A true thief books and stories free download online pdf in Gujarati

સત્યવાદી ચોર

કાલુ વ્યવસાયે ચોર હતો..

એ ધરમપુર નામનાં નગરમાં રહેતો હતો. નગરમાં એક સંત હતા જેમની પાસે ઘણા લોકો ધ્યાન શીખવા જતા. કાલુને પણ ધ્યાન શીખવાની ખૂબ ઈચ્છા હતી. એક દિવસ સંત પાસે ગયો અને તેમને ધ્યાન શીખવવા વિનંતી કરી

તેણે સંત સમક્ષ કબૂલાત પણ કરી કે તે ચોર છે અને ચોરી થકી તે પરિવારનું ગુજરાન ચલાવે છે. કારણ કે તેને બીજો કોઈ કામધંધો આવડતો નથી.

"ચોરી કરવા સિવાય તારામાં કોઈ ખરાબ ટેવો કે દુર્ગુણો છે?" ગુરુજીએ તેને પૂછ્યું

મહાત્મા, જ્યારે પણ ચોરી કે ધાડમાં થોડો વધારે દલ્લો મળ્યો હોય ત્યારે હું થોડો દારૂ પીઉં છું. જ્યારે મને પુષ્કળ પૈસા મળે ત્યારે હું જુગાર રમું છું. હું એક ચોર છું એટલે મારે વારંવાર જૂઠ પણ બોલવું પડે છે. સિવાય મને બીજી કોઈ ખરાબ ટેવો નથી." કાલુએ ચોખવટ પાડી.

ગુરુજી તેની નિખાલસતાથી ખુશ થયા અને તેને પૂછ્યું, “ ક્ષણથી તું આમાંથી કઈ ખરાબ આદતને સંપૂર્ણપણે છોડી દેવાનું વચન શકે છે? તું આમાંથી કોઈ પણ એક કુટેવ છોડી શકે અને એક અઠવાડિયું એનુ ઈમાનદારીથી પાલન કરી શકે તો પછી મારી પાસે આવજે હું તને ધ્યાન શીખવીશ, જે પરમ આનંદને પામવાનો એકમાત્ર રસ્તો છે."

કાલુએ થોડો વિચાર કર્યા પછી કહ્યુ, “મહાત્માજી, હું ઘરફોડી કરવાનું છોડી શકુ નહીં કારણ કે તે મારી આજીવિકા છે. દારૂ પીવાનું પણ છોડી શકીશ નહીં કારણ કે હું ક્યારેકપીઉ છું, અને જવલ્લે જ મળતો આનંદ મારે ગુમાવવો નથી. હું જુગાર રમવાની લાલચને પણ રોકી શકતો નથી. પણ હું તમને વચન આપું છું કે કોઈ પણ સંજોગોમાં માત્ર સત્ય બોલીશ અને ક્યારેય જૂઠું બોલીશ નહીં.” ગુરુજીના આશીર્વાદ લઈને તે વિદાય થયો.

રાત્રે તેણે રાજાનો ખજાનો લૂંટવાની યોજના બનાવી હતી.

અડધી રાતે એ મહેલમાં ગયો અને તહેખાનાની દિવાલમાં બાકોરું પાડવાનું શરૂ કર્યું. તહેખાનાની ઉપર આવેલા શયનખંડમાં સૂતેલા રાજાને દિવાલ તૂટવાનો અવાજ સંભળાયો તેની નિંદ્રા તૂટી. રાજા તપાસ કરવા બહાર આવ્યા.

રાજાએ સાદો પોષાક પહેર્યો હોવાથી ચોર તેને ઓળખી શક્યો.

રાજાએ કાલુને પુછ્યું : "તું કોણ છે અહીં શું કરે છે?”

કાલુ બોલ્યો ભાઈ, હું ચોર છું અને ખજાનો લુંટવા આવ્યો છું. મને લાગે છે તુ પણ ચોર છે અને મારી જેમ ચોરી કરવા માટે અહીં આવ્યો છે.

પરંતુ કોઈ વાંધો નહી, ચાલ બંને અંદર જઈએ અને ચોરીનો જે માલ મળે એ આપણે સરખા ભાગે વહેંચી લઈશું."

બંનેએ તહેખાનામાં પ્રવેશ કર્યો અને ત્યાં હતા તમામ સોના ચાંદીના સિક્કા, ગળાનો હાર, સોનાનો મુગટ, માણેક, મોતી સહિત અન્ય કિંમતી ચીજવસ્તુઓ લીધી અને ત્યાંને ત્યાં જ તેમની વહેંચણી કરી લીધી.

નીકળતા પહેલાં ચોરે એની આદત મુજબ કંઇ બાકી રહી ગયું નથીને એ જોવા છેલ્લી નજર નાખી. એક ખાનાની અંદરથી તેને ત્રણ મોટા હીરા મળ્યા. કાલુ મુંઝાયો હવે આ ત્રણ હીરાને બે ભાગમાં કેવી રીતે વહેચવા?

રાજાએ તેને વિચાર સુજાડ્યો, “આપણે ખજાનામાથી બધુ જ તો લઈ લીધું છે. હવેત્રણમાંથી એક હીરો ગરીબ રાજા માટે અહીં છોડી દઈએ અને બાકીના બેમાંથી એક એક હીરો આપણે આપસમાં વહેંચી લઇએ.”

રાજાએ સૂચવ્યા મુજબ કાલુએ કર્યુ. નીકળતી વખતે રાજાએ તેનું નામ અને સરનામું પૂછ્યું. કાલુએ માત્ર સત્ય કહેવાનું વ્રત લીધું હોવાથી પોતાની સાચી માહિતી આપી અને લૂંટનો માલ લઈને ચાલ્યો ગયો.

રાજાએ પણ લૂંટમાંથી મળેલો પોતાનો હિસ્સો લઈ લીધો અને તેના કક્ષમાં છુપાવી દીધો. બીજા દિવસે સવારે તેણે તેના દીવાનને બોલાવ્યો અને કહ્યુ આગલી રાત્રે મને તહેખાના પાસેથી કેટલાક વિચિત્ર અવાજો સાંભળાઇ રહ્યા હતા. તમે ખજાનાનું નિરીક્ષણ કરો અને બધુ બરાબર છે કે નહીં તેની તપાસ કરીને મને જાણકારી આપો

દીવાન તહેખાનામાં તપાસ કરવા ગયો. અંદર જોતાં જ તેની આંખો ફાટી ગઈ. આખો ખજાનો ખાલી હતો, બધી કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. ફકત એક હીરો બચ્યો હતો. દીવાનને લાગ્યું કે કદાચ અજાણતામાં ચોરથી એક હીરો પડી ગયો હશે એટલે માત્ર એક હીરો બચ્યો હશે.

દીવાનની દાનત બગડી, ખજાનો જોવા સૌથી પહેલા એ જ ગયો હતો, એણે વિચાર્યુ- ખજાનામાં એક જ હીરો બચ્યો છે એ તેના સિવાય બીજું કોઇ જાણતું નથી. એ કહેશે એ બધા માનશે. જો બચેલો હીરો પોતે રાખી લે તો કોઈને તેના પર શંકા થવાની નથી.’ દીવાને હીરાને પોતાના પહેરણનાં ખિસ્સામાં મૂકી દીધો તે રાજા પાસે પાછો ગયો અને ખજાનો લૂંટાઇ ગયાની જાણ કરી. રાજાએ ખાસ કરીને પૂછ્યું, "શું તમે એમ કહેવા માગો છો કે ચોરે આપણો કિંમતી ખજાનો સંપૂર્ણપણે સફાચટ કરી દીધો છે અને ખજાનામાં એક પણ વસ્તુ બચી નથી? દીવાને કહ્યુ હા મહારાજ એક પણ વસ્તુ ખજાનામાં બચી નથી.”

રાજાએ સિપાઈ વડાને બોલાવીને એક ચોક્કસ સરનામે જઈને કાલુ નામના ચોરને પકડી લાવવા કહ્યું.

કાલુને પકડી લાવીને રાજાની સમક્ષ રજૂ કરવામાં આવ્યો.

રાજા હવે અસલી પોશાકમાં હોવાથી કાલુ અનુમાન લગાવી શકે તેમ નહોતો કે આ રાજા પોતે જ કાલ રાતની ચોરીમાં એનો ભાગીદાર હતો!

રાજાએ તેને પૂછ્યું, "શું તું ચોર છે કે જેણે ખજાનામાંથી બધું ચોરી લીધું છે? કંઇ પણ પાછળ છોડયું નથી?"

કાલુએ સહજતાથી ચોરીની કબૂલાત કરી અને કહ્યું, "મહારાજ, મારા એક સાથીદારની સલાહ મુજબ મેં એક હીરો તહેખાનામાં પાછો મૂકી દીધો હતો અને તે હીરો હજી પણ ત્યાં હોવો જોઈએ."

કાલુની વાત સાંભળીને દીવાન ગભરાયો, એ વચ્ચે જ બોલી ઉઠ્યો, “મહારાજ, ચોર જૂઠું બોલે છે, ખજાનામાં કંઈ બચ્યું નથી.”

રાજાએ વડા સિપાહીને દીવાનના ખિસ્સા તપાસવાનો હુકમ કર્યો. દીવાનનાં ખિસ્સામાંથી ગુમ થયેલ હીરો મળી આવ્યો.

રાજાએ તેના દરબારીઓ તરફ ફરીને કહ્યું, “અહીં એક દીવાન છે જે જૂઠો અને ચોર છે અને અહીં એક ચોર છે જે સત્યવાદી સજ્જન છે. આજથી હું ચોર કાલુને મારા દીવાન તરીકે નિયુક્ત કરૂ છું.

રાજાએ દીવાનને જેલમાં ધકેલી દેવાનો સિપાઈ વડાને આદેશ આપ્યો.

કાલુ સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાના કાન પર વિશ્વાસ આવ્યો. તેણે રાજાના ચરણોમાં પડીને વિનંતી કરી: “મહારાજ, હું દીવાન તરીકેનો ઉંચો હોદ્દો લેવા નથી માંગતો કારણ કે હું તો માત્ર મારા ગુરુજીએ આપેલી સલાહ મુજબ સત્ય બોલ્યો હતો. હજુ તો મેં સત્ય બોલવાનું શરૂ કર્યાનો આ પહેલો જ દિવસ છે અને અહીં મને આટલું મોટું પદ મળ્યું. જો હું મારી જાતને સંપૂર્ણ રીતે મારા ગુરુજીને સમર્પિત કરું તેમના માર્ગદર્શન પ્રમાણે ભક્તિ અને ધ્યાન કરુ તો મને કેટલાય અગણિત લાભ થશે! હું મારી બધી વસ્તુઓ પાછી આપી દઈશ. કૃપા કરીને મને રજા આપો અને મારા ગુરુજી પાસે જવા દો.''

રાજાએ કહ્યું - "મને પણ તારી સાથે આવવા દે."

એક દિવસમાં તારા ચારિત્ર્યને બદલવાના આવા અવિશ્વસનીય કાર્યને સિદ્ધ કરી શક્યા એવા સંતના, તારા ગુરુજીના મારે પણ દર્શન કરીને આશિર્વાદ લેવા છે.”

**

ગીતા સાર:

"શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દરેક મનુષ્યકેળવવા માટેના છવ્વીસ સગુણોની યાદી આપી છે, જેમાં સત્યતાનો પણ સમાવેશ થાય છે, કોઇ વ્યક્તિ એમાંથી ફક્ત એક ગુણ પણ કેળવી શકે તો અન્ય તમામ ગુણો કોઈપણ પ્રકારનાં પ્રયત્નો કર્યા વિના એની સાથે ચાલશે.”