Budhvarni Bapore - 35 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 35

બુધવારની બપોરે

(35)

જમાષ્ટમીને તીનપત્તી સાથે શું સંબંધ?

અમારા ખાડીયાની મોટા સુથારવાડાની પોળમાં રણજી ટ્રૉફી લૅવલના પોળીયા ક્રિકેટરો થઇ ગયા....થઇને જતા ય એટલા માટે રહ્યા કે, આજુબાજુની કોઇ પોળ સાથે મૅચ રાખવી હોય તો અમારી અગીયારની ટીમ જ ન થાય. બધાને પકડી પકડીને પોળને નાકે વચનો લેવા પડે કે, ‘બે, તું ચોક્કસ આઇ જજે....તને બે ઑવર નાંખવા આલીશું....પણ છેલ્લી ઘડીએ લટકાવતો નહિ...ખા, તારી માના સમ...!’

અને પેલો મા ના સમ ખાઇને ચોક્કસ ન આવતો!

એ અગીયાર ભેગા કરતા દમ નીકળી જતો. માંડ થયા હોય ત્યારે બરોબર મૅચના રવિવારે કોઇના ડોહા ઉકલી જાય ને કોઇની પોતાની સગાઇ હોય....ને કન્યાવાળા સવારે દસના મુહુર્ત માટે બપોરે ચાર વાગે આવે! અમારી તો મૅચની.....હમણાં કહું એ...! પૂરા ૧૧-ની ટીમ થાય નહિ, એટલે મોટા ભાગે તો દુશ્મન ટીમમાંથી એકાદ-બે પ્લેયરો ઉધાર લેવા પડતા.

આવો જ અને આનાથી ય મોટો પ્રોબ્લેમ તીનપત્તી માટે થતો. જન્માષ્ટમી આવે એટલે અચાનક બધા પ્યૉર હિંદુ બની જાય અને એકબીજાને અકળાઇને પૂછતા હોય, ‘બે સુરીયા....આ જમાસ્ટમી ક્યારે આવે છે, યાર?’ અને સુરીયો જન્માષ્ટમીને ખિસ્સામાં રાખીને બેઠો હોય, એવો અકળાઇને જવાબ આપે, ‘બે, હું તે કાંઇ ગોકૂળ-મથુરાની આંગડીયા-સર્વિસ ચલાવું છું, તે મને પૂછે છે? પૂછ આ ધનીયા ને....એના બાપા ય ખિસ્સામાં બારેમાસ કૅટો લઇને ફરે છે...!’

‘એ બધું તો બરોબર....પણ આપણે થઇએ છીએ કેટલા...? હું, તું ને આ ધનિયો....! હાળા ચારે ય પૂરા થતા નથી...ટૅબલ તો થવું જોઇએ ને?’ ટૅબલ થવા માટે ૭-૮ ખેલાડીઓ તો જોઇએ. પાંચથી ય આમ કાંઇ વાંધો ન આવે...અને એટલા ય ન થતા હોય તો માણેકચૉક લઇ જઇને ફ્રી ફાફડાની લુખ્ખી આપીએ, ત્યારે માંડ એકાદો આવે. એમાં ય, એની શરત હોય, ‘‘બે, પચ્ચાની નૉટ પૂરી થઇ જશે તો હું ઊભો થઇ જઇશ...’’ છેવટે સામસામે બે જણા રમી નાંખીએ....બસ, એકલા એકલા તીનપત્તી ના રમાય....બા ખીજાય!

જન્માષ્ટમી તો હમણાં જ ગઇ. અઠવાડીયાથી બેઠક ચાલુ હોય, એ બધા માંડ થાકીને નવરા પડ્યા હોય. બબ્બે દહાડાથી તો પથારીમાંથી ય ઊભો થયો ન હોય.....જન્માષ્ટમીમાં આઠસો-હજારની ઉઠી ગઇ હોય, એટલે એને ઉઠાડવાની તો એના ફાધરે હિમ્મત ન કરે. (એ ય હારીને આવ્યા હોય!)

હજી એ વાતની કોઇને ખબર પડી નથી કે, ફાફડા દશેરાએ જ કેમ? ઊંધીયું ઉત્તરાયણમાં જ, તીનપત્તી જન્માષ્ટમીએ જ ને વઘારેલી ધાણી હોળીના દિવસે જ કેમ? ડ્રિન્ક્સ ૩૧ ડીસૅમ્બરની રાત્રે જ કેમ...? સૉરી, સૉરી સૉરી....એમાં જ્ઞાતિ-જાતિ કે વાર-તહેવારના ભેદભાવ આપણે રાખતા નથી....બારે માસ, ‘જય કન્હૈયાલાલ કી......’

એમના જમાનામાં ભગવાન શ્રીકૃષ્ણ જુગટું રમ્યા હતા, એવું કહેવાય છે, પણ એ જુગટામાં ‘તીનપત્તી’ આવતી હતી કે નહિ, તેની ખબર નથી. અમે બધા જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણાવતારો ધારણ કરી લેતા. કેવળ જુગટું માટે જ નહિ, ખાડીયાની ગોપીઓના ઉધ્ધાર માટે પણ! ગોપીઓ ખાડીયાની હતી, એટલે બધીઓ બુધ્ધિમાન નીકળી અને ખાડીયાના એકે ય કૃષ્ણ, નટવર કે દામોદરને પરણી નહિ, બધી બહાર જ પરણી.....ક્યાં પરણાય ને કોની સાથે તો ન જ પરણાય, એની ખાડીયાની બધી છોકરીઓને ખબર!

પણ તીનપત્તીમાં ગોપીઓ-બોપીઓનું કામ નહિ. અમે બધા દુર્યોધનો અને દુઃશાસનો સાથે જ રમીએ....છેલ્લે જીતે એ જ ખરો નટવરગીરધર! આમાં સારો માણસ જ જીતે, એવું કાંઇ નહિ...આ લો, અમે હારતા’જ’તા ને? પણ જેમ જેમ રમતા જઇએ, એમ પ્રભુપરમેશ્વર ઉપર અમારો વિશ્વાસ બુલંદ થતો જાય. ભગવાન શંકર કે શ્રી.મહાવીરસ્વામી કે શ્રી.અંબાજી માતાજીને અમે શર્ટના ઉપરના ખિસ્સામાં રાખીએ. હારતા હોઇએ, ત્યારે એ લોકો બહુ યાદ આવે. ‘હે ભોળાનાથ....ફૂલ્લીના રાજા સાથે ફૂલ્લીની રાણી તો દેખાઇ છે....હવે ફૂલ્લીનો એક્કો નહિ તો ફૂલ્લીનો ગધેડો ય ચાલશે....ચરકટનો ય ચાલશે, પ્રભુ.....પણ મોકલ ખરો!’ અને ભોળાનાથ આમ પાછા ભોળા બહુ. સાચ્ચે જ ફૂલ્લીનો એક્કો આપે એટલે અમારી પાસે ‘તોડી નાંખે એવી’ પાક્કી થઇ ગઇ....? પછી તો છોડીએ કોઇને...? ‘આયા.… આયા.… આયા...’ કરતા છ-સાત રાઉન્ડમાં તો ખિસ્સું ખાલી કરી નાંખ્યું હોય....પણ શ્રધ્ધા હોય કે, બાજી આપણી જ છે......

અને સામે વાળો સાલો ત્રણ તીરી લઇને આવ્યો હોય! ભોળાનાથ ઉપરથી માન ઉતરી જાય, ‘‘બૉસ...આવું કરવાનું?...સાવ આવું કરવાનું?? ફુલ્લીનો એક્કો આલીને ખાંગો કરી નાંખ્યો મને? પણ પછી પ્રાર્થનામાં થયેલી ભૂલ પકડાય કે, આપણે એક્કો-રાજા-રાણીની પાકી સીક્વન્સ કરવા માટે અરજ ચોક્કસ કરેલી, પણ પ્રભુનું ધ્યાન દોરવાનું ભૂલી ગયેલા કે, સામેવાળાને તઈણ-તીરીઓ ના આલતો!

સામાન્ય સંસ્કારી માણસો જુગારને પાપ ગણે છે, પણ જુગારીઓ જેટલા ઈશ્વરની નજીક બીજું કોણ હોય છે? બે એક્કા જોયા પછી ત્રીજા માટે એક જ ભજન મનમાં ગવાતું જાય, ‘એક તુ ના મિલા, સારી દુનિયા મીલે ભી તો ક્યા હૈ....હોઓઓઓ’! શૉપિંગ-મૉલમાં વાઈફને લઇને હરતા-ફરતા કોઇને પ્રભુ યાદ આવે છે?....સિવાય કે, સામેથી એના ગોરધન સાથે ઘસડાતું-ઘસડાતું આપણું જુનું મૂડીરોકાણ આવતું હોય! બસ્સો રૂપીયાનું પૉપ-કૉર્નનું પૅકૅટ લઇને મલ્ટિપ્લૅક્સમાં ફાકડા મારતા કોઇને શ્રી.નવકાર મંત્રના જાપ યાદ આવે છે? ભલે ચુસ્ત હોય! પણ ચુસ્ત હોઇએ કે ના હોઇએ, તીનપત્તી રમતી વખતે દુનિયાભરના ભગવાનોને ભેગા કરીને બોલાવીએ છીએ, ‘‘પ્રભુ, આ વખતે લાજ રાખજે....સામેવાળાને ભારે ટ્રાયો ના નીકળે...!’’ અને પ્રભુ ખાસ્સી મોટી લાજ રાખે છે....આપણે બાદશાહનો ટ્રાયો નીકળ્યો હોય ને સાલાઓ બાજી જોઇને એક પછી એક...રૂપીયો ય નાંખ્યા વિના પડી ગયા હોય....આપણા હાથમાં શકોરૂં ય ના આવે....સૉરી, શકોરૂં જ આવે!

વાસ્તુશાસ્ત્ર તો હજી નવું નવું આવ્યું. કોઇ તીનપત્તી રમનારાઓને પૂછી આવજો, અસલી વાસ્તુશાસ્ત્ર શેમાં છે? બેઠા પછી આપણા એક ઢીંચણની દિશા પશ્ચિમ તરફ જ રાખવાની. બાજુમાં કોઇ નમેલા ખભાવાળો આવી ગયો તો એને ઉઠાડીને સામે બેસાડી દેવાનો. પહેલું પત્તું ખોલ્યા પછી મનમાં ‘રામ’ બોલવાનું જ. જો સાથે ડ્રિન્ક્સ પણ હોય તો આંગળી બોળીને જમીન પર બે ટીપાં ભગવાનને ચઢાવી દેવાના, જેથી ગ્લાસમાં ભૂત-ફૂત ભરાઇ ન જાય. બેસી બેસીને કૂકડા જેવો થાક્યો હોય છતાં ભૂલેચૂકે ય એક પગ લાંબો ન કરે...પલાંઠો છોડવાનો જ નહિ અને છોડીને બેઠા હો તો વાળવાનો નહિ! કહેવાય છે કે, વાસ્તુશાસ્ત્રની પ્રેરણા તીનપત્તી ઉપરથી મળી હતી.

એમ તો, પ્રામાણિકતાની શોધ પણ તીનપત્તીને કારણે થઇ હતી. જગતમાં આ ગૅઇમ રમાનારો કદી બેઇમાન હોતો નથી....હોય તો બધેથી ફેંકાઇ જાય અને કોઇ બોલાવે નહિ. જીતનારો કદી ગર્વ કરતો નથી. એ વધુ નમ્ર થઇ જાય છે, કારણ કે એ જાણતો હોય છે કે, બીજા દિવસે એની પણ ધોલાઇ થવાની છે...! ‘તું નાનો, હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો’ જેવી નમ્રતા એનામાં હોય છે . બીજા કોઇ પણ ધંધા કરતા વધુ પ્રામાણિકતા તીનપત્તીમાં હોય છે....છતાં, આ તો ધંધો ય ન કહેવાય...! સુઉં કિયો છો?.… કહેવાય?

પણ રાજ્યના પોલીસખાતાને આ રમતવીરોની પ્રામાણિકતા પસંદ આવતી નથી. જે કોઇ શુભસ્થળે આ આત્માઓનો હવન ચાલતો હોય ત્યાં હાડકા નાંખવા પોલીસ આવી જાય છે. ભારત દેશ આટલો વિશાળ હોવા છતાં તીનપત્તીના ખેલાડીઓ માટે હજી સુધી કોઇ જગ્યા ફાળવવામાં આવી નથી. ક્રિકેટ કે ટૅનિસ જેવી રમતો માટે સ્ટૅડિયમો ફાળવવામાં આવે છે, પણ તીનપત્તીના રમતવીરોને બે-રૂમ રસોડાં જેટલી જગ્યા પણ સરકાર ફાળવતી નથી. હકીકતમાં, તીનપત્તીના ખેલાડીઓ શોરશરાબા વિના રમે છે. લાખો પ્રેક્ષકો એમને જોવા ભેગા થતા નથી. ટીવી પર એના લાઇવ-કવરેજ દર્શાવાતા નથી. આ માસુમ ખેલાડીઓ તો યુનિફૉર્મ કે સ્પૉટ્‌ર્સ-શૂઝ પણ પહેરતા નથી. વિરાટ કોહલીની માફક જીમમાં જઇને ચચ્ચાર કલાકની કસરતો કરીને આ લોકો બૉડી બનાવતા નથી. સાદગી એમનો મંત્ર છે. સાચું પૂછો તો તીનપત્તી રમનારાઓ નમ્રતામાં માને છે. પબ્લિસિટીનો એમને કોઇ મોહ હોતો નથી, પણ પોલીસથી આ સાદગી સહન થતી નથી. જ્યારે ક્લબોમાં ય પત્તાનો જુગાર ‘રમી’ને નામે રમાય છે, પણ ‘ઉનકો તો પુલીસ કુછ નહિ કહેતી...!’ ક્લબમાં રમી રમાય પણ તીનપત્તી નહિ. ઓહ...બ્રીજ કે રમી જુગાર ન કહેવાય?

પોલીસ કે સરકાર હોય કે ન હોય, પણ ભોળાનો ભગવાન હોય છે, જે દર જમાષ્ટમીએ અવતરીને દેશભરમાં ખેલકૂદને પ્રોત્સાહન આપે છે.

આપ સહુને આવતી જન્માષ્ટમી માટે ‘ત્રણ એક્કા’ની શુભેચ્છા.

સિક્સર

ઘોડાગાડીની જેમ એક જમાનાના અનેક ધંધા બંધ થઇ ગયા....આપણને કોઇ ખોટ પડી નહિ...પણ એકની મોટી ખોટ પડે છે, ચપ્પુની ધાર કાઢી આપનારા શોધ્યા મળતા નથી....ઈંગ્લૅન્ડ-અમેરિકા કે ચાયનાથી મોંઘા છરી-ચપ્પા લઇ આવ્યા હો, ધાર બુઠ્‌ઠી થઇ ગયા પછી ફેંકી દેવાના! ધાર કાઢવાવાળા ક્યાં ગયા?

----------