Who Listens – Only same will understand – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

સાંભળે એ જ સમજે! - દિવ્યેશ ત્રિવેદી

એક અમેરિકન મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે આધુનિક માનવી અતિશય તનાવનો ભોગ બનેલો છે. આ માનસિક તંગાવસ્થા માટે અનેક કારણો જવાબદાર છે. આ મનોવિજ્ઞાનીના મતે અનેક કારણોમાંનું એક કારણ દુનિયામાં વધી પડેલું અવાજનું પ્રદૂષણ છે. ચારે કોર અવાજો જ છે. જાહેર માર્ગ વાહનોની ઘરરાટી અને હોર્નના અવાજોથી રીતસર ધ્રૂજે છે. વિમાનો અને ટ્રેનો, કારખાનાંની ધમધમાટી, નેતાઓનાં લાઉડસ્પીકરો પર ઘૂમરી લેતાં ભાષણો, ધમાલિયા સંગીતના કાર્યક્ર્મો, રેડિયો અને ટી.વી, વરઘોડા અને સરઘસો આ બધાંના અવાજો ભેગા કરીને સાંભળવાનો કાલ્પનિક પ્રયત્ન કરીએ તો સમજાય કે ચારે કોર ઘોંઘાટ જ છે. આ મનોવિજ્ઞાની આગળ કહે છે એ પણ સાંભળવા જેવું છે. એ કહે છે કે વાતાવરણને ચારે કોરથી પ્રદૂષિત કરનારાં પરિબળોમાં એટલું જ મહત્ત્વનું યોગદાન આપણું એટલે કે માણસનું છે. આમ તો આ બધી જ ક્રિયાઓમાં માણસ સંડોવાયેલો હોય છે. પરંતુ આ મનોવિજ્ઞાની જરા જુદી વાત કરે છે. એ કહે છે કે જ્યાં જુઓ ત્યાં માણસો જરૂર કરતાં ઊંચા અવાજે બોલબોલ જ કરતાં જોવા મળે છે. ઘરમાં રસ્તા પર, ઑફિસોમાં, બસમાં કે ટ્રેનમાં જયાં જુએ ત્યાં બોલબોલ જ કરતા માણસો દેખાય છે. આ બધા જ માણસોનું બેફામ અને અણથક બોલવું એ ઘોંઘાટના પ્રદૂષણ ઉપરાંત માનસિક પ્રદૂષણ પણ પેદા કરે છે, જે તનાવનું એક મહત્ત્વનું કારણ બની જાય છે.

ઘોંઘાટના પ્રદૂષણ અને એની અસરો વિષે વિજ્ઞાનીઓએ ઘણા અભ્યાસ કર્યો છે, અને હજુ કરી રહ્યા છે. છતાં હજુ બોલવાથી થતા માનસિક પ્રદૂષણનો પ્રશ્ન આપણા ધ્યાનમાં આવ્યો નથી. ‘બોલે એનાં બોર વેચાય’ એવી કહેવતનો આપણે અનર્થ કર્યો છે. ઘણા બધા લોકો બહુ બોલીને જ ઘણું બધું બગાડતા હોય છે. ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીએ તો સમજાય છે કે સફળ માણસો ખપ પૂરતું જ બોલે છે. તેઓ જેટલું બોલે છે એથી વધુ સાંભળે છે. કુદરતે આપણને જેટલી શક્તિ બોલવા માટે આપી છે એટલી જ સાંભળવા માટે પણ આપી છે. પરંતુ આપણે એનું સંતુલન જાળવી શકતા નથી.

ખરેખર જોઈએ તો બોલવાનું કામ સહેલું છે. સાંભળવાનું જ અઘરું છે. આપણે સહેલાં કામ ઝટ કરીએ છીએ. અઘરાં બીજાઓ પર છોડી દઈએ છીએ. પરંતુ જીવનમાં સફળ થવા ઇચ્છનારે અને વિજેતા બનવા ઇચ્છનારે અઘરાં કામોને પહેલી પસંદગી આપવી પડે છે. ખરી વાત તો એ છે કે બોલવા માટે પણ સાંભળવું ખૂબ જરૂરી છે. આપણે સાંભળી શકીએ છીએ એથી જ બોલી શકીએ છીએ. જે બાળક જન્મથી બહેરું હોય તેની મજબૂત અને સ્વસ્થ સ્વરપેટી હોય તો પણ તે બોલતાં શીખી શકતું નથી. આ જ વાત વ્યાપક રીતે જોતાં મોટી ઉંમરે પણ સાચી ઠરે છે. પૂરતું એને બરાબર એ ખબર નથી હોતી કે સાંભળનાર બોલે છે ત્યારે એના ગળામાંથી માત્ર શબ્દોના રૂપમાં અવાજ જ નીકળે છે, અર્થ કે સંદેશો પ્રગટ થતો નથી. શબ્દોની અવાજ સાથે આવી નિરર્થક ફેંકાફેંકને જ લવારી કહેવામાં આવે છે. આ અર્થમાં વિચારવા જેવું છે કે આપણે કેટલું બોલીએ છીએ અને કેટલી લવરી કરીએ છીએ.

આપણી શિક્ષણપ્રથામાં પણ મૂળભૂત રીતે આ ખામી જોવા મળે છે. આપણે બાળકોને સારા વક્તા બનવા માટે જેટલી તાલીમ આપીએ છીએ તેટલી જહેમત એને સારા શ્રોતા બનવાની તાલીમ આપવા માટે લેતા નથી. મોટે ભાગે તો આપણે સામા માણસને ધ્યાનથી સાંભળતા જ નથી. વૈજ્ઞાનિક રીતે આ વાતને સમજવા જેવી છે. બોલવા કરતાં આપણી વિચારવાની ઝડપ વધુ હોય છે. સામાન્ય રીતે આપણે એક મિનિટના ૧૨૦ થી ૧૮૦ શબ્દો બોલી શકતા હોઈએ છીએ. આથી જ અભિવ્યક્તિ અને વિચાર શક્તિ વચ્ચે તાલમેલ સાધવો જરૂરી પડે છે. લખતી, બોલતી કે સાંભળતી વખતે વિચારોની ગતિ મર્યાદિત કરવામાં ન આવે ત્યારે જ અભિવ્યક્તિમાં ગરબડ થાય છે.

વિચારવાની અને લખવાની ગતિ વચ્ચે તાલમેલ ન હોય ત્યારે લખાણ અસંગત થઈ જાય છે, વિષયાંતર થઈ જાય છે, ખોટા શબ્દો વપરાઈ જાય છે અને પુષ્કળ ચેકચાક પણ થાય છે. એવું જ બોલતી વખતે પણ થાય છે. વિચારો ઝડપથી ચાલતા હોય ત્યારે બોલતાં બોલતાં અચકાવું પડે છે, ખોટા શબ્દો વપરાઈ જાય છે, બોલેલું ફેરવવું પડે છે અને ઘણી વાર આપણે જે કહેવું હતું એ કહી શક્યા નથી એવો અહેસાસ થાય છે. સાંભળતી વખતે પણ વિચારવાની પ્રક્રિયા ઝડપથી ચાલતી હોય ત્યારે આપણું ધ્યાન અન્યત્ર ભટકી જાય છે અને સામી વ્યક્તિના માત્ર થોડાક શબ્દો જ આપણે પકડી શકીએ છીએ. કેટલાક માણસો આ જ કારણે એકની એક વાત બે-ત્રણ વખત પૂછતા હોય છે. સામા માણસની પૂરેપૂરી વાત સાંભળ્યા વિના પ્રતિભાવ આપીએ ત્યારે એ તર્કસંગત ન હોય અને ગેરસમજ સર્જે એવી શક્યતા વધુ રહેતી હોય છે. બે મિત્રો એક વાર વાતો કરતા હતા. એક મિત્રે પોતાનો કુલુમનાલીનો ટ્રેકીંગનો અનુભવ કહ્યો. બીજો મિત્ર ચા-નાસ્તો કરતાં કરતાં એની વાત સાંભળતો હતો. થોડી વાર પછી અચાનક સાંભળી રહેલા મિત્રે પેલા મિત્રની વાત અધવચ્ચે કાપીને પોતાનો અનુભવ કહેવા માંડયો, “સાત આઠ વર્ષ પહેલાં હું પણ કુલુ-મનાલી ગયો હતો. એટલી મજા આવી હતી ને!” પેલો મિત્ર તાકીને જોઈ રહ્યો. પછી એણે પૂછયું, “મેં શું કહ્યું એ તેં સાંભળ્યું?” મિત્રે કટલેસનો ટુકડો મોંમાં મૂક્તાં કહ્યું, “કુલુ-મનાલીમાં તો મજા જ આવે. બ્યુટીફૂલ પ્લેસ ઇન્ડીડ!” પેલો મિત્ર બગડયો, “મેં તને કહ્યું કે નીચે ઊતરતાં મારો પગ લપસ્યો અને મારા પગે ફ્રેકચર થયું. મારે એક મહિનો ત્યાં જ રહેવું પડયું!” સારા શ્રોતા નહિ હોવાને કારણે જ આ મિત્રને શરમાઈ જવું પડયું.

સારો શ્રોતા જ સામા માણસની વાતને બરાબર સમજી શકે છે. કેટલીક વાર સામા માણસે જે કહ્યું એ કરતાં જે નથી કહ્યું એ પણ સાંભળવું અને સમજવું અગત્યનું હોય છે. સારો શ્રોતા જ આ સમજી શકે છે. સફળ સેલ્સમેનમાં આ ગુણ અનિવાર્ય રીતે જોવા મળે છે. સારા શ્રોતાને સૌની સાથે સારા સંબંધો જોવા મળે છે. આપણે એ ભૂલવા જેવું નથી કે મોટા ભાગના લોકો બોલવાને જ મહત્ત્વ આપે છે. બધા જ બોલ બોલ કરે તો પછી સાંભળે કોણ? એટલે ખરું જોતાં સાંભળનારાઓની જ અછત છે અને અર્થશાસ્ત્રના નિયમ મુજબ જેની અછત હોય એની કિંમત વધુ અંકાય.

સારા શ્રોતા બની રહેવા માટે નીચે નોંધ્યા મુજબની કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

૧. વિચારોની ગતિ-મર્યાદા અને ધ્યાન: Speed Limit and attention of thoughts:

સાંભળતી વખતે આપણા વિચારોની ગતિને મર્યાદિત કરી બોલાતા શબ્દો પર ધ્યાન રાખ્યા વિના સારા શ્રોતા બની શકાતું નથી. આ સાથે ધીરજ પણ એટલી જ મહત્ત્વની છે.

૨. સંપૂર્ણતા સાથે સાંભળવું: To listen with completeness:

કોઈ પણ વ્યક્તિને સાંભળતી વખતે એક રીતે સંપૂર્ણ સમર્પણ દાખવવું પડે છે. સંગીત સાંભળતી વખતે આંગળી હલાવીએ કે પગ હલાવીએ તો ચાલે, પરંતુ કોઈકને સાંભળતી વખતે આવો તાલ આપીએ, વચ્ચે માથું ઓળીએ, કપડાં સરખાં કરીએ તો એનાથી સામા માણસ પર એવી છાપ પડે છે કે આપણે એની વાતમાં રસ લેતાં નથી. પરિણામે એનો અહં ઘવાય છે. બને ત્યાં સુધી નજર એના આંખ, હોઠ અને સમગ્ર ચહેરા પર રહે તો ઘણી વાર ન બોલાયેલા શબ્દો પણ આપણે વાંચી શકીએ છીએ. શરીરની પણ એક આગવી ભાષા છે. જેની કાચી-પાકી સમજ દરેક વ્યક્તિમાં હોય જ છે. સંપૂર્ણ ધ્યાન આપીને નહિ સાંભળવાની આદત સંબંધો બગાડે છે અને ક્યારેક આપણને જ નુકસાન પહોંચાડે છે.

૩. પ્રતિભાવ આપવો: Giving Feedback

સારો શ્રોતા હંમેશાં પ્રતિભાવ આપે છે. ખૂબ જ ધ્યાનથી સાંભળનાર પૂતળાની જેમ એકીટશે જોયા કરે, પરંતુ હુંકાર ન કરે, ડોકું ન ધુણાવે, દાદ ન આપે, વચ્ચે નાનકડો પ્રશ્ન ન પૂછે કે ચહેરા પર કોઈ જ ભાવ ફરકવા ન દે તો બોલનારને એવી લાગણી થાય કે એ ઘાસ કાપે છે. સારો શ્રોતા હંમેશાં પ્રતિભાવ આપે છે. હુંકાર કરીને, ડોકું હલાવીને, આંખનું હલનચલન કરીને અથવા ‘સરસ’, ‘એમ?’, ‘ના હોય’ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ વક્તાને સંવાદ થયાનો બોધ કરાવે છે. આવા પ્રતિભાવો ન હોય ત્યારે જાણે આપણે કોઈક પૂતળા સામે જઈને બોલ્યા હોય તેવું જ લાગે અને ત્યારે જ ખબર પડે છે કે, પ્રતિભાવનું શું મૂલ્ય છે!

૪. કૂદી પડવાનું ટાળવું: Avoid Jumping

ઘણી વાર એવું બને છે કે એક વ્યક્તિ કંઈક વાત કરતી હોય અને અધવચ્ચેથી પકડી લઈને શ્રોતા જ પોતાની વાત કરવા માંડે છે. સારો શ્રોતા કદી આ રીતે અધવચ્ચે દોર પકડી લઈને કૂદી પડતો નથી. ક્યારેક દોર હાથમાં આવી જાય તો ટૂંકમાં વાત પતાવીને ‘પછી શું કહેતા હતા?’ એમ કહીને દોર સામા માણસને પાછો આપી દે છે. બન્ને બોલવા માંડે તો પછી સાંભળે કોણ?

૫. દલીલો મુલતવી રાખવી: Adjourning Arguments:

ઘણા શ્રોતાઓને બોલનારને વચ્ચે જ રોકીને પોતાની દલીલો શરૂ કરી દેવાની આદત હોય છે. સારા શ્રોતાનું આ લક્ષણ નથી. સારો શ્રોતા બોલનારને પહેલાં પૂરેપૂરું બોલી લેવા દે છે. પછી જ પોતાની દલીલો કરે છે. ઘણીવાર વચ્ચે દલીલો કરવાથી મૂળ વાત આડે પાટે ચડી જતી હોય છે.

૬. અભિપ્રાય બાંધવામાં સાવચેતી રાખવી: Be careful in building opinion:

કેટલાક માણસો કોઈકને સાંભળવાનું શરૂ કરતાંની સાથે જ એક ચોક્ક્સ અભિપ્રાય પર આવી જાય છે. બોલનાર વ્યક્તિ અમુક જ રીતે વિચારે છે અથવા અમુક જ વાત કહેવા માગે છે એવું નક્કી કરી નાંખે છે. પરિણામે એ જુદી જ દિશા તરફ ઢસડાઈ જાય છે અને જે બોલાય છે એના પર એનું ધ્યાન રહેતું નથી. આગોતરો અભિપ્રાય સંવાદની સાંકળને જ તોડી નાખે છે.

સારા શ્રોતા બનવા માટેની પધ્ધતિઓ અનુભવે વિકસાવી શકાય છે. એ એટલી જ જરૂરી પણ છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે જે ઘરમાં માતા-પિતા કે વડીલો બાળકને સાંભળતા નથી એ ઘરમાં માતા-પિતા અને બાળકો વચ્ચે સુમેળ સ્થપાતો જ નથી. આવું બાળક દબાયેલું, હતાશ અને ભીરુ બને છે. ઘરનો દરેક સભ્ય એક બીજાને ખૂબ શાંતિથી સાંભળવાની ટેવ પાડે તો એ ઘરનું વાતાવરણ આદર્શ બની જાય છે.

એક અદ્ભુત પ્રયોગ કરવા જેવો છે. ઘરમાં ચાર કે પાંચ સભ્યો હોય તો દર મહિને બધાંએ એક વાર સાથે બેસીને દરેકને સાંભળવાં જોઈએ. વારાફરતી દરેક વ્યક્તિ પોતાના અનુભવો, પોતાની લાગણીઓ, ઘરના અન્ય સભ્યો સાથેના સંબંધો, આંતરક્રિયાઓ વગેર વિષે વાત કરે. બીજાઓ એ સાંભળે. આમાંથી નિખાલસતા આવે છે, સમજદારી પ્રગટે છે અને સંબંધો ખૂબ સ્વસ્થ બને છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજ આજ કારણે ‘ઘર સભા’ના ખ્યાલને કાર્યન્વિત કરવા પર ભાર મૂકતા હતા. એમના કહેવા મુજબ દરરોજ રાત્રે દરેક કુટુંબ સાથે બેસીને ‘ઘર સભા’ કરે અને દરેક સભ્ય અન્ય સભ્યને સાંભળે તો કુટુંબનું વાતાવરણ સ્વર્ગ જેવું થઈ જાય.

મહાન સિકંદર અવારનવાર પોતાના દરબારીઓને, સેનાપતિઓને તથા સૈનિકોને પણ બોલાવીને એમની સાથે વાતો કરતો. એને ખબર હતી કે દરેકને કંઈક કહેવું છે. એથી જ એ શ્રોતા બનીને એમને સાંભળતો. એની સફળતાનું આ પણ એક સૌથી મોટું રહસ્ય હતું.