From the Earth to the Moon (Sequel) - 12 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 12

પ્રકરણ ૧૨

ભૂસ્તરીય માહિતી

ગોળા દ્વારા જે માર્ગ લેવામાં આવ્યો હતો, જે આપણે પહેલેથી જાણીએ છીએ કે તે મુસાફરોને ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ લઇ જતો હતો. મુસાફરો ચન્દ્રના કેન્દ્રથી ઘણા દૂર રહેવાના હતા જ્યાં તેમને ખરેખર ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ત્યારેજ શક્ય હતું જ્યારે તેમનું વાહન એક તસુભાર પણ પોતાનો રસ્તો બદલીને ન ચાલ્યું હોત. મધ્યરાત્રી પસાર થઇ ચુકી હતી; અને બાર્બીકેને તે સમયનું અંતર સાતસો પંદર માઈલ જેટલું અંદાજયું, જે ચન્દ્રની ત્રિજ્યા કરતા વધારે હતું અને જેમ જેમ તેઓ ચન્દ્રના ઉત્તર ધ્રુવ નજીક આવતા જવાના હતા તેમ તેમ તે અંતર ઘટવા લાગવાનું હતું. ગોળો ત્યારે વિષુવવૃતની બરોબર નહીં હોય પરંતુ તે ત્યાંથી દસમાં અક્ષાંશ પર હોવાનો હતો, આ ગણતરી અત્યંત ધ્યાનપૂર્વક નકશામાં આવેલા ધ્રુવને જોઇને નક્કી કરવામાં આવી હતી, અને આ સ્થિતિ એવી હતી જ્યાંથી બાર્બીકેન અને તેમના બંને સાથીદારો ચન્દ્રનું અત્યંત આરામથી નિરીક્ષણ કરી શકવાના હતા. અલબત્ત દૂરબીનોની મદદથી ઉપર જણાવેલું અંતર ઘટીને માત્ર ચૌદ માઈલથી સહેજ જ રહી જવાનું હતું. રોકી માઉન્ટનના ટેલિસ્કોપે ચન્દ્રને ઘણો નજીક લાવી દીધો હતો પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેની શક્તિ ઓછી થઇ જતી હતી. આથી બાર્બીકેને આ ગોળામાં એવા દૂરબીન રખાવ્યા હતા જે પૃથ્વીના નિરીક્ષકો માટે અદ્રશ્ય પદાર્થો હોય તેનું પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરી શકવાના હતા.

“મિત્રો,” પ્રમુખે ગંભીર અવાજમાં કહ્યું, “મને ખબર નથી કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ; મને એ નથી ખબર કે હવે આપણે ફરીથી પૃથ્વી પર પરત ફરી શકીશું કે નહીં. કશો વાંધો નહીં, આપણે એવું કોઈ કાર્ય કરી છૂટીએ જેનાથી એક દિવસ આપણા પૃથ્વી પર રહેલા સાથીદારોને મદદ મળી રહે. ચાલો, આપણે આપણા મગજને અન્ય કોઇપણ વિચારથી મુક્ત કરી દઈએ. આપણે અવકાશયાત્રીઓ છીએ અને આ ગોળો કેમ્બ્રિજ યુનિવર્સીટીના એક ઓરડા જેવો જ છે જેને અવકાશમાં મોકલવામાં આવ્યો છે. ચાલો આપણે આપણું નિરીક્ષણ શરુ કરીએ!”

આમ કહ્યા બાદ, કાર્ય અત્યંત ચોકસાઈથી શરુ થયું; અને તેઓએ ચન્દ્રની વિવિધતાઓને ચન્દ્રના જુદાજુદા અંતરેથી વિશ્વાસપૂર્વક ફરીથી નિહાળી.

જ્યારે ગોળો દસમા અક્ષાંશ જેટલો ઉપર હતો ત્યારે એવું લાગ્યું હતું કે તે વીસમા રેખાંશ પૂર્વને જકડીને બેસી રહ્યો હતો. અહીં આપણે એ નોંધવું જોઈએ કે મુસાફરો આ બધી નોંધ તેમની પાસે રહેલા નકશાઓને ધ્યાનમાં લઈને કરી રહ્યા હતા. ચન્દ્રના નકશામાં રહેલી વિગતોને દૂરબીનો વડે જોવામાં આવી રહ્યા હતા, અને નિયમ અનુસાર દૂરબીનથી જોઈ શકાતી વસ્તુઓ કાયમ ઊંધું પ્રતિબિંબ દેખાડતી હોય છે, એટલેકે નરી આંખે થતા પ્રતિબિંબને લીધે દક્ષિણ ઉપર હોય અને ઉત્તર નીચે હોય, પૂર્વ ડાબી તરફ આવે અને પશ્ચિમ જમણી તરફ. પરંતુ અહીં એમ ન હતું. જો નકશાને ઉંધો કરી દેવામાં આવે તો ચન્દ્ર એવો જ દેખાય જેવો આપણે કાયમ જોતા હોઈએ છીએ, એટલેકે પૂર્વનું ડાબી તરફ હોવું કે પશ્ચિમનું જમણી તરફ હોવું તે બધુંજ ઊંધું થઇ જાય. આ વિસંગતતાને જો માનવમાં આવે તો, ઉત્તરી ગોળાર્ધના નિરીક્ષકો એટલેકે યુરોપના નિરીક્ષકો ચન્દ્રને દક્ષિણમાં જોતા હોય છે, એવું તેમનું કહેવું છે. જ્યારે તેઓ પોતાનું નિરીક્ષણ કરતા હોય છે ત્યારે પોતાની પીઠ ચન્દ્ર તરફ કરી દે છે અને જ્યારે પૃથ્વીના નકશાનું તેઓ નિરીક્ષણ કરે ત્યારે આખી પ્રક્રિયા ઉંધી કરી દેતા હોય છે. દક્ષિણ ગોળાર્ધના નિરીક્ષકો, ઉદાહરણ તરીકે પેટાગોનીયા, ચન્દ્રની પશ્ચિમ બાજુ તેમની ડાબી તરફ હોય છે અને પૂર્વ ડાબી તરફ અને દક્ષિણ તેમની પાછળ હોય છે. આમ આ બંને અંતિમ બિંદુઓનું દેખીતું વિરુદ્ધ દિશામાં જવું એક મહત્ત્વનું કારણ બની જાય છે, અને આપણે પ્રમુખ બાર્બીકેનના નિરીક્ષણોને જોતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી છે.

બોએર અને મોડલરના મેપ્પા સેલેનોગ્રાફિકાની મદદથી મુસાફરોએ તરતજ ચન્દ્રના એ હિસ્સાને ઓળખી લીધો જે તેમના દૂરબીનોની અંદર સમાઈ ગયો હતો.

“અત્યારે, આ ઘડીએ આપણે શું જોઈ રહ્યા છીએ?” માઈકલે પૂછ્યું.

“વાદળોના દરિયાનો ઉત્તરી હિસ્સો,” બાર્બીકેને જવાબ આપ્યો.

“આપણે તેનો સ્વભાવ જાણી શકવા માટે તેનાથી ઘણા દૂર છીએ. આ મેદાનો શું શુષ્ક રેતીથી બન્યા છે, જેવું કે સહુથી પ્રથમ અવકાશશાસ્ત્રીએ જણાવ્યું હતું? કે પછી ત્યાં ઘનઘોર જંગલો સિવાય બીજું કશુંજ નથી જે એમ વોરન દ લા રૂનો અભિપ્રાય હતો, જેમણે ચન્દ્ર પર વાતાવરણ હોવાનું કહ્યું હતું, જે ઘણું નીચું અને ઓછી ઘનતા ધરાવતું હતું? આ બધું આપણે ધીમેધીમે જાણીશું. આપણે જ્યાં સુધી પાકી ખાતરી ન કરીએ ત્યાં સુધી આપણે કશું પણ કહી શકવાની પરિસ્થિતિમાં નથી.”

આ ‘વાદળોનો સમુદ્ર’ પણ નકશા પર શંકાસ્પદ પરિસ્થિતિ ઉપજાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ વિશાળ મેદાનો શુષ્ક અને આસપાસ આવેલા પટોલ્મી, પરબાખ, અર્ઝાચેલ જેવા જ્વાળામુખીઓના લાવાઓમાંથી બન્યા છે. પરંતુ ગોળો આગળ વધી રહ્યો હતો અને સમજવા અનુસાર નજીક જઈ રહ્યો હતો. તરતજ એ પર્વતો દેખાયા જેણે આ સમુદ્રોને ઉત્તરની સરહદ પર બાંધી દીધા હતા. તેમના અગાઉ અત્યંત સુંદર માઉન્ટ રેડિયન્ટ દેખાયો જેની ટોચ જાણેકે સૂર્યના કિરણોમાં ખોવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

“પેલું શું છે?” માઈકલે પૂછ્યું

“કોપરનિકસ,” બાર્બીકેને જવાબ આપ્યો.

“તો ચાલો કોપરનિકસને નિહાળીએ.”

આ પર્વત જે ઉત્તરી અક્ષાંસના નવ અંશે અને પૂર્વી રેખાંશના વીસ અંશે સ્થિત હતો તે ચન્દ્રની સપાટીથી ૧૦,૬૦૦ ફૂટ ઉંચો હતો. તે પૃથ્વી પરથી પણ જોઈ શકાતો હતો અને અવકાશશાસ્ત્રીઓ તેનો આસાનીથી અભ્યાસ કરી શકતા હતા, ખાસ કરીને છેલ્લો કાટખૂણો અને તેનો નવો ચંદ્ર, કારણકે તે સમયે પડછાયા પૂર્વથી પશ્ચિમ તરફ ઘણા લાંબા થતા હતા અને તેને કારણે તેઓ તેની ઉંચાઈ માપી શકતા હતા.

ટાયચો બારહેની માન્યતા અનુસાર આ કોપરનિકસ ઉર્જા વ્યવસ્થાનો સહુથી મહત્ત્વનો હિસ્સો હતો, જે દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત હતો. તે ‘વાદળોના સમુદ્ર’ના એ હિસ્સામાંથી એક વિશાળ દીવાદાંડીની માફક ઉંચો થયો હતો જે તોફાનોના દરિયા દ્વારા બાંધવામાં આવ્યો હતો, આથી તે એક જ સમયે આ બંને સમુદ્રો પર પોતાના કિરણ પાથરતો હતો. આ એક અદ્વિતીય દ્રશ્ય હતું જે પેલા લાંબા ટેલિસ્કોપથી જોઈ શકાતું હતું, જે પૂર્ણ ચંદ્રમા ચમકી રહ્યું હતું, સરહદની માળાને તે ઉત્તર તરફ લઇ જતું હતું અને છેક ‘વરસાદના દરિયા’ સુધી જતું હતું. પૃથ્વીના સમય અનુસાર સવારે એક વાગ્યે ગોળો, જે અવકાશમાં એક ફૂગ્ગાની માફક ઉડી રહ્યો હતો તેણે આ અદભુત પર્વતની ટોચ ઉપરથી સફર કરી. બાર્બીકેન તેના મુખ્ય લક્ષણોને સંપૂર્ણપણે ઓળખી શક્યા. કોપરનિકસ એ અસંખ્ય ગોળાકાર પર્વતોનો ઉત્તમ સમૂહ હતો જે ખુદ જુદાજુદા હિસ્સાઓમાં વહેચાયેલો હતો. જેમકે કેપ્લર અને આર્ટીસ્ટારકસ, જે ‘તોફાનોના સમુદ્ર’ ની ઉપર હતા, તે કોઈકવાર વાદળોમાંથી નીકળતા પ્રકાશને લીધે અત્યંત ચમકીલા દેખાતા હશે અને તેણે એક જ્વાળામુખીને પણ પ્રવૃત્ત કર્યો હતો. પરંતુ તે એકમાત્ર વિલુપ્ત થયેલો હતો, એ તમામ પર્વતોની જેમ જ ચન્દ્રની એ તરફે હતા. તેનો પરિઘ લગભગ બાવીસ લીગ્ઝનો ડાયામીટર દેખાડતો. એમના દૂરબીનોએ તેમને એકપછી એક જ્વાળામુખી ફાટવાને લીધે અલગ પડેલા સ્તરોની ઝલક દેખાડી, અને તેનો પાડોશ એ જ્વાળામુખીના વિખેરાયેલા અવશેષોથી ભરેલો હતો જેણે તેમ છતાં કેટલાક મોટા ખાડાઓ બનાવી આપ્યા હતા.

“અહીંયા,” બાર્બીકેન બોલ્યા, “ચન્દ્રની સપાટી પર ઘણા પ્રકારના વર્તુળો જોવા મળે છે અને તેના દ્વારા એ સરળતાથી સમજી શકાય છે કે કોપરનિકસ એ કિરણોત્સર્ગી વર્ગ સાથે સંબંધ ધરાવે છે. જો આપણે નજીક હોત તો આપણે તેની અંદરની બરછટ સપાટી પણ જોઈ શક્યા હોત, જે પુરાણકાળમાં આગ ઓકતા પર્વતો હતા. એક વિચિત્ર બાબત એમ પણ છે, જેમાં ચન્દ્રની ધરતીને અપવાદ ન પણ ગણીએ તો, કે આ વર્તુળોની અંદરની સપાટી તેની બાહ્ય સપાટી કરતા તદ્દન વિરુદ્ધ છે જે પૃથ્વી પર જોવા મળતા ખાડાઓના સ્વભાવ કરતા તદ્દન ઉલટું કહી શકાય. તેને લીધે આ વર્તુળોના તળિયાનો સામાન્ય વળાંક ચન્દ્રની સરખામણીએ એક નાના ડાયામીટરનો ગોળો બનાવે છે.”

“આવી વિલક્ષણતા શા માટે?” નિકોલે પૂછ્યું.

“એની તો આપણને ખબર નથી,” બાર્બીકેને જવાબ આપ્યો.

“કેવું અદભુત કિરણોત્સર્ગ!,” માઈકલ બોલ્યો, “મારા માનવા પ્રમાણે, આનાથી બહેતર પ્રદર્શન તો ભાગ્યે જ જોવા મળે.”

“તો પછી તમે શું કહો છો,” જવાબ આપતા બાર્બીકેન બોલ્યા, “જો મોકો મળે તો શું આપણને દક્ષિણ ગોળાર્ધમાં જવાનું ગમશે?”

“હું, તો એમ કહીશ કે એમ થવું કદાચ વધારે સારું હશે,” માઈકલ આરડને કહ્યું.

આ સમયે ગોળો વર્તુળના કાટખૂણે ઉભો હતો. કોપરનિકસનો પરિઘ એક સંપૂર્ણ વર્તુળ બનાવી રહ્યો હતો, અને તેના ઉંચા ઢાળને સ્પષ્ટપણે ઓળખી શકાતા હતા. તેમને અંદર આવેલું બીજું વર્તુળ પણ દેખાઈ શકતું હતું. તેની આસપાસ ભૂખરા રંગના જંગલ જેવા મેદાનો હતા અને વચ્ચે વચ્ચે રાહતરૂપ પીળો રંગ પણ દેખાઈ રહ્યો હતો. આ વર્તુળના તળિયે જે રીતે હીરાની પેટમાં બંધ હોય છે એ રીતે, ચમકતા બે કે ત્રણ ત્રીશકુંઓ હતા. ઉત્તર તરફેના ઢાળ કદાચ એ ખાડાના અંદર સુધી જતા જતા મંદ પડી જતા હતા.

આસપાસના મેદાનો ઉપરથી પસાર થતી વખતે બાર્બીકેને નોંધ્યું કે અહીં ઓછા મહત્ત્વના ઘણાબધા પર્વતો હતા અને અન્ય બાબતોમાં એક બાર માઈલજેટલું લાંબુ એક વર્તુળ હતું જેને ગે લુસાક કહેવાતું હતું.

દક્ષિણ તરફ મેદાન અત્યંત સપાટ હતું, કોઇપણ પર્વત નહીં કે નાનકડો ટેકરો પણ નહીં. તેનાથી વિરુદ્ધ ઉત્તર તરફ, જ્યાં સુધી તોફાનોના સમુદ્રોનો વિસ્તાર હતો તે પ્રવાહી સપાટી જેવું લાગતું હતું જેને કોઈ તોફાન દ્વારા જાણેકે પરેશાન કરવામાં આવ્યું હોય, જેને ટેકરાઓ અને બોદી જમીન દ્વારા મોજાંઓ ઉત્પન્ન કરવામાં આવ્યા હોય અને તે અચાનક થંભી ગયા હોય એવું લાગી રહ્યું હતું. જો સમગ્રતયા જોવામાં આવે તો તમામ દિશાઓમાં ચમકતી રેખાઓ પથરાયેલી હતી જે કોપરનિકસની ટોચ પર ભેગી થઇ રહી હતી.

મુસાફરોએ આ વિચિત્ર રેખાઓ અંગે ચર્ચા કરી પરંતુ તેઓ તેનો સ્વભાવ પૃથ્વી પરના અન્ય નિરીક્ષકોથી અલગ રીતે નક્કી ન કરી શક્યા.

“પરંતુ શા માટે?,” નિકોલે પૂછ્યું, “શું આ રેખાઓએ સરળતાથી આ પર્વતોને પ્રેરિત ન કરવા જોઈએ જે સૂરજના પ્રકાશને વધારે સ્પષ્ટરૂપે દર્શાવે છે?”

“ના,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “જો એમ હોત તો ચન્દ્રની કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં આ પર્વતમાળાઓ પડછાયો ઉત્પન્ન કરત, જે તેઓ નથી કરી રહી.”

અને આ સાચું પણ હતું, આ રેખાઓ ત્યારેજ દેખાતી હતી જ્યારે સૂર્ય ચન્દ્રથી વિરુદ્ધ દિશામાં હોય છે અને જ્યારે સૂર્યના કિરણો ત્રાંસા થાય છે ત્યારે તે તરતજ અદ્રશ્ય થઇ જતી હોય છે.

“તો પછી કેવી રીતે તેઓએ કિરણોની આ રેખાઓનું વૃતાંત આપવાનો પ્રયાસ કર્યો હશે?” માઈકલે પૂછ્યું; “હું નથી માનતો કે પંડિતોને ક્યારેય ખુલાસાથી વંચિત રાખવામાં આવ્યા હશે.”

“હા,” બાર્બીકેન બોલ્યા; હર્શેલે પોતાનું મંતવ્ય આગળ ધર્યું હતું પરંતુ બાદમાં તેને સુનિશ્ચિત કરવા તેણે કોઈજ પ્રયાસ નહોતો કર્યો.”

“કશો વાંધો નહીં. શું હતું એ મંતવ્ય?”

“તેનું માનવું હતું કે આ રેખાઓ કદાચ લાવાના ઠંડા પડવાથી બની હશે અને જ્યારે તેના પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે ચમકતી હશે. એમ હોઈ પણ શકે પરંતુ ચોક્કસપણે કશુંજ ન કહી શકાય. આ ઉપરાંત જો આપણે ટાયકોની નજીકથી પસાર થઈએ તો આપણને આ કિરણોત્સર્ગનું કારણ વ્યવસ્થિતપણે જાણી શકીએ.”

“મિત્રો, શું તમને ખબર છે કે તે મેદાન જે આપણે ઉંચાઈથી જોઈ શકીએ છીએ તે કોના જેવું લાગે છે?” માઈકલે પૂછ્યું.

“ના,” નિકોલે જવાબ આપ્યો.

“તો પછી મને જ સમજાવવા દો. લાવાના તમામ ટુકડાઓ ભેગાથઈને ખડક જેવા બની ગયા છે તે કોઈ રમત જેવા લાગે છે જેમાં કોઈ અંકોડામાં તમારે વસ્તુ ભરાવવાની હોય છે પરંતુ તે અંકોડાના આકારને લીધે તરતજ બહાર નીકળી જતી હોય છે.”

“આટલું ગંભીર થવાની જરૂર નથી,” બાર્બીકેને કહ્યું.

“તો ચાલો ગંભીર થઈએ,” માઈકલે શાંતિથી જવાબ આપ્યો, “અને અંકોડાની જગ્યાએ હાડકાઓ હોય એવું માની લઈએ. તો પછી આ મેદાનો બીજું કશુંજ નહીં પરંતુ એક વિશાળ કબ્રસ્તાન હશે જે હજારો નેસ્તનાબૂદ થઇ ગયેલી પેઢીઓના અવશેષો પોતાના પેટાળમાં છુપાવીને બેઠું હશે. શું તમને આ આડંબરપૂર્ણ સરખામણી ગમશે?”

“એક વસ્તુની એક પ્રકારની સરખામણી બીજા પ્રકારની સરખામણી જેવી જ હોય છે.” બાર્બીકેન બોલ્યા.

“હે ભગવાન, તમને ખુશ કરવા બહુ અઘરું કામ છે.” માઈકલે જવાબ આપ્યો.

“અરે મારા મિત્ર,” માત્ર તથ્યોમાં માનતા બાર્બીકેને ચાલુ રાખ્યું, “તેનું મહત્ત્વ છે પરંતુ તે જે દેખાય છે તેનાથી ઓછું કારણકે આપણને તેનું જ્ઞાન નથી.”

“ખુબ સુંદર જવાબ,” માઈકલે જવાબ આપ્યો. “તે મને પંડીતો સાથે ચર્ચા કરવાનું કારણ પણ આપશે.”

પરંતુ ગોળાએ એકધારી ગતિએ ચન્દ્રની આસપાસ ફરવાનું ચાલુ રાખ્યું. મુસાફરો, આપણે સરળતાથી કલ્પના કરી શકીએ કે એક મિનીટ માટે પણ આરામ કરવાનું વિચારી શક્યા ન હતા. દરેક મીનીટે તેમની નજર સામેથી પસાર થતા દ્રશ્યો પોતાનું કદ બદલી રહ્યા હતા. સવારે દોઢ વાગ્યે, તેમણે એક અન્ય પર્વતની ટોચ જોઈ. બાર્બીકેને નકશાનો આધાર લઈને તેને એરાસ્ટોથેનેસ તરીકે ઓળખ્યો.

તે નવ હજાર ફૂટની ઉંચાઈ ધરાવતો ગોળાકાર પર્વત હતો અને આ પ્રકારના વર્તુળો આ ઉપગ્રહ પણ હજારોની સંખ્યામાં હતા. આ હકીકતને ધ્યાનમાં લઈને બાર્બીકેને કેપ્લરના આ વર્તુળોની રચના અંગેના મંતવ્યને જોડ્યું. એ વિખ્યાત ગણિતશાસ્ત્રી અનુસાર ખાડા જેવા દેખાતા પોલાણો માનવી દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા હતા.

“કયા કારણોસર?” નિકોલે પૂછ્યું.

“એકદમ કુદરતી કારણને લીધે,” બાર્બીકેને જવાબ આપ્યો. “ચન્દ્રવાસીઓએ કદાચ આ ભારેખમ કાર્ય કરીને આ વિશાળ ખાડાઓ ખોદ્યા હશે જે તેમને સૂર્યના કિરણો જે સતત પંદર દિવસ સુધી તેમને તાપ આપે તેનાથી બચવા અને રક્ષણ મેળવવામાં મદદ કરી હશે.

“ચન્દ્રવાસીઓ મુર્ખ નથી,” માઈકલે કહ્યું.

“એક માત્ર વિચાર,” નિકોલે કહ્યું, “પરંતુ એ શક્ય છે કે કેપ્લરને આ વર્તુળોનું ખરું માપ ખબર ન હોય, આ પ્રકારના વિશાળકાય ખાડાઓ ખોદવાનું કામ તો માત્ર રાક્ષસો જ કરી શકે, ચન્દ્રવાસીઓ માટે આમ કરવું અશક્ય છે.”

“કેમ? જો ચન્દ્રનું વજન પૃથ્વી કરતા છ ગણું ઓછું હોય તો કેમ શક્ય નથી?” માઈકલે કહ્યું.

“પણ, જો ચન્દ્રવાસીઓ પણ છ ગણા નાના હોય તો?” નિકોલે જવાબ આપ્યો.

“અને જો ત્યાં કોઈજ ચન્દ્રવાસી ન હોય તો?” બાર્બીકેને ઉમેર્યું.

આ દલીલે ચર્ચાનો અંત આણ્યો.

એરાસ્ટોથેનેસ બહુ જલ્દીથી ક્ષિતિજની નીચેથી પસાર થઇ ગયો અને ગોળો તેનાથી જરૂર કરતા દૂર રહેવાથી તેનું નજીકથી નિરીક્ષણ ન થઇ શક્યું. આ પર્વત એપેન્નીન્સને કાર્પાથીયન્સથી અલગ પાડતો હતો. ચન્દ્ર પરના ભૌતિકશાસ્ત્ર અનુસાર તેને પર્વતમાળા તરીકેની ઓળખ મળી હતી જે મોટેભાગે ઉત્તરી ગોળાર્ધમાં ફેલાયેલી હતી. તેમાંથી કેટલાક, જોકે દક્ષિણી ગોળાર્ધનો કેટલોક હિસ્સો પણ ધરાવતા હતા.

સવારે લગભગ બે વાગ્યે બાર્બીકેનને ખ્યાલ આવ્યો કે તેઓ ચન્દ્રના વીસમા રેખાંશ પરથી પસાર થઇ રહ્યા હતા. ચન્દ્રથી ગોળાનું અંતર હવે છસ્સો માઈલથી વધારે ન હતું. બાર્બીકેનને હવે લાગી રહ્યું હતું કે ગોળો હવે ચન્દ્રની ધરતી તરફ જઈ રહ્યો હતો, તેઓ નિરાશ ન થયા કારણકે જો ત્યાં સુધી ન પહોંચાય તો પણ તેની રચનાના રહસ્યોતો જરૂર મેળવી શકાશે.