Dakan books and stories free download online pdf in Gujarati

ડાકણ...

ડાકણ

એક નાના એવા ગામમાં ગંગામા નામની એક ડોસી રહેતી હતી.ગંગામાને સુખ-દુઃખમાં સાથ આપે એવું કોઈ અંગત કહી શકાય તેવું કોઈ દુનિયામાં રહ્યું નહોતું.પોતે એક નળિયાવાળા દેશી ઠબના મકાનમાં એકલા જ કોઈ અદ્રશ્ય શક્તિ સાથે રહેતા હતા.

ગામના બધા લોકો ગંગામાને દેવી તરીકે ઓળખાતા,તેને દેવી તરીકે ઓળખવાનું કારણ એ હતું કે ગામમાં કોઇપણ નાનું બાળક બીમાર થઇ ગયું હોય તો ગંગામાં પોતાની મંત્ર શક્તિથી તે બાળકને ચપટી વગાડતા સાજો-નરવો કરી દેતા,બધા લોકોનું દુખ દુર કરી તેને સુખ આપવું એ ગંગામાનો નિયમ હતો .

ગંગામાં કામ ભલે સારા કરતા પણ તેનો દેખાવ બહુ વિચિત્ર હતો,જેમ કે કપાળે કંકુનો મોટો ચાંદલો કર્યો હોય,મસ્તક પર છુટા-છવાયા કાળા-ધોળા વાળ હોય,હાથમાં લાલ-ગુલાબી કલરની બંગડીઓ પહેરેલી હોય તો શરીરે લાલ કે કાળા અથવા ભૂખરા રંગની સાડી પહેરેલી હોય.ગળામાં નિત,નવી માળા પહેરેલી હોય અને હાથમાં મોરપિચ્છનું સાવરણી જેવું જાળું હોય.

ગંગામાં જે ઘરમાં રહેતા તે ઘરમાં બીજા કોઈ વ્યક્તિ રહી શકતા નહી કારણ કે ગંગામાં મેલી વિદ્યાના ઉપાસક હતા,ગંગામાં મેલી વિદ્યાના માતા હતા,જો કે તે મેલી વિદ્યાના ઉપાશક હોવા છતાં તે વિદ્યા તે ક્યારેય કોઈના અહિત માટે ઉપયોગ કરતા નહી બલકે લોકોની સુખાકારી માટે જ ઉપયોગમાં લેતા,મેલી વિદ્યાનો ઉપયોગ બીજાને નુકશાન કરવાને બદલે ગંગામાં બીજાને ફાયદો કરવામાં ઉપયોગ કરતા એટલે તો ગામના બધા લોકો તેને દેવી અથવા માતાજી તરીકે ઓળખતા.

ગંગામાનું પહેલા તો તેનું જીવન તેના પતિ સાથે સારી રીતે ચાલી રહ્યું હતું,સાદું અને સત્સંગી,ગંગામાનો પતી પણ મેલી વિદ્યાનો મોટો ઉપાશક હતો,ગંગામાને જયારે પોતાના પતી સાથે રહેતા ત્યારે તેવો મેલી વિદ્યા મુદલ જાણતા નહોતા તથા પોતાનો પતી મેલી વિદ્યાનો ઉપાસક તે પણ તેવો જાણતા નહી પણ જયારે તેનો પતી મરવાની છેલી ધડી પર હતો ત્યારે તેણે ગંગામાને કહ્યું કે :

“ ગંગા હું મેલી વિદ્યાનો મોટો ઉપાસક હતો, એટલે અત્યારે મારો જીવ મેલી વિદ્યાનો જાણકાર હોવાથી જતો નથી .જો તું મારી આ મેલી વિદ્યા સ્વીકારી લે તો હું સુખેથી મરીશ “

ગંગામાને જયારે ખબર પડી કે પોતાનો પતી મેલી વિદ્યાનો જાણકાર છે ત્યારે તેને બહુ મોટો ઝટકો લાગ્યો પણ હવે બધું મોડું થઇ ગયું હતું એમ માની અને પોતાના પતી પ્રત્યે બહુ પ્રેમ અને હેત હોવાથી પોતાનો પતી સુખેથી મૃત્યુ પામે તે માટે ગંગામાએ પોતાના પતિની મેલી વિદ્યા સ્વીકારી લીધી.ગંગામાં એ પણ સારી રીતે જાણતા હતા કે જે વ્યક્તિ મેલી વિદ્યા જાણતા હોય અને તે જયારે મરવાની છેલી ધડી પર હોય ત્યારે જો તેની મેલી વિદ્યા કોઈ સ્વીકારે નહી તો કોઈ પ્રકારે તેનો જીવ શરીરનો ત્યાગ કરે નહી.આવું જાણવા હોવા છતાં ગંગામાએ પોતાનું મૃત્યુ થશે ત્યારે આમ મેલી વિદ્યા કોણ સ્વીકાર છે એવું કઈ વિચારવાને બદલે સીધી જ પતિના હિતના ખાતર સ્વીકારી લીધી.

ગંગામાં પોતાના પતિના સુખ ખાતર અને તેનું મૃત્યુ ના બગડે તે માટે તેણે પોતાના પતિની વિદ્યાનો સ્વીકાર કર્યો અને પોતાના પતિને મુક્તિ અપાવી.

લોકોને પણ ખબર પડી ગઈ હતી કે ગંગામાં મેલી વિદ્યાના જાણકાર અને ઉપાસક છે, તે ઉડતા પક્ષીને પણ ક્ષણવારમાં જમીનદોસ્ત કરી શકે છે તથા નિર્જીવ પથ્થર પથ્થર વચ્ચે પણ ઝગડો કરાવી શકે છે.તથા પાંદડાઓથી મસ્ત અને સુંદર લાગતા વૃક્ષને પણ ક્ષણવારમાં પાંદડાઓ વગર નગ્ન બનાવી દેતા.પણ ગામના લોકોને તેની મેલી વિદ્યા ક્યારેય નુકશાન કરતી નહી એટલે તેવો બધા તેને શાંતિથી રહેવા દેતા બાકી તો તેને ક્યારના ગામ અથવા પૃથ્વી બહાર મોકલી દીધા હોત.

મેલી વિદ્યાને લીધે ગંગામાની નજર બહુ તેજ અને જલદ થઇ ગઈ હતી,જેના પર ગંગામાની નજર પડી જતી તેનો તો સર્વનાશ થઇ જતો.આથી ગામના કોઇપણ વ્યક્તિનું અહિત ના થાય અને પોતાની નજર તેના પર ના પડે એટલે ગંગામાં પોતાના ઘરમાં એકલા એકલા જેલમાં રહેલા આજીવન કેદીની જેમ રહેતા અને પોતાનું એકલવાયું જીવન જીવતા.

ગામના કોઇપણ લોકો ગંગામાને પોતાની ઘરે બોલાવતા નહી, બધા લોકો ગંગામાની તેજ નજરથી વાકેફ હતા,આથી ગામના લોકો ફક્ત પોતાના બીમાર પડેલા લોકોને જ ગંગામાને ઘરે મોકલતા અને ગંગામાં શું બીમારી છે એ જાણીને પછી મનમાં બે-ત્રણ મંત્ર બોલીને ક્ષણવારમાં પોતાની તેજ નજર અને મંત્રથી બીમાર વ્યક્તિની બીમારી દુર કરતા અને તેને તંદુરસ્ત કરી આપતા.ગંગામાનું ઘર એટલે બીમાર વ્યક્તિને બીમારી લઈને આવવાનું અને તંદુરસ્ત થઇ જવાનું રહેઠાણ.

ગામના લોકોને કોઇપણ રોગ હોય તો તેવો ડોક્ટરની પાસે જવાને બદલે ગંગામાં પાસે જવાનું વધુ યોગ્ય અને શાણપણ સમજતા અને ગંગામાં પણ પોતાની મેલી વિદ્યાથી કોઇપણને નિરાશ ના કરતા,તે જેવી રીતે બીમાર લોકો પહેલા તંદુરસ્ત હોય તેવી રીતે જ પહેલાની જેમ પોતાની મેલી વિદ્યાથી તંદુરસ્ત કરતા.

ગામના બધા લોકો ગંગામાના કાર્યથી પ્રસન્ન અને ખુશ હતા,ગંગામાં કોઇપણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એટલે તેનું જાહેરમાં સન્માન થવું જોઈએ એવું બધા ગામના મોટાભાગના લોકો માનવા લાગ્યા અને નક્કી પણ કર્યું.

ગંગામાનું સન્માન તો કરવું જ છે અને બધા લોકો પણ ગંગામાનું સન્માન થાય તેવું ઈચ્છતા હોય તેમ ગામના મુખી અને અન્ય વ્યક્તિઓ ગંગામાના ઘરે આવ્યા અને ગંગામાને કહેવા લાગ્યા : “ હે દેવીમાં,અમે બધા ગામના લોકોએ ભેગા મળીને તમારું સન્માન કરવાનું નક્કી કર્યું છે,તમે કરેલા અમારા ઉપર લાખ ઉપકારનું અમે તમને જાહેરમાં સન્માન કરીને ઋણ ચુકવવા માંગીએ છીએ,આથી તમારા આ જેલ જેવા મકાનનો ત્યાગ કરી અમારી સાથે પહેલી વખત ગામમાં ચાલો “

ગંગામાં માટે આજનો દિવસ અવસર સમાન હોય તેમ તેને લાગતું હતું કારણ કે દસ વર્ષ સુધી તેના ઘરમાં ફક્ત બીમાર અને દુખી વ્યક્તિઓ જ આવતા જયારે આજે બધા સુખી અને સારા લોકો આવ્યા છે અને મારું જાહેરમાં સન્માન કરવાનું કહી રહ્યા છે,ગંગામાં લોકોએ પોતાની કદર કરી પોતાનું જાહેરમાં સન્માન થશે તેવું વિચારી ખુબજ ખુશ થયા.

પણ મનમાં કઈક પ્રશ્ન થયો હોય તેમ ગંગામાં પોતાના ઘરે આવેલા મુખી અને બીજા વ્યક્તિને વિનમ્રતાથી કહેવા લાગ્યા : “ હું તમારી લાગણી અને ભાવનાની કદર કરું છું પણ તમે બધા સારી રીતે જાણો છો કે મારી નજર બહુ તેજ અને જલદ છે,જો રસ્તામાં હું મારી નજર કોઈક પર કરીશ તો ત્યાં જ તેનો સર્વનાશ થઇ જશે, હું કોઈનો સર્વનાશ કરવા માગતી નથી.આથી તો હું દસ વર્ષથી મારા ઘરમાં કેદીની જેમ પડેલી છું,હું તમારી સાથે નહી આવી શકું, તમે કહ્યું તેમાં બધું આવી ગયું.

મુખીએ તથા સાથે આવેલા બધા લોકોએ ગંગામાની વધી વાતો શાંતિથી સાંભળી,બધા લોકો ગંગામાની તેજ નજરથી વાકેફ અને માહિતગાર હતા,પણ બધાએ નક્કી જ કર્યું હતું કે જે થવું હોય તે થાય પણ ગંગામાનું એકવાર તો જાહેરમાં સન્માન કરવું છે એટલે કરવું છે,

ગંગામાએ મુખી તથા સાથે આવેલા લોકોને ધણા ચેતવ્યા પણ કોઈએ ગંગામાનું માન્યું નહી.કોઈ માન્યું ના હોવાથી હવે જે થવાનું હશે તે થશે એમ માની મુખીએ અને સાથે આવેલા લોકોએ બહુ આગ્રહ કર્યો હોવાથી ગંગામાં દસ વર્ષ પછી પોતાની ઘરની બહાર નીકળ્યા.

ગામના બધા લોકો ગંગામાંને પહેલી વખત જાહેરમાં આવ્યા તે જાણીને ખુબ જ ખુશ થયા પણ સાથે ગંગામાનો વિચિત્ર કહી શકાય તેવો દેખાવ જોઇને ડરી પણ ગયા.

ગંગામાને રસ્તા પર ચાલતા ચાલતા એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ભય પણ હતો કે મારાથી ખુશ થનાર લોકો કઈક મારી સાથે ના કરવાનું કરી કરી તો નહી બેશેને.પણ આગળ મુખી અને પાછળ મુખી સાથે આવેલા લોકો હોવાથી ગંગામાં બેફીકર રીતે હસમુખા ચહેરે ચાલતા હતા.

આગળ ચાલતા ચાલતા ગંગામાએ પોતાની તેજ નજરથી પાણી ભરેલો અવેડો જોયો, જ્યાં ગામના દરેક પશુ-પક્ષીઓ પોતાની પ્યાસ બુજાવવા આવતા પણ ગંગામાંથી મોટેથી બોલાય ગયું : “વાહ કેટલું શુધ્ધ પાણી છે અવેડામાં “

ગંગામાએ જેવા પાણી ભરેલા અવેડાના વખાણ કર્યા ત્યાં તો પાણી ભરેલો અવેડો ક્ષણવારમાં ખાલી થઇ ગયો અને તળિયું દેખાવા લાગ્યું,મુખી અને સાથે આવેલા લોકોએ આ બધું ચિત્ર જોયું પણ તેવો કઈ બોલવાને બદલે વધુ ઝડપથી આગળ ચાલવા લાગ્યા.

જેમ આગળ ચાલ્યા ત્યાં તો ગંગામાની નજર રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાં ઉભેલા આંબાના વૃક્ષ પર પડી,કે જે આંબો નવ-વધુની જેમ સોળેકળાએ ખીલ્યો હોય તેમ નવા નવા પાંદડાઓ અને નાની મોટી કેરી લટકતી હતી.ગંગામાની તેજ નજર તે આંબાના વૃક્ષ પર પડતા તેનાથી રહેવાનું ના હોય તેમ ફરી બોલાય ગયું : “ કેટલી બધી કેરીઓ નાના એવા આંબામાં મસ્ત રીતે પવનથી જુલતી જુલતી અને હાલક-ડોલક થતી લટકી રહી છે “

જેવું ગંગામાએ કેરીના વખાણ કર્યા ત્યાં જ આંબાના બધા પાંદડાઓ અને કેરીઓ ગાયબ થઇ ગયા અને જે આંબો નવવધુ જેવો લાગતો હતો તે આંબો ગંગામાની નજર પડતા વિધવા સ્ત્રી જેવો પાયમાલ થઇ ગયો હોય તેમ સુકાય ગયો.

મુખી આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા.પણ તેવો કઈ બોલ્યા નહી,ફરી બધા ગંગામાં અને બધા લોકો રસ્તામાં આગળ ચાલ્યા,ગંગામાં પાછળ ચાલતા ચાલતા રસ્તા પર એક સ્ત્રી ભેસને ખાણ દઈને દોહતી હતી તે દ્રશ્ય જોવાય ગયું.ભેસ દેખાવમાં બહુ કદાવર હતી,તે દૂધ બહુ આપતી હોય તેમ પેલી સ્ત્રીએ દૂધ ભરેલી ડોલ એક બાજુ મૂકી હતી અને બીજી ડોલમાં હજી દૂધ દોહી રહી હતી.

આવી બધી કદાવર અને વધુ દૂધ આપનારી ભેસ જોઇને ગંગામાંથી બોલ્યા વગર રહેવાયું નહી : “ ભેસ તો જોવો, કેટલું બધું દૂધ આપે છે “જેવા ગંગામાએ ભેસના અને તેના દુધના વખાણ કર્યા ત્યાં તો પેલી ભેસનું આયુષ્ય પૂરું થઇ ગયું હોય તેમ જમીનદોસ્ત થઇ ગઈ અને મૃત્યુ પામી.

જીવતી અને વધુ દૂધ આપતી ભેસ ક્ષણવારમાં મૃત્યુ પામી એ જોઇને મુખી તથા તેની સાથે આવેલા લોકોને બધું દુખ થયું, તથા બધાને ગંગામાં ઉપર બહુ ગુસ્સો આવ્યો કારણ કે એ ભેસ બીજા કોઈની નહોતી પણ ખુદ ગામના મુખીની હતી જે અત્યારે ગંગામાં સાથે જઈ રહ્યા હતા.

મુખી તથા તેની સાથે આવેલા લોકો હવે ગંગામાની નજરથી ત્રાસી ગયા હતા,તેણે હવે ગંગામાનું સન્માન કરવાને બદલે બીજું જ કઈક કરવાનું નક્કી કરવાનું વિચાર્યું.

રસ્તામાં જે પણ આવતું ગયું તેને ગંગામાએ પોતાની તેજ નજરથી ભસ્મીભૂત કરી નાખ્યું હતું,ધીમે ધીમે ચાલતા બધા ગામના રામ-મંદિરે પણ પહોચી ગયા હતા,રામ-મંદિરે ઉપસ્થિત બધા લોકોએ પહેલા તો ગંગામાનો જોર જોરથી જયજયકાર કર્યો અને પછી તેને કઈ ખબર ના પડે તેવી રીતે એક દોરડાથી બાંધી દીધા,ગંગામાને બાંધી દીધા પછી મુખીએ જાહેરમાં પ્રવચન આપવા લાગ્યો:”

“ આ ગંગામાંને આપણે દેવી સમજતા હતા પણ ખરેખર તે દેવી નથી પણ એક ભયકર ડાકણ છે,આપણે તેને દેવી સમજી એ આપણી મોટામાં મોટી ભૂલ હતી.તેને જીવનમાં અને આપણા ગામમાં વિકાસ નહી પણ સર્વનાશ કરતા જ આવડે છે,અમે બધા લોકો તેનું સ્વાગત કરવા માંગતા હતા પણ તે સ્વાગતને નહી પણ મૃત્યુને લાયક છે,આટલું બોલીને મુખીએ એક વ્યક્તિને કોઈને ના સમજાય તેવો શાનમાં ઈશારો કર્યો,મુખીએ ઈશારો કર્યો હોવાથી પેલા વ્યક્તિએ ગંગામાના આખા શરીર પર કેરોસીનનો છટકવ કર્યો.

મુખી અને ગામના લોકોનું આવા પ્રકારનું વર્તન જોઇને ગંગામાને ખુબ જ દુખ થયું,પોતાને જે ભય થઇ રહ્યો હતો તે સાચો હતો તે ગંગામાં પોતાના મનમાં સમજવા લાગ્યા.ગંગામાને મનમાં જ પ્રશ્ન થવા લાગ્યા કે મેં શા માટે આવા લોકોનો વિશ્વાસ કર્યો અને મારા જેલ જેવા ઘરનો ત્યાગ કર્યો હશે,મેં બધાને ઘણા ચેતવ્યા પણ હતા છતાં તેવો મારી સાથે આવું કેમ કરતા હશે,તેની ભૂલોની સજા મારે ભોગવવાની.

ગંગામાં હજી મનમાં ઉદભવેલા પ્રશ્નના વ્યસ્ત હતા ત્યાં તો કોઈ એક વ્યક્તિએ મુખીએ ઈશારો કર્યો હોવાથી સળગતી દીવાસળીનો ગંગામાં ઉપર ધા કર્યો.ગંગામાંના શરીર સાથે જેવી દીવાસળી અથડાય તેવી જ ભડ ભડ કરતી અગ્નિ પ્રજવલિત થઇ અને ગંગામાને પોતાના લપેટમાં સમાવી લીધા.

અગ્નિમાં જીવતા સળગતા હોવાથી ગંગામાને અસહ્ય વેદના અને પીડા થવા લાગી,તેનાથી પીડા અને વેદના સહન ના થતી હોય તેમ તેવો જોર જોરથી અવાજો અને ચીસો પાડવા લાગ્યા,ગંગામાના અવાજો અને ચીસો સાંભળી રહેલા ઉપસ્થિત લોકો તેની પર દયા ખાવાને બદલે હસવા લાગ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા : “ સારું થયું આજે આપણે એક ડાકણનું ખૂન કરીને ગામમાંથી મેલી વિદ્યાનો નાશ કર્યો.