Graam Swaraj - 19 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 19

૧૯

ખાદિ અને હાથકાંતણ

ખાદી એટલે દેશના બદા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઇ વસ્તુ કેવી છે તે વાપરવાથી જણાય. ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઇ કહું છું તેમાં સાચી વાત કેટીલ છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઇએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી જોઇએ ને રાખવી જોઇએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. અત્યારે આ બાબતમાં આપણો જે ક્રમ છે તે ઉલટાવી નાખવાની આ વાત છે. એટલે કે આજે હિંદુસ્તાનના સાત લાખ ગામડાંઓને ચૂસીને પાયમાલ કરી હિંદનાં તેમ જ ગ્રેટ બ્રિટનનાં મળીને પાંચ પંદર શહેરો ગબ્બર થાય તેને બદલે તે બધાં ગામડાંઓ સ્વાવલંબી તેમ જ સ્વંયસંપૂર્ણ થાય અને બન્ને પક્ષને લાભ થાય તે રીતે પોતાની ખુશીથી હિંદનાં શહેરોને અને બહારની દુનિયાનેયે ઉપયોગી થાય.

આનો અર્થ એવો થાય છે કે આપણામાંથી ઘણાએ પોતાના માનસમાં તેમ જ રુચિમાં ધરમૂળથી પલટો કરવો જોઇશે. અહિંસાનો રસ્તો ઘણી બાબતોમાં બહુ સુતરો છે તો વળી બીજી ઘણી બાબતોમાં બહુ કપરો છે. તે હિંદુસ્તાનના એકેએક વતનીના જીવન પર ઊંડી અસર કરે છે, પોતાની અંદર સૂતેલી ને આજ સુધી અણછતી રહેલી શક્તિઓનું તેને ભાન કરાવી તે શક્તિ ને સત્તા આપણી પાસે છે એવા જ્ઞાનથી તેને ઉત્સાહ આપે છે અને હિંદી માનવસમૂહના મહાસાગરનાં અનેક ટીપાંમાંનું હું પણ એક છું એવા અનુભવથી તે મગરૂબ થાય છે. જમાનાઓથી જે માંદલી વૃત્તિને આપણી ભૂલમાં આપણે અહિંસા કહેતા હતા ને માનતા હતા તે અહિંસા આ નથી, માનવજાતિએ આજ સુધી જે અનેક શક્તિઓ જોઇ છે તે બધી કરતાં આ અહિંસા વધારે જોરાવર શક્તિ છે, ને તેના પર જ માનવજાતિની હયાતીનો આધાર છે. વળી આ અહિંસા તે શક્તિ છે જેનો મહાસભાને અને તેની મારફતે આખી દુનિયાને પરિચય કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મારે મને ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ‘હિંદની આઝાદીનો પોશાક છે’.

વળી ખાદી માનસનો અર્થ થાય છે જીવનની જરૂરીયાતોની પેદાશ તેમ જ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાન્ત ઘડાયો છે તે એ છે કે, દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

આટલે સુધી ખાદીમાં કઇ કઇ બાબતો સમાયેલી છે તેની સમજૂતી આપીને હવે તેનું કાર્ય આગળ વધારવાને સહાસભાવાદીઓ શું શું કરી શકે ને તેમણે શું શું કરવું તે મારે બતાવવું જોઇએ. ખાદીની બનાવટમાં આટલી બાબતો આવે છે : કપાસ ઉગાડવો, કપાસ વણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઇ. આમાંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરૂરી અંગે જરૂરી તેમ જ મહત્ત્વમાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકેએક કામ ગામડાંઓમાં સારી રીતે થઇ શકે તેવું છે; અને હકીકતમાં અખિલ ભારત ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે. તે બધાંમાં એ કામો આજે ચાલુ છે.

ખાદીના કામને અંગે મહાસભા તરફથી જે હાકલ કરવામાં આવી છે તેને મહાસભાવાદીઓ વફાદાર રહેવા માગતા હોય તો ખાદીકાર્યની યોજનામાં તેમણે કેવી રીતે ને કેટલો ભાગ લેવાનો છે તે વિષે જે જે સૂચનાઓ અખિલ ભારત ચરખા સંઘ તરફથી વખતોવખત કાઢવામાં આવે છે તેમનો તેમણે બરાબર અમલ કરવો જોઇએ. અહીં તો હું થોડાક સામાન્ય નિયમો જણાવું.

૧. જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય તેણે ઓછામાં ઓછો પોતાના વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો. કપાસ ઉગાડવાનું કામ પ્રમાણમાં બહુ સહેલું છે. એક જમાનામાં બિહારના ખેડૂતો પર કાયદાથી એવી ફરજ લાદવામાં આવી હતી કે પોતાની ખેડી શકાય તેવી જમીનના ૩/૨૪ ભાગમાં તેમણે ગળીનું વાવેતર કરવું. આ ફરજ પરદેશી નીલવરોના સ્વાર્થને ખાતર ખેડૂતો પર નાખવામાં આવી હતી. તો આપણે રાષ્ટ્રતા હિતને ખાતર આપણી જમીનના થોડા ભાગમાં આપમેળે સમજીને ખુશીથી કપાસ કેમ ન કરીએ ? અહીં વાચકના ધ્યાન પર એ વાત આવી જશે કે ખાદીકામમાં જુદાં જુદાં અંગોમાં વિકેન્દ્રીકરણનું તત્ત્વ છેક પાયામાંથી દાખલ થાય છે. આજે કપાસનું વાવેતર ને ખેતી એક જ ઠેકાણે મોટા પાયા પર કરવામાં આવે છે અને હિંદના દૂર દૂરના ભાગોમાં તે મોકલવો પડે છે. લડાઇ પહેલાં એ બધો કપાસ મોટે ભાગે ઇંગ્લંડ અને જાપાન મોકલવામાં આવતો હતો.પહેલાં કપાસની ખેતી કપાસનું વેચાણ કરીને રોકડ નાણું મેળવવાના હેતુથી કરવામાં આવતી હતી અને હજીયે તેમ જ થાય છે, અને તેથી કપાસ કે રૂના બજારની તેજીમંદી ખેડૂતની આવક પર અસર કરે છે. ખાદીકાર્યની યોજનામાં કપાસની ખેતી આ સટ્ટામાંથી અને જુગારના દાવ જેવી હાલતમાંથી ઊગરી જાય છે. એ યોજનામાં ખેડૂત પ્રથમ પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખેતી કરે છે. પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે. આટલું શીખીને ખેડૂતો જો તે પ્રમાણે પોતાનું કામ કરતા થાય તો બજારની મંદીથી તેમને પાયમાલ થવાનો વારો નહીં આવે.

૨. કાંતનારની પાસે પોતાનો કપાસ ન હોય તો તેણે લોઢવાને માટે જોઇએ તેટલો કપાસ વેચાતો લઇ લેવો. લોઢવાનું કામ હાથ ચરખાની મદદ વિના પણ બહુ સહેલાઇથી થાય તેવું છે. એક પાટિયું ને એક લોઢાનો ટુંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી લેવાને પૂરતું સાધન છે. જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાના વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય છે. અનુભવ એવો છે કે મજૂરીની મહેનતની વહેંચણી જેટલી વધારે એટલે કે કામ જેટલા વધારે હાથે થાય તેટલા પ્રમાણમાં તેને માટે જરૂરી ઓજારો ને હથિયારો સોંઘાં ને સાદાં. પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય.

હવે કાંતણ સુધીના જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકી સાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો ! વળી ગરીબ ને તવંગર સૌ એક જ જાતનું કામ કરે તો તેમાંથી નીપજતા પ્રીતિના બંધથી બંધાઇ પોતપોતાના ભેદો ભૂલીને કેટલાં સરખાં થાય તેનો ખ્યાલ કરો !

મહાસભાવાદીઓ ખરા જિગરથી આ કામમાં લાગે તો કાંતવાનાં ને બીજાં ઓજારોમાં નવા નવા સુધારા કરતા રહેશે ને ઘણી નવી નવી શોધખોળ કરશે. આપણા દેશમાં બુદ્ધિ ને મજૂરીની છેક ફારગતી થઇ ગઇ છે. પરિણામે આપણું જીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું થઇ ગયું છે. મેં અહીં સુધી દર્શાવ્યું છે તે ધોરણે તે બન્નેનું એટલે કે બુદ્ધિનું ને મજૂરીનું અતૂટ લગ્ન થાય તો તેનાં જે ફળ આવશે તેનો આંક બંધાય તેવો નથી.

સેવાને અર્થે કરવાના કાંતણની આ રાષ્ટ્રવ્યાપી યોજના પાર પાડવાને આપણાં સામાન્ય સ્ત્રી અથવા પુરુષે રોજ કલાકથી વધારે વખત આપવાની જરૂર રહેશે એમ મને નથી લાગતું.૧

રેંટિયાનો સંદેશ તેના પરિઘ કરતાં વધું વિશાળ છે એ તો છે જ. એ સંદેશ સાદાઇનો, માનવજાતિની સેવાનો, પોતાથી બીજા કોઇને ઇજા ન પહોંચે તેવી રીતે અહિંસાપૂર્વક જીવન ગાળવાનો, ગરીબ તવંગર વચ્ચે, મૂડીવાળા અને મજૂર વચ્ચે, રાજા અને ખેડૂત વચ્ચે અતૂટ સંબંધ બાંધવાનો છે. આ વિશાળ સંદેશો સ્વાભાવિકપણે જ સૌ કોઇને માટે છે.૨

સૌથી અદના માણસને પણ સૌથી શ્રેષ્ઠના જેવું જ મળી રહેવું જોઇએ, એ વિધાનમાં સમાયેલા અર્થને હું સંપૂર્ણપણે માનું છું. દુનિયા આપણી સાથે જેવી રીતે વર્તે એવી આપણે ઇચ્છા રાખીએ, તેવી જ રીતે આપણે જાતે સૌથી નાનામાં નાની વ્યકિત, અદનામાં અદના માણસ તરફ વર્તવું જોઇએ. એટલે કે, સૌને જીવનનો વિકાસ કરવાની અને જીવન સાર્થક કરવાની એકસરખી તક મળી રહેવી જોઇએ. તક આપવામાં આવે તો માણસમાત્ર સરખી રીતે પોતપોતાનો આધ્યાત્મિક વિકાસ સાધવાને સમર્થ થાય. રેંટિયો આ મહાન સત્યનું પ્રતીક છે.૩

વધારેમાં વધારે સ્વીકાર્ય અને ઉત્તમ શ્રમયજ્ઞ તરીકે મને રેંટિયો જ સૂઝે છે. આપણે બધા એક કલાક ગરીબોને જે મજૂરી કરવી પડે છે તે કરીએ અને એ રીતે તેમની સાથે તથા તેમની મારફત સમગ્ર માનવજાત સાથે એકતા સાધીએ એના કરતાં વધારે ઉમદા કે વધારે રાષ્ટ્રીય કંઇ હું કલ્પી શકતો નથી. ઇશ્વરને નામે મારે ગરીબોને માટે તેમની માફક મજૂરી કરવી જોઈએ. એનાથી વધુ સારી ઇશ્વરપૂજા હું કલ્પી શકતો નથી. રેંટિયા દ્ધારા દુનિયાની દોલતની વધુ ન્યાયી વહેંચણી થાય છે.૪

મારી પાકી ખાતરી છે કે હાથકાંતણ અને હાથવણાટના પુનર્જીવનથી હિંદુસ્તાનના આર્થિક અને નૈતિક પુનરુદ્ધારમાં વધારેમાં વધારે મદદ થશે. કરોડો પાસે ખેતીના પૂરક ધંધા તરીકે સાદો ઉદ્યોગ હોવો જોઇએ. કાંતણ વર્ષો પહેલાં ગૃહઉદ્યોગ હતો, અને જો કરોડોને ભૂખમરાથી બચાવવા હોય તો તેમનાં ઘરોમાં તેઓ કાંતણ ફરી દાખલ કરી શકે તેવી સ્થિતિ ઊભી કરવી જોઇએ. અને દરેક ગામે પોતાનો વણકર ફરી વસાવી લેવો જોઇએ.૫

હિંદુસ્તાનના હાડપિંજરનું ચિત્ર જો વાચક નજર સમક્ષ રાખે તો તેણે એંસી ટકા લોકો, જેઓ પોતાનાં ખેતરોમાં કામ કરે છે, અને જેમને વરસના ચાર મહિના લગભગ કાંઇ જ ધંધો નથી, અને તેથી જેમને લગભગ ભૂખમરો વેઠવો પડે છે, તેમનો વિચાર કરવો જોઇશે. આ સામાન્ય સ્થિતિ છે. આ ફરજિયાત વેઠવા પડતા આળસમાં વારંવાર પડતા દુકાળો ઘણો ઉમેરો કરે છે. એવું કયું કામ છે જે આ સ્ત્રીપુરુષો સહેલાઇથી પોતાના ઘરમાં બેસીને કરી શકે એમની ટૂંકી આવકમાં ઉમેરો કરી શકે ? હાથકાંતણ જ એ કરી શકશે. અને બીજું કંઇ નહીં કરી શકે, એ વિશે હજીયે કોઇને શંકા છે ?૬

જેમ ઘરમાં રંધાતું અન્ન મોંઘું પડતું નથી ને વીશીનો ખોરાક તેની ગરજ સારી શકતો નથી; તેમ કપડું પણ ઘરખૂણે કંતાય ને વણાય તો મોંઘું ન જ પડે. પચીસ કરોડથી વધારે પ્રજા પોતાના ખપજોગું સૂતર કાંતી લેશે ને તે સૂતરને પોતાના જ ગામના વણકરો પાસે વણાવી લેશે. આટલી પ્રજા પોતાના ગામને વળગીને જ રહેનારી છે અને વરસમાં ઓછામાં ઓછા ચાર મહિના તો તેમને નવરાશના મળે જ છે. એ નવરાશના દહાડામાં જો તેઓ સૂતર કાંતે ને તે વણાવીને પહેરે-ઓઢે, તો તેમની ખાદીની સાથે મિલનું કપડું કોઇ કાળે હરિફાઇમાં ટકી ન શકે. આ રીતે બનેલું કપડું તેમને સસ્તામાં સસ્તું પડ્યું હશે.૭

કાંતણનો દાવો છે કે તે :

૧. જેમને નવરાશ છે અને જેમને થોડા પૈસાની પણ જરૂર છે તેમને સહેલાઇથી ધંધો પૂરો પાડે છે;

૨. હજારો લોકોને એ આવડે છે;

૩. એ સહેલાઇથી શીખી શકાય છે;

૪. એમાં લગભગ કાંઇ જ મૂડી રોકવી પડતી નથી;

૫. રેંટિયો સહેલાઇથી અને સસ્તામાં બનાવી શકાય છે. આપણામાંથી ઘણાને ખબર નહીં હોય કે ઠીકરી અને વાંસની ચીપથી (એટલે કે તકલીથી) પણ કાંતી શકાય છે;

૬. લોકોને એની સામે અરુચિ નથી;

૭. દુકાળ અને અછતને વખતે એ તાત્કાલિક રાહત આપે છે;

૮. પરદેશી કાપડ ખરીદવામાં હિંદુસ્તાન બહાર જતા પૈસાને એ જ એક રોકી શકે છે;

૯. આવી રીતે બચેલા કરોડો રૂપિયા આપોઆપ જ સુપાત્ર ગરીબોમાં વહેંચાઇ જાય છે;

૧૦. તેમાં ઓછામાં ઓછી સફળતા મળે તો તેટલાથી પણ લોકોને તેટલો તાત્કાલિક લાભ થાય છે;

૧૧. લોકોમાં સહકાર કેળવવાનું એ એક પ્રબળ સાધન છે.૮

જનતા પૈસાના અભાવના રોગથી એટલી નથી પીડાતી જેટલી કામના અભાવના રોગથી પીડાય છે. મહેનત એ પૈસા છે. કરોડોને તેમનાં ઝૂંપડાંમાં પ્રતિષ્ઠિત મજૂરી આપનાર તેમને અનાજ અને કપડાં આપે છે એમ કહેવાય. અથવા તો એમ કહો કે પૈસો જ આપે છે. રેંટિયો આવી જ મજૂરી છે. જ્યાં સુધી એનાથી સારું કામ ન મળે ત્યાં સુધી રેંટિયો કાયમ રહેશે.૯

બધી બૂરાઇનું મોટામાં મોટું કારણ - એનું મૂળ - બેરોજગારી છે. જો એના નાશ કરી શકાય તો મોટા ભાગની બૂરીઇ વધારે પ્રયત્ન કર્યા વગર દૂર કરી શકાય. ભૂખે મરતા રાષ્ટ્રમાં આશા કે સૂઝ રહેતી નથી. ગંદકી અને રોગ તરફ તે ઉદાસીન બની જાય છે. બધા સુધારા વિષે એ કહે છે, ‘એનાથી શો લાભ ?’ જીવનદાયી રેંટિયો જ કરોડો માટે નિરાશાના અંધકારને સ્થાને આશાનો પ્રકાશ લાવી શકશે.૧૦

રેંટિયો એ શૂન્યમાંથી સાર વસ્તુ ઉપજાવનારી ચીજ છે. કારણ જો આ પ્રયત્નથી અંતે આપણે પ્રજાના સાઠ કરોડ રૂપિયા બચાવી શકીએ - અને આ અવશ્ય થઇ શકે એવું છે - તો આપણે એક જબ્બર રકમ પ્રજાની કેળવણીમાં ઉમેરી દઇએ એ સ્પષ્ટ છે. વળી આ કામ કરવા જતાં અનાયાસે આપણાં ગામડાંઓ સુસંગઠિત થઇ જાય અને ગરીબમાં ગરીબ વર્ગોમાં જ આ આખી આવક વહેંચાઇ જતી હોવાથી પ્રજામાં આવડા વિશાળ હિસ્સાની આપોઆપ સમાન વહેંચણી થઇ જાય તે જુદું. અને આ બધી ગણતરીમાં અંતે ધનની આવી સમાન વહેંચણીની પ્રજાકીય નીતિમત્તાની દૃષ્ટિએ જે નૈતિક કિંમત છે તે ઉમેરો અને પછી રેંટિયાની કિંમતનો આંક મૂકો એટલે આજે રેંટિયાની હિમાયત કેટલી અગત્યની છે અને તેનો પક્ષ કેટલો જડબેસલાખ છે તે તત્કાળ સમજાશે.૧૧

મારા પ્રવાસોમાં મેં જોયું છે કે કાંતણ અને વણાટના ઉદ્યોગ હજારો હરિજનોને ગુજારો આપે છે, અને જો એનું યોગ્ય સંગઠન કરવામાં આવે તો ઘણા વધારેને ગુજારો આપી શકે. કેટલીક જગાએ તો એવા વણકરો મળી આવે છે જેઓ તેમના ધંધાને કારણે જ અસ્પૃશ્ય ગણાય છે. એ લોકો મોટે ભાગે સાદી ભાત વિનાની, જાડામાં જાડી ખાદી વણનારા હોય છે. આ વર્ગ મરી ફીટવાની અણી પર હતો એટલામાં ખાદી વહારે આવી, અને એમણે બનાવેલા જાડા કાપડને માટે માગ પેદા થઇ. તે વખતે માલૂમ પડ્યું કે સંખ્યાબંધ હરિજન કુટુંબો એવાં છે જે સૂતર કાંતીને પણ રોજી મેળવેે છે, આમ ખાદી એ બે રીતે રંકની જીવાદોરી છે. રંકમાં રંકને અને રંકમાં પણ સૌથી અસહાય એવા હરિજનોને તે જિવાડે છે. હરિજનો અસહાય છે એનું કારણ એ છે કે ઘણા ધંધા જે બીજા કરી શકે છે તે હરિજન કરી શકતા નથી.૧૨

જેઓ બ્રહ્મચર્ય પાળવાને ઇચ્છે તેઓની પાસે હું રેંટિયો રજૂ કરું છું એ હાસ્યજનક નથી, પણ અનુભવનું વચન છે. જેને વિકારમાત્રનો ત્યાગ કરવો છે તેને શાંતિની આવશ્યકતા છે. તેનો ઉકળાટ શમી જવો જોઇએ. રેંટિયા પ્રવૃત્તિ એ એવી ધીમી અને શાંત પ્રવૃત્તિ છે કે ભાવનાપૂર્વક ચલાવનારના વિકારો તેથી શાંત થયા છે... વિકારનો વેગ વાયુના વેગ કરતાં પણ ચંપળ છે. તેને શમાવવા સારુ ધીરજ જોઇએ. એ ધીરજ કેળવવામાં રેંટિયો એ જબરદસ્ત સાધન થઇ પડે છે.૧૩

ખાદી વાટે બચાવ કરવો એટલે કરોડોનું સંગઠન, કરોડોની શક્તિનો સંગ્રહ, કરોડોમાં દેશસેવકોનું ઓતપ્રોત થવું. આવા મહાન કાર્યને સાંગોપાંગ ઉતારવું એટલે આપણને આપણી શક્તિનુંભાન થવું. ઝીણી ઝીણી ગૂંચવણો ઉકેલવાનું જ્ઞાન આપણે ન મેળવીએ, પાઇએ પાઇનો હિસાબ રાખવાનું આપણે ન શીખીએ, ગામડાંઓમાં રહેતાં આપણને ન આવડે, રસ્તામાં આવતી અનેક ખાઇઓ ન પૂરી શકીએ, અનેક ડુંગરો આપણે ન ખોદી શકીએ ત્યાં સુધી આ વસ્તુ અસંભવિત છે. રેંટિયો અને ખાદી એ આ શક્તિની ઉત્પત્તિનાં નિમિત્તમાત્ર છે.૧૪

એક એક ઉદ્યોગ લઇને તેના ગુણદોષ જોઇને અલગ કરતા જઇએ તો કરોડોને માટે સાર્વત્રિક ઉદ્યોગ કાંતવા સિવાય બીજો એકે નથી. એનો અર્થ એ નથી કે બીજા ઉદ્યોગોની કિંમત નથી અથવા નકામા છે. વ્યક્તિગત દૃષ્ટિથી તો કાંતવાના કરતાં બીજો કોઇ પણ ઉદ્યોગ વધારે રોજી આપનારો છે. ઘડિયાળ બનાવવાના ધંધામાંથી વધારેમાં વધારે પૈસા પેદા થાય અને વધારેમાં વધારે આનંદ આવે. પણ એમાં કેટલા કામે લાગી શકે ? એમાં કરોડો ગામડિયાઓને કામે લગાડી શકાય ? જો ગામડિયાઓ પોતાના ગૃહની પુનઃપ્રતિષ્ઠા કરી શકે, પોતાના બાપદાદા રહેતા તેમ રહેવા માંડે, તેઓ પોતાનો નકામો વખત કામમાં લગાડવા માંડે તો બીજા ઉદ્યોગોનો આપોઆપ ઉદ્ધાર થશે.૧૫

નવરચના કરવા માટે નિઃસ્વાર્થી, બુદ્ધિમાન, દેશભક્તિપરાયણ અને અનન્ય સેવાભાવથી રેંટિયાના સંદેશાને ગામેગામ ફેલાવીને ભાંગી ગયેલ ગામડાંને સજીવન કરવાના અને તેના દરિદ્રનારાયણોની નિસ્તેજ આંખોમાં અને તેમનાં હૈયામાં આશાના કિરણનો ઉજાસ પૂરવાના સંકલ્પવાળા હિંદીઓની સેના જોઇએ. આનું નામ જ વિશાળ પાયા પરની અને સાચા સ્વરૂપની સહકાર અને પ્રૌઢશિક્ષણ પ્રવૃત્તિ. આમાંથી રેંટિયાના મૂંગા, નિશ્ચિત અને જીવનદાયી ફેરાના જેવી જ મૂંગી અને નિશ્ચિત ક્રાંતિની નિપજ થશે.

રેંટિયા કામના વીસ વર્ષના અનુભવે મારા તરફથી રજૂ કરવામાં આવતી આ દલીલના ખરાપણા વિષે મારા અંતરમાં કશી શંકા રહેવા દીધી નથી. રેંટિયે ગરીબ મુસલમાન તેમ જ હિંદુને લગભગ સરખા જ પ્રમાણમાં ઓથ આપી છે. કશી હોહા વગર કે વાજાં વગાડયા વગર ગામડાંના આ લાખો કારીગરોનાં ગજવાંમાં તેણે અત્યાર લગીમાં પાંચ કરોડ રૂપિયા મૂકી દીધા છે.

તેથી જ હું વગર આનાકાનીએ કહું છું કે રેંટિયો જ બધા ધર્મોવાળી આપણી વિરાટ જનતાને એવું સ્વરાજ અપાવશે. રેંટિયો જ ગામડાંઓને તેના યથાયોગ્ય સ્થાને પાછાં સ્થાપશે અને રેંટિયો જ ઊંચનીચના ભેદોને ભૂંસશે.૧૬

રેંટિયો દેશની બરકતનું અને દેશની મુક્તિનું ચિહ્‌ન છે. દુનિયાના દેશોને દ્ધેષનો નહીં પણ પ્રીતિનો ને સ્વાશ્રયનો સંદેશો તેના મીઠા ગંભીર સૂરથી તે સંભળાવે છે. જગતની શાંતિમાં ભંગાણ પાડનાર દરિયાઇ કાફલાના અંગરક્ષકની તેને જરૂર નથી. કરોડોના એક એટલા દૃઢ નિશ્ચયની જ તેને જરૂર છે કે અમારા જ ઘરમાં આજે જેમ અમે અમારા કુટુંબ માટે અન્ન રાંધી લઇએ છીએ તેમ અમારા જ ઘરમાં અમે અમારા કુટુંબને માટે સૂતર કાંતી લઇશું. મારી ઘણી ભૂલચૂકોને માટે હું ભવિષ્યની પ્રજાના શાપને પાત્ર ભલે હોઉં, પણ રેંટિયાને સજીવન કરવાની સલાહ આપવા સારુ તો તેઓ મને આશિષ જ આપશે એવો મારો અચળ વિશ્વાસ છે. એના ઉપર મારું સર્વસ્વ હું વારી જાઉં છું. કેમ કે રેંટિયાને આંટે આંટે શાંતિના ને પ્રીતિના ને બંધુભાવના તાર કંતાય છે.૧૭

મારો એ દાવો છે કે (ખાદી અને બીજા ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાન કરીને) આપણે એટલો વિકાસ સાધી શકાશું કે સામાન્ય લોકોના દિલમાં સાદાઇ અને સ્વદેશીનો જે આદર્શ પડેલો છે, તેને અનુરૂપ રાષ્ટ્રીય જીવનનું પુનનિર્માણ કરી શકીશું. પછી આપણે એવા સામ્રાજ્યવાદમાં નહીં ઘસડાઇશું કે જેનો પાયો દુનિયાની નબળી જાતિઓના શોષણ પર ચણાયેલો છે, અને ન તો એ ભૌતિકતાવાદી સંસ્કૃતિ સ્વીકારીશું કે જેની રક્ષા શાંતિપૂર્ણ જીવનને લગભગ અશક્ય બનાવી દેનાર નૌકાદળ અનેહવાઇ દળ કરે છે. એથી ઊલટું, આપણે એ સામ્રાજ્યવાદને રાષ્ટ્રોના સંઘના ફેરવશું, જેમાં રાષ્ટ્રો જોડાશે તો તે દુનિયાને તેમની ઉત્તમ વસ્તુ આપવાને માટે અને જગતનાં નબળાં રાષ્ટ્રો અને જાતિઓનું, પશુબળથી નહીં પણ જાતે કષ્ટ ઉઠાવીને રક્ષણ કરવા માટે જોડાશે. આવી કાયાપલટ રેંટિયાની સંપૂર્ણ સફળતા પછી જ આવી શકે. આવો સંદેશો આપવાની હિંદની લાયકાત ત્યારે જ ગણાય જ્યારે તે પોતાની અન્ન અને વસ્ત્રની બે મુખ્ય જરૂરિયાતો પોતે પૂરી કરતું થાય, જેથી બહારના કોઇ દેશને તેના તરફ લાલચું નજર કરવાનું કે હુમલો કરવાનું કારણ નહીં રહે.૧૮

જ્યારે આપણે એક (ખાદીનો) ઉદ્યોગ સજીવન કરીશું ત્યારે બીજા બધા ઉદ્યોગો આપોઆપ એની પાછળ સજીવન થશે. હું રેંટિયાને પાયાનો ઉદ્યોગ બનાવીને તેના પર સુદૃઢ ગ્રામસજીવનની રચના કરવા ઇચ્છું, રેંટિયાને મધ્યબિંદુ બનાવીને તેની આસપાસ બીજા ઉદ્યોગોવિકસે એમ હું કરું.૧૯

ખાદીનો આદર્શ હંમેશા ગામડાંના ઉત્થાનના સૌથી સમર્થ સાધનનો અને તેની મારફત જનતામાં સાચી શક્તિ નિર્માણ કરવાનો રહ્યો છે, જે આપોઆપ સ્વરાજ પ્રાપ્ત કરે.૨૦

મારો અનુભવ મને એમ કહે છે કે, શહેરો અનેે ગામડાં બંનેમાં ખાદી સાર્વત્રિક કરવા માટે સૂતરના બદલામાં જ ખાદી મળવી જોઇએ. વખત જતાં લોકો પોતે જ સૂતરના ચલણ મારફત ખાદી ખરીદવાનો આગ્રહ રાખશે એવી હું આશા રાખું છું. પણ જો એમ નહીં થયું અને લોકો મન વિના સૂતર પેદા કરશે તો મને ડર છે કે, અહિંસા મારફત સ્વરાજ મેળવવાનું અશક્ય બનશે.

એ નક્કી છે કે, મિલો અને શહેરોની સંખ્યા વધવાથી હિંદુસ્તાનના કરોડો લોકોની સમૃદ્ધિમાં ઉમેરો નહીં થાય. ઊલટું, એથી બેકારોની ગરીબીમાં વધારો થશે અને ભૂખમરાને કારણે થતાબધા રોગો વધશે. આ દશા શહેરમાં રહેનારાઓ શાંત ચિત્તથી જોઇ શકે તો કશું વધુ કહેવાનું રહેતું નથી. એવી સ્થિતિમાં હિંદુસ્તાનમાં સત્ય અને અહિંસાનું નહીં પણ હિંસાનું રાજ્ય હશે. અને આપણે કબૂલ કરવું જોઇશે કે, એમાં સ્વાભાવિકપણે જ ખાદીને સ્થાન નહીં હોય. પછી તો લશ્કરી તાલિમ બધા માટે ફરજિયાત હશે. પણ આપણે કરોડો ભૂખ્યા લોકોની દૃષ્ટિએ જ વિચારવું જોઇએ. તેમને બેઠા કરવા હોય, તેમને જિવાડવા હોય તો રેંટિયાને મધ્યવર્તિ પ્રવૃત્તિનું સ્થાન આપવું જોઇએ અને લોકોએ સ્વેચ્છાએ કાંતવું જોઇએ.૨૧

આપણા કામનો આરંભ બહું નાના પાયા પર થયો હતો. મેં રેંટિયાનું કામ શરૂ કર્યું ત્યારે મારી સાથે વિઠ્ઠલદાસભાઇ અને થોડી બહેનો હતી. એમને હું મારી વાત સમજાવી શક્યો હતો. મગનલાલભાઇ વગેરે બીજા પણ હતા. તેઓ ક્યાં જવાના હતા. એમને તો મારી સાથે જીવવાનું ને મારી સાથે મરવાનું હતું. આજે કરોડ બે કરોડ માણસો રેંટિયાની અસર નીચે આવી ગયાં છે. રેંટિયામાં સ્વરાજ્ય મેળવવાની શક્તિ છે, એવું આપણે આજ સુધી કહેતા આવ્યા છીએ. રેંટિયા દ્ધારા આટલાં વર્ષોમાં ગામડાંના લોકોને ઘણા પૈસા પહોંચાડી શક્યા છીએ. શું આજે પણ આપણે કહી શકીએ છીએ કે રેંટિયા વગર સ્વરાજ્ય નહીં આવે ? જ્યાં સુધી રેંટિયો આપણે આપણો આ દાવો સિદ્ધ નહીં કરી શકીએ ત્યાં સુધી રેંટિયો આપણે માટે લાચાર માણસનો આધાર માત્ર બની જાય છે. એ મુક્તિમંત્ર બનતો નથી.

બીજી વાત એ છે કે આપણે આપણી આ વાત કરોડોને સમજાવી શક્યા નથી. આજે એ કરોડોને ન તો રેંટિયા વિષે કાંઇ જિજ્ઞાસા છે કે ન જ્ઞાન. કૉંગ્રેસે રેંટિયો અપનાવ્યો ખરો પણ શું તેણે એ પોતાની ખુશીથી અપનાવ્યો છે ? નહીં. એ તો રેંટિયાને મારી ખાતર સહન કરે છે. સમાજવાદીઓ તો એની હાંસી કરે છે. એની વિરુદ્ધ એમણે વ્યાખ્યાના પણ આપ્યાં છે, અને ઘણું લખ્યું પણ છે. એનો પ્રત્યક્ષ જવાબ આપણી પાસે નથી. હું એમને કેવી રીતે ખાતરી કરી આપું કે રેંટિયા દ્ધારા સ્વરાજ્ય પ્રાપ્ત થઇ શકે છે. આટલા વર્ષોમાં તો એ દાવો હું સિદ્ધ નથી કરી શક્યા.

હવે ત્રીજી વાત. અહિંસા કોઇ આકાશની વસ્તુ નથી. એ જો આકાશની વસ્તુ હોય તો તે મારા કામની નથી. હું ધરતીમાંથી આવ્યો છું અને એમાં જ મળી જવાનો છું. જો અહિંસા સાચેસાચ કોઇ વસ્તુ છે તો હું એનું દર્શન આ ધરતી પર, મારા જીવન દરમ્યાન જ કરવા ઇચ્છું છું, અને એ અહિંસા કરોડો લોકો જેનું પાલન કરી શકે તેવી હોવી જોઇએ. એ અહિંસા જે સમાજનાં કોમળતા આદિ ગુણો પડેલા છે ત્યાં તો નહીં બીજે ક્યાં હશે?

હિંસાવાદીને ઘેર જાઓ તો જોશો કે ક્યાંક વાઘનું ચામડું ટાંગેલું છે તો ક્યાંક હરણના શિગડાં, દીવાલ પર તલવાર ને બંદૂક છે. હું વાઇસરૉયને ઘેર ગયો છું; મુસોલિનીને ઘેર પણ મને લઇ ગયા હતા. ત્યાં મેેં ચારે બાજું શસ્ત્રો ટિંગાડેલાં જોયાં. મને શસ્ત્રોનો સલામી અપાઇ. કારણ એ જ એમનું પ્રતીક છે.

એવી જ રીતે આપણે માટે અહિંસાનું પ્રત્યક્ષ દર્શન કરાવનારું પ્રતીક રેંટિયો છે. પણ આપણે એવું કાર્ય કરી બતાવીએ ત્યારે જ એ સિદ્ધ થાયને ? મુસોલિનીના દરબારમાં તલવાર હતી તે કહેતી હતી - જો તું મને અડંકશે તો હું કાપી નાખીશ. એમાં હિંસાનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તે કહે છે - મને અડકો અને મારો પ્રતાપ જુઓ. એવી જ રીતે આપણે રેંટિયાનો પ્રતાપ સિદ્ધ કરવો જોઇએ કે રેંટિયાના દર્શન માત્રથી અહિંસાનું દર્શન થવું જોઇએ. પરંતુ આજે આપણે કંગાળ બની ગયા છીએ. સમાજવાદીઓને શો જવાબ આપીએ ? એ લોકો કહે છે કે, આટલાં વર્ષોથી રેંટિયાનું રટણ કરીને તમે કઇ સિદ્ધિ મેળવી ?

મુસલમાનોના વખતમાં પણ રેંટિયા ચાલતા હતા. તે દિવસોમાં ઢાકાની મલમલ બનતી હતી. પઅણ ત્યારેય રેંટિયો કંગાલિયતની જ નિશાની હતો, અહિંસાની નિશાની નહોતો. બાદશાહો સ્ત્રીઓ પાસે અને નીચામાં નીચા વર્ગનાં માણસો પાસે વેઠ કરાવતા હતા. ત્યાર પછી ઇસ્ટ ઇંડિયા કંપનીએ પણ તેમ જ કર્યું. કૌટિલ્યના ્‌અર્થશાસ્ત્રમાં પણ વેઠની વાતનો ઉલ્લેખ છે. ત્યારતી જ રેંટિયો હિંસા અને જોર-જબરજસ્તીનું પ્રતીક બન્યો હતો. રેંટિયા ચલાવનારને મુઠ્ઠીભર અનાજ કે બે દમડી મળતી હતી. પણતેમના સૂતરની મલમલ ગજની ગજ પહેર્યા છતાં પણ બાદશાહોની બેગમો વસ્ત્રરહિત દેખાતી એટલી બારીક હતી.

પરંતુ તમને મેં જે રેંટિયો આપ્યો છે તે અહિંસાના પ્રતીક તરીકે આપ્યો છે. જો આ વાત આ પહેલાં મેં તમને ન કહી હોય તો તે મારી ભુલ છે. હું પાંગળો છું, ધીરે ધીરે ચાલનારો છું. તોપણ હું માનું છું કે આજ સુધી જે કામ થયું છે તે નકામુંં નથી ગયું.

હવે ચોથી વાત. રેંટિયા વગર સ્વરાજ્ય નહીં મેળવી શકાય એ વાત આપણએ સાબિત કરી નથી. કૉંગ્રેસવાળાઓને આ વાત નહીં સમજાવી શકો ત્યાંં સુધી એ સાબિત નહીં કરી શકાય. રેંટિયો અને કૉંગ્રેસ એ એકબીજાના પર્યાયવાચી શબ્દો બનવા જોઇએ.

અહિંસાની શ્રેષ્ઠતા સાબિત કરવાનું કામ અઘરું છે. જ્યાં સુધી આપણે એનો મર્મ સમજીએ નહીં ત્યાં સુધી એની સચ્ચાઇ આપણા ધ્યાનમાં આવવાની નથી. આજ સુધી આ વાતનું હું સમર્થન કરતો આવ્યો છું. જગત મારી પરીક્ષા કરશે. જો મારી આ રેંટિયાનીવાતમાં તે મારી મૂર્ખતા સિદ્ધ કરે તો ભલે કરે; પણ જે રેંટિયો સૈકાઓ સુધી કંગાલિયત, લાચારી, જુલમ અને વેઠનું પ્રતીક હતો તેને આપણે આધુનિક જગતની સૌથી મોટી અહિંસક શક્તિ, સંગઠન અને અર્થવ્યવસ્થાનું પ્રતીક બનાવવાનું બીડું ઝડપ્યું છે. અને આ બધું હું તમારી મારફત કરવા માગું છું.

આ બધી વાતો સાંભળ્યા પછી પણ જો તમે માનતા ન હો કે રેંટિયામાં સ્વરાજ્ય મેળવવાની શક્તિ છે તો તમે મને છોડી દેજો. આમાં તમારી પરીક્ષા છે. શ્રદ્ધા ન હોવા છતાં બતાવશો અને મને છેતરશો તો દેશનું ઘણું અકલ્યાણ કરશો. મારા અંતિમ દિવસોેમાં તમે મને છેતરો નહીં, એવી મારી તમને નમ્ર પ્રાર્થના છે.

જો આજ સુધીની કાર્યપ્રણાલીમાં દોષ રહ્યો હોય તો એને માટે જવાબદાર હું છું. કારણ કે આ બધું જાણવા છતાં પણ હું એનો પ્રમુખ રહ્યો છું. પરંતુ આપણે હવે ગઇગુજરી ભૂલી જઇએ. શું આજે આપણે સાચા દિલથી માનીએ છીએ કે રેંટિયો અહિંસાનું પ્રતીક છે ? એવું માનનારા આપણામાં કેટલા છે ?

આ જે આપણો ત્રિરંગી ઝંડો છે, એ શું છે ? અમુક ગજ પહોળો અને અમુક ગજ લાંબો એક ખાદીનો ટુકડો જ છે ને ? એને બદલે તમે બીજો પણ ચઢાવી શકો. પરંતુ એમાં ભાવના છે, એણે ભાવના પેદા કરી છે. એ સ્વરાજનું પ્રતીક છે. કોમી એકતાનું પ્રતીક છે, એને આપણે ભૂલીશું નહીં. એને માટે આપણે મરવા તૈયાર છીએ. એવી જ રીતે અહિંસાનું પ્રતીક આ રેંટિયો છે.

આ રેંટિયાને નામે મારા વિચારનો ધોધ તમારી પાસે વહી રહ્યો છે. એને સ્વાવલંબન કહો કે બીજું કાંઇ કહો. રાષ્ટ્રીય સંગઠન અને સ્વાવલંબનને નામે ખુદ પશ્ચિમના દેશોમાં અને એ દેશો તરફથી કરોડોનું રક્તશોષણ થઇ રહ્યું છે. આપણું સ્વાવલંબન એવું નથી. આ તો શોષણમાંથી અને જબરજસ્તીમાંથી છૂટવાનો માર્ગ છે. મારે શબ્દો સાથે સંબંધ નથી વસ્તુ સાથે છે. છતાં શબ્દોમાં ચમત્કાર ભરેલો હોય છે. શબ્દો ભાવનાને દેહ આપે છે, અને ભાવના શબ્દોની મદદથી સાકાર બને છે.

આપણા ધર્મમાં સાકાર-નિરાકારનો ઝઘડો હંમેશાં ચાલતો આવ્યો છે. સાકારવાદીઓ સગુણ ભક્તિને શ્રેષ્ઠ માને છે. એ ભાવના અનુસાર જો અહિંસાની ઉપાસના કરવી હોય તો રેંટિયાને એની સાકાર મૂર્તિ - એનું પ્રતીક-માનીને એને આંખ સામે રાખવું જોઇએ. હું અહિંસાનું દર્શન કરવા માગું છું ત્યારે મને રેંટિયાનું દર્શન થાય છે. જે નિરાકારવાદી છે તે તો કહેશે કે કૃષ્ણ કોણ છે ? એ તો પહાડાની ટોચ પર અને આકાશનાં વાદળાં પર ચાલવાવાળો છે. આપણે ધરતી પર ચાલવાવાળા છીએ. આપણે આપણી મર્યાદા સમજીને જે વસ્તુ આપણે માટે સાકાર ઇશ્વરનું - આપણી અમૂર્ત શ્રદ્ધાનું અને ભાવનાનું - પ્રતીક બને તેવી હોય તેને પસંદ કરીએ છીએ. તમે આ સત્યનું દર્શન કરી શકશો તો હું રેંટિયા પર આટલો ભાર શા માટે મૂકું છું તે સમજી જશો. જાજૂજી સાથે પણ મેં આટલી દૃઢતાથી પહેલાં કદી વાત કરી નહોતી. જેરાજાણી કહે છે કે હું ઉતાવળ કરી રહ્યો છું. પરંતુ રેંટિયાની મારી ઉપાસનાની પાછળ જે ભાવના છે એને પોતાના દિલમાં સ્થાન આપ્યા વગર સો વર્ષે પણ અહિંસાનું દર્શન થવાનું નથી. મને રેંટિયામાં અહિંસાની શક્તિનું જે દર્શન થયું છે તે તમે જ્યારે મારા જેવું હ્ય્દય લઇને એની પાસે જશો, એને ચલાવશો ત્યારે જ થશે ને ? એથી જ કહું છું કે કાં તો મને છોડી દો અથવા મને સાથ આપો. જો મારી સાથે ચાલવા માગતા હો, તો હું તમને યોજના આપીશ, બધું જ કરીશ. જો હજી તમે બધા સમજ્યા ન હો તો આખો દિવસ તમારી સાથે બેસીશ. સમજ્યા વગર કહેશો કે સમજી ગયા તો છેતરાશો અને છેતરશો. આપણે કાંઇ શંભુમેળો ભેગો કર્યો નથી. આપણે એવા પામર થોડા જ થઇ ગયા છીએ કે લૂખા-સૂકા ટુકડા માટે પડી રહીશું ? દેશમાં ઢગલાબંધ સેવાનું કામ પડ્યું છે. મારી શ્રદ્ધા મને ઊંચે લઇ જશે, તેમને નહીં. એટલા માટે ભ્રમમાં ન રહેશો. મને સારો રસ્તો કાપવા દો. જો એમ સાબિત થશે કે હું ભ્રમમાં રહ્યો, મારી રેંટિયા વિષેની માન્યતા નરી મૂર્તિપૂજા હતી, તો કાં તો તમે એ જ રેંટિયાના લાકડાથી મને બાળશો, અથવા તો હું જ જાતે એ રેંટિયાને મારે હાથે બાળીશ.

જો ચરખા સંઘ બંધ જ થવાનો હોય તો આપણે હાથે જ એને બંધ કરી દઇએ. સૂરજનો ઉદય થતાં ઝાકળબિંદુઓ નાશ પામે છે તેમ બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. પછી જે રેંટિયાએ આપણને મૂંઝવણમાં નાખ્યા છે, તે થોડાક લોકોના હાથમાં રહી જશે. અને ત્યારે તેમના હાથમાં તે મોટું શસ્ત્ર પણ થઇ પડે. જો તમે એને મૂર્ખાઇભરી ચીજ માનતા હો તો હું એક મૂર્ખતાસંઘ ચલાવવા અને હિંદુસ્તાનને નીચે પાડવા નથી માગતો. જો તમે આ રેંટિયામાંથી અહિંસાનું દર્શન કરાવી શકશો તો તમારો રેંટિયો ફક્ત ચાલવા જ નહીં પણ દોડવા લાગશે. પછી તેને જીવતો રાખવાની ચિંતા તમારે કરવાની નહીં રહે.

હું ફરીથી કહું છું કે કાં તો સાથ તમે છોડી દો અથવા નવી વસ્તુ અપનાવીને મારી સાથે ચાલો. બે વર્ષની તપશ્ચર્યા પછી આ નવી ચીજ લઇને હું આવ્યો છું. એ તમને આપી શકીશ કે નહીં, એની મને ખબર નથી. પરંતુ આપવાની કોશિશ તો કરી જ રહ્યો છું. હવે મને સાથ આપવાની કોશિશ તો કરી જ રહ્યો છું. હવે મને સાથ આપવાનું તમારે માટે અઘરું થતું જાય છે. જો તમને સમજાવી શક્યો હોઉં તો એક કામ કરો. જેઓ ંમારી સાથે રહેવા માંગતા હોય તેઓ મને લખી આપો કે આજથી રેંટિયાને અમે અહિંસાનું પ્રતીક માનીએ છીએ. આજે તમારે નિર્ણય કરી લેવાનો છે, જો તમે રેંટિયાને અહિંસાનું પ્રતીક ન માનતા હો, ન માની શકતા હો, છતાં મને સાથ આપતા રહેશો તો તમે પોતે મુશ્કેલીમાં મુકાશો જ અને મને પણ ડુબાડશો.૨૨

ખાદીનો એક યુગ પૂરો થયો. ગરીબોના લાભને માટે ખાદીએ કાંઇક મેળવ્યું છે. હવે આપણે બતાવવાનું છે કે ગરીબો સ્વાવલંબી કેવી રીતે થઇ શકે, ખાદી કેવી રીતે અહિંસાનું પ્રતીક બની શકે, એ આપણું સાચું કામ છે. એને વિશેની આપણી શ્રદ્ધાનું પ્રત્યક્ષ પ્રમાણ આપવું જોઇશે.૨૩

મેં જોયું કે જ્યાં સુધી આપણે ચરખાનો સંદેશો ઘેરઘેર ન પહોંચાડીએ ત્યાં સુધી આપણું કામ અધૂરું જ છે.૨૪

આપણે સૌ એમ જ માનીએ કે રેંટિયો જ અન્નપૂર્ણા છે. જો ચાળીસ કરોડ જનતા એ સમજી જાય તો પછી રેંટિયાની પ્રવૃત્તિને માટે એક કોડી પણ ખર્ચવાની જરૂર નથી. તો પછી સલ્તનત તરફથી નીકળનારાં ફરમાનોથી ડરવાનું કાંઇ કારણ નથી. તેમ જ ધનિકોના મોઢા સામે તાકી રહેવાની પણ જરૂર નથી. આપણે પોતે જ કેન્દ્ર બની જઇશું અને લોકો દોડતા દોડતા આપણી પાસે આવશે. કામ શોધવા માટે પણ એમને બીજે જવું નહીં પડે. દરેક ગામડું આઝાદ હિંદુસ્તાનનું એક એક ચક્રબિંદુ બની જશે. મુંબઇ, સલકત્તા, જેવાં શહેરોથી નહીં પરંતુ સાત લાખ ગામડાંઓમાં, ચાળીસ કરોડ જનતાથી આઝાદ હિંદુસ્તાન ઓળખાશે. પછી હિંદુ-મુસલમાનનો પ્રશ્ન, અસ્પૃશ્યતાની સમસ્યા, ટંટાફિસાદ, ગેરસમજૂતીઓ, હરીફાઇ વગેરે રહેશે નહીં. આ જ કામને માટે સંઘની હસ્તી છે. એને માટે જ આપણે જીવવાનું છે અને મરવાનું પણ છે.૨૫

પહેલું સ્થાન રેંટિયાનું છે. એની સાધનામાંથી જ ગ્રામોદ્યોગ, નઇ તાલિમ વગેરે બીજી ચીજો પેદા થઇ છે. જો આપણે રેંટિયાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરીશું તો ગામડાંઓને ફરીથી જીવતાં કરી શકીશું.૨૬

રેંટિયામાં સ્વરાજ મેળવવાની શક્તિ છે, એવું આપણે આજ સુધી કહેતા આવ્યા છીએ. રેંટિયા દ્ધારા આટલાં વર્ષોમાં ગામડાંના લોકોને ઘણા પૈસા પહોંચાડી શક્યા છીએ. શું આજે પણ આપણે કહી શકીએ છીએ કે રેંટિયા વગર સ્વરાજ્ય નહીં આવે ? જ્યાં સુધી આપણે આપણો આ દાવો સિદ્ધ નહીં કરી શકીએ ત્યાં સુધી રેંટિયો આપણે માટે એક લાચાર માણસનો આધાર માત્ર બની જાય છે. એ મુક્તિમંત્ર બનતો નથી.૨૭

એકલી ખાદી ગામડાંઓની ઉન્નતિ નહીં કરી શકે. આખા ગ્રામજીવનને બધા ગ્રામોદ્યોગને જીવંત કરીને જ ગ્રામવાસીઓને આપણે ઉદ્યમશીલ બનાવી શકીશું. અને ત્યારે જ ગામડાંની ઉન્નતિ થશે.૨૮

ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઇએ.૨૯

આજે લોકોને આળસના રોગમાંથી છોડાવવા માટે ખાદી એક મોટું સાધન છે. જનતામાં સ્વરાજ્યની શક્તિ પેદા કરનારી એ ચીજ છે. બીજી વસ્તુઓને પણ એવી જ શક્તિ પેદા કરનારી બનાવી દઇશું. ત્યારે જ ગામડું સ્વાવલંબી બનશે.૩૦

ખાદીનું સ્થાન સંકટનિવારણના સાધન તરીકે હંમેશને માટે છે એટલું તો તમે પણ બતાવી શકો. એ સ્થાન તો મટવાનું નથી, પરંતુ આપણે જે સિદ્ધિ કરવાનું છે તે તો છે ખાદીના અર્થશાસ્ત્રની અનિવાર્યત.૩૧

(રેંટિયા જયંતીની) ખરી ઉજવણી તો ત્યારે જ ગણાશે, જ્યારે ઘેર ઘેર સ્વતંત્રા અને અહિંસાના પ્રતીક રૂપે રેંટિયો ગુંજન કરે. થોડી ગરીબ બહેનો, ભલે એક કરોડ બહેનો, બે પૈસા મેળવવા કાંતની હોય, તેને સારુ ઉજવણી શી ? એમાં મહાભારત કામ શું થયું ? એવુું તો જુલમગાર રાજમાં પણ થઇ શકે, મૂડીવાદમાં તો એવું દૃશ્ય હોય જ. અબજપતિના વૈભવને સહ્ય કરવા સારુ ગરીબોને દાન હોય જ. ભલે તે દાન કંઇક મજૂરીનું રૂપ લે.

ઉજવણી તો જ દીપે, જ્યારે ધનિક ગરીબ બધા સમજે કે, ઇશ્વરે બધાને એકસરખા ગણાવા પેદા કર્યા છે, બધાને ઉચ્ચસ્થાન ભોગવવા સારુ મજૂરી કરવાની છે અને બધાની સ્વતંત્રતાની રક્ષા દારૂગોળો નહીં કરે, સૂતરના ગોળા કરશે; હિંસા નહીં પણ અહિંસા કરશે.૩૨

દેશી અને પરદેશી બન્ને જાતના મિલના કાપડની કિંમત લગભગ ત્રણસો કરોડ રૂપિયા થવા જાય છે. આ ત્રણસો કરોડની કિંમતનું કાપડ અહીં હિંદુસ્તાનનાં ગામડાંઓમાં આપણે હાથે જ આપણે પેદા કરી લઇએ, તો હિંદને કેટલી સંપત્તિ મળે, તેનો સૌ વિચાર કરો ને સમજો. આ કામમાં આપણે માટે ખાસી સોનાનાં નાણાંની ટંકશાળ પડેલી છે, અને સૌ લોકો જો ખાદી વાપતા થઇ જાય, તો આપણાં ગામડાંઓ અણદીઠ ઊંચાઇએ પડી જાય. આજે આપણી જનતા સાવ ગરીબીમાં સબડે છે, ને તેની આંખોમાં બુદ્ધિ કે આશાની ચમક દેખાતી નથી. કાંતનારાઓના શુદ્ધ હાથોથી તેમને માટે એ ચમત્કાર નીપજી શકે તેવા છે અને તેમાં સૌ કોઇ મદદ કરી શકે છે. ‘ખાદી જાડી ને ખરબચડી હશે, તોપણ તેમાં રહેલી સુંદરતા જોવાને તમારે સમભાવવાળું હ્યદય અને સમજવાળી આંખ કેળવવી જોઇશે. પછી સાચા અર્થમાં જે કદી તમારો નગ્નતાને ઢાંકી શકતું નથી, તે મિલના ઝીણા ને સુંવાળા કાપડના મોહમાં તમે નહીં ફસાઓ. તમારી નગ્નતા ઢાંકવાનો અને આપણા દેશમાંથી ભૂખમરાને હાંકી કાઢવાનો એકમાત્ર ઇલાજ તમારું અનાજ જાતે પકવી લેવાનો અને તમારું કાપડ તમારે હાથે તૈયાર કરી લેવાનો છે. આ અત્યંત સુખદ સિદ્ધિ આપણે મેળવી લઇએ, તો આંખી દુનિયાની નજર હિંદુસ્તાન તરફ વળશે’.૩૩

અહિં જે રેંટિયાવર્ગ પુરબહારમાં ચાલે છે, તેની આગળ મારે મને બીજું બધું ચેતન વગરનું ને મંદ લાગે છે. કેમ કે. તેમાં રેંટિયા પર ખેંચાતા એકેએક તારમાં મને મારો રામ રમતો દેખાય છે. મને તેમાંથી સ્વરાજનાં દર્શન થાય છે. ચાળીસ કરોડ હાથોએ કાંતેલા સૂતરના તારના સામર્થ્ય ને પ્રભાવનો હું ખ્યાલ કરું છું, ત્યારે મારું દિલ આનંદથી ઊભરાઇ જાય છે. પણ તમે હસશો ને કહેશો કે, જવા દો એ વાત ! વીસ કરોડ હિન્દીઓ કાંતવા માંડે, એ બનવાનું જ નથી! પણ આ શક્યતા માનવાનો ઇન્કાર કરીને આપણે આપણું અજ્ઞાન નથી બતાવતા ? આપણી શ્રદ્ધાની ખામી નથી સાબિત કરતાં ? આપણી અપેક્ષા રાખવામાં શું કંઇ અસંભવિત છે ? આપણી માતૃભૂમિને કાજે આટલો ત્યાગ કરવાની પણ આપણી તૈયારી કે શક્તિ ન હોય, તો આપણે તેને વિષેના પ્રેમની જે વાતો ઠોકીએ છીએ, તેમાં શો અર્થ છે ?