Rashtr ni sanskruti no madhur mali books and stories free download online pdf in Gujarati

રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી

૫ સપ્ટેમ્બર ---શિક્ષકદિન

શિક્ષક-રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી

ભારતના બીજા રાષ્ટ્રપતિ,પ્રખર ચિંતક,વિચારક,તત્વજ્ઞાની,ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન,ઉતમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર –‘શિક્ષક્દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે,તે હેતુથી આ દિવસ ઉજવાય છે.

મદ્રાસ રાજ્યના તિરૂતની ગામના એક મધ્યમવર્ગીય બ્રાહ્મણકુટુંબમાં જન્મેલા રાધાકૃષ્ણને પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ તિરૂપતિમાં મેળવી,મદ્રાસની કોલેજમાં ઉચ શિક્ષણ મેળવ્યું હતું. દર્શનશાસ્ત્રમાં એમ.એ.કર્યું .ઈ.સ.૧૯૨૬માં ઓક્ષફડ યુનિ.માં અને ૧૯૨૭માં શિકાગો યુનિ.માં યોજાયેલ વ્યાખ્યાનમાળા માટે માનભર્યું આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. એક શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દી બાદ ભારતના રાષ્ટ્રપતિ પદે પહોચ્યા હતા. ૧૯૭૧માં ‘ભારતરત્ન ‘નો સર્વોચ ખિતાબ મેળવનાર ભારતના આ મહાન શિક્ષક્ની વિશિષ્ટતા એ હતી કે ૪૦૦૦૦ પાઉન્ડ નું “ટેમ્પલટન પારિતોષિક “મેળવનાર વિશ્વના પ્રથમ બિન ખ્રિસ્તી વિજેતા હતા.આવા મહાન શિક્ષકને યાદ કરી એમના જેવું શિક્ષક્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ આજના દિવસનો સાચો સંદેશ !

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખેઆ વાક્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના..જે દરેક શિક્ષકોને રાહ બતાવે છે.આજના ટેકનોલોજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે આજ્ના વિદ્યાર્થી પાસે અગાધ જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે.બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે.વિદ્યાર્થીના માનસિક,શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઉચા સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર,માર્ગદર્શક અને ભોમિયો બની રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર છે.

મા.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના પુસ્તક કેળવે તે કેળવણી’માં લખ્યું છે કે એક મિકેનિક જો ચૂકે તો એક મોટર બગડે,એક ડ્રાઈવર જો ચૂકે તો ગાડીમાં બેઠેલ ૪ થી ૫ વ્યક્તિની જિંદગી બગડે,પણ જો એક શિક્ષક ચૂકે, તો એક આખી પેઢી બરબાદ થાય.!! આ દ્રષ્ટિએ જોતા આજે જયારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિક્ષાલક્ષી શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો,ચારિત્ર્ય,પ્રમાણિકતા,નીતિમતા,સત્ય,રાષ્ટ્રપ્રેમ,સદભાવના,બન્ધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે.જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે કેળવણીનો ઉદેશ જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદેશ માણસ બનાવવાનો પણ છે.પ્રખર જ્ઞાની અને મહાન લોક્શિક્ષક પૂ.મોરારીબાપુના શબ્દોમાં,’શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રમાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે.’ સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોપી,શિક્ષક્ને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક બનાવે છે.કેળવણીકાર અને સમાજસુધારક સંતશ્રી પૂ.પાંડુરંગ શાસ્ત્રીનાશબ્દોમાં’ વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષક્ને માટે વિદ્યાર્થી દેવ—આમ પરસ્પર દેવો ભવની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ.રાધાકૃષણનું જીવનચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરુ પ્રત્યેનો આદરભાવ અને એ જોઈ ગુરુની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રુ તેમના ગુરુ-શિષ્ય સંબંધો માટેના ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ,ત્યારે —ગુરુનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરુનું હૃદય!!ઉક્તિ સાર્થક થાય છે.

આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત,ક્ષમા અને કરુણાનો એટલે કે ઈશુ,મહાવીર,બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું,રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે... સહુ શિક્ષકોને વંદન સહ શ્રી રાધાકૃષ્ણનના જન્મદિનની ભાવાંજલિ !!