Jivan Jyoti books and stories free download online pdf in Gujarati

જીવન જ્યોતિ

ડૉક્ટર સાહેબ ! શું જ્યોતિ ને ક્યારેય નહીં દેખાય? શું એની દૃષ્ટિ કાયમ માટે ઓછી જ રહેશે ? શું આખી જિંદગી એણે આવી રીતે જ કાઢવી પડશે? આવા તો કેટલાય પ્રશ્નો થી શ્યામે ડૉ.દેસાઈને ઘેરી લીધા.ડૉ દેસાઈ અમદાવાદના ખ્યાતનામ આંખના પડદાના ડૉક્ટર હતા.ડૉ દેસાઈ એ જ્યોતિ ના કેસની તપાસ કરી.ડૉ દેસાઈ આજે પણ જ્યોતિ નો કેસ યાદ કરી ભૂતકાળમાં સરી પડે છે.......


જયોતિ શ્યામ અને સજનીની ખૂબ જ સુંદર અને કોમળ દિકરી હતી.એનો જન્મ અધૂરાં માસે એટલે કે સાતમા મહિને નાના ગામડામાં થયો હતો.અધૂરા મહિને જનમ થયો હોય એને દૂર શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બાળકો ના ડૉક્ટર પાસે મોકલવામાં આવી.એને નવજાત શિશુ સારવાર વિભાગ માં (NICU) રાખવામાં આવી.એને કાચની પેટીમાં રાખવામાં આવી અને ઓક્સિજન સારવાર આપવામાં આવી.કોમળ એવી બાળકી ના શરીર પર અલગ અલગ નળીઓ અને વાયર લગાવવામાં આવ્યા.એના વિવિધ પ્રકારના રીપોર્ટ કઢાવવા માં આવ્યા.એની આવી હાલત જોઈને સજની ની આંખો ભરાઈ આવતી.એને શ્યામ સાંત્વના આપતો.આમ ને આમ એક પછી એક દિવસો વિતતા ગયા.


પછી એક દિવસ જ્યોતિ ની આંખો ની તપાસ માટે ડૉક્ટર આવ્યા.એમને જ્યોતિ ની આંખના પડદાની ખામી જણાઈ.એમણે જયોતિને આંખના પડદાના ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપી . પણ આ શહેરમાં પડદાના ડૉક્ટર નહોતા એટલે એમણે અમદાવાદમાં પડદાના નિષ્ણાત ડૉક્ટર પાસે જવાની સલાહ આપી.અમદાવાદ નું નામ સાંભળતા જ શ્યામને પરસેવો છૂટી ગયો. આટલું મોટું શહેર અને કોઈ ઓળખતું ન હોય એણે વિચાર્યું કે હવે કોઈ ઓળખાણ શોધીને જશું.પછી થોડા દિવસ જ્યોતિ ની તબિયત ખરાબ થઈ ગઈ.એમ કરતાં વધારે સમય નીકળી ગયો.


લગભગ ત્રણ મહિના પછી શ્યામ જ્યોતિ ને અમદાવાદ આંખ ના પડદાના ડૉક્ટર પાસે લઈ ગયો.જયોતિની આંખ ની સંપૂર્ણ તપાસ કરી નિષ્ણાત ડૉ. દેસાઈ એ શ્યામને સમજાવતાં કહ્યું કે જ્યોતિ ની આંખો ના પડદામાં વધારે નુકસાન થયું છે.શયામે ડૉક્ટર સાહેબ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું.અને પૂછ્યું "પણ ડૉક્ટર સાહેબ એને દેખાતું તો થઈ જશે ને? "ડૉક્ટરે તેને શાંતિથી સમજાવ્યું કે" જો શ્યામ, બાળક જ્યારે અધૂરાં મહિને જન્મ લે છે અથવા તો બાળક નું જન્મ સમયે વજન ૧.૫ કિલો થી ઓછું હોય એ સંજોગોમાં બાળકોની આંખો નો વિકાસ અધુરો રહી જાય છે.એને retinopathy of Prematurity કહેવાય છે.અને આવા બાળકો ને ૧૦૦% ઑક્સિજન થેરાપી આપવામાં આવે તો‌ પડદા પર નવી લોહી ની નવી નસો બને છે. જે ને કારણે પડદો ખસી જાય છે.એટલા માટે આવાં બાળકો ની તપાસ અને સારવાર જન્મ ના એક મહિનામાં કરાવવી અત્યંત આવશ્યક છે.કારણ કે સમય સર જો નિદાન થાય અને પડદા પર લેઝર સારવાર કરવામાં આવે તો આંખ બચાવી શકાય છે.


જ્યોતિ ના કેસમાં બહુ મોડું થઇ ગયું છે. અમે એની શક્ય હોય તેટલી સારવાર કરીશું.પરંતુ જે નુકસાન થયું છે એ પાછું લાવી શકાય તેમ નથી.તમારી જ્યોતિ થોડું જોઈ શકશે પરંતુ પૂર્ણ નહીં.


આ સાંભળી શ્યામ ના પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ! એને પોતાની જાત પર ખૂબજ ગુસ્સો આવ્યો.એને એ વાત નો અફસોસ થયો કે એણે પેલા ડૉક્ટર ની વાત ને ગંભીરતાથી લીધી નહીં . જો જ્યોતિ ને તરત જ અમદાવાદ લઇ ગયો હોત તો તેની આંખો ની દષ્ટિ કદાચ બચાવી શકાત! પરંતુ હવે આ હકીકતને સ્વીકારવી જ પડશે એ વિચારી ને શ્યામે નિર્ણય લીધો કે હવે મારાથી બનતી બધી જ કોશિશ હું કરીશ.


ત્યાર બાદ લગભગ એક વર્ષ સુધી જ્યોતિ ની આંખના પડદાની સારવાર કરવામાં આવી. પછી શ્યામ નું તો જાણે જીવન જ બદલાઈ ગયું . એણે ડૉ . દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ROP (Retinopathy of Prematurity) અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું.એ નાના ગામડાથી માંડીને શહેરમાં આવેલી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમમાં ફરતો.અને ત્યાં દાખલ કરવામાં આવેલ અધૂરાં માસે જન્મેલા બાળકો ના માં બાપ ને આ રોગના લક્ષણો અને એની શક્ય સારવાર અંગે માહિતી આપતો. તેમજ નર્સિંગ સ્ટાફ ને પણ સમજાવતો. એની ધગશ જોઈ એની સાથે બીજા લોકો પણ આ કામ માટે જોડાયા . થોડા વખત પછી એમણે એક સંસ્થા ની સ્થાપના કરી . જેનુ નામ આપવામાં આવ્યુ'જીવન જ્યોતિ'!!

ડૉ.સેજલ દેસાઈ ?