Baalmanas Mechyuriti books and stories free download online pdf in Gujarati

બાળમાનસ મેચ્યુરીટી

બાળમાનસ મેચ્યોરીટી એ કંઈક અજીબ લાગતો શબ્દમેળાપ છે તોય વાત સમજવા લાયક તો ખરી.આજકાલના સમયમાં આમ તો મેચ્યોરીટી બહુ ઓછી જોવા મળે એવું સાંભળવા મળે.આપણે સમજવું પણ પડે કે આ મેચ્યોરીટી કહેવી કોને? એક સીધી લીટીમાં કહીએ તો મેચ્યોરીટી એ એવી બલા છે જ્યાં માણસ સમય,પરિસ્થિતિ અને ઉમર પ્રમાણે સંપૂર્ણમાં અંશત: ઓછું કહી શકાય તે પ્રમાણે આદર્શ મુલ્યોને આધીન રહીને પોતાની ઉપસ્થિતિની પ્રતીપ્તી કરાવે દુનિયાના હાજર પ્રતિબિંબને.

હવે બાળમાનસ કહેવું કોને એ દ્રષ્ટિગોચર કરવું પડે.કેટલાક સિધ્ધાંતો છે કે જેના પર દુનિયા ચાલી રહી છે.સિધ્ધાંતો એ જ છે પણ સમય સાથે બદલાવ આવી જાય છે આ દુનિયામાં.તો આવું થતું કેમ હોય છે? શું એ સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે? આવા બધા સવાલ સામે માનવામાં આવે તો ફક્ત એવું અનુમાનિત કરી શકાય કે સમય સાથે માણસ બદલાયો છે અને એ સાથે વિચારો પણ બદલાયા છે અને આ વિચારો દ્વારા દુનિયાના સિધ્ધાંતો કે ઉસુલોના મુલ્યાંકનમાં ફેરફાર આવ્યો છે.અને એ મુલ્યાંકન ક્યારેક સંકુચિત બને તો એને બાળમાનસ કહી શકાય પછી એ કોઈપણ ઉમરના વ્યક્તિ દ્વારા જ કેમ ના થયું હોય.એટલા માટે જ માણસની ઉમર માટે થઇ ને કેટલીક વખતે યોગ્ય પ્રતિભા દ્વારા તેઓ માટે બે માપન પધ્ધતિ અપનાવાય છે.જેમાં એક તો એની શારીરિક ઉમર કે જન્મને આધારિત મપાય છે અને બીજી એની માનસીક ઉમર કે જેમાં વિચારશક્તિને માપી લેવાય છે.

અત્યારના સામાજિક જીવનમાં વિચારભેદ મોટાપાયે વધી રહ્યો છે એ પછી કોઈપણ ક્ષેત્રમાં કેમ ના હોય.રાજકારણીઓ દ્વારા ઘણી વખતે ઉભા કરવામાં આવતા વિચારભેદ હોય કે પછી પત્રકારીત્વનું ક્ષેત્ર હોય.બીજાયે ઘણા છે જેમાં લેખકોની કોઈ એક પક્ષ તરફે ઢળીને લેખનકાર્ય હોય કે ટીવી ચેનલ હોય,કંપનીઓ દ્વારા હરીફાઈમાં એકબીજાની જાસુસી જેવી વિચારકલ્પના હોય કે સર્વસ્વીકૃતિ પામેલ વિચારોને ખોખલા કરી નાંખવાની નકલી આક્ષેપબાજી હોય.આ બધામાં મોટી તક્લીફ એના ફોલોઅરને પડતી હોય છે જે રેડીમેડ વિચારોને મફતમાં ખરીદી લે છે અને પોતાની શક્તિને ખોઈ નાંખે છે કારણ કે એ પછીથી બીજાના વિચાર પ્રત્યે નફરત તથા ગુસ્સાઈ માનસ ધરાવતો બની જાય છે.આપણે ભલે કોઈના રેડીમેડ વિચારને અપનાવતા હોય પણ એને મુલ્યાંકન કરવા જેટલી માનસીક શક્તિ તો રાખવી જ જોઈએ જેથી ક્યારેક સાચા ખોટાને પારખવું મુશ્કેલ ના બને.

નાના હોઈએ ત્યારે અમુક લોકો ખીજવવા માટે થઇને પૂછે કે તને કોની સાથે લગ્ન કરવા છે? અને આપણે શરમાઈને લગ્ન કરવાની જ ના પાડતા ત્યાંથી ભાગીએ છીએ.આપણી ઉમર વધતા જ આપણે એ જ વિષય માટે થઈને શરમ છોડીએ છીએ અને છૂટથી વાત કરી લઈ કારણ એવું આપી શકીએ કે આપણે સમય અને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધીએ છીએ અથવા તો મેચ્યોર બનીએ છીએ.પરંતુ મોટી ઉમરે પણ કોઈ આવી વાત કરે અને આપણે શરમાઈને ભાગીએ તો તે આપણી બાળમાનસ મેચ્યોરીટી જ માનવી પડે.પોતાની સમજને હકારાત્મક કે નકારાત્મક અભિગમમાં તે જ સમયે દર્શાવી શકે તો તેમાં મેચ્યોરીટીની ઝલક દેખાઈ આવે.

એક વ્યક્તિની પર્સનાલીટીમાં તેનો સ્વભાવ એક અગત્યનો ભાગ ભજવે છે.આમાં મોટાભાગે લોકો મિલનસાર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે.આવો સ્વભાવ રાખનાર લોકો કોઈની સાથે ખોટા અથડાવામાં માનતા નથી હોતા.તેઓ પોતાની એક દુનિયા બનાવી રાખે છે જ્યાં તેમને ગમતા લોકોનો સંયોગ હોય છે અને જરુરીયાત સભર માણસોનો સાથ હોય છે.અમુક લોકો એવા પણ હોય છે જેમને બહુ જલદીથી સમાજજીવનમાં ઊંચું સ્થાન મેળવવાની લાલશા જાગી ઉઠતી હોય છે.તેઓ વધુ પડતી મિલનસાર વૃતિ અપનાવી લે છે.કોઈપણ વ્યક્તિત્વ હોય બસ તેનો કોઈપણ રીતે કોન્ટેક્ટ કરીને પોતાના વ્યક્તિવિસ્તારપણાની નીતિને ચલાવે રાખતા હોય છે.આ બધા કોન્ટેક્ટ મોટાભાગે તો તેમની સીડી જ હોય છે જ્યાં જરૂર પડે લાભ ખાટવાની હરહંમેશ એમની કોશિશ રહેતી જ હોય છે.છેવટે આવું વ્યક્તિત્વ બહુ ઊંચું પહોંચી જાય ને નીચે નજર ફેરવે તો ત્યાં કોઈ પાયો સ્થિર રહ્યો હોતો નથી અને એમને પોતે જ ચણેલી સીડીમાં સ્થિરતા પ્રાપ્ત થતી અને છેવટે અંતમાં એનું પોતાનું કોઈ રહેતું હોતું નથી.એક સમય એવો પણ આવે છે જ્યાં એનીં વ્યક્તિવિસ્તારપણાની નીતિની ઝડપ એના એ વિસ્તારમાંથી છુટા પડનારની ઝડપથી ઘટી જાય છે.છેવટે બચે છે તો એણે પામેલી ઉંચાઈ.જ્યાં એને કાંધો આપનારની સંખ્યામાં હજારો સામેલ થાય છે કારણ કે એ હજારોમાંથી એના જેવી સીડી કોઈએ નથી બનાવી હોતી.એમણે તો હંમેશા પાયો જ બનાવ્યો હોય છે દીવાલો બનાવવા.

બાળવિચારો ગુણવત્તાયુક્ત છતાયે બાળમાનસ કેમ બિનગણનાપાત્ર? બાળકોને સંસ્કાર સિંચનમાં મોટેભાગે તો સારા આચાર-વિચાર જ મળતા હોય છે અને તેનું પાલન પણ મહદઅંશે કરાવાય છે તોય વળી ઘણાને માટે ઘરનું વાતાવરણ પણ મોટોભાગ ભજવતું હોય છે જ્યાં ઘણી જગ્યાએ ઘરમાં ખુલ્લેઆમ ગાળો માં-બાપ દ્વારા જ બોલાતી હોય છે અને ત્યાં સંસ્કારની વાત કરવી પણ બેકાર હોય છે તથા ખુદ તેવા માં-બાપની બાળમાનસ મેન્ટાલિટી છતી થાય છે.મોટાભાગના બાળકોની વાત કરીએ તો તેઓના વિચાર બહુ સરળ,નિર્દોષ અને લાક્ષણીક હોય છે.આમ છતાયે તેમને બહુ ગણનાપાત્ર માનવામાં આવતા નથી.પણ હવે થોડોક ટ્રેન્ડ બદલાયો છે.મોટાભાગે તો નવા બનતા પરિવારો નાના,શિક્ષીત તથા ઉંચી આવક ધરાવતા હોય છે પણ તેમની એકમાત્ર કમઝોરી અત્યારના સમયમાં દેખાતી હોય તો તેમનો વડીલો સાથેનો છૂટતો સાથ.આવા પરિવારોની એક સારી બાબત હોય તો એ જ કે તેઓ બાળકોની વાત પણ ધ્યાનથી સાંભળે છે અને અમલ કરવા યોગ્ય વાતોનો સહજતાથી અમલ પણ કરે છે.આ બધામાં માં-બાપની મેચ્યોરીટી બહું મઝાની ઝળકી ઉઠે છે છતાં પણ વડીલોને ધિક્કારે છે તેવા પણ બાળમાનસ જ ધરાવે છે.જે બાળકોની વાતો ખરેખર આપણને વિચારવા માટે મજબુર કરે તેવા બાળકોની મેન્ટાલિટી મેચ્યોર જ કહેવાયને...!

વ્યક્તિની મેચ્યોરીટી દર્શાવવા વ્યક્તિના પહેરવેશ પર ઘણા ધ્યાન આપતા હોય છે.આમ તો બધું સામાન્ય જ હોય પણ જો કોઈએ નવી ફેશન અડોપ્ટ કરવાની હિંમત કરી તો તેના માટે સ્ટેટસબાજી તૈયાર જ હોય છે.આમાય બે ભાગ પડી જાય શહેરી અને ગામઠી..!ખાસ તો વળી છોકરીયો માટે જ.શહેરમાં ખાસ કરીને લોકો જૂની રીતિઓ કે પરમ્પરાઓના એડીક્ટ નથી હોતા એટલે કોઈપણ પહેરવેશ વિષયક બાબત હોય તે ફેશનમાં ખપી જાય છે પછી તે સારી હોય કે ખરાબ.આમપણ તેઓ બદલાતા રહે છે એટલે ખોટી ફેશન આવી પણ જાય તો બહુ જલદીથી વિદાય પણ લઇ લે છે.ગામડાઓમાં આ બાબતે તદ્દન ઉલટું હોય છે.ત્યાં પહેરવેશ માટે પરંપરાઓ છે.રીતી-રિવાજો છે.તેમાં પણ અમુક એવી રૂઢીગ્રસ્ત પ્રણાલીઓ સિવાય ઘણી એવી રીતિઓ સારી પણ હોય છે.તેઓની પોતાની એક સંસ્કૃતિ હોય છે.તેઓની સ્વભાવગત બાબત હોય તો એ જ કે તેઓ જૂનું છોડી શકતા નથી ને નવું જલદી અપનાવી શકતા નથી.બંનેમાં સારું છે અને ખરાબ પણ.આ બંનેનો અમુક રીતમાં સમન્વય કરી લેવામાં આવે તો તે વ્યક્તિ બધાની વહાલી બની જાય છે.છતાંપણ આ વાત માટે ઘણી વખતે વિવાદ રાષ્ટ્રીય ફલક પર દેખવા મળે છે.મારા મતે આ બધું થવાનું કારણ શહેર અને ગામડા વચ્ચેનો વધતો ભેદ છે.ગામડાનો જનમત પણ આખરે દેશનો જનમત જ હોય છે.એટલે સ્વાભાવિક બાબત છે કે જનપ્રતિનિધિત્વમાં પણ તેઓ એટલા જ ભાગીદાર રહેતા હોય છે તોપણ બધા પ્રતિનિધિ લોકો એટલી સમજદારીપૂર્વકની માનસિકતા દર્શાવી શકતા નથી.ઘણા હોય છે જે તેમની જડ માનસિકતાને પકડી રાખતા હોય છે અને આવી બાબતોના વિખવાદ બહુ મોટાપાયે થતો હોય છે.ત્યાં એમનું સારાપણું દટાતું જાય છે.

સામાજિક પરંપરાઓમાં વખતોવખત એની જરૂરિયાત અનુસાર બદલાવ આવવો જોઈએ.આ હેતુ માટે થઈને કેટલાક સંગઠનો ઉભા થતા હોય છે.આ બધામાં કેટલાક પોતાનો ધ્યેય જાળવી રાખતા હોય છે અને એ એજન્ડા પર જ કાર્ય કરતા રહેતા હોય છે.તેઓની પોતાની ઓળખ બિનરાજકીય રીતે વધુ રહે છે.જયારે અમુક સંગઠનો બહુ મોટો વ્યાપ ધરાવતા હોય છે પણ રાજકીય ઈચ્છાશક્તિ પ્રમાણેનું જ તેમનું કાર્યક્ષેત્ર રહે છે.મોટેભાગે તો આવા બંને પ્રકારના ગ્રુપ સમાજના સાંપ્રત પ્રવાહો સાથે જ કાર્ય કરતા હોય છે અને એનો નાનો-મોટો લાભ પણ થતો હોય છે સમાજને કંડારવામાં.આ સમાજ એવી બલા છે ને કે એને કોઈ વૈચારિક શિલ્પી ના મળે ને તો એ નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાતો જાય છે ને પછી આવનારી પેઢીઓને એ ગર્તામાંથી નીકળતા બહુ લાંબો સમય અને મહેનત લાગી જતા હોય છે.

એક લગ્ન જેવા પ્રસંગનું ઉદાહરણ લઈને એનું બહુ ધ્યાનથી નિરીક્ષણ કરવામાં આવે તો આપણે આભાસ કરી શકીએ કે આપણે કેટલી ખોટી બલાઓને હાથ પર રાખી બેઠા છીએ પછી એ ભલે દહેજ કે મામેરું.સમાજમાં એક વ્યક્તિ પોતાનો મોભો બતાવવા ઉંચી રકમ આપે તો નાછૂટકે બીજા લોકોને પોતાનું સામાજિક સ્ટેટસ જાળવવા આમાં દેવું કરીને પણ જોડાવું પડે છે.લોકો પણ ઘણી વખતે અમુક ખોટી પ્રથાઓ માટે થઈને વિરોધ ઉઠાવે છે પણ ધ્યાન રાખે છે કે બદલાવની શરૂઆત પોતાને ત્યાંથી ના થાય..! આવી માનસિકતા તેમનું બાળમાનસ જ રજુ કરે છે ને.

પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે જે તે સમય અને પરિસ્થિતિનો ફાળો મહત્વનો હોય છે એટલે જ આ બંનેના સંયોગમાં આપણે વિચારીને કામ હાથ પર લેવું જોઈએ.