Graam Swaraj - 7 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 7

જાતમહેનત

કુદરત ઇચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઇએ, તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલાં જ પાઠના ભંગ સમાન છે... જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કસો અર્થ નથી, અને આળસું માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે.૧

રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ. શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે, એ મુળ શોધ ટૉલ્સટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહિં યજ્ઞનોઅર્થ જાતમહેનત અથવા રોટી મજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે હો, આપણા આ વ્રતની એ ઉત્પત્તિ છે.

બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઇ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? બાઇબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’ કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્યા કરે ને તેના મોંમાં કોઇ ખાવાનું મૂકે ત્યારે ખાય તો તે લાંબો વખત ખાઇ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથમોં હલાવીને. જો આમ કોઇક રીતે અંગકસરત રાય-રંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહું કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કોઇ કહેતું નથી. અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસોનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દસ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીયનો ભેદ ટળી જાય. અત્યારે તો જ્યાં ઊંચનીચની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઇ છે.

માલિક-મજૂરનો ભેદ સર્વવ્યાપક થઇ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઇ કરે છે. જો સહું રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય. ને પછી ધનિક વર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે.

જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું તો ખેતી જ છે. પણ સહું તે નથી કરી શકતા એવી અત્યારે તોસ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરશે એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે.

જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્ય, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે.૨

હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં રહેલું છે. જો આપણે બધાં આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો શોધવા બહુ દૂર નહીં જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે. અને તેની પાછળ જેટલાં વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે. શ્રીકૃષ્ણે આજ ઉપદેશ નીચેના અમર શબ્દોમાં આપ્યો છેઃ

‘તારો અધિકાર કેવળ કર્મનો છે, ફળનો નહીં,’ અહીં કર્મ એટલે ફરજ; ફળ એટલે હક.૩

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશું-પંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેના ઇલાજ જાણી લેવાના જ હોય છે; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજો શોધી કાઢવાના જ રહ્યા. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઇલાજ છે.૪

સૌ પોતપોતાની રોટી માટે શરીરશ્રમ કરે તો સૌને પૂરતો ખોરાક અને પૂરતી ફુરસદ મળી રહે. પછી વધારે પડતી વસ્તીની બુમ નહીં હોય, રોગ નહીં અને ચારે બાજુ નજરે પડતાં દુઃખો નહીં હોય. આ મજૂરી યજ્ઞનું ઊંચું સ્વરૂપ હશે. અલબત્ત, માણસ તેના શરીર દ્ધારા બીજી અનેક વસ્તુઓ કરશે. પણ તે બધી સાર્વજનિક લાભને માટે કરેલી મહેનત હશે. પછી કોઇ તવંગર નહીં હોય ને કોઇ ગરીબ નહીં હોય; કોઇ ઊંચ ને કોઇ નીચ નહીં હોય; કોઇ સ્પૃશ્ય ને કઇ અસ્પૃશ્ય નહીં હોય.

આ આદર્શને પહોંચવું કદાચ ન હોય. પણ તેથી આપણે તેને માટે મથતા અટકવું ન જોઇએ. યજ્ઞના નિયમનો એટલે કે માનવ જીવનના નિયમનો સંપૂર્ણ અમલ ન કરી શકીએ, પણ આપવી રોજેરોજેની રોટી માટે પૂરતો શરીરશ્રમ કરીએ તોયે આ આદર્શની ઘણા નજીક પહોંચી જઇએ.

આમ કરીએ તો આપણી જરૂરિયાતો ઘણી ઓછી થઇ જશે. આપણો ખોરાક સાદો થશે. પછી આપણે જીવવા માટે ખાઇશું, ખાવા માટે નહીં જીવીએ. આ સિદ્ધાંતની સચ્ચાઇ વિશે જેને શંકા હોય તે પોતાના ગુજરાન માટે પરસેવો પાડી જુએ. શરીરશ્રમ કરીને કમાયેલો રોટલો તેને મીઠો લાગશે, તેની તબિયત સુધરશે અને તેને ખાતરી થશે કે જે અનેક ચીજો તે ખાતો હતો તેમાંથી ઘણી ખરેખર બિનજરૂરી થશે કે જે અનેક ચીજો તે ખાતો હતો તેમાંની ઘણી ખરેખર બિનજરૂરી હતી.૫

બુદ્ધિપૂર્વક કરેલી ‘બ્રેડ લેબર’ એ ઊંચમાં ઊંચા પ્રકારની સમાજસેવા છે.

‘શ્રમ’ની આગળ ‘બુદ્ધપૂર્વક કરેલો’ એ વિશેષણ લગાડ્યું છે તે એમ બતાવવાને માટે કે શ્રમ એ સમાજસેવામાં ત્યારે જ ખપી શકે જ્યારે એની પાછળ સેવાનો નિશ્ચિત હેતુ રહેલો હોય. નહીં તો દરેક મજૂર સમાજસેવા કરે છે એમ કહેવાય. એક રીતે તો એ સમાજની સેવા કરે જ છે, પણ જે સેવાની અહીંયાં વાત છે તે ઘણા ઊંચા પ્રકારની છે. જે માણસ સર્વના હિતને અર્થે શ્રમ કરે છે તે સમાજની સેવા કરે છે, અને તેનું પેટ ભરાય એટલું મેળવવાનો હક છે. તેથી એવા પ્રકારની ‘બ્રેડ લેબર’ સમાજસેવાથી ભિન્ન નથી.૬

માણસ બૌદ્‌ધ્ક શ્રમ કરીને રોટલો ન કમાઇ શકે ? ના. શરીરની જરૂરિયાત શરીર દ્ધારા જ પૂરી પાડવી જોઇએ. ‘રાજાનું હોય તે રાજાને સોંપો,’ એ કહેવત કદાચ અહીં બરાબર બંધ બેસે છે.

કેવળ માનસિક, એટલે કે બૌદ્ધિક શ્રમ આત્માને માટે છે અને તે શ્રમ કરતાં થતો સંતોષ તે જ તેનો બદલો છે. બીજા બદલાની અપેક્ષા રાખવાની ન હોય. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો વગેરે કેવળ સમાજના લાભ માટે જ કામ કરશે, સ્વાર્થ માટે નહીં. રોટી-મજૂરીના નિયમનું પાલન કરવાથી સમાજના બંધારણમાં મૂક ક્રાંતિ થઇ જશે. જીવનસંગ્રામને બદલે પરસ્પરની સેવા માટે મથવામાં માણસની ફતેહ ગણાશે. પશુના કાયદાનું સ્થાન મનુષ્યનો કાયદો લેશે.

‘ગામડામાં પાછા જાઓ’ નો અર્થ છે : રોટી-મજૂરી અને તેમાં જે અર્થ સમાયેલો હોય તે બધાનો સ્પષ્ટ અને સ્વેચ્છાપૂર્વકનો સ્વીકાર. પણ ટીકાકર કહે છે : “ભારતનાં કરોડો સંતાનો આજે ગામડામાં જ રહે છે. તેમ છતાં તેઓ અર્ધ ભૂખમરો વેઠે છે.” આ વાત તદ્દન સાચી છે, એ દુઃખની વાત છે. સદ્‌ભાગ્યે આપણે એટલું જાણીએ છીએ કે તેઓ સ્વચ્છાએ ત્યાં રહેતા નથી. તેમનું ચાલે તો તેઓ મજૂરી કરવાનું છોડી દઇને નજીકના શહેરમાં સગવડ મળે તો ત્યાં દોડી જાય. માલિકનો હુકમ ફરજિયાત ઉઠાવવો પડે એ ગુલામીની દશા છે; પિતાની આજ્ઞાનું રાજીખુશીથી પાલન કરવું એ પુત્રત્વનું ગૌરવ છે. તે જ રીતે રોટી-મજૂરીના કાયદાનું ફરજિયાત પાલન કરવું ગરીબાઇ, રોગ અને અંસતોષ પેદા કરે છે. એ ગુલામીની સ્થિતિ છે. તે જ કાયદાનું સ્વચ્છાપૂર્વક પાલન કરવામાં આવે તો તે સંતોષ અને તંદુરસ્તી આપે. અને તંદુરસ્તી એ જ ખરી દોલત છે; સોનારૂપાનાં ચકરડાં નહી.૭

ભિક્ષાવૃત્તિ

પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સત્તા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી, આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉત્તેજન આપ્યું છે. આવાં અપાત્ર દાનથી દેશની ભૌતિક કેઆધ્યાત્મિક સંપત્તિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે જ્યાં ભોજન માટે કામ કરવા ઇચ્છતાં સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામ આપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય ! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલયમાં ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વણવા સુધીની કોઇ પણ ક્રિયા આદર્શ ઉદ્યોગ ગણાય. પણઆ તેમને પસંદ ન હોય તો બીજું કોઇ પણ કામ કરાવી શકાય. શરતમાત્ર એટલી કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’

જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક મજૂરી કરવાની હોય એવી સંસ્થા - પરિશ્રમાલય - ચલાવવી એ અઘરું કામ છે. આર્થિક દૃષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતા અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઇને તેમને ભોજન આપવાનું ઘણું મોંઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઇ રહેલી રખડુઓની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.૮

મને લાગે જ છે કે ભીખને ઉત્તેજન આપવું ખોટું છે, છતાં હું ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં. એ જો કામ ન કરે તો એને હું ભૂખ્યો જવા દઉં. જે અપંગ છે, લૂલાંપાંગળાં છે, આંધળા છે તેમને સરકાર પોષવાં જોઇએ. પણ અંધાપાના ઢોંગને નામે કે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઇ ગયા છે. એમને આ લાલચમાં પાડવા એના કરતાં એમને કયાંક અનાથાશ્રમમાં લઇ જવા એ સારું છે.