Graam Swaraj - 6 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 6

ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો

૧.માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી

આપણે જે કાંઇ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઇએ.૧

ધ્યેય તો માણસોનું સુખ અને સાથે સાથે તેમનો સંપૂર્ણ માનસિક ને નૈતિક વિકાસ સાધવાનું છે. ‘નૈતિક’ શબ્દ હું ‘આધ્યાત્મિક’ ના પર્યાયરૂપે વાપરું છું, આ ધ્યેય તો જ સધાય જો આ યોજનાની વ્યવસ્થા ગામડાં માંકામ કરાનારાઓના હાથમાં રહે. એક હાથમાં કે ઘણા થોડા હાથમાં અધિકાર કે વ્યવસ્થાનાં સૂત્રો રહે એ વસ્તુનો સમાજની અહિંસક રચના સાથે મેળ ખાય એમ નથી.૨

આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં, એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યમ મળી રહે. અને જો આવી સ્થિતિ આખા જગતને વિષે આપણે ઇચ્છતા હોઇએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક મનુષ્યને પોતાની પાસે રહેવાં જોઇએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ રાખવો ન જોઇએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે અથવા હોવો જોઇએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઇએ. તેનો ઇજારો કોઇ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એન્યાય નહીં પણ અન્યાય છે. આ મહાન સિદ્ધાંતનો અમલમાંઅને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી જ આ દેશમાં અને જગતમાંના બીજા ભાગમાં પણ ભૂખનું દુઃખ વર્ત્યા કરે છે.૩

નૈતિક આંકને કોરે મૂકે છે અગર તેની ઉપેક્ષા કરે છે તે અર્થશાસ્ત્ર ખોટું છે. અર્થશાસ્ત્રના પ્રદેશમાં અહિંસાનિયમનો વિસ્તાર કરીએ તો એનો અર્થ ચોખ્ખો છે કે આંતરરાષ્ટ્રીય વેપારવણજના નિયમનમાં પણ નૈતિક આંકનો ભાવ પુછાય.૪

દરેક માણસને જીવવાનો અધિકાર છે; અને તેથી તે પોતે અન્ન, અને જ્યાં જરૂર હોય ત્યાં વસ્ત્ર તથા આશ્રય મેળવી શકે એ માટે જરૂરી ધંધો મેળવવાનો એને અધિકાર છે.૫

‘આવતી કાલની ચિંતા ન કરો’ એ આદેશનો પડઘો આપણને દુનિયાનાં લગભગ બધાં ધર્મશાસ્ત્રીમાંથી સાંભળવા મળે છે. સુવ્યવસ્થિત સમાજમાં પોતાના નિર્વાહ માટે રોજી મેળવવાનું દુનિયામાં સહેલામાં સહેલું હોવું જોઇએ, અને એમ જાણવા મળે છે પણ ખરું. સાચે જ, દેશની સુવ્યવસ્થાની કસોટી તેમાં કેટલા કરોડપતિઓ છે એ નહીં પણ તેની આમજનતામાં ભૂખમરો ન હોય એ છે.૬

જે યોજનામાં દેશના માણસોની હકીકતમાં વધારે સમર્થ શક્તિને અવગણીને કેવળ દેશનાકાચા માલનો વધારેમાં વધારે ઉપયોગ કરી લેવાનો આશય રાખવામાં આવ્યો હશે તે એકાંગી હશે એટલે કે તેમાં એક જ બાજુનો વિચાર થયો હશે અને તેનાથી માણસોમાં સમાનતા આવવાની નથી... .

તેથી હિંદુસ્તાનમાં વસતાં કોટયવધિ માણસોની સમગ્ર શક્તિને એકત્રિત કરી તેનો સારામાં સારો ઉપયોગ કરવામાં... . સાચું આર્થિક નિયોજન સમાયેલું છે.૭

એક પણ સશક્ય પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખોરાક વગરનાં રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઇએ.૮

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરકો હક જેટલો પશુંપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઇલાજ જાણી લેવાના જ હોય છે; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજો શોધી કાઢવાનાં જ રહ્યાં. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો અલાજ છે.૯

૨. જાતમહેનત

મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ?૧૦

‘તારો રોટલો પરસેવો પાડી મહેનત કરીને કમાજે,’ એમ બાઇબલ કહે છે. યજ્ઞો ઘણા પ્રકારના હોઇ શકે. સૌ કોઇ પોતાનો એક સહેજે રોટલો કમાવાની મજૂરી હોઇ શકે. સૌ કોઇ પોતાનો રોટલો મેળવવા પૂરતી જ મજૂરી કરે ને તેથી વધારે ન કરે તો સૌ કોઇને પૂરતો ખોરાક અને પૂરતી નવરાશ મળે. પછી વધારેપડતી વસ્તીની બૂમ નહીં રહે, રોગ ને બીમારી નહીં રહે, અને આજે ચારે કોર જોવામાં આવે છે તેવું દુઃખ પણ નહીં રહે. આવી મજૂરી ઉત્તમ પ્રકારનો યજ્ઞ બને. પોતાના શરીર મારફતે અગર મન મારફતે માણસો બેશક બીજાં ઘણાં કામો કરતાં રહેશે, પણ એ બધી સર્વના ભલાને માટે પ્રેમથી કરેલી મજૂરી અથવા સેવા હશે. પછી કોઇ તવંગરને કોઇ ગરીબ, કોઇ ઉંચા ને કોઇ નીચા, કોઇ સ્પર્શ્ય ને કોઇ અસ્પર્શ્ય જોવાના નહીં મળે.૧૧

દુઃખથી રિબાતાં હિંદનાં કરોડો બાળક એક જ કાવ્યની આશા રાખે છે - સત્ત્વ આપનારા અનાજની. એ અનાજની ભેટ થઇ શકે તેમ નથી. તેઓએ તો કમાવું જોઇએ. અને તે કમાવા પૂરતી મજૂરી જ તેઓ માગે છે.૧૨

‘ગામડાંમાં પાછા જાઓે’ નો અર્થ છે : રોટી મજૂરી અને તેમાં જે જે અર્થ સમાયેલો હોય તે બધાને સ્પષ્ટ અને સ્વચ્છાપૂર્વકનો સ્વીકાર.૧૩

બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું જ મહત્ત્વનું ને જરૂરી છે અને જીવનની સળંગ યોજનામાં બેશક તેનું સ્થાન છે. પણ મારોઆગ્રહ હરેક માણસે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઇએ એવો છે. મારો દાવો છે કે કોઇ પણ માણસ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથી મુક્ત ન હોય.૧૪

ઇશ્વરે માણસને પોતાના પેટને સારુ મજૂરી કરવા પેદા કર્યો છે, અને તેણે કહ્યું છે કે, જેઓ મજૂરી કર્યા વિના ખાય છે તે ચોર છે.૧૫

૩. સમાનતા

જેમ બધું સાચું નીતિશાસ્ત્ર, તેના નામ પ્રમાણે, સારું અર્થશાસ્ત્ર પણ હોવું જોઇએ તેમ સાચું અર્થશાસ્ત્ર ઊંચામાં ઊંચા નૈતિક ધોરણને વિરોધી ન હોય. જે અર્થશાસ્ત્ર ધનપૂજનો ઉપદેશ કર્યા કરે છે અને નબળાઓને ભોગે જબરાઓને ધનસંચય કરવા દે છે તે ખોટું શાસ્ત્ર છે. એ ઘાતક છે. બીજી બાજું સાચું અર્થશાસ્ત્ર સામાજિક ન્યાયને માટે ખડું છે, તે નબળામાં નબળા સહિત સૌનું ભલું કરવાનો પ્રયત્ન કરે છે તેમ જ સભ્ય જીવન માટે તે અનિવાર્ય છે.૧૬

મારે તો સૌનો દરજ્જો સમાન બનાવવો છે.૧૭

મારો આદર્શ તો સમાન વહેંચણીનો જ છે પણ હું જોઇ શકું છું ત્યાં સુધી એની પ્રાપ્તિ સંભવિત નથી. તેથી હું ન્યાય્ય વહેંચણીના ધોરણ પર કામ લઉં છું.૧૮

આર્થિક સમાનતાનો મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાનેમાટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવાનો. એનો અર્થ એવો થાય છે કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો કર્યો છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધાં ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલું રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજ્યવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમનીપડખે જ આવેલાં ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બન્ને આપમેળે રાજીખુશીથી છોડી દઇ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

ટ્રસ્ટીપણાના મારા સિદ્ધાન્તને ઘણો હસી કાઢવામાં આવ્યો છે છતાં હું હજી તેને વળગી રહું છું. તેને પહોંચવાનું એટલે કે તેનો પૂરેેપૂરો અમલ કરવાનું કામ કપરું છે એ વાત સાચી છે. અહિંસાનું એવું નથી ? પણ ૧૯૨૦ની સાલમાં સીધું ચઢાણ ચઢવાનો આપણે સંકલ્પ કર્યો.૧૯

આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપત્તિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપત્તિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઇ શકે અને બીજાને વીસ તોલા જોઇએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઇએ, બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઇએ, અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.૨૦

૪. ટ્રસ્ટીપણું

આર્થિક સમાનતાની જડમાં ધનિકનું ટ્રસ્ટીપણું રહ્યું છે. એ આદર્શ પ્રમાણે ધનિકને પોતાના પાડોશી કરતાં એક કોડી પણ વધારે રાખવાનો અધિકાર નથી. ત્યારે શું વધારાનું એની પાસેથી છીનવી લેવું ? એમ કરતાં હિંસાનો આશ્રય લેવો પડે. અને હિંસા વડે એમ કરવું સંભવે તોય સમાજને તેથી ફાયદો ન થાય. કેમ કે દ્ધવ્ય એકઠું કરવાની શક્તિ ધરાવનાર એક માણસની શક્તિને સમાજ ખોઇ બેસે. એટલે અહિંસક માર્ગ એ થયો કે માન્ય થઇ શકે એટલી તેની હાજત પૂરી પાડી બાકીનાનો તે પ્રજાની વતી ટ્રસ્ટી બને. જો પ્રામાણીકપણે સંરક્ષક બને તો જે દ્ધવ્ય તે ઉત્પન્ન કરશે તેનો સદ્‌વ્યય પણ કરશે. વળી જ્યારે મનુષ્ય પોતાને સમાજના કલ્યાણને અર્થે ધન કમાય, સમાજના કલ્યાણને અર્થે તે વાપરે ત્યારે તેની કમાણીમાં શુદ્ધતા આવશે, તેના સાહસમાં પણ અહિંસા હશે. આ પ્રમાણે જો કાર્યપ્રણાલી ગોઠવાય તો સમાજમાં વગર ઘર્ષણે મૂક ક્રાન્તિ પેદા થાય.

પણ ઘણા પ્રયત્ન છતાં જો ધનિક લોકો ખરા સંરક્ષક ન બને અને અહિંસાને નામે ભૂખે મરતાં કરોડો વધારે ને વધારે કચરાતાં જાય તો શું કરવું ? એ કોયડાનો ઉકેેલ શોધતાં જ અહિંસક અસહકાર અને અહિંસક કાનૂનભંગ સાંપડ્યા. કોઇ ધનવાન સમાજના ગરીબોના સહકાર વિના ધન નથી કમાઇ શકતો. મનુષ્યને પોતાની હિંસક શક્તિનું ભાન છે, કેમ કે તે તો તેને લાખો વર્ષ પૂર્વે વારસામાં ઊતરી. તેના ચાર પગ મટીને જ્યારે તેના બે પગને હાથનો આકાર મળ્યો ત્યારે તેનામાં અહિંસાની શક્તિ પણ આવી. હિંસાશક્તિનું તો તેને મૂળથી ભાન હતું. પણ અહિંસાનું ભાન ધીમે ધીમે પણ અચૂક રોજ વધવા લાગ્યું. એ ભાન ગરીબોમાં પ્રસરે એટલે તે બળિયા થાય ને જે આર્થિક અસમાનતાના તેઓ ભોગ થયા છે તેને અહિંસક માર્ગે દૂર કરતાં શીખે.૨૧

૫. વિકેન્દ્રીકરણ

જો હિંદુે અહિંસક ધોરણે પોતાનો અભ્યુદય સાધવો હોય તો હું કહું છું કેએણે ઘણી બાબતોમાં કેન્દ્રીકરણને નહીં પણ વિસ્તૃતીકરણ કરવું પડશે. કેન્દ્રીકરણને પૂરતા પ્રમાણમાં બળનો ઉપયોગ કર્યા વગર નભાવી કે બચાવી શકાય નહીં. સાદાં ઘર અને કુટુંબો જેમની પાસેથી લૂંટી લઇ જવા જેવું કશું જ ખાસ ન હોય તેની રક્ષાને સારુ પોલીસની જરૂર ન પડે. ધનિકોની મહેલાતો ઘાડલૂંટથી સાચવવા મજબૂત ચોકિયાતો રાખવા પડે. તેવું ગંજાવર કારખાનાં વિષે. લશ્કરી દરિયાઇ તેમ જ હવાઇ બળોથી શહેરી ધોરણે સંગઠિત થયેલા હિંદના કરતાં ગ્રામરચનાને ધોરણે સંગઠિત થયેલા હિંદને વિદેશી હુમલાનું જોખમ ઓછું નડશે.૨૨

તમે અહિંસાની રચના મિલોની સંસ્કૃતિ પર કરી શકવાના નથી, પણ એ સ્વાશ્રયી ગામડાં પર રચી શકાશે... મેં કલ્પેલી છે તેવી ગામઠી અર્થવ્યવસ્થામાં શોષણનો પૂરેપૂરો છેદ ઉડાવી દીધેલો છે શોષણ આવ્યું કે હિંસા આવી જ.૨૩

૬. સ્વદેશી

સ્વદેસી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે.

આપણે સ્વદેશી સિદ્ધાંતનું પાલન કરતા હોઇએ, તો તમારી અને મારી આ ફરજ કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પડોશીએ શોધી કાઢવા જોઇએ. તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઇએ. આમ કહેવા ટાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પડોશીઓ છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાં છે. આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તેમ હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઇ માયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સૂકવી નાખવું,એ ગાંડાઇ છે. છતાં હજારો હિંદુઓ મુસલમાનોનાં ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસોને જો એક વખત એવી ખાતરી થઇ જાય કે, તેઓનો ધર્મ માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઇ કપડાં પહેરવાનો અથવા બીજો કોઇ ખોરાક લેવાને લલચાશે નહીં.૨૪

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડુબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકાષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં, એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.૨૫

૭. સ્વાવલંબન

સમાજનું એકમ એક કાલ્પનિક ગામ યા જૂથ હોવું જોઇએ. તે એકમ સ્વાવલંબી રહી શકે અને જૂથની અંદર પરસ્પરાવલંબન તો રહેવું જ જોઇએ.૨૬

પોતાની જરૂરિયાતો જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની દરેક ગામની પહેલી ફરજ ગણાશે.૨૭

ખાદીનું મૂળ તત્ત્વ જ એ છે કે દરેક ગામને અન્ન અને વસ્ત્રના સંબંધમાં સ્વાશ્રયી બનાવી દેવું.૨૮

કાંતનારાઓ પોતે કપાસ ઉગાડતા ન થઇ જાય અથવા તો દરેક ગામમાં કપાસનું વાવેતર ન હોય તો એ સ્વાવલંબી ખાદી સફળ નથી થવાની. એટલે સ્વાવલંબી ખાદીની દૃષ્ટીએ તો દરેક ઠેકાણે કપાસની ખેતી થવી જ જોઇશે.૨૯

દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય.૩૦

૮. સહકાર

બની શકે ત્યાં સુધી દરેકે દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે.૩૧

ખેડૂતોનેમાટે સહકારી પદ્ધતિની ઘણી વધારે જરૂર છે. હું ચોક્કસ માનું છું કે જમીનની માલકી રાજ્યની હોય. એટલે તેના પર સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જ વધારેમાં વધારે નીપજ થાય.

વળી એ પણ યાદ રાખવું જોઇએ કે સહકારી પદ્ધતિ ચૂસ્ત અહિંસાના પાયા પર જ રચવી જોઇએ.૩૨

૯. સત્યાગ્રહ

દરેક ગ્રામસમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે.૩૩

૧૦. સૌ ધર્મોનું સરખું સ્થાન

દરેક ધર્મનું સરખા દરજ્જાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવાં છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલા હોવાથી, તેના થડને હલાવવાને કોઇ સમર્થ નથી. ગમે તેવા જોરાવર. તોફાની પવનથી તે હાલે તેમ નથી.૩૪

૧૧. પંચાયતરાજ

નિયમ પ્રમાણેની નક્કિ કરવામાંઆવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે.૩૫

આ પંચાયતને જરૂરી બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માઢે ગામની ધારાસભા, ન્યાયાધીશી, અને કાર્યવાહક મંડળ બનશે.૩૬

ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્તવયનાં પાંચ સ્ત્રી-પુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે.

પાસે પાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને.

આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખું હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતોનાં આવાં જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટયે જાત. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કામ કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે તેને ચૂંટનારાઓ ઇચ્છે ત્યાં સુધી બધાં જુથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમને દોરવણી આપે.૩૭

૧૨. પાયાની કેળવણી

કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઇ કેળવણી નથી. એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઇક ઉપયોગી હાથઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનોઆરંભ થાય તે ક્ષણેથી એને કંઇક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઇ શકે. માત્ર શરત એ છે કે એ નિશાળોએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ.