Shivarudra .. - 3 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 3

3.

(શિવરુદ્રા ઈસ્માઈલની ટેક્ષીમાં બેસીને કોલેજેથી પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે, રસ્તામાં શિવરુદ્રાને એક અઘોરી સાધુ મળે છે, જે શિવરુદ્રાને જણાવે છે કે તેનો જન્મ અધર્મ પર ધર્મની સ્થાપના કરવાં માટે થયેલ છે, સૃષ્ટિમાં રહેલાં તમામ પાપોને હણીને પુણ્ય ફેલાવવા માટેનાં કાર્ય માટે ઈશ્વરે તેની પસંદગી કરેલ છે, આ ઉપરાંત તે અઘોરીબાબા શિવરુદ્રાને એક જોળી આપે છે, જેમાં કેટલીક રહસ્યમય વસ્તુઓ હોય છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં ઘરે પહોંચે છે, ફ્રેશ થઈને ડિનર કરીને પોતાનાં રૂમમાં સુવા માટે જાય છે, અને થોડીવારમાં શિવરુદ્રા ઘસઘસાટ ઊંઘી જાય છે….)

એક મહિના બાદ…..

સમય : સવારનાં 8 કલાક.

સ્થળ : શિવરુદ્રાનું ઘર.

શિવરુદ્રાનો જન્મ એક રૂઢી ચુસ્ત બ્રાહ્મણ પરીવારમાં થયેલ હતો, આથી શિવરુદ્રા ધર્મો, ગ્રંથો, પુરાણો, વેદો, ઉપનિષદો, ધાર્મિક વિધિઓ વગેરે ખુબ જ ઊંડાણપૂર્વક જાણતો હતો, શિવરુદ્રાનાં પિતા ગોપાલભાઈ એ તેમનાં શહેરમાં આવેલ પૌરાણિક શિવ મંદિરનાં પૂજારી હતાં, જ્યારે શિવરુદ્રાની માતા કૈલાસબેન એક એક આદર્શ ગૃહિણી હતાં, જ્યારે પાર્વતી કે જે તેની નાની બહેન હતી, તે શિવરુદ્રાને હંમેશા હિંમત અને સાથ આપતી હતી, જ્યારે તેનાં દાદા હરગોવિંદ એ તેમનાં શહેરનાં જાણીતા જ્યોતિષાચાર્ય હતાં, તેમની પાસે દૂર - દૂરથી લોકો પોતાનું ભવિષ્ય જાણવા માટે આવતાં હતાં, આમ શિવરુદ્રાનો સમગ્ર પરિવાર જાણે દેવોનાં દેવ મહાદેવની ભક્તિનાં રંગથી પૂરેપૂરો રંગાયેલ હોય તેવું લાગી રહ્યું હતું…..પોતાનાં પુત્રને "શિવરુદ્રા" નામ આપવાં પાછળ પણ તેઓની શિવભક્તિ જ જવાબદાર હોય તેવું લાગી રહ્યું હતું.

શિવરુદ્રા નાનપણથી જ મહાદેવની પુજા કરવામાં માનતો હતો, તે નાનપણથી જ પોતાનાં પિતા સાથે પેલાં પૌરાણિક શિવ મંદિરે જતો, અને તેનાં પિતા સાથે ભક્તિ ભાવથી શિવપૂજા કરતો હતો, આમ શિવરુદ્રાનાં માનસપટ પર જાણે મહાદેવની ભકિત પહેલેથી જ જોડાયેલ હોય તેવું લાગી રહ્યું હતું…

ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ શિવરુદ્રા પણ મોટો થવાં લાગ્યો હતો, ધીમે - ધીમે તેને આપણાં આ સમાજનાં નીતિ-નિયમો, રિવાજો, પરંપરા વગેરે સમજમાં આવવા લાગી, શિવરુદ્રાની ઉંમર જેમ જેમ વધવા લાગી એની સાથોસાથ શિવરુદ્રાનો ભગવાન શિવ પ્રત્યે લગાવ પણ વધવા લાગ્યો….શિવરુદ્રા ભગવાન શિવની મહીમાંથી એટલો પ્રભાવિત થયેલ હતો, કે તેણે પોતાની છાતીપર ભગવાન શિવનું ટેટુ પડાવેલ હતું, જ્યારે બાવડા પર "મહાકાલ" એવું ટેટુ પડાવેલ હતું….આમ શિવરુદ્રા જેમ - જેમ મોટો થતો ગયો, તેમ - તેમ તેમનો મહાદેવ પ્રત્યે લગાવ પણ વધુને વધુ મજબૂત થતો ગયો…..

શિવરુદ્રાનાં પિતા ગોપાલભાઈ અને તેનાં દાદા હરગોવિંદભાઈ એ બાબતથી સારી રીતે પરિચિત હતાં, કે નાના બાળકો કુમળા છોડની માફક હોય છે, આપણે તેને જેમ વાળીએ તેમ તેઓ વળે છે...એમને કેમ અને કઈ દિશામાં વાળવા…..? - એ નક્કી સંતાનોના માતા-પિતાને કરવાનું હોય છે, જો નાનપણથી જ બાળકોને યોગ્ય દિશામાં તરફ વાળવામાં આવે….તો એ બાળકોનું ભવિષ્ય સુધરી જતું હોય છે, અને જે બાળકોને નાનપણથી જ યોગ્ય દિશા તરફ વળવામાં નથી આવતાં, તેઓ આગળ જતાં ખરાબ માર્ગ પકડતાં હોય છે, તેઓ અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે ખોટું બોલવું, ચોરી કરવી, ગરીબ અને લાચાર લોકોને હેરાન કરવાં, માર-ફોડ કરવી, દારૂ તંબાકુ વગેરે જેવા વ્યસનોનાં ભોગી બની જતાં હોય છે…..તેવા બનાવ પાછળ જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેઓનાં માતાપિતા જ જવાબદાર હોય છે….જો તેઓએ નાનાપણથી જ પોતાનાં સંતાનોને યોગ્ય દિશા કે પથ ચીંધ્યો હોત, તો કદાચ હાલ તેઓનાં સંતાનો ગેરમાર્ગે દોરાયેલાં ના હોત….!

રાતનાં થાકને લીધે આજે શિવરુદ્રા 8 વાગ્યાં સુધી ઊંઘતો રહ્યો હતો, બાકી શિવરુદ્રા દરરોજ સવારે છ વાગ્યાનાં ટકોરે અચૂક જાગી જ જતો હતો, શિવરુદ્રા જાગ્યો ત્યારે સવારે પોતાનો વાસ્તવિક મિજાજ અપનાવી લીધેલ હતો, સવાર પુરેપુરી રીતે સોળે કળાએ ખીલી ગયેલ હતી, પક્ષીઓ પોત - પોતાનો માળો છોડીને પોતાનાં સંતાનો માટે ખોરાકની શોધ કરવાં માટે માળો છોડીને નિકળી પડેલ હતાં, જ્યારે આ બાજુ આપણાં સમાજનો વ્યક્તિ કે જેનાં પર પૂરેપૂરો પરિવાર નભતો હોય તે પોતાનાં ઘરનું સારી રીતે પાલન-પોષણ કરી શકે તે માટે પોતાનાં નોકરી ધંધે જવાં માટે ઘરેથી નીકળી પડેલ હતો….જ્યારે નાના-નાના કુમળા બાળકો પોતાનાં ખભે ભારેખમ સ્કૂલબેગ લગાવીને હાલમાં જેને "ભારવગરનું ભણતર" કહેવામાં આવે છે, તે ભણતર મેળવવા માટે સ્કૂલરીક્ષામાં ઠસોઠસ ઠસાયને શાળાએ જવાં માટે નિકળી પડેલ હતાં, જ્યારે બીજી તરફ પેલાં પક્ષીઓનાં નાના બચ્ચાઓ હાલમાં પણ એ જ માળામાંથી જાણે તેઓ કોઈ સુપરસ્ટાર સિંગર હોય...તેવી રીતે આખા વાતાવરણમાં પોતાનો સુરીલો, મીઠો અને કર્ણપ્રિય સુર વહાવી રહ્યાં હતાં, તો બીજી તરફ સૂર્યનારાયણ પણ જાણે આજે મજાક - મસ્તીનાં મિજાજમાં હોય તેવી રીતે વાદળો સાથે સંતાકૂકડી રમી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…..!

શિવરુદ્રા ફ્રેશ થઈને ભગવાન શિવની પૂજા - અર્ચના કરીને નાસ્તો કરવાં માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો, જ્યારે કૈલાસબેન રસોડામાં શિવરુદ્રા માટે નાસ્તો બનાવી રહ્યાં હતાં, એટલીવારમાં પાર્વતી શિવરુદ્રા માટે નાસ્તો લઈને આવે છે, અને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો રાખે છે….ગરમાગરમ બિસ્કિટ જેવી ઘીમાં તરબતોળ ભાખરી, કડક, મીઠી અને આખા દૂધમાં બનાવેલી, પુરેપુરા શરીરમાં એક અલગ જ પ્રકરાની ઉર્જા અને ચેતનાનો સંચાર કરી દે તેવી ચા….અને કૈલાસબેને ખૂબ જ પ્રેમથી બનાવેલ કાશીકેરીનું અથાણું સવારનાં નાસ્તામાં પ્રાણ ફૂંકી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું…...ત્યારબાદ શિવરુદ્રા ભરપેટ નાસ્તો કરે છે, જાણે વર્ષો બાદ તે પોતાના મમ્મીનાં હાથે બનાવેલ નાસ્તો કરી રહ્યો હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, અને શિવરુદ્રાને એ નાસ્તો કરવામાં એટલી મીઠાશ આવી કે શહેરોની મોંઘી - દાટ હોટલોનું જમવાનું પણ તેનાં મમ્મીનાં હાથે બનાવેલ રસોઈ આગળ ફિક્કું પડી રહ્યું હોય..

નાસ્તો કર્યા બાદ શિવરુદ્રા પોતાનાં રૂમમાં જાય છે, અને તેની પાસે રહેલ એક નોવેલ "ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ" કે જે એક સસ્પેન્સ, થ્રિલર, હોરર અને ટાઈમ ટ્રાવેલિંગ આધારિત નોવેલ હતી તે વાંચવામાં વ્યસ્ત થઈ જાય છે….!

સવાર 11 કલાક…

શિવરુદ્રાને "ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ" નોવેલમાં એટલો રસ પડ્યો કે તે આ નોવેલનાં એક પછી એક પ્રકરણો વાંચવા લાગ્યો, એવામાં શિવરુદ્રાનાં કાને તેનાં મમ્મી કૈલાશબેન પોતાને બોલાવી રહ્યાં હોય તેવો અવાજ સંભળાયો આથી શિવરુદ્રા પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો….

"હા ! મમ્મી…!"

"બેટા ! આ તારા નામનું કંઈક કવર આવ્યું છે….!" - કવર બતાવતાં - બતાવતાં બોલે છે.

આ કવર જોઈને શિવરુદ્રાની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી ગઈ, જાણે આ એક કવર નહીં...પરંતુ પોતાનું ભવિષ્ય હોય તેવું હાલ શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, આથી શિવરુદ્રા ઝડપથી સીડીઓ ઉતરીને કૈલાસબેનનાં હાથમાંથી કવર પોતાનાં હાથમાં લઈ લે છે...અને કવર પર મોકલનારનું અડ્રેસ વાંચવા માંડે છે….કવર પર લખેલ હતું…."આર્કયોલોજી ડિપાર્ટમેન્ટ - ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા" - આથી શિવરુદ્રાએ બેબાકળા થતાં થતાં અધીરા બનીને તે કવર ખોલ્યું...જેમાંથી એક એપોઇન્ટમેન્ટ લેટર નીકળ્યો….જેમાં લખેલ હતું કે…..

"ડિયર...શિવરુદ્રા….આપે એક મહિના પહેલાં "આર્કયોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતી, તેમાં આપે ઓલ ઈન્ડિયા લેવલે ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે…..આથી અમે આપને ગુજરાત રાજ્યની આર્કીયોલોજી બ્રાચમાં નિમણુંક આપીએ છીએ...જેનો અપોઈમેન્ટ લેટર આ કવરમાં સામેલ છે….અને તમારે તમારી ફરજનાં સ્થળે દસ દિવસની અંદર હાજર થવાનું રહેશે….જો તમેં દિવસ 10 માં હાજર નહીં થશો તો તમારી આ અપોઈમેન્ટ આપોઆપ રદ થઈ જશે...જે બાબત ખાસ ધ્યાને રાખશો….આ સાથે જણાવવાનું કે આપે ગાંધીનગર (આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટ - ગુજરાત બ્રાન્ચ) ખાતે હાજર થવાનું રહેશે….અને ત્યાંથી તમને જે ફરજનું સ્થળ ફાળવવામાં આવે તે સ્થળે તમારે ફરજ નિભાવવાની રહશે…..અમે આશા રાખીએ છીએ કે તમને આ જોબ કરવામાં આનંદ આવશે…...સેક્રેટરી (આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયા)….!"

આ લેટર વાંચતાની સાથે જ શિવરુદ્રાનાં આનંદનો કોઈ જ પાર ના રહ્યો….અને સાથોસાથ તેનાં પરિવારનાં તમામ સભ્યો પણ ખુબ જ ખુશ થઈ ગયાં….અને શિવરુદ્રા આર્કીયોલોજીસ્ટ તરીકે પોતાનાં જીવનની એક નવી શરૂઆત કરવાં જઈ રહ્યો હતો….અને તેનાં પરિવારનાં બધાં જ સભ્યોએ પણ શિવરુદ્રાને પોતાની આ જોબ કરવાં જવાં માટેની સંમતિ આપી દીધી…..

બે દિવસ બાદ શિવરુદ્રા પોતાનો બધો જ જીવન જરૂરી સામાન લઈને, તેનાં માતા-પિતા, દાદા-દાદીનાં આશીર્વાદ લઈને, ગાંધીનગર ખાતે આવેલ આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટ - ગુજરાત બાંચ) ખાતે હાજર થવાં માટે પોતાનાં શહેરથી ગાંધીનગર જવાં માટે રવાના થાય છે.

ઘરનાં બધાં જ સભ્યો શિવરુદ્રાને રાજીખુશીથી રવાનાં કરે છે, પોતાનો પુત્ર હાલ ઘરથી ઘણો જ દૂર જઈ રહ્યો હોવાથી શિવરુદ્રાનાં માતા કૈલાસબેન અને તેની વ્હાલી બેન પાર્વતી ખૂબ જ ચિંતાતુર બની ગયેલ હતાં, તેઓની આંખોમાં શિવરુદ્રાને સારી એવી જોબ મળી હતી, તે બાબતનો અનહદ આનંદ હતો, પરંતુ તે આનંદની પાછળ તેઓએ શિવરુદ્રા પોતાનાંથી દુર થઇ રહ્યો હતો, એ બાબતનું દુઃખ છુપાવી રાખેલ હતું……એક - એક આંસુઓ જાણે તેઓની આંખોમાંથી ટપકવા માટે તત્પર બની રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…..

કૈલાસબેન અને પાર્વતીએ શિવરુદ્રાની એક એક જીવનજરુરી વસ્તુઓ બેગમાં પેક કરેલ હતી, આ સાથે જ પોતાનાં જ હાથે બનાવેલ નાસ્તો પણ એક બીજી બેગમાં પેક કરેલ હતી….સાહેબ પુત્ર ભલે ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ એક માઁ માટે તો તે હંમેશાં નાના છોકરાં સમાન જ રહે છે….ભગવાને દરેક માઁ નું હૃદય એટલું કોમળ બનાવેલ છે કે પોતે ભલે કાંઈ જમે કે ના જમે પરંતુ પોતાનાં સંતાનને પહેલાં જમાડશે….ક્યારેક ક્યારેક તો બધાં જમી લે તો તેનાં ભાગે માંડ એકાદ રોટલી ભાગે આવતી હોય છે, અથવા ક્યારેક માત્ર દાળ - ભાત જ ખાવાનો વારો આવતો હોય છે, તેમ છતાંપણ એ માઁ હસતા ચહેરે એ બધું જમી લેશે….પોતાનાં સંતાનને ભરપેટ જમાડવામાં જ જાણે પોતે પણ જમી લીધું હોય તેવું દરેક માઁ અનુભવતી હોય છે….આ છે માની મમતા….

માટે કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર લખે છે કે...

"ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, 

સરખો એ પ્રેમનો પ્રવાહ રે …!

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…!"

જ્યારે આ બાજુ શિવરુદ્રાએ ઇસ્માઇલભાઈને અગાવથી જ કોલ કરીને પોતાનાં ઘરે આવવા માટે જણાવેલ હોવાથી, ઈસ્માઈલભાઈ પોતાની ટેક્ષી લઈને શિવરુદ્રાનાં ઘરની બહાર આવી પહોંચ્યા હતાં, આથી શિવરુદ્રા પોતાનાં બધાં જ બેગ ઈસ્માઈલભાઈની કારની ડેકીમાં રાખે છે….અને બધાં પરિવારજનો હસતા ચહેરા સાથે શિવરુદ્રાને વળાવે છે, આ બાજુ ઈસ્માઈલભાઈ પોતાની કારનો સેલ્ફ મારીને કાર સ્ટાર્ટ કરે છે….અને દિલ્હી રેલવેસ્ટેશન જવાં માટે રવાનાં થાય છે….

લગભગ પોણી કલાકમાં ઇસ્માઇલ પોતાની કાર રેલવેસ્ટેશને પહોંચાડી દે છે….અને શિવરુદ્રા પોતાનાં બધાં બેગ લઈને રેલવેસ્ટેશનની અંદર પ્રવેશે છે...જ્યારે ઈસ્માઈલ પોતાની કાર ફરી પાછી શહેર તરફ ભગાવે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાની ટીકીટ જે ટ્રેનમાં બુક કરાવેલ તે ટ્રેનમાં પોતાની સીટ પર બેસે છે, અને થોડીવારમાં તે ટ્રેન ઉપડી પડે છે, એક બાજુ ટ્રેન પોતાનાં સફરની શરૂઆત કરી રહી હતી, તો બીજી તરફ શિવરુદ્રા પોતાનાં જીવનની એક નવી શરૂઆત કરી રહ્યો હતો, જે સફર અનેક રહસ્યો, થ્રિલ, ગૂંચવણો, ચડાવ - ઉતાર ભરેલ હતી…….!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"