Saraswati Chandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૩

મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય

દિવસ ગયો. રાત્રિ આવી. જરાક અંધકાર થયો ત્યાં મેનારાણીહાંફતી હાંફતી રાજા પાસે આવી અને રાજાએ ઊંચું જોયું. રાણીએ નવા સમાચાર કહ્યા.

એજન્ટ મારફત મુળુએ પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને મુળુ કંઇ કંઇ કુભાંડ રચશે એવો સામંતે સિદ્ધાંત કર્યો. મલ્લરાજનું છત્ર ને મણિરાજનું આયુષ્ય એને કંપતું લાગ્યું. મલ્લરાજનું એજન્ટના પ્રશ્નથી થયેલો ક્ષોભ સામંતના રાજભક્ત હ્ય્દયને હલમલાવવા લાગ્યો અને ધર્મિષ્ઠ બન્ધુવત્સલ રાજાનું દુઃખ રાજબન્ધુથી વેઠાયું નહીં - જોઇ શકાયું નહીં. પોતાના દુષ્ટ પુત્રના મૃત્યુ સિવાય બીજો કોઇ માર્ગ સામંતને સૂઝ્‌યો નહીં. રાજાને દુઃખમુક્ત કરવામાં રાજાની આજ્ઞાની જરૂર લાગી. પરરાજ્યમાં પુત્રનું ખૂન કરતાં સ્વરાજ્યના ધર્મનું બંધન ન લાગ્યું. પરરાજ્યમાં દુષ્ટ પુત્રનું ખૂન કરી એ રાજ્યનો રાજા એ ખૂનની શિક્ષા કરે તો તે સ્વરાજ્યને અર્થે યુદ્ધમાં ખપમાં આવવા જેવું કીર્તિકર લાગ્યું. રાત્રિના આઠ વાગતાં ચારપાંચ માણસ લઇ, શસ્ત્ર સજી, સામંત ખાચરના રાજ્ય ભણી ચાલ્યો. મુળુની માતાને આ સર્વ કાર્યની વાસ આવી, અને પુત્રમૃત્યુના તર્કથી કંપતી માતા સાહસ કરી મેનારાણી પાસે ગઇ, સમાચાર કહ્યા અને રોઇ પડી. મેનાએ સર્વ સમાચાર રાજાને કહ્યું. રાજા અંધકારમાં નીકળ્યો. અને રત્નનગરીથી બેચાર ગાઉ આગળ સામંતને પકડી પાડ્યો. સામંત રાજાને દેખી ખીજવાયો, રાજા પાસે ચાલ્યું નહીં, ફરી રાજાની સંમતિ વિના આવું અકાર્ય આરંભવું નહીં એવી પ્રતિજ્ઞા રાજાની પાસે કરવી પડી, ઘેર પાછો આવ્યો પણ પોતાની સ્ત્રીનું મુખ જોવું તે દિવસથી ત્યજી દીધું.

એમ કરતાં કરતાં દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ ચાલ્યાં. સામંતનાં માણસ ખાચરની રાજધાનીમાં જઇ મુળુના સમાચાર લાવતાં. મલ્લરાજે રાજ્યનો ભાર ધીમે ધીમે સામંત અને જરાશંકરને માથે નાંખ્યો, અને મણિરાજને પોતાના સહવાસમાં વધારે વધારે રાખ્યો. વિધાચતુરને ક્રમે ક્રમે કામ પછી કામ આપ્યું. અંતે જરાશંકરરનું પદ એના હાથમાં રાખી, એનું કામ વિદ્યાચતુરને સોંપ્યું. સ્વરાજ્યમાં તથા પરરાજ્યમાં વિદ્યાચતુરની પ્રતિષ્ઠા જામી એટલે અને પ્રધાનપદ સોંપ્યું, અને મણિરાજને પોતાનું કામ સોંપ્યું. નવા પ્રધાન અને યુવરાજના હાથમાં રાજ્યતંત્રનો રથ રાખી રાજા અને જૂનો પ્રધાન માત્ર એ રથ ઉપર દૃષ્ટિ રાખતાં અને પોતાના આયુષ્યને સાંયકાળે પરલોક જીતવામાં કેમ વિજયી થવું એ વિષય વિચારવામાં સર્વ કાળ ગાળતા. આ નવા વિષયમાં પણ બ્રાહ્મણ રાજાનું પ્રધાનપદ સાચવતો. આ મહાન વિજયને સિદ્ધ કરવામાં શાસ્ત્રના દીપ પગલે પગલે વાપરવામાં આવતા, અને રાજ્યપ્રસંગોમાં તેમ બીજા પણ નાના મોટા પ્રસંગોમાં પડેલા અનેક અનુભવોના વનમાં આ દીવાઓનો પ્રકાશ પડતાં નવા જ શોધ થતા. એ દીવા ધરનાર શાસ્ત્રીઓ અને સંન્યાસીઓ રાજા તથા પ્રધાનના અત્યંત સહવાસી થતા ગાય તેમ તેમ ઉભય વર્ગનું પરસ્પર - બહુમાન વધતું ગયું. જે જગત રાજ્યના અંતને નરક કહે છે તે જ જગત આ રાજાપ્રધાનના રાજ્યને અંતે નવું સ્વર્ગ ઊભું થયેલું જોવા લાગ્યું. યુવરાજ અને તેના પ્રધાનને પણ આ નવા સાગરના કિનારા પાસે ઘડી ઘડી આવવું થતું અને એ સાગરની શીતળ લહેરોના લોભનું બીજ તેમના હ્ય્દયમાં રોપાયું.

જ્યારે વૃદ્ધ રાજા અને વૃદ્ધ જરાશંકરનો સંસાર આવાં અવસાન પ્રત્યક્ષ કરવા લાગ્યો ત્યારે વૃદ્ધ સામંત બીજાં જ સ્વપ્ન જોતો હતો. યુવરાજ અને નવા પ્રધાનની દેખરેખ તેને સોંપવામાં આવી હતી, અને તેમની અને રાજ્યની કુશળતાનો શત્રુ મુળુ આયુષ્યમાન છે અને તે શત્રુનો ઉચ્છેદ કરવો આવશ્યક છે એ બે સિદ્ધાંત મુળુના પિતા સાામંતને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાની ચિંતાઓથી ભરવા લાગ્યા, અને એ ઉચ્છેદને સાધન શોધવામાં એના મગજને ભમાવી મૂકવા લાગ્યા. આજ સુધી એ ઉચ્છેદને વાસ્તે એણે જેટલાં સાધન શોધ્યાં હતાં તેમાં મલ્લરાજ આડે આવ્યો હતો, અને હવે શું કરવું કે મલ્લરાજ આડે ન આવે એ વિચાર મલ્લરાજના બન્ધુરત્નને છોડી શક્યો નહીં. રાજાઓ અભિપ્રાય ફેરવવા તે અનેક રીતે પ્રયત્ન કરવા લાગ્યો, પણ રાજા એને હંમેશ હસી કાઢતો અથવા બીજી વાતોમાં નાખી આ વાત ઉડાવતો અને સામંત મનમાં ખીજવાતો. આખરે એણે રાજાને પડતો મૂકી રાજ્યને નિષ્કંટક કરવાનો વિચાર કર્યો.

ખાચરના રાજ્યમાં ગણા પછી પણ મુળુના હ્ય્દયનો અગ્નિ શાંત થયો નહીં. મણિરાજ ક્યાં ક્યાં શિકાર કરવા જાય છે તેની એ નિરંતર તપાસ રાખતો, અને બહારવટિયાઓ સાથે સુભદ્રાની પાસેનાં જંગલોમાં કોઇ કોઇ વખત વેશ બદલી આવતો. સુવર્ણપુરના સુરસિંહ વગેરે બહારવટિયાઓમાં પણ ઘડી ઘડી ભળતો, અને શિકારીને શિકાર સારુ આથડવામાં આનંદ મળે છે તેમ બહારવટિયાઓ સાથે આથડવામાં, તેમનાં સુખદુઃખમાં ભાગ લેવામાં, અને ભૂખ, તરસ તથા ટાઢતડકો અને થાક વેઠવામાં, એને અતિશય આનંદ મળતો. રાણા ખાચરનો અટકચાળો સ્વભાવ એને આ કામમાં ઉત્તેજન આપતો. આ સર્વ વાતોની સામંત પાકી ખબર રાખતો અને મલ્લરાજને જણાવતો. આવી રીતની હકીકત છતાં મુળુનો નાશ કરવામાં વૃદ્ધ રાજા કેમ સંમતિ નથી આપતો એ વિચારતાં સામંત દુઃખી થતો. અંતે નિશ્ચય કર્યો કે મુળુને એના પોતાના ખોદેલા ખાડામાં પાડવો, એ રત્નનગરીની હદમાં વધારે વધારે ટકવાની છાતી ચલાવે એવું કરવું. એવી રીતે એ નિર્ભય હોય ત્યારે એને પકડવો, પકડાતાં મરાય તો મારવો, અને જીવતો પકડાય તો એના શિક્ષાપાત્રને આધારે જીવે ત્યાં સુધી કેદ રાખવો અને એની ખટપટના દાંત તોડી નાંખવા.

આ સર્વ પ્રયત્ન સિદ્ધ કરતાં ઘણો વિલંબ થયો. ખાચર મુળુને સાવધાન રાખતો અને મુળુ બાપનો વિશ્વાસ કરતો નહીં. પણ બાપે બહારવટિયા પકડવામાં દેખીતી શિથિલતા કરવા માંડી તેમ તેમ દીકરાની છાતી વધારે વધારે ચાલવા માંડી. એનું નામ બહારવટામાં પ્રસિદ્ધ થથાં એને મળતો પગાર બંધ કરવા સામંતે સૂચના કરી તે રાજાએ રદ કરી અને ઊલટું હાસ્ય કરી એમ ઉત્તર દીધો કે બહારવટામાં એ છોકરો યુદ્ધકળા શીખશે અને શૂર થશે અને એના સામી ચડાઇ કરાઇ પકડાય તો એને પકડવો, પણ એનો પગાર એકદમ બંધ ન કરવો. રાજાએ અંતે એવી આજ્ઞા કરી કે મુળુને મણિરાજના રાજત્વનો તિરસ્કાર છે તે ખોટો હોય તો તે ખોટાપણું સિદ્ધ કરવા મણિરાજે બહારવટિયા સામે ચડવું અને બળ તથા કળા હોય તો મુળુને પકડવો. સામંતને આ સૂચના ગમી નહીં પણ પાળવી પડી, અને યુવરાજને કુશળ રાખવા તેની જોડે પોતે પણ ચડવા લાગ્યો. મણિરાજનો જાતે ઘાત કરવાનો પ્રસંગ સમીપ જોઇ મુળુ પણ આ સમાચારથી ખુશ થયો. આથી એક પાસ એ બેધડક રત્નનગરીની પ્રજાને લૂંટવા લાગ્યો અને બીજી પાસ બહારવટિયાઓને મલ્લરાજ વશ કરી શકે એમ નથી એવી બૂમો બીજા માણસો દ્ધારા એજન્સીમાં મોકલવા લાગ્યો. એજન્સીમાંથી તે વિશે અનેક પ્રશ્નો અને સૂચનાઓ રત્નનગરી જવા લાગ્યાં અને રાજ્યના તંત્રીઓના ગૂંચવાડાઓને વધારવા લાગ્યાં. ત્રિભેટા આગળ આણી પાસ નહીં તો આણી પાસ નાસી જતાં બહારવટિયાઓને સુલભ પડતું. જડસિંહ અને શઠરાયનું સુવર્ણપુર રત્નનગરી જોડે સંપે એમ ન હતું અને એક પાસથી બહારવટિયાઓને પકડવાની તાકીદ કરનારો ફૉક્સસાહેબ અંગ્રેજી હદમાં પગ મૂકે ને શસ્ત્ર વાપરે તો તેમના ઉપર ફોજદારી ચલાવે એમ ભય લાગતું.

એવામાં મલ્લરાજની શરીરપ્રકૃતિ બગડવા માંડી અને એના આયુષ્યનો અંત સમીપ આવતો લાગ્યો. એક વખત ખાચરના રાજ્યમાં જઇ મુળુને પોતે જાતે ઠાર મારવાની યોજના સામંતે ફરી વ્યાધિગ્રસ્ત રાજા પાસેં મકી, એ ખૂનને વાસ્તે પોતે ખાચરના રાજ્યમાં ફાંસી ચડવા તત્પરતા બતાવી, અને રત્નનગરીના સર્વ કંટક એ દ્ધારા નષ્ટ કરવાના માર્ગની યોગ્યતા સર્વ રૂપે પ્રકટ કરી. પણ - ‘ના-એ કામ કદી કરવું નહીં-’ એવા શપથ રાજાએ સામંત પાસે ઊલટા લેવડાવ્યા અને આંસુભરી આંખે સામંતે આજ્ઞાવશ થઇ આ શપથ લીધા.

સામંતે બીજી રચના રચી. પોતાની પુત્રી ખાચરને આપી ખાચરને પોતાના પક્ષમાં લઇ લેવો અને ખાચર મુળુને સોંપી દે એટલે રત્નનગરીમાં કેદ કરવો એવી ધારણાથી સામંતે ખાચરના દરબારમાં પ્રયત્ન આરંભ્યો અને એના હજૂરીઓ અને દરબારીઓમાં દ્રવ્ય વેરવા માંડ્યું. ખાચરે આ સંબંધ સ્વીકાર્યો, પણ લગ્ન થયા પછી મુળુ વિશેની શરત તોડી. મુળુની બહેને પિતાની આજ્ઞા કરતાં માતાની પ્રીતિ અને ઇચ્છા શ્રેષ્ઠ ગણ્યાં. સામંત છેતરાયચો અને વ્યાધિગ્રસ્ત રાજા સર્વ વાત સાંભળી અત્યંત હસ્યો.

સામંત હાર્યો નહીં. મુળુને આશ્રય આપનાર બહારવિટાયા અને ખાચરનાં માણસોને એણે પુષ્કળ દ્રવ્ય ખરચી ફોડ્યાં અને તેટલે સુધી એ ફાવ્યો. એ સર્વ લોક મુળુને ફસાવવા તત્પર થયા અને મુળુએ તે વાત જાણી નહીં. પણ મુળુની પોતાની સજ્જતા અને સાવધાનતા એ સર્વના પ્રપંચ કરતાં બળવાન હતી.

આણીપાસથી સામંત અને મણિરાજના પ્રયત્ન રાત્રિદિવસ જાગ્રત રહેવા લાગ્યા. એક દિવસ એ બે જણ મનહરપુરીના ત્રિભેટા પાસેના વડ નીચે હતા એટલામાં પાસે જ મુળુ હોવાના સમાચાર મળ્યા. મુળુની પાસેનાં માણસોમાંનો મોટો ભાગ સામંતનો સાધેલો હતો. સામંત, મણિરાજ, અને તેમનાં માણસોએ મુળુ અને તેનાં માણસો ભણી ઘોડા દોડાવ્યા. મણિરાજ આ મંડળમાં છે જાણી મુળુ સામો આવ્યો. પણ ઘોડાની દોડાદોડને નિમિત્તે એની જોડાનાં સામંતનાં સાધેલાં માણસ એને પડતો મૂકી બીજી દિશામાં ચાલ્યાં, અને એની સાથેનાં બાકીના માણસ એક પાસ એ ફૂટેલાં માણસને જતાં જોઇ અને બીજી પાસ મુળુને દોડતો જોઇ દ્ધૈઘીભાવ પામ્યાં અને તેમના ઘોડા આ દ્ધૈઘીભાવામાં નરમ પડતાં તેમની અને મુળુની વચ્ચે છથેટું પડી ગયું. એ ટોળામાં મુળુ હશે એવું ધારી વૃદ્ધ આંખોનો છેતર્યો સામંત છેતરાયો અને પોતાના સર્વ માણસો લઇ એ ટોળાની સામે દોડ્યો. મુળુથી અને ફૂટેલાં માણસોથી છૂટું પડેલું ટોળું સામંતનો ઘસારો જોઇ હિંમત હાર્યું અને નાસવા લાગ્યું. તેમની પાસે આવવા છતાં તેમની પૂંઠ હોવાથી તેમાં મૂળું છે કે નહીં એ સામંત કળી શક્યો નહીં અને એમની પૂઠ મૂકી નહીં.

પોતાના સર્વ માણસોથી આગળ વધેલો મુળુ છૂટો પડ્યો અને તેને દૂરથી મણિરાજની તીક્ષ્ણ યુવાન આંખે શોધી કાઢ્યો અને પોતાનો ઘોડો તેની પાછળ દોડાવ્યો. પોતાનાં માણસોથી પોતાને છૂટો પડેલો સમજી અને મણિરાજની પાછળ બીજાં માણસ હશે એમ ધારી મુળુએ જંગલના એક વિકટ રસ્તા પર પોતાનો ઘોડો દોડાવ્યો અને મણિરાજે પણ એકલા પડી તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. બેચાર ગાઉ સુધી આ પ્રમાણે દોડતાં મુળુ એક નાળા આગળ આવ્યો અને એનો ઘોડો તે નાળા પર કૂદી બીજી પાર ગયો અને મણિરાજનો ઘોડો પણ બીજે ઠેકાણેથી નાળું કૂદી પડ્યો અને મુળુની પાછળ દોડવા લાગ્યો. નાળાની બીજી પાસ સુંદરગિરિનિો એક ભાગ હતો અને તેના કાંઠા ઉપર એક ઊંચો ખડક હતો તે ઉપર આવી મુળુ પોતાનો ઘોડો ફેરવી પાછું જોતો ઊભો અને દૃષ્ટિ આગળ કોઇને ન જોતાં કાન માંડવા લાગ્યો તો માત્ર એક ઘોડાનાં પગલાં સંભળાયાં. આ પગલાં કેણી પાસથી આવે છે એની એને સમજણ પડતાં પહેલાં મણિરાજનો ઘોડો ફાળ ભરી મુળુવાળા ખડકની પાછળના બીજા ખડક ઉપર આવી ઊભો અને તેની સાથે જ મણિરાજે બંદૂક ફોડી. તેની ગોળી મુળુના જીન પાછળ ઘોડાના માંસલ ભાગમાં એવા તો જોરથી વાગી અને અંદર ડૂબી કે ઘોડાની છાતી સુધી ગઇ. આ ગોળીના એવા તો જોરથી વાગી અને અંદર ડૂબી કે ઘોડાની છાતી સુધી ગઇ. આ ગોળીના પ્રહારની સાથે ઘવાયેલો ઘોડો સુવારસુધ્ધાંત ખડકની પેલી પાસ ગબડી પડ્યો. અને નાળાના પાણીમાં ઝબકોળાયો. ઘોડો પછડાયો તેની સાથે સવાર ઊછળી ઊથલી નાળાની બીજી પાસની ભેખડોમાં પડ્યો, અને પેંગડાં એના પગમાં રહ્યાં ને પેંગડાંના બંધ ત્રુટી ગયા. એની કેડેથી અને હાથમાંથી હથિયારો છૂટાં થઇ કેટલાંક નાળાના પાણીમાં પડી અદૃશ્ય થયાં અને કેટલાંક ઘોડાના મડદા તળે ચંપાયાં, અને એની પાસે દેખીતું હથિયાર એક પણ ન રહ્યું.

મણિરાજ પોતાના ખડક ઉપરથી મુળુની આ દશા જોતાં વિચાર કરતો ઘોડા ઉપર બેસી રહ્યો. મુળુ જ્યાં પડ્યો હતો ત્યાંથી થોડી વારે કળ વળતાં ઊઠ્યો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી પોતાની, ઘોડાની, પોતાનાં શસ્ત્રોની, અને ચારે પાસના સ્થળની અવસ્થા તપાસવા લાગ્યો, એમ કરતાં કરતાં એણે ઊંચું જોયું અને આઘેના ખડક ઉપર મણિરાજને ઘોડેસવાર થઇ પોતાને જોતો દીઠો.

મુળુ શસ્ત્ર વિનાનો મણિરાજના ભણી ચાલવા લાગ્યો અને સ્વર સંભળાય એટલું છેટું રહેતાં બૂમ મારી : ‘મણિરાજ, તમારી પાસે સર્વ શ્રેષ્ઠ સજ્જ છે, અને મારાં શસ્ત્ર વેરાઇ ગયાં છે. શસ્ત્રવાળા સાથે હું શસ્ત્ર વિના લડવા તૈયાર છું, પણ ધર્મયુદ્ધ કરવા ઇચ્છતા હો તો શસ્ત્રો દૂર નાકી ઘોડેથી ઊતરી પાળા થઇ સામા આવો.’

મણિરાજે ઉત્તર દીધો : ‘મૂળરાજ, નસાય નહીં એવે સ્થાને તમે છો અને તમારે જીવવું કે મરવું એ મારા શસ્ત્રની સત્તાની વાત છે ત્યાં સુધી અશસ્ત્ર રહી પરાક્રમીની પેઠે લડવાની ઇચ્છા બતાવો છો તે નકામી છે, કારણ કે લડવું કે ન લડવું એ તમારી ઇચ્છાની વાત નથી. હું ઘોડેથી ઊતરી શસ્ત્ર વિના તમારી સાથે લડવા તૈયાર છું પણ તમારા શબ્દ ઉપર એવો વિશ્વાસ નથી કે ઘોડાને નસાડી મૂકું અને શસ્ત્ર નાંખી દઉં. જો તમે ઉપર આવી કુસ્તી કરશો તો મારા ઘોડા ઉપરથી ઊતરીશ, શસ્ત્રો વાપરીશ નહીં અને તમારી સાથે મલ્લયુદ્ધ કરીશ. જો તમે ઉપર નહીં આવો તો મહારાજની આજ્ઞા છે કે તમને મારવા કે પકડવા અને ઘોડો લઇ નીચે આવી તેમની આજ્ઞા પાળવા પ્રયત્ન કરીશ. સારું તે તમારું.’

મુળુ ખડક ઉપર ચડ્યો, મણિરાજ ઘોડા ઉપરથી ઊતર્યો, અને ખડકની મોટી સપાટી ઉપર બેનું મલ્લયુદ્ધ અર્ધી ઘડી ચાલ્યું તે એવી રીતે કે ન કોઇ જીતે ને ન કોઇ હારે. અંતે મુળુ પૃથ્વી પર ચત્તોપાટ પડ્યો અને એની છાતી પર મણિરાજ ચડી બેઠો અને પૂછવા લાગ્યો : ‘મૂળરાજ, ગમે તો મારા કેદી બની મારી સાથે આવવા શબ્દના બંધનથી બંધાઓ ને તે ન ગમે તો તમને બીજા બંધ બાંધવા યત્ન કરતાં શસ્ત્ર વાપરી તમારા પ્રાણ લેવા કાળ આવે તો આપણું અશસ્ત્ર મલ્લયુદ્ધ પૂરું થયું છે.’

આ વાક્ય પૂરું થયું એટલામાં કપટશીલ મુળુએ એક હાથ છૂટો કરી વસ્ત્ર નીચે સંતાડી રાખેલી કટાર મ્યાનમાંથી ખેંચવા માંડી. મણિરાજની સજ્જ આંખ ચેતી ગઇ અને પોતાના વાક્યના ઉત્તરની વાટ જોયા વિના પોતાની તરવાર નાગી કરી. અતુલ બલ કરી છૂટા કરેલા હાથ વડે મુળુ મણિરાજના એક પાસામાં કટાર ખોસી દેવાનો પ્રયત્ન કરે છે અને કટાર અને મણિરાજની કેડ વચ્ચે એક તસુનું અંતર રહે છે એટલામાં મણિરાજની તરવારે મુળુનો છૂટો હાથ તેના શરીરમાંથી જુદો કરી દીધો, તે હાથ અને કટાર ઊછળી ખડકની એક બાજુએ ગડગડી પડ્યાં અને કપાયેલા હાથના મૂળમાંથી રુધિરની નદીઓના પ્રવાહ વેગથી નીકળવા લાગ્યા. આ મોટા ઘાના દુઃખને ન ગણકારતાં મુળુએ પોતાનું આખું શરીર અર્ધો હાથ ઊંચું ઉછાળ્યું, તે ઉછાળાથી ઊછળતા મણિરાજને મણિરાજને પોતાના બે પગ ઊંચા અફાળી આકાશમાં ઉરાડ્યો, અને મણિરાજની તરવાર આઘી પડે એટલે તે અખંડ રહેલે હાથે ઝડપી લેવા કલ્પવા કરી. આ કલ્પના પૂરી થઇ જાય તે પહેલાં મલ્લયુદ્ધનો પ્રવીણ પણ આકાશમાં ઊછળેલો મણિરાજ એવી ચતુરતાથી પૃથ્વી પર પાછો પડ્યો કે એના બે હાથ પૃથ્વી પર મુકાયા, તે હાથ ઉપર એનું શરીર તોળાઇ ઝિલાયું અને તેના અધ્ધર લટકેલા બે પગે પૃથ્વી પાસે આવતાં મુળુનાં શરીરને એવા તો બળથી લત્તાપ્રહાર કર્યો કે મુળુનું શરીર ગબડતું ખડકની કોર ઉપર જઇ જોરથી નદીમાં પડ્યું, એ શરીરની પાછળ લોહીની પહોળી રેખાએ ખડકને રંગ્યો, મુળુ નદીમાં બેભાન થઇ પડ્યો, અને શરીરની આસપાસ પાણી છાછર હતું ત્યાં ચારેપાસ લોહી ફરી વળ્યું અને લોહીના ખાબોચિયા જેવું લાગવા માંડ્યું.

આણીપાસ આ બનાવ બન્યો એટલામાં સામંત મુળુની સાથનાં માણસોની પાછળ પડ્યો હતો તેણે પોતાની ભૂલ કેટલીક વારે શોધી કાઢી, અને મુળુ અને મણિરાજની શોધ કરવા એ માણસોને પડતાં મૂકી બીજી દિશા લીધી.

સામંતની આ ટોળીમાંનાં કેટલાંક માણસ એક દિશામાં ગયાં, અને થોડાંક બીજી દિશામાં સામંતની સાથે ગયાં. તેમાંથી જે ટોળીમાં સામંત ન હતો તે ટોળી, મણિરાજ અને મુળુનું મલ્લયુદ્ધ ચાલતું હતું તે વખતે, નાળાની બીજી પાસ આવી પહોંચી અને યુદ્ધની સાક્ષીભૂત થઇ. કોઇ પણ રીતે મદદ કરવાની શક્તિ ન હોવાથી મણિરાજનું શરીર ઊછળ્યું તે અતિશય ચિન્તાથી આ ટોળીવાળા જોેઇ રહ્યા અને રાજકુમારના પરાક્રમને અંતે શત્રુનું શરીર નદીમાં પડ્યું એટલે એમણે પકડી લીધું અને મુળુ જીવતો કેદ થયો. તે જ પળે મણિરાજ સજ્જ થઇ ઘોડો દોરતો દોરતો કડક ઉપરથી ઊતરી તે સ્થાને આવ્યો. મુળુની આ સ્થિતિ જોઇ એની આંખમાં આંસુ આવ્યાં તે રૂમાલ વડે લોહી નાખ્યાં, અને ઘવાયેલા બન્ધુના શરીરની આસનાવાસના કરવા આજ્ઞા આપી.

સામંત, મણિરાજ, અને સર્વ માણસ મનહરપુરીમાં એકઠાં થયા. મણિરાજનું પરાક્રમ ચારેપાસ ગવાયું અને સામંતનું હ્ય્દય હર્ષથી ફૂલવા લાગ્યું. મારું પોતાનું તરતનું કર્તવ્ય પૂરું થયું છે માટે હું હાલ થોડા દિવસ સુંદરગિરિ ઉપર અને સુભદ્રાની ભેખડોમાં મૃગયા માટે જાઉ છું એમ કહી યુવાન મણિરાજ એ દિશામાં ગયો અને બાકીના મંડળનવે તથા બંદીવાન મુળુને લઇ સામંત રત્નનગરી ભણી ગયો.

મૃગયાધિકારી મંડળ લઇ નીકળી પડેલો મણિરાજ પાંચ છ દિવસ પર્વતની તળેટીમાં, શિખરોમાં અને ખીણોમાં, જંગલનાં ઝાડોમાં અને સુભદ્રાના તીર ઉપરની રેતીમાં ને ભેખડોમાં રમણીય પ્રદેશો જોતો જોતો, ભવ્ય દેખાવોથી કલ્પનાનો ભરતો ભરતો, સવારથી સાંજ સુધી ક્વચિત્‌ ઘોડે ચડી અને ક્વચિત્‌ પગે પાળો ફરી ફરી શરીરને કસરતો આપતો આપતો અને પરસેવાથી નહાતો નહાતો, મૃગયાભિલાષ પૂરો કરતો હતો તેવામાં એક દિવસે ખરે બપોરે કંઇખ થાકી એક ઝાડ નીચે છાયામાં ઘોડાને અઠીંગી ઊભો ઊભો સામા પર્વતની ટોચ આગળ દૃષ્ટિ કરે છે તો એક મહાન ગરુડપક્ષી બે પગ વચ્ચે કંઇક નાનુ પ્રાણી પકડી ઊડતું દેખાયું. તરત બન્દૂકનો ભડાકો સંભળાયો તેની પાછળ ધુમાડાના ગોટા દેખાયા, અને ગોળીથી વીંધાયેલું પક્ષી પશુને પડતું મૂકી પર્વતની ટોચ ઉપર ઘાયલ થઇ પડ્યું. રાજઅરણ્યમાં મલ્લરાજ અને યુવરાજની રજા સિવાય કોઇને મૃગ્યા કરવા રજા ન હતી તે છતાં આ કોની ગોળી હશે, અને ગમે તે કોઇએ તે વગર રજાએ ફોેડી હશે અને ગમે તો કોઇ રાજવંશી અથવા અંગ્રેજ મહારાજની રજા લઇ આવ્યો હશે એમ કલ્પી, તે ગોલી જે દિશામાંથી નીકળી હતી તેણી પાસ કુમારે ઘોડો દોડાવ્યો. કેટલાક છેટા સુધી ઘોડો દોડ્યો એટલે સુભદ્રા આવી. નદીના તીર આગળ એક રમણીય સ્થળે વચ્ચે જરાક ઊંચો કાંઠો હતો અને આસપાસ દરબાર ઝાડો હતાં. આ ઝાડોમાંનાં કેટલાંકની શાખાઓ નદીના પાણી ઉપર લટકી નદીમાં ઝબકોળાતી હતી અને પવનથી હાલતી હતી ત્યારે શીકરબિન્દુનો વર્ષાદ વર્ષાવતી હતી. આ ઝાડની ઘટામાં છાયા પણ ઘાડી હતી અને શાખાઓમાંથી સરતા પવન અને ખરતી શીકરવૃષ્ટિથી આ પ્રદેશની શીતળતા અત્યંત વધી હતી અને આ ગ્રીષ્મકાળમાં સુખ અને શાંતિ આપે એવી હતી. આ ઘટામાં જતાં માણસનાં પગલાં પડેલાં દેખાયાં. તે પગલાંની દિશામાં મણિરાજ ચાલ્યો. ઘટા છેક પાસે આવી ત્યાં ઘોડો ચાલે એમ ન હતું એટલે મણિરાજ ઘોડો દોરતો દોરતો પગે ચાલવા લાગ્યો. કોઇ શિકારી શૂર પુરુષ આ સ્થળે હોય તો તેણે જોડા પહેરેલા હોવા જોઇએ - પમ પગલાં તો ઉઘાડા પગનાં હતાં એટલું જ નહિ, પણ જેટલાં પગલાં જોયાં એટલાં બધાં નાનાં નાનાં છોકરાંઓના અથવા સ્ત્રીઓના પગલાં હતાં. મણિરાજનું કૌતુક ઘણું આકર્ષાયું. આ સ્થળે સ્ત્રીઓ ક્યાંથી હોય ? છોકરા હોય તો ઉઘાડે પગે ક્યાંથી હોય ? ઘણોક વિચાર કરી ઘોડાને એક ઝાડે બાંધી, પોતે ઝાડોમાં પેસે છે તો ત્રણચાર યુવતીઓ દીઠી. તેમાં એક અગ્રેસર સર્વથી શ્રેષ્ઠ મુગ્ધા પંદર સોળ વર્ષની હીત અને બાકીની સ્ત્રીઓ એનાથી મોટી સખીકૃત્ય અથવા દાસીકૃત્ય કરતી લાગી.

‘રત્ની, મને થાક લાગ્યો છે - ચાલો, આપણે સૌ નદીમાં પગ બોળી બેસીએ.’ મુગ્ધ યુવતી બોલી.

‘કમળાબા, પાણીમાં મગર હશે તો ?’

‘હશે તો જોઇ લઇશું. ચાલો તો ખરાં - વારુ, પેલાં ફૂલ સાથે લેજે.’

સર્વ યુવતીઓ નદીમાં પગ બોળી બેઠી. મણિરાજને આ લીલા જોવાનું મન થયું. તેને યુવાવસ્થાનો પવન વાયો હતો પણ તેનું મન દૃઢ હતું અને અત્યાર સુધી મન્મથના વિકારને તેણે ઊગવા દીધો ન હતો. પરંતુ સ્ત્રીઓ સાથે સંભાષણ કરવું ન પડે અને આ સ્થળે આ સ્ત્રીઓ કોણ હશે એ જણાય એટલા કારણથી કરવું ન પડે અને આ સ્થળે આ સ્ત્રીઓ કોણ હશે એ જણાય એટલા કારણથી ઊઘડેલી જિજ્ઞાસામાં સ્ત્રીઓની વિશ્રમ્ભકથાએ આજ કાંઇક અપૂર્વ કૌતુક રેડ્યું.

‘રંક અને સુંદર હરિણોનું ટોળું વાઘના વિચાર વિના જંગલમાં ખેલે છે તેવી રીતે આ સ્ત્રીઓ અહીં રમે છે - તેમના આનંદમાં વિઘ્ન પાડવું એ દોષ છે.’ આમ વિચારતો વિચારતો મણિરાજ ઝાડોમાં ચાલ્યો અને નદીમાં સૌથી આગળ ધપેલા કાંઠાના ખૂણા ઉપર એક ઝાડ હતું તેની ઓથે પોતે ભરાયો અને સ્ત્રીઓનાં મુખ દેખાય ઔએમ ગુપ્ત ઊભો. એમ ઊભા પછી તેમમનાં મુખ જોવામાં દોષ લાગ્યો, એ મુુખ જોનાર પુરુષ રાજ્યનો અધિકારી નથી - ઇત્યાદિ વિચાર થતાં સ્થાન બદલ્યું અને સ્ત્રીઓની પૂઠ દેખાય એમ ઊભો, મને અને મનમાં લવ્યો :

એટલામાં સ્ત્રીઓના સ્વર કાને આવ્યો.

કમળાના બે હાથ બે પાસની સાહેલીઓને ખભે હતા અને એના પગ વારાફરતી ઊંચા થઇ નદીનું પાણી ઉછાળતા હતા અને તે ઊછળતાં પાણી પગ ઉપર એની દૃષ્ટિ હતી.

‘રત્ની, આ મારા પગ અત્યારે તને કેવા લાગે છે ?’

‘તમારા પગ કમળના દાંડા જેવા, પગનાં તળિયાં કમળના ફૂલના ગોટા જેવાં, અને આંગળીઓ પાંદડાં જેવી.’

‘ને, વારુ. આ પાણી ?’ - પાણી ઉછાળવાની ક્રિયા એવી ને એવી ચાલતી રાખી, તે ઉપર દૃષ્ટિ પણ એમની એમ રાખી, કમળા બોલી.

‘પવનથી કે પાણીના જોરથી કમળ ઊંચુંનીચું થાય અને પાંદડા

ઉપરનું ઝાકળ ને પાણી ઊછળે તેવું આ પાણી.’

બીજી એક સહી બોલી : ‘કમળાબા, આ પાણી ઉછાળતાં ઉછાળતાં ગાઓ જોઇએ.’

એમની એમ દૃષ્ટિ રાખી કમળા બોલી : ‘શું ગાઉ ?’

બીજી સહી બોલી : ‘પેલું ગુલાબ ને કેવડાનું તમારું જોડેલું.’

થોડીક વારે કમળાએ એમની એમ દૃષ્ટિ રાખી ગાવા માંડ્યું :

‘મને પિયુ ન ગમે જૂએ જાઇ સમો,

મને પિયુ ગમતો ગુલાબ સમો, - મને.

મને કમળ સુંવાળું ના જ ગમે,

મને કેતક કંટકધાર ગમે - મને.

સખી, જા જઇ એવું તું માનતે કહે,

સુણો, માત, તાત, ટેક મુજ એવડો જો,

મારે જોઇએ ગુલાબ ને કેવડો જો. સુણો.

સારો સુંવાળો સ્વામી મને ન પરવડે જો,

એને સારો સારો કરીને સૌ અડે જો. સુણો.

કાંટાવાળો તે કંથ મારે જોઇએ જો,

રૂડો રંગ ને સુવાસ એમાં સોહીએ જો. સુણો.

લેવા જાય તેને ભચ્ચ કાંટા વાગશે, જો.

માળણ મારા જેવી ચતુર ઝાલશે જો. સુણો.

સુગન્ધ રંગ સંગ ભોગવું હું એકલી જો,

બીજી નાર જોઇ જોઇ ને રહે બળી જો. સુણો.

એવો કંથ તે ગુલાબ કહો કે કેવડો જો,

સૂરજવંશે કમળાને કાજે એ ઘડ્યો જો ! સુણો.

‘ત્યારે તમે ફૂલ તોડી લોને ?’ એક સહી બોલી.

‘મારા મનમાં બીજો એક બુટ્ટો છે કે હું પણ એક ફૂલ છું તે મારી પાસે આવી મને તોડવાની જેનામાં આવડ હોય તેને હું પરણું.’

‘તે તમે કેવું ફૂલ છો ? ને તમને તોડવામાં શું કઠણ છે ?’

‘હું ચંદ્રવંશનું રાત્રિવિકાસી કમળ-પોયણું-છું. મારો વિકાસ એકાતં રાત્રે છે-તે રાત્રે મને શોધી કાઢે ને મારા પાણીમાં આવી મારો વાસ લે, મારી શોભા જુએ, ને મને ત્યાંથી તોડે તેના હાથમાં હું જાઉં.’

આમ બોલે છે એટલામાં ઝાડ પાછળ સંતાયેલો મણિરાજ વાઘની પેઠે ફાળી મારી ઝાડમાંથી કૂદ્યો ને કમળા બેઠી હતી તેની પાછળ એક કૂદકે પડ્યો, અને એક હાથ પાણીમાં કમળના પગ તળે અને બીજો હાથ એના વાંસા પાછળ - એમ બે હાથ રાખી, પ્રથમ એના પગ અને પછી આખું શરીર - એમ બે હાથમાં કમળો ઊંચકી લઇ પોતાના હ્ય્દય પાસે ઝાલી, તેડી રાખી દોડ્યો. એની પાછળ સૌ સહીઓ દોડી, અને પ્રથમ નદીતીરે તે બેઠાં’તાં ત્યાં એક મગર આવી પાણીમાં ઊભો દેખાયો.

હાથમાંથી કમળાને છૂટી મૂકી મણિરાજ બોલ્યો : ‘પાણીમાં તમારા પગ ઊંચાનીચા થતા હતા તેના ચળકાટથી અને તમારા ગાનથી આકર્ષાઇ આ મગર તમારા પગ ભણી આવતો હતો તે ઉપર મારી દૃષ્ટિ પડી એટલે તે તમને પકડે તે પહેલાં તમારું રક્ષણ કરવાને તમને ઊંચકી લીધાં છે તે ક્ષમા કરજો.’

કમળા પાસે ઊભી ઊભી નીચું જોઇ રહી અને જે હાથે પોતાને બચાવી હતી તે હાથના આકાર સામું જોવા લાગી, તેના ગૌર ગાલ પર શેરડા પડી રહ્યા, અને તે બોલી શકી નહીં.

તેની સહી રત્ની બોલી : ‘અમે આપનો ઉપકાર માનીએ છીએ. આપનું નામ, ઠામ, જાત અને કુળ જાણી અમને ઉગારનારને ઓળખી લેવા ઇચ્છીએ છીએ.’

‘મારું નામ મણિરાજ - આ રાજ્યના મહારાજા શ્રી મલ્લરાજનો હું પુત્ર છું. પરસ્ત્રીઓનાં નામ પૂછવાં તે મારો ધર્મ નથી પણ પણ આ ભયંકર અરણ્યમાંથી બહાર જવા ઇચ્છા હોય તો તમને રસ્તો દેખાડવા અને રક્ષણ કરવા ભોમિયો થવા હું તૈયાર છું.’

‘કુમાર, અમારે ભોમિયાની જરૂર નથી. કારણ અમારાં કમળાબહેન ઘોડે ચડે છે ને શસ્ત્ર સજે છે અને એમના પિતા મહારાણા શ્રી ખાચર થોડેક છેટે આપના રાજ્યના અતિથિ થઇ રાત્રે વાસો કરી રહ્યા છે તેમની પાસે જવાનો ટૂંકો માર્ગ આપના કરતાં અમને વધારે માલૂમ છે. માટે આપ મહારાણાને મળવા પધારો અને અમે આપનાં ભોમિયાં થઇશું.’

‘કમળાકુમારીએ આ જંગલમાં શસ્ત્રનો કંઇક ઉપયોગ કર્યો છે ?’ મણિરાજે કૌતુકથી પૂછ્યું.

‘એક ઘેટાને બચાવવા તેને લઇ જનાર ગરુડ પક્ષી ઉપર બન્દૂક તાકી હતી.’

‘ત્યારે એમણે અમારા પિતાના શાસનનો ભંગ કર્યો, માટે એમને તરત કેદ કરવાં પડશે.’ આંખો ચોળતો ચોળતો મણિરાજ બોલ્યો. સર્વ સ્ત્રીઓ કંઇક ચમકી સાંભળી રહી. એટલામાં લજ્જા છોડી કમળા બોલી : ‘

તે આપના રાજ્યમાં એવો કાયદો છે કે અમને બબ્બે વખત કેદ કરો ?’ ‘ના, એક જ વખત.’

‘તે એક વખત તો કેદ કરેલી અહુણાં મને છોડી.’

‘હા. એ વાત તો ખરી. ત્યારે હવે કેદ નહીં કરીએ - પણ તમે જ અપરાધી છો તેની ખાતરી શી રીતે થાય ? સ્ત્રીજાતિ આ કાળમાં બન્દૂક ઉપાડતી સાંભળી નથી.’

‘એ વાત ખરી. હું બન્દૂક ફોડી બતાવું; પણ મારી જ સાથે આપ પણ ફોડી બતાવો તો હું ફોડું.’

આ વાત ચાલે છે એટલામાં સર્વ સહીઓ ધીમે ધીમે અદૃશ્ય થઇ જતી રદી. બે જણ એકાંતમાં ઊભાં.

ખાચરને સામંતની પુત્રી સિવાય એક બીજી એનાથી મોટા વયની રાણી હતી અને કમળાકુમારી તેની પુત્રી હતી. ખાચર, સામંત, મુળુ અને મલ્લરાજ સર્વને સંપ થવાનું સાધન ઇચ્છી સામંતની પુત્રીએ કમળા અને મણિરાજનાં લગ્નની વાત વધારી હતી; યુવાન કમળાના કાનમાં રાતદિવસ મણિરાજની સ્તુતિનું અમૃત રેડ્યાં કર્યું હતું, અને મલ્લરાજના વશંમાં શોક્યના કાંટા વાગવા અશક્ય છે એ લાભ સૌનાં નેત્ર આગળ ધર્યો હતો. કમળા જાતે શૂર ને શુદ્ધ ક્ષત્રિયાણી હતી, ખાચરે લડાવેલી હતી, અને એના મનમાં મણિરાજનો આકાર રાતદિવસ રમ્યાં કરતો હતો. પણ શત્રુના ઘરમાં કન્યા આપવા જવું એ ખાચરને વિષ પીવા જેવું લાગતું. આ સર્વનું પરિણામ એ થયું કે મણિરાજને કમળા દેવાની ખાચર ના પાડતો અને બીજાવરની કમળા ના પાડતી, અને કમળાકુમારી અત્યાર સુધી કુમારી રહી હતી. હાલ મુળુ કેદ થયાના સમાચાર સાંભળી બહેને ખાચરનું માન મુકાવી, એને રત્નનગરીના રાજ્યમાં આણ્યો હતો. ખાચરને આ રાજ્યનાં સર્વ માણસો ઉપર અસલથી તિરસ્કાર અને દ્ધેષ અત્યંત હતો તેને સ્થળે વય અને અનુભવ વધતાં મલ્લરાજના ઉદાત્ત ગુણો તે સમજવા લાગ્યો હતો અને એ વૃદ્ધ અને અનુભવી રાજાના અવસાન સમયે તેની પાસેથી રાજનીતિ અને અનુભવ જાણી લેવાં એવો ઉત્સાહ થયો હતો. આથી એણે પોતાની નાની રાણીની સૂચના સ્વીકારી હતી અને એ રાણી સાથે રત્નનગરી જતાં જતાં રાત્રિ વાળવાને વનમાં ઉતારો રાખ્યો હતો. કમળાને તેની પોતાની ઇચ્છાથી સાથે લીધી હતી. એટલામાં કન્યાને અને મણિરાજને મળવાનો આ પ્રસંગ આવ્યો.

પોતાને અજાણી સ્ત્રી સાથે હોવાને પ્રસંગ મણિરાજને આયુષ્યમાં પ્રથમ આજ જ આવ્યો અને તે પ્રસંગના સહભૂત વિકાર તેના હ્ય્દયમ ભરાયા. છતાં પોતાના રાજ્યના શત્રુની કન્યા સાથે હોવાને પ્રસંગે સાવધાન રહેવાનો અને અવિશ્વાસ રાખવાનો વિકાર એને થયો. પણ થોડીક જ વાર ઉપર પોતાને ન જાણતી ન દેખતી કમળાએ વિશ્રમ્ભકથા સાથે કરેલા ગાનમાં પોતાને માટે દેખાડેલો અનુરાગ સ્મરણમાં આવતાં અવિશ્વાસ ખસી ગયો. પોતાના શૌર્યના ભાને વિશ્વાસ અને અવિશ્વાસનો વિવેક નકામો લગાડ્યો. બંદૂક ઉપર એક હાથ મૂગકી તેના ઉપર પોતાના પ્રચણ્ડ શરીર અઠીંગેલું રાખી, કમળા ઉપર પળવાર દૃષ્ટિ નાંખતો અને પળવાર ખેંચી લેતો, મણિરાજ કમળાની સામો ઊભો અને પૂછવા લાગ્યો :

‘આ તમારી સહીઓ ક્યાં ગઇ ?’

‘મને તો કેદ લેવાનો આપને અવકાશ આપવા જતી રહી.’

‘મેં તો કેદ કરવાનું હાસ્ય જ કર્યું હતું. બાકી હું પરસ્ત્રી સાથે એકાંતમાં રહેતો નથી. તમારે મારું કામ ન હોય તો મને રજા આપો.’

કમળા પાસેના ઝાડને અઠીંગી તે ઉપર માથું નાંખી દઇ ડૂસકાં ભરવા લાગી અને બોલી : ‘રાજકુમાર, હું પરસ્ત્રી નથી. હું અત્યાર સુધી કોઇની સ્ત્રી થઇ નથી અને સૂર્યવંશી મણિરાજને મૂકી બીજાની સ્ત્રી થનાર નથી. આપ કહો છો કે આપનું કામ ન હોય તો રજા આપો. પણ આપનું કામ તો મારું આયુષ્ય ખૂટે ત્યાં સુધી છે. જેને પાસે બોલવવાના તેને દૂર જવા રજા શી રીતે આપું ?’

મણિરાજને દયા આવી.

‘કમળાકુમારી, તમે કુમારિકા છો તો તમારે તમારાં માતાપિતા મોકલે ત્યાં જવું એ તમારો ધર્મ છે.’

કમળાએ ઊંડો નિઃશ્વાસ મૂક્યો :

‘મણિરાજ, રુક્મિણી શ્રીકૃષ્ણને પોતાના મનથી વર્યાાં હતાં તેમ હું મણિરાજને વરી ચૂકી છું, અને મને શ્રીકૃષ્ણની પેઠે વરવા મણિરાજ-આપસમર્થ છો.’ આંસુથી ઊભરાતું અને નહાતું, આશાથી ચળકતું, અને આતુરતાથી ખેંચાતું સુન્દર મુખકમળ મણિરાજના ભણી ઉઘાડું થઇ ફર્યું, અને આંખો થઇ , દૃઢતા મૂકી દર્યાદ્ર પુરુષ નેત્રે સ્ત્રીનેત્રની અનુકંપા કરી.

‘કમળાકુમારી, તમારા પિતા અમને શત્રુતુલ્ય ગણે છે. તમે મારામાં ગુલાબ અને કેવડાના ગુણદોષ જોતાં હો તો તમે ચતુર માળણ છો તે ફૂલની પેઠે મને તોડો. મારે એક એવો નિયમ છે કે હું કોઇની પાસે કાંઇ માગતો નથી તે તમારા પિતા પાસે કન્યા કેમ માગું ?’

‘કુમાર, તમારા બાગમાં આવવા દેશો ત્યારે મારા ગુલાબનો તોડીશ. પણ મારા સરોવરમાં આવી તમારું કમળ તમે પ્રથમ તોડો. મણિરાજ, શ્રીકૃષ્ણની કળાથી મને વરો.’ આમ બોલીત બોલતી કમળા પાસે આવી અને રોતાં રોતાં મણિરાજના ખભા ઉપર એણે માથું મૂકી દીધું.

મણિરાજે આઘા ખસવાનું કર્યું પણ તેમ કરે તો બાળા પડી જાય એવું હતું. તેના હ્ય્દયમાં દયાને સ્થળે ખપતી વસ્તુના શરીરસ્પર્શથી રોમોદ્‌ગમ થયો. પ્રિયજનનો હાથ હાથમાં લઇ રસચતુરાએ મન્મથનો ધ્વનિ મણિરાજના શરીરમાં પ્રવર્તાવ્યો અને પરખ્યો.

એને બે ખભે હાથ મૂકી, એને જરા દૂર ખસેડી ધર્મ અને રસના પરસ્પર વિરુદ્ધ પ્રવાહ વચ્ચે ઊભેલો મણિરાજ બોલ્યો :

‘કમળા, શિષ્ટોના આચારનું હવે અતિક્રમણ થાય છે - આપણો વિવાહ હજી થયો નથી, રાજા થવાને સરજેલા પુરુષોએ ધર્મનું પાલન કરવાનું તે જાતે જ ધર્મ તોડે તો મહાન અનાચાર થઇ જાય - માટે-’ મણિરાજ આ વાક્ય પૂરું ન કરી રહ્યો એટલામાં, ‘માટે દૂર જા’ એટલું અધૂરું વાક્ય બોલી કે એટલામાં, કમળા દૂર જવાને ઠેકાણે ગાઢ અને સર્વાંગી કંઠાશ્લેષ દઇ મણિરાજને વળગી પડી અને એના વિશાળ વક્ષઃસ્થળમાં માથું સમાવી દઇ એમ અદૃશ્ય થયેલા મુખવડે બોલવા લાગી :

‘આપ મારા પતિ ન હતા ત્યાં સુધી દૂર જવાનું કહ્યું હોત તો જુદી વાત. ઓ મારા પ્રિય પતિ ! જેવો મારા તેવો જ આપના અંગમાં ભગવાન અનંગનો સરખો અને સંપૂર્ણ અવતાર થયો છે; અને એ અનંગને આપણો અગ્નિ કહો કે આપણા ગોર કહો કે મને કન્યાદાનમાં આપનાર મારો પિતા કહો-એણે આપણું લગ્ન સિદ્ધ કર્યું - એ ગાન્ધર્વવિવાહ થયો. સ્વામીનાથ ! હવે હું મારા પિતાની મટી આપની થઇ ! હવે મને રુક્મિણી ગણી લઇ જાઓ કે ઓખાની પેઠે પરણેલી ગઇ મારું રક્ષણ કરો !’

આ અક્ષરે અક્ષર સાથે મણિરાજ સ્તબ્ધ થઇ ગયો. એના અંતઃકરણમાં અનેક વિચાર થઇ ગયા. પિતાની સંમતિ વિના આ સર્વ થાય છે એમ લાગ્યું ત્યારે આ સ્ત્રીને ધક્કો મારવાનો વિચાર થયો. ઘણીક કન્યાનાં કહેણ આવેલાં ત્યારે મલ્લરાજે સ્પષ્ટ ઉત્તર આપેલો કે : ‘અમારા કુલાચાર પ્રમાણે પુત્રો સમજણ થઇ જાતે પરણે છે; પુત્ર મોટો થાય ત્યારે તેને પૂછજો.’ આ ઉત્તર સાંભરતાં પિતાની સંમતિનો વાંધો ન લાગ્યો. આજ આને કોણે અહીં આણી અને આ કાકતાલીય શું બન્યું એ વિચાર થતાં આમાં કાંઇક ઇશ્વરની જ કર્તવ્યતા લાગી. શત્રુના ઘરની કન્યાનું મન હરવામાં પરાક્રમ લાગ્યું. બે શત્રુઓ આ લગ્નથી સંધાય તો અનેકઘા રાજ્યકાર્ય થાય એ વિચારથી આ સંબંધ પ્રશસ્ત લાગ્યો. એ વિચારતુલામાં સર્વ યોગ્યતા લાગતાં માત્ર વિકારતુલા બાકી રહી ને એનું ચિત્ત હલાવવા લાગી. શુદ્ધ રજપૂતાણી - એનું શૌર્ય અને એની બંદૂકનો સફળ પ્રહાર ! મણિરાજના ક્ષાત્રરસને એ પ્રહાર કરનારી ઉપર ઉમળકો આવ્યો. પોતાની છાતી આગળ દબાયેલું મુખ ઊંચું કરી એક પળ - બે પળ - જોઇ લીધું, ફરી જોયું, ફરી જોયું, અને વગર સમજ્યે, વગર વિચાર્યે, વગર ધાર્યે અને વગર જાણ્યે પોતાના હાથથી એ મુખ અને માથું પોતાની ધડકતી છાતી સાથે દબાઇ ગયું. સ્ત્રીનું કદ સ્ત્રીઓના પ્રમાણમાં મોેટું હતું, તેનું શરીર પાતળું નહીં ને બહું જાડું નહીં પણ બેવડા કાઠાનું, માંસલ અને ઊંચું હતું : મણિરાજને એ શરીર ગમી ગયું અને નાજુક શરીરની સ્ત્રીઓની સંતતિ ક્ષાત્ર પ્રતાપ ધરતી નથી માટે આવું શરીર જ મારે જોઇએ એવો વિચાર થતાં સ્નેહનો પક્ષપાત ધરતી નથી. પતિના શરીરમાં આ મન્મથાવતારની સફળતા સમજી સ્ત્રી એની ઇચ્છાની વિરોધક થઇ નહીં અને એક ભૂજમાં એનું આખું શરીર ભરી, છાતી આગળથી દૂર કરી, પોતાની એક બાજુએ એને મણિરાજે રાખી ત્યારે એ ક્રિયાને કમળા અનુકૂળ થઇ ગઇ. અંતે એને વાંસે હાથ મૂકી મણિરાજ બોલ્યો : ‘કમળારાણી, અત્યારે તમારા પિતા પાસે જાઓ - રત્નનગરી ગયા પછી સૌ વાતની વ્યવસ્થા તમારી ઇચ્છા પ્રમાણે થશે.’

બીજી એકાદ દિવસ સર્વ મંડળ રત્નનગરી પહોંચ્યું. ત્યાં મુળુનું શું કરવું એ વિશે સર્વ વિચારમાં પડ્યાં હતાં અને યુવરાજની વાટ જોવાની હતી. મુળુના શિક્ષાપત્રમાં મલ્લરાજના શબ્દ લખાયા હતા, તે સ્પષ્ટ હતા. તે પ્રમાણે મુળુને હવે જીવંતપર્યંત કેદ રાખવો જ જોઇએ ઇત્યાદિ સ્પષ્ટ હતું અને હવે વિચારવાનું શું હતું તે સામંતને સૂઝ્‌યું નહીં. માત્ર શિક્ષાપત્ર પ્રમાણે કેદ કરો એવું રાજવચન જોઇતું હતું તે ઉચ્ચારવા મલ્લરાજે ના પાડી અને કહ્યું કે હવે હું નિવૃત્તિપક્ષમાં સ્થિતિ પામ્યો છું તે મૂકી પ્રવૃત્તિને મારી પાસે આવવા દેનાર નથી અને હવે તો સર્વ ભાર યુવરાજને માથે નાંખી પોતે માત્ર સર્વનો સાક્ષી જ રહ્યો હતો અને જરાશંકર સાથે જ્ઞાન અને ધર્મની ચર્ચા કર્યા કરતો હતો.

ખાચર મલ્લરાજને મળ્યો અને વૃદ્ધ ભીષ્મપિતામહ જેવા પાસે રાજનીતિના અને અનુભવના ઉપદેશ માગી લેવા લાગ્યો. એવામાં મણિરાજ રત્નનગરી આવ્યો.

મલ્લરાજને ખાચર વધારે વધારે પૂજ્ય માનવા લાગ્યો. મણિરાજ અને મુળુના મલ્લયુદ્ધના સમાચાર એણે મુળુને મુખેથી જ સાંભળી લીધા હતા. ધર્મયુદ્ધ, કપટયુદ્ધ, ઉદાત્ત શૌર્ય, શરીરબળ, મલ્લકળા પોતાના હાથમાં સર્વ વાતનું સૂત્ર હોવા છતાં આપેલા ક્ષમા, ઇત્યાદિ ગુણોનો આવિર્ભાવ મણિરાજે જેમાં સ્પષ્ટ કર્યો હતો એવું મુળુ સાથેનું યુદ્ધ અને મુળુનો પરાભવ -ઐ સર્વથી મુળુ નરમ થઇ ગયો હતો અને જે મણિરાજને તેની બાલ્યવસ્થામાં નિર્માલ્ય અને રાજ્ય કરવા અયોગ્ય માનતો હતો તેને આજ પોતાના કરતાં વધારે બળવાન, પ્રવીણ અને રાજ્ય કરવાને યોગ્ય માનવા લાગ્યો. એણે પોતાના હાથ આજ નીચે કરી દીધા અને જે રાજ્યનું બળ પોતે વધારવું જોઇતું હતું તે રાજ્યની સામી આટલી આટલી ખટપટ કરી માટે પોતાને મૂર્ખ અને પાપી ગણી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એની સર્વ વાત સાંભળી ખાચર પુષ્કળ હસ્યો, અને મણિરાજ વિશે પોતાનો અભિપ્રાય વધારે સારો થયો ખરો, પણ હારેલા, ઘવાયેલા, કેદ થયેલા મુળુએ એને આકાશ ચડાવ્યો તે માત્ર મુળુના મનની આસક્તિ ઘણી મુળુની મશ્કરી કરવા લાગ્યો. મણિરાજની ગોળી પ્રથમ જ મુળુને વાગવાને ઠેકાણે એના ઘોડાાને વાગી કેટલાથી એણે નિશ્ચય કર્યો કે મણિરાજમાં અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ કાંઇ પણ નથી. એવો માણસ ગાદી પર બપેસે એ તો રાજ્યનું હીનભાગ્ય એ વચન ખાચરે મુળુને સ્પષ્ટ કહ્યું.

મણિરાજ રત્નનગરી આવ્યા પછી સામંતે એની પાસે મુળુની વાત કાઢી. અને પિતાના શિક્ષાપાત્ર પ્રમાણે મુળુને આયુષ્ય સુધી કેદ રાખવાની આજ્ઞા માગી મણિરાજે વિચાર કરવા વખત લીધો અને મુળુની મા અને બહેનને બોલાવ્યાં.

રત્નનગરીમાં કેદ રહેવું અને ખાચરના રાજ્યમાં સ્વતંત્ર રહેવું બેમાંથી ક્યું મુળુને ગમે છે અને તેને ક્યાં રાખવો તમને ગમે છે એવું આ બે જણીઓને મણિરાજે પૂછ્યું. મુળુની સાથે તેમણે વાત કરી જોઇ અને ઉત્તર મળ્યો કે : ‘મણિરાજને મારા ભણીથી કહેજો કે આજ સુધી મારા વિચાર એક જાતના હતા અને હવે તે બદલાયા છે. તમારું બળ, તમારી કળા, તમારી ઉદારતા, અને તમારી બુદ્ધિ એ સર્વનો અનુભવ તમે મને કરાવ્યો તેથી મારા મનનો ગર્વ અને મત્સર કેવળ અસ્ત થઇ ગયો છે, અને જે રાજ્યની મારે સેવા કરવી જોઇએ તે રાજ્યન્નો દ્રોહ કરવા જે મહાન પ્રયાસ કરી તમારા શત્રુઓને બળવાન કર્યા છે તે દોષથી અને પાપથી હું હવે મુક્ત થઇ શકું એમ નથી. યુવરાજ, ખાચર તમારે કટ્ટો શત્રુ છે તેથી તે આજ સુધી મારો મિત્ર હતો. તે જ કારણથી હવે મને એનું મુખ ગમતું નથી અને આપના રાજ્યના કેદખાનામાં દિવસ કાડવાથી મારું પાપ ધોવાશે એમ હું માનું છું. તેમ દુનિયાને આ કાળું મોઢું બતાવવું તે કરતાં કેદખાનું સારું છે બીજી પાસથી એમ વિચાર કરું છું કે જે લોકને મેં આપના શત્રુ કર્યા છે તેમને ગમે તો આપના મિત્ર કરવા અને ગમે તો તેમનું વધેલું બળ નષ્ટ કરવું. એટલી રાજ્યસેવા મારાથી બની શકે એમ છે તે હું ખાચરના રાજ્યમાં હોઇશ તો બનશે. માટે મને ખાાચરના રાજ્યમાં રાખવો સારો કે કેદખાનામાં રાખવો સારો તેનો વિચાર આપ જાતે કરી ઠીક લાગે તે કરજો. મારી અરજ એટલી છે કે મને આપના રાજ્યમાં આપ જાતે કરી ઠીક લાગે તે કરજો. મારી અરજ એટલી છે કે મને આપના રાજ્યમાં છૂટો રહેવા રજા ન આપશો કારણ પ્રથમ તો એ મહાન ઉપકારભાર મારાથી ઝિલાય એમ નથી અને બીજું જરાશંકર અને વિદ્યાચતુર એ બે બ્રાહ્મણો આપને પ્રિય છે તેનો હું શત્રુ મટવાનો નથી ને છૂટો હોઇશ તો કોઇ દિવસ બ્રહ્મહત્યા કરી બેસીશ.

મુળુ પોતાની ઇચ્છા બતાવતો નથી તો તમે બતાવો એવું પૂછતાં એની માતા અને બહેન માગી લીધું કે મુળુને ખાચરના રાજ્યમાં છૂટો રહેવા દો. ‘મુળુ હવે કોઇ જાતની રાજ્યવિરુદ્ધ ખટપટ કે બીજો અપરાધ નહીં કરે એટલી એના ભણીની ખાતરી તમે તમારા વચનથી કરો અને તે પ્રમાણે તેની વર્તણૂક તમે માથે લો તો હું મુળુભાને ખાચરના રાજ્યમાં છૂટા મૂકું.’ એવું મણિરાજે કહ્યું. સ્ત્રીઓએ પોતે ખાતરીનું વચન આપ્યું. અંતે વિચાર કરી મણિરાજ બોલ્યો : ‘તમે કાકી અને તેમ મારાં બહેન, તમારી ઇચ્છા તો મારે પૂરી કરવી જોઇએ. સામંતરાજ કહે છે કે ખાચર અને મુળુભાનાં વચન લેવાં જોઇએ, પણ મુળુભાને કહેજો કે તમે તે વચનના કરતાં વધારે ખાતરી આપી છે અને અમારા શત્રુ તે તમારા શત્રુ ગણ્યા તો ખાચરરાણા પણ તમારા શત્રુ થાય ને તમારા શત્રુની તમારે સારુ ખાતરી માગવી એ તો તમને ન છોડવા હોય તો કરીે. માટે કાકી, બહેન અને ભાઇ એ ત્રણેનાં વચન કરતાં ક્ષત્રિયો ક્ષત્રિયોની વધારે બાંયધરી શી લેવાના હતા ? એવી એવી બાંયધરીઓ ત્રુટશે ત્યારે રજપૂતોની રજપૂતાઇમાં જેટલું બાકી રહ્યું હશે તેટલું પરખાશે. માટે હું તમારી ઇચ્છા સ્વીકારું છું અને મુળુભાને કહેજો કે આશા રાખનારા છેતરાય છે પણ મણિરાજ તમારા તરફથી કંઇ આશા રાખતો નથી ને છેતરાતો નથી, અને હવે મેં મારાપણું બતાવ્યું તો તમારે તમારાપણું બતાવવાનું તે કેવી રીતે બતાવો છો તે જોઇશું.

આ પ્રમાણે મુળુનું ભાગ્ય બાંધી મણિરાજ પોતાની માતા મેનારાણીને મહેલ ગયો. ત્યાં કમળાકુમારી રાણીને મળવા આવી હતી અને એની આંખ મણિરાજને શોધતી હતી. મણિરાજે બે જણને એકઠાં જોઇ માતાને દૂર બોલાવી પોતાને કમળા સાથે પડેલો પ્રસંગ ટૂંકામાં જણાવી દીધો. રાણી કંઇક વિચારમાં પડતાં મણિરાજે કહ્યું : ‘માતાજી, આમાં કાંઇ વિચાર કરવાનું રહ્યું નથી. કારણ હું વચન આપી વરી ચૂક્યો છું અને પિતાજીએ આ વાત મારી ઇચ્છા ઉપર રાખી હતી. માટે આપ હવે એ કન્યાને આપના મહેલમાં સંભાળી રાખજો અને એમને કહેજો કે તમારા પતિની એવી આજ્ઞા છે કે બીજી આજ્ઞા થતાં સુધી તમારા પિતાને ઘેર તમારે જવું નહીં - તમારા પિતા આજ્ઞા કરે તોપણ જવું નહીં.’

મેનારાણી આશ્ચર્યમાં પડી : ‘કુમાર, કન્યા લાવો તો ભલે લાવો, પણ આ તો કન્યાનું હરણ કર્યું કહેવાય અને હવે અંગ્રેજ સરકાર આપણે માથે રહ્યો.’

મણિરાજ - ‘માતાજી, એ તો કન્યાની ઇચ્છા ન હોય ને આપણે તેનું હરણ કરીએ તો જુદી વાત. પણ આ તો કન્યા વળગી પડીને કહે છે કે તમે મારા પતિ છો અને મારા પિતાના શત્રુ છો માટે તમે મારું હરણ કરો એટલે પિતાની આજ્ઞા તોડી નહીં કહેવાય. કન્યાઓનું હરમ કરવું એ એમના ને તમારા ચંદ્રવંશનો ધારો કૃષ્ણાવતારથી પડ્યો છે.’

મેનારાણી - ‘પણ તમારો શત્રુ ફરિયાદ કરશે ને અંગ્રેજ હેરાન કરશે તે ? - તમારા પ્રધાનને તો પૂછો -’

મણિરાજ - ‘માતાજી, સરકાર કન્યાની જુબાની લેશે તેમાં કન્યા તરફથી વાંધો નહીં પડે. આપણે કન્યાને મદદ કરવી છે. જુઓ તો ખરાં ખાચર શું કરે છે તે. પ્રધાનને અને બધાંને પૂછીશું.’

અંતે કમળા સાંજ સુધી પિતાને ઉતારે ગઇ નહીં ત્યારે એને ખાચરને ત્યાંથી તેડાં ઉપર તેડાં આવ્યાં તેના ઉત્તરમાં એણે માત્ર એક જ બોલ કહ્યો કે : ‘પિતાજીને કહો કે મારા સમાચાર નાની મા કહેશે - હું તો જેને વરી ચૂકી છું તેને વરી - તેનું ઘર મૂકી હું શી રીતે બહાર આવું ? - મારા સ્વામી તરફથી તમારે ત્યાં આવવાની મનાઇ નથી, પણ મને ઠીક લાગશે ત્યારે હું આવીશ-’ ઇત્યાદિ ઇત્યાદિ.

આ સમાચારથી ખાચર પ્રથમ તો ખૂબ ખિજાયો. બધી વાત સાંભળી જાતે મલ્લરાજને મળી ફરિયાદ કરી. મલ્લરાજે ધૈર્યથી સર્વ વાત સાંભળી; અંતે ખડખડ હસી પડ્યો.

‘રાણાજી, આમાં આપની પુત્રીની પણ સંમતિ દેખાય છે.’

ખાચર - ‘મહારાજ, એમ હશે તોયે શું ? આ તો બે જણે મળી મને છેતર્યો !’

મલ્લરાજ - ‘આપને બાળકોએ છેતર્યા ! અરરર ! રાણાજી, આ વાત કોઇને કહેશો નહીં !’

ખાચર - ‘આપને આપના પુત્રનો દોષ વસતો નથી ! - પણ મારે ઉપાય કરવો પડશે !’

મલ્લરાજ - ‘રાણાજી, શાંતિ અને સત્ત્વગુણ ધરો તો કહું.’

ખાચર - ‘ચાલો, ધરું છું.’

મલ્લરાજ - ‘તો કહો. બાળકોએ કામ કર્યું, તમને છેતર્યા તો મને પણ આજ સુધી મણિરાજે પૂછ્યું નથી. એ બધું થયું : પણ તેમણે યોગ્ય જોડું બાંધ્યું છે કે અયોગ્ય ?’

ખાચર - ‘અયોગ્ય.’

મલ્લરાજ - ‘શી રીતે ?’

ખાચર - ‘પ્રથમ તો મણિરાજને અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ નથી ને મારી પુત્રીને છે.’

મલ્લરાજ - ‘બીજું ?’

ખાચર - ‘મણિરાજ ભોળા છે, એમને કપટવિધાની કુશળતા નથી.’

મલ્લરાજ - ‘ત્રીજું ?’

ખાચર - ‘ત્રીજું કાંઇ નથી. બીજી બધી રીતે એ યોગ્ય છે.’

આ પ્રસંગે અ બે રાજાએ મલ્લરાજના એક મોટા બાગને છેડે બેઠા હતા અને ત્યાં એક સરોવરની કોર અને પાળ હતી. સરોવરને સામે છેડે મણિરાજનો બાગ હતો. મલ્લરાજે પુત્રના બાગ ભણી આંગળી કરી કહ્યું : ‘રાણા, આ સામેનો બાગ મણિરાજનો છે. ત્યાં એ અત્યારે હશે. આપણે વેશ બદલી ત્યાં જઇએ અને એ બે વાનામાં એના પરીક્ષા કરીએ, તેમાં તમે હારો તો પછી ?’

ખાચર - ‘પછી મારે આ બધું કબૂલ.’

બે રાજાઓ શસ્ત્રઅસ્ત્ર સજી, કાબુલીઓનો વેશ લઇ મણિરાજના બાગ ભણી ગયાં. બાગનો દરવાજો વાસેલો હતો અને ત્યાં બેઠેલાઓમાંથી એક દરવાને કાબુલીઓને અંદર જવાની ના કહી. તેને આજીજી કરી રહ્યું કે : ‘અમારે બાગ જોવો છે ને મણિરાજને મળવું છે - તમે અમારે સારુ ગમે તો પરવાનગી લઇ આવો.’ દરવાન કહે : ‘અંદર યુવરાજ અને રાણી બે જણ ગયાં છે એટલે તમને નહી જવા દઉં ને રજા માગવા પણ હું નહીં જાઉં.’ તળાવ અને બાગના ખૂણા સુધી બાગનો કિલ્લો હતો તે ખૂણા આગળ બે જણ ગયા. એ ખૂણા આગળથી અધી વેતં જમીન પાણી અને બાગની વાડ વચ્ચે હતી, તે ઉપર પગ મૂકી બે જણ વાડની લગોલગ ચાલ્યા. થોરિયા, કાંકળો, અને બીજા કાંટાની અભેદ્ય જબરી વાડ આગળ ઉપાય ન હતો. પણ વાડની લગોલગ ઠેઠ જવાય એવું હતું. તે વાડમાં નજર કરતા કરતા બે જણ ચાલે છે અને દેખાતું તો કાંઇ નથી પણ કાને સ્વર આવ્યો; આ સ્વર વરકન્યાનો હતો અને બેના પિતાઓ કાન માંડી ઊભા રહ્યા. સ્વર વાધ્યો.

‘યુવરાજ, મને બધો ભાગ દેખાડ્યો પણ એક વાત આપે કરવાની બાકી રહી છે.’

‘શી ?’

‘આપણામાં રાક્ષસવિવાહ કહેવાય છે તે એવો કે પુરુષ સ્ત્રીને કેદ કરી પરણે; તે પ્રમાણે આપે મને મારા પિતા પાસે જતી અટકાવી એવો રાક્ષસવિવાહ કુળમાં યોગ્ય છે ?’

મણિરાજ હસ્યો. ‘પ્રથમ કન્યાની ઇચ્છાથી ગાન્ધર્વવિવાહ થઇ ગયો અને કન્યાએ બાપની અસંમતિ જણાવી એટલે ગાન્ધર્વવિવાહને અંતે શત્રુ શ્વશુરના ઘરમાંથી એ વરેલી કન્યાને ઉપાડી લઇ રાક્ષસવિવાહ કરવો એ તો યોગ્ય જ છે. કમળારાણી, શત્રુઓ સામે રાક્ષસ થવું એ એ અમારો કુળાચાર છે.’

‘ત્યારે તે કાળે આપણે બે જણે સાથેલાગી બન્દૂક ફોડવી એવી મારી અરજ સ્વીકારવા કહ્યું હતું તે હજી સુધી આપે સ્વીકારી નથી.’

વધારે કાંઇ વાતચીત થોડી વાર સુધી થઇ નહીં એટલામાં એક પક્ષી સરોવરમાંથી મત્સ્ય લઇ ઊંચું ઊડ્યું. તે પચાસ હાથને આશરે ઊંચું ઊડ્યું હશે એટલામાં બાગમાંથી બંદૂકની બે ગોળીઓ ભડાકા સાથે એ દિશામાંથી ગઇ તેમાંથી એક ગોળીએ એ પક્ષીને વીંધ્યું અને તેના ઉપર થઇને બીજી ગોળી અમસ્તી ચાલી ગઇ.

કમળા ખડખડ હસતી સંભળાઇ. ‘પુરુષોનું ભાગ્ય જ મોટું. યુવરાજ, કદી આમ ગોળી ચૂકી નથી તે આજ ચૂકી, અને તમારી બરોબર લાગી.’

‘એમ નથી. જો મારી ગોળી વાગી ન હોત તો તમારી ગોળી બરોબર વાગત. તમારી ગોળી જતાં જેટલી વાર ઘણુંખરું લાગતી હશે તેટલી વાર નજરમાં રાખી તમે ગોળી મારી તે પક્ષી ઉપર થઇને ગઇ તે વખત પક્ષી ત્યાં જ પહોંચત. ત્યાં પક્ષી પહોંચતાં પહેલાં મેં મારી ગોળી વાગે એમ તાકી અને એ વહેલી લાગી.’

‘એ વાત તો ખરી - મને એટલી લક્ષ્યસિદ્ધિ નથી.’

‘આ પાસેની વાડો નીચે કોઇ માણસો છે. દરવાનોની ગફલતથી આવ્યા હશે.’

‘હા - એવું કાંઇ છે ખરું.’

ખાચર ચમક્યો અને સજ્જ થયો.

‘હશે જે હશે તે. આપણે શું ?’ કમળાનો સ્વર બોલ્યો.

‘એમ ન થાય. એમને ચોરી કરતાં આવડી તો આપણને ચોકીદાર થતાં નહીં આવડે ?’

‘મને કેદ કરી અને કપટવિદ્યાના ગુરુ મહારાણા ખાચરને છેતરી એમનું ઘર ફોડનારને શું નહિ આવડે ?’

મલ્લરાજનું હસવું રહ્યું નહીં અને બોલાઇ જવાયું : ‘રાણા, મારા પુત્રને ભોળો કહેનાર તમે, ને તમારા કરતાં ઓએને વધારે કપટી કહેનારી તમારી પુત્રી તમને બેને ઓળખે છે - તેને મોંએ તમારો ન્યાય.’

નાક આગળ આંગળી મૂકી, રોષે ભરાયેલા રાણાએ મલ્લરાજનો હાથ ખેંચી સ્થાન બદલ્યું.

મણિરાજને આ કપટની વધારે શંકા થઇ. માળીની પાસે વાંસી મંગાવી એણે બે પાસથી કાંકળો અને કાંટા ધક્કેલી નાંખ્યા અને કાબુલીઓથી ન જવાય આમ ને ન જવાય આમ, એમ ત્રણ પાસ કાંકળો અને કાંટાઓ અને ચોથી પાસ પાણી, તેની વચ્ચે બે જણને કેદ કર્યા, તોપણ કોઇ હાલ્યું ચાલ્યું નહીં ત્યારે વાડો વચ્ચે લાંબી વાંસી ઘોંચી તેમને ધક્કા મારવા માંડ્યા. છેવટે ખાચરરે વાંસી ઝાલી રાખી અને કશામાં ભરાઇ રહી હોય એમ પાછી ખસવા ન દીધી. મણિરાજે તે પાછી ખેંચવા માંડી. બેના બળની શરતમાં મણિરાજ ફાવ્યો; ખાચરનાં આંગળાં કાંઇક કાંપી લોહીવાળી વાંસી મણિરાજના હાથમાં આવી. લોહી જોઇ એણે માણસ છે એવી ખાતરી કરી અને પોતાનાં માણસોમાંથી થોડાંક સશસ્ત્ર માણસોને તળાવની બાજુથી તરતા તરતા જઇ તેમે પકડી લાવવા આજ્ઞા કરી. પાણીમાં તેમને આવતા જોઇ બે જણાઓએ પાણીમાં ઝંપલાવ્યું. સામેની બાજુના મલ્લરાજના બાગમાં ગયા, વસ્ત્ર પહેરી બેઠા અને તેમની પાછળ જનારાઓ એ બાગમાં જઇ નાસનારાઓને શોધી કાઢતાં નિષ્ફળ થઇ પાછા આવ્યા.

મણિરાજ પિતાના બાગમાં ગયો. ફરતાં ફરતાં એક ખૂણે કાબુલી વસ્ત્ર દીઠાં અને ઓળખ્યાંં. પિતા અને શ્વશુર પાસે ગયો અને રાણાની આંગળીઓની અવસ્થા જોતાં સર્વ ઇતિહાસ કળી ગયો. પાછો ફરી સામંતને સૌ હકીકત કહી તેને તથા કેટલાંક માણસને સાથે લઇ આવ્યો અને પિતાને કહેવા લાગ્યો.

‘મણિરાજ, આજ મારા બાગમાં બે ચોર ભરાયા હતા તેમાંથી એક તો સર્વના ધણી છે પણ બીજા ચોરને પકડવામાં કાંઇ વાંધો નથી; માટે તે ચોરને આપ અમારા હવાલામાં કરો એવી અરજ છે.’

‘એ ચોરની કાંઇ નિશાની છે ?’ મલ્લરાજે પૂછ્યું.

સામંત બોલ્યો : ‘અનિરુદ્ધના તો દાદાએ બાણના હાથ કાપ્યા હતા પણ આપણા અનિરુદ્ધે તો જાતે બાણની આંગળીઓ કાપી દીધી છે. બાકી આ બાણને હજાર હાથ તો નથી. શું કરીએ ? મહારાજ ! અનિરુદ્ધના પિતા જ બાણની સાથે ફરે ત્યારે અનિરુદ્ધે જાતે પરાક્રમ કરવું પડે.’

આ વાર્તાનો અંત એવી રીતે આવ્યો કે ખાચર સમજ્યો, શરમાયો અને કમળાવતી પોતાનાં કાંટાવાળાં ગુલાબ અને કેતકની માળણ બની અને તેના પિતા૩એ દુરાગ્રહ મૂક્યો.

મલ્લરાજ આજ સર્વ રીતે ભાગ્યશાળી ગણાયો. પુત્ર પરાક્રમી નીવડ્યો. રાજ્યનો અંતઃશત્રુ મુળુ શાંત થયો. બાહ્યશત્રુ ખાચર મિત્ર થયો અને વેવાઇ થયો. શત્રુની પુત્રી સાથે યુવરાજનું લગ્ન થયું અને વેરમાંથી વહાલ થયું. અધૂરામાં પૂરું ફૉક્સસાહેબને ઠેકાણે તેના હાથ નીચેના લીલાપુરવાળા સદ્‌ગુણી બાસ્કિનસાહેબની બદલી પણ આવામાં જ તઇ અને તેમને અને બ્રેવસાહેબને જૂની મિત્રતા હતી એટલે આ પાસની પણ ચિન્તા મટી ગઇ. યુવહાજ, વિદ્યાચતુર અને સામંત મળી સર્વ રાજ્ય સારી રીતે ચલાવવા લાગ્યા. મલ્લરાજે પોતાનો આવાસ નગરમાંથી બદલી બાગમાં કર્યો અને વૃદ્ધ રાજા અને જરાશંકર સર્વ એષણાઓ ત્યજી એકાંતમાં ધર્મવિચારમાં કાળક્ષેપ કરવા લાગ્યા. એમ કરતાં એક દિવસ પ્રાતઃકાળે રાજાએ અંતકાળ પાસે લાગતાં સર્વ કુટુંબ બાગમાં બોલાવ્યું.

પોતાની વાનપ્રસ્થ અવસ્થા ગણી મલ્લરાજે એક મોટું વાંસનું ઝૂંપડું બંધાવ્યું હતું અને જમીન ઉપર માત્ર લીંપણ હતું. તેમાં પલંગને ઠેકાણે એક સૂતડીના ખાટલામાં સાદડી નાંખી તે ઉપર રત્નનગરીનો મહારાજ સૂતો હતો. એને શરીરે માત્ર એક ધોતિયું અને એક ઢીલું પહેરણ હતું. અશક્તિ હોવા છતાં તેણે પ્રાતઃકાળમાં સ્નાન કરેલું હતું. આજ તેનામાં બેસવાની શક્તિ ન હોવાથી ખાટલામાં સૂતો હતો. તેના અસલના પ્રચંડ શરીરને સ્થળે પાતળું હાડપિંજર ખાટલામાં મડદા પેઠે ચતું પડેલું હતું અને હાથનાં તરવા જેવાં હાડકાં ખભાથી ઢીંચણી સુધી લાંબાં પડેલા હતાં. તેના પ્રતાપી કપાળ ઉપર ભસ્મ લગાવી હતી અને શ્વેત કેશને શિખા બાંધી દીધી હતી.

એની મોટી મૂછોે અને થોભિયા ધોળાા કરમાયેલા જેવા થઇ ગયા હતા. રાજાની આંખનું તેજ અને વાણી છેક છેલ્લે સુધી રહ્યાં. તેના ખાટલાની એક પાસ મેનારાણી પૃથ્વી ઉપર મડદા જેવી બેઠી હતી, આંખમાં ન ખળી રહેતી આંસુની ધારાઓ ઘડી ઘડી લોહતી હતી અને રડવું ખાળી રાખતી હતી. બીજી પાસે વૈદ્ય નાડી ઝાલી બેઠા હતો અને ઘડી ઘડી ઔષધ લેવા ઊઠતો અને રાત્રિએ એની પાસે પૃથ્વી ઉપર સૂતો. તે આવી પિતાની એક બાજુએ ઊભો અને પિતાના મુખ સામું જોઇ રહ્યો. એવામાં સામંત, જરાશંકર અને વિદ્યાચતુર આવ્યા.

રાજાએ સામંતને પોતાની પાસે આવવા સાન કરી અને સામંતે કાન ધર્યો એટલે વૃદ્ધ રાજા ધીમેધીમે બોલ્યો : ‘ભાઇ, મારી રાજ્યનીતિ તું જાણે છે. મણિરાજની સંભાળ રાખજે અને મુળુ તારું ઠેકાણું સાચવે એમ કરજે. હું હવે જવાનો - વિદ્યાચતુરને મોકલ.’

સામંતની આંખોમાં આંસુ ઊભરાઇ ગયાં અને રંક સ્વરે બોલ્યો : ‘મહારાજ, કોઇ જાતની ચિંતા કરશો નહીં. રાજ્ય, પ્રધાન અને પ્રજા સર્વની અને મણિરાજની કોઇની ફિકર કરશો નહીં. વિદ્યાચતુર, મહારાજ બોલાવે.’

વિદ્યાચતુર રાજા પાસે જાય છે એટલામાં સામંત મનમાં બોલ્યો : ‘અરેરે કેવા મહાત્મા ! દુષ્ટ મુળુ ઉપર અંતકાળે પણ કૃપા ! મહારાજ, અંતકાળ સુધી આપ કૃપાને મૂકવાના નથી; મુળુ દુસ્તાને મૂકવાનો નથી ! મહાત્માનો ઇશ્વરને ખપ છે ને આ દુષ્ટ મરતો મરતો જીવે છે ! એ દુષ્ટ હજી શું કામ નહીં કરે ! હરિ ! હરિ ! એને મેં ક્યા જન્મ આપ્યો ?’ સામંત ગભરાઇ ગય ને રોતો ગયો.

વિદ્યાચતુરે કાન ધર્યા અને મલ્લરાજે કાનમાં કહ્યું : ‘વિદ્યાચતુર, તમને સોંપેલી વાડીનું એક પણ ઝાડ કરમાય નહીં - જોજો - તમને ઝાડની પેઠે ઉછેરેલા છે - ભૂલશો નહીં - મરતી વખત વધારે શું કહું ? - હું કરમાઇ જાઉ છું - અંગ્રેજનો સમો છે - મેં અમને સ્વીકાર્યા છે - મને કંઇ સૂઝતું નથી.’

વિદ્યાચતુર ધીમેથી બોલ્યો : ‘મહારાજ, આ શરીર અને બુદ્ધિ આપનાં છે - આપનો આત્મા અમર રહેશે અને આપની પાછળ અને આપની જોડે સત્કર્મ જ છે.’

મણિરાજને સાન કરતાં એ પાસે આવ્યો.

મલ્લરાજ બોલ્યો : ‘મણિરાજ, રાજ્યના શત્રુઓની ખટપટમાં રાજ્ય નિષ્કંટક કરવામાં - પ્રજાનો વિચાર મારાથી નથી થયો. હું તમને નિષ્કંટક રાજ્ય સોંપી જાઉં છું - પણ તમે હવે આ રંક પ્રજાના કલ્યાણનો વિચાર કરજો - હોં. પ્રજા રંક છે - બોલતી નથી - પણ મારાથી એને સારુ કંઇ થયું નથી - તમે ભૂલશો નહિ - પ્રજા ... મણિરાજ, અન્ન પાન અને શરીર ત્યજી પ્રજાને જાળવજો. પ્રજા તમને ભાળવું છું... પ્રજા.. બીચારી પ્રજા... પ્રજા...’ મલ્લરાજની પોતાની આંખમાં આંસું આવ્યાં... ‘અરેરે જરાશંકર, આટજલાં વર્ષ સુધી આપણાથી પ્રજાનું કંઇ કલ્યાણ થયું નથી...’ મલ્લરાજનામાં અશક્તિ વધી, એની આંખો મીંચાઇ, પોપચાં નીચે આંસુ ચાલ્યાં અને કંઇક વાર બોલતો બંધ થયો. સર્વની આશા ત્રુટવા માંડી અને ચારે પાસ આંસુનો વૃષ્ટિ વર્ષવા લાગી.

એટલામાં મીંચેલી આંખે રાજા બોલતો સુણાયો : ‘મેના ! - મેના ! - રાજાનો હાથ મેના ભણી જવા યત્ન કરતો લાગ્યો. મેના ઊઠી, રાજાનો હાથ ઝાલ્યો, અને રોતી રોતી બોલી : ‘મહારાજ ! મહારાજ !-’

રાજાએ આંખ ઉઘાડી, મેના સામું જોયું : ‘મેં તને વિના અપરાધે એક રાત્રે શિક્ષા કરી હતી.’

મેનાનું રોવું રહ્યું નહિ, તોયે ખાળી રાખી બોલી : ‘ના મહારાજ, મારો જ દોષ હતો અને આપે યોગ્ય જ કર્યું હતું.’

‘હવે કુમાર નહીં - રાજા - હોં - એની આજ્ઞા પાળજે.’ મલ્લરાજ ઊંચું જોઇ કહેવા લાગ્યો.

‘અવશ્ય, મહારાજ ! જેમ માતાજી આપની સીથે વર્તતાં એ જ રીતે વર્તીશ. કુમાર રાજા, અને હું એની પ્રજા.’

‘-ને - કમળા - એ હવે તારાથી મોટે સ્થાને - તું - તું’ વચન માગતો હોય એમ રાજાનો હાથ લાંબો થયો. એ હાથમાં વચન આપવા હાથ મૂકી રાણી કંઇક સ્થિર સ્વરે બોલી : ‘મહારાજ ! મારા નાથ છો, આપને વચન આપું છું કે મારે હવે રાજ્ય સાથે સંબંધ નથી. મહારાજ, ‘ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ ।’ નાનપણે જેમ પિતાની આજ્ઞા પાળતી, આજ સુધી આપની પાળતી, માતાજી આપની આજ્ઞા પાળતાં, તેમ આપની પાછળનાં રાજારાણીના આજ્ઞા પાળવી એ મારો ધર્મ છે અને એ રાજા મારો પુત્ર છે અને રાણી મારી વહુ છે એટલામાં જ મજ અનાથની સનાથતા છે.

બોલતી બોલતી રાણી પડી ગઇ. મણિરાજે તેને ઝીલી. રાજાની આંખ મીંચાઇ હતી તેણે આ દીઠું નહીં; રાણી પુત્રના હાથમાંથી ઊઠી બેઠી. ને રાજા આંખો મીંચી બોલ્યો : ‘બધાંને કહી દીધું - બધાંને કહી દીધું કઇ રહી જતું તો નથી ? જરાશંકર - રઘુનું વાનપ્રસ્થ-’

સૂર્યવંશના કુળાચાર શોધનાર રાજાને રઘુનો આ પ્રસંગ અસલખથી પ્રિય હતો. જરાશંકર તે જાણતો હતો અને રાજાની પાસે જઇ ધીમે ધીમે બોલવા લાગ્યો :

શ્લોક પૂરા થઇ રહેવા આવ્યા તેમ તેમ મલ્લરાજના મુખ ઉપર પ્રથમ શાંતિ અને ક્રમે ક્રમે આનંદ સ્ફુરવા લાગ્યો. છેલ્લો શ્લોક થઇ રહેતા એણે પાસું ફેરવવા યત્ન કર્યો, સર્વ મંડળે અશક્તને સાહાય્ય આપી પાસું ફેરવાવ્યું, ફેરવી રહેતાં એના મુખમાંથી શબ્દ નીકળ્યા : ‘શિવ ! શિવ ! શિવ ! શિવોહમ્‌-શિવ’ એટલું બોલતાં બોલતાં વાણી બંધ થઇ અને હાથ જરાશંકરને ખભે પડ્યો. થોડી વારમાં દેહ નિર્જીવ થઇ ગયો.

થોડીઘડીમાં એ ઝૂંપડી અને એ રાજ્ય એ મહારાજાના શરીર વિનાનાં શૂન્ય થઇ ગયાં. મેના અને મણિરાજ સિવાય સર્વમાંથી થોડા દિવસમાં એની પાછળનો શોક ન્યૂન થઇ ગયો, અને થોડા માસમાં એનું સ્મરણ પણ લોકોમાંથી ગયું, અને માત્ર અતિકષ્ટ વેઠી એ મહારાજે જે સંયમ અને લોકહિતની રાજનીતિ સાધી હતી અને જેનાં ફળ અના મરણકાળે દષ્ટિમર્યાદામાં આવ્યાં હતાં, તે રાજનીતિ, તે ફળ, અને તે ફળનાં બીજમાંથી ઊગી નીકળતાં નવાં વૃક્ષ : એ સર્વ નવો દેખાવ આ પુણ્યશાલી પ્રતાપી સંયમી મહારાજાની પાછળ એના રાજ્યમાં એના સ્મરણાર્થે રચાયેલા અનેક પવિત્ર તુળસીકયારાઓ અને શિવાલયો પેઠે ઊભો થયો.