આંખ બંધ કરી આ અનોખા સંબંધ પર વિશ્વાસ કર્યો,

સુખ-દુઃખના સંગાથમાં તારો સાથ ધર્યો,

જીવનનો દરેક શ્વાસ તારા નામ કર્યો,

આજીવન સંબંધનો દિલથી મે કરાર કર્યો,

તારી સાથેની એ દરેક ક્ષણનો મે દિલથી, ખુશીથી સ્વીકાર કર્યો,

અનંત સુધી બસ આ જ સાથનો મે આજે નિર્ધાર કર્યો.'

અહાહાહા.... આ જ અદા છે કવિઓને, થોડા જ શબ્દોમાં પ્રેમની આખી પરિભાષા જ બદલી નાખે અને વાંચીને જ આપણે ગદગદ થઇ જઈએ. વિચારો આવો પ્રેમ મળે તો?? આવું જ થાય તો આપણી સાથે પણ?? પેલું સોન્ગ ગજિની ફિલ્મનું મને યાદ આવી ગયું,

'જિંદગી ઝરનો સે છૂટકે હસેંગે,

મોતી હોંગે મોતી રહો મેં,

તું મેરી અધૂરી પ્યાસ-પ્યાસ,

તું આ ગઈ મનકો રાઝ-રાઝ....

હૈ ગુઝારિશ....'

વાહ, ખરેખર જો આવો પ્રેમ મળી જાય તો જિંદગી આવી જ થઇ જાય. પ્રેમને અભિવ્યક્ત કરવાની એક અલગ જ રીત છે, જો એને લખીને કરીએ તો માણસના રોમ-રોમમાં એ વ્યાપી જાય અને જો એને બોલીને કરીએ તો માણસ આખે-આખો પીગળી જાય, બસ આવું તો કહું છું હું. ક્યાં કાંઈ વધારે આશાઓ રાખીએ છે આપણે??? આટલું જો જીવનમાં અમલમાં આવી જાય તો જિંદગી અને સંબંધ બંને અનંતકાળ સુધી જીવંત જ રહે.

લખવામાં, બોલવામાં કે કોઈ ને સલાહ આપવામાં આ બધી વાતો બહુ જ સરસ લાગે છે સાહેબ, જયારે ખુદ એ જ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે એટલે જ ખબર પડે કે કેટલું જ્ઞાન ક્યાં પડ્યું છે. આજે આપણે અહીંયા કોઈ સલાહ-સૂચન માટે આ ચર્ચા નથી કરી રહ્યા આપણે આપણા મનની વાત આજે એકબીજા સાથે કલમના સહારે પ્રસરાવી રહ્યા છે અને એટલે જ આજે બધી જ વાત આપણે પ્રેમાલાપના દરેક અંકમાં કરી છે.

'પ્રેમાલાપ'ના આ દરેક ભાગમાં આપ સહુનો સાથ-સહકાર બદલ ખુબ આભાર. અંતે એટલું જ કહીશ,

'અમે વિચાર્યું, કલમે ચીતર્યું,

કાગળે કોતર્યું ને માતૃભારતીએ પ્રસરાવ્યું,

વાચકોએ વહેંચ્યું ને અભિપ્રાયોએ ઉગાર્યું,

અને સાથે આ 'પ્રેમાલાપ'એ આશાનું કિરણ પ્રગટાવ્યું.'

-બિનલ પટેલ