Sap Sidi - 4 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 4

પ્રકરણ ૪
કોઈ લાખ કરે ચતુરાઈ.. કરમ કા ભેદ મિટે ના રે ભાઈ...

સવાર-સવારમાં ટીકુડા સાથે ડેલીમાં પ્રવેશી રહેલા એના બાપ જટુભાને મરક મરક મુસ્કુરાતા જોઈ જમનાફૈબાનાં હ્રદયમાં ખટકો તો જાગ્યો પણ ગઈ કાલ રાતથી આજ સવાર સુધીમાં પેટમાં મચેલી ઉથલ-પાથલની પીડા અને ગઈ કાલે પેલા વટેમાર્ગુ સાધુ સાથે થયેલી વાતચીતની ગહેરી અસર તળે હૃદયનો ખટકો કશી વિસાતમાં ન હતો.
“જય માતાજી બા..” કહેતા ભોળા જટુભા ખાટલે પડેલા જમનાફૈબાને પગે લાગ્યા અને એની સામે પડેલી ખુરશી પર બેઠા. ટીકુડાએ કોથળીમાંથી એક બોક્સ કાઢી બા સામે ધર્યું. “લ્યો બા .. મીઠું મોઢું કરો...”
જમનાબા માંડ બેઠા થયા. હજુ મનમાં બેચેની હતી. ગઈકાલે જટુભાને ત્યાં પિતૃકાર્યની વિધિ જમનાબાની જ્યોતિષી સલાહથી જ ગોઠવાયેલી. બે વર્ષ પહેલા જટુભાની ઈલા માટે જમનાબાએ પોતાની બેનના છોકરા વિક્રમનું માંગું નાખેલું. પરંતુ છાંટો-પાણી કરવાની આદતવાળા અને પાનની નાનકડી કેબીન ખોલી બેઠેલા દસ પાસ વિક્રમને કોલેજ સુધી ભણેલી ઈલા સોંપવાનું જટુભાને યોગ્ય ન લાગ્યું. આથી માંગું પાછું ઠેલાયું હતું. આ વાતનો ઘા જમનાબાને પચ્યો ન હતો. જમનાબાને મંત્ર-તંત્રના જાણકાર તરીકે નાના માણસો માન આપતા. એમાંય મંદિરના પુજારી ગૌરીબાપાની માંદગી ભગાડી દીધી ત્યારથી જમનાબાને ઘણા પરિવારો પૂજવા માંડ્યા હતા.
ખાટલીની બાજુમાં પડેલી ટીપોય પર પડેલી તપેલી ઉપાડીને તેને ઢાંકેલું છીબુ કાઢતા જમનાબાએ તેમાં ઉબકો કર્યો. એટલે તરતજ બાજુના રસોડામાંથી વહુ દોડતી આવી અને પાણી ભરેલો ગ્લાસ બા સામે ધર્યો.. પાણીનો સહેજ કોગળો જમનાબાએ તપેલીમાં કર્યો અને એક તીખી નજર જટુભા સામે નાખી. “તમારું જમણ તો મને ભારે પડ્યું જટુભા. મર્યા ઝાડા-ઉલટી થઇ ગયા.”
જટુભાના ચહેરા પર અફસોસ ફેલાયો. ખુશી ગાયબ થઇ ગઈ. પણ ત્યાં બીજો પ્રશ્ન એમના કાને અથડાયો. “શાનું મીઠું મોં કરાવે છે ટીકુડો?” “બા .. તમારી કૃપાથી બધા સારા વાના થયાને... એનું મીઠું મોં કરાવે છે..” જટુભાના ચહેરા પર ફરી ખુશી આવી ગઈ.
જમનાબાની આંખ કરડી થઇ. મનમાં પ્રશ્ન થયો. ”સારા વાના..?” અને હૃદય ખટક્યું. વિક્રમનું માંગું ઠુકરાવનાર જટુભાની ઈલા ક્યાંય બીજે પરણી ન જાય એની ખાસ તકેદારી જમનાબા રાખતા હતા. ત્રણ વાત તો એમણે જ ઈલાની આડા પાટે ચઢાવી દીધી હતી. ગયા અઠવાડિયે ઈલા માટે સામેથી માંગુ આવ્યું હતું. બી.એડ. કરેલો છોકરો કુલદીપ ગ્રાન્ટવાળી સ્કુલમાં હમણાં જ ફિક્સ પગારથી લાગેલો. છોકરો ઈલા અને જટુભાને ગમ્યો પણ ખરો. છોકરાવાળાને પણ આ ભલો અને ભોળો પરિવાર અને કામઢી-ડાહી રૂપાળી ઈલા ગમી હતી. વાત આગળ વધવા માંડી હતી અને જમનાબાએ પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. છોકરાનું ઠામ-ઠેકાણું શોધી કાઢ્યું. કુલદીપસિંહની નોકરી એક તો અહી થી ૩૦૦ કિલોમીટર દૂર કચ્છમાં અને એમાંય પાછી છેવાડાના ગામડામાં હતી અને પગાર ૧૩૫૦૦ રૂપિયા હતો. જમનાબાના મળતિયાઓ કુલદીપના બાપાને મળ્યા. જે દિવસે વાત ચાલેલી, એટલે કે આજથી આઠ દિવસ પહેલા તે જ દિવસે કુલદીપના નાનભાઈ રાજદીપ, જે પોલીસ ખાતામાં સબ ઇન્સ્પેકટર હતો, એનું એકસીડન્ટ થયેલું...એવા બે ચાર અપશુકનીયાળ બનાવો સંભળાવી કુલદીપના બાપા રામસિંહને ઢીલા પાડી દીધેલા.
બિચારા જટુભા આ સમસ્યાનો તોડ કાઢવા જમનાબાના બારણે જ આવ્યા અને જમનાબાએ એને ગામમાં – નાતમાં વગોવી મારવાનું કાવતરું ઘડી કાઢ્યું. પિતૃ અડચણ દૂર કરવા પિતૃકાર્યની સલાહ એમણે જટુભાને આપી. પાંચેક હજાર ખર્ચવાની સલાહ એમણે આપી. શેઠની કાર ડ્રાઈવ કરવાની ડ્રાઈવર તરીકેની નોકરી કરતા જટુભા માટે આ રકમ બહુ મોટી હતી. પણ કેમેય કરી દીકરીનું ભલું થતું હોય તો એમ કરવા તેમની ઘરવાળી જશોદાએ આપેલી સોનાની છેલ્લી કડી વેંચી નાખી અને પિતૃકાર્ય ગોઠવી નાખ્યું.
સવારમાં જ મદદ કરવાના બહાને જટુભાના રસોડામાં ઘુસી ગયેલા જમનાબાએ બજરની ડાબલીમાં બજરની બદલે ઝેરીલો પાવડર ભરી રાખ્યો હતો. આ ઝેરીલો પાવડર બે લાડવામાં અને શાકના વાટકામાં ઠાલવી એ ભગવાન સામે ધરાવી મુકાવ્યો હતો, જેથી કોઈ બીજાના પેટમાં ઝેર ન જાય. વટેમાર્ગુ લાડુ અને શાક ખાઈ જટુભાના આંગણે મરણ પામે એટલે ગામ ગજવવાની જમનાબાએ તૈયારી કરી રાખી હતી. જો કે છેલ્લી ઘડીએ એમનું મન પણ આવું અધમ કૃત્ય કરતા અચકાયું હતું પણ વિક્રમનું માંગું ઠેલવાયાના ઘાએ ફરી મનને સળગાવી મુક્યું હતું.
વટેમાર્ગુ બાવાએ થાળી ફરતે પાણી રેડી, લાડુ-શાકની બે-બે કણી થાળી બહાર મૂકી ત્યારે જમનાબા અધીરા બની ગયા હતા. બાવાની આંખમાં તેજ હતું. પહોંચેલી માયા જેવો એ લાગતો હતો. પોતે સાધુને જમવાનો આગ્રહ કર્યો અને જમ્યા બાદ દક્ષિણામાં અપાનાર સાધનોની, છત્રી, ચપ્પલ વગેરેની વાત કરી ત્યારે સાધુ એ કહેલું મર્માળુ વાક્ય જમનાબાને ભીતરે ચચર્યું તો હતું જ. કેમ કે ઘડી–બે–ઘડીનો મહેમાન આ સાધુ જમ્યા બાદ આ ઘર જ નહિ પરંતુ દુનિયા પણ છોડીને જવાનો હતો.
પણ કોણ જાણે કેમ...આ બન્યું..! સાધુએ પહેલો જ કોળિયો ખાધો અને કડવાશ જમનાબાની જીભે પ્રસરી. પેટમાં ચુથારો શરુ થયો. મર્માળુ હસતો સાધુ જેમ જેમ કોળિયા ખાતો ગયો તેમ તેમ જમનાબાના પેટમાં ગરબડ વધતી ચાલી. જાણે લાડુ-શાકમાં ભેળવેલ ઝેરની અસર સાધુના બદલે જમનાબાને થવા લાગી હોય એવું જમનાબાને લાગ્યું.
જમ્યા બાદ દાન દક્ષિણા લઇ સાધુ તો જવા લાગ્યો. જમનાબાને આશ્ચર્ય થયું. કેમ આ સાધુ ફસડાઈ નથી પડતો? પણ ના.. એ તો ચાલ્યો જ ગયો અને ફસડાઈ પડ્યા જમનાબા પોતે..! તો શું ચમત્કારી સાધુએ પોતે ખાધેલા ઝેરની અસર જમનાબા તરફ વાળી દીધી હતી? જમનાબાને પોતાના જ્યોતિષગુરુ એવા શારદામાસી યાદ આવ્યા. એમના શબ્દો હતા :”હિમાલયની ગુફાઓમાં આજેય એવા સિદ્ધયોગીઓ મોજુદ છે, જેને ઝેરમાંથી અમૃત બનાવવાની વિદ્યા પણ આવડતી હોય છે.” બે વાર જટુભાના ઘરે સંડાસ જઈ આવ્યા છતાં જમનાબાને ઝાડા-ઉલટી બંધ ન થયા એટલે મારતી રીક્ષાએ ઘર ભેગા થઇ ગયા. આખી રાત હેરાન થયા. છ-સાત વાર રાત્રે ઉઠવું પડ્યું.
“બા ... પેલા સરકારી શિક્ષક, કચ્છવાળાના દીકરાની ઈલા સાથે વાત ચાલેલી ને..? એમાં એ લોકોની હા આવી ગઈ છે. આ બધું તમારી પિતૃકાર્યની સલાહ અને આશીર્વાદથી જ થયું છે બા...” કહેતા જટુભા ગળગળા થઇ ગયા. જમનાબા પણ આ બીજો ચમત્કાર સાક્ષાત અનુભવી રહ્યા. પેલો સાધુ ક્યાંક હિમાલયનો સિદ્ધ યોગી તો નહોતો ને ..?” ક્યાંય સુધી જમનાબાના મનમાં ગડમથલ ચાલતી રહી...
જટુભા ઘરે પહોંચ્યા ત્યારે ઈલા એના ફેવરીટ કોલેજ અધ્યાપિકા માલતી મેડમને ખુશ ખબર આપવા ગઈ હતી અને પોતે માલિકના બંગલે જવાની તૈયારી કરવા લાગ્યા.
==============