Chhappar Pagi - 23 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 23


પ્રવિણ શેઠનાં ઘરેથી નિકળી તેજલબેનના ઘરે પહોંચી જાય છે.. થોડું મોડું થયું હોવા છતા, હિતેનભાઈ રાહ જોતાં હોય છે એટલે બન્ને જમવા બેસી જાય છે. પ્રવિણના મોઢા પરના હાવભાવ જોઈને લક્ષ્મી સમજી જાય છે કે એણે જે વાત કરી હતી તેનું સોલ્યુશન આવી ગયુ હશે.. એટલે એ પલને સ્પન્જ કરી, ફિડીંગ કરાવીને સુવડાવવા માટેની તૈયારી કરે છે..
જમતી વખતે પ્રવિણે વાત કાઢીને કહ્યું કે,
‘તમારી અને તેજલબેન વચ્ચેની વાત લક્ષ્મીએ સાંભળી હતી.. એટલે જ હું શેઠનાં ઘરે જવા માટે તમારા આવતા પહેલા નિકળી ગયો હતો.. તમે જોબ માટેની સહેજ પણ ચિંતા કરશો નહી.. માર્કેટમાં રીસેશન છે જ.. એટલે કંપનીઓ સ્ટાફ થોડો છૂટો કરવાનું વિચારે… મારે ધંધો ખૂબ વધી ગયો, એક્સપોર્ટનુ કામ તો ત્રણ ગણું વધ્યુ છે, પરચેઝિંગમાં કોઈ આપણું પોતાનુ જ જોડે હોય તો મને બહુ જ રાહત રહે.. તમે તો બહુ અનુભવી પણ છો એટલે પુરી સ્વત્રંતતાથી કામ પણ કરી શકશો…આપણો તો પોતાનો વ્યવસાય છે ને, એટલે તમને ત્યા કરતા સેલેરી પણ વધારે જ મળવાની. મને તો ક્યારનુયે થતું હતુ કે તમે જોડે હોય તો મને બહુ જ રાહત રહે..પણ તમારું એટેચમેન્ટ ત્યાં હોય એટલે પહેલા કહી ન શક્યો… પણ હવે બીજા કોઈ વધારે જરુરિયાતમંદ એમ્પ્લોઈને છૂટા કરે એનાં કરતાં તમે જ સામેથી કહી દો.. તો કોઈ એકની જોબ બચી જાય. અહીંયા તમારી એક્સપર્ટાઈઝ ઘરમાં જ કામ લાગશે..’
આ સાંભળીને હિતેનભાઈ અને તેજલબેન બન્નેના ચહેરા પર જે ચિંતાના વાદળો હતા તે એકદમ જ દૂર થઈ જાય છે. પછી સહેજ વિચારીને હિતેનભાઈ બોલ્યા, ‘હા.. મને પણ એવું જ યોગ્ય લાગે છે.. મને અથવા મારા જુનિયર અરૂણને બેમાંથી કોઈ એકને તો છૂટા થવું જ પડે તેવી સ્થિતી સર્જાય તેવી છે.. એમની નોકરી જાય તો એના પરીવારને બહુ તકલીફ પડે તેમ છે, એણે આજે આખો દિવસ આ જ ચિંતામાં કાઢ્યો… મને કહેતો હતો કે મારે જવાનું થશે અને બીજે જોબ તરત નહીં મળે તો.. પરીવાર આખો મુશ્કેલીમાં મુકાશે.. એની એક દિકરીનાં તો લગ્ન લેવાના અને બીજો દિકરો હજી ભણે છે.. મકાનનાં હપ્તા તો ભરવાનાં જ.. એટલે હું સ્વેચ્છાએ ખસી જાઉં તો બન્નેને ફાયદો છે…. પ્રવિણ જે થયું તે સારું થાય.. લક્ષ્મીએ આ વાત સાંભળી ન હોત તો અમે કહી જ ન શક્યા હોત..’
લક્ષ્મી એ દરમ્યાન પલ ને સુવડાવી ત્યાં બાજુમાં બેસી જાય છે.. પણ તેજલબેન તરત એને ખખડાવે છે…’ એ છોકરી કેમ નીચે બેઠી.. ફ્લોર ઠંડી હોય ખબર ન પડે.. લે .. આ ખુરશી પર બેસ.. એક છોકરીની મા થઈ તો પણ સમજાવવું પડે..’
એટલે લક્ષ્મીએ પણ સામે જવાબ આપ્યો, ‘ તું છે ને મારુ ધ્યાન રાખવા.. તો હું શું લેવા ચિંતા કરુ..? હું કંઈ મોટી થઈ ગઈ છુ હજી..?’
તેજલબેને કહ્યુ કે, ‘ લે.. હવે શાની તું નાની..?’
લક્ષ્મીએ કહ્યું, ‘હું મોટી થઈ ગઈ હોય એવુ લાગતું હોત તો મને આ વાત કરી હોત.. મને તો નાની જ સમજે એટલે ન કરી ને..આ તો વળી સાંભળ્યું એટલે..! હું એક છોકરીની મા છું તો તુ એની પણ મા છો.. તમને ન ખબર પડે કે ઘરમાં આવુ કોઈ ટેન્શન આવે તો છોકરાઓને પણ કહેવાય..?’
‘ સારુ.. હવે બહુ દોઢી ન થઈશ.. તારે હજી નાનું બેબી છે.. તમે ચિંતા ન થાય એટલે ન કહ્યુ.. અને મને પણ આજે જ ખબર પડી હતી ને..?’
આવો મીઠો ઝગડો ચાલ્યો. પછી પ્રવિણે શેઠાણી એ જે કહ્યુ હતુ તે નિસ્ક્રમણ સંસ્કાર કરાવવાની, મા બાપુ ને મુંબઈ લઈ આવવાની અને લક્ષ્મીને ઘરે લઈ જવાની વાત કરી એટલે લક્ષ્મી એનાં ઘરે જશે એ વિચારે તેજલબેન ફરી ઢીલાં થઈ ગયા.
લક્ષ્મીએ બાજુમાં બેઠેલ તેજલબેનના ખભે માથું ઢાળીને કહ્યુ,
‘હવે બહુ ટેન્શન નથી લેવાનું… અમારુ બધુ તો સાચવી દીધું .. મને ક્યાંય પણ મા ની કમી નથી વર્તાવા દીધી..મને સહેજ પણ ચિંતા રહેવા જ નથી દીધી.. હવે અમારી ફરજ છે કે તમને કયારેય કોઈ ચિંતા ન રહે..’
બીજા દિવસે શું કરવુ તે અંગે ચર્ચા કરીને બધા સુવાની તૈયારી કરે છે.
લગભગ પાંચેક મહિના બીજા વિતી ચૂક્યા હોય છે.આ સમય દરમ્યાન પ્રવિણના મા બાપુ મુંબઈ આવી ગયા અને સરસ સેટ પણ થઈ ગયા હતા… પ્રવિણે પોતાના વિશ્વાસુ કર્મચારીને જોડે મોકલી પોતાના શેઠ અને શેઠાણી બન્ને ચારધામની યાત્રા સંપન્ન કરી દીધી હોય છે…પલ હવે છ મહિનાની થઈ ગઈ હોય છે…હિતેનભાઈના આવવાથી વ્યવસાયને ખૂબ વેગ મળે છે અને એક્સપોર્ટના બિઝનેસમાં તો પ્રવિણનુ નામ સમગ્ર રાજ્યમાં અગ્રસર થઈ ગયુ હોવાથી મહારાષ્ટ્ર સરકારે એવોર્ડ આપી સન્માન પણ કરે છે..પ્રવિણે આ દરમ્યાન વચ્ચે એકવાર એક વિક માટે અમેરિકા પણ જઈ આવે છે.. ડો. અભિષેકના ઘરે જ રોકાય છે..અને ત્યાંના ઈન્ડીયન સ્ટોર, મોલ માલિકોની મૂલાકાત લઈ એમને ઈન્ડીયન ગુડ્સ સપ્લાય કરવા માટે એક મોટી ડિલ કરીને પણ આવે છે…શેઠ જાત્રાથી પરત આવી ગયા હોવાથી એમની કાર અને ડ્રાઈવર પરત કરવાની હોવાથી, પ્રવિણ હવે પોતાની નવી કાર વસાવી અને ડ્રાઈવર પણ રાખતો હોય છે…
આમ બધુ જ સુખરૂપ જઈ રહ્યું હોય છે.. પ્રવિણના મા બાપુ પલને રમાડવામાં, મંદિરે.. કથા… સત્સંગ વિગરેમા સમય પસાર કરે છે… હવે પલને પણ છ મહિના થયા હોય છે..એટલે શેઠાણી લ્ક્ષ્મીના ઘરે આવે છે..અને કહે છે કે આપણે હવે પલ ને અન્નપ્રાશન સંસ્કાર કરાવવાનો છે.. તો લક્ષ્મી પુછે છે કે એનું શું મહત્વ છે? ત્યારે શેઠાણી સમજાવે છે કે,
‘અન્ન મનુષ્યશરી૨ના નિર્વાહનું અનિવાર્ય તત્ત્વ છે. નવજાત બાળકને પ્રથમ વાર અન્નગ્રહણ કરાવવામાં આવે, એ પ્રક્રિયાને અન્નપ્રાશન સંસ્કાર કહે છે. જન્મ પછી છઠ્ઠા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે. ‘अन्न एवं ब्रह्म’, ‘જૈસા અન્ન, વૈસા મન,’ આવાં સૂત્રો દ્વારા અન્નનું મહત્ત્વ સમજાય છે. અન્ન ખાવાની પ્રક્રિયાને આપણે ભોજન કહીએ છીએ. ભોજન આપણે માટે સંસ્કાર છે. અન્ન માત્ર શરીરનિર્વાહ માટે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ વિચારોનું સર્જન પણ કરે છે. જેવું ભોજન તેવા વિચાર, જેવા વિચાર તેવું કાર્ય. આથી આપણે ત્યાં અન્ન ગ્રહણ કરવાની પ્રક્રિયાને પણ સંસ્કાર કહે છે.’
તો લક્ષ્મી ખૂબ રાજી થઈ જાય છે અને કહે છે કે, ‘આપણે આ અન્નપ્રાશન સંસ્કારને એક ઈવેન્ટ તરીકે સેલિબ્રેટ કરીએ તો..! બધાને જમવા બોલાવીએ.. ડો. રચિત સરનો સ્ટાફ, આપણો ઓફિસ સ્ટાફને સપરીવાર ઈન્વાઈટ કરીએ..!’
શેઠાણી સંમત થાય છે, શેઠને વાત કરે છે.. પ્રવિણે ઈવેન્ટ મેનેજ કરતી ટીમનો સંપર્ક કરી…ઓર્ડર આપી દે છે.. અને પછીનાં રવીવારે તો એક સરસ ઈવેન્ટ દ્વારા સૌને સાત્વિક ભોજન કરાવડાવી, પલ માટે ઘરેથી જ બનાવી લઈ ગયા હતા તે બધાની સામે ખવડાવી, આ અન્નપ્રાશન સંસ્કાર પણ સંપન્ન કરાવે છે..
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા