A journey to the Nature - Jim Corbett National Park books and stories free download online pdf in Gujarati

હિમાલયની પૃષ્ઠભૂમિ - કુદરતી સંગીતનો લયબદ્ધ લીસોટો એટલે જિમ કોર્બેટ નેશનલ પાર્ક

આખા દિવસની મુસાફરી પછી એક એવા વિસ્તારમાં પ્રવેશ્યા જ્યાં પ્રકૃતિએ મારું સ્વાગત એક અલગ પ્રકારના સંગીતથી કર્યું. કોઇપણને પોતાના મોહપાશમાં જકડી લેવા સમર્થ એવી પ્રકૃતિ, પક્ષીઓના કલરવ અને મંદમંદ વહેતી કોસી નદીના પાણીનો રવ લયબદ્ધ રીતે મને હિમાલયના પાલવમાં એક બાળકની માફક આવકારી રહ્યો હતો. વિશાળકાય સાલના વૃક્ષો અને નાનકડો એવો વર્તુળાકાર રસ્તો પોતે જ મારી સાથે આંગળી પકડીને મુસાફર બનીને ચાલતો હોય એવું હું અનુભવી રહ્યો હતો. સુર્યના કિરણો ગાઢ જંગલને વીંધીને ધરણીને ચૂમી રહ્યા હોય એવુ અપ્રતીમ દ્રશ્ય જોઇ ને ઘડીભર માટે પણ છોડીને જવાનુ મન ન થાય. ક્ષિતિજ પર ડુબી રહેલા સૂરજના પ્રકાશથી સોનેરી રંગે રંગાયેલો રસ્તો પણ જાણે અધીરો થઈને ક્ષિતિજને મળવા જઈ રહ્યો હોય એવુ દીસતુ હતુ. ડૂબતા સૂરજના કોસીમાં પડતા સોનેરી કિરણો અને જંગલનો પડછાયો જાણે કોઇ ચિત્રકારે બનાવેલી બેનમૂન ક્રુતિ હોય એવો ભાસ થતો.. કોસી નદીના પટ પર પડતા સુરજના પડછાયાને જોઇને ઘડીભર માટે એવુ થઈ ગયુ કે એક નાનક્ડો પત્થર ફેંકીને સુરજના સોનેરી કાટમાળને પાણીની સપાટી પર તરતો જોઇ રહુ. ગાડીની ઝડપ આપોઆપ ધીમી પડી ગઈ. લીલાછમ્મ પર્વતોના ઢોળાવમાં સરસ માટીના બનેલા ઘરો અને નાના એવા ગામડાને જોઈને કાયમ ત્યાં જ વસવાટ કરવાનું મન થઇ જાય. ગોધૂલીવેળાએ ઢોર-ઢાંખર, બકરીઓને લઈને ગામના લોકો ઘર તરફ પરત ફરી રહ્યા હતા. પોતાના માળા તરફ પરત ફરી રહેલા પક્ષીઓનો કલરવ વધી રહ્યો હતો. હું મારા નિયત કરેલ સ્થળ પર પહોચું તે પહેલા સૂરજ ડૂબી ગયો હતો અને અંધારું ઘેરી વળ્યું હતું. અંધારું થવા છતાં રસ્તો સ્પષ્ટ પણે જોઈ શકાય એટલો તો ઉજાસ હતો જ. જંગલમાં અંધારું અને રાની પશુઓના ભયાવહ અવાજો સતત ભય પ્રેરે તેવા હોય છતાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને રોમાંચ મને વધારે ને વધારે સમય માટે આ ઉઘડતી રાત્રીને માણવા માટે પ્રેરતો હતો. જ્યાં રસ્તો પોતે જ એક મંજિલ છે, જ્યાં કુદરત તમારા પર ઓળઘોળ છે એવો અનુભવ દરેક પગલે થાય, જ્યાં વન્યસૃષ્ટિ અને હિમાલયની નદીઓનું મધુર ગાન તમને સંગાથ આપે એવો વિસ્તાર એટલે હિમાલયની પર્વતમાળામાં આવેલા દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યનું જિમ કોર્બેટ નેશનલ પાર્ક. ભારત દેશનો સહુથી પહેલો નેશનલ પાર્ક જે 1936 માં "હેલી નેશનલ પાર્ક" તરીકે સ્વીકૃત થયો, દેશની આઝાદી પછી રામગંગા નેશનલ પાર્ક તરીકે ઓળખાયો પણ 1956માં એ જિમ કોર્બેટના નામથી જ "જિમ કોર્બેટ નેશનલ પાર્ક" તરીકે નામકરણ થયું, જેઓ એક બ્રિટીશ શિકારી હતા પણ તેઓએ કેમેરા સામે બંદૂક પડતી મૂકી અને પર્યાવરણ તથા વન્યજીવ સંરક્ષણની પ્રવૃત્તિમાં લાગી ગયા અને નેશનલ પાર્કની સ્થાપનામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે લખેલા પુસ્તકો આ જંગલનો ખરો ચિતાર રજૂ કરે છે જેમાં કોર્બેટ નેશનલ પાર્ક વિષે રહસ્યમય વાતો પણ છે, તેમના અનુભવોની ચર્ચા છે, તેમણે જંગલમાં ખેડેલા પ્રવાસ અને રાત્રિ વર્ણન પણ છે. તેમણે અહી નાની હલ્દ્વાની નામનું ગામ વસાવ્યું, આજે અહી જિમ કોર્બેટનું સંગ્રહાલય પણ છે જેમાં એમણે શિકાર કરેલા માનવભક્ષી વાઘ અને દિપડાના મૃતદેહને સાચવી રાખ્યા છે. રામનગર ગામથી જ જંગલ વિસ્તારની શરૂઆત થાય છે. અહી અગોચર વિશ્વનું સંગીત સતત વહ્યા કરતુ હોય એવો એહસાસ થાય છે.

521 ચો.કિમી. વિસ્તારમાં પથરાયેલ જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં 600 જેટલા પક્ષીઓની વિવિધતમ પ્રજાતિઓ, 488 જેટલા વિવિધતમ જાતના છોડવાઓ અને વૃક્ષો, અલગ અલગ પ્રજાતિઓના જીવજંતુઓ, પ્રાણીઓ, સરિસૃપ વગેરે અહી જોવા મળે છે. રોયલ બેંગલ વાઘમાટે જાણીતો નેશનલ પાર્ક હિમાલયની નયનરમ્ય પર્વતમાળાઓ, કોસી અને રામગંગા નદીના પટ જેવા પ્રાક્રુતિક દ્રશ્યથી સજ્જ ભારતનો સહુથી ખૂબસૂરત નેશનલ પાર્ક છે. હાથીઓના ટોળા અહીનું મુખ્ય આકર્ષણ છે. વન્યજીવોના તસવીરકારો, પક્ષીવિદો, પ્રકૃતિપ્રિય લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહી દરેક પગલે એક અદભૂત વાઈલ્ડ વોયેજનો અનુભવ થાય.

ઢીકાલા ઝોન કોર્બેટ નેશનલ પાર્કનો મહત્વનો ઝોન છે. કોઈ પણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર આ ઝોન પર જ પસંદગી ઉતારે છે પરિણામે અહી બુકિંગ મળવું લગભગ મુશ્કેલ છે. અહી જંગલની વચ્ચે જ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફથી રહેવા માટે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સુલતાન, સર્પદુલી, ગૈરલ અને ઢીકાલા ફોરેસ્ટ હાઉસ આવેલ છે જે ધનગઢી ગેટથી 40 કિમી જંગલની અંદર આવેલ છે. ત્યાં સુધી પહોચવાના રસ્તાની મુસાફરી પણ એક અદભૂત સફર કહી શકાય.. રસ્તામાં લગભગ મોટાભાગના પ્રાણીઓ વિહરતા જોવા મળે છે અને ક્યારેક ક્યારેક વાધ પણ રસ્તો રોકીને રાજાની જેમ જ રસ્તા પર જ બેઠા હોય. એક વખત સફારી શરુ થાય એટલે રોમાંચિત થઈ જવાય. જંગલનો રસ્તો અને રામગંગા નદીનો પટ આખા જ જંગલને એક ચિત્રક્રુતિ જેવી ઝાંખી કરાવે.. આંખો ક્યાંક ને ક્યાંક વન્યસૃષ્ટીમાં પ્રાણીઓને શોધે. ડ્રાઈવર અને ગાઈડ થોડી થોડી વારે ગાડી ઉભી રાખીને ધ્યાનથી રસ્તા પર જુએ જાણે કઇક શોધી રહ્યો હોય પરંતુ તેઓ વાઘ અને દિપડાના પદચિન્હો શોધતા હોય છે જેનાથી તાજેતરમાં વાઘ કે દીપડો કઈ દિશામાં ગયો છે એ ખ્યાલ આવી શકે. આ વિસ્તારની પ્રખ્યાત વાઘણ "પારવાળી" અહીનુ મુખ્ય આકર્ષણ છે. પારવાળી નામ એટલા માટે કેમ કે એ રામગંગાના પેલે પાર રહે છે અને આ વિસ્તારમાં રહેવા આવી છે. અત્યારે પારવાળી બચ્ચાઓ સાથે વિહરી રહી છે. લગભગ 20-25 જેટલા સફારીના વાહનો વચ્ચે પણ એ પોતાના આગવા અંદાજથી રસ્તા પર કલાકો સુધી બેસી રહે છે. હરણાઓનું ટોળું અચાનક જ રસ્તો બદલી નાખતું જોવા મળે, તો ક્યાંક સ્થિર થઇને ચરતાં હરણો ચમકીને,કાન અણિયાળા કરીને આસપાસ નજર કરી લે. ચરતા ચરતા પણ થોડી થોડી વારે સચેત થઇને ચારે દિશાઓમાં જોઈ લે. જંગલનું વાતાવરણ એક અલગ જ રીતે શાંત થઈ જાય, વાંદરાઓ ઝાડની ટોચ પર ચઢી જાય, પક્ષીઓ ભયસૂચક રીતે ટહુકવા લાગે, વાંદરાઓ અને સાંભર હરણો પણ એકબીજાને ચેતવણી માટેના ભય પ્રેરે તેવા અવાજો સાંભળતા જ આપણી ધડકન પણ ચૂકી જવાય એવો અનુભવ થાય કેમ કે આવા સમયે ક્યાંકને ક્યાંક આસપાસ વાઘ કે દીપડો હોવો જોઈએ. જંગલના દરેક જાનવરની પોતપોતાની અંદર અંદર વાર્તાલાપ કરવા માટેની એક આગવી ભાષા હોય છે. અહી એ ભાષા અને રીત પ્રત્યક્ષ જોઈ તથા અનુભવી શકાય. પ્રકૃતિના આ પાલવમાંથી કોઈ પણ રીતે બહાર આવવાનું ન જ ગમે. ચેતવણી સૂચક ભય પ્રેરે તેવી ચીસો, પ્રાણીઓમાં અસામાન્ય વર્તન, બધા જ હરણો એક જ સ્થળે ભેગા થઇ જાય તેવું દ્રશ્ય વગેરે અહી સરળતાથી જોવા મળે એટલે સમજી જવાનું કે વાઘ કે દીપડો આવી ગયો. ગાઈડને પણ વાંદરાઓ આ રીતે જ વાઘ અને દિપડાને સરળતાથી શોધવામાં મદદરૂપ થાય છે. દરેક રસ્તાની બાજુ પર આવેલા ઝાડ પર ઉંચે સુધી તીક્ષ્ણ નહોરથી ઊંડા ઘા પાડેલા અને પેશાબથી પોતાના સામ્રાજ્યની નિશાની કરેલી જોવા મળે. વાઘ સામાન્ય રીતે આવા સૂચક નિશાનો પોતાની હદ દર્શાવવા માટે કરે છે જેથી બીજો કોઈ પણ હરીફ વાઘ જે તે વાઘના વિસ્તારમાં ના પ્રવેશી શકે. છતાં પણ જો કોઈ વાઘ બીજાની હદમાં પ્રવેશે તો બંને વચ્ચે ટેરેટરી ફાઈટ થાય છે અને એ ફાઈટ એટલી હદે ખતરનાક હોય છે કે મોટા ભાગના કિસ્સામાં વાઘ ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે તો ક્યારેક મરી પણ જાય છે. ચેલેન્જ આપવા માટે એક વાઘ બીજા વાઘના વિસ્તારમાં આવીને જે તે ઝાડ પર પોતાના નહોર વડે વધારે ઊંચા નિશાન કરવા પ્રયત્ન કરે છે. જે તે વિસ્તારનો વાઘ જો લડાઈમા હારી જાય કે સામનો કરવા સક્ષમ ના હોય તો તેણે પોતાનો વિસ્તાર હમેશા માટે છોડવો પડે છે. ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જંગલમાં હાથી હોય કે વાઘ દરેકે પ્રયત્નશીલ રહેવું પડે છે નહીતર એક જ મા ના બે સંતાનો હોય તો પણ જે વધારે તાકાતવાન હોય એ જ જંગલ પર રાજ કરે છે.

ધરતીમાતાનું આભૂષણ એવુ જંગલ અનેક વિસ્મયોથી ભરેલુ છે. આખુ જંગલ ૬ અલગ અલગ વિસ્તારોમા વહેચાયેલુ છે. ઢીકાલા, બિજરાની, દુર્ગાદેવી, સીતાબની, ઝિરના અને સોનાનડી. ઢીકાલા ઝોનમાં હાથીઓ મસ્તીથી વિહરતા જોવા મળે છે. રામગંગાના પટ આસપાસ મસ્તીથી ઝૂંડ પસાર થઇ રહ્યું હોય છે ત્યારે તેઓ જંગલમાં અદ્રશ્ય થઈ જાય ત્યાં સુધી તેમને જોતા રહેવું એ એક લ્હાવો છે. રસપ્રદ વાત એ છે કે હાથીઓના ઝૂંડને માદા હાથી નિયંત્રણ કરે છે. તે જ નક્કી કરે છે કે કયો નર એના એના ઝૂંડમાં રહેશે. હાથી પોતાના બચ્ચાઓ પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે અને બચ્ચાઓ પર સહેજ પણ જોખમ જણાય કે તેઓ આક્રમક બની જાય છે. માત્ર જંગલ જ નહી પણ જંગલ બહારના રસ્તા પર પણ હાથી ચાલતો હોય ત્યારે રસ્તો રોકાઈ જાય છે. પર્યાવરણ વિભાગના નિર્દેષ અનુસાર અહી જંગલી પ્રાણીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યા સુધી પ્રાણી પસાર થઈ ન જાય ત્યા સુધી વાહન જે તે સ્થળ પર જ રોકી દેવામાં આવે છે. હાથી આક્રમકતામાં વાઘ કરતા પણ વધારે ખતરનાક હોય છે. મા પોતાના બચ્ચા સાથે ચાલી રહી હોય ત્યારે જગલની રોનક અદભૂત દીસે અને વિશાળ અરણ્યમાં કુદરતી સુંદરતાનો નજારો બધી ભૌતિક સુવિધાઓને ભુલાવી દે. વિશાળ ઘાસના મેદાનો પણ અહી આવેલા છે જેમાં ક્યારેક વાઘ છુપાઈને બેસી રહે છે તો ક્યારેક હાથી સહપરિવાર અહી મિજબાની માણતા જોવા મળે છે. સામાન્યતઃ વાઘ અહી સમૂહમાં જોવા નથી મળતા પણ જો મા સાથે બચ્ચાઓ નાના હોય તો ચોક્કસ જોવા મળે છે. ઢીકાલા સિવાય બીજરાની ઝોન પણ વાઘ માટે પ્રખ્યાત છે. ઢીકાલામાં જંગલનો અનુભવ ખૂબ જ અનૂઠો થાય છે. અહીના લેન્ડસ્કેપ્સને વિશ્વભરના ફોટોગ્રાફર્સએ કેમેરામાં ઝડપ્યા છે. કોર્બેટ નેશનલ પાર્ક ચોમાસા દરમ્યાન 15 જૂનથી 15 નવેમ્બર સુધી બંધ રહે છે.

કોર્બેટ નેશનલ પાર્ક સિવાય આગળ વધતા કુમાઓ વિસ્તાર પક્ષી અભ્યાસ માટે વિશ્વવિખ્યાત છે. કુમાઓમાં વહેતી અલગ અલગ નદીઓની ધારાઓમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. અહી પ્રકૃતિ પ્રેમીઓ મહિનાઓ પક્ષીઓ પાછળ જ ગાળે છે. અહીના પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે. સાહિત્યમાં મોટાભાગે જેનો ઉલ્લેખ થયો છે એવું દૂધરાજ અહી ખૂબ જ સરળતાથી જોવા મળે છે. લીચીના બગીચાઓમાં તે માળાઓ બનાવે છે. સામાન્ય રીતે જ્યાં વધારે કરોળિયાઓ હોય ત્યાં દૂધરાજના માળાઓ હોય છે કેમ કે દૂધરાજ કરોળિયાનું જાળું માળો બનાવવા માટે વાપરે છે. આ જ વિસ્તારમાં નૈનીતાલથી 15 કિમી જેટલું આગળ સાત-તાલ નામનું સ્થળ આવેલ છે જે પક્ષીઓનો વિવિધતમ પ્રજાતિઓ જોવા માટેનું અદભૂત સ્થળ છે જે સાત અલગ અલગ તળાવોથી બનેલું છે.સમુદ્રતટથી 1370 મોટરની ઊંચાઈએ આવેલ આ સ્થળે નાની નાની એકધારી વહેતી નદીનોની ધારાના સંગીત સાથે પક્ષીઓનું મધુર ગાન લયબદ્ધ રીતે સાંભળવા મળે છે જેની સામે દુનિયાનું તમામ સંગીત વામણું લાગે. પાઈન અને ઓકના વૃક્ષોનું આ જંગલ ત્યાંની બાયોડાયવર્સીટી માટે વિશ્વ વિખ્યાત છે. આ સ્થળ એક પ્રકારનું કુદરતી મેડીટેશન આપે છે. આ સ્થળ પર આવીને મેં કલાકો સુધી અલગ અલગ પક્ષીઓના વર્તનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું છે. સ્પોટેડ ફોર્ક્ટેલ નામનું પક્ષી પિતૃપ્રેમ માટે જાણીતું છે.પક્ષીવિશ્વમાં ખરી સંવેદનશીલતા છે. મેં હંમેશા જોયું છે અને અનુભવ્યું છે કે પક્ષીઓ ઈંડા મૂકે, સેવે અને જવાબદારી પૂર્વક જતન કરીને બચ્ચાઓને ઉછેરે. એ પણ મા અને બાપ સરખી જવાબદારીઓ લઈને, જે માળો બનાવવાની પ્રક્રિયાથી જ શરૂ થઈ જાય. બચ્ચાઓ બરાબર ઉડતા શીખી જાય, કોઈ પણ ખતરો હોય તો પ્રતિકાર કરતા શીખી જાય, ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એટલી ક્ષમતા એમનામાં આવે ત્યાં સુધી એમને સાચવે… ત્યાર બાદ એ બચ્ચાઓ સંપૂર્ણ પણે સ્વતંત્ર. માતાપિતા સાથેની બધી જ માયા છોડીને સ્વતંત્ર પણે જીવન શરૂ કરે. હિમાલયના સાત તાલ એટલે કે સાત તળાવોનો સમૂહ તે વિસ્તારમા આવેલ ચાંફીમાં સ્પોટેડ ફોર્કટેઇલ મેલને મેં કલાકો સુધી જોયું છે જે બચ્ચાંને ખવડાવે છે.પિતા પણ માતૃત્વ નિભાવે છે. શાંતિથી બેસીને માત્ર ચાર પાંચ ફૂટના અંતરેથી પક્ષીઓના અલગ અલગ પ્રકારના વર્તનને નજર સામે જોઈ શકીએ જાણે આપણી સામે કુદરતી ડીસ્કવરી ચેનલ શરુ કરીને મૂકી હોય. આ જગ્યા આશરે 500 જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓનોનું ઘર છે જેમાં કેટલાક યાયાવર પક્ષીઓ પણ છે. ઓકટોબર થી જૂન મહિના દરમ્યાન અહી પક્ષીઓને જોવાની શ્રેષ્ઠ તકો મળે છે પણ અપ્રિલ મહિનામાં અહી મોટાભાગના પક્ષીઓનું બ્રીડિંગ ડિસ્પ્લે જોવા મળે છે. નર પક્ષી સામાન્ય રીતે નર માદા કરતા વધારે ખૂબસૂરત અને આકર્ષક હોય છે અને એ માદા ને આકર્ષવા માટે વિવિધ પ્રકારના દેખાવ થતા સુરીલા અવાજો કરે છે. કુદરતનો વૈભવ અહી સાતતાલ, ચાંફી અને પંગોત વિસ્તારમાં જોવા મળે છે. સાતતાલથી 15 કિમી દૂર આવેલ પંગોત વિસ્તારમાં ખૂબ જ જાણીતી બર્ડ ટ્રેઈલ છે જ્યાં ચીર ફિઝન્ટ અને ખલીજ ફિઝન્ટ જોવા માટે દુનિયાભરના પક્ષીવિદો અને પર્યાવરણ રસિકો દર વર્ષે આવે છે. આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ "સ્ટુડિયો"ના હુલામણા નામથી ઓળખે છે કેમ કે અહી કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ 50 થી 100 અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો એ પણ જગ્યા બદલ્યા વિના જાણે કે પક્ષીઓ સ્ટુડિયોમાં ફોટોગ્રાફ્સ પડાવવા માટે જ આવતા હોય. આ સિવાય ચાફી નામનું નાનકડું ગામ છે ત્યાં પણ વિવિધ રંગોના પક્ષીઓ જોવા મળે છે જેમ કે સ્પોટેડ ફોર્ક્ટેલ, ક્રેસ્ટેડ કિંગફિશર, વિવિધ પ્રકારના રેડસ્ટાર્ટ અને નસીબ હોય તો ટોની ફીશ આઉલ પણ મળે છે અહી.

કોર્બેટમાં આવતા ઘણા પ્રવાસીઓને મેં અહી વીલા મોઢે પરત ફરતા પણ જોયા છે જેમના ચહેરા પર એક પ્રકારનો અફસોસ હોય છે કે અમને વાઘ ના દેખાયો પણ જો તેઓ માત્ર ટાઈગરની અપેક્ષાથી નહિ પણ જંગલના વૈભવને માણવા માટે આવે તો દરેક વ્યક્તિ અચૂક કઇક ને કઈક એવું લઇને જાય છે જે તેમણે ક્યારેય ના જોયું હોય. મેં એવા પણ વ્યક્તિઓને જોયા છે કે જેઓ ચોક્કસ પ્રકારના પક્ષી જોવા માટે હજારો કિમી દૂરથી આવ્યા હોય છે અને તેઓ ચોક્કસ નક્કી કરેલા પક્ષી પાછળ દિવસોના દિવસો અલગારી માફાક ઘૂમ્યા કરે છે, મારા જેવા ફોટોગ્રાફર જેટલા મળી જાય તેટલા અલગ અલગ પક્ષીઓને કેમેરામાં ઝડપ્યા કરે. જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ ફોટોગ્રાફર 400 એમ.એમ.થી લઇને 900 એમ.એમ. સુધીનાં લેન્સ સાથે નજરે પડે છે. અહી પક્ષીઓની ચેકલીસ્ટ જોઈએ તો પણ 500 પ્રજાતિ કરતા વધી જાય.

અહી પ્રકૃતિનું સૌન્દર્ય જોવા માટે ધીરજ, નાના એવા પક્ષીઓને શોધવા માટે ચપળ નજર, યોગ્ય પળને કેમેરામાં ઝડપવા માટેની તકેદારી, કદાચ કોઈ મોમેન્ટ ચૂકી જવાય તો ફરી મળવાની આશા સાથે અખૂટ ધીરજ, વહેલી સવારે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું અને પ્રકૃતિના ટાઈમટેબલ પ્રમાણે પોતાની જાતને કેળવવી, ખૂબ જ ચાલવું અને પક્ષીઓના વર્તનનો ઊંડાણપૂર્વક અભ્યાસ, અવલોકન જેવી દરેક બાબતોના પાઠ અહી મળી જાય છે. હિમાલયનો અલગ જ રંગ અહી દરેકને આકર્ષે છે. દેવભૂમિ ઉત્તરાખંડ ખરેખર દૈવિક છે એટલે જ અહી કુદરત વાસ કરે છે અને અહી કુદરતની નજીક હોઈએ એવી અનૂભૂતિ દરેક વેલીમાં, દરેક વહેતા ઝરણાઓમાં , અલકનંદા, ભગીરથી, રામગંગા, કોસી નદીના પટમાં, દરેક પક્ષીઓની પાંખમાં, એમના ટહુકાઓમાં, વાધની ત્રાડમાં, હરણાઓની નિર્દોષતામાં ખરેખર થાય છે. અહી ઘડિયાળ પણ પક્ષીઓના મધુર ગાન, હરણોનો ઘૂરકાટ અને વાઘ-દીપડાની ત્રાડ પ્રમાણે ચાલે છે. રોજે જ હાથીઓ આપણે જ્યાં રહીએ એવા વિસ્તારની આસપાસથી જ પસાર થાય તો ક્યારેક વાઘ પણ સામો મળી જાય. આપણે જ્યારે પ્રકૃતિના ઘરે જઈએ પ્રકૃતિના નિયમાનુસાર રહીએ તો પ્રકૃતિ હમેશા કઈક ને કઈક બક્ષે જ છે.જંગલ એ તેઓનું ઘર છે, અને કોર્બેટ નેશનલ પાર્ક એ જ વિસ્તાર છે જે ભૂતકાળમાં નરભક્ષી વાઘ અને દીપડાઓ માટે જાણીતો હતો. અહી આખું જંગલ પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે અને પ્રકૃતિના નિયમને પ્રત્યક્ષ જોવો એ કુદરતની ભેટ કહી શકાય.


જિમ કોર્બેટે પોતાની બૂક જંગલ લોરમાં લખ્યું છે કે "મેં જંગલમાં જેટલો સમય વિતાવ્યો છે તે સમયે મને અખૂટ ખુશીઓ જ આપી છે. હું માનું છું કે મારી ખુશીનું ખરું કારણ પણ મેં મુક્ત મને વિહરતા જીવો જ છે જેઓ સ્વતંત્ર મિજાજે પ્રકૃતિમાં મહાલે છે, પ્રકૃતિમાં કોઈ ચિંતાનું અસ્તિત્વ જ નથી હોતું કે કોઈ અસંતોષ નથી હોતો. પ્રકૃતિના નિયમ પ્રમાણે ટોળામાંથી જો કોઈ પક્ષીની શિકાર થાય કે કોઈ પશુનો શિકાર થાય તો જેઓ બચી ગયા છે તેઓ આંનદમાં પોતાની આજ ને એ રીતે માણે છે કે આપણો જવાનો સમય આજે તો નથી જ આવ્યો અને આવતી કાલનું તેઓ કઇ જ વિચારતા નથી."

- કૌશિક ઘેલાણી