Kurbanini Kathao - 9 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 9

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

1 - ન્યાયાધીશ

2 - નકલી કિલ્લો

***

1 - ન્યાયાધીશ

પૂના નગરની અંદર વીર રઘુનાથરાવ રાજ કરે છે.

સિંહાસન ઉપરથી એક દિવસે રઘુનાથે રાજસભાને હાકલ કરી: `શૂરવીરો! સજ્જ થાઓ. મૈસૂરના માલેક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.'

જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તરો સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી પુરુષો ચાલ્યા આવે છે: કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય!

આકાશમાં વિજય-પતાકા ઉડે છે. શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર-ગાન ગાય છે. પૂના નગરી ગર્વથી ધણધણી ઉઠી છે.

ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી.

અકસ્માત્ આ માતેલી સેના કાં થંભી ગઈ? મહાસાગરમાં મોજાં જાણે કોઈ જળદેવતાની છડી અડકતાં ઉભાં થઈ રહ્યાં! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઉતર્યાં? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે?

એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઉભો છે. એનું નામ ન્યાયાધીશ રામશાસ્ત્રી. બે બાહુ ઊંચા કરીને રામશાસ્ત્રી કહે છે: `રાજા, તારા અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર ક્યાં નાસી જાય છે?'

વિજયના નાદ બંધ પડયા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના ઊંચે શ્વાસે ઉભી થઈ રહી.

રઘુનાથ બોલ્યા : `હે ન્યાયાપિતા! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઉભા?'

રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યા: `રઘુપતિ! તું રાજા. તારે સહાયે એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.'

રાજા માથું નમાવીને જવાબ વાળે છે: `સાચું, પ્રભુ! અપરાધી હોઉં તો દંડ આપો.'

ન્યાયમૂર્તિ બોલ્યા: `તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે, રઘુપતિ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિ.'

હસીને રાજાએ જવાબ વાળ્યો : `મહારાજ! આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આક્ષેપ મૂકીને મશ્કરી કરો છો?'

`મશ્કરી! સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું. વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે પ્રજા હાહાકાર કરે છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને એ વિચારીને આગળ કદમ ધરજે. પેશ્વા રઘુનાથરાવ!'

રોષ કરીને રઘુનાથ બોલ્યા: `મહારાજ! રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજે રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું. આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.'

રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઉપડી. શાસ્ત્રીએ કહ્યું : `સિધાવો, રાજા સિધાવો! યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર, અને એ સામ્રાજ્યનો ભાર તમને ચગડી નાખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઇન્સાફની અદાલતમાં ભલે હવે રાજ-સ્વચ્છંદની રમતો રમાતી.'

શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. ધજાઓ ગગને ચડી.

રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા. ન્યાયાધીશે પણ ન્યાયદંડનો બોજો નીચે ધર્યો. ન્યાયપતિની નિશાનીઓ અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો.

***

2 - નકલી કિલ્લો

`બસ! બુંદીકોટાનો કિલ્લો જ્યાં સુધી હું જમીનદોસ્ત કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.'

એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી દીધી.

પ્રધાનજી બોલ્યા: `અરે, અરે મહારાજ! આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી! બુંદીકોટનો નાશ શું સહેલો છે?'

રાણાજી કહે: `તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તો સહેલું છે જ ને! રાજપુત્રનું પણ તો જીવ જતાં સુધી મિથ્યા ન થાય.'

રાણાજીને ઘડીભરનું તો શૂરાતન આવી ગયું ને સોગંદ લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી.

રાણાજી પ્રધાનને પૂછે છે: `પ્રધાનજી! બુંદીનો કિલ્લો આંહીંથી કેટલો દૂર?'

`મહારાજ! ત્રણ જોજન દૂર.'

`એ કિલ્લાના રક્ષક કોણ?'

`શૂરવીર હાડા રાજપૂતો.'

`હાડા!' મહારાજનું મોં ફાટયું રહ્યું.

`જી, પ્રભુ! ચિતોડાધિપતિને એનો ક્યાં અનુભવ નથી? ખાડા ખસે, મહારાજ! પણ હાડા નહિ ખસે.'

`ત્યારે હવે શું કરવું?' રાણાજીને ફિકર થવા લાગી.

મંત્રીના મગજમાં યુક્તિ સૂઝી. એણે કહ્યું: `મહારાજ! આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા છે ને? આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો કરી દઉં; પછી આપ આવીને એને પાડી નાખો, એટલે ઉપવાસ છૂટી જશે.'

રાણા છાતી ઠોકીને બોલ્યા: `શાબાશ! બરાબર છે!'

રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તો બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડયા.

પરંતુ રાણાજીના હજૂરમાં એક હાડો રજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જંગલમાં મૃગયા કરીને એ જોદ્ધો ચાલ્યો આવતો હતો. ખભે ધનુષ્ય-બાણ લટકાવેલાં.

કોઈએ એને કહ્યું કે `બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે.'

હાડો ભ્રૂકુટિ ચડાવીને બોલ્યો: `શું! હું જીવતાં રાણો બુંદીનો નકલી કિલ્લો તોડવા જાશે? હાડાની કિર્તીને કલંક લાગશે?'

`પણ ભાઈ, એ તો નકલી કિલ્લો!'

`એટલે શું? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે?'

ત્યાં તો રાણાજી સેના લઈને આવી પહોંચ્યા.

કુંભાજી એ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગરજ્યો: `ખબરદાર, રાણા! એટલે જ ઉભા રહેજો, હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહિ. તે પહેલાં તો હાડાની ભૂજાઓ સાથે રમવું પડશે.'

રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોંય પર ઘૂંટણભેર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણ છૂટતાં જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભોજી કુંડાળે ફરતો ફરતો યુદ્ધ કરે છે. આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીરો કુંભો પડયો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શક્યું નહિ. એના લોહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો.

***