Pal Pal Dil Ke Paas - Govinda - 15 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - ગોવિંદા - 15

ગોવિંદા

વાત ૧૯૮૭ ની છે. ફાઈવસ્ટાર હોટેલમાં પાર્ટી ચાલી રહી હતી. ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર હતી. અચાનક એક યુવાન અભિનેતાની એન્ટ્રી થઇ. બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું. કોઈક બોલ્યું કે આ તો નવો જ અભિનેતા ગોવિંદા છે. એક ડાયરેક્ટરે કોમેન્ટ કરી. ”ઇસે કૌન અભિનેતા કહેગા? યે તો સિર્ફ એક ડાન્સર હૈ ડાન્સર”. જેની હજુ ત્રણ જ ફિલ્મ જ રીલીઝ થઇ હતી તે ગોવિંદાનાં કાને આ કોમેન્ટ પડી. તે ગમ ખાઈ ગયો. ઘરે ગયા બાદ પણ તે આખી રાત ઊંઘી ના શક્યો. બીજે દિવસે ગોવિંદાએ તેના મોટા ભાઈ કીર્તિકુમારને કહ્યું “બડે ભાઈ, મેરે લિયે એક ઐસી ફિલ્મ બનાઓ જિસમેં મુઝે એક્ટિંગ કરનેકા મૌકા મિલે ઔર લોગ મુઝે અભિનેતા માનને લગે. ” કિર્તીકુમારે એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવી. તે ફિલ્મ એટલે “હત્યા”. આમ તો “હત્યા” એક મલયાલમ ફિલ્મની રિમિક હતી પણ ગોવિંદાની સફળ અભિનેતા તરીકેની એક આગવી ઓળખ તે ફિલ્મથી જ ઉભી થઇ હતી.

ગોવિદાનું સાચું નામ ગોવિંદ આહુજા છે. તે પંજાબી સિંધી પરિવારમાંથી આવે છે. પિતા અરુણ આહુજાએ મહેબુબખાનની “ઔરત” અને “એક હી રાસ્તા” માં અભિનય કર્યો હતો. માતા નિર્મલાદેવી બનારસના ક્લાસિકલ સિંગર હતા. માતાએ પણ ૧૯૪૨ માં હિન્દી ફિલ્મ “શારદા” માં અભિનય કર્યો હતો. ત્યાર બાદ તેમની ફિલ્મ “સવેરા” ના હીરો હતા અરુણ આહુજા. રીલ લાઈફના આ હીરો અને હિરોઈન રીયલ લાઈફ માં પતિ પત્ની બન્યા હતા. ગોવિંદાના જન્મ પહેલા પિતા અરુણ આહુજાએ ત્રણ ફિલ્મ બનાવી હતી. તમામ ફિલ્મો નિષ્ફળ નીવડી હતી. જેના આર્થિક નુકશાનને કારણે તેઓ સાવ પાયમાલ થઇ ગયા હતા. કાર્ટર રોડ જેવા પોશ એરિયાનો બંગલો પણ વેચાઈ ગયો હતો. બહોળા પરિવારને વિરારના તદન સામાન્ય મકાનમાં શિફ્ટ થવું પડ્યું હતું. વળી પિતા અરુણ આહુજાની તબિયત પણ લથડી હતી. છ ભાઈ બહેનોમાં ગોવિંદા સૌથી નાનો હતો. તા. ૨૧/૧૨/૧૯૬૩ ના રોજ જન્મેલ ગોવિંદાનું લાડકું નામ “ચીચી” હતું. પંજાબીમાં “ચીચી” નો મતલબ થાય છે ટચલી આંગળી.

આર્થિક રીતે ઘસાઈ ગયેલા અને બિલકુલ લોઅર મિડલ ક્લાસ પરિવારના ગોવિંદાએ કોલેજનો અભ્યાસ પૈસાના અભાવ સાથે જ પૂરો કર્યો હતો. સ્નાતક થયા બાદ તેને ક્યાંય નોકરી મળતી નહોતી. આખરે ગોવિંદાએ અભિનેતા બનવાનો નિર્ધાર કર્યો હતો. તે દિવસોમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મ “ડિસ્કો ડાન્સર” ધૂમ મચાવી રહી હતી. ગોવિંદા પર મિથુનના ડાન્સનો ઊંડો પ્રભાવ પડયો હતો. તેણે સરોજખાનના ડાન્સના ક્લાસ જોઈન કર્યા હતા. ડાન્સની ટ્રેનીંગ લીધા બાદ ગોવિંદાએ ખુદના ડાન્સની એક વિડીઓ કેસેટ બનાવી હતી. ગોવિંદા એક પછી એક નિર્માતા અને નિર્દેશકની ઓફિસે જઈને તે કેસેટ બતાવતો ફરતો પણ ક્યાંયથી રિસ્પોન્સ મળતો નહોતો.. કોઈકને ગોવિંદાની હાઈટ ઓછી લાગતી તો કોઈકને આ છોકરો અભિનય નહિ કરી શકે તેવું લાગતું હતું. તે દિવસોમાં જીતેન્દ્રના ભાઈ પ્રસન્ન કપૂર ‘આગ ઔર શોલા” નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. તેમાં એક સાવ નાનો રોલ મેળવવા માટે ગોવિંદાએ તેમની ઓફિસે ચાલીસ ધક્કા ખાધા હતા છતાં કામ મળ્યું નહોતું. આખરે ગોવિંદાએ થાકી હારીને તેના મામા આનંદ સિંહને તે વિડીઓ બતાવી હતી. આનંદસિંહ ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમણે ગોવિંદાને લઈને ઓછા બજેટમાં “તનબદન” ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મના નિર્માણ દરમ્યાન જ ગોવિંદાને અન્ય ફિલ્મ મળી ગઈ હતી જે પહેલા રીલીઝ પણ થઇ ગઈ હતી. તે ફિલ્મ એટલે “ઈલ્ઝામ” જે એક સફળ ફિલ્મ હતી.

ત્યાર બાદ ગોવિંદાની તનબદન,લવ ૮૬,સદા સુહાગન,મેરા લહુ અને ખુદગર્ઝ રીલીઝ થઇ હતી.

ગોવિંદાની અત્યાર સુધીમાં ૧૫૦ જેટલી ફિલ્મો રીલીઝ થઇ છે. જોકે સફળ ફિલ્મોની યાદી નાની છે. જેમાં ઈલ્ઝામ, હત્યા ,દરિયાદિલ,જંગબાઝ,જેસી કરની વૈસી ભરની ,સ્વર્ગ,હમ, આંખે, રાજાબાબુ, ખુદ્દાર, કૂલી નં૧, સાજન ચલે સસુરાલ, હીરો નંબર ૧, દીવાના મસ્તાના તથા બડે મિયા છોટે મિયા નો સમાવેશ થાય છે. ડેવિડ ધવન સાથે ગોવિંદાની જોડી બરોબર જામી ગઈ હતી. ડેવિડ ધવન ગોવિંદા પાસે દર્શકોને પસંદ પડે તેવું ધાર્યું કામ લઇ શકતા હતા. ગોવિંદાની સફળ ફિલ્મોની યાદીમાં સીતેર ટકા ફિલ્મો ડેવિડ ધવનના નિર્દેશનમાં બની હતી. કોમેડી ફિલ્મ “હદ કર દી આપને” માં ગોવિંદા એ છ રોલ કર્યા હતા.

તા. ૧૧/૩/૧૯૮૭ ના રોજ સુનીતા સાથે ગોવિંદાના લગ્ન થયા હતા. તે જમાનામાં ફિલ્મનો હીરો પરણેલો હોય તો તેના ચાહકોની સંખ્યા ઘટી જાય તેવી માન્યતા હતી. પરિણામે લગભગ ચાર વર્ષ સુધી ગોવિંદાના લગ્નને જાહેર કરવામાં આવ્યા નહોતા.

તા. ૫/૧/૧૯૯૪ ના રોજ “ખુદ્દાર” ફિલ્મના શુટિંગ માં જતી વખતે રસ્તામાં ગોવિંદાની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. ગોવિંદાને માથામાં ઈજા થઈ હતી. છતાં તેણે શુટિંગ ચાલુ રાખ્યું હતું.

આપ કી અદાલત માં એક સવાલના જવાબમાં શાહરુખ ખાને કહ્યું હતું “મૈ હીટ હોના ચાહતા હું લેકિન સરકાઈ લો ખટિયા જૈસે ગાને કરકે હીટ હોના નહિ ચાહતા” શાહરૂખખાનની ટીકા ગોવિંદાને બિલકુલ ગમી નહોતી. તે દિવસોમાં ગોવિંદાનું કૂલી નં ૧ નું શુટિંગ ચાલી રહ્યું હતું. તે ફિલ્મમાં એક ગીત હતું “તુજકો મિર્ચી લાગી તો મૈ ક્યા કરું”. ગોવિંદાએ ગીતકાર સમીરને કહીને તે ગીત માં એક અંતરો ઉમેરાવ્યો હતો. અને ડેવિડ ધવનને વિનંતી કરીને તે અંતરા સાથેના ગીતનું ફરીથી શુટિંગ કરાવ્યું હતું. જોકે તે અંતરો ઓડિયોમાં નથી માત્ર ફિલ્મમાં જ છે... મૈને જો સરકાઈ ખટિયા તો આપકો લગા બડા ઘટિયા. મગર મૈને કિસીકે સીને મેં ખંજર ઉતારા નહિ. મૈ તો હું એક જોકર, નાચતા ગાતા હું. તુજકો નાચના ના આયે તો મૈ ક્યાં કરું?

સમાપ્ત.