Charitra ane Rastranirman - 2 books and stories free download online pdf in Gujarati

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 2

(2)

૧૦. સર્વધર્મસમભાવ - ૧

જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યકત કરનારા છે.

પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્ઘારા વ્યક્ત થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને બીજાના ધર્મ વિશે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે.

આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો.

નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો. પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.

જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ.

.... અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઇને ઊંચનીય માનવાપણું રહેતું નથી. બધા સાચા પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઇ

શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ, સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.

અહીં ધર્મ-અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલી ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ

સિદ્ઘાંત તો એક જ છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારું જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્માં એક જ છે. પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહીં ટળે.... ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનુ, પણ તેને પાતરાં અસંખ્ય છે.

પારકાની ભૂલને સારુ આપણે તેને પીડવા નથી, આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમ જે પાળે છે, તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.

૧૧. સ્વદેશી

સ્વદેશીવ્રત આ યુગનું મહાવ્રત છે.

.... આપણી પાસે રેહવાની સેવામાં ઓતપ્રોત થઇ જવું એ સ્વદેશી ધર્મ છે.... એ સેવા કરતાં દૂરના રહી જાય છે. . ....એથી ઊલટું દૂરનાની સેવાનો મોહ રાખતોં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે.

દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશી ન લાવીએ.

સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખીને હું તેને પંપાળું, તેને ખાતર ધન રચું, એ સ્વદેશી નથી.

મારા ગામમાં મરકી થઇ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીન, પુત્રીને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઇ મોતને શરણ થાય તો મેં કુટુંબનો સંહાર નથી કર્યો, તેની સેવા કરી છે.

બધા સમજી શકે તેવો, બધાને જે પાળવાનીઆ યુગમાં આ દેશમાં બહુ અવશ્યકતા છે એવો ક્યો સ્વદેશી ધર્મ હોઇ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઇ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાને નુકસાન થાય છે એમ કોઇ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા

ચોરી કરતાં અટકાવાય તો તેમાં નુકસાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુકસાન નથી લાભ છે.

પણ જેઓ રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પહેરી-

પહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ

મહામોહમાં ડૂબેલા છે. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન કરતા નથી.

સ્વદેશીવ્રતનું પાલન કરનાર જ્યાં જ્યાં પડોશીની સેવા કરી શકાય

એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલી આવશ્યક માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે. પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધારવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઇને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહીં મંડી પડે.

પરિશિષ્ટ - ૧

નમ્રતા

નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.

પણ જો એ ચકરાવામાંથી નીકળી જઇએ - એટલે કંઇ નથી થઇ જઇએ - તો બધું થઇ જઇએ.

કંઇ થવું એટલે ઇશ્વરથી - પરમાત્માથી - સત્યથી વિખૂટા થવું.

કંઇ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું.

પરિશિષ્ટ - ૨

વ્રતની આવશ્યકતા

ઇશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે.

.... ઇશ્વર મહાવ્રતધારી છે.... વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો

પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ

ચાલી શકે ?

‘બને ત્યાં સુધી’ વચન શુભ નિશ્ચયોમાં ઝેર સમાન છે.

જે પાપરૂપ હોય તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય.

રચનાત્મક કાર્યક્રમની રૂપરેખા

આમુખ

રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. રચનાત્મક કાર્યક્રમ પૂરેપૂરો અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે.

સવિનયભંગ અથવા સત્યાગ્રહ અશસ્ત્ર બળવાની અવેજીમાં બરાબર તેનું જેટલું કામ આપે તેવો ઇલાજ છે. જેમ સશસ્ત્ર બળવાને

માટે તાલિમની જરૂર છે તેવી જ સત્યાગ્રહને માટે પણ તાલિમની જરૂર છે. સત્યાગ્રહ કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગોનો અમલ કરવો.

હિંસાને રસ્તે સત્યને સૌથી પહેલાં અને સૌથી વધારે વેઠવું પડે છે; અહિંસાને માર્ગે તેનો સદૈવ વિજય થાય છે.

(આમુખ - રચનાત્મક કાર્યક્રમ - તેનું રહસ્ય અને સ્થાન, એપ્રિલ ૨૦૦૨, પા. ૩, ૪, ૫)

૧. કોમી એકતા

એકતાનો સાચો અર્થ છે દિલની તોડી તૂટે નહીં તેવી દોસ્તી.

એવી જાતની એકતા સિદ્ઘ કરવાને માટે સૌથી પહેલી જરૂર એ છે કે મહાસભાવાદી ગમે તે ધર્મનો હોય પણ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, વગેરે સૌનો પોતાને પ્રતિનિધિ સમજે; એટલે કે ટૂંકમાં હિંદુ એ બિનહિંદુ સૌનો પ્રતિનિધિ છે એમ માને.

હિંદુસ્તાનના કરોડો વતનીઓ પૈકીના એકેએકની સાથે તેઆત્મીયતા અનુભવે; આવી આત્મીયતા સિદ્ઘ કરવાને સારુ એકેએક

મહાસભાવાદી પોતાના ધર્મથી જુદો ધર્મ પાળનારા લોકો સાથે અંગત દોસ્તી બાંધે. વળી તેને પોતાના ધર્મને માટે જેવો પ્રેમ હોય તેવો જ તે બીજા ધર્મો પર રાખે.

આ જાતની આપણી સુખદ સ્થિતિ હશે ત્યારે રેલવેનાં સ્ટેશનો પર આજે આપણને શરમાવનારી ‘હિંદ ચા’ ને ‘મુસ્લિમ ચા’ તથા

‘હિંદુ પાણી’ ને ‘મુસલમાન પાણી’ જેવી બૂમો પડે છે તે સાંભળવાની નહીં હોય.

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી ગંભીર ભૂલ માનતો આવ્યો છું.... સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે.... અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી.... સત્તાનો અસલ ભંડાર તો સત્યગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે....એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે, અને એવા સવિનયભંગના પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો ! એવી

પ્રજા સરકારના ધારાસભાના ને વહીવડી તંત્રને આખું ને આંખું થંભાવી દેશે.... આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઇ પોલીસની કે કોઇ

લશ્કરની જબરદસ્તી કામ આવતી નથી.

૨. અસ્પૃશ્યતાનિવારણ

એકેએક હિંદુએ તેમના કાર્યને પોતાનું માનીને તેમને મદદગાર થવું જોઇએ, અને તેમના અકળાવી મૂકે તેવા ભયાનક અળગાપણામાં તેમની પડખે જઇને ઊભા રહેવું જોઇએ.

૩. દારૂબંધી

દારૂના તથા અફીણના પંજામાં સપડાયેલા વ્યસનીઓને તેમાંથી છોડાવવાના ઉપાયો (દાકતરોએ) તેમણે ખોલી કાઢીને અજમાવવા જોઇએ.

આ સુધારાના કાર્યને આગળ વધારવામાં સ્ત્રીઓને અને વિદ્યાર્થીઓને ખાસ તક છે. પ્રેમથી કરેલી અનેક નાનાંમોટાં કાર્યો દ્ઘારા તે બંને વર્ગો વ્યસનીઓના દિલ પર એવો કાબૂ જમાવશે કે પોતાની ભૂંડી કુટેવ છોડવાને પોતાના આ પ્રેમાળ સેવકોએ કરેલી અરજ કાને ધર્યા વિના તેમનો છૂટકો નહીં થાય.

રાષ્ટ્રીય મહાસભાની સમિતિઓ આનંદ આપે તેવાં રંજનના

મથકો કે વિશ્રાતિગૃહો ઉઘાડે, જ્યાં થાક્યાપાક્યા મજૂરો પોતાનાં અંગોને આરામ આપી શકે, ચોખ્ખાં અને તંદુરસ્તી આપનારાં પીણાં કે સોંઘી નાસ્તાની વસ્તુઓ મેળવી શકે અને મનગમતી તેમ જ અનુકૂળ

રમતગમતો રમી શકે.

૪. ખાદી

ખાદી એટલે દેશના બધા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ

જ સમાનતાની શરૂઆત. એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો

હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની

મહેનત તથા બુદ્ઘિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ કરવો જોઇએ.

સિદ્ઘાંત ઘડાયો છે તે એ છે કે, દરેક દરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી. થોડાક સામાન્ય નિયમો જણાવું :

(૧) જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય

તેણે ઓછામાંઓછો પોતાની વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો ....

પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે.

(૨) કાંતનારની પાસે પોતાની કપાસ ન હોય તો તેણે

લોઢવાને માટે જોઇએ તેટલો કપાસ વેચાતો લઇ લેવો. લોઢવાનું કામ

હાથ ચરખાની મદદ વિના પણ બહુ સહેલાઇથી થાય તેવું છે. એક પાટિયું ને એક લોઢાનો ટૂંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી

લેવાને પૂરતું સાધન છે . જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાની વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય

છે.... પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય.

કાંતવાને માટે હું ધનૂષ તકલીની ખાસ ભળામણ કરું છું. તે એટલા કારણસર કે, ધનુષ તકલી બનાવી લેવાનું વધારે સહેલું છે. રેંટિયા કરતાં સોંઘી પડે છે ને રેંટિયાની માફક તેમાં વારે વારે સમારકામ કરવું નથી પડતું.

કાંતણ સુધીનાં જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકીસાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો ! વળી ગરીબ ને તવંગર સૌ એક જ જાતનું કામ કરે તો તેમાંથી નીપજ્તા પ્રીતિના બંધથી બંધાઇ

પોતપોતાના ભેદો ભૂલીને કેટલાં સરખાં થાય તેનોખ્યાલ કરો ?

૫. બીજા ગ્રામોદ્યોગો

ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો,

ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય.

દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઇએ.... ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ

ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.

૬. ગામસફાઇ

શોભીતાં અને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેરઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જ અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે....

આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઇના નમૂના બનાવવાં જોઇએ.