Veer Rajput ane bhutavadno bheto - 3 - last part books and stories free download online pdf in Gujarati

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો - ૩ ( સંપૂર્ણ )

હવે ફરી રાજા વિક્રમસિંહએ એજ દૃશ્ય જોયા ,એમાં કોઈ જ ફેરફાર નહી.
મનમાં ઘણા પ્રશ્નો અને વિચાર સાથે રાજપૂત ત્યાં સંયમ રાખીને બેઠા.થોડીવાર પછી રાજાને જમવાનું અપાયું , રાજા વિક્રમસિંહ જમવા બેઠા અને શાંતિથી જમી લીધું,ત્યારબાદ ડોશીને કીધું કે માં મારે તમારું કામ છે મારે તમને પ્રશ્ન પૂછવા છે શું હું આપ કહેતા હોય તો પૂછું?
ડોશી બોલ્યા રાજન આપ રાજા છો અને રાજા આજ્ઞા માંગે નહિ, આજ્ઞા આપે.
ત્યારે રાજા બોલ્યા માં હું અત્યારે રાજભવનમાં નથી અને હું મારી માંને મળવા આવ્યો છું એટલે માં આગળ દીકરો રાજા ના કહેવાય,માટે માટે હું તમને પ્રશ્ન કરું એનો મને સાચો જવાબ આપજો.
ડોશી બોલ્યા દીકરા તે મને માં કહી છે તો હું તને કંઈ જ ખોટું નહિ કહું, પૂછ શું પ્રશ્ન છે તારા મગજ મા ?
રાજા બોલ્યા મે તમને પહેલા આવ્યો હતો ત્યારે એક પોટલી આપી હતી ને એ ક્યાં છે?
ડોશી બોલ્યા મને તે સાચવવા આપી હતી એટલે મે પોટલી સાચવી ને જ રાખી છે ,કહેતા ડોશી પોટલી લઈને આવ્યા અને રાજન ના હાથમાં મૂકી દીધી.
વિક્રમસિંહ રાજાએ બીજો પ્રશ્ન કર્યો માતા પણ તે દિવસે હું સૂઈને જાગ્યો ત્યારે અહીંયા કોઈ જ ગામ નહોતું ના કોઈ વ્યક્તિ, અને મને એવું જાણવા મળ્યું છે કે આ ગામમાં ભૂતાવળ ભેગી થાય છે ! માં શું આપ પણ તેમના એક જ છો ? કહેતા રાજાએ જરાક બેઠક બદલી.
ડોશી બોલ્યા હે રાજન હું તમને બધી જ હકીકત કહું પણ તમારે એ વાત આખી સાંભળવી પડશે બોલો મંજૂર હોય તો કહું?
રાજા કહે જરૂર બોલો હું રાજપૂત છું ડર મારા લોહીમાં નથી, અને મદદ કરવા પણ અમારા રાજપૂતની બાહુ હર હંમેશ તત્પર હોય છે. માં નિ:સંકોચ બોલો.
ડોશી બોલ્યા કે રાજન હું મારી દીકરાની વહુ અને આ ગામ આખું ભૂતાવળ જ છીએ અને આ આખું ગામ ખાલી શરદપૂનમના દિવસે જ ઊભું થાય છે ,આ વાત સાચી છે . પણ દીકરા અમે કોઈ ને હજુ સુધી માર્યા નથી પરંતુ લોકો ભૂતાવળના ડર માત્રથી જ મરી ગયા હતા.
માં પણ તમે અને આ આખું ગામ ભૂતાવળ બન્યું કેવીરીતે
અને ગામમાં કોઈ પુરુષ વ્યક્તિ દેખાતા નથી જરા વિગતવાર જણાવશો?
ડોશી બોલ્યા તો સાંભળો રાજન,
આજથી ૧૦૦વર્ષ પહેલાની વાત છે .અમારા ગામના લોકો નગર -નગર ફરી અલગ-અલગ નાચવા -ગાવાના કાર્યક્રમ કરતા અને રૂપિયા કમાઈ બીજા નગરમાં જતાં અને ત્યાં વસવાટ કરી ફરી ત્યાંના રાજા અને નગરવાસી ઓને ખુશ કરવાના રૂપિયા કમાવાના અને પછી બીજે, આમ ચાલતું.
હવે એક સમયે અમે અહી વસવાટ કર્યો ,તે સમયે અહીં થી પૂર્વ દિશામાં તાલિબાન નગરનું એક ગામ હતું ત્યાં નો રાજા સરફરાઝ હતો તે ખૂબ નિર્દય અને ખરાબ હતો.
તેના નગરમાં અમે કાર્યક્રમ કરી પાછા અહીં આવ્યા અને સાંજની રસોઈ કરતાં હતાં. ત્યારે રાજાના રાજદૂત આવ્યા અને ઢંઢેરો પિટ્યો કે બધા જ ગામના લોકો સાંભળો સવારે તમે જે કાર્યક્રમ કર્યો તેનાથી રાજા ખૂબ જ ખુશ થયા છે અને કાલે સવારે તમને બમણું ઈનામ આપવા અહી આવશે ,પરંતુ તે પહેલાં રાજાએ જણાવ્યું છે કે તમારી બધી જ સ્ત્રીઓને આજની રાત રાજાની સેવામાં મોકલો જો તમે આમ નહિ કરો તો ,તમારા કબિલા પર હુમલો કરી અને તમારી સ્ત્રીઓ લઈ જઈશું અને ગુલામ બનાવી દઈશું આવું ફરમાન સંભળાવી રાજદૂત ત્યાંથી ચાલ્યા ગયા.
પછી અમે ગામના પુરુષો અને સ્ત્રીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે રાજાની સેના સામે અમે લડી શકીએ એમ નહતા કેમ કે અમે ખૂબ ઓછા અને સૈન્ય ખૂબ મોટું હતું પણ અમે અમારી ઈજ્જત બચાવવા હૃદય પર પત્થર રાખી એક નિર્ણય લીધો અને અમારામાંથી એક વ્યક્તિની જોડે રાજાને એમના ફરમાનને અમે અમાન્ય ગણ્યું છે એવું જણાવા માટે મોકલ્યો.
અરે માં વિગતવાર કહો તમે શું નિર્ણય લીધો જેના માટે હૃદય પર પથ્થર રાખવો પડ્યો ,પહાડી અને ગુસ્સાવાળા અવાજથી વિક્રમસિંહ રાજા બોલ્યા .
બેટા અમારો સંદેશો રાજાને પહોંચતા રાજાએ અમારી સાથે સૈન્ય યુદ્ધ માટે મોકલ્યું, હવે રાજન તમે વિચારો કેમકે તમે યુદ્ધ ઘણા કર્યા છે ,નાનું સૈન્ય જે અમારું હતું એ ખરેખર તો યુદ્ધમાં કોઈપણ રીતે પારંગત નહોતા તો શું કરે? પણ મરવું પણ નિશ્ચિત હતું અને અમારી ઈજ્જત પણ અમારે બચાવી હતી એટલે નિર્ણય પ્રમાણે અમારા જ પુરુષોએ પોતાની સ્ત્રીઓ અને બાળકોના પોતેજ ગળા કાપી મોતને ઘાટ ઉતાર્યા અને પછી તેઓ તે દુુષ્ટ રાજાના સૈન્ય સામે યુદ્ધમાં વીરગતિ પામ્યા, પરંતુ રાજન અમારા આવા કમોત ના કારણે અમે આખું ગામ ભૂતાવળ બન્યા. અને જે રાતે આ બનાવ બન્યો એ રાત શરદપૂનમની હતી એટલે દર શરદપૂનમના દિવસે જ અહી ભૂતાવળ એકઠી
થાય છે કેમ કે અમારી એ રાજાને મારવાની ઈચ્છા અધૂરી છે અને અમારા મોત પછી પાછળ કોઈ જ અંતિમવિધિ થઈ નથી તેથી અમે બાકીના દિવસે અહી ઝાડના રૂપમાં હોઈએ છીએ અને શરદપુર્ણિમાની રાતે આમ અવગતે ભૂતાવળ બનીને ભટકિયે છીએ.
પણ રાજન એ ખરાબ રાજા હજુ જીવે જ છે અને તેનો દીકરો પણ આજ રીતે સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે એમ કહેતા ડોશી રડવા લાગ્યા.
ડોશીમાંની વાત પૂરી થતાં જ વીરરાજા રાજપૂત વિક્રમસિંહ ઊભા થયા અને તેમણે કહ્યું માં હું તમને માં કહું છું તેથી હું તમારો દીકરો જ છું હું તમારી ઈચ્છા પૂરી કરીશ અને અંતિમવિધિ કરી આખા ગામને મુક્તિ અપાવીશ .
માં આવતી કાલે એ રાજાનો છેલ્લો દિવસ છે હવે એની સામે એક વીર રાજપૂત ઊભો છે બોલાવી લે એ એના મોટામાં મોટા સૈન્યને હું એનું નામ આ બ્રહ્માંડમાંથી ભૂસી નાખીશ . કહી રાજા એક ડગલું આગળ મૂક્યું.
ડોશીએ રાજાની સામે જોયુ તો જાણે એ વિક્રમસિંહ રાજા નહિ પણ દેવાધિદેવ મહાદેવનો અવતાર કાલભૈરવ હોય એવું લાગ્યું ,એના ગુસ્સા ભરેલા મગજથી જાણે આભ ફાટીને જમીનદોસ્ત થઈ જશે એમ લાગતું હતું ,એના ચાલમાં એવો રુઆબ આવી ગયો હતો જાણે ધરતીના ટુકડાં થઈ જવાના હોય ,એના કમર પર લટકેલી તલવાર પણ જાણે ગુસ્સાથી મ્યાનને કાપીને બહાર નીકળવાની હોય એમ લાગતું હતું,એના હાથ જોઈને એવું લાગતું હતું જાણે રાજપૂત વિક્રમસિંહના હાથ હવે પેલા દુષ્ટની ખોપડી ફાડી નાખવા ઉત્સુક બન્યા હોય,એનું આખું અંગ યુદ્ધ માટે ઉ્તેજિત થઈ ગયું હતું . ડોશીમાં આવી રુદ્રરૂપ જોઈ પહેલાં તો ડરી ગયા, કદાચ એ પહેલી ઘટના હશે કે ભૂતાવળ માણસને જોઈને ડર પામ્યું હોય . પણ ડોશીમાં બોલ્યા બેટા ઘણો સમય પસાર થઈ ગયો છે હવે તું અમારા કારણે દુશ્મન બનાવીશ નહિ.
રાજા બોલ્યા અરે માં હું રાજા ના હોત તો પણ હું એક રાજપૂત છું અને અમારી શરણે બહેન - દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત માને છે હું એ કોમનો છું અને આ સાંભળીને જો હું બેસી રહું તો મારું લોહી લાજે,માં એનો કોઈ રાજપૂત જોડે પાલો પડ્યો નહી હોય જો ઈશ્વર તમારી ભૂતાવળને ૨૪ કલાક માટે આ ગામના રૂપમાં રાખતી હોય તો હું ધરતીના સાત પડ ફાડી પાતાળમાંથી એ રાજા તો શું એના આખા સૈન્યના દરેક સૈનિકના ગળા કાપી તારા પગ પર ધરી દઉં, માં બોલ આમ થાય એમ છે? તો કાલે જ તમારા આખા ગામના ભૂતાવળની મુક્તિ કરાવી દઉં.
ડોશીમાં તો અવાચક થઈ ગયા જાણે સમય ઊભો થઈ ગયો ,પવન થંભી ગયો , જાણે સૂરજ કરતા આજે વિક્રમસિંહ રાજપૂતનો તાપ વધી ગયો ,આવું દ્રશ્ય પેલા ક્યારેય ડોશીએ જોયુ નહોતું.
ડોશી બોલ્યા બેટા અમે ૨ દિવસ સુધી આમ ભૂતાવળ ગામ રાખીને રહી શકીએ છીએ પણ જો તું પાછો આવવામાં મોડું થાય તો તારું આખું ગામ ભૂતાવળમાં ફરી જશે બોલ તને એ મંજૂર છે? કેમકે આવું કરવું એ પ્રકૃતિ વિરૂદ્ધ છે.
રાજપૂત બોલ્યા અરે બેન - દીકરીની લાજ જતી હોય એ જોવું રાજપૂતની વિરૂદ્ધ છે .એટલું બોલતાં જ,
રાજાએ ત્યાંથી પોતાનો ઘોડો એના પોતાના ગામ તરફ દોડાવ્યો ,
બગડદમ,બગડદમ,બગડદમ,બગડદમ રાજાના ઘોડાનો આટલો ઝડપથી અવાજ સાંભળતા સેનાપતિ અને મંત્રીઓ દોડી આવ્યા અને પૂછ્યું શું થયું રાજન ?
રાજાએ વાત જલદી જણાવી અને કહ્યું એક દૂતને મોકલો પેલા દુષ્ટ રાજાને ત્યાં અને સંદેશો મોકલાવો આજે રાજા વિક્રમસિંહ નહિ બહેન - દીકરીઓનો ભાઈ રાજપૂત કોમનો એક વીર સપૂત એની જોડે યુદ્ધ કરવા આવે છે ,એમ કહી રાજાએ દૂતને સંદેશો લઈને મોકલ્યો અને પોતાની સેના તૈયાર કરી. ત્યાં જવા બધા રવાના થયા.
આ બાજુ પેલા દુષ્ટને સંદેશો મળ્યો એટલે પહેલાં તો એને રાજા વિક્રમસિંહના દૂતને મારી નાખ્યો ,અને પછી પોતાનું સૈન્ય તૈયાર કર્યું .
રાજા વિક્રમસિંહ કરતા તેનું સૈન્ય ૩ ગણુ વિશાળ હતું .
એટલે એ નિશ્ચિત રૂપે બેઠો હતો.
જોત જોતામાં તો રાજપૂતોની સેના ત્યાં આવી ચડી , એ સેનાના દરેક સૈનિક જાણે એક ધારદાર તલવાર હતા , અને સ્વયં રાજા જાણે મહારુદ્ર હતા .
રાજા વિક્રમસિંહએ એકલા હાથે જ ૭૦,૦૦૦ સૈનિક, ૩૫૦ હાથી, ૬૦૦ ઘોડા, ૧૫૦૦ રથ, ૧૬ મહેલના કિલ્લા તોડી નાખ્યાં .
આ જોઈ હવે દુષ્ટ રાજા અને તેનો દીકરો બને ગભરાયા અને તે બંને ત્યાંથી ભાગ્યા તે જોઈ રાજા પણ તેની પાછળ ગયા ,અંતે સમય પેલા દુષ્ટને ત્યાંજ લઇ ગયો જ્યાં ભૂતાવળ ભરાતી હતી , વિક્રમસિંહ રાજાએ ત્યાંજ બંને બાપ-દીકરાને પકડી ડોશીમાં અને આખા ગામ સામે બહુ જ આકરી રીતે માર્યા અને તેમના મસ્તક ડોશીના પગ આગળ મૂકીને મૂછ પર હાથ ફેરવતા વીર રાજપૂત બોલ્યા માં મારું બોલેલું વચન પૂરું થયું ,તમારા ગુનેગારને મે માર્યા અને જુઓ તમારી અંતિમવિધિ માટે મે અમારા રાજપુરોહિતને પણ બોલાવ્યા છે જે યોગ્ય વિધિ કરાવી આપશે અને આપ સૌને મુક્તિ મળશે.
આ જોઈ ડોશીમાં સહિત આખા ગામે રાજાને આશીર્વાદ આપ્યા અને તેમને અમુક દિવ્ય -શક્તિ પણ પ્રદાન કરી.
પૂજા વિધિ પૂર્ણ થતાં એક -એક આત્માને મુક્તિ મળતી ગઈ અને અંતે બધી આત્મા રાજાને આશીર્વાદ આપી ત્યાંથી સ્વધામગમન પામી, અને રાજા વિક્રમસિંહ તેમના નગરમાં પાછા ફર્યા અને શાંતિ પૂર્વક રાજ કર્યું.

આમ નાનકડા ક્રિશિવને નાનાએ કહ્યું બોલ બેટા હવે તને બીક લાગશે? તો ક્રિશિવ બોલ્યો ના દાદા હવે હું પણ વીર રાજપૂત રાજા જેવો જ બનીશ.
પણ દાદા આ વાત સાચી છે કે ખોટી કે ખાલી વાર્તા જ છે? એવો પ્રશ્ન એણે દાદાને કર્યો, ત્યારે દાદાએ કહ્યું બેટા વાત સાચી છે ,આ વાત મે એક ડાયરામાં સાંભળેલી પણ ઉંમરના કારણે અમુક ગામના નામ યાદ ન રહે એટલે તને બીજા નામ દીધા વળી વાર્તામાં તને થોડી મજા પણ આવે એટલે વાર્તાની છટા એવી રાખવી પડે. પણ આ વાત સાચી છે જામનગર બાજુ આ વાત વર્ષો પહેલાં બની ગયેલી છે ,આ એક સત્ય ઘટના છે બેટા .
આપણાં દેશમાં બેન - દીકરીઓ માટે રાજપૂત સમાજનો
વિશાળ ફાળો છે જે કદી ભૂલવું ના જોઈએ.
કહી દાદા ત્યાંથી જતાં રહ્યા.

©- લી.અંકિત કે ત્રિવેદી 'મેઘ'