Chhappar Pagi - 67 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 67

છપ્પર પગી ( ભાગ - ૬૮ )
———————————
આખોય પરીવાર એક સંતોષજનક રીતે એ સાંજે મળીને છૂટો પડે છે.. પલ બે ત્રણ દિવસ એમનાં ઘરે જ રોકાવા આવી જશે એમ નક્કી કરી, લક્ષ્મી, પલ અને પ્રવિણ પોતાનાં ઘરે જવા નિકળે છે. બે દિવસ બધા પોતાના નિયત શેડ્યુલમાં વ્યસ્ત રહ્યા બાદ આજે વહેલી સવારે ચાર વાગ્યે પ્રવિણ અને લક્ષ્મી પોતાના ડ્રાઈવર ભરતભાઈને લઈને વતન જવા નિકળી જાય છે. લગભગ બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ વતન પહોંચી ગયા પછી તરત જ સરપંચના ઘરે ચા નાસ્તો કરી બન્ને ગામોની સ્કૂલની મૂલાકાત લે છે. રાત સુધી બધી જ બાબતોની જાત તપાસ કરી. ખૂબ સંતોષકારક બાંધકામ થી માંડી તમામ સવલતો માટે ખૂબ ઝીણવટ ભર્યો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. પ્રવિણ અને લક્ષ્મી બન્ને ને સરપંચની દેખરેખ, સુપરવાઇઝર ની બાહોશી, કોન્ટ્રાક્ટરનુ સમર્પણ અને આરિકિટેક્ટની બાહોશી દરેક બાબતે દેખાઈ આવી.
સીઈઓ ની ટીચિંગ એઈડ ની ખરીદી બાબતે દૂરંદેશી સ્પષ્ટ દેખાઈ આવી.
ઈશ્વર કૃપાથી બધુ જ સરસ રીતે ગોઠવાઈ ગયું હોય એટલે આ બધુ જોઈને બન્ને ને ખૂબ રાહત જણાઈ. આખા દિવસની મુસાફરી અને બન્ને ગામની શાળાઓની મૂલાકાત પછી બન્ને ખૂબ થાકેલ હતા એટલે સરપંચના ઘરે જમીને વહેલા સૂઈ જાય છે.
બીજા દિવસે બન્ને ગામનાં આગેવાનોની મૂલાકાત સવારે દસ વાગે ગોઠવી હતી.. બધાને સરપંચની વાડીએ જમવા સાથે મિટીંગ માટે નોતરુ હતું.
બન્ને ગામનાં લોકો ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલ હોવાથી રોજીંદુ કામ તો રહેતું જ હોય પરંતુ બન્ને ગામનાં ચોરે ને ચૌટે છેલ્લા એક વરસથી આ ભવ્ય શાળાઓ બાબતે દરરોજ ચર્ચાઓ થતી હોવાથી સૌને કૂતુહલતા તો હતી જ કે આ શાળાઓ કોણ બનાવે છે ? શા માટે ? અહીં આ ભવ્ય શાળાઓ કોણે અને શા માટે બંધાવી ? એમનું પ્રયોજન શું હશે ? કેટલાંક લોકો તો એવું પણ બોલતા કે શરૂ શરૂ માં મફત ભણાવશે ને પછી તગડી ફી વસૂલ કરશે તો છોકરાઓનુ્ં શું થશે ? ગામ હોય તો જાતજાતની વાતો તો વહ્યા કરતી હોય એ બધી ચર્ચાઓ સરપંચને ખબર હતી અને વખતોવખત ફોન પર એ પ્રવિણ જોડે ફોન પર અપડેટ કરતા રહેતા… પણ આજે સમય હતો કે થોડી ચોખવટ કરી દે.
લગભગ નવ સાડા નવ વાગ્યા એટલે આગેવાનો આવતા ગયા.. દસ વાગ્યા સુધીમાં તો અપેક્ષિત બધા લોકો આવી ગયા હતા… ખેતરમાં બહુ કોઈ ખાસ સુવિધાઓ ન હોય એ સ્વાભાવિક છે એટલે ત્યાં તો ખાટલા પરિષદ જ યોજવાની હતી.
શરૂઆતમાં સરપંચે બધા ને આવકાર્યા અને પછી પ્રવિણે માત્ર જણાવવી જરૂરી જ વાત કરી.
પ્રવિણે ઉભા થઈને પહેલા સૌને વંદન કરી પોતાની વાત મૂકતા કહ્યુ, ‘ આપ સૌ અમારાં વડીલ છો અને આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓથી જ આ બન્ને શાળાઓ આજે નિર્માણ પામી ચૂકી છે. આપ સૌને કેટલીક બાબતે પ્રશ્નો હોય તે સ્વાભાવિક છે અને એ પ્રશ્નો થવા જ જોઈએ…. પણ આજે મોટાભાગે આપને બધું જ સ્પષ્ટ થઈ જશે. પહેલી વાત તો એ છે કે આ બન્ને શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે તે બધાને ધોરણ ૧૨ સુધી બિલકુલ મફત અભ્યાસ કરવાનો છે એમના વાલીઓને કોઈ ફી ચૂકવવાની નથી પણ એ વિદ્યાર્થીઓ પૈકી કેટલાંક વાલીઓએ કંઈ યોગ્ય વળતર ચૂકવવાનું રહેશે તેવી અમને અપેક્ષા છે…આર્થિક નહીં પણ આપને આપનો કિંમતી સમય આ શાળાઓને આપવો જોઈએ એવી અમારી અપેક્ષા છે. ખાસ કરીને અમારે ઘણી બધી કમિટીઓ બનાવવાની છે જેમાં આપનું યોગદાન રહે તે જરૂરી છે… કેમ કે બાળકોનો આપનાં છે પણ હવે આ શાળાઓ પણ આપની જ છે એટલે એમને ચલાવવી, જાળવવી, સંવર્ધન કરવું અને એનો મહત્તમ લાભ જરૂરિયાતમંદ સૌ કોઈ બાળકોને મળે તે ખૂબ જરૂરી છે અને એ આપ સૌના યોગદાન અને આશિર્વાદ વગર શક્ય નથી.
બીજી બાબત મારે એ કહેવાની છે કે દરેક વ્યક્તિ પર અનેક રૂણ હોય છે, એમાનું એક રૂણ પોતાની માતૃભૂમિ માટે પણ ચૂકવવાનું હોય છે.. જેનાંથી જે રીતે શક્ય બને તે રીતે એ રૂણ ચૂકવવા પ્રયત્ન કરવો જોઈએ. અમને ઈશ્વરે થોડી આર્થિક સમૃદ્ધિ બક્ષી છે તો અમે એ રીતે રૂણ ચૂકવવા તત્પર હતા એટલે આ શાળાઓ માટે વિચાર આવ્યો. આ બન્ને શાળાઓ બનાવવા પાછળ ક્યારેય કોઈ પૈસો કમાવાનો આશય સુદ્ધા નથી તો ભવિષ્યમાં પણ કોઈ ફી લેવાશે તેવી ચિંતા ન કરશો.
આ બન્ને શાળાઓ આજીવન આ રીતે જ ચાલશે તે માટે પૂરતું ભંડોળ પણ ડિપોઝીટ તરીકે રહેશે અને એમાંથી જ બધો નિભાવ થશે.
ત્રીજી અને છેલ્લી બાબત એ છે કે આ બન્ને ગામની શાળાઓ હવે કોઈની નથી પણ આપણાં સૌની છે, ખાસ તો એ શાળાઓમાં ભણતાં બાળકોની છે. બાળકોને બપોરનું પૌષ્ટિક ભોજન પણ શાળાઓમાં જ મળશે. અહીં બધા બાળકો પોતાની જ શાળા છે એ ભાવ સાથે આનંદ અને કિલ્લોલ સાથે ભણશે,ગણશે, રમશે, ઈનોવેટિવ લેબમાં તોડફોડ કરી કંઈક બગાડશે અને કંઈક નવું બનાવશે પણ ખરાં.. એમને એક નવો જ અનુભવ થશે અને પોતાની રીતે ખીલશે ને નિખરશે… બસ આપણે બધાએ તો સાક્ષીપણે વાલીપણું પુરૂ પાડવાનું છે.. અને જે બાળકોને આગળ ઉચ્ચ અભ્યાસ માટે ક્યાંય પણ બહાર જવાનું થશે તો એ અંગે પણ શાળાનાં આચાર્યશ્રીઓ, મેન્ટર અને સ્થાનિક કમીટી નક્કી કરશે તો એ બાબતે પણ પુરતૂં ધ્યાન આપી એમને પુરતો અવકાશ મળે તે બાબતે આપણે સૌ કટિબદ્ધ રહીશું. મારો અને લક્ષ્મીનો જ પવિત્ર આશય છે… આપ બધાની ભૂમિકા જ હવે પછી નિર્ણાયક રહેવાની હોય… આપ સૌ સાથ અને સહકાર આપશો તેવી આ ગામનાં દિકરા તરીકે મને અપેક્ષા છે.
આગામી ૧૫ મી જૂનના દિવસે બન્ને ગામની શાળાઓની શુભ શરૂઆત કરી દઈએ એવી અમારી વિનંતી પણ છે. એ દિવસે હરીદ્વારથી એક સ્વામીજી અને કેટલાંક મહેમાનો પધારશે અને એમની પાવન ઉપસ્થિતિમાં આપણે ઉદ્ધાટન કરીએ એવું આયોજન છે અને એ વખતે સ્વામીજી આપણને સૌને આશિર્વચન પાઠવશે એવી ઈચ્છા પણ છે …મને વિશ્વાસ છે કે આપ સૌનો પુરતો સહયોગ મળશે જ. આપને કોઈને કોઈ પ્રશ્ન કે કહેવું હોય કે સૂચન હોય તો જણાવો તો સમય છે તો આપણે અમલમાં મૂકી શકીએ.’
પ્રવિણે પોતાની વાત પૂરી કરી અને ઉપસ્થિત બધાએ ઉભા થઈને તાળીઓથી એમની વાત અને વિચારોને વધાવી મૂક સંમતિ પણ આપી દીધી. ખાસ તો કોઈ વડીલો પૈકી બોલી શકે કે ભાષણ આપી શકે તેવો કોઈને અનુભવ ન હતો પણ એક રિટાયર્ડ આર્મિમેન એ પૈકી ઉપસ્થિત હતા એટલે એમણે સૌને કહ્યુ કે આપ સૌની પરવાનગી હોય તો હું એક બે બાબતો કહેવા માંગુ છું. લક્ષ્મીના ગામમાં રહેતા એ બલવંતસિંહનું માન ખૂબ હતું જ અને એમની વાત પણ કોઈ ઉથાપતું ન હોય એમને ના પાડવાનો પ્રશ્ન જ ન હતો. પ્રવિણે પણ એમને હાથ પકડીને પોતે ઉભો હતો ત્યાં લઈ જઈ બે શબ્દો કહેવા આગ્રહ કર્યો.
બલવંતસિંહે કહ્યુ, ‘ હું મારી સેવાઓ દરમ્યાન ઘણી બધી જગ્યાએ પોસ્ટીંગ થયુ અને ઘણું જોયું જાણ્યું છે પણ આ પ્રકારે બિલકુલ નિસ્વાર્થપણે સમર્પણભાવથી કોઈ પોતાનાં વતન માટે કંઈ કરી છૂટ્યાં હોય તેવું ભાગ્યે જ હવે જોવાં મળે છે… આગળનાં થોડાં વર્ષોમાં આપણને મહાજન પરંપરામાં આવી શાળાઓ, ગામના ચોરાઓ, ઢોર માટે અવેડાઓ, રસ્તાઓ કે ગૌશાળાઓ બંધાવી હોય તેવા દાખલાઓ મળે છે. દેશ આઝાદ થયો તે પછીનાં કેટલાંક વર્ષો દરમ્યાન સરકાર આટલાં મોટા દેશમાં બધે પહોંચી ન વળે એટલે મહાજન પરંપરામાં આવા દાતાઓ થકી આવા સમાજ હિતનાં કાર્યો થતા રહ્યા … હવે તો દેશ સમૃદ્ધ બનતો ગયો તેમ તેમ સગવડતાઓ પણ વધી છે પણ પ્રવિણ શેઠે જે રીતે મન મૂકીને પૈસો વાપર્યો છે અને નાનામાં નાની બાબતો ધ્યાનમાં લઈ સવલતો ઉભી કરી છે એ કાબિલે તારીફ છે. મને વિશ્વાસ છે કે આ બન્ને ગામમાં આ શાળાઓ થકી આજુબાજુનાં કેટલાંય ગામડાંઓનાં બાળકોને એક નવી દિશા મળશે અને બાળકોનું ભાવિ પણ ઉજ્જવળ થશે.. એટલે પ્રવિણભાઈ તમે બિલકુલ નચિંત બની જાઓ અમે સૌ ગામલોકો આ સંસ્કારધામોનું દિલથી જતન કરીશું.. તમે બનાવ્યું છે અમે જાળવીશું અને છેવાડાંના માણસોનાં બાળકોને પણ પુરતો લાભ મળે એવા તમારા આ પવિત્ર આશયને સાર્થક કરવા અમારુ પુરેપુરુ યોગદાન આપીશું …અને પછીથી ઉમેર્યું કે ૧૫ જૂનનું ઉદ્ધાટનનું સમગ્ર આયોજન અમારા પર છોડી દો.. અમને આ દિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપો. બસ તમે બધા એ દિવસે પધારો બાકીનું બધું અમે ગોઠવી આપીશું.. એ દિવસે બન્ને ગામ ધૂમાડાબંધ આવશે, જમશે અને એક ઉત્સવના રૂપે એ દિવસ આજીવન યાદ રહે તેવુ કરીએ…
બલવંતસિંહના આ અભયવચનથી ગામલોકો અને પ્રવિણનો અને સરપંચના ઉત્સાહમાં પણ વધારો થયો.
બધાએ બલવંતસિંહની વાતમાં સૂર પુરાવ્યો. સરપંચે સૌને જમવા માટે હાકલ કરી.. જમતી વેળાએ ઘણાં બધા લોકો પ્રવિણને રૂબરૂ મળી રામ રામ કહીને પુરતા સાથ સહરારની ખાત્રી આપી.
લક્ષ્મી હજી આ બન્ને ગામનાં લોકો માટે નેપથ્યમાં જ હતી.. એ સરપંચના પત્નિ જોડે ઘરમાં જ હતી પણ એમણે ઘરની અંદર રહીને આ બધી બાબતો સાંભળી હતી એટલે એને પણ પ્રવિણનું સ્વપ્ન મૂર્તિમંત થઈ રહ્યું છે એ સંતોષે હૈયે હરખ સમાતો ન હતો.
બપોરે આવેલ સૌ જમીને છૂટા પડ્યા. બલવંતસિંહ ઇરાદાપૂર્વક થોડી વાર રોકાય છે. પ્રવિણ અને લક્ષ્મી પોતાની કારમાં બેસી મુંબઈ જવા કારમાં ગોઠવાય છે એ વખતે જ બલવંતસિંહ કારની વિંડો પાસે આવી ને બોલ્યા, ‘લક્ષ્મીભાભી… ઓળખ્યો મને …?’

(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા
Share

NEW REALESED