The Beatles of Bhuchar Mori books and stories free download online pdf in Gujarati

ધ બેટલ ઓફ ભૂચર મોરી

આ યુદ્ધ સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે..મેં આ યુદ્ધ વિશેની ઘણી માહિતી લોકોના મુખેથી સાંભળેલી તથા ઘણી માહિતી ઈન્ટરનેટના માધ્યમથી એકઠી કરેલી છે.. આ સ્ટોરી થકી કોઈ સમુદાય ને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ નથી. હું આ સ્ટોરી થકી ગુજરાતના ઇતિહાસ ને ઉજાગર કરવા માગું છું અને વિરોના બલિદાનો ની યાદી કરવા માગું છું....

આભાર...

***

...... ધ બેટલ ઓફ ભૂચર મોરી......

દિલ્લી સલ્તનત પર અકબરનું શાશન હતું અને લગભગ ભારત તેના નેજા હેઠળ હતું. દરેક જગ્યાએ અકબરે પોતાના સુબેદારો રાખેલા હતા કે જેથી તે દિલ્લી ની ગાદી પરથી સહેલાયથી તે સંચાલન કરી શકે....

બીજી બાજુ ગુજરાતમાં જામનગરની ગાદી પર જામસતાજી હતા, જામસતાજી તેની ઉદારતા , સ્વાભિમાન અને કર્મનીતિથી સમગ્ર ગુજરાતમાં પ્રચલિત હતા. જામસતાજી પોતાના અસુલો પર જીવવા વાળા માણસ હતા.તેના માટે ક્ષત્રિય સ્વાભિમાન અને નીતિમત્તા સર્વેપરી હતા...

અકબર તેનું સામ્રાજ્ય વધારતા વધારતા ગુજરાત તરફ આવી રહ્યો હતો... તેને ગુજરાતમાં મુજ્જફર શાહ ત્રીજા ને પરાસ્ત કર્યો પણ મુજ્જફર શાહ ભાગવામાં સફળ રહ્યો... અકબરે અમદાવાદના સુબેદાર તરીકે મિર્જા અબ્દુલ ખાન ને નિયુક્ત કર્યો... પણ બીજી બાજુ મુજ્જફર શાહ જંગલમાં છુપાય સેના તૈયાર કરી અને ફરી આક્રમણ કર્યું અને અમદાવાદ, સુરત અને ભરૂચ ને પોતાના કબજામાં લીધા.

અકબરે તરત જ તેના ભાઈ મિર્જા અજિજ કોકા ને સૈન્ય સાથે ગુજરાત મોકલ્યો અને અજિજ કોકા એ ફરી અમદાવાદ જીતી લીધું અને મુજ્જફર શાહ ફરી ભાગવામાં સફળ રહ્યો...પરંતુ મિર્જા અજિજ કોકા એ નક્કી કર્યું કે તે મુજ્જફર ને પકડી ને જ શાંતિ લેશે...

મુજ્જફર શાહ અલગ અલગ રાજ્યો પાસે મદદ માંગી પણ કોઈ દિલ્લી સલ્તનત સામેં વેર લેવા તૈયાર નહતુ , અંતે તેને જામસતાજી પાસે આશા દેખાય અને તેના દરબારમાં પહોંચ્યો...

સતાજી સાવજની જેમ સિંહાસન પર શોભાયમાન હતા ને મુખ પર સુકર્મોના પુષ્ટિની ઝલક હતી,આંખોમાં વિરતાનું તેજ હતું, હાથમાં રત્ન જડિત મ્યાનમાં તલવાર અને માથા પર સ્વાભિમાન ભેર મુકુટ હતો..

'સિંહાસન પર બિરાજમાન સિંહ સમો જામ..

કરમ થી ઇ તેદી લાગતો મુજ્જફર બીજો રામ..'

મુજ્જફર શાહ સતાજીના દરબારમાં આવી બોલ્યો "ઘણી જગ્યાએ હું શરણાર્થી બનવાની આજીજી કરી આવ્યો છું , પણ અકબર ના ડરથી બધે જવાબ મને ના જ મળ્યો છે, જો સતાજી હવે તું પણ ના પાડી ને તો આ ક્ષત્રિયો અને તેના ધરમ પરથી આજ મારો વિશ્વાસ ઉઠી જશે....

સિંહાસન પરથી સાવજ ઉભો થાય તેમ સતાજી ઉભો થયો ને બોલ્યો ' શરણાર્થી ને આશરો આપવો એ ક્ષત્રિય ધર્મ છે' જા મુજ્જફર મેં તને આશરો આપ્યો અને વચન આપું છું કે અકબર ના કટક ને તારા પર વાર કરતા પહેલા આ સતાજીની તલવાર સાથે ટકરાવવું પડશે...શરણાર્થીની રક્ષા કરવી એ ક્ષત્રિય ધર્મ છે અને એ જ મારો અસુલ પણ છે...આમ કહી જામનગરના રાજા એ તેને બરડા ડુંગરમાં આશ્રય આપ્યો...

જેમ કસ્તુરીની સુગંધ પ્રસરતા વાર ન લાગે એમ જામ સતાજીની આ ઉદરતાની વાતને ફેલાતા વાર ન લાગી, આ વાત મિર્જા અજિજ કોકા પાસે પહોંચી અને તે ગુસ્સામાં તરબતોર થયો કે અકબર ના દુશ્મનને શરણ આપવી એટલે અકબર નું અપમાન કરવું...હવે આ સતાજીને દિલ્લી સલ્તનતની તાકાત બતાવવી જ પડશે...

અજિજ કોકા એ લશ્કર તૈયાર કર્યું અને વિરમગામ નજીક પડાવ નાખ્યો ને અમુક ટુકડી ને મુજ્જફર ની ખોજ માટે લગાડી.... અજિજ કોકા એ તરત સતાજી ને પત્ર લખ્યો કે મુજ્જફર જ્યાં છે ત્યાંથી કાઢી અમને સોંપી દો , અમારું ફરમાન ન માનવું એ અકબર બાદશાહની ઈચ્છા ન માનવા બરાબર છે , જો મુજ્જફર ને સોંપ્યો નહિ તો અંજામ તમે જાણો જ છો....

જામ સતાજી એ સામો ફરી પત્ર લખ્યો કે... શરણાર્થી ને સંકટ સમયે પોતાના સ્વાર્થ માટે છોડી દેવો એ રાજપૂત ધર્મ નથી, અને જો તું સમજતો હોય કે તારા સૈન્ય બળથી ડરી હું મુજ્જફરને સોંપી દઈશ તો એ તારી ધારણા ખોટી છે... આ જામનગરનો એક એક વીર સૈનિક તારા સો પર ભારી પડે એવો છે...

આ જવાબ સાંભળી અજિજ કોકા રોષે ભરાયો અને મિર્જા અબ્દુલ ખાનને કહ્યું અબ યે સતાજીકી અક્કલ ઠીકાને લગાની પડેગી , આજકલ ઉસકે પર બહુત બડે હો ગયે હે..વો નહિ જનતા કી પરિન્દા કિતના ભી ઉપર ક્યુ ના ઉડે પર કભી ના કભી શિકારી કે જાલ મેં ફસ હી જતા હૈ...અને અજિજ કોકા મોટા સૈન્ય બળ સાથે જામનગર તરફ કુચ ચાલુ કરી..

આ વાતની ખબર સતાજીને પડતા તેણે કાઠિયાવાડ અને કચ્છના રાજાઓ ને સંદેશો મોકલ્યો કે ' સૌરાષ્ટ્રની ધરાએ એક નિરાધાર ને આશરો આપ્યો છે,અને એનાથી નારાજ થઈ મુગલ સૈન્ય સૌરાષ્ટ્ર પર આવી રહ્યું છે...જો હું મુજ્જફરને મુગલનો સોંપી દઈશ તો આ ધરા પર કાયરતાનું લાંછન લાગી જશે,મને આશા છે કે અંદરી કાળવાહટ ભૂલી ગુજરાત ભોમની આબરુ રાખવા તમે મદદ પર આવશો... સતાજીનો પ્રસ્તાવ કામ કરી ગયો અને સતાજી સાથે જૂનાગઢના નવાબ દૌલત ખાન અને કુંડલાના કાઠી લોમા ખુમાણ અને કચ્છથી રાવ ભરમાલજીએ સૈન્ય મોકલ્યું તથા ઓખાના સંગાજી વાઢેર અને મુળીના વસાજી પરમાર સૈન્ય સાથે આવ્યા આ ઉપરાંત ઘણા જાડેજાઓના , સોઢાઓના ,આહીરોના અને ચારણના રજવાડા સતાજી સાથે મળ્યા...

આ ફોજ સતાજીના નેતૃત્વ હેઠળ હતી, આ ફોજ લઈ સતાજીએ અજિજ કોકા સામે કુચ કરી અને બન્નેએ ધ્રોલ નજીક પડાવ નાખ્યા અને ત્યાંના ભૂચર મોરીના મેદાન પર યુદ્ધ ચાલુ થયું, જામ સાહેબ પાસે જેસા વજીર જેવા ઘણા ઉમદા કુશળ યોદ્ધા હતા... નાની નાની સૈન્ય ટુકડીઓ દ્વારા સતાજી અને અજિજ કોકાએ એકબીજા પર આક્રમણો ચાલુ કર્યા... પણ કુશળનીતિ અને સૈનિકોના સાહસ બળ ને લીધે જીત સતાજીની જ થતી....

યુદ્ધે ધીરે ધીરે ગતી પકડી હતી ઘણા દિવસો થઈ ગયા હતા અને નાના નાના યુદ્ધમાં સતાજી નો જ વિજય થતો હતો, હવે સતાજીએ નવી ચાલ રમી એણે મુગલ સૈનિકોને અન્ન પહોંચતું એ માર્ગો બંધ કરી દીધા અને એના લીધે અન્નની અછત સર્જાવવા લાગી, આ નાના યુદ્ધ લગભગ 2-3 મહિના સુધી ચાલ્યા , અજિજ કોકાને લાગ્યું કે હવે તેનું સૈન્ય નબળું પડી રહ્યું છે અને સાથે સાથે અન્નની અછત પણ સર્જાય હતી માટે અજિજ કોકાએ સતાજી ને સમાધાન માટે પત્ર લખ્યો.....

આ સમાધાન સમાચારની વાત જ્યારે દૌલત ખાન અને લોમા ખુમાણ ને ખબર પડી તો એને થયુ કે જો આ યુદ્ધ સતાજી જીતી જશે તો તેનું સામ્રાજ્ય પણ સતાજી પડાવી લેશે, આ ડરને લીધે તેણે પોતાના ગુપ્તચરો થકી અજિજ કોકાને સમાચાર મોકલાવ્યા કે અમે તમારી સાથે જોડાવવા તૈયાર છે... આ સમાચાર મળતા અજિજ કોકાએ પોતાનો સંધિ પ્રસ્તાવ સતાજી પાસેથી પાછો ખેંચ્યો અને યુદ્ધ માટે ફરી લલકાર્યા...

સવારે જયારે યુદ્ધનો શંખનાદ થયો ત્યાં જ દૌલત ખાન અને લોમા ખુમાણ પોતાના સૈન્ય સાથે મુગલ સાથે જોડાય ગયા.... આ જૉઈ જેસા વજીર ગુસ્સે થયા ને સતાજીની કીધું કે આ ગદારોએ દગો કર્યો હવે તો જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી સામે વાળાના માથા ઉતારીશ...સતાજીનું સૈન્ય નબળું પડી ગયું હતું પણ દગાખોરી જોઈ બધા સૈનિકો ગુસ્સે ભરાયા હતા...

યુદ્ધ ચાલુ થયું...આજે તો યુદ્ધ અલગ જ રૂપ પકડી રહ્યું હતું...ઘમાસાણ યુદ્ધમાં જેસા વજીરની વીરતા અલગ જ રૂપ લઈ રહી હતી . દુશ્મનો પર કાળ બની ને જેસાજી વરસી રહ્યા હતા...

જેસા વજીર યુદ્ધમાં જામ સાહેબ ના હાથી પાસે પહોંચ્યો અને જામ સાહેબ ને કહ્યું કે તમે છો તો જામનગર છે માટે તમે જામનગર જાઓ અને તમારા પરિવાર અને વંશનું રક્ષણ કરો અમે અહીં યુદ્ધ ચાલુ રાખીએ... આ વાત સતાજી ને સાચી લાગી તે હાથી પરથી ઉતરી અને ઘોડા પર બેસી પોતાના અંગરક્ષકો સાથે જામનગર જવા નીકળી ગયા...

જ્યારે બીજી તરફ આ બધાથી અંજાન અને પોતાના લગ્નમાં વ્યસ્ત જામ સતાજીના પાટવી કુંવર અજાજી ને ખબર પડી કે યુદ્ધમાં દગો થયો છે... તો એ પોતાના લગ્ન મંડપ માંથી 400 જાનૈયા સાથે સીધા ભૂચર મોરીના મેદાને પહોંચ્યા, અજાજીના હાથમાં મીંઢોળ બાંધેલો હતો છતાં પોતાના રાજ્ય માટે લગ્ન મૂકી તે યુદ્ધમાં જોડાયા.... આમ જેસા વીર અને અજાજી એ સૈન્યનું કમાન સંભાળ્યું...

એક સાધુની ટુકડી ભહિંગળાજ માતાના મંદિરે જઈ રહી હતી, જ્યારે તે ભૂચર મોરીના મેદાન પાસેથી નીકળી અને જોયું કે સતાજીને સેના લડે છે અને તે અત્યારે મુશ્કેલીમાં છે આ જોઈ સાધુઓ પણ યુધ્ધમાં જોડાઈ ગયા....અજિજ કોકા આ જોઈ અચંબિત થઈ ગયો અને બોલ્યો 'અરે એસી દેશભક્તિ મેને પહેલી બાર દેખી હે કી ફકીર ભી દેશ કે લિયે હથિયાર ઉઠા રહે હૈ'. અજિજ કોકાને સતાજીની લોકપ્રિયતા અને નીતિમત્તાના ઉદાહરણ નો પરચો નજરે જ દેખાય ગયો....

મુગલોની મોટી સેના અને ઉપરથી પોતાના સાથીદારો બીજી તરફ જતા રહ્યા હોવાથી સતાજીનું સૈન્યબળ સાવ ઓછું થઈ ગયું હતું...કહેવાય છે કે આ યુદ્ધએ એટલું રોદ્ર સ્વરૂપ પકડ્યું હતું કે લોહીની નાની નદીઓ વહેતી હોય તેમ લાગતું હતું અને આ લોહીમાં નાના નાના લ પથરાઓ પણ તરવા લાગ્યા હતા...

ધીરે ધીરે અજાજી એ પોતાનો ઘોડો અજિજ કોકા તરફ દોડાવ્યો અને તેના હાથી પાસે જઈ અને ઘોડાની છલાંગ લગાવી અને ઘોડા એ એના બે પગ હાથીના દાંત પર રાખ્યા અને સુબેદાર પર ભાલાથી વાર કર્યો... અને એના પર પ્રાચીન દોહો પણ છે...

અજમલિયો અલંધે,

લાયો લાખસર ધણી...

દાંતશુલ પગ દે ,

અંબાડી અણીએ હણી....

અને હવે અજાજીએ સીધો વાર અજિજ કોકા પર કર્યો પણ એ ઘા થી બચવા અજિજ કોકા હાથી પરની અંબાડીની પાછળ સાતઈ ગયો પણ ભાલાનો વાર એટલો જોશથી કરેલો કે ભાલો અંબાડીને ચીરી અને હાથીની પીઠની આરપાર નીકળી ભાલો જમીન પર ઘુસી ગયો....ત્યાં અચાનક એક સૈનિકે અજાજી પર પાછળથી વાર કર્યો અને અજાજી ત્યાં જ વીરગતી પામ્યા..

આ દ્રશ્ય જોઈ બધા રાજપૂતો આક્રોશમાં આવ્યા અને રોષ પૂર્વક દુશ્મન પર તૂટી પડયા... આ યુદ્ધમાં જેસા વજીરનો પુત્ર નાગડા વજીર પણ હતો તે આ દ્રશ્ય જોઈ ક્રોધે ભરાયો તે ઘાયલ હતા તેના બન્ને હાથના પંજા કપાયેલા હતા છતાં એ ભાલો પોતાના કાંડાના હાડકામાં ભરાવી યુદ્ધ કરતા હતા એણે જેવું જોયું કે અજાજી ને પાછળથી ઘા કરી માર્યા તેણે પોતાના કાંડાનું હાડકું જોરથી દુશ્મનના હાથીના પેટ પર માર્યુ અને હાડકું હાથીના પેટમાં ભરાવી દીધું જેનાથી હાથીને બહુ મોટો ઘાવ કરી દીધો અને હાથીના પેટમાંથી લોહીની નદી વહેવા લાગી....નાગડા વજીર પર દુહો પણ લખાયેલો છે..

ભલીઈ પખે ભલા,

નર નાગડા નીપજે નહિ....

જાયો જોમાંના,

કુંતાના જેવો કરણ...

(જેમ કુંતીએ કર્ણ જેવા પરાક્રમી પુત્રને જન્મ આપ્યો, તેમ જ જોમાજી એ નાગડા વીર ને જન્મ આપ્યો,એટલે કે વીરાંગના જ વિરપુત્રો પેદા કરી શકે..)

જહાં પડ દીઠસ નાગ જબાન,

સકોકર ઉભગયદ સમાન....

પડી સહજોઈ સચીફચાણ,

પટ્ટકીય નાગહ લોથ પ્રમાણ....

( જયારે નાગડા વજીરના મૃત શરીર ને ઉઠાવ્યું તો ગયદ નામના હાથી જેટલી એની ઉચાય હતી અને આ જોઈ બધા અચંબિત થઈ ગયા...)

અંતે યુદ્ધમાં જામનગર તરફથી મહેરામનજી ડુંગરાની, ભાનજી દલ,નાગડા વજીર,તોગાજી સોઢા અને જેસા વજીર અને ઘણા સૈનિકો વીરગતી પામ્યા જ્યારે મુગલ તરફથી મહોમદ રફી, સૈયદ કબીર, સૈયદ અલી ખાન વીરગતી પામ્યા...આ વીરોને ખોઈ ધરતી લોહીના આંસુથી રડતી હોય તેમ લાગતું હતું...

સતાજીને સમાચાર મળ્યા કે યુદ્ધ હારી ગયા એટલે એને નક્કી કર્યું કે રાજપરીવાર ના લોકો ને જહાજમાં બેસાડી બાર મોકલી દઉં પણ ત્યારે રાણી ને ખબર પડી કે અજાજીનું મૃત્યુ થયું તો તેણે રણમેદાન માં જઈ અને જોહર કરી લીધું....

આ સમાચાર મુજ્જફર ને મળ્યા અને તેને વિચાર્યું કે મને બચાવવા માટે સતાજી એ આટલું મોટું યુદ્ધ કર્યું હવે મારે એને કાષ્ટ ના દેવો જોઈએ માટે તે કચ્છમાં રાજા ભારમલ ના ચરણે ચાલ્યા ગયા....

હવે જામનગર પર સતાજી નહતા તેની ફાયદો ઉઠાવી ઘણા રાજ્યો કે જેનો પ્રદેશ સતાજી એ જીતેલો એ પાછો મેળવવા લાગ્યા..

જ્યારે ખબર મળી કે હવે મુજ્જફર જૂનાગઢ નાસી ગયો તો તેને પકડવા અજિજ કોકા ફરી સૈન્ય સાથે આવ્યો અને સતાજી પાસે ગયો અને કહ્યું હું શહેનશાહ તમારી અને તમારા વિરોની વીરતાથી પ્રસન્ન છે અને તમને જામનગર ફરી સોંપવામાં આવે અને તમારે બદલામાં જ્યાં સુધી અમે મુજ્જફર ને પકડી ના લઈએ ત્યાં સુધી અમારા સૈનિકોના અન્ન પાણીની વ્યવસ્થા કરી આપવાની, અને આમ ફરી જામનગર જામસતાજી ને સોંપ્યું..

આ ગુજરાતનું સૌથી મોટું યુદ્ધ હતું અહીં ઘણા વીરો વીરગતી પામ્યા અને ઘણા સૈનિકો આ ધરા પર ઘાયલ થયા... આજે પણ જામનગરના ધ્રોલ પાસે ભૂચર મોરીનું મેદાન છે અને ત્યાં વિરોના પાળીયા બનાવેલા છે... તમે આ જગ્યા એ જઈને જોશો તો ત્યાંની માટી હજી પણ લાલ છે. અને આ મેદાનમાં વીરોની વીરતા બિરદાવવા આજે પણ ત્યાં ઉત્સવ મનાવાય છે...

***