Agnisanskar - 13 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 13



અંશ ભલે શબ્દોનો અર્થ સમજતો ન હતો પરંતુ એટલી જાણ તો એને થઈ ગઈ હતી કે બલરાજ અંકલ પિતાના આત્મહત્યા પાછળ એની માને દોષી ઠેરવી રહ્યા છે. અંશને ગુસ્સો આવતાં એણે બાજુમાં પડેલો નાનો પથ્થર બલરાજના માથે ધા કર્યો. બલરાજને ઈજા તો ન પહોંચી પરંતુ એટલું જરૂર કહ્યું." ઓહો મારા દીકરાને ગુસ્સો આવે છે, બેટા તારી ઉંમર ભણવા ગણવાની છે, તું ભણીશ તો તું તારી માને સાચવી શકીશ, નહિતર મા તારુ પેટ કઈ રીતે ભરશે?.."

" બીજો બાપ કરીને....હે ને લક્ષ્મી?" કરીના બોલીને હસવા લાગી.

કરીનાની વાત સાંભળીને આખુ પરિવાર હસવા લાગ્યું. ત્રણેય ભાઈઓમાંથી કોઈને પણ જીતેન્દ્રના જવાથી દુઃખ ન થયું. અમરજીતની પત્ની તો મનોમન જશ્ન મનાવી રહી હતી. જ્યારે અમરજીતની નજર હવે વિધવા ભાભીને પામવા તરફ જઈ રહી હતી.

ત્રણેય ભાઈઓ દ્વારા જીતેન્દ્રને સાંજના સમયે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યું. લક્ષ્મી ઘરમાં બેસી શોકમાં ડૂબી હતી. માને દુઃખી થતાં જોઈને અંશ દોડીને પોતાના પિતાના ચિતા પાસે ગયો. જ્યાં પિતાનું દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ રહ્યું હતું.
પોતાની આંખ સામે પિતાની અસ્થિ ઉઠતા જોઈ અંશનું હદય બેસી ગયું હતું અને અત્યારે પિતાના અગ્નિસંસ્કાર પોતાની નરી આંખે જોઈ રહ્યો હતો. ઉંમર જરૂર નાની હતી પરંતુ સમજણે ઉંમર વટાવી લીધી હતી.

એક મહિના પછી લક્ષ્મી એ સિલાઈ મશીનનું કામ શરૂ કરી દીધું. જેનાથી ઘરનો ખર્ચો પૂરો પડી રહ્યો હતો. જ્યાં અંશના જીવનમાં આફત આવીને થંભી ગઈ હતી ત્યાં રાણીપુર ગામમાં રહેતા કેશવના ઘરમાં આફત એ દસ્તક આપી દીધી હતી.

આ સમયે બલરાજસિંહનો દબદબો માત્ર પોતાના ગામ પૂરતો જ હતો પરંતુ લાલચમાં આવીને બલરાજ આસપાસના ગામોમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો. આ માટે તેમને પોતાના ધંધાને વિકસાવવા અમુક ખાસ વ્યક્તિઓની જરૂર હતી. મજબૂત કાંધાવાળા વ્યકિતઓની ખોજ કરતો એ રાણીપુરના ફેક્ટરીમાં પ્રવેશ્યો.

" અમારા ફેક્ટરીમાં હાલમાં તો સો માણસો જ કામ કરે છે...તમે ચાહો તો તમે દસ વ્યક્તિઓને લઈ જઈ શકો છો.." ફેક્ટરીના માલિકે કહ્યું.

" બસ દસ જ?"

" માલિક દસથી વધારે તો હું ન આપી શકું.....પણ હું તમને જે દસ યુવાન શોધીને આપીશ એ ઈમાનદાર અને કામમાં હોશિયાર હશે..એની ગેરંટી હું આપુ છું..."

" હા ઠીક છે...તો કાલ સવારે મને એ દસ યુવાન ફેક્ટરીની બહાર લાઈનમાં ઊભા રહેલા જોઈએ ઠીક છે?"

" જેવી તમારી આજ્ઞા માલિક..." ફેક્ટરીના માલિકે કહ્યું.

બલરાજના જતા જ ફેકટરીના માલિકે દસ યુવાનની લીસ્ટ તૈયાર કરી રાખી. જે હવે ફેકટરીમાં નહિ પરંતુ બલરાજના દારૂના ધંધામાં કામ કરવાના હતા.

સવારે ફેકટરીના માલિકે ઘોષણા કરતા કહ્યું. " હું જે વ્યક્તિઓના નામ બોલું એ હમણાં જ મારી ઓફીસે આવીને મળે...અને આ સિવાયના બાકી બધાને જે કાર્ય સોંપ્યું છે એ નિરંતર કાર્ય શરૂ રાખે..."

આ દસ વ્યક્તિઓની લિસ્ટમાં શિવાભાઈનું નામ પણ સામેલ હતું. દસેય મજદુરો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા પરંતુ કોઈને પણ ખબર ન હતી એ આગળ શું થવાનું છે.

ત્યાં જ ફેકટરીનો માલિક આવ્યો અને બોલ્યો. " તમે દસેય યુવાનો બહાર મેદાનમાં પહોંચો..."

મેદાનમાં બલરાજ સિંહ અને એની સાથે આવેલા બે મુખ્ય આદમીઓ ઉભા હતા. જે એક પછી એક યુવાનને ઉપરથી નીચે જોઈ રહ્યા હતા.

ફેકટરીનો માલિક આવ્યો અને કહ્યું. " આજ તમને ફેકટરીમાંથી હંમેશા માટે નિકાળી દેવામાં આવે છે..." એટલું કહેતાં જ યુવાનોમાં હોબાળો મચી ગયો. લોકો સવાલોની સાથે વિરોધ પણ કરવા લાગ્યા. ત્યાં જ બલરાજના એક રાડથી સૌ ચૂપ થઈ ગયા.

" શાંતિ શાંતિ શાંતિ.....તમે ખૂબ લકી છો કે તમને ફેકટરીમાંથી આજીવન માટે નિકાળી દેવામાં આવ્યા છે...કારણ કે હવે તમે આ ફેકટરીમાં મજૂરી કરવાને બદલે મારી સાથે મારી ફેકટરીમાં કામ કરશો..."

" શેની ફેકટરી?" ભીડમાંથી એક યુવાન બોલ્યો.

" દારૂની ફેક્ટરી..."

" દારૂ? દારૂ??" લોકો વધુ મૂંઝાવા લાગ્યા ત્યાં બલરાજે કહ્યું. " તમારે ડરવાની કોઈ જરૂર નથી...પોલીસ તમારો વાળ વાંકો પણ નહિ કરી શકે એની જિમ્મેદારી હું લવ છું...અને મહત્વની વાત આ ફેકટરીમાં કામ કરીને તમે જે નાની અમથી સેલેરી કમાવ છો એના કરતાં પાંચ ગણી રકમ હું તમને આપીશ...."

પાંચ ગણી રકમની લાલચમાં ઘણા યુવાનો રાજી થઈ ગયા. કારણ કે આ ફેક્ટરીમાં જેટલા પણ યુવાનો કામ કરતા હતા એ બધા ગરીબ પરિવારમાંથી આવતા હતા. દસમાંથી નવ જણા ખુશીઓથી નાચવા લાગ્યા પરંતુ ભીડમાંથી એક ગુંજતો અવાજ આવ્યો " મને આ અનૈતિક કામ મંજૂર નથી...." અને આ અવાજ બીજો કોઈનો નહિ પરંતુ શિવાભાઈનો હતો.

બલરાજની નજર નવ યુવાનોમાંથી પસાર થઈને શિવાભાઈ પર અટકી.

શું શિવાભાઈ બલરાજ સિંહ સાથેના ધંધામાં જોડાશે કે પોતાનો વિરોધ યથાવત રાખશે?

ક્રમશઃ