Lilo Ujas – Chapter – 15 – Idea of becoming a Sanyasi – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૫ - સાધ્વી થવાનો વિચાર – દિવ્યેશ ત્રિવેદી

સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર લાગશે. અત્યારે એ ઉશ્કેરાઈ ગઈ છે. મને લાગે છે કે અર્ચનાએ ઉદયની વાતમાં કંઈક ગેરસમજ કરી છે અને સાચી વાત કંઈક જુદી જ છે. મનીષા કંઈ કહેવા તૈયાર નથી એ ઉપરથી લાગે છે કે મૂળ વાત આપણે સમજીએ છીએ એ કરતાં વધારે ગંભીર છે. થોડી ધીરજ રાખવી પડશે.” મનહરભાઈ પણ એની સાથે સંમત થયા.

મનહરભાઈ અને વિનોદિનીબહેન થોડીવાર પછી એમના રૂમમાં ગયાં અને સૂઈ ગયાં. સોનલ ત્યાં જ મનીષાની બાજુમાં પલંગ પર બેસી રહી. એને લાગ્યું કે મનીષા રડતાં રડતાં જ ઊંઘી ગઈ છે. લગભગ કલાકેક આમ જ પસાર થઈ ગયા પછી સોનલ ધીમે રહીને ઊઠી અને રસોડામાં જઈને ભાખરી અને છૂંદો લઈ આવી. પલંગ પર બેસીને એણે ખાધું અને ડીશ બાજુમાં જ ટિપોય પર મૂકી દીધી. ટિપોય પર પાણીનો જગ હતો. ગ્લાસમાં પાણી કાઢીને લેવાને બદલે જગ વડે જ પાણી પીધું. એને એક હળવો ઓડકાર આવી ગયો.

સોનલ મનીષાને જોઈ રહી. એ ઓશીકામાં મોં નાખીને ઊંધી સૂઈ ગઈ હતી. એના શરીરમાં સહેજ પણ હલનચલન થતું નહોતું. થોડીવાર થઈ ત્યાં મનીષાએ માથું ઊંચું કરીને સોનલને કહ્યું, “સૂઈ જા." સોનલે કંઈ જવાબ ન આપ્યો. મનીષા પાછી સૂઈ ગઈ. લગભગ અડધો કલાક થયો હશે ત્યાં મનીષાએ ફરી માથું ઊંચું કર્યું અને બોલી, “તેં ખાધું?" સોનલે જવાબ આપવાને બદલે હાથના ઈશારાથી ટિપોય પર પડેલી ડીશ બતાવી અને પછી ભીંત તરફ જોવા લાગી. મનીષા થોડીવાર જોઈ રહી અને પછી બોલી, “હવે સૂઈ જા ને!” સોનલે કંઈ જ જવાબ ન આપ્યો. એટલે મનીષાએ એનો હાથ પકડીને એને ખેંચી. સોનલે તેની સામે જોયા વિના જ ઝટકો મારીને હાથ છોડાવ્યો અને તિરસ્કારના ભાવ સાથે ધીમેથી બોલી, ‘ઈડિયટ!'

મનીષા એની સામું જોઈ રહી અને પછી તરત બેઠી થઈ ગઈ. એ બોલ્યા વિના પોતાના બંને હાથ હડપચી પર ટેકવીને બેઠી. થોડીવાર આમ મૌન પથરાયેલું રહ્યું પછી મનીષાએ એને હાથ પકડીને ઝકઝોરી અને કહ્યું, “બોલ, કંઈક તો બોલ!"

સોનલ એની સામે જોઈ રહી. પછી ધીમા અવાજે એણે કહ્યું, “હવે મારે બોલવાનું નથી. તારે બોલવાનું છે. તું નહિ બોલે ત્યાં સુધી હું રાહ જોઈશ અને બેસી રહીશ.”

“ક્યાં સુધી બેસી રહીશ?” મનીષાએ આંખો ઝીણી કરતાં પૂછયું.

“કહ્યું તો ખરું કે તું નહિ બોલે ત્યાં સુધી. અનંત સમય સુધી નહિ બોલે તો અનંત સમય સુધી બેસી રહીશ.” સોનલે ચહેરા પર મક્કમતાના ભાવ લાવીને કહ્યું.

“તું ખોટી જીદ કરે છે... મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતી...” મનીષાએ મોં બગાડીને કહ્યું.

“હું ખોટી જીદ કરું છું કે તું ખોટી જીદ કરે છે? અને હું તને સમજવાનો પ્રયત્ન કરતી નથી કે હું તને સમજવાનો પ્રયત્ન કરું છું એ તું સમજતી નથી?" સોનલે ગુસ્સા સાથે કહ્યું.

મનીષા સહેજ વાર વિચારવા લાગી. પછી નીચું જોઈને બોલી, “સોનુ, મારી એક વાત સમજ. હવે ઉદય નથી અને એથી એ બધી ચર્ચા કરવાનો અર્થ નથી. કદાચ અમારી સમસ્યા કઈ હતી એ હું તને કહું તો પણ શું લાભ થવાનો છે? મને તો લાગે છે કે તારી આ જીદ ખોટી જ છે.”

"તારી વાત બરાબર. ઉદયની સમસ્યાનો હવે કોઈ ઈલાજ નથી. પણ જો એ ખરેખ૨ ઉદયની સમસ્યા હોય તો. અને તેં જ કહ્યું હતું કે સમસ્યા તમારા બંનેની હતી. તો પછી તને એ કહેતાં કેમ આટલું બધું જોર આવે છે? તને કહેતાં શું થાય છે?" સોનલે સહેજ ગુસ્સો લાવીને કહ્યું.

“હું કબૂલ કરું છું કે મેં આવું કહ્યું હતું. પરંતુ હજુય મારી વાતને સમજ. અમારી બંનેની સમસ્યા હોય તો પણ જયારે હવે બેમાંથી એક જણ હાજર નથી ત્યારે એની ચર્ચા નકામી છે.” મનીષા એની વાતને વળગી રહી.

“એ ચર્ચા નકામી નથી. મેં તને પહેલાં જ કહ્યું હતું કે, જો તું સાચી વાત નહિ કહે તો હજુ બધાં લોકો જાણતાં નથી અને વાત ચહેરાશે તો તને જ નુકસાન થશે.” સોનલ મૂળ મુદ્દા પર આવી.

“મેં તને કહી દીધું કે એ વાત ખોટી છે. હું ઠંડી છું. ફ્રિજિડ છું અને મેં જ ઉદયને શરીરસુખ નથી આપ્યું એથી અકળાઈને ઉદયે આવું પગલું ભર્યું એ વાત તદ્દન ખોટી છે. એવું તું કહે તો હું તને લખી આપું. ટેલિવિઝન પર બોલી આપું અથવા માઈક લઈને બધે કહી આવું...” મનીષાના અવાજમાં આક્રોશ હતો.

“મોનુ, તું કહે છે કે આ વાત ખોટી છે તો હું એ માની પણ લઉં છું. પરંતુ કોઈક વાત ખોટી છે એવું સાબિત કરવા માત્રથી એ સાચી સાબિત થઈ જતી નથી.” સોનલે તર્ક કર્યો.

“તો હું શું કરું કે જેથી સાચી સાબિત થાય? તું કહે તો આપણે કોઈક એકસ્પર્ટ ડૉક્ટર પાસે જઈએ અથવા કોઈક સેક્સોલોજિસ્ટ પાસે જઈએ અને એનું સર્ટિફિકેટ લખાવી લઈએ જેમાં એ લખી આપે કે મનીષા ફ્રિજિડ નથી.” મનીષા થોડી ચીડ સાથે બોલી.

“હં.... સાવ ઈડિયટ જેવી વાત કરે છે. આ કંઈ મલેરિયા જેવી તકલીફ નથી કે બ્લડ ટેસ્ટ કરાવીએ એટલે ખબર પડી જાય કે મલેરિયા છે કે નહિ. હા, પરદેશોમાં એવી સેક્સ લેબોરેટરીઝ છે. જયાં સ્ત્રીને કૃત્રિમ રાતે ઉત્તેજિત કરીને એની ઉત્તેજનાને ઈન્ડેક્સ યંત્રો વડે માપવામાં આવે છે. પરંતુ આપણે તો હજુય અંધાર- યુગમાં જ જીવીએ છીએ. એટલે આવું સર્ટિફિકેટ કોઈ આપવાનું નથી અને આપે તો શું તું એ તારા ગળામાં લટકાવીને ફરવાની છું?" સોનલે ચીડ સાથે ગુસ્સો મિશ્રિત કરીને કહ્યું, અને ઉમેર્યું. “આપણા દેશમાં તો આજકાલ લેભાગુ અને બની બેઠેલા સેક્સોલોજિસ્ટોની જ બોલબાલા છે. જેને આપણે સાચા અર્થમાં એકસ્પર્ટ સેક્સોલોજિસ્ટ કહીએ એવાં તો આંગળીને વેઢે ગણાય એટલા પણ નથી!”

“તો પછી હું શું કરું?" મનીષાએ અકળાઈને કહ્યું.

“હું એ જ કહું છું. આ વાત ખોટી છે. એવું પણ ત્યારે જ સાબિત થાય જ્યારે સાચું શું છે એની ખબર પડે!” સોનલે ભારપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો.

મનીષાએ કંઈ જવાબ ન આપ્યો. એ થોડીવાર સુધી વિચારતી રહી. પછી એણે પૂછયું. “હું ફ્રિજિડ છું અને ઉદયને શારીરિક સુખ આપી શકી નથી એવું તને કોણે કહ્યું? અર્ચનાએ?”

“ના. અર્ચનાએ તો મને એટલું જ કહ્યું હતું કે, બંને વચ્ચે સેક્સને લગતો કોઈક પ્રોબ્લેમ હતો!” સોનલે એના પૂરતી સાચી વાત કરી.

“તો પછી હું ફ્રિજિડ છું અને એને શારીરિક સુખ આપતી નહોતી એ તારી કલ્પના જ છે ને?" મનીષાએ વેધક આંખો કરીને કહ્યું.

“મારી કલ્પના છે એમ માની લે, તો પણ તેં એને શારીરિક સુખ આપ્યું નથી એટલું તો સ્વીકારે જ છે ને?" સોનલે પણ એવા જ હાવભાવ સાથે કહ્યું.

“ના, એ પણ ખોટું છે. હું તારી વાત સ્વીકારતી નથી. મેં એને શારીરિક સુખ નથી આપ્યું એમ કહેવા કરતાં એમ કહેવું જોઈએ કે, અમે શારીરિક સુખ ભોગવી શક્યાં નથી!" મનીષાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

“એમાં ‘બિલકુલ’ શબ્દ ઉમેર અને એમ કહે કે અમે બિલકુલ શારીરિક સુખ ભોગવી શક્યાં નથી. "સોનલે જાણે રહસ્ય પરથી પડદો ઉઠાવતી હોય એમ કહ્યું.

“હું તને એમ પૂછું છું કે આવું બધું તને કહ્યું કોણે?" મનીષાએ અકળામણ સાથે પૂછયું.

ગમે તેણે કહ્યું હોય. એ પણ ખોટું છે એમ તું કહે છે?" સોનલે એટલા જ જુસ્સા સાથે પૂછયું.

મનીષા ચૂપ થઈ ગઈ. ક્યાંય સુધી નીચું જોઈને બેસી રહી. એટલે સોનલે ફરી પૂછયું. “તમે છ મહિનામાં એક પણ વખત શારીરિક સુખ ભોગવી શક્યાં નથી એટલે કે સમાગમનું સુખ માણી શક્યાં નથી એ વાત ખોટી છે?"

મનીષાએ કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર રહીને એણે તીરછી નજરે સોનલ તરફ જોયું એટલે સોનલે આંખથી જ એ પ્રશ્ન દોહરાવ્યો. છેવટે મનીષા દબાતાં અવાજે બોલી, “હા, સાચી વાત છે.”

“તો પછી મને એનું કારણ કહે.” સોનલે આગ્રહ કર્યો.

“મેં તારા સવાલનો જવાબ આપ્યો. હવે તું મારા સવાલનો જવાબ આપ અને મને કહે કે આ બધી વાત તને કોણે કરી? અને તું જે કહે છે એ બધું મમ્મી-પપ્પા જાણે છે? બીજું કોણ કોણ જાણે છે?" મનીષાના મનમાં આ જ મૂંઝવણ હતી.

“મને આ બધું ક્યાંથી જાણવા મળ્યું એ વાત મહત્ત્વની નથી. આ બધું સાચું છે કે નહિ એ જ વાત મહત્ત્વની છે. અને તને સાચું કહું તો આ વાત બધા જ જાણે છે. અંકલ, આન્ટી, પિનાકીન અંકલ, સરોજ આન્ટી, જનાર્દનભાઈ, જ્યોતિભાભી અને અર્ચના... અને હવે કદાચ પિનાકીન અંકલના દીકરા-દીકરી પણ જાણતાં હોય તો નવાઈ નહિ... અને કદાચ નયન પણ...” સોનલે વિસ્મયના ભાવ સાથે કહ્યું.

“ઓહ! માય ગોડ! એનો અર્થ એ કે તમે બધાએ મારા કપાળ પર ‘ફ્રિજિડ વુમન'નો સિક્કો મારી જ દીધો છે. આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું હતું!" મનીષા અકળાઈ ઊઠી અને રડમસ ચહેરો કરીને બોલી પડી.

“તું અમને બધાંને ખાસ તો મને ખોટો દોષ દે છે. આ વાત જ્યાંથી આવી હોય ત્યાંથી, પણ મારાથી તો નથી જ આવી. એ વાત સાંભળનારાઓમાં હું પણ એક છું અને તારી પાસે સત્ય જાણવાનો આગ્રહ કરનાર હું એકલી જ છું... અફ કોર્સ, સત્ય જાણવાની તાલાવેલી બીજાં ઘણાને છે.” સોનલે કહ્યું.

“તું કહે છે નયન પણ આ બધું જાણે છે...” મનીષાએ દહેશતના ભાવ સાથે કહ્યું.

“મેં ક્યાં કહ્યું છે કે નયન બધું જાણે છે... મારો કહેવાનો અર્થ તો એ છે કે કદાચ નયન જાણતો પણ હોય... ઉદયનો એ ખૂબ જ નજીકનો મિત્ર હતો અને આપણા બધાના સંપર્કમાં છે એટલે...” સોનલે સ્પષ્ટતા કરી.

“મારું માથું ફાટી જાય છે... આ બધું શું થઈ રહ્યું છે?" મનીષાએ બંને હાથ લમણાં પર મૂકી દેતાં કહ્યું.

“હું તને જે કહેવા માગું છું એ આ જ છે... તું કોઈ વાતની સ્પષ્ટતા નહિ કરે ત્યાં સુધી બીજી વાતો ઘોળાયા કરશે અને વધારે ને વધારે લોકો સુધી એ પહોંચશે. જોકે અત્યારે પણ મોડું તો થઈ જ ગયું છે...” સોનલે દહેશત સાથે કહ્યું.

“કેમ?"

“એટલા માટે કે જૂના જમાનામાં પણ કોઈ એક વાતને પ્રસરતા વાર નહોતી લાગતી. આજે તો જમાનો બદલાઈ ગયો છે. આજે તો કોઈ પણ વાત હવાની પાંખો પર સવાર થઈને ચારેબાજુ ફેલાઈ જાય છે. પાંખવાળા પંખી કરતાં પણ હવાનું પંખી ઝડપથી ઊડે છે... વડોદરામાં શું બન્યું એની અહીં બધાંને કેવી ખબર પડી ગઈ હતી? અરે, મારી મમ્મીએ પણ મને પૂછયું કે મનીષાના હસબંડને શું થયું હતું? આટલા દિવસ તું એને ત્યાં જ હતી ને? મારી મમ્મી ભક્તાણી છે એ તો તને ખબર છે. એ રોજ દેરાસર દર્શન કરવા જાય છે અને પાછી આવે છે ત્યારે પાંચ-પંદર જણની વાતો લઈને આવે છે. આજકાલ મંદિરો અને દેરાસરોમાં લોકો આજુબાજુ શું બની રહ્યું છે. કોણ પરણ્યું અને કોની જોડી ખંડિત થઈ તથા કોણે કોની સાથે નાસી ગયું અને કોણે કોને ઘરમાંથી કાઢી મૂક્યા એની જ ચર્ચા હોય છે.”

“તેં તારા મમ્મીને શું કહ્યું?” મનીષાએ જિજ્ઞાસાથી પૂછ્યું.

“મેં ખાલી ડોકું ધુણાવી હા પાડી. એની સાથે કશી વાત કરું તો પાછી કાલે એ વાત દેરાસરમાં પહોંચી જાય. એ મને કહેતી હતી કે તું મને મનીષાને ઘેર લઈ જા. મારે એને એક વાર મળી આવવું જોઈએ.”

“તો લઈ આવજે ને!” મનીષાએ કહ્યું.

“એને આવવું હશે તો એની મેળે આવશે. મારે કંઈ એને ખભે બેસાડીને થોડી લાવવાની છે?” સોનલે સાવ બેફિકરાઈથી કહ્યું. અને પાછી મૂળ વાત પર આવી જતાં બોલી, “મારા કહેવાનો અર્થ તું સમજે છે ને?” જેમ જેમ સમય જશે તેમ તેમ આ વાત ચહેરાશે અને પછી તને જ તકલીફ પડશે.”

“મને શું તકલીફ પડશે?" મનીષાએ આંખો ચડાવીને પૂછયું.

“જો, એક વાત સમજ. તું અને ઉદય કંઈ લૈલા-મજનૂ નહોતાં. અરે, તમે સામાન્ય પ્રેમી પણ નહોતાં. તમે માત્ર છ મહિના માટે પતિ-પત્ની હતાં અને તમારું લગ્નજીવન પણ નામનું જ હતું. એટલે તું ઉદયની યાદમાં જોગણ બનીને જિંદગી પસાર કરવાની નથી. મારી વાત થોડી કડવી લાગશે. પણ આજે નહિ તો કાલે, અંકલ અને આન્ટી તને ક્યાંક પરણાવવાનો પ્રયત્ન કરશે. એ વખતે જો આ વાત પ્રચલિત થઈ ગઈ હશે તો એનું કેવું પરિણામ આવશે એની તને કલ્પના છે? કોઈ છોકરો તારો હાથ પકડવા તૈયાર નહિ થાય.”

“સોનલ, મારા મનમાં બે વિચાર આવે છે. પહેલો વિચાર એવો આવે છે કે હું સાધ્વી થઈ જાઉં. ખ્રિસ્તી ધર્મ અપનાવી લઉં અને નન બની જાઉં. બીજો વિચાર એવો આવે છે કે મારાં મા-બાપની હું એકની એક છોકરી છું. એમની વૃધ્ધાવસ્થાનો કોઈ સહારો નથી. મારે માટે અનાયાસ એવી તક ઊભી થઈ છે કે હું હવે લગ્ન ન કરું અને એમને સાચવું. મારી જગ્યાએ એમને છોકરો હોત તો..." મનીષા કોઈક કલ્પનામાં ખોવાઈ ગઈ. પછી એકદમ એણે પૂછયું. “બોલ, તને શું લાગે છે?"

સોનલ સહેજ વિચારીને ઊંડો શ્વાસ લેતાં બોલી, “તારા બંને વિચારો સારા છે એમ પણ હું નહિ કહું અને ખરાબ છે એમ પણ હું નહિ કહું. પણ મને લાગે છે કે આવા વિચારો વિષે જ તેં વિચાર્યું નથી....”

“એટલે?"

“જો, સમજ. તું ખ્રિસ્તી ધર્મ અપનાવીને સાધ્વી એટલે કે નન થઈ જવાનું કહે છે. પહેલી વાત તો એ છે કે ખ્રિસ્તી ધર્મ અપનાવવા પાછળનો કે નન બની જવા પાછળનો તારો આશય ધર્મ પ્રત્યેનો તારો લગાવ કે તારી જિજ્ઞાસા નથી. એનો અર્થ એ કે તું ધર્મનો ઉપયોગ વસ્ત્ર તરીકે જ કરવા માગે છે. આજે સાડી પહેરી છે. કાલે જીન્સ પહેરીશ. આજે ઘરમાં છું. કાલે મોન્ટેસરીમાં કે ચર્ચમાં કે કોઈક કોન્વેન્ટમાં રહીશ. એટલે સાચી રીતે તો તું જે અપેક્ષાઓ સાથે નન થઈશ એ અપેક્ષાઓ જ તને છેતરશે...”

મનીષા એને અપલક સાંભળી રહી હતી. સોનલે આગળ ચલાવ્યું, “હવે બીજી વાત. સાધ્વી થવું એટલે માત્ર કપડાં બદલી નાંખવા એવું નથી. હું તો સ્પષ્ટપણે માનું છું કે સાધ્વી થવું એટલે દુનિયાનો ત્યાગ કરવો અને આપણે એ જ વસ્તુનો ત્યાગ કરી શકીએ જે ખરેખર આપણી પાસે હોય! મને કહીશ કે તારી પાસે શું છે?”

મનીષા પાસે જવાબ નહોતો. એથી સોનલે વાતનો દોર ચાલુ રાખ્યો, “મારો કહેવાનો મતલબ એ છે કે ત્યાગ કરતાં પહેલાં પણ ભોગવવું પડે. તે હજુ જીવનને ભોગવ્યું જ નથી. મારું માને તો પહેલાં મારી જેમ જીવનનો મન મૂકીને ભોગ માણી લે અને પછી જ સાધ્વી થવાનો વિચાર કરજે.”

“તું જીવનને કઈ રીતે ભોગવે છે એની મને કઈ રીતે ખબર ૫ડે? અને ભોગવી લીધા પછી તું પણ જીવનનો ત્યાગ કરવા માગે છે?" મનીષાએ ગહન પ્રશ્ન પૂછ્યો.

પરંતુ સોનલે એનો સાહજિક ઉત્તર આપ્યો, “હું કઈ રીતે જીવનને ભોગવું છું એ વિચારવા કરતાં તું કઈ રીતે ભોગવવા માગે છે એનો વિચાર કર. મારું જીવન એ મારું જીવન છે અને તારું જીવન એ તારું જીવન છે. અને જીવનને ભોગવી લીધા પછી હું શું કરીશ એ તો આજે મનેય ખબર નથી. સવાલ એ છે કે, જીવનના ભોગથી હું તૃપ્ત થાઉં છું કે અતૃપ્ત રહી જાઉં છું એના પર જ બધો આધાર છે.”

“હવે મારા બીજા વિચાર માટે કહે કે તારો શું અભિપ્રાય છે ?" મનીષાએ ફરી મુદ્દાની વાત પર આવતાં કહ્યું.

“બીજો વિચાર એક રીતે લાગે છે અને કદાચ કોઈને પણ ગમી જાય એવો છે. પરંતુ મને લાગે છે કે, અંકલ અને આન્ટી જ એ વિચાર સાથે સંમત નહિ થાય!”

“કેમ ન થાય? મારી વાત ખોટી છે?" મનીષાએ આત્મવિશ્વાસ સાથે પૂછયું.

“ખોટી નથી. પણ આપણું સામાજિક માનસ એવું છે કે, દીકરી તો પારકે ઘેર જ હોય અને મા-બાપે દીકરી પર આધાર રાખવો જોઈએ નહીં. વળી આપણો સમાજ એક બીમાર સમાજ છે. એ સ્વસ્થ રીતે વિચારી જ શકતો નથી. તારી ઉંમર કંઈ વિધવા થવાની ઉંમર નથી. તારા નામ સાથે આવું વિશેષણ લગાડવું હોય તો પણ ક્રૂર બનવું પડે. પાછી તું દેખાવડી અને આકર્ષક છે. તારા જેવી સ્ત્રી પુરુષ વિના રહેતી હોય એ આપણા સમાજને ગળે જ ન ઊતરે. એટલે એમનું મન વિકૃત વિચારો કરવા માંડે અને તારા વિષે ગમે તેવી ધારણાઓ બાંધવા માંડે. આથી અંકલ અને આન્ટી સુખી થવાને બદલે વધુ દુઃખી થાય. મા-બાપનું સામાજિક માનસ જ એવું છે કે એ દીકરી પર આધાર રાખવાને બદલે નિઃસંતાન હોય એ રીતે બાકીનું જીવન પસાર કરવાનું પસંદ કરે!" સોનલનો સમાજ-વ્યવસ્થા પ્રત્યેનો રોષ પ્રગટ થતો હતો.

મનીષાએ એને તરત પૂછયું, “સોનુડી, તું આવું બધું ઊંડું વિચારતી કેવી રીતે થઈ? તારામાં આવી બુદ્ધિ ક્યાંથી આવી અને આવું ડહાપણ ક્યાંથી આવ્યું?"

સોનલે હોઠ પર આંગળી મૂકીને સિસકારો કરતાં કહ્યું, “એ સિક્રેટ છે. તારે માનવું હોય તો માન કે આ મારું આત્મજ્ઞાન છે! સોનલે ગૌરવના ભાવ લાવતાં કહ્યું, અને પછી બોલી, "મારી વાત ખોટી લાગતી હોય તો નહિ માનવાની!”

“તારી વાતો સાચી પણ લાગે છે અને સારી પણ લાગે છે.. ."

“અં ...હં.... મારી વાત સાચી હોય નહિ અને સાચી વાત સારી પણ હોય નહિ. બંનેમાં એક કોમાનો એટલે કે અલ્પવિરામનો જ તફાવત છે.” નથી હોતી સારી, વાત સાચી, અલ્પવિરામ એક શબ્દ આગળ જતું રહે એટલે ‘નથી હોતી સારી વાત, સાચી.’ સમજ પડી?”

“તું કહે છે એ બરાબર, પણ મને તો જે લાગ્યું એ મેં કહ્યું.” મનીષાએ જવાબ આપ્યો અને તરત ઘડિયાળ સામે જોઈને બોલી, “આપણે ધાર્યું છે શું? અઢી વાગ્યા, કંઈ ખબર પડે છે?”

“ઘડિયાળના કાંટા ફરે એથી સમય વહે છે એવું આપણને લાગે, પણ આપણો સમય તો ઘણીવાર થંભી જતો હોય છે!” સોનલે ફિલોસોફરની અદાથી કહ્યું.

“જો ને, અગિયાર વાગ્યે આપણે જ્યાં હતાં ત્યાં જ છીએ. આટલી બધી વાતો કર્યા પછી પણ મૂળ વાત તો બાકી જ રહી જાય છે.” આટલું બોલતાં બોલતાં સોનલ સહેજ ગંભીર થઈને બોલી, “મોનુ, હવે આ છેલ્લી વાર. તારે ન જ કહેવું હોય તો મને સ્પષ્ટ ના કહી દે. હું પછી જીવનભર તને નહિ પૂછું.”

મનીષાએ એની સામે જોયું અને બોલી. “હવે આપણે સૂઈ જવું જોઈએ... સોનું. હું તને બધું જ કહીશ. અથથી ઈતિ સુધી... કશું જ નહિ છુપાવું, બસ!”

“ક્યારે કહીશ?” સોનલે સહેજ ઉત્સાહ સાથે પૂછયું.

“કહીશ એટલું નક્કી ... ક્યારે એવું ન પૂછીશ!” મનીષાએ એની આંખમાં આંખ પરોવતાં કહ્યું.

“ઓ.કે., હવે લાઈટ બંધ કર... સવારે મારે વહેલા જવાનું છે!" કહીને સોનલ તરત ઓશીકું બે પગ વચ્ચે દબાવીને લાંબી થઈ ગઈ.