Graam Swaraj - 24 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 24

૨૪

ગામડાનું આરોગ્ય

જે સમાજ સુવ્યસ્થિત છે તેમાં સૌ શહેરીઓ તંદુરસ્તીના નિયમોને જાણે છે ને તેમનો અમલ કરે છે. હવે તો એ વાત નિર્વિવાદ સાબિત થઇ છે કે તંદુરસ્તીના નિયમોનું અજ્ઞાન અને ને નિયમોને પાળવાની બેદરકારી એ બેમાંથી જ માણસજાતને જે જે રોગો જાણીતા થયેલા છે તેમાંના ઘણાખરા થાય છે. આપણે ત્યાંનું મરણનું વધારે પડતું મોટું પ્રમાણ બેશક ઘણે ભાગે આપણા લોકોનાં શરીરોને કોતરી ખાતી ગરીબીનું પરિણામ છે પણ તેમને તંદુરસ્તીના નિયમોની કેળવણી બરાબર આપવામાં આવે તો એ પ્રમાણ ઘણું ઘટાડી શકાય.

મન નીરોગી તો શરીર નીરોગી એ સામાન્યપણે માણસજાતને માટેનો પહેલો કાયદો છે. નીરોગી શરીરમાં નિર્વિકારી મન વસે છે એ આપમેળે પુરવાર થાય તેવું સત્ય છે છે. મન અને શરીરની વચ્ચે અપરિહાર્ય સંબંધ છે. આપણાં મન જો નિર્વિકાર એટલે કે નીરોગી હોય તો એકેએક જાતની હિંસા તેમાંથી ખરી પડે અને પછી સ્વાભાવિક રીતે તંદુરસ્તીના નિયમોનુંં આપણે હાથે પાલન થાય ને કોઇ પણ જાતની ખાસ કોશિશ વગર આપણાં શરીરો તંદુરસ્ત રહે.૧

આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીરસુખાકારી. જેનું શરીર વ્યાધિરહિત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે રોજ દશ બાર માઇલ ચાલી શકે છે, સામાન્ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે.૨

તંદુરસ્તીના કાયદા અને આરોગ્યશાસ્ત્રના નિયમો તદ્દન સરળ ને સાદા છે ને સહેલાઇથી શીખી લેવાય તેવા છે. મુશ્કેલી તેમના અમલની છે. આ રહ્યા તેમાંના થોડા નિયમો :

હમેશ શુદ્ધ વિચારો કરવા ને મનમાંથી બધા મેલા ને નકામાં વિચારો કાઢી નાખવા.

રાત અને દિવસ તાજામાં તાજી હવા લેવી.

શરીરના તેમ જ મનના કામની સમતુલા જાળવવી એટલે કે તેમનો મેળ બેસાડવો.

ટટાર ઊભા રહેવું, ટટાર બેસવું અને પોતાના એકેએક કામમાં સુઘડ અને સાફ રહેવું; વળી આ બધી ટેવો અંતરની સ્વસ્થતાના પ્રતિબિંબરૂપ હોવી જોઇએ.

તમારા જેવા તમારા માનવબંધુઓની કેવળ સેવાને ખાતર જિવાય તે માટે ખાવાનું રાખો. ભોગ ભોગવવાને માટે જીવવાનું કે ખાવાનું નથી. તેથી તમારું મન અને તમારું શરીર સારી સ્થિતિમાં રહે ને બરાબર કામ આપે તેટલા પૂરતું જ ખાઓ. જેવો આહાર તેવો આદમી.

તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ ને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઇ રાખીને સંતોષ ન માનતાં તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઇ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુબાજુના વાતાવરણને તેમ જ જગ્યાને એ વિવિધ ચોખ્ખાઇનો રંગ લગાડો.૩

કુદરતી ઉપચાર

કુદરતી ઉપચારના કામમાં ઝાઝી પંડિતાઇની એટલે કે વાચનની અથવા ઊંચા દરજ્જાની યુનિવર્સિટી ડિગ્રીઓની જરૂર પડતી નથી. જે વસ્તુ આપને સૌને પહોંચાડવી છે, તેનું પ્રધાન લક્ષણ સાદાઇ હોય. કરોડોના લાભને માટે જે વસ્તુ છે તેમાં ઝાઝાં પોથા ઉથલાવીને મેળવેલું પાંડિત્ય હોય નહીં. એવું પાંડિત્ય બહુ ઓછા મેળવી શકે અને તેથી તે કેવળ તવંગરોને જ કામ આવે. પરંતુ હિંદ તો અજાણ્યાં, નાનકડાં, દૂર દૂર ઊંડાણમાં આવેલાં સાત લાખ ગામડાંઓમાં વસે છે. તેમાંથી કેટલાકની વસ્તી પાંચસો છસોથી વધારે હોતી નથી. અને થોડાંક તો સોનીયે અંદર હોય છે. મારું ચાલે તો હું એવા એકાદ ગામડાંમાં જઇ રહું છું. આ ગરીબ લોકોને ત્યાં તમે ઊંચી ડિગ્રીવાળા દાકતરો ને હોસ્પિટલોની મોંઘી સાધનસામગ્રીનો લાંબો પરિવાર કેવી રીતે લઇ જવાના હતા ? તેમને તો સાદા કુદરતી ઇલાજો અને રામનામનો જ આધાર છે.૪

જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થયા, આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ, હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી.

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઇ રહે અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાની કે શહેરની આદર્શ રચના સમાઇ જાય છે. અલબત્ત એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઇશ્વર જ હોય.૫

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે, ઉપચાર થઇ શકે એવાં સાધનો બનતા સુધી ગામડાંમાં જ હોવાં જોઇએ, અને ન હોય તો પેદા કરી લેવાં જોઇએ. કુદરતી ઉપચારમાં જીવન પરિવર્તનની વાત તો છે જ. આ કંઇ વૈદનું પડીકું લેવાની અથવા ઇસ્પિતાલમાં જઇને ભિખારી બને છે. કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી નથી બનતો. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનો ઉપાય પોતાની મેળે કરી લે છે. તથા શરીરમાંથી ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે, એવો પ્રયત્ન કરે છે.

પથ્ય ખોરાક, યુકતાહાર, એ (કુદરતી ઉપચારનું) અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવાં કંગાળ છીએ તેવાં આપણાં ગામડાં કંગાળ છે. ગામડાંમાં શાકભાજી, ફળ દૂધ વગેરે પેદા કરવાં, એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે, તે વ્યર્થ જતો નથી એટલું જ નહીં, તેનાથી બધા ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે.૬

ગામડાંના લોકો માટે કુદરતી ઉપચારની મારી કલ્પના તો એવી છે કે, ગામડાંમાં જે કાંઇ સાધન મળી શકે, વીજળી ને બરફ વગર, તેમાંથી જેટલું થાય એટલું કરવું. કુદરતી ઉપચારની આ મર્યાદા છે. આ કામ તો મારું જ હોઇ શકે, જે ગામડિયો થોય છે અને જેનો દેહ શહેરમાં હોવા છતાં આત્મા ગામડામાં વસે છ.૭

કુદરતી ઉપચારની વાત કેવળ ગામડિયાઓ સારુ, ગામડાંઓ સારુ છે, એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’ કિરણો વગેરેને કશુંસ્થાન નથી. કિવનાઇન, ઇમેટિન, પેનિસિલિન જેવી દવાઓને પણ નેચર કયોરમાં સ્થાન નથી. ગ્રામસફાઇ, અંગસફાઇ અને આરોગ્યરક્ષણને પ્રથમ સ્થાન છે અને સંપૂર્ણ છે. એટલું થઇ શકે, તો વ્યાધિ ન આવી શકે, એ એની પાછળ કલ્પના છે. અને વ્યાધિ આવ્યો હોય, તો તેનેકાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. એ ઉપચાર સાર્વજનિક ન થઇ શકે, જ્યાં લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. પણ પંચમહાભૂતોમાંથી એટલે પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુમાંથી જે દોહન કરી શકાય, તે શક્તિનું દોહન કરીને વ્યાધિ મટાડવાનો આ પ્રયાસ છે અને ત્યાં મારી દૃષ્ટિે કુદરતી ઉપચારનો અંત આવી જાય છે. એટલે જે પ્રયોગ અત્યારે ઉરુળીકાંચનમાં ચાલી રહ્યો છે, તે ગ્રામવાસીઓને સ્વાસ્થ્યરક્ષાની કળા શીખવાનો અને રોગી છે તેનો રોગ પંચમહાભૂત મારફત મટાડવાનો પ્રયોગ ચાલે છે. એમાં જરૂર જણાતાં ઉરુળીની ઉપસ્થિત વનસ્પતિઓનો ઉપયોગ થશે, ને આમાં પથ્યાપથ્યનો સમાવેશ થઇ જાય છે.૮

જે તત્ત્વોનું મનુષ્યરૂપી પૂતળું બન્યું છે, તે જ નૈસર્ગિક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) ને વાયુનું આ શરીર છે.૯

માટી

‘રીટર્ન ટુ નેચર’ નામના તેમના પુસ્તકમાં જુસ્ટે મુખ્યત્વે ભાર માટી ઉપર મૂક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઇએ, બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મૂકવી. ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઊઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો.૧૦

માટીની લોપરી ત્રણ ઇંચ પહોળી ને છ ઇંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અરધો ઇચ કહો.૧૧

માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યો છે. માથું દુખાવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માંથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલિક લાભ આપે જ છે.

સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મૂકેલી છે. એવા ફોડા ઉપર મૂકવાને સારુ સાફ કપડું લઇ તેને હું પરમેંગનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મૂકું છું. ઘણે ભાગે ફોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઇ નિષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીના ડંખમાં મેં માટીનો ખૂબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હમેશની ચીજ થઇ પડેલ છે. જાણીતા બધા ઇલાજો ત્યાં રાખ્યા છે. કોઇને વિષે એમ ન કહી શકું કે તે તો અચૂક ફાયદો કરે જ છે. કોઇ ઇલાજોથી માટી ઊતરતી નથી એટલું કહી શકાય.૧૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા ઉપર, જો માથું દુખતું હોય તો, કર્યો છે. તેથી હમેશાં તાવ ગયો છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતિ તો થઇ જ છે. ટાઇફૉઇડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તોતેની મુદતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતિ આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે.૧૩

માટીનો ઉપયોગ છૂટથી ઍંન્ટીફૂલોજિસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસિયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બિલકુલ નિર્દોષ બની જાય છે.૧૪

માટી ચીકણી ન હોવી જોઇએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુંવાળી રેશમ જેવી હોવી જોઇએ. તેમાં કાંકરી ન હોવી જોઇએ. તેથી એ છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઇએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી.૧૫

સાફ ઝીણી દરિયાઇ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ જુસ્ટે લખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે : માટી કંઇ પચતી નથી, એને તો કચરાની જેમ બહાર નીકળાવાનું જ છે. તે નીકળતાં મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગ કરવા ધારે તેણે વિચારપૂર્વક પ્રયોગ કરવો. એ બે વેળા અજમાવી જોવાથી કંઇ નુકસાન થવાનો સંભવ નથી.૧૬

પાણી

કયૂનેના ઉપચારોમાં મધ્યબિંદુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે.

‘આરોગ્યની ચાવી’માં ક્યુનેનું નામ લખ્યું છે. પણ તેની અંગ્રેજી આવૃત્તિમાં જૂસ્ટનું નામ છે, જે સાચું જણાય છે. તેને સારુ તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઇંચનું ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઇએ તો મોટું લેવું. તેમાં ઠંડું પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડું રાખવાની જરૂર છે. તુરત ઠંડું કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

ટબ ભીંતની અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબું પાટિયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો હોવો જોઇએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જોઇએ. દરદીના આરામપૂર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મિનિટથી ત્રીસ મિનિટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ સૂકવીને દરદીને સુવાડી દેવો જોઇએ.

આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકસાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભૂખે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટીસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું, પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થિતિ હોય તો, તાવ બે ત્રણ દોરા તો જરૂર ઊતરશે. સન્નિપાતનો ભય મટશે.૧૭

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું. જનનેંદ્રિય બહુ નાજુક ઇંદ્રિય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઇક અદ્‌ભુત વસ્તુ રહેલી છે તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઇને ક્યુનેએ કહ્યું છે કે, ઇંન્દ્રિયના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘૂમટ ઉપર ચામડી ચડાવી લઇને) તેની ઉપર નરમ રૂમાલ ભીંજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતિ આમ બનતી છે : ટબમાં પાણીની સપાટીથી થોડે ઊંચે તેની બેઠક આવે એવું સ્ટૂલ મૂકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઇંન્દ્રિયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઇજા ન થવી જોઇએ. ક્રિયા ગમવી જોઇએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતિ મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઊંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનનો થયો છે તેટલો ઘર્ષણસ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સૂચવ્યો છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો. ્‌એટલે પરિણામને વિષે અનુભવથી કંઇ નથી લખી શકતો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઇ શકાય. તેથી શાંતિ તો વળશે જ. માણસ આ ઇંન્દ્રિયની સફાઇ ઉપર બહુ ઓછુંધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઇંન્દ્રિય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘૂમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પૂરી જરૂર છે. એ ઇન્દ્રિયના આવા સદ્‌ઉપયોગથી, એને વિષે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે, આસપાસના તંતુઓ મજબૂત અને શાંત થાય છે; અને એ ઇન્દ્રિય વાટે ફોકટ વીર્યસ્ત્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્ત્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વિષે મનમાં અણગમો પેદા થાય છે,-થવો જોઇએ.૧૮

ચાદરસ્નાન શરીરમાં અળાઇ થઇ હોય, શીળસ થયું હોય, બહું ચળ આવતી હોય, અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય, તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છૂટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમાં ગુલાબી રંગ આવે એટલું પરમેંગનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઊકળતા પાણીમાં બોળી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઇ નાખવી જોઇએ.

લોહીનું ફરવું મંદ થઇ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં વધારે સારી રીતે થાય છે. શિયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઇ શકે.

હવે ગરમ પાણીના ઉપચાર વિષે વિચારીએ. ગરમ પાણીના સમજપૂર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતિ થઇ જાય છે. પ્રસિદ્ધ દવા આયોડીન જે કામ કરે છે તેમાનું ઘણું ખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડીન લગાડે છે, તે જ જગ્યાએ ગરમપાણીનું પોતું મૂકો તો આરામ થવાનો સંભવ છે. કાનમાં દરદ થાય ોત આયોડીનનાં ટીપાં નાખે છે ત્યાં જ ગરમ પાણીની પિચકારી મારવાથી શાંતિ થવાનો સંભવ છે. આયોડીનના ઉપયોગમાં કંઇક જોખમ છે, આમાં નથી, આમાં નથી. આયોડીન ડિસઇનફેકટન્ટ (જંતુનાશક) છે, તેમ જ ગરમ એટલે ઊકળતું પાણી ડિસઇનફેકટન્ટ છે. આનો અર્થ એમ સૂચવવાને સારુ નથી કે આયોડીન બહુ ઉપયોગી વસ્તુ નથી. એની ઉપયોગિતા વિષે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર તે હોતું નથી. એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઇએ. આપણા ઘરમાંપડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઊગરીએ છીએ.૧૯

વરાળરૂપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધિવાથી જેનું શરીર ઝલાઇ ગયેલું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સાુ વરાળ ઉપયોગી વસ્તુ છે.

વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે : શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે. પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઊકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મૂકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અડકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે, આમ લપેટયા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરૂર પડશે. બીજા ઘડામાં પાણી ઊકળતું હોય તે ખાટલા નીચે મૂકવું. સાધારણ રીતે આપણામાં રિવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મૂકે છે અને તેની ઉપર ઊકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઊડે ને કામળ કે કંઇક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સૂચવેલી રીતનો ઉપયોગ કરવો.

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઇ.

જેના પગ ઠંડા થઇ ગયા હોય, પગે કળતર થતી હોય, તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે એવાં ઊંડા વાસણમાં સહન થઇ શકે તેવા ગરમ પાણીમાં રાઇનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયુૂં હોય તો કીટલીમાં ઊકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઇ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભૂંગળી લગાડવાથી તે ભૂંગળી વાટે વરાળ સુખેથી લઇ શકાય છે. આ ભૂંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભૂંગળીમાં લગાડવાથી વધારે સગવડ પડે છે.૨૦

આકાશ

આકાશ એટલે અવકાશ કહી શકાય.૨૧

આકાશથી આપણે ઘેરાયેલા ન હોઇએ તો ગૂંગળાઇને મરી જઇએ. જ્યાં કંઇ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દૂર દૂર આસમાની રંગજોઇએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, નહીં, તે આપણી અંદર પણ છે. પોલાણ માત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે.

આપણે હવાને નથી જોઇ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે ? એ આકાશમાં જ વિહાર કરે છે ના ? એટલે આકાશ આપણને છોડી જ નહીં શકતું, પણ આકાશને કોણ ખેંચી શકે ?૨૨

જેમ આકાશ અહીં છે તેમ આવરણની બહારપણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ જ છે. પછી

ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ જ છે. પછી ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ ઉપર ઇથર નામનો પદાર્થ છે, અથવા બીજો કોઇ.તે પણ જેમાંવસે છે. એટલે એમ કહી શકાય કે, જો ઇશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદૂર અને અદૂર વચ્ચે ને આપણી વચ્ચે કંઇ આવરણ ન આવવા દઇએ. એટલે કે, જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ ને સંતોષ ભોગવીશું.૨૩

આ વિચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદિના ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગૂંગળાઇ જાય, એ વસ્તુનો ઉપયોગ ન સમજે. એને મને તો એ બધાં ધૂળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન ગણાય.૨૪

મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઇએ. ભીનાશ કે ટાઢથી બચવા પૂરતું ઢાંકણ ભલે રાખે. એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં. છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હ્યદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ - અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો પણ આપણે આપણો આહાર જેટલો જોઇએ તેટલો જ લઇએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઇ ગયું છે. તેથી અઠવાડિયે, પખવાડિયે, કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પૂરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું ખાવાનું છોડી દેશે તોપણ લાભ મેળવશે.૨૫

તેજ

જેમ આપણે પાણીમાં સ્નાન કરી સાફ થઇએ છીએ તેમ સૂર્યસ્નાન પણ કરી શકાય. નબળો માણસ, જેનું લોહી ઊડી ગયું છે તે જો સવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ ને નબળાઇ જશે ને હોજરી મંદ હશે તો તે જાગ્રત થશે. આ સ્નાન સવારના, તાપ બહુ ન ચડ્યો હોય ત્યારે લેવાનું છે. જેને ઉઘાડે શરીરે સૂતાં કે બેસતાં ઠંડી લાગે તે જોઇતું કપડું ઓઢીને સૂએ, બેસે ને જેમ શરીર સહન કરે તેમ કપડું ખસેડે. નગ્ન સ્થિતિમાં આંટા પણ મારી શકાય. કોઇ ન દેખે એવી જગ્યા શોધી ત્યાં આ ક્રિયા થઇ શકે. એવી સગવડ મેળવતાં દૂર જવું પડે, ને તેટલો વખત ન હોય તો ગુહ્ય ભાગો ઢાંકી શકાય એવી પાતળી લંગોટી પહેરીને સૂર્યસ્નાન લેવાય.૨૬

આવા સૂર્યસ્નાનથી ઘણા માણસોને ફાયદો થયો છે. ક્ષયના રોગમાં એનો બહોળો ઉપયોગ થાય છે.૨૭

કેટલીક વાર ગૂમડાં થયાં હોય તે રુઝાતાં જ નથી. તેને સૂર્યસ્નાન આપવાથી તે રુઝાયાં છે.૨૮

વાયુ

જેમ ચાર તેમ આ પાંચમું તત્ત્વ પણ અત્યંત ઉપયોગી છે. જે પાંચ તત્ત્વનું પૂતળું બન્યું છે તેમાંના એકેય વિના મનુષ્ય નભી ન જ શકે. એટલે વાયુથી કોઇએ ડરવું ન જોઇએ. જ્યાં જઇએ ત્યાં ઘરોમાં વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્ય જોખમમાં નાખીએ છીએ. ખરું જોતાં બચપણથી જ હવાનો ડર ન રાખતાં શીખ્યા હોઇએ તો શરીર હવાની આવજાથી ટેવાઇ જાય છે, ને શરદી સળેખમ આદિથી બચી જાય છે.૨૯

દાક્તરી મદદ

અખિલ ભારત ગ્રામઉદ્યોગ સંઘની પ્રવૃત્તિનું મંગળાચરણ થતાંવેંત ઘણા કાર્યકર્તાઓએ ગામડાંમાં દવા આપવાના કામને પોતાની એકમાત્ર નહીં તો મુખ્ય પ્રવૃત્તિ બનાવી દીધી છે. ગામડાંના લોકોને ઍલોપથીની, આયુર્વેદની, યુનાની કે હોમિયોપથીની દવાઓ મફત આપવાની આ પ્રવૃત્તિ છે. એ દવાઓ વેચનારા વેપારીઓ પાસે ગ્રામસેવકો થોડીક દવાઓ લેવા જાય તો તેઓ એટલો ઉપકાર કરવા તત્પર હોય છે. એમાં એમને પૈસાનો ઘસારો તો કંઇ નથી; અને એ દાનનો તેઓ સ્વાર્થી દૃષ્ટિએ વિચાર કરે તો એથી એમને વધારે ઘરાક મળવાનો સંભવ રહે છે. બિચારા દર્દીઓ શુભેચ્છાવાળા પણ અધૂરા જ્ઞાનવાળા અથવા અતિ ઉત્સાહી ગ્રામસેવકોના ભોગ થઇ પડે છે. આ દવાઓમાંથી પોણા ભાગ કરતાં વધારેની કેવળ નકામી જ નથી હોતી, પણ જે શરીરમાં તે નાખવામાં આવે તેને દેખીતી રીતે નહીં તો અદૃશ્ય રીતે હાનિ કરનારી હોય છે. જ્યાં દર્દીઓને એથી કંઇક કામચલાઉ રાહત મળે છે ત્યાં એને બદલે ચાલી શકે એવી દવાઓ ગામડાંના બજારમાં મળતી હોય જ છે.

તેથી ગ્રામઉદ્યોગ સંઘે મેં વર્ણવી એવી દવાની મદદ આપવાનો વિચાર જ નથી રાખ્યો. આરોગ્ય અને કસકસરને વિષે લોકોને કેળવણી આપવી એકામ તરફ તે લક્ષ આપશે. એ બે એકબીજા સાથે સંકળાયેલાં નથી ? કરોડોને માટે આરોગ્યનો અર્થ સંપત્તિ નથી ? એમને ધન કમાવાનું મુખ્ય સાધન એમની બુદ્ધિ નથી પણ એમનાં શરીર છે. તેથી ગ્રામઉદ્યોગ સંઘ લોકોને રોગ થતા અટકાવવા કેમ એ શીખવવા મથશે. કરોડો માણસોના ખોરાકમાં પૌષ્ટિક તત્ત્વની ખામી છે એ જાણીતી વાત છે. તેઓ જે ખાય છે તેનો દુરુપયોગ કરે છે. ગામડાંની સફાઇની સ્થિતિ અતિશય ખરાબ છે. તેથી જો આ ખામીઓ દૂર થઇ શકે, અને લોકો સ્વચ્છતાના સાદા નિયમો પાળતા થઇ જાય તો તેઓ આજે જે રોગથી પીડાય છે તેમાંના ઘણાખરા તો કશા વધારે પ્રયત્ન કે ખરચ વિના દૂર થઇ જવાના. તેથી સંઘ દવાખાનાં ખોલવાનો વિચાર રાખતો નથી. ગામડાંમાં જ કઇ કઇ દવાઓ મળી શકે તેને વિષે હવે તપાસ ચાલી રહી છે. સતીશબાબુની સસ્તી દવાઓ એ દિશામાં એક પ્રયત્ન છે. એ દવાઓ અતિશય સાદી છે, છતાં સતીશબાબુ એ દવાઓની અસર ઘટાડવા વિના એની સંખ્યામાં ઘણો ઘટાડો કરવાના હેતુથી પ્રયોગો ચલાવી રહ્યા છે. તેઓ બજારની દવાઓનો અભ્યાસ કરે છે, તેને તપાસે છે, અને તેને એ જ જાતની અંગ્રેજી દવાઓ સાથે સરખાવે છે. એબધાની પાછળ સાદા ગામડિયાઓને અજાણી ગોળીઓ ને ઉકાળાના ભયમાંથી છોડવવાનો ઉદ્દેશ રહેલો છે.૩૦

જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામસેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિષે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સહુથી સસ્તી ને સારી છે, ને વિષે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો એરંડિયું તો ગામડામાં મળી શકે. સોનામુખીનાં પાંદડાં પણ ચાલી શકે. ક્વિનીનનો ઉપયોગ હું ઓછો કરું. દરેક તાવ પર ક્વિનીનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનીનથી જતો પણ નથી. ઘણાખરા તાવ આસપાસ કે અર્ધા અપવાસથી મટી જશે. અનાજ

‘હોમ ઍન્ડ વિલેજ ડૉક્ટર’ લેખક : સતીશચંદ્ર દાસગુપ્ત, ખાદી પ્રતિષ્ઠાન, ૧૫ કૉલેજ સ્કવેર, કલકત્તા. પૃષ્ઠ ૨૪૯ + ૧૨૮૭; કિંમત ૧૦.૦૦ અને દૂધ છોડવાં; અને ફળના રસ કે દ્રાક્ષનું ઊકળતું પાણી, અથવા તાજા લીંબુના રસ કે આમલીની સાથે ગોળનું ઊકળતું પાણી લેવું એ અર્ધો અપવાસ છે. ઊકળતું પાણી એ બહુ જ જલદ ઓસડ છે. એનાથી ઘણું કરીને દસ્ત ઊતરશે. એનાથી પરસેવા થશે ને તેથી તાવ ઓછો થશે. એ સહુથી સુરક્ષિત અને સોંઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઊકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં એને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઇએ. ઉકાળતું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઊકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે છે ને વરાળ નીકળવા લાગે છે.

જ્યાં સેવકોને શું કરવું એની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઇએ. જ્યાં વૈદ ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય અને સેવકો નજીકના કોઇ પરગજુ ડૉક્ટરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માગે.

પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઇલાજ સફાઇ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે કે કુદરત એ સારામાં સારો વૈદ છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગાડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જ્યારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યા કરે ત્યારે તે નિરુપાય થઇ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે-કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટેનો ને શીધ્રવેગી દૂત છે-અને મનુષ્યને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે. તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય, પણ સફાઇનું કામ સેવકો એ તેના સારામાં સારા વૈદ ને સારામાં સારા મદદગાર છે.૩૧

ગામડાંઓમાં કામ અથવા સમાજસેવા કરતી જુદી જુદી સંસ્થાઓ તરફથી જે હેવાલો મારી પાસે આવે છે તેમાંના ઘણામાં દવાદારૂની સહાયતા આપવાના કામને ખૂબ મહત્ત્વ આપેલું જણાય છે. આ સહાય દરદીઓને દવાદારૂ મફત પૂરાં પાડવાના રૂપમાં અપાય છે. અને જે કોઇ વ્યક્તિ દવાદારૂ મફત આપવાનું જાહેર કરે છે તેની પાસે આજુબાજુના લોકોનાં ટોળેટોળાં પહોંચી જાય છે. આનો અર્થ એ થાય છે કે આવી રીતે દવાદારૂ વહેંચનાર વ્યક્તિને કંઇ તકલીફ જેવું હોતું નથી. રોગો અને એનાં ખાસ લક્ષણો વિષેનું જ્ઞાન મેળવવાની અને જરૂર રહેતી નથી દવા તો દવાના દયાળું વેપારીઓ પાસેથી એને અવારનવાર વિનામુલ્યે મળતી હોય છે. ઝાઝો વિચાર કર્યા વગર પૈસા આપનાર દાતાઓ પાસેથી એને હંમેશાં ફંડફાળો મળી જાય છે અને એવા દાતાઓને, પોતે જે દાન આપે છે તેથી દીનદુખિયાંને મદદ થાય છે, એવા ખ્યાલથી આત્મસંતોષ થાય છે.

આ પ્રકારની સમાજસેવા મને આળસુમાં આળસુ અને ઘણી વાર નુકસાન પહોંચાડનારી જણાઇ છે. દરદી પાસે દવાનો ઘૂંટડો ગટગટાવી જવા સિવાય કશું કરવાની અપેક્ષા રાખવામાં ન આવે ત્યારે તે નુકસાનકર્તા નીવડે છે. દવા લેવાથી એનામાં કંઇ સમજ કે ડહાપણ આવતું નથી. ઊલટું કેટલીક વાર તો તે પહેલાં કરતાં કંઇક વધારે બગડે છે. અનિયમિતતાને કારણે કે પોતે કરેલી ભૂલોને કારણે આવેલી માંદગીની દવા નામની કિંમતે અથવા મફત મળી શકે છે, એ જ્ઞાન એને એવી ભૂલો ફરીથી કરવા લલચાવશે. આવી દવાદારૂની મદદ પોતે મફત લે છે, એ હકીકત દરદીનું સ્વમાન હણશે. સ્વામાની માણસ ફકત મળતી કોઇ પણ ચીજ લેવાની ના પાડે.

દવાદારૂની મદદનો એક બીજો પણ પ્રકાર છે અને તે આપણે માટે આશીર્વાદરૂપ છે. જે લોકો રોગો, એનાં લક્ષણો અને પેદા થવાનાં કારણો જાણે છે તે જ આવી મદદ કરી શકે છે. આ લોકો બીમારોને એમની અમુક બીમારી કે ફરિયાદ શા કારણથી છે અને તે કેવી રીતે ટાળી શકાય તે પણ સમજાવશે. આવા સેવકો રાતદિવસની પરવા નહીં કરે અને ગમે તે સમયે દરદીની મદદ કરવા દોડી જશે. આવી સમજ અને વિવેકભરી સહાય લોકોને સ્વચ્છતા કેમ રાખવી તેમ જ તંદુરસ્ત કેમ રહેવું તે શીખવે છે. આ સહાય સ્વાસ્થ્ય વિજ્ઞાનનું એક પ્રકારનું શિક્ષણ બની રહે છે. પરંતુ આવા પ્રકારની સેવા ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગના હેવાલોમાં તો દવાદારૂની સહાયનો ઉલ્લેખ જાહેરાત તરીકે હોય છે કે જેથી લોકો તે વાંચી એમને બીજી પ્રવૃત્તિઓ માટે દાન આપવા પ્રેરાય. એ પ્રવૃત્તિઓમાં પણ કદાચ દવાદારૂની સહાય આપવાની પ્રવૃત્તિની જેમ મહેનત કે જ્ઞાનની જરૂર નહીં હોય. સમાજસેવાના કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓને, પછી ગમે તો તેઓ ગામડાંઓમાં કામ કરતા હોય કે શહેરોમાં, હું આગ્રહપૂર્વક વીનવીશ કે દવાદારૂની સહાયને તેઓ એમનાં સેવાનાં કામોમાં ઓછામાં ઓછું મહત્ત્વનું કામ લેખે. બહેતર છે કે આવા પ્રકારની રાહતનો તમામ ઉલ્લેખ હેવાલોમાંથી ટાળવામાં આવે. કાર્યકર્તાઓ એમના વિસ્તારોમાં રોગો થતા અટકાવવાના રાખે તો સારું. તેમની પાસે દવાદારૂનો જથ્થો ઓછામાં ઓછો હોવો જોઇએ. જે દવાઓ ગામડાંઓમાં મળતી હોય તેમને વિષે અને તેમના ગુણો વિષે અને તેમના ગુણો વિષે તેમણે પૂરેપૂરી માહિતી મેળવી લેવી જોઇએ અને શક્ય હોય ત્યાં સુધીતે જ વાપરવી જોઇએ. એમ કરવાથી તેમને (વર્ધા નજીક આવેલા) સિંદી ગામમાં અમને થાય છે એવો અનુભવ થશે કે, ગરમ પાણી, સૂર્યનો તડકો, સ્વચ્છ મીઠું, સોડા તથા ક્યારેક એરંડિયાનું તેલ કે કિવનીનથી મોટા ભાગનાં દરદોમમાં કામ ચાલી રહે છે. ગંભીર રોગવાળા બધા દરદીઓને સિવિલ હૉસ્પિટલમાં મોકલવાનો અમે નિયમ કર્યો છે. મીરાંબહેન પાસે દરદીઓની ભીડ જામે છે. તેઓ તેમની પાસેથી આરોગ્ય જળવાઇ રહે અને રોગ થતા અટકે તેના પાઠ શીખે છે. ફકત પાઉડરનાં પડીકાં અને દવાના ડોઝ આપવાને બદલે આ પદ્ધતિ ગ્રહણ કરવાથી તે સામે તેમને અણગમો થતો જાણ્યો નથી.૩૨