ghadpanma aekaltani virah books and stories free download online pdf in Gujarati

ઘડપણમાં એકલતાની વિરહ

વીતેલા સમયની સાથે મુરઝાયેલા દેહ પર કરચલીઓથી વીંટળાયેલી ચામડી, કંપારી કરતા હાથપગ અને ચેહરાની બોખલાહટમાં ઊંડે ઉતરી ગયેલી આંખોમાં એ એકલતા જિંદગીને ભીતરથી કોતરી રહી હતી. એમ તો જમનાબા એ સીત્તેર દિવાળીના દિવા પ્રગટાવી ચૂક્યા છે અને એમના સત્કર્મો થકી ઘર દેદીપ્યમાન રહ્યું છે. સદાય કોઈના કોઈ પ્રવૃતિમાં જોતરાઈ રહેલા જમનાબા આજે વિરહ અને એકલતામાં ઢીલા થઈ પડ્યા છે. એ ખૂંખાર ભર્યો સ્વભાવ, હર્યુંભર્યું વાતાવરણને રાખનાર અને જેમના પગરવથી જ ખુશીઓનો રણકાર થતો હોય તે સ્વભાવ , પગ અને વાતાવરણમાં ખુદ ને એકલા કરી બેઠા છે.

જમનાબાના સંતાન કેશવ, એમની વહુ સાવિત્રી અને તે લોકોના સંતાન ધરા, ભૂમિ અને રાજવી. એમ ઘર હર્યુંભર્યું હતું. રોજ સવારે છ વાગે ઊઠીને નિત્ય ક્રમ કરી પૂજાપાઠ કરી આટોપીને ઘરના બીજા માળ પરની બાલ્કનીમા ખુરશી નાખીને બેસી જતા. રસ્તા પર થતી અવરજવર ને સવારની ચહલપહલને જોઈ રહેતા.સૌથી મોટો દીકરો રાજવીને કોલેજ જવાની ઉતાવળ હોઈ, ધરા અને ભૂમિને સ્કૂલ માટે માથું ઓરાવવું, નાસ્તો તૈયાર કરવો અને બીજી બાજુ કેશવભાઈ નોકરી જવાના બૂમબરાડા કરતા હોય.ઘરમાં સવારનું વાતાવરણ શોરબકોર અને ધમાલથી ગુંજતું હોઈ પણ એ બાલ્કનીમા બેઠેલા જમનાબા નિસ્તેજ અવસ્થામાં જ હોઈ.ઘરમાં શું થઈ રહ્યું હોઈ એનાથી અજાણ રહેતા.

જ્યારે તેમના પતિ કિશોરભાઈ હયાત હતા ત્યારે તેમના છોકરા કેશવ જોડે બનતું જ નહિ. કેશવનો સ્વભાવ ગુસ્સાવાળો તો કિશોરભાઈ જિદ્દી હતા. જે વાત પકડે તે વાત ને બંને પોતાની જીદ પર અડગ રહેતા અને ઘરમાં કંકાસ સર્જાતો.બસ, આ રોજની કચકચના લીધે કેશવ તેના માતાપિતાથી અલગ થઈ ગયો. જમનાબા બાપ બેટા ના ઝગડાને સુલજાવી તો ન શક્યા પણ પોતાના પતિ સાથે રહીને જિંદગી જીવ્યા. સદાય માટે હસતા ,ખુશ રહેતા અને બીજાને મદદ કરવા માટે તત્પર રહેતા. આખા દિવસ દરમિયાન એમનો અવાજ આખા ફળિયામાં ગાજતો રહેતો.ઘરને સંભાળતા, સગાવ્હાલામા આવવું જવું તથા વ્યવહારને સંભાળવામાં આખું આયખું ખર્ચી નાખ્યું.

જમનાબા અને કિશોરભાઈ, ઘરમાં ભલે બે જ જણા હતા પણ લીલીવાડી સમાન હર્યું ભર્યું , જીવંત રહેતું, બને જણા સુખદુઃખના સાથી હતા.ભલે કેશવ અલગ રહેતો હતો પણ એને પરિવાર થી અલગ થવા નહોતો દીધો. દરેક તહેવાર હોઈ કે ખુશીનો પ્રસંગ હોઈ ત્યારે જમનાબા બાપ બેટાને પ્રેમ થી, સ્નેહથી એક સાથે એક છત નીચે જ એ ખુશીનો પ્રસંગ કે તહેવાર ને ઉજવતા.એટલું જ નહિ ફળિયામાં કોઈના પણ ઘરે કઈ પણ ઘટે તો જમનાબા પોતાના સુજાવ, સહકાર અને સહાય સાથે હાજર જ હોઈ.જેવો જરા પણ એક જગ્યાએ સ્થિર ઉભા કે બેસી ન રહે , હમેશા હરતા ફરતા અને કઈક ને કંઇક કાર્યમાં લાગી રહે. કોઈ કામ ન હોઈ તો મૂંગા પશુઓ સાથે વાતો કરતા અને વ્હાલ કરતા નજર ચડે.

પણ જ્યારથી એમના પતિ કિશોરભાઈનુ અવસાન થયું અને એમના દીકરા કેશવ જોડે રહેવા આવ્યા ત્યાર થી એમની જિંદગી, દુનિયા સ્વભાવ જ બદલાય ગયો. જે ચંચળ સ્વભાવના હતા આજે ગુમસુમ થઈને એક જ ખૂણામાં ગોઠવાય રહે છે.કેમ કે કેટલીક પાબંદી લાદવામાં આવી ગઈ હતી.કેશવ અને સાવત્રી ને જમનાબાનો ઘરનો ઉંબરો ઓળગવો ગમતો ન હતો. એ ઘર શોરબકોળથી ભલે ગુંજતું હતું પણ એ બા માટે કોઈની પાસે વાત કરવાના શબ્દો કે સમય ન્હોતો.જીવતી મૂર્તિ સમાન લાગણીઓને સમેટી લેવામાં આવી હતી. બસ, શ્વાસ લઈ રહ્યા હતા પણ જીવી નહોતા રહ્યા. એમને જમવાનું બનતું ને બનતું મળી રહેતું.ઘરનું કોઈ કામકાજ કરવું નહોતું પડતું. બસ આરામ ની જ જિંદગી હતી.એમના છોકરાને લાગતું હતું કે માં સુખેથી , ખુશીખુશી જીવન પસાર કરી રહી છે. પણ એમની પાસે બેસીને સુખ દુઃખની કે તબિયત પૂછવાનો સમય જ ન્હોતો. તે ધર્મ કાર્યમાં જતાં પણ તે બધું કરવું કેશવને ગમતું જ ન્હોતું.જે જમનાબા ના સ્વભાવ વિરુદ્ધ હતું. જે એક ક્ષણ માટે પણ નવરા ન રહેતા હોઈ અને આજે એક ખૂણામાં નિર્જીવ મૂર્તિ સમાન બનાવી દેવામાં આવ્યા હતા, મૂર્જાય રહ્યા હતા, કરમાય રહ્યા હતા અને જિંદગીના છેલ્લા શ્વાસની રાહ જોઈ રહ્યા હતા.

જમનાબા એ વૃદ્ધાવસ્થાના દિવસમાં સમયને પસાર કરી રહ્યા હતા પણ જીવી ન્હોતા રહ્યા.સવારે છ વાગે ઊઠીને રસ્તાની અવર જવર જોયા કરવી, સાંજના સમયે ધાબા પર ઢળતા સૂર્યની સાથે ખુદને આથમતા જોયા કરતા.આ બધામાં પોતાના પતિ સાથેના દિવસો જ યાદ આવે. જે સમય કોઈ રોકટોક વિના જ મરજીથી સજીવન થઈને જીવ્યા હતા.આજે એ વિરહની વેદનામાં પોતાને શોધતા રહે છે. હર્યાભર્યા ઘરમાં સુખદુઃખની વાત કરવા માટેનો સહારો શોધે છે.એ ઘરમાં પોતાના સ્વજનને શોધે છે. એ જિંદગીની એકલતામાં વિરહની યાદો ને શોધે છે.