Angat Diary - Samsya Problem Prashna books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - સમસ્યા, પ્રોબ્લેમ, પ્રશ્ન

અંગત ડાયરી
============
શીર્ષક : સમસ્યા-પ્રોબ્લેમ-પ્રશ્ન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૨૬, જુલાઈ ૨૦૨૦, રવિવાર

પ્રશ્ન કે સમસ્યા ઘણીવાર આપણે ધારીએ છીએ એટલા મોટા કે વિકરાળ નથી હોતા. જીવનની શરૂઆતમાં આપણને નોકરી મળશે કે નહીં? યોગ્ય જીવનસાથી મળશે કે નહીં? એ પ્રશ્નો આપણને કેવા વિકરાળ લાગતા હોય છે! પણ નોકરી અને લગ્નજીવનમાં સેટ થઇ ગયેલાઓ જાણે છે કે વાસ્તવમાં સમસ્યા અંગેના ખોટા વિચારો કે ચિંતાઓ જ પજવતા હોય છે, સમસ્યા નહીં.

ખરી વાત તો એ છે કે જે ઘટના માણવાની હોય, ઉજવવાની હોય એ પ્રસંગ જેવી ઘટનાને આપણી અધીરાઈ કે આપણી બેચૈની, ઘણીવાર પ્રશ્નમાં ફેરવી નાખતી હોય છે. ઘણી સમસ્યાઓ કે પ્રોબ્લેમ્સ તો આપણે સામે ચાલીને વ્હોરી લેતા હોઈએ છીએ. કોઈ ચિંતકે મસ્ત કહ્યું છે : Don’t problem the problem, until problem problems you. હમણાં એક અવકાશીય પદાર્થ પૃથ્વી સાથે ટકરાવાની ચર્ચા ચાલુ થઇ હતી. ૨૦૧૨માં પૃથ્વીનો વિધ્વંસ થવાનીય ચર્ચા આવી હતી. કશું થયું નહીં. બીકના માર્યા કેટલાક લોકો બ્લડપ્રેશરની સમસ્યામાં ઘેરાઈ ગયા ખરા.

બીક કે ડરની ફીલિંગ ઘણીવાર નાની અમથી વાતને વિકરાળ બનાવી મૂકે છે. તમે બાળપણમાં પેલી બીકણ સસલીની વાર્તા તો સાંભળી જ હશે. જંગલમાં ઝાડ નીચે સૂતેલી એક બીકણ સસલી પર અચાનક ઝાડ પરથી એક બોર જેવડું ફળ પડ્યું. એ ભડકી ગઈ અને ચીસો પાડતી ભાગવા માંડી. રસ્તામાં હરણે પૂછ્યું : શું થયું? સસલી કહે ‘ઉપરથી આભ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો...’ હરણ ભાગ્યું, વાંદરો ભાગ્યો, શિયાળ ભાગ્યું. આટલા બધા ભાગતા હોય તો કૈંક ખરેખર ખતરનાક બન્યું હશે એમ માની, હાથી, ગેંડા ભાગવા માંડ્યા. છેલ્લે કોઈ જાગૃત પ્રાણીએ સૌને રોક્યા અને આખા કેસની તપાસ કરી તો અસલી ગુનેગાર નાનકડું બોર હતું.

જાગૃત પ્રાણી...

આજની ભાષામાં કહેવું હોય તો જાગૃત પ્રાણી એટલે વોટ્સએપ કે ફેસબુકનો એ યુઝર કે જે ‘ઉપરથી આભ પડ્યું’ની અફવા જેવા મેસેજને ફોરવર્ડ થતો રોકે છે, સ્વામી વિવેકાનંદ જેવો તેજસ્વી યુવાન જે મસ્તક નમાવતા પહેલા પૂછે કે ‘તમે ભગવાનને જોયા છે?’, ‘કલિયુગ છે, કલિયુગ છે’ની ધૂનમાં જોડાતા પહેલા ઈમાનદાર સૈનિકો, સેવાભાવી સંતો અને વિચક્ષણ વૈજ્ઞાનિકોની વિશાળ ફૌજનો એ જાગૃત વ્યક્તિ પહેલા વિચાર કરે.

આજકાલ કોઈ પણ સમસ્યા પર પોતાનો અભિપ્રાય આપવાની ફેશન ચાલી છે. એના માટે ‘વોટ્સએપ યુનિવર્સીટી’ એવો શબ્દ વપરાય છે. યુદ્ધ જાહેર કરી દો, આવાઓને ફાંસીએ ચઢાવી દો, મંગળયાનમા આટલા સુધારા કરો, મોદીએ હવે આમ કરવું જોઈએ, ટ્રમ્પે હવે તેમ કરવું જોઈએ બ્લા બ્લા બ્લા. અલ્યા વાનર, બે જ ઘડી આત્મખોજ કરી હોત તો માણસાઈ વિકસી જાત. એક ચિંતકે મસ્ત કહ્યું છે: It is easy to give suggestion, when you don’t know much more about the problem. હું તો એટલું કહેવા માંગું છું કે અમુક પ્રોબ્લેમ તો આપણા હોતા પણ નથી, છતાં આપણે લોહી ઉકાળો કરતા હોઈએ છીએ. ચીન સાથે બોર્ડર પર શું કરવું એ બોર્ડર પર બેઠેલા સૈનિકનો, એના ઉપરીનો અને રક્ષા મંત્રીનો પ્રોબ્લેમ છે, તું લોહી ઉકાળવા કરતા એ લોહીનું ડોનેશન કર ને તો પણ તારું અને દેશનું કલ્યાણ થશે.

અનુભવી લોકો સમસ્યાની સીરીયસનેસ સમજતા હોય છે. કદાચ એટલે જ એમને મૌન રહેવું વધુ યોગ્ય લાગતું હશે! જેણે ગિરનાર ચઢ્યો હોય એ ક્યારેય નહિ બોલે કે એ તો ચપટી વગાડવા જેટલું સહેલું કામ છે. એવું નથી કે જીવનમાં સમસ્યા કે પ્રોબ્લેમ નામનું કંઈ છે જ નહિ. ઘણી સમસ્યાઓ જિંદગીને છિન્નભિન્ન કરી નાંખતી હોય છે. પણ એક વાત યાદ રાખજો: એકેય સમસ્યા જિંદગીથી મોટી નથી. ભૂલી જવાનું યાદ રહે તો એ જિંદગીની બાજી જીતી શકાય છે. [ફરી વાંચો: ભૂલી જવાનું યાદ રહે તો એ જિંદગીની બાજી જીતી શકાય છે.]

કૃષ્ણ કાનુડો જન્મ્યો ત્યારથી કેટલી બધી સમસ્યાઓ ઉકેલતો ઉકેલતો આગળ વધ્યો છે. કૃષ્ણ એ ભારતનો યુવાન છે. કૃષ્ણ એ એવું એકેય કામ નથી કર્યું જે આજનો ક્રીશ કે કરસન ન કરી શકે. ચમત્કારો જ કરવા હોત તો એના માટે એને જન્મ લેવાની જરૂર ન હતી. દુર્યોધન પણ ભારતનો જ યુવાન છે, પણ ભારતે એની પૂજા નથી કરી. ભારત દેશ કૃષ્ણ જેવા કર્મયોગીઓનો ફેન રહ્યો છે.

ખરેખર ઉપરથી આભ તૂટી પડે તો પણ આ દેશનો યુવાન મુંજાઈને મરી જાય એવો નથી. અમૃત ઘાયલે શું પેલી મર્દાના ગઝલ એમ નેમ લખી હશે? ‘રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ, મનમાં મારી જવાના? અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?’

બાકી તમે ખુદ સમજદાર છો.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)