Zaverbapa books and stories free download online pdf in Gujarati

Zaverbapa

ઝવેરબાપા

કૃષિક્રાંતિના ઋષિને સૂર્યક મળે તો વાત જામે

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઝવેરબાપા

કૃષિક્રાંતિના ઋષિને સૂર્યક મળે તો વાત જામે

’ચંદ્રક તો ચાર દિ’ ના, આપે ઘણાય, પણ સૂર્યક મળે તો વાત જામે.’ એ સાંઈ મકરંદ દવેની પંક્તિઓને યથાર્થ ઠેરવતું એક પુસ્તક ’ડો. ઝવેરભાઈ પટેલની સંશોધનગાથા’ હમણાં વાંચ્યું.

’લોક-૧’ ઘઉંની રોટલી-ભાખરી ઘણા સમયથી ખાઈએ છીએ પણ અન્ય ઘઉં કરતા એ પંદર દિવસ વહેલાં પાકે અને ૧૭% જેટલા વધુ પાકે અને તેનાથી ભારત જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિલીપીન્સ વગેરે અનેક દેશો ’ઘઉંની નિકાસ કરતા દેશો’ બની શક્યા તે હકીકત વાંચી રાજી થવાયું, પણ જયારે એ પણ વાંચ્યું કે નિવૃત્ત જીવનના ત્રીસ-ત્રીસ વરસ આ સંશોધન પાછળ આપી દેનાર સંશોધકે એ ઘઉંને પોતાનું નામ આપવાને બદલે ’લોક-૧’ એવું નામ આપ્યું, પેટન્ટ સુદ્ધાં લીધી નહીં, પોતાના ખર્ચે આ સંશોધન કર્યું છતાં તેમાંથી પ્રાપ્ત થનારા અબજો રૂપિયામાંથી પોતાની રોયલ્ટીનો એક પૈસો પણ લીધો નહીં ત્યારે તો ગદગદ થઈ જવાયું, ગૌરવથી હૈયું છલકાઈ ઉઠ્‌યું.

સંશોધનનું કામ કઈ નાનુંસૂનું નહિ. સાંઠથી એંસી હજાર જેટલા છોડ વાવવા પડે, દાણા છાંટીને નહીં પણ દરેક બીજને હાથથી વાવવું પડે. રોજેરોજ તપાસતા રહેવું પડે, કોઈ બી ન ઉગ્યું તો તરત ત્યાં નવું બી વાવવું પડે. વધુ વરસાદ પડે તો તેનો નિકાલ કરવો પડે અને ઓછો પડે તો પાણી આપવું પડે. છોડ ઉગ્ય પછી દાણાનું વજન, રંગ, આકાર બધાની નોંધ કરવી પડે. દાડિયા મજૂર નહીં પણ લોકભારતી, સણોસરાના વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહથી કામ કરે. સાત-સાત વરસ આ પ્રયોગો ચાલ્યા અને નવું બી કેન્દ્ર સરકારને સોંપાયું. ચાર વર્ષ તેની ચકાસણી ચાલી ને સરકારે તેને પ્રમાણિત કર્યું.

મેક્સિકો સીટીની નજીક આવેલા એલ બટનના ’મકાઈ અને ઘઉં અંગેના સંશોધન કેન્દ્ર’ના વડા ડો. નોર્મન બાર્લોગને ઘઉંના ઉત્પાદનમાં વધારો કરવાના આવાં જ સંશોધન માટે ઈ.સ. ૧૯૭૦માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ડો. બાર્લોગે ’લોક-૧’ના બીજા પ્રયોગો કરી ચકાસ્યા હતાં અને પોતાના સંશોધન કરતા આ કોઈ રીતે ઉતરતું નથી એનો અભિપ્રાય આપ્યો હતો. પણ ’લોક-૧’ના સંશોધક ઝવેરબાપાને રોકફેલર કે ફોર્ડ ફાઉન્ડેશનનું પીઠબળ ન હતું.

ઝવેરબાપાએ ઈ.સ. ૧૯૩૩માં અમેરિકાની ઈલિનોઈસ યુનીવર્સીટીમાંથી કૃષિવિજ્ઞાનમાં પી.એચડી. કર્યું હતું. એમના ભણતર માટે પાલીતાણાના એ સમયના રાજવી સ્વ. શ્રી બહાદુરસિંહજી ગોહિલે પંદર હજાર રૂ.નો ખર્ચ કર્યો હતો તેથી અને વતનમાં જ લોકો માટે કામ કરવાની ધૂનને કારણે એ જમાનામાં હૈદરાબાદ, ગ્વાલિયર અને ભાવનગર જેવાં મોટાં રાજ્યોમાં ભારે પગારની નોકરી મળતી હતી છતાં માત્ર માસિક રૂ. ૧૨૫/- ના વેતનની નોકરી વતનમાં સ્વીકારી. પણ વિધિની વક્રતા જુઓ. આવાં વતનપરસ્ત ઝવેરબાપાના નવે-નવ સંતાનો ડોક્ટર-એન્જીનીયર થઈને અમેરિકા વસવાટ કરવા જતા રહ્યાં.

ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાનાં નાયબ નિયામક તરીકે કામ કરવાની નિવૃત્તિના ત્રણેક વરસ પહેલા તક મળેલી ત્યારે જુનાગઢના આઠસો એકરના સૂકાં સરકારી ફાર્મનું લીલીછમ યુનીવર્સીટીમાં રૂપાંતર એમણે જ કરેલું પણ નિવૃત્ત થતાં જ સંતાનો સાથે અમેરિકા રહેવા જવાને બદલે તેમણે પોતાના ખર્ચે, લોકભારતી, સણોસરામાં અને આજુબાજુના ગામોમાં પ્રયોગો કરીને આ ’લોક-૧’ ઘઉંનું સંશોધન કર્યું ત્યારે જ જંપ્યા.

’દર્શક’ એમને ’ખેડૂતોના દેવતા’ અને શ્રી મનસુખ સલ્લા એમને ’કૃષિક્રાંતિના ઋષિ’ તરીકે ઓળખાવે છે. દર્શક લખે છે, ’ગુજરાત સરકાર મારા જેવાં અધેલાનું સન્માન કરે છે. તેને આ ગુજરાતના તપસ્વીનું સન્માન કરવાનું કેમ ન સૂઝ્‌યું તે દુઃખ મનમાંથી જતું નથી.’ (ફૂલછાબ-૩૧-૫-૧૯૮૯)

કેટલાકને મન તાપ એ જ પરમ આનંદ હોય છે. એમને માં, સન્માન, પુરસ્કાર, એવોર્ડ, ચંદ્રક કશુંય આનંદ આપી શકતું નથી. અને એ ’પરમ આનંદ’ને જ કદાચ કવિ શ્રી મકરંદ દવેએ સૂર્યક કહ્યો છે. ’સૂર્યક મળે તો વાત જામે.’