Shivarudra .. - 29 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 29

29.

(શિવરુદ્રા અને તેનાં સાથીઓ ભગવાન નટરાજની મુર્તિને પોતાનાં મુળ સ્થાને ફરીથી સ્થાપિત કરવાં માટે ભેગા મળીને ઉચકાવવાં જાય છે. બરાબર એ જ સમયે કોઇ વ્યક્તિ તેઓ પાસે મદદની યાચનાં કરી રહી હોય તેવો અવાજ સંભળાય છે. ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે તે અવાજ બીજા કોઈનો નહી પરંતુ આલોક શર્માનો જ હતો. આ બાબતની ખાતરી કર્યા બાદ જ તેઓ આલોકશર્માને પેલી અંધકારમય અને ડરામણી ગુફામાંથી દોરડાની મદદ વડે બહાર નીકળવામાં મદદ કરે છે. ગુફામાંથી બહાર આવ્યાં બાદ આલોક, શિવરુદ્રા અને તેનાં બધાં સાથી મિત્રોનો સહર્દય ખુબ ખુબ આભાર માને છે. ત્યારબાદ આલોક તેઓનાં મનમાં હાલ જે કંઈ મુંઝવણો કે પ્રશ્નો ઉદભવેલાં હતાં, તેનો જવાબ આપતાં પોતાની સાથે શરુઆતથી માંડીને શું ઘટનાઓ ઘટેલ હતી, તેનાં વિશે વિગતવાર જણાવે છે. જે સાંભળીને તે બધાંનાં મનમાં હાલ જે કોઈ શંકા કે પ્રશ્નો ઉદભવેલાં હતાં, તેનાં ઉત્તરો મળી રહે છે.બરાબર એ જ વખતે એકાએક ધરતી ધ્રુજી ઉઠે છે. એવામાં એકાએક તેઓની નજર સમક્ષ એકદમ કદાવર, મહાકાય, ડરામણો અને ભયંકર ચહેરો ધરાવતાં દાનવો આવી ચડે છે, જેઓ પુરવેગે શિવરુદ્રા અને તેનાં સાથીઓ તરફ આગળ ધપી રહ્યાં હતાં.)

"ઓહ માય ગોડ ! નરભક્ષી દાનવ !" આલોક હેરાનીભર્યા અવાજે બોલી ઉઠે છે.

"આલોક સર ! શું તમે આ નરભક્ષી દાનવો વીશે તમે અગાવથી જ જાણતાં હતાં ?" આકાશ વિસમ્યતાભર્યા અવાજે પુછે છે.

"હા !" આલોક પોતાનું માથું ઝુકાવતાં ઉત્તર આપતાં જણાવે છે.

"એ કેવી રીતે ?" શ્લોકા અચરજભર્યા અવાજે આલોકને પુછે છે.

"મે તમને લોકોને અગાવ જણાવ્યુ તે મુજબ હું જ્યારે આ ભુલભુલૈયા અને રહસ્યમય રસ્તાઓમાં ફસાય ગયેલ હતો, ત્યારે આ જ મેદાનમાં મારી નજર સમક્ષ એકાએક આઠ દરવાજાઓ પ્રગટ થયાં જે આપણાં વાસ્તુ શાસ્ત્ર મુજબ અલગ અલગ આઠ દિશાઓમાં ગોઠવાયેલાં હતાં, લાંબો વિચાર કર્યા બાદ મે નૈઋત્ય દિશામાં રહેલ દરવાજામાં પ્રવેશવાનું નક્કી કર્યુ. વાસ્તવમાં એ દરવાજો મારા માટે એક મોત સમાન દરવાજો સાબીત થયો, કારણ કે એ દરવામાં એકસાથે આવા ઘણાં નરભક્ષી દાનવો મે જોયેલાં હતાં. આથી સમયે હું મારો જીવ બચાવવા માટે હળવેકથી એ દરવાજા દ્વારા મેદાન તરફ નાસી છુટયો. આમ મારે ના છુટકે આ નરભક્ષી દાનવોનો સામનો કરવાની નોબત આવી પડેલ હતી.!" આલોક પોતાની સાથે જે ઘટનાઓ ઘટેલ હતી તે યાદ કરતાં કરતાં આલોક જણાવે છે.

"તો ! મિ. આલોક ! એ સમયે તમારો આબાદ બચાવ કેવી રીતે થયો ?" શિવરુદ્રા આલોકની સામે જોઈને પુછે છે.

"જો ! હું એ નરભક્ષી દાનવોથી સહી-સલામત બચીને હાલ તમારી નજરો સમક્ષ જીવિત છું, તો તેનું એકમાત્ર કારણ આ ભગવાન નટરાજની મુર્તિ જ છે !" આલોક કોઈ રહસ્ય જણાવી રહ્યો હોય તેઓની નજીક રહેલ ભગવાન નટરાજની મુર્તિ તરફ હાથ વડે ઈશારો કરતાં બોલે છે.

"એ કેવી રીતે ?" આકાશ બેબાકળા થતાં આલોક શર્માની સામે જોઈને પુછે છે.

"હું જ્યારે પેલા નરભક્ષી દાનવોથી બચવા માટે ભાગીને નૈઋત્ય દિશામાં આવેલાં દરવાજામાંથી બહાર નીકળ્યો એ સાથે જ પેલાં દાનવો મને મારવાં માટે પુરવેગે આગળ વધી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે ત્યાંથી ઘણે દૂર રહેલ પેલી “નટરાજ”ની મૂર્તિમાંથી એક તેજસ્વી રોશની બહાર નીકળે છે, જે પળભરમાં આ નરભક્ષી દાનવોનો ખાતમો કરી નાખે છે." આલોક નરભક્ષી દાનવોથી બચવાની યુકતિ જણાવતાં બોલે છે.

"તો...પછી..એમાં આટલું બધું વિચારવાનું શું હોય ? "યા હોમ કરી પડો, ફતેહ છે આગળ"" શિવરુદ્રા દ્રઢ નિશ્ચય કરતાં કરતાં ભગવાન નટરાજની મુર્તિ તરફ આગળ વધે છે.

ત્યારબાદ તે બધાં એકસાથે મળીને ભગવાન નટરાજની મુર્તિને "હર હર મહાદેવ" એવો એક મોટેથી નારો લગાવીને ઊંચી કરીને તેઓની સામેની તરફથી આગળ ધપી રહેલાં પેલાં નરભક્ષી દાનવો તરફ ધરી દે છે, અને મનોમન દેવોનાં દેવ એવાં મહાદેવને મનોમન પ્રાર્થનાં કરવાં માંડે છે. બરાબર એ જ વખતે આકાશમાં વીજળીઓનો ગડગળાટ થવાં લાગે છે, સુસવાટા મારતો પવન ફુંકાવા લાગે છે. દેવોનાં દેવ એવાં મહાદેવે પણ જાણે આ લોકોની પ્રાર્થનાં સાંભળી લીધી હોય તેમ જોતજોતામાં ભગવાન નટરાજની મુર્તિમાંથી પીળા રંગની એકદમ તેજસ્વી રોશની નીકળે છે. આ દિવ્ય રોશની જોઈને શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોનાં જીવમાં જીવ આવ્યો. આ સાથોસાથ તેઓનો ભગવાન શિવ પરનો વિશ્વાસ વધુ દ્રઢ અને અડગ બની ગયો. જોત જોતામાં એ તેજસ્વી રોશની પેલાં નરભક્ષી દાનવો પર ઘાતક વ્રજ સમાન તુટી પડે છે, અને પળભરમાં બધાં જ નરભક્ષી દાનવોનો સંહાર કરી નાખે છે. આ જોઈ તેઓ હર્ષોલ્લાસ સાથે "દેવોનાં દેવ મહાદેવનો જય હો..!" એવો એકસાથે મળીને નારો લગાવે છે.

"શિવા ! જોયુને આ વખતે પણ મહાદેવે જ આપણને બચાવી લીધાં ?" શ્લોકા હર્ષ ભરેલાં અવાજ સાથે શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.

"હા ! સર !" આકાશ પોતાનું માથું ડોલાવતાં બોલે છે.

"યુ...નો...શિવા ? તારી અને આલોક સર વચ્ચે એક બાબત કોમન છે ?" શ્લોકા શિવરુદ્રા સામે જોઈને પુછે છે.

"કઈ બાબત ?" શિવરુદ્રા અને આલોક એકસાથે શ્લોકાને પુછે છે.

"તમારા બંનેનાં સ્વભાવ, મનોવૃતિ અને વર્તન અલગ અલગ હોવાં છતાંપણ તમે બંને ભગવાન શિવનાં પરમ ભક્ત છો." શ્લોકા કોઈ એક્સ્પર્ટ ઓપીનીયન આપતી હોય તેવાં અંદાજ સાથે બોલે છે.

"હા ! શ્લોકા ! તારી એ વાત સો ટકા સાચી હો...!" શિવરુદ્રા અને આલોક શ્લોકાની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

"હા ! સર ! આટ આટલી મુશકેલીઓ, આપતિઓ, સંકટો અને અડચણો આવવાં છતાપણ હાલ આપણે બધાં જીવીત છીએ એ બાબતની ચાડિ ખાય રહ્યું છે." આકાશ બધાં સાથી મિત્રોની સામે જોઇને બોલી ઊઠે છે.

"તો ! ગાયઝ...ભગવાન શિવે આપણી આટલી બધી મદદ કરી તો આપણી પણ હવે એ ફરજ બને છે કે આપણે મહાદેવનાં પ્રતિક સમાન આ ભગવાન નટરાજની મુર્તિને ફરી પાછી તેનાં મુળ સ્થાને સ્થાપિત કરી દેવી જોઈએ." શ્લોકા બધાંને વાસ્તવિકતાનું ભાન કરાવતાં જણાવે છે.

"યસ ! ડિયર શ્લોકા ! યુ આર રાઈટ...આઈ એગ્રી વિથ યુ..!" શિવરુદ્રા શ્લોકાની વાત સાથે સહમત થતાં બોલે છે.

"યસ ! શ્લોકા ઈસ રાઈટ !" બધાં એક સાથે બોલી ઉઠે છે.

ત્યારબાદ તે બધાં ભગવાન નટરાજની મુર્તિને પેલી ગુફામાં આવેલ તેની મુળ જગ્યાએ સ્થાપનાં કરવાં માટે લઈ જાય છે. થોડીવારમાં તેઓ પેલી ગુફામાં પ્રવેશે છે.ગુફામાં પ્રવેશ્યા બાદ દરવાજાની બરાબર વચ્ચે આવેલ મંદિરની જગ્યાએ ભગવાન નટરાજની મુર્તિની સ્થાપનાં કરે છે. હાલ તે બધાં મનોમન ખુબ જ ખુશ હતાં પરંતુ તેમાથી એકપણ વ્યક્તિ આવનાર આફતથી જરાપણ વાકેફ હતાં નહી. આવાનાર થોડી જ ક્ષણોમાં તેઓ સાથે જે ઘટનાઓ ઘટવાની હતી, તેનો તે લોકોએ સપનામાં પણ વિચાર કરેલ નહિ હોય..!

જેવી તે બધાં ભગવાન નટરાજની મુર્તિ તેનાં મુળ સ્થાનકે સ્થાપિત કરે છે. એ સાથે જ આખી ગુફામાં જાણે કોઈ ઊંચી તિવ્રતા ધરાવતો ભુકંપ આવ્યો તેવી રીતે આખી ગુફા ડોલવાં માંડે છે. જોત જોતામાં ગુફાની દિવાલો અને ભેખડો એક પછી એક એમ કરીને આપમેળે તુટીને પડવાં લાગે છે. ગુફાની છત અને દિવાલો પરથી મોટી મોટી શિલાઓ પડવાં લાગે છે. જ્યારે આ બાજુ શિવરુદ્રા અને તેનાં સાથીદારો એકદમ સ્તબ્ધ અને અવાક બનીને હાલ તેઓ સાથે જે રહસ્યમય ઘટનાંઓ ઘટી રહી હતી તે બેબશ અને લાચાર બનીને મુકપ્રેક્ષક બનીને નિહાળી રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે તેઓ હાલ જે જગ્યાએ ઉભેલ હતાં તે જગ્યા, જેવી રીતે નદી આવેલાં પુરના પાણીમાં જમીન ગરકાવ થઈ જાય, તેવી જ રીતે જમીનની અંદર ગરકાવ થઈ જાય છે. આ જોઈ તે લોકો ખુબ જ હેરાની અનુભવી રહ્યાં હતાં. આજે તેઓનાં જીવનનો કદાચ છેલ્લો દિવસ હોય તેવુ અનુભવી રહ્યાં હતાં. મોત જાણે તે બધાથી માત્ર એકાદ બે ઈંચ જ દુર હોય તેવુ તેઓને લાગી રહ્યું હતું. આ જોઈને તે બધાં એટલી હદે હેબતાય જાય છે કે તે બધાં બેભાન થઈ જાય છે, હાલ તેઓ જાણે અવકાશમાં ઝિરો ગ્રેવીટીમાં કોઈ નિર્જિવ પદાર્થ ઉડી રહ્યો હોય, તેવી રીતે જમીનનાં પેટાળ તરફ બેભાન હાલતમાં આગળ વધી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે વાદળી રંગની કોઈ એક દિવ્ય શક્તિ તે બધાંને ચારેબાજુએથી ઘેરી વળે છે. અને તેઓનો આબાદ બચાવ કરી જમીનનાં પેટાળમાં રહેલ એક મોટી શિલા પર સુવડાવી દે છે. જેનો શિવરુદ્રા કે તેનાં સાથીઓને સુધ્ધા માત્ર અણસાર પણ હતો નહી.

એકાદ કલાક બાદ

શિવરુદ્રા અને તેનાં સાથીઓ જમીનનાં પેટાળમાં આવેલ એક મોટી શિલા પર બેભાન હાલતમાં પડેલાં હતાં. એવામાં શિવરુદ્રા ઝબકારા સાથે પોતાની બંને આંખો ઉઘાડે છે. પોતે હાલ જીવીત હાલતમાં છે, તે અનુભવ્યા બાદ તે પોતાનાં બંને હાથ જોડીને સહર્દય ઈષ્ટદેવનો આભાર વ્યકત કરે છે. એવામાં એકાએક તેની નજર પોતાની સામે બેભાન હાલતમાં પડેલ આલોક પર પડે છે. આથી શિવરુદ્રા પોતાની બેગમાથી પાણીની બોટલ બહાર કાઢીને આલોકનાં ચહેરા પર પાણીનો છટકાવ કરે છે. આ સાથે જ આલોક સફાળો બેઠો થઈ જાય છે. ત્યારબાદ તે બંને મળીને બીજા બધાં સાથીઓને વારાફરતી જગાડે છે. એવામાં આકાશની નજર તેનાથી થોડે દુર બેભાન હાલતમાં પડેલ શ્લોકા પર પડે છે. આથી આકાશ એક ચિસ પાડે છે.

"સર ! શ્લોકા મેમ...!" આકાશ પોતાની આગળી વડે ઈશારો કરતાં કરતાં ગભરાયેલાં અવાજે ચીસ પાડી ઉઠે છે.

ત્યારબાદ શિવરુદ્રા, આલોક અને આકાશ શ્લોકા તરફ ખુબ ઝડપથી આગળ વધે છે. પછી તે બધાં શ્લોકાને જગાડવા માટે વારાફરતાં પર્યત્નો કરે છે, પરંતુ શ્લોકા પર જાણે તેની કોઈ જ અસર ના થતી હોય તેમ કોઈપણ હિસાબે ભાનમાં આવવાનું નામ નહોતી લઈ રહી. આ જોઈ આલોક અને આકાશ ખુબ જ દુખ અનુભવી રહ્યાં હતાં પરંતુ સૌથી વધુ દુખ તો હાલ શિવરુદ્રા જ અનુભવી રહ્યો હતો. હાલ ચારેબાજુએથી તે વિચારોનાં જોરદાર ચક્રવાતથી ઘેરાય ગયેલો હતો...તેનાં મનમાં હાલ, " શ્લોકા કેમ ભાનમાં નથી આવી રહી ? શ્લોકાને કંઈ થયું તો નહી હશે ને ? શ્લોકા સાથે વાસ્તવમાં શું ઘટનાં ઘટેલ હશે ? શું શ્લોકા હવે ભાનમાં પાછી ક્યારેય નહી આવે ? શું હાલ પોતે જેને પોતાનાં પ્રાણથી પણ વિશેષ પ્રેમ કરી રહ્યો હતો તે શ્લોકાને ગુમાવવાની નોબત તો નહી આવશે ને ? હવે પછી તે શ્લોકાનો એ નિખાલશ અવાજ ક્યારે સાંભળી શકશે ? શૂં હાલ આ બધું જે કઈ ઘટના બની એ પાછળ હું પોતે જ જવાબદાર છું ? હવે પોતે કોને ચિડવશે ? - વારંવાર આવાં અનેક પ્રશ્નો ઉદભવી રહ્યાં હતાં, 

આથી શિવરુદ્રા શ્લોકાનું માથૂં પોતાનાં ખોળામાં મુકવા માટે જમીન પર પલાઠી વાળીને બેસે છે. પલાઠી વાળ્યાં બાદ તે પોતાનાં બંને હાથ વડે શ્લોકાનું માથું ઉચકે છે. જેવું શિવરુદ્રા શ્લોકાનુ માથું ઉચકે છે. એ સાથે જ તેને તેનાં હાથ ભિના થયાં હોય તેવુ લાગે છે. આથી શિવરુદ્રા શ્લોકાનાં માથા નિચીથી બેબાકળા બનતાં હાથ પરત ખેંચે છે, જેવી શિવરુદ્રા પોતાનાં હાથની હથેળી તરફ નજર કરે છે, તો તેનાં બંને હાથની હથેળીઓ શ્લોકાનાં લોહિથી લાલ લુહાણ થઈને લતપત થઈ ગઈ હતી.આ સાથે જ શિવરુદ્રા ધ્રુજાવી દે તેવી ચિચિયારી સાથે "શ્લોકા" એવી મોટા અવાજે બુમ પાડી ઊઠે છે. જોતજોતામાં પહાડ જેવુ મજબુત હૈયુ ધરાવતાં શિવરુદ્રાની આંખોમાથી દડ દડ કરતાં આંસુઓ વહેવાં લાગે છે, જે સીધાં શ્લોકાનાં માખણ જેવાં મુલાયમ અને કોમળ ગાલ પર ટપ ટપ કરીને પડી રહ્યાં હતાં. શિવરુદ્રા હાલ ખુબ જ લાગણીવશ અને ભાવવિભોર બનીને એક નાના બાળકની માફક ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યો હતો.

આ જોઈ આલોક અને આકાશને એ બાબતની પાક્કી ખાતરી થઈ ગઈ હતી, કે તેઓ જ્યારે જમીનનાં પેટાળ તરફ આગળ વધી રહ્યાં હશે ત્યારે શ્લોકાનું માથું જરુર કોઈને કોઈ નક્કર પદાર્થ જેવાં કે પથ્થર, શિલા કે ભેખડ સાથે અથડાયુ હશે..જેનાં પરીણામે શ્લોકાનાં માથાનાં ભાગે આટલી ગંભીર ઈજા પહોચેલ હશે.આથી આલોક શિવરુદ્રાને સાંત્વના આપવાં માટે શિવરુદ્રાની બાજુમાં જઈને બેસે છે. જ્યારે આકાશ શ્લોકાનો એક હાથ પોતાનાં હાથમાં પકડીને નાડીઓનાં ધબકારા અને શ્વાસોશ્વાસ તપાસવા લાગે છે. શ્લોકાની નાડીનાં ધબકારા અને શ્વાસોશ્વાસ ચકાસ્યા બાદ આકાશ હતાશા અને નિરાશા ભરેલી નજરો એ આલોક શર્માની સામે જોઈને "શ્લોકા હવે આ દુનિયામાં નથી રહી - શી ઈસ નો મોર" - તેવું ઇશારો કરતાં જણાવે છે.

આ જોઈ શિવરુદ્રા જાણે અંદરથી સંપુર્ણપણે ભાંગી ચુકયો હોય તેમ કોઈ પાગલની માફક "શ્લોકા....શ્લોકા....શ્લોકા..!" એવી જોરજોરથી બુમો પાડવાં લાગે છે, જેને લીધે હાલ તેઓ જે જગ્યાએ ઊભેલાં હતાં તે જગ્યા પર ચારેકોર શિવરુદ્રાની ચિસો ગુંજવા માંડે છે. જેટલું દુખ દેવોનાં મહાદેવને પોતાની પત્ની સતીને મૃત હાલતમાં બળેલ જોઇને લાગી રહ્યું હતું, એટલું જ દુ:ખ હાલ શિવરુદ્રા અનુભવી રહ્યો હતો.આ સાથે જ હાલ શિવરુદ્રાને પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. આ બધૂં થવાં પાછળ શિવરુદ્રા પોતાની જાતને જ જવાબદાર ગણી રહ્યો હતો. જો તે શ્લોકાને પોતાની સાથે લાવ્યો જ નાં હોત તો કદાચ હાલ શ્લોકા જીવીત હોત.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"