Pinku's letter to the Prime Minister books and stories free download online pdf in Gujarati

પિંકુનો પ્રધાનમંત્રીને પત્ર

પિંકુનો પ્રધાનમંત્રીને પત્ર

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? ઉનાળુ વેકેશન હવે પૂર્ણતાના આરે છે. હજુ તમારી પાસે ઘણો સમય છે. હાલના યુગમાં મોબાઈલનું વર્ચસ્વ વધી ગયું હોઈ હાલ તમે કદી કોઈને પત્ર લખતાં નથી. અત્યારે તો એક જ સેકન્ડમાં જે સંદેશો મોકલવો હોય તે સામે પહોંચી જાય છે. પરદેશ રહેતી વ્યક્તિને પણ વોટસએપ મારફતે કે અન્ય ઘણાં ઝડપી સંચાર માધ્યમો છે જેમકે, ઈમેલ. પહેલાંના સમયમાં લોકો પત્રો દ્વારા એકબીજાને સંદેશા લખી મોકલાવતા. બાળકો અત્યારે તમે પણ પરીક્ષા સિવાય પત્રલેખન કરતાં નથી. ખૂબ જ ઓછો મહાવરો છે પત્રલેખનનો. બાળકો આ વર્ષે ધોળાકૂવા ન. પ્રા. શાળા નંબર ૩૧, આણંદનાં ધોરણ સાતના બાળકોએ પ્રધામંત્રીશ્રીને પત્ર લખ્યો હતો. એમાં પિંકુ એ ખૂબ સરસ વાત કરી હતી. પિંકુએ શાળામાં સ્માર્ટબોર્ડ અને લેપટોપ શાળામાં અભ્યાસ માટે આપ્યા છે જેના દ્વારા ભણવાની ખૂબ મઝા આવે છે આ બાબતે ખૂબ સુંદર રીતે રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. તો ચાલો આપણે જાણીએ કે પિંકુ જેવું સરસ પત્રલેખન કેવી રીતે કરી શકાય ?

સરનામું ક્યાં લખશો :

હા, બાળકો. આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. સરનામું ક્યાં લખવું ? તો જુવો. તમે પત્ર લખો છો બરાબર, તો તમારું નામ, સરનામું અને તારીખ પત્રની જમણી બાજુએ મથાળે લખવું. હવે તમે જેને પત્ર લખો છો તે વ્યક્તિનું સરનામું પોસ્ટકાર્ડની પાછળ લીટીઓ દોરેલી હોય છે ત્યાં લખવાનું હોય છે. સાચું સરનામું લખશો તો જરૂર તમારો પત્ર પહોંચી જશે. અને હા, પીનકોડ નંબર પણ ખાસ લખવો જરૂરી એ. સરનામા માટેની લીટીઓ દોરેલી હોય છે તેની નીચે જ છ ખાના પીનકોડ નંબર લખવા માટે આપેલાં હોય છે. અને હા, જો તમે પરીક્ષા માટે પત્રલેખન કરતાં હોવ તો ઉપર જમણી બાજુએ મથાળે તમારે તમારું સાચું નામ સરનામું લખવું નહીં.

સંબોધન કેવી રીતે કરશો :

સંબોધન એટલે શું ? તે પહેલાં સમજીએ. સંબોધન એટલે કે, તમે કોને ઉદ્દેશીને પત્ર લખવા માંગો છો. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ગુજરાતી વિષયમાં ' હિંદમાતાને સંબોધન ' એક કાવ્ય આવે છે. આ કાવ્યમાં હિંદમાતાને કંઇક કહેવામાં આવ્યું છે એટલે કે હિંદમાતાને સંબોધીને, એમ કહેવાય. પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધીને પ્રવચન કરે છે. અર્થાત્ રાષ્ટ્રને કંઇક કહેવામાં આવે છે. એજ રીતે તમે કોને કઈક લખવા માંગો છો? પત્ર લખનારનો, જેના પર પત્ર લખાયો છે તેની સાથે કયા પ્રકારનો સંબંધ છે તે મુજબ સંબોધન કરવામાં આવે છે. ઉંમરમાં મોટી વ્યક્તિ માટે પૂજ્ય’, “આદરણીય’ કે “મુરબ્બી’ લખાય છે. સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય’, ‘સ્નેહી’ લખાય છે, જ્યારે નાની ઉંમરની વ્યક્તિ માટે ‘ચિ. (ચિરંજીવી)’ લખાય છે. મમ્મી -પપ્પા, ભાઈ - બહેન, શિક્ષક, શિક્ષણમંત્રી, પ્રધાનમંત્રી કે નગરપાલિકા પ્રમુખ!! આ રીતે તમે જેને સંબોધીને પત્ર લખવા માંગતા હોવ તેમના માટે સંબોધન કરવું. ઉદાહરણ તરીકે : પૂજ્ય મમ્મી પપ્પા, પ્રિય ભાઈ - બહેન કે આદરણીય શિક્ષણમંત્રીશ્રી,,, આ રીતે.

વિષયવસ્તુમાં શું લખશો :

આ ખૂબ જ અગત્યની વાત છે. તમે અહીં શું કહેવા કે લખવા માંગો છો? તે બાબતે વિગતે વિસ્તારથી વર્ણન કરવું. વિષયવસ્તુ માટે અલગ અલગ વિષયો હોય. પરીક્ષામાં તમારે પત્રલેખન આવે છે જેમાં આવો વિષય હોય છે - " તમારી મોટી બહેનના લગ્ન હોવાથી તમે ચાર દિવસ શાળાએ જઈ શકશો નહીં" આ વિષય હોય તો તમારે વિગતે વર્ણન કરવું. જેમકે કંઈ તારીખે લગ્ન છે? તમે કેટલાં દિવસ માટે શાળાએ જવાના નથી? તમે ક્યારે શાળાએ જશો? આ બધી જ વિગતોનું વિસ્તારથી વર્ણન કરવાનું છે. આ રીતે તમે જે તે વિષયને માટે પત્ર લખવાના હોય તેનું ટૂંકમા વર્ણન લખવું. પત્ર બહુ લાંબો ન હોય.પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી.

વિરામચહ્નો:

પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો મુકાવાં જોઈએ. પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ પડતી આલંકારિક ભાષાનો પ્રયોગ કરવો નહિ. જોડણીશુદ્ધિ જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામચિહ્નનોનો ઉપયોગ કરવો જોઈએ. આમ, વિરામચિહ્નો અને ભાષાશુદ્ધિ ઉપર ખાસ ધ્યાન રાખવું.


સમાપનમાં શું લખશો :

અંતે, તમારી અને સૌની કુશળક્ષેમ ઈચ્છો અને લખો. તમે તમારા દાદા દાદીને પ્રણામ, નાની બહેનને પ્યાર લખો. પત્રને અંતે જમણી બાજુ સંબંધ અનુસાર ‘તારો મિત્ર’, ‘તારી બહેન’, “આપનો આજ્ઞાકિત" વગેરે શિષ્ટાચાર લખાય છે.

તો જોયુને બાળકો, પત્ર લખવો કેટલો સહેલો હોય છે ! હવે પત્રલેખન આત્મવિશ્વાસ સાથે લખશો એવી આશા રાખું છુ. અને હા,,, મને પત્ર લખવો ન ભૂલાય હોં!!!