cozi corner - 7 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 7

             કોઝી કોર્નર 12
  ઘમુસરે જેલમાંથી છૂટીને ઘેર જવાનું માંડી વાળ્યું હતું. એમની પત્ની અને બાળકોએ એમને હડધૂત કર્યા હતા.એક કરપ્ટ અને લંપટ માણસને પતી તરીકે ઘમુસરની પત્ની સંગીતા સ્વીકારી શકે તેમ નહોતી.ઘમુસરના બાળકો પણ સમજી શકે એવડા તો હતા જ. જ્યારે વાલમસિંહે ઘમુસર વિરુદ્ધ છટકું ગોઠવાવીને એમને પકડાવી દીધા ત્યારે સંગીતાને એ નમક હરામ અને અહેસાન ફરામોશ
લાગ્યો હતો. પણ જ્યારે ભીખાએ શાંતા સાથેના આડા સબંધોનું આ પરિણામ હોવાનું જણાવ્યું ત્યારે સંગીતાને વાલમસિંહની દયા આવી હતી.અને ઘમુસર પ્રત્યે નફરતનો ધોધ એના હૈયામાંથી પ્રગટ્યો હતો.ઘમુસરની કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવા કાળા નાણાંથી જ ઉભી થઇ હોવાનો ખ્યાલ એને આવ્યો હતો.અને ઘમુસરને બરબાદ કરવામાં એમની પત્ની સંગીતાએ પણ ઘણો ભાગ ભજવ્યો હતો.પોતાની સાથે જે બેવફાઇ પતિ દ્વારા કરવામાં આવી એનો બદલો લેવાની તક સંગીતાએ જતી નહોતી કરી.
 એટલે જેલમાંથી છૂટ્યા પછી ઘરનું દ્વાર ઘમુસર માટે બંધ થઈ ગયું હતું.સગાંવહાલાં અને સોસાયટીમાં એમની ઈજ્જતના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા.ઘમુસરના દુષમનોએ ખૂબ ફૂંકો મારી મારીને એમની ફજેતીના તાપણાને સળગતું જ રાખ્યું હતું.
  સંગીતા અને તેમના બાળકોને ક્યાંય મો ઊંચું કરીને ચાલવા જેવું રહ્યું નહોતું. સરકારી અધિકારી જ્યારે હોદ્દા પર હોય છે ત્યારે એ ભલે ગમે તેટલો ભ્રષ્ટ હોય, કોઈ પણ વ્યક્તિ એની સામે આંખ ઉંચી કરી શકતો નથી.પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો પાવર માણસની આસપાસ એક અભેદ આવરણ રચી દેતો હોય છે.પરંતુ પદભ્રષ્ટ થયા પછી એની દશા ખુલ્લા પગ જેવી થઈ જાય છે.નાના નાના કાંકરા પણ એ ખુલ્લા પગને ઇજા પહોંચાડી શકે છે.ઘમુસર આ બધું ખૂબ જ સારી રીતે સમજતા હતા.વાલમસિંહે એની ઈજ્જત સાથે ખીલવાડ કરવાનો ખૂબ બદલો લીધો હતો. પણ હવે એ ભૂતકાળ ખોતરીને દુઃખી થાય એવો માણસ ઘમુસર નહોતો. જીવનમાં એણે પણ કંઈ ઓછા સંઘર્ષ નહોતા કર્યા.ગમે તેવી પછડાટ ખાઈને ઉભા થઇ જવાની તાકાત ધરાવતો એ આદમી હતો.
  એના જેવા અનેક અમલદારો હતા. જેમની ઈજ્જત અકબંધ હતી. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે સ્વરૂપવાન કન્યાઓની વ્યવસ્થા કરવાની પણ માગણીઓ કરનારા ઉધઈની જેમ પ્રજાતંત્રને ખોતરી રહ્યા હતા.પણ એ બધા પકડાયા નહોતા.જ્યારે પોતે પોતાના જ નોકરની સ્ત્રી સાથે નોકરના હાથે જ પકડાયા હતા અને એ નોકરને પોતાની નોકરીની આટીઘૂંટી ખૂબ સારી રીતે શીખવીને
તૈયાર કર્યો હતો. અને એ આવડતના હથિયારથી જ ઘમુસરને વાલમસિંહે હણ્યો હતો. 
   ઘમુસરે જેલવાસ દરમ્યાન હમીરસંગનો સંગ કર્યો હતો અને જેલમાંથી છૂટીને બન્ને મુંબઈ ચાલ્યા ગયા હતા.ઘમુસર પાસે હજુ પણ અઢળક નાણું હતું જેનો ઉપયોગ હવે પછીની જિંદગી માટે થવાનો હતો. મુંબઈના પરાં વિસ્તારમાં એક નાનકડો ફ્લેટ લઈ એમણે ત્યાં ઓફીસ શરૂ કરી હતી. ગુજરાતના તમામ જિલ્લાની જમીનો વિશેની માહિતી અને મહેસુલી કાયદાના, એ મામલતદાર હોવાથી નિષ્ણાંત હતા.
હમીરસંગ સાથે મળીને લોચાવાળી જમીનો ખૂબ સસ્તા ભાવે ખરીદી કરતા. કોઈ ખેડૂતની આવી જમીનો પર હમીરસંગની ટોળકી દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવતો.અને ઘમુસર, કાયદાના નોલેજનો ફાયદો લઈ મોટી રકમનો કદડો કરી નાખતા.
  જમીનના ધંધામાં માથાભારે માણસોની જરૂર પડતી હોય છે જે હમીરસંગની ટોળીએ પુરી પાડી હતી.હમીરસંગને ઘમુસર જેવો ભણેલો માણસ ગુરુ તરીકે  મળી ગયો હતો અને ઘમુસરને એક ઘાતક હથિયાર તરીકે હમીરસંગ મળી ગયો હતો. પોતાના તમામ દુષમનોનું કાસળ કાઢ્યા વગર ઘમુસર રહેવાનો નહોતો.અને વાલમસિંહ પણ એમાંથી બાકાત નહોતો.
  જેલમાંથી છૂટીને માત્ર છ મહિનામાં જ ઘમુસરે મુંબઈથી પોતાનું નેટવર્ક ગોઠવી નાખ્યું હતું. ગુજરાતના જુદા જુદા પ્રાંતની જમીનોની માહિતી અને એમાં દબાણ કરાવડાવીને પૈસા પેદા કરવાનો આ ધંધો હમરીરસંગને ખૂબ  જ ગમી ગયો હતો અને પોતાને આવી સરસ લાઈન બતાવવા બદલ એ ઘમુસરનો ખૂબ જ આભારી હતો.અને ઘમુસર માટે પોતાનો જાન પણ આપી દેવા તૈયાર હતો.
  ઘમુસરે વાલમસિંહની તપાસ કરી હતી.પણ એનો ક્યાંય પત્તો મળતો નહોતો.શાંતા સાથે ગાળેલી રાતો એમને ખૂબ યાદ આવતી.
  *   *   *   *    *   *   *   *
  હમીરસંગ મેં આગળ જણાવ્યું તેમ ખૂબ જ ખતરનાક હતો. ઘમુસરના માર્ગદર્શન પ્રમાણે હમીરસંગની ટોળકી આતંક મચાવતી.વરસો સુધી આ લોકોએ બિઝનેસ કર્યો હતો.ઘમુસર હવે શાંતીથી જિંદગી જીવવા માંગતો હતો.એક જમીનના કેસમાં એમની ઓળખાણ કોઝી કોર્નર બંગલાના
માલિક મોહનલાલ શેઠ સાથે થઈ હતી.અને એમના આ જુના બંગલામાં શરૂ થનાર હોસ્ટેલના રેક્ટર તરીકે રહીને ધીમે ધીમે પોતાની તમામ ગેરકાયદેસર કે કાયદેસર પ્રવૃતીઓમાંથી નિવૃત થઈને પોતાની પાછળની જિંદગી આરામથી ગુજારવા માંગતા હતા અને પોતાની તમામ મિલકત આ હોસ્ટેલના અને તેમની જ્ઞાતિના હોનહાર વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે ઉપયોગી થાય તેવું ટ્રસ્ટ બનાવવાની ઈચ્છા પણ ધરાવતા હતા. પરંતુ કોઝીકોર્નરના જ આઉટ હાઉસમાં એમને શાંતા અને વાલમસિંહને તેમના બાળકો સાથે જોયા હતા.અને એ સાથે જ એમના દિલમાં ધરબાઈને મુરજાઈ જવા આવેલી બદલાની ભાવના સળગી ઉઠી હતી. ઉંમરને કારણે કૃશકાય થઈ ગયેલી શાંતાને જોઈને ઘમુસરને હજુ પણ ફાર્મહાઉસની એ રંગીન રાતો સાંભરી આવી હતી. સાઈઠને આંબવા આવેલી એમની કાયામાં શાંતાને જોઈને જ જાણે કામ જવરની ચિનગારી સળગી ઉઠતી હતી.પણ વાલમસિંહે જે રીતે તેમની જિંદગીની પથારી ફેરવી નાખી હતી એ યાદ આવતા જ એમનું મન કડવાશથી ભરાઈ જતું હતું. ક્યારેક વલમસિંહનું એ પગલું એમને પોતાની સજા તરીકે યોગ્ય પણ લાગતું હતું. પણ એકવાર વાલમસિંહને પરચો બતાવવાની તીવ્ર ઈચ્છા એમના કલેવરને ધ્રુજાવતી હતી. અને એ કામ માટે હમીરસંગ નામનું હથિયાર એ વાપરવાના હતા.
*** *** *** ***
  ધરમપુરમાં ઘમુસરના સામ્રાજ્યનો ઘડો લાડવો કરીને વાલમસિંહ અમદાવાદમાં શાંતિથી પોતાનું જીવન ગુજરી રહ્યો હતો.જિંદગીનો ચોથો દાયકો પૂરો થવાની સાથે એ જોડિયા બાળકોનો પિતા બન્યો હતો.અને એની દીકરી રમલી (ઓળખી ને ?)  અઢાર વર્ષની યુવાન બની ગઈ હતી.
     ઘમુસરને જેલ પડ્યા પછી એમનું શુ થયું એ જાણવાની એને જરૂર નહોતી એવું સમજવાની એણે ખૂબ મોટી ભૂલ કરી હતી. દુષમનનો સંપૂર્ણ પણે સફાયો ન થાય તો એ ફરી ગમે ત્યારે હુમલો કરી શકે એ વાત એ ભૂલી ગયો હતો.ભૂતકાળમાં ઉકાની ટોળીનો જે ખેલ સમાપ્ત કરેલો ત્યારબાદ ઉકો ક્યારેય એને સામો મળ્યો નહોતો.એટલે એણે ઘમુસરને પણ ઉકો સમજવાની ભૂલ કરી હતી. પણ ઘમુસર લોહી ચાખી ગયેલો વાઘ હતો.
   મોહનલાલ શેઠ કોઝી કોર્નર છોડીને બીજા બંગલામાં શિફ્ટ થયા પછી પણ પોતાના વરસો જુના વિશ્વાસુ ડ્રાઇવર વાલમસિંહને આ બંગલાની દેખરેખનું કામ સોંપ્યું હતું.અને તેમની જ્ઞાતીના કોલેજમાં અભ્યાસ કરતા બાળકો માટે હોસ્ટેલની સગવડ પોતાના આ વિશાળ બંગલામાં કરી હતી.અને સેવામાંથી નિવૃત થયેલા ઘનશ્યામદાસ મુળજીભાઇને હોસ્ટેલના ગૃહપતી તરીકે નિયુક્ત કર્યા હતા. જે આપણી વાર્તાના ઘમુસર હતા, કે જેમણે કોઈપણ પ્રકારના વેતન વગર આ સેવા સ્વીકારી હતી. કારણ કે એમની જિંદગીના અનેક વરસો એમને કાળા કાવાદાવા કરીને ગુજાર્યા હતા એ આપણે જાણીએ છીએ.
  મોહનશેઠને ઘમુસરના ભૂતકાળમાં ડોકિયું કરવાનું જરૂરી લાગ્યું નહોતું.અને કોઈ એવા લોકો પણ અમદાવાદમાં નહોતા કે જે ઘમુસરના કાળા કાયદાની જિંદગી વિશે કે એમને પડેલી જેલની સજા વગેરે વિશે મોહનલાલને માહિતી આપી શકે !  તેથી ઘમુસર હવે આ હોસ્ટેલમાં નિરાંતે પોતાની પાછલી જિંદગી વિતાવી શકે તેમ હતા. રહેવા માટે તેમને નોકરચાકર સહિતનો વિશાળ બંગલો પણ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રાખ્યો હતો જે અંબાવાડીના આ કોઝીકોર્નર બંગલાથી ખાસ દૂર ન્હોતો. બધું જ બરાબર ચાલી જતું હોય છે ત્યારેજ જીવનમાં નવા વળાંકો આવતા હોય છે, અને માણસને ના છૂટકે સમયના ચકડોળ માં ઉપરથી નીચે આવવું જ પડે છે.
  ઘમુસર અને વાલમસિંહનો હજુ ભેટો થયો ન્હોતો. હોસ્ટેલમાં આવવા જવા માટે દરવાજો પણ અલગ બનાવવામાં આવ્યો હતો. હોસ્ટેલની પાછળ પણ ઘણી જમીન હતી જ્યાં ઘણા બધા ઝાડ હતા અને એ આખો વિસ્તાર સાવ અવાવરું હતો અને એ બધી જ જમીનની દેખરેખ રાખવા જ વાલમસિંહ જેવા રાજપૂતની શેઠને જરૂર હતી. વાલમસિંહને રહેવા માટે જે આઉટ હાઉસ બનાવેલું એ બંગલાની ડાબી તરફ પાછળના ભાગે હતું. ત્યાં જવા માટે પણ અલગ ફાટક મુકવામાં આવ્યું હતું.એટલે વાલમસિંહનું કુટુંબ આમ તો કોઝીથી અલગ જ હતું, પણ આ લોકોને કપડાં ધોવા માટે હોસ્ટેલની પાછળના ભાગમાં જ્યાં મ્યુનિસિપાલટીના નળની વ્યવસ્થા હતી ત્યાં જ આવવું પડતું.
  અને બંગલામાં હોસ્ટેલ શરૂ થયા પછી વિધાર્થીઓ પણ અહીં જ કપડાં ધોતા.અને કેટલાંક વહેલી સવારે હુંફાળા પાણીથી સ્નાન પણ કરતા. રમલી અને પરેશ પહેલીવાર અહીં જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
  વાલમસિંહ અને શાંતાને ઘણા સમય સુધી ખ્યાલ નહોતો આવ્યો કે એમનો દુષમન નં વન એમની સાવ નજીકમાં જ આવી ગયો છે, કારણ કે વાલમસિંહ શેઠની ગાડી લઈને ઘમુસર ઓફીસ પર આવે તે પહેલાં જ ચાલ્યો જતો હતો અને  ઘમુસર સાંજે પાંચ વાગ્યે હોસ્ટેલ માંથી ઘેર ચાલ્યા જતા હતા જ્યારે વાલમસિંહ રાત્રે નવ વાગ્યા પહેલા ક્યારેય આવતો નહીં.
  પરંતુ ઘટનાઓ કે જે નિર્મિત થવાની હોય છે એ પોતાનો સમયગાળો નિશ્ચિત કરી જ લેતી હોય છે.આમ તો ઘમુસરે જેને શોધવા માટે ખૂબ નજર દોડાવેલી એ શખ્સ એમની સાવ નજીકમાં હોવા છતાં ઘણા સમય સુધી સંપર્કમાં આવ્યો નહોતો.
 એક દિવસ મોહનલાલ શેઠ કોઝી કોર્નરની મુલાકાતે આવ્યા. સ્વાભાવિક રીતે જ વાલમસિંહ ડ્રાઇવર હોવાથી ગાડી કોઝી પર લઈ આવ્યો. ઘમુસર, શેઠનું સ્વાગત કરવા ઓફિસના દરવાજે આવીને ઊભા હતા.ગેટમાં ગાડી દાખલ થતાં જ વાલમસિંહે ઘમુસરને જોયા હતા અને એની આંખોમાંથી  અંગારા વરસવા લાગ્યા હતા.ઘમુસરને જોઈને જ એ ગુસ્સાથી લાલપીળો થવા લાગ્યો હતો, પરંતુ શેઠની હાજરીમાં એનાથી કંઈ બોલાયું નહીં.
  ઘમુસરની પરિસ્થિતિ પણ એવી જ હતી. જીવનનું એક માત્ર લક્ષ વાલમસિંહને મોતને ઘાટ ઉતારવાનું બાકી હતું.જે હવે હાથ વેંતમાં હતું.કારણ કે ઘમુસર હવે પહેલાનો સોફ્ટ મામલતદાર નહોતો.હવે એની પાસે હમીરસંગ નામનું ઘાતક હથિયાર હતું, જે ગમે તેની ઉપર વાર કરવા સક્ષમ હતું.
 બન્ને, વાલમસિંહ અને ઘમુસર એકબીજાને લોહીના તરસ્યા હોય એમ ઘુરવા લાગ્યા હતા.પણ મોહનલાલ શેઠ આ બન્નેના ભૂતકાળથી અજાણ હોઈ તેમને આ બાબતનો કોઈ જ ખ્યાલ આવ્યો નહોતો અને આ બન્નેમાંથી કોઈએ મોહનલાલને આ બાબતે કોઈ જ વાત કરી નહોતી.
    હમીરસંગ બાજની જેમ કોઈ પણ શિકાર પર ત્રાટકવા સક્ષમ હતો. છ ફૂટ ઊંચો અને કદાવર કાયાનો માલિક હમીરસંગ પાંચ થી છ માણસને એકલો પૂરો પડે તેમ હતો.અને એની ટોળી પણ ખૂબ જ ખતરનાક હતી. અને એની ટોળીમાં બે જણ ગમે તેનું ખૂન કરવા હમેંશા તત્પર રહેતા. એ બે જણ હતા ગટોર અને ભીમો !
  આ એ જ બે જણ હતા કે જે ઉકાના સાગરીત હતા.અને શાંતાને ઘેર મુકવા જવાના બહાને આ બેઉ જણે એની ઉપર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ શાંતાએ બન્નેને લિંગવિહીન કરી નાખીને બદલો લીધો હતો.
 ચોર અને લૂંટારાઓની ટોળીઓ ગમે ત્યારે એકબીજાના સંપર્કમાં આવતી હોય છે. હોસ્પિટલમાં આ બન્નેની સારવાર થયા પછી પણ વાલમસિંહના અને તેમના ભાયાતોની બીકથી આ બન્ને નરાધમોએ એ વિસ્તાર છોડી દીધો હતો અને હમીરસંગની ટોળીમાં ભળીને છેલ્લે ઘમુસરની ગેંગના સભ્યો બન્યા હતા.
  ઘમુસરે જ્યારે વાલમસિંહનું કાસળ કાઢવાનું કામ હમીરસંગનો સોંપ્યું ત્યારે આ બેઉ હાજર હતા. વાલમસિંહનું નામ સાંભળીને એ બન્નેના કાન ચમક્યા હતા અને એ કામ એમને પોતાને સોંપવાની વિનંતી કરી હતી.
 વાલમસિંહ સાથે જૂનો બદલો લેવાનો હોવાની વાતથી સંમત થઈને ઘમુસરે ગટોર અને ભીમાને વાલમસિંહને ઠેકાણે પાડવાની કામગીરી સોંપી હતી.
** ** ** ** ** ** ** 
    રવિવારના દિવસે સાંજે  મેં રમલીને રિક્ષામાં બેસતાં જોઈ હતી.એ રિક્ષામાં પરેશ હોવો જોઈએ એમ હું સમજતો હતો.અને પરેશના કહેવા પ્રમાણે તે ઘણીવાર રમલીને પિક્ચર જોવા અને ત્યારબાદ ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો એટલે કદાચ આજે પણ એ પિક્ચર જોવા જ ગયો હશે એમ સમજીને હું એની રાહ જોતા જોતા સુઈ ગયો હતો.બીજા દિવસે બીટીએ કહ્યું ત્યારે મને ખબર પડી હતી કે પરેશ હજુ આવ્યો ન્હોતો !
  મેં અને બીટીએ સાંજ સુધી રાહ જોયા પછી અમારા બીજા દોસ્તોની હોસ્ટેલમાં તપાસ કરી હતી. પણ કોઈ જ જગ્યાએથી અમને પરેશના સમાચાર મળ્યા ન્હોતા એટલે રૂમ નં 17માં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.અમારા આશ્ચર્ય વચ્ચે ઘમુસર પણ બે દિવસથી દેખાતા નહોતા. અમે ફરિયાદ કરીએ તો પણ કોને અને ક્યાં કરવી તે સમજાતું નહોતું.
એ દરમ્યાન શાંતાએ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓને રમલી વિશે પૂછ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરેશ, ઘમુસર અને રમલી આ ત્રણ જણ એકસાથે ગુમ થયા હતા.
અમારામાંથી કોઈની હિંમત પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવવાની કે જાણ કરવાની પણ ન્હોતી.
  અમે લોકોએ એક દિવસ વધુ રાહ જોઈ. એટલે કે બુધવારની સવારે મને પરેશની ખૂબ ચિંતા થઈ હતી.
કારણ કે સોમ અને મંગળ અમોએ શક્ય એટલી તમામ જગ્યાઓએ પરેશની તપાસ કરી હતી.
  શાંતાની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. એ વખતે હું શાંતા કે વાલમસિંહ વિશે કઈ જ જાણતો નહોતો. પણ વાલમસિંહનું ખુન ઘમુસરે હમીરસંગ દ્વારા કરાવ્યું હશે અને રમલી અને એની સાથે પરેશને પણ ઘમુસરે જ ગુમ કર્યા હશે એવી શંકા સતત મને ધ્રુજાવી રહી હતી.
પણ હું કોઈને પણ મારી આ શંકા વિશે જણાવી શકું તેમ ન્હોતો. કારણ કે થોડા જ દિવસો પહેલાની ભયાનક વરસાદી રાત્રે જે ઘટના બની હતી એ નજરો નજર જોનાર હું અને પરેશ બે જ હતા અને પરેશ ગુમ હતો.
 જો હું કોઈનેય વાત કરું તો મારે પેલી રાત વાળી ઘટના મેં જોઈ હોવાનું જાહેર કરવુ પડે.અને જો હું એમ કરું તો કદાચ મારો જીવ પણ જોખમમાં આવી પડે.
 સૌ પ્રથમ તો મારે પરેશને ગમે ત્યાંથી શોધી કાઢવો પડે તેમ હતું. બુધવારે રૂમ નં 17ના તમામ વિધાર્થી મિત્રોએ  મને અને બીટીને પરેશના ગામ જઈને એના ઘેર પરેશ ના ગુમ થવાના સમાચાર પહોંચાડવાનું કામ સોંપ્યું હતું.
  બુધવારે સવારે અગિયાર વાગ્યે હું અને બીટી અમરેલી જતી બસમાં ચિંતાતુર ચહેરે બેઠા. મને ઘણી ઈચ્છા હતી કે હું બીટીને બધી વાત કરી દઉં.પણ કોણ જાણે કેમ મારા મોઢે તાળું લાગી ગયું હતું.
  હમીરસંગે જ પરેશ અને રમલીનું અપહરણ કર્યું હોય તો..... તે દિવસે ઘમુસરની ઓફિસમાં એ શાંતાને કહેતો હતો કે એને કૂણી કાકડી બહુ ભાવે છે, એનો મતલબ કે હમીરસંગે રમલીની ઈજ્જત લૂંટવાની કોશિશ કરી હોય, અને એમ બન્યું હોય તો પરેશ કંઈ ઉભો ઉભો જોયા કરે એવો લબાડ તો નહોતો જ. અને જો પરેશે સામનો કર્યો હોય તો હમીરસંગે પરેશને....
મારી કલ્પનાઓથી ભયનું એક લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું.
બીટી ખૂબ બોલકો અને રમુજી હતો. પણ આ બનાવની જે અસર મારા પર થઈ હતી એ જોઈને એ પણ ખૂબ સિરિયસ થઈ ગયો હતો. પરેશના ઘેર જાણ કરવા અમારે રૂબરૂ જવું પડી રહ્યું હોવાનું કારણ એ હતું કે અમે માત્ર પરેશના ગામનું નામ જ જાણતા હતા. એ સીવાય એની કોઈ ડિટેઇલ અમારી પાસે નહોતી. એ સમયે અમદાવાદમાં અભ્યાસ અર્થે આવતા ગામડાઓના વિદ્યાર્થીઓની સિક્યુરિટીની કોઈ જ વ્યવસ્થા કોઈ તંત્ર દ્વારા કરવામાં આવતી નહોતી.અને કોમ્યુનિકેશનમાં માત્ર પત્રવ્યવહાર થઈ શકતો. પરેશના ગામમાં કોઈના ઘેર ફોનની સગવડ હશે કે નહીં એ પણ અમો જાણતા નહોતાં. 1987નો એ સમય S. T. D. અને P. C.O. પહેલાનો સમય હતો. જ્યારે મોબાઇલની તો કોઈને કલ્પના સુધ્ધાં નહોતી.
  પરેશ સાથે રમલી પણ ગુમ થઈ હોવાથી હોસ્ટેલના દરેક રૂમમાં ચર્ચા થઈ રહી હતી કે પરેશ જ રમલીને લઈને નાસી ગયો છે, અને લગભગ એ એના ગામડે પણ ગયો હોય. હોસ્ટેલમાં આ બનાવને કારણે બધા જ વિદ્યાર્થીઓ પરેશ અને રમલીના પ્રેમ પ્રકરણ વિશે અવનવી વાતો કરીને મજાક કરી રહ્યા હતા.પણ હું જે વાત જાણતો હતો એને કારણે આ જોક્સ અને મજાકની મોજ લઈ શકું તેમ નહોતો. મને ખરેખર ખૂબ જ ટેંશન આવી ગયું હતું. પરેશ માટે એક સાચા મિત્રને હોઈ શકે એટલી લાગણી મારા દિલમાં પ્રગટી રહી હતી.પરંતુ હવે મારે શું કરવું જોઈએ એ મને બિલકુલ સમજાતું નહોતું.
   પણ, અમારી બસની છેલ્લી સીટ માં  પીળા શર્ટવાળો, મને ટૂંડિયા મૂંડિયા ટી સ્ટોલ પર મળેલો અને તે જ દિવસે ઘમુસરની ઓફિસમાં બેઠેલો હમીરસંગનો માણસ અને એની સાથે એક દાઢીવાળો એમ બે જણ બેઠા હતા એ અમને બિલકુલ ખબર નહોતી. કદાચ, પરેશ અને રમલીના ગુમ થયા પછી રૂમ નં 17
ના દરેક વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર નજર રાખવામાં આવતી હતી. કદાચ અમે પરેશના ગામ પણ પહોંચી શકવાના નહોતા.
                                 ( ક્રમશ :)