Savant 303 books and stories free download online pdf in Gujarati

સવંત ૨૦૭૯

આજથી હિંદુ સંવત્સર ૨૦૭૯નો શુભારંભ
.
નવસંવત્સર દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ (સુદ)ની એકમે મનાવવામાં આવે છે. આ દિવસ સૃષ્ટિ તથા બ્રહ્માંડનો જન્મ દિવસ છે. આજથી ૦૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે એટલે કે આશરે ૧૯૬.૧૦ કરોડ વર્ષ પૂર્વે માનવઉત્પત્તિ થઇ હોવાનું હિંદુ દર્શનશાસ્ત્રોએ માન્યું છે. પ્રાચીન સમયથી ભારત દેશે જ અગ્રણીઓને જન્મ આપ્યો છે અને શિક્ષિત કર્યા હોવાનું માનવામાં આવે છે. જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રાચીન ભારતનો જોટો જડવો મુશ્કેલ છે.
.
સૃષ્ટિના આરંભથી લઈને કેટલાય હજારો વર્ષો સુધી ભારત જ એક એવો પ્રદેશ હતો કે જ્યાં જ્ઞાન, વિજ્ઞાન, પરા અને અપરા વિદ્યા તથા ચરિત્ર વિગેરે જેવું શિક્ષણ મળતું હતું અને સમગ્ર સંસારમાંથી લોકો ભારતમાં તેને પ્રાપ્ત કરવા આવતા હતા. વેદોનું જ્ઞાન પણ તે સમયમાં જ વિકસિત થયું હોવાનું માનવામાં આવે છે.
.
એક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથ છે તેમાં એક શ્લોક છે: चैत्र मासि जगद ब्रह्मा ससर्ज प्रथमेहनि, शुक्लपक्षे समग्रन्तु तदा सूर्योदये सति – એટલે કે ચૈત્ર સુદ એકમના સૂર્યોદયના સમયે બ્રહ્માએ આ જગત એટલે કે આ સૃષ્ટિની રચના કરી.
.
ભાસ્કરાચાર્યએ રચેલ “सिद्धान्त शिरोमणि” ગ્રંથમાં એક શ્લોક છે: लंकानगर्यामुद्याच्च भानोस्तस्यैव वारं प्रथमं बभूव, मघो: सितादेर्दिनमासवर्षयुगदिकानां युगपत्प्रवृत्ति: અર્થાત લંકા નગરીમાં સૂર્યના ઉદય સાથે એ સૂર્યના વાર એટલે કે રવિવાર (આદિત્યવાર)ના દિવસે ચૈત્ર સુદ એકમના આરંભમાં દિવસ, માસ, વર્ષ તથા યુગ આ બધાનો એક સાથે આરંભ થયો.
.
ब्रह्म पुरान, अथर्व वेद, शतपथ ब्रह्म તથા स्मृत कौस्तुभ ગ્રંથોમાં પણ આ વાત જ છે. स्मृत कौस्तुभ ગ્રંથમાં દર્શાવેલ છે કે ચૈત્રી નવસંવત્સરના દિવસે રેવતી નક્ષત્રના વિશ્કુમ્ભ યોગમાં ભગવાન વિષ્ણુએ “મત્સ્યાવતાર” લીધો હતો.
.
આજે સમગ્ર ભારતના વિદ્વાનો પણ આ હકીકતોથી અજાણ છે કારણ કે આ બધું સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં હોવાથી એને પુરાવા સ્વરૂપે ગણવા આજના વિદ્વાનો તૈયાર નથી.
.
જો આ જ વાત અંગ્રેજી અથવા તો તેને લગતી કોઈ ભાષામાં કરવામાં આવી હોત તો તેને પુરાવા તરીકે ગણી લેવામાં આવી હોત.
.
કોઈ સ્વીકાર કરે કે ના કરે પરંતુ એ સત્ય હકીકત છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ આજથી ૦૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે થઇ હતી.
.
પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરાઓથી પણ એવું પુરવાર થાય છે કે ચૈત્ર સુદ એકમથી જ બ્રહ્માજીનો દિવસ, સૃષ્ટિ સંવત, વૈવસ્વતાદિ મન્વન્તર તથા સતયુગ જેવા યુગ તથા વિક્રમ સંવતનો આરંભ થયો છે,
.
હિંદુ તરફ અસહિષ્ણુ તથા અત્યાચારી મુગલ સમ્રાટ ઔરંગઝેબે પોતાના જ્યેષ્ઠ પુત્ર યુવરાજ મોહમ્મદ મોઅઝઝમ (કે જેઓ બહાદુરશાહ જફર તરીકે પ્રસિદ્ધ છે)ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “इरोज़ ऐयाद मजू सअ स्त व एकाद-कफ्फार ह-नुद रोज इ जलूस विक्रमादित्य लाइन व मबदाए तारीख ए हिन्दू” અર્થાત ચૈત્ર સુદ એકમ અગ્નિપૂજક (પારસીઓ)નું પર્વ છે અને કાફિર હિંદુઓના વિશ્વાસાસુનાર અધિકૃત વિક્રમાદિત્યના રાજ્યાભિષેકની તિથી છે અને ભારતવર્ષના નવસંવત્સરનો આરંભ દિવસ છે”.
.
મહાભારતના યુદ્ધ પછી સમ્રાટ યુધિષ્ઠિરે પણ નવસંવત્સરના દિવસે જ રાજ્યારોહણ કર્યું હતું.
.
સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક આજથી ૨૦૭૮ વર્ષ પહેલા થયો હતો તે આ પત્રથી પુરવાર થાય છે. આજે આ જ વિક્રમ સંવતને નવસંવત્સર કહેવામાં આવે છે.
.
સંવત્સર પાંચ પ્રકારના હોય છે (૦૧) સૌર (૦૨) ચંદ્ર (૦૩) નક્ષત્ર (૦૪) સાવન અને (૦૫) અધિમાસ. આ પાંચેનો સમાવેશ વિક્રમ સંવતમાં થઇ જાય છે. સાવન સંવત્સરમાં ૩૬૦ દિવસ હોય છે. ચાંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનું હોય છે એટલે ઘણી વખત આ પ્રકારના સંવત્સરમાં અધિક મહિના સાથે તેર મહિનાનું વર્ષ પણ હોય છે. સૌર સંવત્સરમાં ૨૬૫ દિવસ હોય છે જે સૂર્યની મેષ સંક્રાતિથી શરુ થઈને મેષ સંક્રાતિએ પૂર્ણ થાય છે.
.
સંવત્સરનું ૬૦ વર્ષનું ચક્ર મનાય છે. એમાં વર્ષોની સંખ્યા નહિ પણ ૧ થી ૬૦ સુધીના નક્કી કરેલ નામ લખાય છે. ૩૬૧ દિવસ, ૨ ઘડી અને ૫ પળનું આવું એક વર્ષ થાય છે.
.
એ ચક્રના ૬૦ વર્ષના નામ
.
(૧) પ્રભવ, (૨) વિભવ, (૩) શુક્લ, (૪) પ્રમોદ, (૫) પ્રજાપતિ, (૬) અંગિરા, (૭) શ્રીમુખ, (૮) ભાવ, (૯) યુવા, (૧૦) ધાન્ય, (૧૧) ઈશ્વર, (૧૨) બાહુધાન્ય, (૧૩) પ્રમાથી, (૧૪) વિક્રમ, (૧૫) વૃષ, (૧૬) ચિત્રભાનુ, (૧૭) સુભાનુ, (૧૮) તારણ, (૧૯) પાર્થિવ, (૨૦) વયવર, (૨૧) સર્વજિત, (૨૨) સર્વધારી, (૨૩) વિરોધ, (૨૪) વિકૃતિ, (૨૫) ખર, (૨૬) નંદન, (૨૭) વિજય, (૨૮) જય, (૨૯) મન્મથ, (૩૦) દુર્મુખ, (૩૧) હેમલંબ, (૩૨) વિલંબી, (૩૩) વિકારી, (૩૪) શાર્વરી, (૩૫) પ્લવ, (૩૬) શુભકૃત, (૩૭) શોભન, (૩૮) ક્રોધી, (૩૯) વિશ્વાવસુ, (૪૦) પરાભવ, (૪૧) પ્લવંગ, (૪૨) કીલક, (૪૩) સોમ્ય, (૪૪) સાધારણ, (૪૫) વિરોધકૃત, (૪૬) પરિધાવી, (૪૭) પ્રમાદી, (૪૮) આનંદ, (૪૯) રાક્ષસ, (૫૦) અનલ, (૫૧) પિંગલ, (૫૨) કાલયુક્ત, (૫૩) સિદ્ધાર્થી, (૫૪) રૌદ્ર, (૫૫) દુર્મતિ, (૫૬) દુંદુભિ, (૫૭) રુધિરોધારી, (૫૮) રક્તાક્ષ, (૫૯) ક્રોધન અને (૬૦) ક્ષય.
.
સંવત્સરમાં ૨૦ વર્ષના ત્રણ ગાળા હોય છે (૦૧) બ્રહ્મા (૦૨) વિષ્ણુ અને (૦૩) મહેશ એટલે કે રુદ્ર. અત્યારે રુદ્રના વીસ વર્ષ ચાલી રહ્યા છે. રુદ્રના નવ વર્ષ પૂર્ણ થયા છે.
.
સંવત્સર ૨૦૭૭ પ્રમાદી સંવત્સર હતું. તેનો રાજા બુધ અને મહામંત્રી ચંદ્ર હતો. જેના કારણે દેહની અર્થવ્યવસ્થા તથા પ્રશાસનિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવી રાખવા માટે બહુ જ અઘરું બની રહ્યું. ૨૦૭૭ સંવત્સર તેના નામ “પ્રમાદી”ના પ્રમાણે દેશની જનતામાં પ્રમાદ અને આળસનો ફેલાવો કર્યો. મોંઘવારી વધારી અને અનેક કારણોથી દેશની જનતાના દુ:ખોમાં વધારો થયો.
.
સંવત્સર ૨૦૭૮ સંવત્સર ગ્રહોના વિચિત્ર યોગના કારણે “રાક્ષસ” સંવત્સર હતું. સંવત્સર ૨૦૭૭ “પ્રમાદી” હતું તો સંવત્સર ૨૦૭૮ “આનંદ” હોવું જોઈતું હતું. પરંતુ ગયા વર્ષે ૯૦ વર્ષ બાદ એવો સંયોગ બની રહ્યો કે તેને કારણે એક આખા સંવત્સરનો લોપ થઈ ગયો. તેને કારણે સંવત્સર ૨૦૭૮ “આનંદ”ને બદલે તેના પછીનું એટલે કે “રાક્ષસ” સંવત્સર હતું.
.
આજથી શરૂ થતું સંવત્સર ૨૦૭૯ “અનલ” સંવત્સર છે. આ સંવત્સરમાં અગ્નિ એટલે કે આગનો ભય સતત રહેતો હોય છે તથા મોંઘવારી આકાશે આંબતી જોવા મળતી હોય છે. દેશો-દેશો વચ્ચે વેરભાવ વધતો રહે છે અને અંતે દેશો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કુદરતી આફતો – ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવામાં આવી શકે છે.
.
સંવત્સર ૨૦૭૯નો રાજા શનિ અને મંત્રી ગુરુ છે. શનિ ન્યાયનો દેવતા હોવાથી આખું વર્ષ શનિ ન્યાય અપાવવામાં સક્રિય અને સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. મંત્રી ગુરુ પણ આખું વર્ષ શુભ રહે એવો પ્રયાસ સતત કરી શકે છે. વરસાદ ખેતીલાયક થઈ શકે છે. ખેતીક્ષેત્રમાં ધન-ધાન્ય ભરપૂર થઈ શકે છે. વિશ્વમાં ભારતનું પ્રભુત્વ વધતું જોવા મળી શકે છે.
.
ઉત્તર ભારતમાં આ સંવત્સરનો પ્રારંભ બૃહસ્પતિ રાશિ બદલે ત્યારથી મનાય છે પણ વ્યવહારમાં ચૈત્ર સુદિ એકમથી એનો પ્રારંભ થાય છે. દક્ષિણમાં “બાર્હસ્પત્ય સંવત્સર” લખાય છે પરંતુ ત્યાં એનો બૃહસ્પતિની ગતિ સાથેનો કોઈ સંબંધ નથી. ત્યાં આ સંવત્સરને સૌર વર્ષની બરોબર માને છે અને ત્યાં કદી પણ સંવત્સરનો ક્ષય મનાતો નથી.
.
સર્વને આ હિંદુ નવસંવત્સર ૨૦૭૯ શુભદાયી, લાભદાયી, આરોગ્યપ્રદ તથા સમૃદ્ધિસભર નીવડે એવી શુભેચ્છાઓ