sarad sanhita motini - 9 books and stories free download online pdf in Gujarati

સરળ સંહિતા મોતીની.... - ૯

૧૭.પ્રિ. એસ.આર. ભટ્ટ-એક વિસરાયેલ વિભૂતિ



આજે જ્યારે શિક્ષણનું સ્તર અને એ શિક્ષણને જન સામાન્ય અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી જેની છે તેવા શિક્ષણકારોની ગુણવત્તાનું સ્તર સતત નીચું ઉતરતું જાય છે ત્યારે આજે એક એવા અધ્યાપકની વાત કરવી છે જેનું નામ શિક્ષણમાં આજે દંતકથા સમાન લેવાય છે. એ એક ઉત્તમ અને એથીયે વધુ તો એક આદર્શ શિક્ષક સંતપ્રસાદ ભટ્ટ.પણ ગુજરાત તો એમને ઓળખે પ્રો.એસ.આર. ભટ્ટ નામથી!

અંગ્રેજી સાહિત્યમાં 'શેક્સપિયરનો અવતાર' ગણાતા આ ભટ્ટ સાહેબનું આખું નામ તો સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ.જન્મ સુરતમાં.સુરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણી,જાણીતા વિદ્વાન વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે ભણી મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સંસ્કૃત સાથે એમ.એ.થયા.ને પછી શરૂ થઈ એક ઉત્તમ અંગ્રેજીના અધ્યાપકની કોઈપણ નવોદિત અધ્યાપકને માટે આદર્શ બની રહે એવી અધ્યાપનયાત્રા!સેન્ટ ઝેવિયર્સ કોલેજ,એલ.ડી.આર્ટસ કોલેજ,રાજકોટની ડી.એચ. કોલેજ,જી.એલ.એસ.કોલેજ અને એ યાત્રા છેક બી.ડી.આર્ટસ કોલેજના આચાર્ય અને કો-ઓર્ડીનેટરના પદે જઈને અટકે છે.

પણ આ તો બધી જાણે સ્થૂળ વાતો છે!આ અધ્યાપક માત્ર તેના વર્ગના વિદ્યાર્થીઓના અધ્યાપક થવાને બદલે આખાયે સમાજનો અધ્યાપક થયો હોય એવું લાગે.અંગ્રેજી સાહિત્ય અને એમાં પણ ખાસ તો શેક્સપિયર,સામાજિક ચિંતન વગેરેના એક ઉત્તમ અને આદર્શ વક્તા અને ચિંતક તરીકે તેમને આખું ગુજરાત તો ઓળખે જ છે પણ સાથોસાથ એના વ્યાખ્યાનોની નોંધ છેક ઇંગ્લેન્ડને પણ લેવી પડેલી!આ પ્રજ્ઞાપુરુષ અમદાવાદમાં જ બુઝાયા.

પણ આજે આપણને એમના સમગ્ર અધ્યયનના નિષ્કર્ષ સમું એક જ પુસ્તક એમની પાસેથી મળે છે અને એ છે:શેક્સપિયર!ને બીજું એમને એક પ્રખર રાજા જેમ પોતાનો વારસદાર નિમતો જાય તેમ તેમણે અંગ્રેજી સાહિત્ય માટે આપણને નિરંજન ભગત આપ્યા! વિનોદ ભટ્ટે કહ્યું છે તેમ ઉંદર પકડવાના ઉંદરિયા પર ભટ્ટ સાહેબ અઢી કલાક અવિરત બોલી શકેલા.આ એમની જીવન પરત્વેની સૂક્ષ્મ સૂઝ બતાવે છે.

અંતે એક ચમકારા રૂપે કહેવું જોઈએ કે પોતાની અંદર રહેલા ઉત્તમ રત્નો પાસેથી સમુચિત જ્ઞાન મેળવવામાં ગુજરાત હંમેશા પાછું પડ્યું છે એ પછી એસ.આર. ભટ્ટ હોય કે જ્યોતિન્દ્ર દવે!વ્યાપારી પ્રજા તરીકે માફી આપવી હું યોગ્ય માનતો નથી!

૧૮.શીર્ષક:લોહિયાળ રવિવાર

વિશ્વના ઈતિહાસમાં યુરોપની સત્તાલાલસા ખૂબ જ પ્રચલિત અને નિંદનીય છે આજે જે નું વિઘટન ન થયું હોત તો જ એક મહાસત્તા હોતે રશિયામાં બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં 'બોલ્શેવિક ક્રાંતિ' થયેલી આ ક્રાંતિમાં એક અગત્યનું કારણ બનેલી ક્રૂર વિશાળ જનસંખ્યા ની હત્યા નો પ્રસંગ આજે સ્મરવો છે.જે યુરોપના વખાણ કરતા આપણે થાકતા નથી તો ઇતિહાસ માત્ર ને માત્ર યુદ્ધો અને લોહીથી ખરડાયેલો છે એમ કહેવું અતિશયોક્તિભર્યું અવશ્ય છે પણ સાવ જૂઠું નથી.

ઇતિહાસના રંગમંચ પર તારીખ હતી 22 જાન્યુઆરી 1905 ને રવિવાર હતો.સામ્યવાદી રશિયા સામે ક્રાંતિની પૂર્વ ભૂમિકા ઘડાઈ રહી હતી એ પૂર્વભૂમિકા ન બંધાય તે માટે સરકારે દમનનો દોર છુટો મૂક્યો હતો.વોન પ્લેહવે ગૃહ પ્રધાન પદે હતા અને પ્રેમ મીસર્કી એ સુધારકો ને તેમની માગણીઓ વિધિસર રજૂ કરવાનું કહ્યું હતું આથી નવેમ્બર ૧૯૦૪માં વિવિધ પ્રતિનિધિઓની સભામાં સુધારકોએ વ્યક્તિસ્વાતંત્ર્ય,ધર્મ,વાણી વગેરે જેવી 11 બાબતોની માંગણી કરતું આવેદનપત્ર રજૂ કર્યું પરંતુ જાણે ક્રાંતિને નિયતિ ઇચ્છતી હોય તેમ ઝારના શાસન તંત્રે તેને ગંભીરતાપૂર્વક લીધું નહીં.

આથી લોકોનો અસંતોષ વધવા લાગ્યો વિવિધ પ્રદેશોમાં લોકો આંદોલન કરવા લાગ્યા હડતાલો પાડવા લાગ્યા અને વાત એટલી ઉગ્ર બની ગઈ કે ખેડૂતો તેના માલિકના મકાનને પણ આગ ચાંપવા લાગ્યા એ જ અરસામાં સેન્ટ પીટર્સ બર્ગમાં શહેરના બધા કારખાનાના પંદર હજાર કામદારો એકઠા થયા અને ફરી વખત રાજાને અરજી કરવાનું નક્કી કર્યું.પરંતુ આપેલી અરજી અમલદારો ઝારને પહોંચાડશે કે કેમ એ બાબતે લોકોને અવિશ્વાસ હતો. આ અવિશ્વાસ જ અનેક કામદારોને મોતના મુખમાં લઈ ગયો,જે અવિશ્વાસ સ્વાભાવિક હતો.

આથી લોકોએ પોતાની આ અરજી જાતે જઈ ને હાથ સોંપી દેવાનું નક્કી કર્યું અને આ નિર્ણયના અમલ માટે આવી ગયો એ ભયંકર દિવસ! ફાધર ગેપોની નેતાગીરીમાં એક મોટું સરઘસ એ અરજી આપવા માટે ધાર્મિક સૂત્રો ઉચ્ચારતું નીકળી પડ્યું.અમુક કામદારોના હાથમાં તો ઝારની છબી પણ હતી પરંતુ તેઓ જેવા ઝારના 'વિન્ટર પેલેસ' પાસે પહોંચ્યા કે તરત જ તેમની પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો ઘણી નાસભાગ થઇ છતાં ગોળીબારમાં એક હજાર જેટલા કામદારોના મોત થયા અને હજારો ઘાયલ થયા અને ઇતિહાસમાં આ કાળમુખા દિવસને એ કામદારોના વહેલા લોહી ની યાદમાં 'લોહિયાળ રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.

આ ઘટનાને યાદ કરીએ ત્યારે 'જલિયાવાલા બાગ હત્યાકાંડ'ની ઘટના અવશ્ય સ્મરણમાં આવે પણ જે યુરોપના હાડમાં જ આવો સ્વભાવ હોય તેની જ માટીમાં ઉછરેલા અંગ્રેજો આવી ઘટનાને અંજામ આપે તો તેમાં કોઈ નવાઈ નથી.અલબત્ત ભારતનો ઇતિહાસ પણ આવી ઘટનાઓથી ભર્યો પડ્યો છે પણ તેમાં ક્રૂરતા ઓછી,યુદ્ધ કૌશલ્ય વધારે હતું.