A history of sweetness in my eyes books and stories free download online pdf in Gujarati

મારી નજરે મીઠીવાવનો ઇતિહાસ

મારી નજરે મીઠીવાવનો ઇતિહાસ

" એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે કોઈ પણ બાબતમાં ઊંડાણ પૂર્વક દ્રષ્ટિ રાખવી એ મારી ફરજ છે અને તથ્યોને જાણવા એ મારી જીજ્ઞાસા છે "

પાલનપુરના ઇતિહાસનો અદ્વિતીય અને અનમોલ પ્રતિષ્ઠા ધરાવનાર ધરોહર એટલે મીઠીવાવ,જે પાલનપુરના બહાદુરગંજ ત્રણ બત્તી એરિયામાં આવેલી છે,મીઠી વાવ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતહાસિક વાવ છે. એક ઇતિહાસ કાર પાસેથી આ વાવ વિશે જાણવા મળે છે કે ૮મી સદીમાં બંધાયેલી આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની તરીકે બાકી રહી છે.મીઠી વાવ પાલનપુરના પૂર્વ ભાગમાં આવેલી છે. આ વાવમાં પાંચ માળ આવેલા છે, જેમાં પશ્ચિમ બાજુથી પ્રવેશી શકાય છે.

"મીઠીવાવની તેની સ્થાપત્ય શૈલી પરથી એવું મનાય છે કે તેનું બાંધકામ મધ્યયુગના અંતમાં થયું હોવું જોઇએ પરંતુ દિવાલો પરની મૂર્તિઓ તેના કરતાં જૂની હોઇ શકે છે એટલે જ ઇતિહાકસ કારોમાં આ વાવ વિશે ઘણા મતભેદ જોવા મળે છે . મૂર્તિઓમાં ગણેશ, શિવ, અપ્સરાઓ, નૃત્યાંગનાઓ, પૂજા કરતું યુગલ વગેરેનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત ફૂલબુટ્ટા તેમજ ભૌમિતિક આકારોની કોતરણીઓ જોવા મળે છે. વાવમાં ડાબી બાજુની દીવાલ પરની એક મૂર્તિ પર લગભગ અસ્પષ્ટ થયેલો એક શિલાલેખ આવેલો છે".

મીઠીવાવના ઇતિહાસને વધારે નજીકથી જાણવા માટે હું (વંશ પ્રજાપતિ ) અને મારો સહપાઠી મિત્ર (સુફિયાન )ગયા હતા, જ્યાં અમે મીઠીવાવની એક યાદગાર મુલાકાત લીધી અને તેના ઇતિહાસને જાણવા માટેના પ્રયત્નો કર્યા જેને હું અહીં મારાં લખાણ રૂપે રાજુ કરી રહ્યો છું.

મીઠીવાવએ નંદા પ્રકારની વાવ છે જેમાં 4 માળ અને 86 પગથિયાં છે, આ વાવને આરસ પ્હાણમાંથી બનાવવામાં આવેલી છે, વાવનો ઉપયોગ પ્રજા જળની જરૂરિયાત સંતોષવા કરતી હતી.85 ફૂટની ઊંડાઈ ધરાવતી આ વાવમાં ઘણા શિલ્પો આપણને જોવા મળે છે…જેમાં હિન્દૂ તથા જૈન ધર્મની પ્રતિમાઓ મુખ્યતવે છે

મીઠીવાવમાં એક પ્રતિમા આપણને મહીસાસુર મર્દાનની કહાની દર્શાવતી પ્રતિમા પણ નજરે પડે છે જે અત્યારે જર્જરિત અવસ્થામાં છે, વવાનો કૂવો ગોળાકાર છે જેની આસપાસ વડની ડાળીઓ તથા અંદરણી બાજુએ ઊંચાઈમાં ઘણી પ્રતિમાઓ પણ જોવા મળે છે.

મીઠીવાવના મોટા ભાગના શિલ્પો અત્યારે પ્રસાસનની બેદરકારીને કારણે ખંડિત થઇ ગયેલ જોવા મળે છે..મીઠીવાવનો ઇતિહાસ એ પાલનપુરના સુવર્ણયુગને દર્શાવે છે.. મીઠીવાવની બાજુમાં એક જૂનું શિવાલય આવેલું છે તે શિવ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જાણવા લાયક છે..

આ શિવ મંદિરમાં જયારે અમે ગયા ત્યારે શિવલયમાં પ્રાર્થના કરતા બા હતા જેમનું નામ શુભદ્રા બેન છે અમને મળ્યા જે મારાં નાનીને ઓળખતા હતા અફસોસ મારાં નાની અત્યારે હયાત નથી એટલે એમની જોડેથી આ મંદિરનો ઇતિહાસ હું ન જાણી શક્યો અને એનો મને મલાલ છે..તે બા જોડેથી મને જાણવા મળ્યું કે આ શિવાલયમાં પહેલા પૂજા કરનાર વ્યક્તિ ગોવિંદરામ મહારાજ હતા તેમના પછી તેમના શિસ્ય વાસુદેવ મહારાજ આવ્યા અને તેમના પછી હુડીયા મહારાજે શિવાલય સંભાળ્યું અને હુડીયા મહારાજની સેવા કરનાર સુરજબેન અને ખેમીબેન હતા જેમની મહારાજના અંતિમ દિવસોમાં તેમની સેવા કરી, અત્યારે શિવાલયમાં પૂજા સંજયમહારાજ કરે છે અને સાથે સાથે તેઓ રામ રોટી નામનું અન્નક્ષેત્ર પણ ચલાવે છે જેથી સમગ્ર પાલનપુરમાં કોઈ ભૂખ્યો માણસ પણ રામ રોટી રૂપી પ્રસાદ પામીને પોતાની ભૂખ સંતોષી શકે,

મને તથા મારાં મિત્રને આ વાવની અમૂલ્ય માહિતીમાં મદદ કરનાર શુભદ્રા બા, મારો નાનો ભાઈ ધ્રુવ પ્રજાપતિ અને તેમના મિત્ર અને સંજયમહારાજના પુત્ર જય જા ને હું ખુબ આભારી છું…

આ મીઠીવાવના ઇતિહાસ દર્શન પછી હું સમગ્ર ઇતિહાસ પ્રેમીઓ તથા પાલનપુર વાસીઓ તરફથી એટલું જ કહેવા માંગીશ પુરાતત્વ ખાતા અને નગરપાલિકા પાસેથી એટલી આશા છે કે આપણા પાલનપુરની આ ધરોહકરનું રક્ષણ થાય અને તેની યોગ્ય જાળવણી રાખવામાં આવે."કારણકે જે લોકો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે," તેમનું કોઈ ભવિષ્ય નથી, આ વિચાર વિશે તમારો શું અભિપ્રાય છે? જરૂર જણાવશો.

જય હિન્દ, વંદે માતરમ 🇮🇳