Radhavatar ..... - 9 and 10 books and stories free download online pdf in Gujarati

રાધાવતાર..... - 9 અને 10


શ્રી રાધાવતાર...
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ-9 :શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી...

દરેક માનવીમાં એક સમાન બાબત છે. તે છે પોતાને ગમતી કલ્પના નું સુખ. કલ્પના ની મદદથી મન થાય ત્યારે ત્યાં પહોંચી જાય જેમ સુખની કલ્પના એક પછી એક મનને આનંદ આપે તેમ વાસ્તવિક જીવનમાં સુખ ની શરૂઆત ઘણી વાર સાંકળ થઈને આવે છે. શુભ ચોઘડિયામાં શરૂ કરેલ શ્રી નારદજી દ્વારા શાંતિ યજ્ઞ એક પછી એક અલૌકિક આનંદની અનુભૂતિ ઉપસ્થિત દરેક વ્યક્તિને કરાવે છે બધા જ મહેમાનો આયોજન તથા સમીયાણા સુશોભન ના વખાણ કરતા થાકતા નથી.

લેખક શ્રી દ્વારા કરવામાં આવતા વર્ણનો વાંચીને આપણને જાણે કોઈક આધુનિક સમયના માંગલિક પ્રસંગ ને માણતા હોય તેવી અનુભૂતિ થાય છે અને નારદજીના અધ્યક્ષસ્થાને શોભતો શ્રીકૃષ્ણ આયોજિત શાંતિ યજ્ઞ અનેક પાત્રોના પ્રકટીકરણ અને કથા બીજો ને આગળ વિકાસ કરે છે.

પ્રથમ દિવસે જ પધારેલા અતિથિ મહાત્માને જોઈ બધા જ આશ્ચર્ય પામે છે ત્યાં તો શ્રીકૃષ્ણ ભગવાન સામે ચાલીને પાદ પ્રક્ષાલન કરે છે અને ખુદ કૈલાશ પતિ જ્યાં તેમને મળવા આવે તે વિલક્ષણ પ્રસંગના દર્શનથી બધા જ નગરજનો અહોભાવ અનુભવે છે.

આ મહાત્મા વિવિધ વિશેષણો દ્વારા શ્રી કૃષ્ણ ને નવાજે છે. શ્રીકૃષ્ણના પ્રભાવને વર્ણવતા એક વાક્ય ઉચ્ચારે છે કે શ્રીકૃષ્ણના આજીવન બ્રહ્મચારી રહ્યા બસ આ એક જ વાક્ય આ પ્રકરણને આગળ વધારે છે.
બપોરના ભોજન વિરામ બાદ સુભદ્રા આ એક પ્રસંગના અનુસંધાને શ્રી કૃષ્ણ ની રાણી લક્ષમણા સત્યાના અમુક ઇશારાથી વ્યથિત થઈ જાય છે. તે બ્રહ્મચર્ય પરની તેમની રાણીઓની શંકાને સહન નથી કરી શકતી. પરંતુ બંને સ્ત્રીઓ પણ આખરે તો શ્રીકૃષ્ણની રાણીઓ એટલે નિખાલસ ભાવે પોતાની ચેષ્ટા સ્વીકાર કરી લઈ વાતાવરણને પુનઃ પ્રફુલ્લિત બનાવી દે છે.અને લેખક મહાભારતના અનુસંધાને ધૃતરાષ્ટ્રે કરેલી ટકોરથી નવા પ્રસંગ કથનની તક શોધી લે છે.

શ્રીકૃષ્ણ અને 16,108 રાણીઓ ની કથા ખૂબ જ સુંદર રીતે સત્યભામાના મુખ દ્વારા કરવામાં આવી છે. ત્યારનાના સમયના સંજોગો સ્ત્રીઓની દયનીય સ્થિતિ ની સાથે રામ અવતાર ના પ્રસંગને વણીને 16108 રાણીઓ અને શ્રીકૃષ્ણના સંવાદોને ખુબ જ સરસ રીતે આલેખવામાં આવ્યા છે. અને અંતે સત્યભામાના કહેવાથી જ શ્રીકૃષ્ણ ભગવાન લગ્ન કરી બધી સ્ત્રીઓને રક્ષણનું અભય વચન આપે છે તે પણ વાચક વર્ગ ની માહિતી માં નવો ઉમેરો કરે છે.


🍂 સર્વ પ્રકારે
સગપણ સાચવે
છતાં મુક્ત 🍂

આ પ્રસંગની સાથે જે સુભદ્રા પોતાના ભાઈના પક્ષમાં વિવિધ ગળે ઉતરી જાય તેવી વાતો દ્વારા શ્રીકૃષ્ણના બ્રહ્મચર્યને સાબિત કરે છે ફક્ત શબ્દો નહીં તેમની પાછળ ના અર્થ સમજાવે છે. આ ઉપરાંત મહાભારત ના અઢારમા દિવસની વધુ એક ઘટના યાદ કરે છે અને સત્યભામાને તે કહેવા માટે સૂચવે છે. આ ઘટનાનો નિર્દેશ જ વાચકો ને આગળ નું પ્રકરણ વાંચવા માટે પ્રેરિત કરે છે.



શ્રી રાધાવતાર...
10 ઉત્તરા પુત્ર પરીક્ષિતનો પુનર્જન્મ...

તાદ્રશ્યતા ઉત્તમ કૃતિની સફળતાનું રહસ્ય...... વાચક વાંચતો જાય સાથે સાથે ઘટના નું ચિત્રાંકન થતું જાય. રાધાવતાર માં આપણે જોઈ શકીએ એક વિશેષ વિશેષતા એટલે કે બધી જ ઘટનાથી આપણે માહિતગાર હોવા છતાં ભોગીભાઇ ની દ્રષ્ટિ એ ઘટનાને વાંચીએ એટલે નવા પરિમાણો સિદ્ધ થાય છે.

આ કૃતિમાં મહાભારતની કદાચ સૌથી વધુ કરુણા ઉત્પન્ન કરનારી ઘટના વિશે સુભદ્રા વાત કરવાની શરૂઆત કરે છે. શ્રીકૃષ્ણના આજીવન બ્રહ્મચારી છે તે સત્યભામાએ સ્પષ્ટતા કરી પણ સાથે સાથે આ ઘટનાથી તે વાત સિદ્ધ પણ થાય છે.

અભિમન્યુ વધ ની ઘટના ને યાદ કરી સુભદ્રા એક પછી એક કરૃણ ઘટનાનો ઉલ્લેખ કરી છેલ્લા દિવસની ઘટનાને વર્ણવી છે. અશ્વત્થામા ની વિનાશલીલા ની શરૂઆત.... પોતાની આંધળી ભક્તિમાં પાંડવોના પાંચેય પુત્રોને હણી નાખે છે અને તેના રુધિર ના પ્રવાહ માં પાંડવો અને દ્રૌપદી ના આંસુ સુકાતા નથી તે સમયે અર્જુનનો ક્રોધ ભભૂકી ઊઠે છે. અશ્વત્થામા આટલું અધુરું હોય તેમ અર્જુન સાથેના યુદ્ધ માં બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરે છે.અને પછી પાછું વાળી ન શકતા ઉત્તરા નો પુત્ર જે હજુ જનમ્યો નથી તેના પર ઉપયોગ કરે છે.

આ સમયે પણ આપણને શ્રીકૃષ્ણ દ્વારા કોઈપણ ઘટના વખતના આઘાતમાં તત્કાલીન કેમ વર્તન કરવું? તે સમજાવવામાં આવ્યું છે. અર્જુન ને શાંત રહેવા જણાવે છે.
અને અધુરા જ્ઞાન ની ટીકા કરે છે. વિનાશકારી અને ઉપદ્રવી અલ્પ જ્ઞાન કરતાં નિખાલસ અને નિરુપદ્રવી અજ્ઞાન વઘારે સારું છે
🍂, અજ્ઞાની મન
ચડિયાતું હંમેશા
અલ્પ જ્ઞાનથી🍂

અર્જુનને ઉત્તરાના મૃત પુત્રને જીવિત કરવાનું વચન આપે છે છેલ્લે અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે છે અને છેલ્લે દ્રૌપદી બીજી વખત સહાય માટે ઉત્તરાના મૃત પુત્રને લઈ સહાય માટે દોડી જાય છે.શ્રી કૃષ્ણ ના મુખ પર હજુ એવું જ સ્મિત ફરકે છે. દ્રૌપદી ગુસ્સે થઇ જાય છે આના પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણ સાચી પ્રતિજ્ઞા નું મહત્વ વર્ણવે છે.એક પછી એક દ્રૌપદી ના સતીત્વ, યુધિષ્ઠિર ની સત્યતા અને અર્જુન ની શ્રેષ્ઠતા વિશે પ્રતિજ્ઞા નિષ્ફળ જતાં છેલ્લે પોતે પોતાના આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ મૃત બાળક પર અમી નો છટકાવ કરે ત્યાં બાળક જીવીત થઈ જાય છે.ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિને શ્રી કૃષ્ણ ના બ્રહ્મચારી હોવાની ચમત્કારિક સાબિતી મળી જાય છે.તો સુભદ્રા તો એમ પણ કહે છે કદાચ ફકત રાધાજી નું નામ જ લીધું હોત તો પણ બાળકમાં પ્રાણ આવી જાત.

આમ સુભદ્રા એકીસાથે બંને ઉદ્દેશ્ય પૂર્ણ કરે છે રાધાજીનું શ્રી કૃષ્ણ ના હ્રદયમાં સ્થાન અને કૃષ્ણનો નિર્મળ પ્રેમ.....

બધી જ મહારાણી ઓ આ અસ્ખલિત વાણીના જાદૂથી અભિભૂત હતી ત્યાં બલરામજી ના પ્રવેશથી વહી જતી વાર્તા અને પ્રકરણ નો અંત આવે છે.