Solanki King Tejpal Singh of Kalri books and stories free download online pdf in Gujarati

કાલરીના સોલંકી રાજા તેજપાલસિંહ

કાલરી - બહુચરાજી:-

કાલરી ગામ એટલે વીર વચ્છરાજસિંહ (ઝીંઝુવાડા નજીક રણમાં શહીદ થયેલા વાચ્છડા દાદા)નું મુળ ગામએટલે "કાલરી."
હાલના બહુચરાજી તાલુકાનું આ ઐતિહાસિક ગામ.તત્કાલિન કાલરી ગામના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામના રાજા હતા.આ રાજાનાં લગ્ન વસઈ ગામના વાઘેલી કુંવરી સાથે થયાં હતા.વજેસિંહ સોલંકીને બીજી રાણીઓ હતી.પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું.છેવટે જુવાન વાઘેલી રાણીને પેટે મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્રની પણ પુત્રી હતી.રાણીએ પુત્રી જન્મ્યાની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર પુત્ર ન હોય તો રાજગાદી પિત્રાઈઓના હાથમાં જવાનો ડર હતો.આથી રાણીએ દાસી સાથે ચર્ચા કરી,સવારે રાજાને ખબર મોકલાવી કે વાઘેલી રાણીને પુત્ર જન્મ થયો છે.રાજા આ સાંભળીને ખુબ ખુશ થયા.
રાણી એ કન્યાને પુરુષનાં કપડાં પહેરાવી વડેરાઓને કરી વાત અત્યંત ગુપ્ત રાખી.સૌ કોઈ સોલંકીને ત્યાં પુત્ર જન્મ્યાનું માનતા હતા.કુંવરનું નામ "તેજપાલ" રાખ્યું.સમય જતાં તેનું સગપણ પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે કરવામાં આવ્યું.અંતે તેજપાલ ના ચાવડા કુળના રાજાની રાજકન્યા સાથે લગ્ન પણ થઇ ગયા.હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવાનો સમય નજીક આવ્યો. જયારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ.તે પોતાના જેવી જ એક યુવતીને પરણી છે,એ જાણીને તે ખુબ દુ:ખી થયા.એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા.જગતમાં કોઈ નવોઢાને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુ:ખિયારી ચાવડી કન્યા હતાશ મને પિયર ચાલી આવ્યા.પોતાના દુ:ખની વાતને કોઈને કહી શકતા નહોતા અને મનમાં જ મૂંઝાતા હતા.દીકરીની ચિંતાપિયરમાં તેની જનેતા કળી ગઈ એમને દિકરીને બેસાડીને પ્રેમથી પૂછ્યું,“બેટા ! તું કેમ આટલી દુ:ખી દેખાય છે ? ”
રડતી આંખે દીકરીએ માતા આગળ આપવીતી કહી તેમને કહ્યું,“તમે મને પુરુષ સાથે નહિ પણ એક સ્ત્રી સાથે પરણાવી છે.તમારા જમાઈ-સોલંકી કુંવર પુરુષ નથી,પરંતુ પુરુષના કપડામાં સ્ત્રી જ છે."
કાનોકાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ.એ વાતની જાણ પાટણના રાજા ચાવડાને પણ થઇ.પોતાના જમાઈ વીશે સાચી હકીકત શી છે,તે જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકીને પોતાને ત્યાં રમવા-જમવા બોલવાનો પત્ર લખી એક સાંઢણી બહુચરાજી નજીક "કાલરી"ગામ તરફ હંકારી.પત્રમાં લખ્યું હતું કે 'જમાઈરાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદ પ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો."
આ સંદેશો સોલંકી રાજાને મળતા ચારસો (૪૦૦) સોલંકી એકઠા થઇ ઘરેણા વગેરે પહેરી,બખ્તર વગેરે ચઢાવી પાટણના વેવાઈ ચાવડા રાજાને ત્યાં પોતાના કુંવર સાથે ગયા.ત્યાં જમવાની તૈયારી થવા લાગી ત્યારે પાટણના ચાવડા રાજાએ તેજપાલને કહ્યું ” જમાઈરાજ તમે સ્નાન કરી લો,સૌ સાથે જમવા બેસીએ.”
આ વેણ સંભાળતા જ સોલંકી કુંવર ઊંડા વિચાર માં પડ્યા.અને કંઈ જ બોલ્યા વિના ઉભા રહ્યા.એટલે સસરાએ ફરીથી કહ્યું:
“જમાઈરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નહાવા બેસો,અમે ચોળીને(ઘસીને)નવડાવીએ."
તે વખત તેજપાલ વિચારવા લાગ્યા કે હું ઉંમરલાયક કન્યા છું.પુરુષ નથી,વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે.તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો.તે જોઈ તેજપાલ ધુંઘવાઈને કમરમાંથી કટારી કાઢીને ખેંચતા વડ સસરાને હુલાવી કટાર દીધી.
આખા પાટણ માં હાહાકાર મચી ગયો.ચાવડા રાજાના સૈનિકો મૂંઝવણમાં હતા.આ તકનો લાભ લઇને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો.એટલામાં ચાવડા રાજાના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા.પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહિ.કારણ કે તે એક સ્ત્રી છે.અને સ્ત્રી હત્યાનું પાપ તે ગૌવધ સમાન પાપ છે. તેજપાલે ઝડપથી લાલ ઘોડી પર સવાર થઇ લગામ ખેંચી.તેમને રોકવા ચાવડા રાજાએ પાટણના બારેય દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્યને લઇને તેમની પાછળ પડ્યા.આ સમયે તેજપાલને બચાવવા ચારસો ચારસો સોલંકી વીર ચાવડા યોદ્ધા સાથે જંગે ચઢ્યા.અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા.અને તેજપાલ ઘેરાઈ ગયા.તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવીને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો સાતસો ચાવડા સૈનિકોને ઢાળી દીધા
અંતે તે પોતાની ઘોડીને એડી મારીને પાટણનો કોટ કુદાવી બહાર આવી ગયા.એ દક્ષીણ દિશામાં ભર જંગલની ઝાડી તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકીની સાથે એક કુતરી પણ ઘોડીનો સાથ કરતી દોડી રહી હતી.તે વખતે જેને શુરાતન ચડેલું છે,તથા અંબોડો છૂટો મૂકી દીધો છે,તેવા તેજપાલ શ્રી બહુચરાજી માતાજીના સ્થાનક પાસેના બોરુવનમાં આવી પહોંચ્યા.સાંજ પડી ગઈ હતી.ઉનાળાનો ચૈત્ર મહિનો હતો.એટલે તે તાપથી અકળાતા હતા.હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજીનું સ્થાન છે,અને માન-સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો.સાથે કુતરી પણ ખુબ તરસી થઇ હતી.ત્યાં પાણીનું નાનું તળાવડું અને વરખડીનું ઝાડ હતું.તે જળાશયમાં કૂતરી પાણી પીવા પડી અને સ્નાન કરી આળોટવા લાગી,તેજપાલ આ બધું જોતા હતા.કારણકે છેક પાટણથી આફત સમયે અહી સુધી સાથે આવેલી કૂતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો.પણ તેજપાલના આશ્ચર્ય વચ્ચે શ્રીજગદંબા બાલા બહુચરાની કૃપાથી જળાશયમાં નહાવા પડેલી કૂતરી હવે કૂતરો બની ગઈ હતી.તેજપાલે તે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા.સમી સાંજ હતી તેથી વરખડીને ઝાડ પર ચઢી તેમણે જોઈ લીધું તો વનમાં એટલામાં ફરતે કોઈ દેખાયું નહિ,એટલે નહાવા માટે વસ્ત્ર ઉતારવામાં કોઈ વાંધો ના જણાયો.તેમણે પ્રથમ તો ખરાઈ કરવા પોતાની લાલ ઘોડીને જળાશયમાં નાખી તો જગદંબાની કૃપાથી ઘોડી મટી ઘોડો થઇ ગયો.હવે પૂરી ખાતરી થતાં તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવમાં ઝંપલાવ્યું તો માતાની કૃપાથી તેમનાં સ્ત્રીના ચિન્હો જતા રહ્યા.એમણે મૂછો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો.
રાત ત્યાંજ ગાળી,સવારે આગળ પ્રસ્થાન કરતાં પહેલાં આ જગ્યા ઝટ જડે તે માટે તેમને વરખડીના ઝાડ પાસે ત્રિશુલનું ચિન્હ કરી નાખ્યું.અને પછી પ્રભાત થતાં કાલરી ગામ તરફ રવાના થયા.ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી.સૌ હર્ષ પામી સામૈયું કરી તેડવા આવ્યા અને તેમને માન પૂર્વક ઘરે લાવ્યા.પછી તેમણે પાટણમાં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વળાવવા માંગણી કરી.ચાવડી કન્યાએ પણ પુરા સમાચાર જાણ્યા અને તેમની ખુશીનો પાર ના રહ્યો.તેમણે સાસરે પગરણ માંડ્યા.પાટણના ચાવડા રાજાને જાણતો કરી હતી કે શ્રી બહુચરાજી માતાની કૃપાથી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષાતન મળ્યું છે,પણ હજુ તેમને શંકા હતી.આથી શ્રી બહુચરાજી માતાએ રાજાને સ્વપ્ન આવી આ વાત સાચી છે,એમ જણાવ્યું.આથી તે ખુબ ખુશ થયા,એટલું જ નહિ પણ સોલંકી કુંવરને પગે પડ્યા.તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી કે હે શ્રી જગદંબા,“હે આદ્ય શક્તિ ! મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે,મને ક્ષમા કર.અને પ્રસન્ન થા.”
તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબાએ તેમને અભય વરદાન આપ્યું.ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઇને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાંના પ્રાગટ્યવાળી જગ્યાએ આવ્યા.વરખડીના ઝાડ પર તેમણે ત્રિશુળનું ચિન્હ કરેલું હતું આથી તે જગ્યા તરત જ મળી ગઈ.વનમાં તે જ જગ્યાએ સોલંકીએ શ્રીબાલા ત્રિપુરા બહુચરાજી નું નાનું મંદિર(હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીવાળું સ્થાન)બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું.જેમાં નહાવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું. વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત ૭૮૭ માં મંદિર બંધાવ્યું.અત્યારનું જે માન-સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે.આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજીનો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રીબાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી.શ્રી માતાજીના આ પ્રગટ્યથી તેમના પરચાઓ દુનિયાભરમાં ફેલાઈ ગયા.શ્રી બાલા બહુચરાજી માતાને ચમત્કારીક જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે.ભક્ત કવિ શ્રી દયારામ લખે છે કે"શ્રી બાળા બહુચરાજી ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય "ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું" હતું.આ ચમત્કારની વાત સમગ્ર ચુંવાળ પંથકમાં ફેલાતાં માતાજીના દર્શને હજારો લોક ઉમટી પડ્યા.ત્યારથી ચૈત્રી પૂનમનોપરંપરાગત મેળો ભરાય છે.અને પદ યાત્રિકોની સંખ્યા વધતી જાય છે.
બહુચરાજી ધામે જવા માટે પાટણ,મહેસાણા,અમદાવાદ,વિરમગામ,રાધનપુર,માંડલ,શંખેશ્વર,ચાણસ્મા વગેરે સ્થળોથી એસટી બસની અને ધર્મશાળા તેમજ રહેવા જમવાની સગવડ પણ છે.જોડે ૧૫ કિલોમીટર અંતરે મોઢેરા ખાતે સૂર્યમંદિર તેમજ ત્યાં જગ પ્રસિદ્ધ મોઢેશ્વરી માતાનું સુંદર મંદિર પણ આવેલું છે.
ત્રિપુરાસુંદરી બાળા બહુચરાજી માતાની ૩ કિલોમીટર શંખલપુર ગામે પણ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.ભક્ત ગણ ત્યાં પણ અવશ્ય દર્શન કરવા જાય છે.આ બોરુવનનું વિશ્વવિખ્યાતબાળા બહુચરાજી માતાજીનાં દર્શન સાથે કાલરીના આ સોલંકી શૂરવીર તેજપાલસિંહની શૌર્ય ગાથાનું સ્મરણ કરવું નાં ભૂલજો.(આ ઐતિહાસિક કથાબીજ ગુગલ આધારે લીધેલ છે)
- વાત્ત્સલ્ય