Jivan aanand 23 books and stories free download online pdf in Gujarati

જીવન આનંદ ૨૩

જીવન આનંદ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૨૩

આનંદમાં રહેવાની કળા

એક સંત હતા. એ સદા આનંદમાં રહેતા હતા. દુ:ખ તેમને સ્પર્શી શકતું ન હતું. કોઇ પણ વાત પર તે હાસ્ય વેરતા રહેતા. તેમના મુખ પર કોઇ દિવસ ચિંતા કે નિરાશાના ભાવ જોવા મળતા ન હતા. તેથી એક ચોરને આ વાતની નવાઇ લાગતી હતી. તેને થયું કે કોઇ માણસ કાયમ પ્રસન્ન કેવી રીતે રહી શકે? નક્કી તેમની પાસે અઢળક ધન હશે. જેની પાસે ધનદોલત હોય તે નિશ્ચિંત રહીને જીવી શકે છે. ચોરે સંત પાસેથી ધન મેળવવા એક દિવસ તેમનું અપહરણ કરી લીધું.

ચોર સંતને દૂર એક જંગલમાં લઇ ગયો અને કહ્યું:''મહારાજ, જાણવા મળ્યું છે કે તમારી પાસે બહુ ધન છે.''

સંતે નવાઇથી પૂછયું:''તને કેવી રીતે ખબર પડી?''

ચોર કહે,''મહારાજ, તમે કાયમ આનંદમાં રહો છો એ પરથી જ હું જાણી ગયો કે તમારી પાસે મોટો ખજાનો છે. એ ખજાનો મને બતાવી દો નહિતર તમને જીવતા નહીં છોડું.''

સંત કહે,''અસલમાં મારી પાસે સુખદાતા નામનો એક હીરો છે. જે મેં આ જંગલમાં એક જગ્યાએ દાટી દીધો છે. એ જગ્યાએ રાત્રે ચંદ્રનો પડછાયો બરાબર માથા નીચે આવે ત્યારે ખોદીશ તો તને એ મળી જશે.''

આમ કહીને સંત તો એક ઝાડ નીચે સૂઇ ગયા. અને ચોર ચંદ્ર માથા પર આવે તેની રાહ જોવા લાગ્યો. તેને સુખદાતા હીરો મેળવવો હતો.

ચંદ્ર જ્યારે બરાબર માથા પર આવ્યો એટલે ચોર જમીન ખોદવા લાગ્યો. પણ જરાક આમતેમ થતો એટલે ચંદ્રનો પડછાયો ખસી જતો. તેણે ઘણી જગ્યાએ જમીન ખોદવી પડી. આખી રાત ઘણી જગ્યાએ ખોદવા છતાં સુખદાતા હીરો મળ્યો નહીં. એટલે ગુસ્સે થઇને સંતને ગમે તેમ બોલવા લાગ્યો.

ત્યારે સંત હસીને બોલ્યા:''મૂરખ, તું મારા કહેવાનો અર્થ જ સમજ્યો નથી. માથા નીચે સુખદાતા હીરો છે તેનો મતલબ એ હતો કે એમાં શ્રેષ્ઠ વિચારો છુપાયેલા છે. અને તેના કારણે જ માણસ પ્રસન્ન રહી શકે છે. મારી પાસે કોઇ ખજાનો નથી. મારી પાસે કોઇ પ્રકારનું ધન પણ નથી. ધન દોલત વગર પણ આનંદમાં રહી શકાય છે. તું પણ તારો દ્રષ્ટિકોણ બદલીને જીવતાં શીખ. તું પણ સદા આનંદમાં રહી શકીશ.''

સંતની વાત સાભળી ચોરને મોટો બોધ મળ્યો. તે પોતાની આદતો સુધારીને આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

*

સુખી થવા માટેનો છે એક જ રસ્તો અહીં,

ફરિયાદો દૂર મૂકીને આવ, આનંદ થશે!

-‘સાગર’ રામોલિયા

*

સુખ અને આનંદમાં ભેદ છે. ધન-દોલતથી જે મળે તે સુખ છે. સંતોષથી જે મળે તે આનંદ છે. સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને, પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.

*

ભૂલ શોધવાનું સરળ

એક કુશળ ચિત્રકાર હતો. એક વખત ચિત્રોના પ્રદર્શનમાં ચિત્રકારે પોતાનું ચિત્ર મૂક્યું અને તેની નીચે લખ્યું કે, ''કૃપા કરીને ચિત્રમાં જ્યાં તમને ભૂલ દેખાય ત્યાં નિશાની કરશો.'' ચિત્રકારને પોતાની કલામાં વિશ્વાસ હતો. તેને હતું કે ચિત્ર જોઇ લોકો ખુશ થશે અને ભૂલ કાઢવાને બદલે તેની પ્રશંસા કરશે.

એ દિવસે સાંજે ચિત્રકાર પોતાનું ચિત્ર જોવા ગયો. અને ચિત્ર જોઇને પરેશાન થઇ ગયો. ચિત્રમાં એટલા બધા નિશાન હતા કે મૂળ ચિત્ર કેવું હતું તેનો ખ્યાલ જ આવતો ન હતો. એ જોઇ ચિત્રકાર નિરાશ થઇ ઘરે ગયો. પતિને ચિંતાગ્રસ્ત જોઇ પત્નીએ પૂછ્યું,''શું વાત છે? આજે તો તમારું ચિત્ર પ્રદર્શનમાં મુકાયું હતું છતાં ખુશ નથી તમે?''

ચિત્રકારે પત્નીને બધી વાત કરી. પત્ની સમજદાર હતી. તેણે હસીને કહ્યું,''બસ આટલી જ વાતથી તમે પરેશાન છો? લોકોએ ચિત્રમાં નિશાન કર્યા એનો અર્થ એ નથી કે તમારું ચિત્ર સારું નથી. લોકોને આદત જ હોય છે સારા કામોમાં પણ ભૂલ શોધવાની. તમારા ચિત્રમાં જેમણે ભૂલ બતાવી છે તેઓ ભૂલ શોધવાનું જાણે છે, ભૂલને સુધારવાનું નહીં. હવે હું કહું એમ કરો. તમે આવતીકાલે બીજું ચિત્ર ત્યાં રાખો અને તેમાં નીચે લખી દો કે, "કૃપા કરીને આ ચિત્રમાંની ભૂલ સુધારશો.''

ચિત્રકારને પત્નીની વાત યોગ્ય લાગી અને તેણે એમ જ કર્યું. આખો દિવસ બીજું ચિત્ર રાખી સાંજે તે જોવા માટે ગયો ત્યારે એણે ચિત્રમાં કોઇ સુધારો ના જોયો એટલે નવાઇ લાગી. કેમકે આ વખતે ચિત્રકારે જાણી જોઇને એક-બે સરળ ભૂલ રાખી હતી. તેને એમ હતું કે કોઇકને તો ખ્યાલ આવી જ જશે. તેમ છતાં કોઇ એ ભૂલ પકડી શક્યું ન હતું.

ચિત્રકાર ખુશ થઇને ઘરે આવ્યો અને પત્નીને કહ્યું,''તું સાચું કહેતી હતી. લોકો બીજાના કામમાંથી ભૂલ શોધવા તો માગે છે પણ તેને સુધારવા માગતા નથી.''

પત્ની કહે,''આપનું બીજું ચિત્ર પહેલા કરતાં ખાસ નથી. છતાં કોઇએ સુધારો કર્યો નહીં. લોકો ખરાબ વાતની ચર્ચાઓ કરે છે પણ ખરાબને કોઇ દૂર કરવા માગતું નથી. એટલે જ દુનિયામાં આટલી બુરાઇઓ છે.''

*

દુ:ખ ભૂલી જા દિવાલ ભૂલી જા,

થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા.

- મનોજ ખંડેરિયા

*

જયારે બીજાની ભૂલ હોય તો આપણે સમાધાનની ભાવના નથી રાખતા, પરંતુ જો આપણી પોતાની ભૂલ હોય તો સમાધાનની અપેક્ષા જરૂર રાખીએ છીએ.

*

લોભના ત્યાગથી લાભ

ગૌતમ બુધ્ધના એક શિષ્યએ પોતાની તમામ ધન-દોલત લોકોપયોગી કાર્યોમાં ખર્ચી નાખી અને સંયિમત જીવન જીવવાનું રૂ કરી દીધું. તે હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહેતા હતા. તેમનું જીવન સમાજ સેવાને સમર્પિત બની ગયું. તેમના સતકાર્યો અને સદ્ગુણોની ઠેરઠેર ચર્ચા થવા લાગી.

એક દિવસ કેટલાક લોકો તેમની પાસે ગયા અને તેમની ત્યાગવૃત્તિના વખાણ કર્યા. એક માણસે કહ્યું.''મહાનુભાવ, આપનો ત્યાગ પ્રશંસનીય છે. આપની સેવાઓને કારણે સમાજ તમારો ઋુણી છે. અમે બધા ભેગા થઈને આપની સેવાની કદર કરવા માગીએ છીએ. અમે એક સમારંભ રાખી આપને દાનવીર અને માનવ-રત્નનો એવોર્ડ આપી સન્માનિત કરવા માગીએ છીએ. એટલે વિનંતિ છે કે અમારી વાતનો સ્વીકાર કરી સંમતિ આપો. જેથી શુભ કાર્ય અમે જલદીથી સંપન્ન કરી શકીએ.'' માણસની વાત સાંભળી ગૌતમ બુધ્ધના શિષ્યએ મંદ મંદ મુસ્કુરાઈને કહ્યું,''ભાઈઓ, આપે મને જે આદર અને સન્માન આપ્યા છે માટે આભારી છું. પણ મેં કોઈ ત્યાગ કર્યો નથી. તમે મારા જે ગુણોના વખાણ કરી રહ્યા છો એણે તો મને લાભ આપ્યો છે. એવી વાત છે કે જેમ બેંકમાં રૂપિયા જમા કરાવવા ત્યાગ નથી પણ એનાથી વ્યાજનો લાભ છે.'' તેમણે પોતાની વાત વધુ સ્પષ્ટ સમજાવવા બીજું ઉદાહરણ આપતા કહ્યું,''તમે જાણો છો કે દુકાનદાર ગ્રાહકને કોઈ વસ્તુ આપીને ત્યાગ કરતો નથી. પરંતુ પોતાનો લાભ મેળવે છે. રીતે મેં મારા વ્યક્તિત્વમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેને છોડીને મારા સ્વભાવમાં પરોપકાર, અહિંસા, ક્ષમા, સત્ય, દયા વગેરે સદ્ગુણોને સ્થાન આપ્યું છે. રીતે જોઈએ તો મેં છોડયું ઓછું છે અને મેળવ્યું વધુ છે. મેં તો લાભ મેળવ્યો છે. સિવાય કંઈ કર્યું નથી.'' ગૌતમ બુધ્ધના શિષ્યની લોભ છોડી લાભ મેળવવાની વાત સાંભળી તેમને મળવા આવેલા લોકો નતમસ્તક થઈ ગયા.

*ત્યાગમાં કયાં કંઈ મહિમા જેવું લાગે છે?

સહુને એમાં હસવા જેવું લાગે છે!

- ખલિલ ધનતેજવી

*ત્યાગ વિના કોઈ પણ માણસ બીજાને માટે કામ કરવામાં પોતાનું સમગ્ર હૃદય રેડી શકતો નથી. - સ્વામિ વિવેકાનંદ