Gurjareshwar Kumarpal - 5 books and stories free download online pdf in Gujarati

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 5

મહારાજ જયસિંહદેવની પાદુકા

ચંદ્રાવતીના પરમારોની પાટણભક્તિ પ્રસિદ્ધ હતી. આજે ત્યાગભટ્ટ આવ્યો અને આ પણ આવ્યા. એટલે એમને રેઢા ન મૂકવા એ દ્રષ્ટિએ કૃષ્ણદેવ ને ઉદયન ને કાક – સૌ એમની સાથે રાજદરબારે ઊપડ્યા હતા. 

આ પરમાર ધારાવર્ષદેવ કેમ આવેલ છે. એનો કાકને કે કોઈને હજી કાંઈ ઉકેલ મળ્યો ન હતો. એટલે કાકના મનમાં તો અત્યારે બે મોટા પ્રશ્નો આવીને એણે મૂંઝવી રહ્યા હતા: એક પ્રશ્ન તો એ કે પેલો મહારાજ ખરેખરી રીતે કોણ હતો એ જાણવાનું એણે હજી બાકી હતું. રાજદરબારમા તો વિવેકવાર્તા ને શોકવાર્તા થશે, પણ આ બંને આબુથી આંહીં આવ્યા છે તો કાંઈક મેળમાં હોવું જોઈએ. મહાઅમાત્યના તેડાવ્યા તેઓ આવ્યા હોય તો એ બહુ આવકારદાયક વસ્તુ એણે ન લાગી. કાકને લાગ્યું કે કુમારપાલની અને રાજસિંહાસનની વચ્ચે જેટલા કંટક ઊભા ન થાય તેટલા ઓછા. 

એ વિચાર કરી રહ્યો. અત્યારે જ કુમારપાલ માટે આશા જેવું ક્યાં હતું! મહારાજની રાજપાદુકા સિંહાસન ઉપર હતી, મહારાજ જયદેવનો દૈવી અવતાર હવામાં હતો. મહાદેવ નાગરે બતાવેલી દ્રઢ અચલ ભક્તિ પ્રજામાં પ્રશંસા મેળવતી જતી હતી. લોકમાનસ તો એમાંથી બોલી કાઢે કે ‘જય મહારાજ જયસિંહદેવની –! જય હો મહારાજ – કુમાર ત્યાગભટ્ટદેવનો! – તો?’ એટલે હજી ચાક ઉપર માટીનો પિંડો હતો. શું ઊતરશે એ ભાવિ જ કહી શકે તેમ હતું. ચિંતા બધાને હતી, નિશ્ચય કેવળ એક-બે જણાના મનમાં હતો. 

પણ ઉદયને આવતાવેંત ધારાવર્ષદેવને રાજદરબારે ઉપાડ્યો હતો, એટલે એમાં ચોક્કસ કાંઈક રહસ્ય હતું. કોઈ ઉતાવળા કામે એ આવ્યો હોય કે પછી એ તરફના અનિષ્ટ સમાચાર લાવ્યો હોય. માલવાના બલ્લાલના તોફાનની વાત તો અહીં આવી ગઈ હતી. 

જે હશે તે હમણાં ખબર પડશે એમ માનીને કાકભટ્ટ નિરાંતે પાલખીમાં બેઠો. થોડી વારમાં સૌ રાજદરબારમાં આવ્યા. અત્યારમાં પણ હજારો નાગરિકોની ત્યાં આવજા થઇ રહી હતી. મહારાજ જયસિંહદેવે પ્રેરેલી અદ્ભુત ભક્તિનો વિજયધ્વજ ફરફરી રહ્યો હતો. કાકભટ્ટ એ જોઈ રહ્યો.

વિક્રમી સિંહાસન જેમ આકાશમાં ઊડી ગયું હતું, તેમ આ પણ ઊડી જાશે – મહારાજનો ઉત્તરાધિકારી કોઈ નહિ આવે તો – એવી વાતો પણ ત્યાં સંભળાતી હતી.

પાલખીઓ મેદાનની બહાર થોભી. અંદરથી પહેલાં ઉદયન બહાર આવ્યો. પરમાર ધારાવર્ષદેવ, કોવિદાસ, કૃષ્ણદેવ, કાકભટ્ટ – સૌ દેખાયા. મહારાજના રાજસિંહાસન તરફ જવા માટે તેઓ સૌ શોકઘેરાં પગલે આગળ વધતા ગયા.

રાજગઢના મેદાનમાંથી એમને જતા જોવા માટે લોકોની ઠઠ જામી. પરમાર ધારાવર્ષદેવને ઓળખવાવાળા કોઈએ પોતાના મિત્રને વાત કરી ને એણે બીજાને – એમ થોડી વારમાં તો ધાર પરમારને નિહાળવા નાનીસરખી મેદની ત્યાં ઊભી થઇ ગઈ. 

ધાર પરમારને મહારાજ જયસિંહદેવના નામ પ્રત્યે નિ:સીમ ભક્તિ હતી. ઉદયનને એ ખબર હતી. ધાર પરામરને ચૌલુક્ય સિંહાસન ભારત-વર્ષના ભાવિને ઘડનાર જણાતું હતું. એ સિંહાસન નહિ હોય ત્યારે શાકંભરી-અર્બુદથી, નર્મદા-ગોદાવરી પાર અરિદળ ઊતરશે. એ સિંહાસન સબળ, સ્થિર ને સમર્થ હશે, તો આ તરફના રાજપૂતી રણમેદાને ને આ તરફ અર્બુદની પર્વતમાળને વીંધીને આવવા મથતા હરકોઈને નાનકડામાં નાનકડો માંડળિક પણ રોકી શકશે એમ એ માનતો હતો. એને અર્બુદમંડલ, શાકંભરી ને પાટણ – ત્રણેના એક મેળમાં એક સમર્થ ભારતરક્ષક ચક્રવર્તી સત્તાનું પ્રાગટ્ય જણાતું હતું. 

મહારાજના રાજખંડના બહારના ચોગાનમા ઊભા કરેલા મંડપમાં સૌ આવ્યા. મહારાજના સિંહાસન પ્રત્યે ધાર પરમારે ભક્તિનમ્રભાવે કેટલીક વાર સુધી બે હાથ જોડી માથું નમાવી રાખ્યું ને પછી થોડા ડગલાં આગળ જઈ, મહારાજની પાદુકા પાસે તેણે મસ્તક નમાવી પોતાની સમશેર સાદર કરી, મહારાજના હાથે એ પાછી સ્વીકારતો હોય તેમ તે બે હાથે સમશેરને આડી ધરી રહ્યો અને ત્રણ ડગલાં પાછળ જઈ, એક તરફ ઊભા રહી, એણે ફરી વાર મસ્તક નમાવ્યું. એના અત્યંત સમર્થ શરીરમાંથી ઊભી થતી આ વિનમ્રતા એટલી મનમોહક ભક્તિ-આકર્ષણ ઊભી કરનારી થઇ પડતી હતી કે બહાર મેદાનની જનમેદનીએ આ જોતાં, ‘મહારાજ જયસિંહદેવ અમર હો!’ કરીને એક પ્રચંડ ધ્વનિ વડે આકાશ ગજવી મૂક્યું. 

મહારાજના સિંહાસન પાસે બેઠેલા મહાઅમાત્ય મહાદેવ નાગરે પરમારને પાસેના આસન ઉપર બોલાવ્યા. ચારે તરફ મંત્રીમંડળ બેસી ગયું. સૌનાં દિલમાં શોક હતો. મહારાજની હાજરીની જાણે સૌ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઉદયન, કાક – બધા ત્યાં ગોઠવાઈ ગયા.

‘પરમારજી,’ ક્યારે – આજે આવ્યા?’ મહાદેવે પૂછ્યું અને એ ઉદયન સામે જોઈ રહ્યો: ખરી રીતે ઉત્તર મેળવવા, પણ એક રીતે શંકાનું સમાધાન પામવા. ઉદયને તો આને તેડાવ્યો નહિ હોય – શંકા એને થઇ ગઈ હતી. 

‘ચાલ્યો જ આવું છું, પ્રભુ! આ... સાંભળ્યું ને ધરતી પગ નીચેથી સરી ગઈ. શેષનાગ વિનાની પૃથ્વી થઇ ગઈ. બીજું શું?’ ધાર પરમાર બોલ્યો. એના કંઠમાં ખરેખરો શોક હતો. 

‘કાંઈ કહેવાની વાત નથી –’ મહાદેવે કહ્યું, ‘પણ ભગવાન સોમનાથના દરબારમાં જ જ્યાં એમનો ખપ પડ્યો, ત્યાં બીજું શું થાય? શા સમાચાર છે તમારી તરફના? ત્યાં બલ્લાલનું નામ સંભળાય છે. એ છે કોણ વળી?’

‘પ્રભુ! હું આવ્યો છું જ એટલા માટે.’ ધાર પરમારે કહ્યું, ‘બે વાત મારા મનની પણ મારે કહેવાની છે. મહારાજને કહેવાની રહી ગઈ. હવે તમને કહેવી રહી.’

‘તમારા જેવા સામંત જ્યાં સુધી છે, ત્યાં સુધી મહારાજ આંહીં જ બેઠા છે.’ મહાદેવે પાદુકા તરફ માથું નમાવ્યું અને ઉદયન તરફ જોઇને ઉમેર્યું, ‘કાં, મહેતા? આપણે એ જ અનુભવી રહ્યા નથી અત્યારે?’

‘મહાઅમાત્યજી બોલ્યા તે વાક્ય સોળ વાલ ને એક રતી છે, પરમારરાજ! મહારાજ જયસિંહદેવ અમારે મન હજી આંહીં જ બેઠા છે. તમારે પણ એમ જ સમજવું.’ ઉદયન બોલ્યો. 

ધાર પરમાર વાત કહેવા માટે આગળ સર્યો. 

‘કૃષ્ણદેવજી, આવો ને! પરમાર, તમે પણ! ઉદયન...!’ મહાદેવ નાગરે ઊભા થઈને સિંહાસન પાછળના મંત્રણાખંડ તરફ સૌને દોર્યા.

પરમાર ધાર મહાઅમાત્ય સાથે અંદર ગયો, એટલે કાકભટ્ટ કોવિદાસ પાસે સર્યો. એનો જીવ ક્યારનો આ કેમ આવ્યા છે એ જાણવા માટે તલપાપડ થઇ રહ્યો હતો.