Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૪ : હૃદયના ભેદનું ભાંગવું

‘All precious things, discover’d late,

To those that speak them issue forth;

For love in sequel works with fate,

And draws the veil from hidden worth.’

- Tennyson’s ‘Day-Dream’

And so love-

Vaster in being free from toils of sense-

Was wisest stooping to the weaker heart;

And so the feet of sweet Yasodhara

Passed into peace and bliss, being softly led.’

-Arnold’s ‘Light of Asia’

‘સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! હું કુમુદ આપને બોલાવું છું -’ સામી બેઠી બેઠી કુમુદ કેટલીક વારે બોલી.

પવનની ગર્જના પર્વત ઉપર થતી હતી તે વચ્ચે પણ આ ઝીણો સ્વર સરસ્વતીચંદ્રના કાનમાં પેઠો અને એને એની વિચારનિદ્રામાંથી જગાડ્યો. ધીમે રહી એણે આંખ ઉઘાડી પોતાના ખોળામાં જોયું અને હવે બલકા થયેલા ખોળાનો ભાર ઈષ્ટ રૂપે સામે બેઠેલો જોયો.

સરસ્વતીચંદ્ર - ‘કુમુદસુંદરી ! મેં તમને બહુ દુઃખી કર્યાં.’

કુમુદસુંદરી - ‘થનારી થઈ ગઈ - બનવાની બની ગઈ. આપે મારા ભાગ્યને આપની જોડે ઉરાડવા પ્રયત્ન કર્યો - એ ભાગ્યમાં એવી રીતે પણ ઊડવાની શક્તિ ન હતી તેથી પડવાનું જ હતું તે પડ્યું. આપનો એમાં હું દોષ કાઢતી નથી. શકુન્તલાના પ્રેમને દુષ્યન્ત જેવા પુરુષ ભૂલી જાય તો દુર્વાસા જેવાના શાપનું જ અનુમાન કરવું. ચંદ્રાવલીબહેને આ વિષયમાં મારી હૃદયભાવના આપને કહેલી જ છે તો તે વિષયે હૃદયશલ્યને સમૂળાં કાઢી નાખો.’

સરસ્વતીચંદ્ર - ‘થયેલી મૂર્ખતા અને દુષ્ટતા ચિત્તમાંથી ખસતી નથી.’

કુમુદસુંદરી - ‘એમ શું બોલો છો ? આપની ભૂલ થઈ હશે પણ દુષ્ટ તો આપ નથી જ. જો આપનામાં દુષ્ટતાનો અંશ હોત તો સર્વસ્વ છોડી આ દુષ્ટ શરીરની પાછળ આમ આપ ભટકત નહીં, અથવા ભટકત તો આ મહામોહની બે ઘડી જે આપે પ્રત્યક્ષ કરી તે કાળમાં મોહને વશ થઈ આ શરીરની જુદી જ અવસ્થા આપે કરી દીધી હોત.’

સરસ્વતીચંદ્ર - ‘એમાં મેં કાંઈ નવું નથી કર્યું.’

કુમુદસુંદરી - ‘આપ મારાથી અન્ય સર્વ રીતે અધિક છો; પણ સંસારનાં દુઃખના અનુભવમાં હું વધારે ઘડાઈ છું અને જેવી ઘડી આપને ગાળવી પડી છે તેના કષ્ટનો પણ મને અનુભવ છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમને એમ નથી લાગતું કે આ વાત કરી દુષ્ટ સંસ્કારોને દૃઢ કરવા કરતાં એ વાત કરવી જ નહીં તે વધારે ક્ષેમકારક છે ?’

કુમુદસુંદરી - ‘એ તો અનુભવસિદ્ધ છે.’

કહેતાં કહેતાં એણે કંપારી ખાધી ને સરસ્વતીચંદ્રે દીઠી.

સરસ્વતીચંદ્ર - ‘તમને જોઈ રહું છું ત્યારે મનમાં એક પ્રશ્ન ઊઠે છે કે દુષ્ટતા તે આવી વાત કરવામાં હશે કે નહીં કરવામાં હશે ?’

કુમુદસુંદરી - ‘દુષ્ટતા તો આ મુખમાં જ છે કે જેના દર્શનથી આપના જેવા ત્યાગીને આવું દુઃખ થાય છે. સ્ત્રીઓની દૃષ્ટિમાં જ આવું વિષ ભરેલું છે.’

સરસ્વતીચંદ્ર - ‘હરિ ! હરિ ! કુમુદસુંદરી ! જો એવું વિષ સ્ત્રીઓની દૃષ્ટિમાં હોય તો તે પુરુષની વાણીમાં પણ છે કે જેના ઉદ્‌ગારો તમને અસહ્ય અગ્નિમાં ચલાવ્યાં છે.’

કુમુદસુંદરી શરમાઈ ગઈ, નીચું જોઈ રહી, અને અંતે સ્વસ્થ થઈ બોલી ઃ ‘મને હવે ભાન આવે છે કે સાધુજનો મને અહીં એકલી મૂકી ગયા તે વેળાએ મેં મારા હૃદયના ઊભરા કાઢવા જોડી રાખેલું કાવ્ય ગાવા માંડ્યું હતું. મને લાગે છે કે તે મારી મૂર્છાકાળે પણ ચાલુ રહ્યું હશે ને આપણા પવિત્ર સુખી કાનમાં કંટક જેવા અનેક પગવાળા કાનખજૂરા પેઠે પેસી ગયું હશે. પણ ક્ષમા કરજો, એ જે થયું હોય તે આ શરીરની પરવશતાને લીધે જ.’

સરસ્વતીચંદ્ર - ‘તમારા શરીરને તો સુવર્ણપુરમાં ઘણો કાળ પ્રત્યક્ષ કર્યું હતું, પણ હૃદયને તો એ ગાને જ પ્રત્યક્ષ કરાવ્યું અને એટલા માટે જ મારી સ્વાર્થી વૃત્તિને એ દર્શન કરાવનારી તમારી મૂર્છા મને ઘણી પ્રિય થઈ પડી હતી.’

કુમુદસુંદરી - ‘મારે પણ એમ જ ગણવાનું કારણ છે. આપના પવિત્ર ખોળાને દૂષિત કરી આ શરીર તેમાં પડી રહ્યું હતું ત્યારે બોલવાની કે હાલવા ચાલવાની મારામાં શક્તિ ન હતી ને નયન બંધ હતાં તે ઉઘાડવાની શક્તિ ન હતી; પણ કાન ઘણો કાળ જાગૃત હતા. કાચના ગોળામાં રાખેલું જંતુ કાચમાંથી બહારની સૃષ્ટિનું અવલોકન કરી માંહ્ય ને માંહ્ય ફર્યા કરે અને બહારના પદાર્થોની ગતિથી ચમકે તેમ કામ જેવા જડ પણ મારાથી પારદર્શક મારા શરીરમાં મારા હૃદયને સ્થિતિ એ જંતુના જેવી પરાધીન જાગૃત હતી. આપના તપોમય સ્નેહના મધુર ઉદ્‌ગાર પણ મારા કાનમાં ને હૃદયમાં તે કાળે જ કંઈક આવ્યા અને મારા અનેક સંશયને તેમણે દૂર કર્યા.’

સરસ્વતીચંદ્ર ચમક્યો.

‘ત્યારે મારે માટેનો તમારો અભિપ્રાય ઘણો હલકો થઈ ગયો હશે !’

કુમુદસુંદરી - ‘શા માટે ચમકો છો ? જે વસ્તુના અજ્ઞાને અને સંદેહે સુવર્ણપુરમાંની મારી સ્થિતિના કરતાં વધારે દુઃખ મને દીધું હતું તે આ ઉદ્‌ગારોથી મને પ્રકટ થઈ છે. અને તેથી તે દુઃખ દૂર થયું છે; અને આપનું દુઃખ કંઈ દૂર કરવાની મારામાં શક્તિ છે અને તેમ કરવાનો સાધુજનોએ પ્રસંગ આપ્યો છે તે સફળ કરવાનો માર્ગ પણ આ ઉદ્‌ગારોથી જ મને જડશે.’

સરસ્વતીચંદ્ર - ‘મનની પરવશ દશામાં નીકળેલા ઉદ્‌ગારોથી મારો ન્યાય કરવો ઉચિત નથી.

કુમુદસુંદરી - ‘એ ન્યાયથી આપને કંઈ કલંક લાગતું નથી.’

સરસ્વતીચંદ્ર - ‘ચંદ્રનું કલંક તો બ્રહ્માણે જ ઘડેલું લાગે છે પણ આ તેને ઢાંકનારી વાદળીનો પડદો હતો તે પવને ખસેડી નાખ્યો.’

કુમુદસુંદરી - ‘ચંદ્ર અને કુમુદને પરસ્પર પ્રત્યક્ષતા કરાવનાર એ પવન બહુ પરગજુ નીવડ્યો. સરસ્વતીચંદ્ર ! હું તમારી - આપની - પાસે હું શું કહું ?’

સરસ્વતીચંદ્ર - ‘મને “આપ” ન કહેતાં આપણા આદિકાળને સ્મરી “તમે” કહીને બોલાવો, એટલે બાકીનું બીજું જે જે કહેવાનું હશે તે જાતે જ કહેવાઈ જશે.’

‘આદિકાળ સ્વપ્નવત્‌ થયો - જતો રહ્યો ! હવે તો હું પણ બદલાઈ ને તમે પણ બદલાયા. જે વિશેષણ એકના મુખને અને બીજાના કાનને અમૃતરૂપ અને ભૂષણરૂપ હતાં તેનો હવે ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો પડે છે.’ કુમુદે નિઃશ્વાસ મૂકી કહ્યું.

‘સાધુજનોની સાધુતાને સાધુ પદાર્થો પ્રયત્નનો જ ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સંદેહ પડે ત્યાં સત્પુરુષોનાં અંતઃકરણને પ્રમાણ ગણવાં એવું દુષ્યંતનું વચન છે.’ સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો.

કુમુદસુંદરી - ‘કાવ્યોને પ્રમાણ ગણવાનો કાળ હવે વીતી ગયો.’

સરસ્વતીચંદ્ર - ‘મારી મૂર્ખતાએ આ કાળ આણ્યો.’

કુમુદસુંદરી - ‘તમે શું કરો ? પ્રારબ્ધ ભુલાવે છે ત્યારે બુદ્ધયઃ કુબ્જગામિન્યો ભવન્તિ મહતામપિ મારા વિદ્વાન, અનુભવી અને ચતુર પિતાને પણ થોડા દિવસ વિલંબ કરી તમારી વાટ જોવાનું ન સૂઝ્‌યું અને મારો ઉતાવળો વિવાહ કરી દેવામાં જ મારું કલ્યાણ લાગ્યું ત્યારે એમ જ સૂઝે છે કે ઈશ્વરની જ ઇચ્છા બળવાળી છે. એવા એવા અનુભવીઓ ભૂલે ત્યારે આવે સૂક્ષ્મ પ્રસંગે તમારી બુદ્ધિ તમને ભુલાવે ને મારા દુઃખના પ્રદેશમાં મૃગજળ જેવું મારું સુખ તમને પ્રત્યક્ષ કરાવે તેમાં તમારો શો દોષ ?’

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! કુમુદસુંદરી ! તમારા જેવા હૃદયમાં આવી ઉદારતા અને આવું શાણપણ દેખું છું તેથી પણ મારો મોહ ઘટવાને સાટે વધે છે.’

કુમુદસુંદરી - ‘તમારી આંખો ત્ર્હેંકાય છે, તમારો સ્વર થડકાય છે અને શરીર ધ્રૂજે છે. તમારું દુઃખ મને કહી દ્યો.’

સરસ્વતીચંદ્ર - ‘તમારું દુઃખ તે જ મારું દુઃખ છે. તમને સુખી જોઈશ ત્યારે હું સુખી થઈશ.’

કુમુદસુંદરી - ‘પણ અત્યારની આ અવસ્થા શાથી ?’

સરસ્વતીચંદ્ર - ‘મને મારી અવસ્થાનું ભાન નથી.’

કુમુદસુંદરી - ‘તમે મારું એક કહ્યું કરશો ?’

સરસ્વતીચંદ્ર - ‘એ કહ્યું કરવામાં જ મારું પ્રાયશ્ચિત્ત રહેલું છે.’

કુમુદસુંદરી - ‘તો સાધુજનોની રાખી મૂકેલા આ ફલાહારથી જઠરાગ્નિને તૃપ્ત કરી આપ નિદ્રા લ્યો ને તેમણે આપણે માટે યોજેલી પંચરાત્રિના શેષ ભાગમાં નિદ્રાન્તે ઉભય હૃદયનું પરસ્પર સમાધાન કરવાનો અવકાશ પુષ્કળ મળશે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે પ્રસાદ લ્યો તો હું લઉં.’

એક મોટા પાંદડા ઉપર ફલાહાર પીરસ્યો. બીજું પાંદડું હતું નહીં. કુમુદે ‘પછીથી ખાઈશ’ કહ્યું. સરસ્વતીચંદ્રે તે માન્યું નહીં. અંતે એક પાંદડામાં સર્વ ફળ મૂકી બે જણે ભોજન કર્યું. ભોજનકાળે ઝાઝી વાત ચાલી નહીં. ચર્વણકાળે જાણ્યે - અજાણ્યે એકબીજા સામું જોઈ રહેતાં હતાં અને મોહપાશ તેમની બેની આસપાસ વધારે વધારે વીંટાતો હતો. પણ એની અનુભવિયણ કુમુદ ચેતી અને સત્વર ઉપાય યોજવા બીજી વાતો કાઢવા લાગી.

‘મારા ચિત્તમાં એમ લાગે છે કે આપણે એકબીજાને સત્ય નામે વાત ન કરવી પણ સાધુજનોમાં જે નામ પ્રસિદ્ધ છે તેનો જ ઉચ્ચાર કરવો; તમને આગળ ઉપર એમ લાગે કે હવે પ્રસિદ્ધ થવું ત્યારે જ મારા પિતાશ્રીના આ રાજ્યમાં એમની પ્રતિષ્ઠા ન્યૂન થાય નહીં તેમ મારે છતાં થવું.’

સરસ્વતીચંદ્ર - ‘યોગ્ય છે. તેમાં દોષ માત્ર એટલો છે કે ‘મધુરી’ એ નામના ઉચ્ચારથી તમારી મધુરતા ઉપર લક્ષ્ય જાય છે.’

કુમુદસુંદરી - ‘સંસારમાં ઘણી જાતના સંબંધીઓ એકબીજાના નામોચ્ચાર કર્યા વિના જીવતા સુધી પરસ્પર વ્યવહાર નિભાવે છે.’

સરસ્વતીચંદ્ર - ‘હા. પણ તેમાં તો ઘણુંખરું દંપતીઓમાં જ એવો વ્યવહાર હોય છે, અને તેવાં આપણે ન છતાં તે સંબંધ પ્રમાણે સંબોધન કરવાં એ પણ મનને સૂચક થશે અને મોહના કારણભૂત થાય એવો ભય રહે છે.’

કુમુદસુંદરી - ‘તો મારા ચંદ્ર - હું તમને ચંદ્ર કહી સંબોધીશ - તમે મને ગમે તે કહેજો અને તમે મારા ચંદ્ર થઈ મારા મોહતિમિરનો નાશ થાય એવું કાંઈ કરજો. હું પણ તમને નવીન કહેતાં કંઈ કંઈ આંચકા ખાઉં છું.’ વાતો કરતાં કરતાં બે જણે એ જ ફળ સાથે લાગું લીધું, બેનાં આંગળાં અડક્યાં, બેને નવા ચમકારા થયા, બે ચેત્યાં, બેયે ફળ પડતું મૂક્યું ને પોતપોતાના હાથ ખેંચી લીધા, અને ફળ બેના હાથમાંથી પડ્યું. હાથ પાછા ખેંચાણા પણ નેત્ર તો નેત્રને જ વશ રહ્યાં. કુમુદે પડેલું ફળ પાછું લઈ સરસ્વતીચંદ્રને આપ્યું.

પવન સર્વત્ર છે તેને દૂર કરવાને પંખાથી ધક્કો મારીએ તો પવન દૂર જવાને સાટે પાસે જ વધે છે, પણ જ્યારે ચોર પાસના આવા પવન વિના બીજે સ્થાને જીવન જ નથી ત્યારે તો પવને કેવળ બંધ કરવાના પ્રયત્ન કરતાં આપણા શરીરનું જ આચ્છાદાન કરવું યોગ્ય છે. આવા સમાગમકાળે આવો વિક્ષેપ આવા પવન જેવો થાય ત્યારે તો તેના પ્રતિકાર માટે એ વિક્ષેપનો નાશ કરવાનો પ્રયત્ન પડતો મૂકી, વિક્ષેપક શક્તિની અને પોતાની વચ્ચે અંતરપટ મૂકવો જ સારો એવી કલ્પના સરસ્વતીચંદ્રને થઈ. પણ અંતરપટ શાનો કરવો તે સૂઝ્‌યું નહીં. એટલામાં એની મનોવૃત્તિ સમજી હોય એમ કુમુદે પ્રશ્ન પૂછ્યોઃ

‘આપે પિતાનો ત્યાગ કર્યો તે તેમના ઉપર અથવા બીજા કોઈ ઉપર ક્રોધથી કર્યો કે ઓછું આવ્યાથી કર્યો કે કંઈ બીજા કારણથી ? મારો ત્યાગ કેવી બુદ્ધિથી કર્યો ? સુવર્ણપુર કયા અભિલાષાથી આવ્યા ? ત્યાંથી અહીં શાથી અને કેવી રીતે આવ્યા ? અહીંથી હવે ક્યાં જવું અને શું કરવું ધારો છો ? મારે માટે...’ આ બધું વાક્ય પૂરું થતાં પહેલાં એના હાથમાંના ફળનો ગલ એના પગની પાની ઉપર પડ્યો હતો તે ઉપર એનું ધ્યાન ન હતું; પણ સરસ્વતીચંદ્રની દૃષ્ટિ - એ ગલ પર અને સુંદર પ્હાની ઉપર - ચંદ્રપ્રકાશમાં આ ગલ સુંદર ચિત્રરૂપે પડેલો હતો તે ઉપર - પડી હતી. કુમુદ છેલ્લું વાક્ય બોલે તે પહેલાં તો સરસ્વતીચંદ્રે આ ગલને હાથ વડે લોહી નાખ્યો પણ લોહેલા સ્થાનને જોઈ જ રહ્યો. એ તાલ કળાઈ જતાં કુમુદે પોતાની પ્હાની પાછી ખેંચી લીધી અને પોતે પહેરેલા વસ્ત્રની કોર પ્હાની ઉપર ઢાંકી દીધી. પ્હાની સંતાઈ જતાં તે જોવાનું બંધ થયું અને જોનાર સાવધાન થઈ ગયો.

સરસ્વતીચંદ્ર - ‘આ પ્રશ્નો ઉત્તર દીધાથી આપણો ભેદ ભાગશે અને હું જાતે શાંત થઈશ એમ લાગે છે, પણ એ શાંતિ ખરેખરી મળશે કે તેને સ્થાને કંઈ બીજું પરિણામ થશે તે તો, આજ રાતના આપણા અનુભવોનો વિચાર કરતાં, કંઈ સ્પષ્ટ સમજાય એમ નથી.’

કુમુદસુંદરી - ‘સાધુજનો એવું માને છે કે ઉત્કૃષ્ટ રસ અને શુદ્ધ ધર્મ, દંપતી જેવાં એક જ છે, અને તેમની સંગત પ્રેરણા જે દિશામાં થાય ત્યાં જવામાં અનિશ્ચિત પરણામનાં ભય-અભય ગણવાં યોગ્ય નથી. આને અનુસરીને જ મેં પણ એવો નિશ્ચય કર્યો છે કે આપની સેવા પ્રાપ્ત થાય તો મારે પણ બીજું કાંઈ જોવું નથી. આપના ચરણમાં મારી અધોગતિ થાવ કે ઉન્નતિ થાવ તેનો વિચાર મેં છોડી દીધો છે. ઓ મારા ચંદ્ર ! તમારા વિના હવે મારે કોઈ નથી અને તમારી માધુરીને તમારા કલંક જેવી ગણીને કલંકિત થાવ કે તમારી કલાઓમાંની એક કલા ગણી કલાવાન રહો - બેમાંથી તમને અનુકૂળ પડે તે કરો. પણ મારાથી તમારાં દુઃખ અને તમારાં મર્મ ગુપ્ત ન રાખશો. મને એટલો અધિકાર આપો.’

સરસ્વતીચંદ્ર - ‘તમને એ અધિકાર નહીં આપું તો બીજા કોને આપીશ ? મને મારા સ્વાર્થનો તો શું પણ મારા ધર્મનો પણ બાધ તમને સુખી કરવામાં અંતરાયરૂપ થાય તો હું તેને ન ગણવાને તત્પર છું.

ધર્માત્યયો મે યદિ કશ્ચિદેવમ્‌

જનાપવાદઃ સુખવિપ્લવો વા.

પ્રત્યુદ્‌ગમિષ્યામ્યુરસા તુ તત્તત્‌

ત્વત્સૌખ્યલબ્ધેન મનઃસુખેન.

મધુરી ! ‘મધુરી’ શબ્દથી મોહ કાલ થતો હોય તો આજ થાય, પણ તે નામથી જ અથવા જે કાંઈ અન્ય પ્રવૃત્તિથી કે નિવૃત્તિથી તમને જે શાંતિ થાય તેનાથી તે આપવી એ મારી વાસના છે. મારું સર્વસ્વ જે કાંઈ હોય તેના હવનથી પણ તમને સુખ મળે તો એ જ મારું સુખ છે. માટે મારું સુખ સાધવાની તમારી વાસનાની તૃપ્તિ તમે પોતાની જાતને સુખી કરશો તેથી જ થશે.’

કુમુદસુંદરી - ‘ભલે, પણ તમે મારું સુખ ઇચ્છો છો કે મારું કલ્યાણ ઇચ્છો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘તમને સુખની ઈચ્છા હોય તો તમારું સુખ ઇચ્છું છું અને તમને કલ્યાણની ઇચ્છા હોય તો કલ્યાણ ઇચ્છું છું.’

કુમુદસુંદરી - ‘તમારે પોતાને માટે શું ઇચ્છો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘મારે તો સુખ પણ નથી જોઈતું ને કલ્યાણ પણ નથી જોઈતું. મને તો શાન્તિ મળે અને મારા ધર્મમાં ન ચૂકું એટલું જ જોઈએ.’

કુમુદસુંદરી - ‘તમે શાંતિમાં સુખ માનો છો ને ધર્મમાં કલ્યાણ માનો છો ? ને તે બેને ઇચ્છો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘માનું છું તો તમે કહો છો તે જ. બાકી જ્યાં સુધી ધર્મથી શાંતિ ન મળે ત્યાં સુધી શાંતિને પણ અધર્મરૂપ ગણી તેને ઇચ્છતો નથી.’

કુમુદસુંદરી - ‘એ શાંતિને ધર્મરૂપ ક્યારે ગણશો ?’

સરસ્વતીચંદ્ર - ‘તમને શાંત અને તૃપ્ત જોઈશ ત્યારે.’

કુમુદસુંદરી - ‘તમારો ધર્મ કર્યો ?’

સરસ્વતીચંદ્ર - ‘જે પંચમહાયજ્ઞનો ગુરુજીએ, આપણને બેને ઉદ્દેશી, ઉપદેશ કર્યો તે આ દેશના તેમ પાશ્ચાત્ય દેશના સાધુસમાજને પ્રિય છે અને તે જ નાનપણથી પ્રિય ગણેલો મારો ધર્મ, ને તે જ તમારો ધર્મ. બાકીની ધર્મકથા સંસારીઓને માટે છે - આપણે માટે નથી.’

કુમુદ - ‘તો મારા ચંદ્ર ! તમે કરેલા સર્વ ત્યાગની કથા, અને તેમાં તમે જે ધર્મ ધાર્યો હોય તે કહો. મને સુખ તેમાં જ લાગે છે ને તે સર્વ વિચારી મેં જે પ્રશ્નો ગણીગાંઠી, કરેલા છે તે સર્વના ઉત્તર આપી મારા મનનું સમાધાન કરો અને એમ કરતાં કોઈ અનર્થના ભયથી આંચકો ખાશો નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘જો એમ જ છે તો કુમુદસુંદરી-મધુરી-મધુરી, સાંભળી લ્યો. મારે મોંએ મારી મૂર્ખતા કે દુષ્ટતા કહી બતાવવી પડે તો તે પણ એક પ્રાયશ્ચિત્ત જ છે ને પ્રાયશ્ચિત્ત તો હું ઇચ્છું છું જ. પિતાનો અને લક્ષ્મીનો ત્યાગ મેં શાથી કર્યો પૂછો છો ? એ ત્યાગ મેં પિતામાતાને દુઃખમાંથી અને પુત્રયજ્ઞના ઋણમાંથી મુક્ત કરવાને માટે કર્યો. મારી અને તમારી પ્રીતિ થાય તે તેમને ગમતું હશે તેથી જ તેમને સુખ હશે જાણી, તમારું દર્શન કે અભિજ્ઞાન સરખું ન હોવા છતાં પિતાએ તમારી સાથે કરેલો મારો વિવાહ મેં સ્વીકાર્યો. આ સ્વીકાર મેં શા માટે કર્યો એમ તમે પૂછશો. હું કહું છું તે માનવું હોય તો માનજો કે પિતાની તૃપ્તિ વિના બીજું કાંઈ એ પ્રવૃત્તિનું પ્રયોજન મારે ન હતું. મારી વાસનાઓ નાનપણમાંથી ઘર છોડવા અને સંસારના મર્મભાગ જોવા માટે પ્રવાસ કરવાની હતી તે તમે જાણો છો. મને લક્ષ્મીની વાસના ન હતી તે જાણો છો. માટે જ માની શકશો કે તમારા વિવાહનો સત્કાર, પ્રથમ પળે, કેવળ પિતૃયજ્ઞમાં મારી સૂક્ષ્મ વાસનાઓની આહુતિરૂપે હતો, પિતાએ માંડેલા પુત્રયજ્ઞમાં તેમના ભણીથી આરંભેલા આતિથેયના સ્વીકારરૂપે હતો. એક મંગળ મુહૂર્તમાં મને તેમણે વિદિત કર્યું ને મેં જાણ્યું કે તમારા પ્રીતિના યજ્ઞમાં આદરેલી મારી આહુતિ તેમને પ્રિય નથી. મેં તમારી સુંદર છબી કરાવી તેના દર્શનથી પ્રીતિરસ પીધો. હું તમને મળી ગયો. આપણે પત્રવ્યવહાર ચલાવ્યો. મેં તમને આપવા વીંટી કરાવી. એ સર્વ માતાપિતાને ન રુચ્યું, ને તમારે માટે વિપરીત ભાવના કરી, તેમણે દુઃસહ આરોપ મૂક્યા. જે કારણથી તમારો વિવાહ સ્વીકાર્યો હતો તે કારણ ખોટું પડ્યું. જે કારણથી ગૃહ અને લક્ષ્મીનો સ્વીકાર કર્યો હતો તે કારણ ખોટું પડ્યું. મારા સુખ કરતાં મારો ત્યાગ માતાપિતાની વાસનાઓને વધારે અનુકૂળ થશે એવું સિદ્ધ થયું. એ સિદ્ધ થયું તેની સાથે જ એ ત્યાગ ન કરવાનો ધર્મ વિરામ પામ્યો અને એ ત્યાગ કરવાનો ધર્મ ઉદય પામ્યો. ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. મારો પ્રિય ત્યાગ જ મને શોધતો આવ્યો અને હું તેને ભેટી પડ્યો. કહો, હવે શું પૂછવું છે ?’

કુમુદ - ‘જગતના કહેવા પ્રમાણે તો પિતાનાં વચન તમારાથી સહી ન શકાયાં ને રોષમાં ને રોષમાં સર્વના ત્યાગનું તમે અતિસાહસ કર્યું.’

સરસ્વતીચંદ્ર - ‘મેં પણ એ વાત વર્તમાનપત્રોમાં વાંચી છે. પણ તે માનનારનું અજ્ઞાન છે. મને રોષનો અભ્યાસ હતો નહીં અને છે નહીં. સાધુજનો દોષ કરતા નથી ને પામર જનો દોષ કરે ત્યારે ક્ષમા જ ઘટે છે. તેમાં માતાપિતાનો દોષ તો જોવાયે નહીં, એને સાટે તેમના પ્રતિ સર્વાંશે ક્ષમા રાખવી એ તો આકારકાતિથિયજ્ઞનો આવશ્યક વિધિ છે. બુદ્ધાવતારના પૂર્વજન્મની કથાઓ ગણાય છે તેમાંથી કેટલીક મેં તમને કહી છે. તેમાં બિસજાતકની કથા એવી છે કે સર્વ ભાઈઓની સાથે વાનપ્રસ્થ થઈ બુદ્ધ પોતે બોધિસત્ત્વરૂપે રહેતા હતા અને સર્વ ભાઈઓ બિસપ્રાશન કરતા હતા. પાંચ છ દિવસ સુધી ઇન્દ્ર બોધિસત્ત્વના ભાગનાં બિસ ગુપ્ત હરી ગયો. બિસ ખોવાયાની વાત પ્રસિદ્ધ કરવાથી ભાઈઓ એને દુઃખ દેશે અને પોતાને તો આહાર-અનાહારમાં સમદૃષ્ટિ હતી તેથી બોધિસત્ત્વને એ વાત કોઈને કહી નહીં. વાત જાતે અન્ય કારણથી ઉઘાડી પડી ત્યાં સુધી ઉપવાસ થયા. રોષ કે તર્ક તેમણે કર્યા નહીં, અને શરીર કૃશ થયું પણ જાતે સુપ્રસન્ન જ રહ્યા. મધુરી ! અપરમાતાના રાજ્યમાં ઈશ્વરકૃપાથી હું આવી પ્રસન્નતા રાખી શક્યો ને રોષમાં સમજ્યો નહીં. મારા હૃદયનું મારું પૃથક્કરણ ભૂલભરેલું હશે - પણ સત્ય માનજો કે હું હજી એમ જાણું છું કે પિતા ઉપર રોષ કરી ત્યાગી નથી થયો. મને કોઈની અપ્રીતિ તપ્ત કરતી નથી. હું તો તેમના ઉપરની પ્રીતિને લીધે તેમનું દુઃખ જોઈ તપ્ત થયો ને તેમની તપ્તિ ટાળી અસંખ્ય પૂર્વ ઉપકાર મારાથી ભુલાયા નથી. પણ શ્રદ્ધા વિનાની પૂજા, હૃદય વિનાનું આતિથેય, અને સ્નેહ વિનાની પર્યુપાસના : એ સર્વ, પાણી વિનાના તળાવ પેઠે ત્યાગ કરવા યોગ્ય છે. આવે કાળે સાધુજનોને માટે આ જ વિધિ પ્રાપ્તક્રમ છે; આ જ માર્ગ, પ્રસન્ન, સુગમ, સ્ફુટ, સુંદર અને ધર્મ્ય છે. મહાબોધિનું આ વચન છે ને તે સર્વ સાધુજનોને માન્ય છે.

કુમુદ - ‘પણ એ પ્રસંગે શું તમને દુઃખ નથી થયું ?’

સરસ્વતીચંદ્ર - ‘દુઃખ થયાની ના કહેવાતી નથી. પણ તે દુઃખ મારે પોતાને માટે થયું નથી. પિતાના કૃત્યમાં અધર્મ લાગ્યો, અને તેમના પોતાના અકલ્યાણકારક અધર્મમાં તેમની પ્રવૃત્તિ જોઈ તેમના ઉપરના ઉપરના મારા પ્રીતિયોગને લીધે મને સંતાપ થયો.

કુમુદ - ‘એ સંતાપમાંથી તમે શી રીતે મુક્ત થયા ?’

સરસ્વતીચંદ્ર - ‘તેમના ચિત્તને શાંતિ થશે એ વિચારે સંતાપને શાંત કર્યો.’

કુમુદ - ‘કોઈ બાળક સર્પ સાથે રમવા ઇચ્છે અને સર્પને પકડતા સુધી રોયા કરે ને શાંત થાય નહીં; તે બાળકનું સર્પ પકડવાથી અકલ્યાણ થાય તે થવા દઈ શાંત કરવું તે ધર્મ કે રોવા દેવું તે ધર્મ ?’

સરસ્વતીચંદ્ર - ‘જે બાળક નથી અથવા પારકું બાળ હોઈને આપણો ઉપદેશ માને એમ નથી તેની ઇચ્છાવિરુદ્ધ કલ્યાણ કરવાનો ધર્મ નથી. પિતાને ઉપદેશ કરવો તેમની જિજ્ઞાસા વિના પ્રાપ્ત થતો નથી. એ તો બહુ થાય તો વિનયપૂર્વક - સ્નેહપૂર્વક સૂચના પિતાને પુત્રે કરવી હોય તો તેટલો ધર્મ છે. બાકીનો પુત્રનો ધર્મ પિતાના મંદિરમાં રહી તેમનું આતિથેય કરવાનો છે; પિતાને આ યજમાન ઉપર અનાદર થાય એટલે યજમાનપુત્ર સ્નેહશૂન્ય પિતૃમંદિરમાં રહેવાનો અધિકારી નથી.’

કુમુદ - ‘તમે એમને શાન્તિ ઇચ્છી હશે; પણ તમારા ત્યાગથી શાન્તિને સ્થાને તેમને શોક નહીં થયો હોય એમ તમે માનો છો ? એવા શોકની, અવગણના કરવી અને તેમની એકાદ ભૂલ મનમાં આણવી એ શું પુત્રધર્મ છે કે ક્ષમા છે ?’

સરસ્વતીચંદ્ર - ‘એમના શોક એમના હૃદયમાં અનુતાપ કર્યો હશે; વર્તમાનપત્રોથી તેમ જણાય છે. પણ આ વાતમાં એ ધર્મનું તારતમ્ય મને જુદો માર્ગ બતાવે છે, મારા દોષ વિના તેમની મારા ઉપર અપ્રીતિ થઈ તેમાં મને ઇષ્ટાપત્તિ છે; કારણ પ્રીતિ દુઃખનું કારણ થાય છે ને આ અપ્રીતિથી મારા સંબંધી વાસનાઓ તેમના હૃદયમાંથી ઓછી થાય ને એ મને ભૂલે તેટલો હું પિતૃયજ્ઞમાંથી મુક્ત થાઉં. બાકી તેમના ઉપરથી મારી પ્રીતિ હતી એથી વધી છે; ઘટી નથી. માત્ર મારા મનોરાજ્યના સરજેલા ધર્મબંધનથી બંધાઈને હું એ પ્રીતિની વાસનાઓને શાંત કરું છું. જે કારણથી મારી વાસનાઓને હું શાંત કરું છું તે જ કારણથી એમની વાસનાઓને તૃપ્ત કરવાની મારી વાસનાને પણ શાંત કરું છું ને એમના શોકના અનુતાહપમાંથી તેમને મુક્ત કરવાની મારી વાસનાને પણ શાંત કરું છું. સંસારમાં મનાતા ધર્મ પ્રમાણે, સંસારની પ્રીતિના નય પ્રમાણે, એ શોકની અવગણના અધર્મ્ય છે, પણ સાધુજનોના અધ્યાત્મધર્મનો પંથ જુદો છે ને મુંબઈ છોડતાં પહેલાં મેં તેનો વિચાર કર્યો હતો. પિતાપુત્રાદિ સર્વ સંબંધ ભ્રમરૂપ છે, આકસ્મિક છે અને નિત્ય છે. મરણાદિથી એ ભ્રમ દૂર થવાનું કારણ પ્રાપ્ત થયા પછી પણ મનુષ્યો પોતાના અજ્ઞાનને લીધે એ ભ્રમમાંથી મુક્ત ન થતાં અનુતપ્ત થાય છે. અતિથિસત્કારને માટેના ધર્મમાંથી પિતાએ મુક્ત કરેલો યજમાન સાધુપુત્ર અન્ય મહાયજ્ઞો માટે પ્રવૃત્ત થાય ત્યાં કુટુંબીજનથી થતાં અનુશોચનને ભ્રાન્ત કે ક્ષણિક ગણી પોતાને પન્થે પળવાને એ સ્વતંત્ર છે.’

કુમુદ - ‘આપના યજ્ઞ કરવાનું પિતાએ અપમાન કરતાં સુધી સૂઝ્‌યું ન હતું. આ યજ્ઞવિધિ પણ આજ સુધી આપ જાણતા ન હતા. એ અપમાનાદિને તો આપે નિમિત્ત કર્યાં. એ નિમિત્ત થયાં ન હોત તો આ જ્ઞાનવિચારનો પ્રયોગ આપ કરત નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘ખરી વાત છે કે ગુરુજીનો ઉપદેશ આજ જ સાંભળ્યો. પણ મારી પોતાની બુદ્ધિથી જે નીતિ અને જે ધર્મ મને ઘણા કાળથી યોગ્ય લાગ્યાં છે તે નીતિધર્મના વિધિઓમાં અને આ યજ્ઞકાર્યના વિધિઓમાં નામફેર વિના બીજો ફેર સ્વલ્પ છે, ને આજ યજ્ઞકથા તમે સાંભળી માટે યજ્ઞકાર્યની ભાષામાં મારાં કારણ તમારી બુદ્ધિને અનુકૂળ થશે જાણી એ ભાષામાં તમારી સાથે વાત કરું છું. બાકીના પ્રશ્નોના ઉત્તરમાં કહેવાનું કે સત્કાર્યમાં કંઈ નાનો પ્રસંગ પણ નિમિત્તભૂત થાય તો તેનો લાભ લેવામાં ચતુર સાધુએ ચૂકવું નહીં એવો ધર્મ છે. બોધિસત્ત્વ શેઠ દુકાનમાં બેઠા બેઠા કામ કરતા હતા. તેના કુટુંબીજનોમાં ભ્રાન્તિથી ગપ ચાલી કે શુઠ પ્રવ્રજિત થયા અને ગૃહિણી આદિ સર્વ જન શેઠ મૂઆ હોય એમ અનુતપ્ત થયાં. તે પ્રસંગથી જ સૂચના પામી શેઠ પ્રવ્રજિત થઈ વનમાં ચાલ્યા, અને શોક કરતાં કુટુંબીજન પછી મળ્યાં તેમને મધુર અક્ષર કહી પાછા વળ્યાં તે વળ્યાં. આપણામાં કલ્યાણ ધર્મ છે એવી લોકમાં વાત ચાલે તો તે સત્ય કરવી યોગ્ય ગણી શેઠ ચાલ્યા ગયા. તો મેં તો મારે યજમાનની અપ્રીતિ સ્પષ્ટ દેખી તેનું ગૃહ છોડ્યું છે.’

કુમુદ - ‘અનુતાપથી તપતી તેમની પ્રીતિને આપે કેવળ શુષ્ક ગણીને કે પ્રીતિમાત્રને મિથ્યા ગણીને પિતાનો ત્યાગ કર્યો ? જો તેમની પ્રીતિ શુષ્ક ગણી તો મારી પ્રીતિ કેવી ગણી ? અને જો પ્રીતિ માત્રને મિથ્યા ગણી પિતાનો અને મારો બેનો ત્યાગ કર્યો હોય તો મારે માટે આટલા તપો છો કેમ અને તેમના દુઃખનું નિવારણ કરવા મુંબઈ જવાનું કેમ ધારતા નથી ? શું પિતાના કરતાં મને વિશેષ ગણો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘આ મનુષ્યન્યૂન અને આ મનુષ્યવિશેષ એવી ગણનાઓ સંસારમાં રાગદ્વેષ પ્રમાણે થાય છે. સાધુજનો એવી ગણના સામાના ગુણપ્રમાણથી અને પોતાના ધર્મપ્રમાણથી કરે છે. મધુરી, સ્ત્રી કરતાં માતા અધિક અથવા માતા કરતાં સ્ત્રી અધિક એવી ગણના પોતપોતાના રાગદ્વેષ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે સંસારીઓ કરે છે. સત્ય જોતાં, માતા પણ અતિથિ છે. અને સંસારની રીતે પરણાવેલી સ્ત્રી પણ અતિથિ છે. તે બે જણાનો યજમાન પોતાના ધર્મનો ક્રમ કેવાં ધોરણે રચે છે તે ગુરુજીએ તમને સમજાવ્યું છે. સાધુઓના ધર્મના આવા ક્રમથી રામે કૌશલ્યાને દશરથ પાસે રાખ્યાં, અને સીતાને પોતાની સાથે લેવાનો નિશ્ચય કરતી વેળા ‘આ વાતમાં માતાપિતા સંમત થશે કે નહીં ?’ એ પ્રશ્ન પણ એમને સૂઝ્‌યો નથી. દંપતીના અદ્વૈતનું આવું પરિણામ છે અને સંસારને તે ગમતું નથી તેનું કારણ એટલું જ છે કે તેના લગ્નવિધિથી સ્ત્રીપુરુષના શરીરને પરસ્પર અતિથિ કરી દેવાના રૂઢ આચારે સંસારની દૃષ્ટિમર્યાદામાંથી દંપતીના શુદ્ધ રૂપનું સ્વપ્ન સરખું હાંકી કાઢ્યું છે. મધુરી ! મેં પિતાના કરતાં સ્ત્રીને વધારે ગણી હોત તો હું જુદો આવાસ માંડી

સ્ત્રી સાથે તેમનાથી જુદો રહેત; પણ તેથી તેમને જે દુઃખ થાત તેનો પ્રતિકાર, અને તમારું અને એમનું કલ્યાણ, સર્વને સાથે લાગાં સાધવાનો મને જે એક જ માર્ગ સૂઝ્‌યો તે મેં લીધો. પ્રીતિને મિથ્યા ગણવી કે નહીં એ ચંદ્રાવલીમૈયા તમને મારા કરતાં વધારે સારી રીતે સમજાવશે અને તે વિષયમાં મેં કંઈક બોધ એમની પાસેથી જ લીધો છે. બાકી પિતાની કે તમારી કોઈની પ્રીતિને મેં શુષ્ક તો નથી જ ગણી. તમારી પ્રીતિ શુષ્ક ગણી હોત તો આજ મને પરમ શમસુખ મળ્યું હોત. પિતાની પ્રીતિને શુષ્ક ગણી હોત તો આજ અત્યારે આપણે બે મુંબઈનગરીના કોઈ મહેલમાં હોત. તમારા ઉપરની પ્રીતિને લીધે હું અત્યારે તપું છું તો પિતા ઉપરની પ્રીતિથી નથી તપતો એમ નથી. પણ મેં ઉત્પન્ન કરેલા તમારા દુઃખનું નિવારણ કરવું એ મારો ધર્મ છે, અને પિતાની જ તૃપ્તિને માટે કરેલા ત્યાગનો ત્યાગ કરવો એ હવે અધર્મ છે. એ ત્યાગ તો થયો તે થયો. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા.’

કુમુદ - ‘પિતાના તેમ મારા ઉભયના દુઃખનું કારણ તમારો ત્યાગ છે તો મારા દુઃખના નિવારણમાં ધર્મ ક્યાંથી આવ્યો અને તેમના દુઃખના નિવારણમાં અધર્મ કેમ આવ્યો?’

સરસ્વતીચંદ્ર - ‘ઉભયના દુઃખનું કારણ મારો ત્યાગ છે એ વાત ખરી નથી. તમારા દુઃખનું કારણ મેં જ તમારા હૃદયમાં ઉત્પન્ન કરેલી પ્રીતિ છે. પિતાના દુઃખનું કારણ પણ મારા ઉપરની તેમની પ્રીતિ જ છે; પણ એ પ્રીતિને મેં ઉત્પન્ન કરેલી નથી, મેં આમંત્રિત કરી નથી, અને એ પ્રીતિનો પ્રદીપ મને વાક્યો કહેતી વેળાએ તેમણે હોલવી નાખ્યો તો ફરી દીવાસળીથી બળેલી વાટને મુખે પિતા હવે નવો દીવો સળગાવે તેના પરિણામનો પ્રતિકાર કરવો મને પ્રાપ્ત થતો નથી. પ્રીતિ શબરૂપ થઈ તેના પ્રેતને ચેતનરૂપ ગણી ઘરમાં વાસ આપવો ઘટતો નથી. જે એ પ્રેમ તો પોતાને પીપળે જ વસે.’

કુમુદ - ‘તમારા હૃદયમાં હજી ગુપ્ત ઊંડો રોષ છે તે તમારી પાસે આમ બોલાવે છે. તેમની પ્રીતિ કદી હોલાઈ નથી - માત્ર પવનના ઝપાટાથી નીચી નમી ગઈ હતી, તે પવન જતાં ટટ્ટાર ઊભી થઈ પ્રથમના કરતાં વધારે તેજથી બળતી હશે. તેમની પ્રીતિ શબરૂપ થઈ ન હતી - માત્ર મૂર્છાવશ થઈ હતી. જેવી કૃપા કરી મને આપે આ પવિત્ર ખોળામાં મારી મૂર્છાકાળે જાળવી રાખી અને અત્યારે આમ ગોષ્ઠીસુખ આપો છો, તે જ ન્યાયે એવી જ કૃપાથી પિતાની મૂર્છાવશ પ્રીતિની આપે પળવાર સંભાવના કરી લેવી હતી. ઓ મારા ચંદ્ર ! આ ખગ્રાસમાંથી મુક્ત થઈ પિતાના હૃદયાકાશને પાછું પ્રકાશિત કરો ! મારું તો થયું તે થયું ! પણ જેનું મહાદુઃખ - વૃદ્ધાવસ્થાનું દુઃખ - વિચારથી કળાય નહીં અને આંખેથી જોવાય નહીં એવું હશે અને જેનો ઉપાય માત્ર તમારા એકલાના જ હાથમાં છે તેને તમે તરત શાંત કરો. તેમ નહીં કરો તે ગયો કાળ આવશે નહીં અને દશરથ રાજાની પેઠે તેમના શરીરને કોઈ મહાન અનર્થ થઈ જશે તો તમને અતુલ પશ્ચાત્તાપ થશે, તે પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત આપના હાથમાં નહીં રહે અને આપને એક દુઃખમાં તપ્ત થતા જોઉં છું તેને બીજા દુઃખાગ્નિની જ્વાળામાં પડેલા જોઈશ ! જો મને સુખી કરવાને ઇચ્છતા હો તો એ દુઃખ મારે જોવા વેળા ન આવે એવું અત્યારથી કરો ! મારા ચંદ્ર ! હું આપને સહુ સવેળા ચેતાવું છું અને પગે લાગીને ખોળો પાથરી માગી લઉં છું.’

સરસ્વતીચંદ્ર - ‘તમારા શરીરને તો સુવર્ણપુરમાં ઘણો કાળ સરસ્વતીચંદ્ર - ‘તમારા શરીરને તો સુવર્ણપુરમાં ઘણો કાળ મને અત્યારે કાંઈક રોષ ચડ્યો એટલી વાત તમે સત્ય સમજ્યાં. પણ ત્યાગકાળે તો પિતા ઉપર કે કોઈ ઉપર રોષ ન હતો. હું પિતાના મંદિરમાં તમારી સાથે રહું તો તમને કેવા દુઃખ થવાનાં તેનો પિતાનાં મર્મવાક્યોએ મને શુદ્ધ પ્રત્યક્ષવત્‌ તર્કવિચાર કરાવ્યો હતો. અને એમના ગૃહમાં રહેવું અને તમારી સાથે લગ્ન કરવું, એ બે વાર્તા સાથેલાગાં કરવાં તો તે કાળ જ વર્જ્ય ગણ્યાં હતાં, એ અત્યારે સાંભર્યું. પણ તે નિર્ણય રોષપૂર્વક કર્યો ન હતો, વિચારપૂર્વક કર્યો હતો. પણ આજ સુધીમાં મને આજના જેવો પણ રોષ ચડ્યો નથી, ત્યાગકાળે પણ ચડ્યો નથી, અને અત્યારે ચડ્યો છે તે પણ પિતા ઉપર નથી ચડ્યો. માત્ર આપણા લોકતંત્રમાં વ્યાપી ગયેલી જે અવ્યવસ્થાને બળે તમારા જેવાં પુષ્પ ધૂળમાં રગદોળાય છે અને શુદ્ધ પ્રીતિતંત્રની વાડીઓ દેશમાંથી નષ્ટ થઈ છે તેનું દૃષ્ટાંત પ્રત્યક્ષ થતાં માત્ર મારું ચિત્ત અત્યારે ઊકળી આવ્યું ! તમે એ અવ્યવસ્થાનાં ભોગ થઈ પડ્યાં છો; આજસુધી જેના ઉપર મારું ધ્યાન ગયું ન હતું એવી તમારી મધુરતાના રસનું હું અત્યારે પાન કરું છું ને આવો મધુર જીવ

- આવું મધુર શરીર - આ અવ્યવસ્થાનો ભોગ થઈ પડ્યાં છે અને હું તે પાપકર્મમાં સાધનભૂત થયો છું - એ સર્વ વિચાર મારા આ ઉકળાટને બહુ વધારી મૂકે છે. ત્યાગકાળે એટલી વાત પ્રત્યક્ષ હોત તો શું કરત તે કહેવાનું નથી. પણ એટલું તો પૂર્ણ રીતે સ્મરણમાં છે કે આવો પણ રોષ તે કાળે મને ન હતો.’

કુમુદ - ‘તો પિતાના દુઃખનું નિવારણ કરવા આપે પાછા કેમ ન જવું તેનો શાંત વત્સલ વિચાર હવે કરો.’

સરસ્વતીચંદ્ર - ‘જે પ્રશ્નો તમે પૂછો છો તેવા જ પૂછનાર મિત્ર ચંદ્રકાંત ત્યાગવિચારને કાળે પાસે હતો, ને તેણે તેનો પક્ષવાદ રાત્રિના બાર વાગતાં સુધી કર્યો હતો. તેના ગયા પછી આખી રાત મેં શાંતિથી વિચાર કરીને ત્યાગ કર્યો છે.’

કુમુદ - ‘એ વિચાર શા કર્યા હતા ?’

સરસ્વતીચંદ્ર - ‘તમે સાધુજનોમાં આવ્યાં છો ને તેમની પ્રીતિ જુઓ છો; એ નિષ્કામ પ્રીતિ છે અને તે માટે જ સર્વદા પૂજનીય છે. સંસારી જનોની પ્રીતિ સકામ હોય છે માટે તેનો સત્કાર એ પ્રીતિમાંની કામનાની યોગ્યતા પ્રમાણે જ કરવાનો પ્રાપ્ત થાય છે. બે પાસની કામના હોય ત્યારે બે જણની કામનાની તૃપ્તિથી પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. એક પાસની કામના હોય ત્યારે તેની તૃપ્તિની પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. કામના નષ્ટ, શાંત અથવા પૂર્ણ થયા પછી આવી પ્રીતિનું તો શબ જ સમજવું. ‘આત્માના કામને ઉદ્દેશીને સર્વ પદાર્થ

-પુત્ર, સ્ત્રી, પિતામાતા, આદિ સર્વ પદાર્થ પ્રિય થાય છે.’ એવી શ્રુતિ આવી પ્રીતિને માટે યથાર્થ છે. કામનાવાળા જે અતિથિની કામનાને યજમાનની અપેક્ષા રહેતી નથી તે યજમાને તે કામનાવાળા અતિથિની પોતાના ઉપરની પ્રીતિનો તે પ્રસંગ પછી પણ સત્કાર કરવો એ સંસારમાં રૂઢ છે, પણ સાધુજનોનાં ચિત્ત તેવે કાળે આ મિથ્યાપ્રીતિના પાશમાંથી છૂટા થવાનો ધર્મ જુએ છે તે ધર્મ મેં જોયો ને લઈ લીધો.’

કુમુદ - ‘એમ છૂટા થવું તેને ધર્મ શા માટે ગણો છો ? ઘરમાં રહીને પણ સર્વ ધર્મની સાધના કેમ ન થઈ શકે ? પિતાના દુઃખનું નિવારણ એ શું તમારો ધર્મ નહીં ? શું મારા સસરાજીએ વિકટ કારભારતંત્રમાં રહી તપ કર્યું નથી ? શું મારા ગુણિયલે કુટુંબજાળમાં રહી તપ કર્યું નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘જેને જે સ્થિતિ સ્વભાવથી મળે તેણે તે સ્થિતિયોગ્ય તપ આદરવું ઉચિત છે. જેનો સ્વભાવ કામનારૂપ હોય તેણે તેને અનુકૂળ કામ કરવું. બુદ્ધિધનભાઈને કારભારની કામના તીવ્ર હતી. હું મૂળથી નિષ્કામ છું. તમારાં પવિત્ર જનનીને કુટુંબજાળમાં સ્થિતિ પ્રાપ્ત થઈ, અને પોતાના ગુણોત્કર્ષથી તમારા પિતા સાથે અદ્વૈતયજ્ઞમાં સહચારનો ધર્મ તેમને પ્રાપ્ત થયો અને એ યજ્ઞને પુણ્યે એમની અદ્વૈતકામના સિદ્ધ થઈ છે. મારે કામના કંઈ નથી અને પિતાની પુત્રકામનાઓમાંથી એક વાર મુક્ત થઈ આજ આ સ્થિતિને હું પામ્યો તે મારું સદ્‌ભાગ્ય જ. પિતા મારા વિયોગથી અથવા પોતાના પશ્ચાત્તાપથી અત્યારે દુઃખી હશે. તેઓ દુઃખી નહીં થાય એમ મેં ધાર્યું જ ન હતું. પણ જો એ દુઃખમાંથી મુક્ત કરવા હું ઘેર રહ્યો હોત તો ગુમાનબાની વૃત્તિના અનુરોધનો તેમનો ધર્મ તેમને વિશેષ દુઃખ કરત અને અત્યારે પાછો જાઉં તો તેમને તરત સુખ થાય પણ પરિણામે એનું એ દુઃખ મારા અને તેમના આયુષ્યના સમાગમપર્યંત થાય. મેં તેમને આવા આયુષ્યપર્યંતના વિશેષ દુઃખમાંથી મુક્ત કર્યા અને તેમ કરતાં તેમને આટલું અન્ય દુઃખ થાય તેમાં મારો ઉપાય નથી. આવા પ્રસંગો સંસારના બંધમાંથી મુક્ત કરે છે ને ત્યાગીને ત્યાગનો અધિકાર આપે છે. વળી મારા પાછા ગયાથી તેમને સુખ થવાનું હોય તો થાય પણ ગુમાનબાને તો મારા પાછા જવાથી અધિકતર દુઃખ થવાનું તેનું કારણ હું થવા ઈચ્છતો નથી. મારે વૈભવ જઈતો નથી તે વૈભવવાળા ગૃહનો સ્વીકાર કરું તો ગુમાનબાને ફરી ફૂંફાડા કરવા પડે ને પિતાને સાંભળવા પડે. આ શમસ્થાનનો ત્યાગ કરાવી આવા વિગ્રહસ્થાનમાં મને મોકલવાનું તમે નહીં ઇચ્છો. વળી એકને સુખી કરવા બીજાને અથવા બેને પણ આમ દુઃખી કરું તો તો અધર્મ જ થાય. પરિણામનો કે ધર્મનો જે વિચાર કરું છું તેથી એ જ નિશ્ચય દૃઢ થયા કરે છે કે મારે પાછા જવું તે અધર્મ છે; અને અધર્મમાંથી દૂર થવાને પ્રસંગે પિતાને, મને, કે તમને કે અન્યને થવાનાં લાભહાનિ જોવાનાં નથી. જ્યાં સુધી ગૃહવાસનો ધર્મ છે ત્યાં સુધી તે સ્વીકારવો, જ્યાં તે અધર્મરૂપ થાય ત્યાં તેનો ત્યાગ કરવો. પ્રવૃત્તિના પરાક્રમધર્મ ગૃહવાસસ્થિતિથી પ્રાપ્ત થાય તો તે અન્તઃશમથી પાળવાના છે, અને અન્ય સ્થિતિથી પરાક્રમશક્તિ વિરામ પામે તો દમસ્થિતિ પ્રાપ્ત થાય છે. ધર્મથી નિષ્કામ કર્મ કરનારને ઉભય વૃત્તિમાં શમ જ છે અને તેથી જ ધર્મમાર્ગનો પ્રથમરૂપ એક જ રસ કહેલો છે. ધર્મથી પ્રવૃત્તિથી સ્થિતિવાળા જનો પોતાના માર્ગમાં જાતે આવતાં સુખનું આસ્વાદન કરે તો ભલે પણ સુખની આશાથી ધર્મનો પરિભવ તેમણે કરવો પડે તો તો ગૃહનો ત્યાગ જ પ્રાપ્ત થાય છે.’

કુમુદ - ‘આપની મારા ઉપરની પ્રીતિને લીધે મારે માટે ધર્મના અત્યયથી કલંકિત થઈને પણ મારું સુખ જોવા ઇચ્છો છો તો પિતા ઉપરની પ્રીતિ અધર્મથી કેમ ડરે છે ?’

સરસ્વતીચંદ્ર - ‘હું પિતાને માટે જે કંઈ કરું છું કે નથી કરતા તેમાં પ્રીતિ કે અપ્રીતિ કારણભૂત નથી. તેમ જ તમારે માટે જે કંઈ કરવા તત્પર છું તેમાં પણ કેવળ પ્રીતિ કારણભૂત નથી. ત્યાગકાળે જે જે કામ મેં કર્યાં તેમાં પણ આદિકારણ પ્રીતિઅપ્રીતિ ન હતાં. મેં જે જે કર્યું છે કે કરવું અનુચિત ધાર્યું છે તે મારી ધર્મબુદ્ધિના કારણથી કર્યું કે ન કર્યું સમજવું. આપ્તજનોની પ્રીતિને મારો ગૃહત્યાગ પ્રિય ન હોય એ હું સમજતો હતો, પણ તેમની પ્રીતિના શુદ્ધ સ્વભાવની મેં ચિકિત્સા કરી. ગૃહનો ત્યાગ ન કરવાનું સમજાવતાં ચંદ્રકાંતે ઘણાંક કઠણ વચન મને કહ્યાં હતાં તે એના મનથી ન્યાય્ય હતાં અને મિત્રપ્રીતિના ઉદ્‌ગારરૂપ હતાં અને તેને સત્ય લાગેલા ધર્મરૂપ હતાં. આ વચનથી મિત્ર પ્રતિની મારી પ્રીતિ વધી, પણ મારો ધર્મ તો મારા હૃદયપાવકમાં પાવન થાય - મારો પોતાનો મનઃપૂત થાય - તે જ મારે પાળવાનો હતો તે મેં પાળ્યો. મારા ગૃહત્યાગ કરતાં ગૃહવાસમાં ચંદ્રકાંત જેવા આપ્તજનો શાથી કલ્યાણ માને છે ? શું ગૃહત્યાગમાં કંઈ પાપ છે કે તેમાંથી મને નિવૃત્ત કરવા તે ઇચ્છે છે અને એ ઇચ્છા મારાથી ન પુરાતાં શોક કરે છે ? કોઈ મરી ગયો કે મરવાનો થયો હોય અથવા ધર્મથી ભ્રષ્ટ થયો હોય ને આપ્તજન રોવા બેસે તો તે સમજાય પણ હું જીવતે મારે માટે ચંદ્રકાંત અને પિતા આટલું દુઃખ ધરશે એ મેં જાણ્યું પણ મારા મનને પૂછ્યું કે એ દુઃખ ધરશે તે કઈ બુદ્ધિથી ? આ સર્વનો મેં ત્યાગ - કાળે વિચાર કર્યો. તેમની પોતાની પ્રીતિ ગૃહસંસાર અને ગૃહવાસ ઉપર જેવી લાગી તેવી જ મારા ઉપર પણ લાગી. પણ વધારે કોના ઉપર હશે એમ મેં મારા મનને પૂછ્યું. જો ગૃહ ઉપર તેમને વધારે પ્રીતિ હોય તો તેઓ ઘેર રહેવાને સ્વતંત્ર છે તો તેમનો મારા જવાથી થવાનો અશ્રુપાત કંઈક મારે માટે પ્રીતિને લીધે હોવો જોઈએ. જો મારા ઉપર ગૃહવાસ કરતાં વધુ પ્રીતિ હોય તો મારી પેઠે ત્યાગી થઈ મારી સાથે આવવાની હું કોઈને ના કહેતો નથી. છતાં ન ઘર છોડવા દે ને ન છોડીને આવે તો એમ સમજવું કે તેમની પ્રીતિ મારા કરતાં ગૃહ ઉપર વધારે છે, અને ઘરને કે મને કોઈને ન છોડતાં મારો, તેમનો અને પોતાનો ત્રણેનો સમાગમ રાખવામાં તેઓ પોતાનું સુખ માને છે અને તેથી મારા કલ્યાણનો વિચાર તેમને સૂઝતો નથી. અથવા તો મારા ગુણમાં એવી કંઈ ન્યૂનતા છે કે જેથી આવું સ્નેહીમંડળ મારી સાથે ત્યાગી થવા ઇચ્છે જ નહીં - મારામાં જ કંઈ નિર્ગુણપણું હોવું જોઈએ. નિર્ગુણ માણસને પણ આપત્તિકાળે બે-ત્રણ મિત્રો તો હોય છે. તો ગુણીજનને અનેક હોય પણ તેમાંથી યે તેની સાથે ઘર છોડીને આવવા નીકળનાર એક મિત્ર પણ અતિ દુર્લભ હોય તે જ ગૃહત્યાગને સ્વાભાવિક ગણ્યો. વળી વિચાર કરતાં લાગ્યું કે મારામાં ગુણ હશે તો કોઈ મિત્ર સ્નેહના બળથી પાલ જાતે આકર્ષાશે, બને મારામાં ગુણ નહીં હોય ને સાથે નહીં આવે તો તેનો દોષ ગણવાનું કારણ નથી. જો મારામાં ગુણ હોય છતાં સાથે કોઈ ન આવે તો એમ સમજવું યોગ્ય લાગ્યું કે રોતાં કકળતાં આપ્તજન એક પાસ ગૃહવાસનાથી આકર્ષાય છે ને બીજી પાસથી મારા ઉપરની પ્રીતિથી આકર્ષાય છે, આને બળે રુએ છે ને તેને બળે મારા જેવો ત્યાગ કરવાનું તેમને સૂઝતું નથી. જો તેમને તેમ સૂઝશે તો મારે ફરી વિચારવાનું કારણ થશે

- જો નહીં સૂઝે તો તેઓ સંસારનાં સુખદુઃખથી પ્રારબ્ધ પ્રમાણે આકર્ષાશે ને મરણકાળને બદલે અત્યારથી જ હું ગૃહવાસના બંધનમાંથી - કુટુંબ અતિથિઓના યજમાન ધર્મમાંથી - અને તેની સાથે પ્રીતિયોગથી - છૂટી એકલો ભમીશ એવો સંકલ્પ કર્યો. મારા ત્યાથી ખિન્ન થનારનો ખેદ આવા માર્ગથી ઓછો થવો ન થવો તે તેમના હાથમાં ગણ્યું અને પોતાના હાથમાંનું... ફળ તેમણે... ખાવું કે ન ખાવું તે તેમના પોતાના અધિકારની વાત ગણી તેમની પ્રીતિની તૃપ્તિ કે તપ્તિ કરવામાં મારા કરતાં તેમનો પોતાનો અધિકાર શ્રેષ્ઠ અને ઉચિત ગણી મેં નિર્ણય કર્યો કે તેઓ, મારું માન તેમના પોતાના સમાન ગણી, શોકનું જે ઔષધ તેમના પોતાના હાથમાં હું દેખું છું તે છતાં તેનો સ્વીકાર કરતા નથી તો તેમની પ્રીતિને, તેના શોધને, અને એ શોકથી તેમને જે ઇષ્ટાનિષ્ટ સુખદુઃખરૂપ ફલ થાય તેમને, નટ લોકના ખેલ જેવાં, મોહમય આવરણ જેવાં અને જાગતાં છતં ઊંઘું છું કહેનાર બાળકની શઠતા જેવાં, અબુદ્ધ અને પામર ગણી, તેની તૃપ્તિ મારા યજ્ઞોમાં અવિધેય ગણી, મેં આ શરીરના સર્વ સંબંધીઓનો, લક્ષ્મીનો અને ગૃહનો પરમધર્મરૂપ ત્યાગ કર્યો, અને કર્યો તે કર્યો. મેં પ્રીતિઅપ્રીતિથી કાંઈ કર્યું નથી.’

કુમુદ - ‘સર્વની પ્રીતિની એવી ગણના કરી તો મારી પ્રીતિની જુદી ગણના કેમ કરી ?’

સરસ્વતીચંદ્ર - ‘મેં તમને કહ્યું કે પ્રીતિને બળે કોઈ મારી પાછળ નીકળવાના વિચાર કરે તો જ તેની પ્રીતિને મારી પાસે મારા ત્યાગનો વિચાર કરાવવા જેવી મેં ગણી હતી. તમે જાતે સ્વતંત્ર ન હતાં, તમારું પ્રારબ્ધ તમારાં માતાપિતાના હાથમાં દીઠું, તેમણે મને લક્ષ્મીવાન પિતાનો ગૃહસ્થ પુત્ર ગણી તમારું વાગ્દાન કર્યું હોવું જોઈએ એમ મેં ધાર્યું, અને તેમણે પ્રિય ગણેલાં મારાં ગૃહ અને લક્ષ્મીનો મેં ત્યાગ કર્યા પછી મારો સંબંધ તેમને અપ્રિય લાગશે માટે તેમને તેમના વાગ્દાનના ઋણમાંથી મુક્ત કરવાના નિશ્ચયથી મેં તેમને અને તમને પત્ર લખ્યા હતા.’

કુમુદસુંદરી - ‘તમે એમના ઉચ્ચગ્રાહને બહુ પામર ગણ્યો.’

સરસ્વતીચંદ્ર - ‘તમારો તેમણે તરત જ અન્ય સ્થાને વિવાહ કર્યો તેથી મારી ગણના ખરી પડી.’

કુમુદ - ‘સંસારની રૂઢિ પ્રમાણે તેમણે મારું બગડેલું પ્રારબ્ધ સુધારવા વિચાર કરી આમ કર્યું. બીજું શું કરે ?

સરસ્વતીચંદ્ર - ‘તેમણે કર્યું એમ હું કહેતો જ નથી. મારે કહેવાનું તો માત્ર એટલું જ છે કે બીજાં આપ્તજનની પ્રીતિના જેવી જ એમની પ્રીતિની ગણના કરવામાં મેં ચૂક ખાધી નથી તે આથી સિદ્ધ થયું. તેમની પ્રતિ જુદી જાતની હોત અને મારી દરિદ્ર અને ભટકતી દશામાં પણ તમારી પ્રીતિને યોગ્ય તેઓ મને ગણતા હોત તો તેમણે કોઈ બીજો જ માર્ગ લીધો હોત.’

કુમુદી - ‘તે તેમને સૂઝ્‌યું નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘યથાર્થ છે. સામાન્ય સંબંધીઓનાથી જુદા માર્ગ ક્યારે સૂઝે કે જોનારને આપણા ઉપર નિષ્કામ પ્રીતિ હોય તો જ. સર્વ મનુષ્યને બબે લોચન હોય છે, પણ આવી પ્રીતિથી વળી ત્રીજું અનિર્વચનીય લોચન પ્રગટ થાય છે અને નવી દૃષ્ટિ આપી નવા માર્ગ સુઝાડે છે. તમારાં વચનો અને તમારી અવસ્થાનો વિચાર કરતાં તમને એ ત્રીજું લોચન હોય એવું મને પ્રથમ પળે સૂઝ્‌યું નહીં, પણ પાછળથી વિચાર થયો કે રખેને તમને એ ત્રીજું લોચન હોય ! એ વિચારને બળે, એ શંકાને બળે મારું હૃદય વલોવાવા લાગ્યું અને તેમાંથી હું માખણ કાઢું ત્યારે પહેલાં તો તમારા પ્રારબ્ધે તમારા શરીરને હોમી દીધું ને મારા વલોણાને નકામું કરી દીધું ! તમને સુખમાં અને સંતોષમાં જોઉં તો મારા હૃદયનું નિષ્ફળ મંથન બંધ પડે અને હું મારા ત્યાગથી મળવા ધારેલો શમ પામું એ સ્વાર્થી ધારણાથી હું સુવર્ણપુરમાં આવ્યો. સુવણુપુરના અનુભવે સિદ્ધ કર્યું કે મારો ધર્મ શાંત રાજ્યસત્તાનો નથી પણ વ્યર્થ સંન્યાસની વિડંબનામાં ભ્રમણ કરવાનો છે. તમારું દુઃખ મારાથી જોવાયું પણ નહીં ને અટકાવાયું પણ નહીં. પશ્ચિમ બુદ્ધિથી સૂઝેલું મારું શાણપણ તમને આપવાની પ્રવૃત્તિ કરી અને મારાથી ન ભુલાતી વાત તમે ભૂલી જાઓ એવો માત્ર શઠતાથી ભરેલો ઉપદેશ તમને આપવાનું હાથમાં હતું તે આપીને હું ત્યાંથી નીકળ્યો ને અહીં આવ્યો. અત્યંત દુઃખને બળે અને શુદ્ધ પ્રીતિની જ્વાળાએ તમારું ગુપ્ત રહેલું ત્રીજું લોચન ઉઘાડ્યું અને તમે અહીં આવ્યાં ! કુમુદસુંદરી ! તમારા ત્રીજા લોચનની જ્વાળાએ આજ મારું પણ ત્રીજું લોચન ઉઘાડ્યું છે અને તમારા હૃદયમાં તો શું કામ તમારા શરીરમાંયે હું જુદી જ મોહક સુંદરતા દેખું છું અને એ લોચન હજી શું શું કરાવશે તે સમજાતું નથી. તમારે માટે ધર્મનો અત્યય કરવા હું તત્પર નથી - તમારો પક્ષપાત હું કરતો નથી - એ ધર્માત્યયની અને એ પક્ષપાતની સર્વ વૃત્તિનો અને શક્તિનો સૂત્રધાર તો આ ત્રીું લોચન જ છે. આ લોચનના પ્રકાશ તમારી અને મારી પાસે નવાં સ્વપ્ન ઊભાં કરાવે છે અને નવા અભિલાષ ઊભા કરે છે.’

કુમુદ - ‘એક વારના સાહસનું પરિણામ પામનારે બીજું સાહસ આરંભતાં પહેલાં વિચાર કરવો જોઈએ. તમે કહો છો કે તમારી અનુવૃત્તિ કરી હું તમારી પાછળ આવી શકી હોત તો તમે જુદો વિચાર કરત. તમે શું કરત ? ગૃહત્યાગ પડતો મૂકત ? એ વેળા આ વિશે શો વિચાર કર્યો હતો ? હવેના આજના મારા અનુભવ પછી મારું ભાગ્ય કેવે માર્ગે લેવાનો અભિલાષ રાખો છો ? સર્વ પ્રશ્નો પૂછ્યા પણ આ બે પ્રશ્નો પૂછતાં મારું હૃદય કંપે છે. સરસ્વતીચંદ્ર ! તમે મારામાં એવો શો દોષ દીઠો હતો કે તમે જાતે મારામાં ઉત્પન્ન કરેલી પ્રીતિની પરીક્ષા કરવાનું આમ બાકી ગણ્યું ? મારા પિતાની વાત ગમે તે હો, પણ હું તો મુગ્ધ હતી, તમારાથી કાચે તાંતણે બંધાઈ હતી. મારું હૃદય તમારામાં પરોવાયું હતું - વણાઈ ગયું હતું ! મારી ચિંતા તમારે જાતે કરવાની હન હતી ? તમે તે ચિંતા તે કાળે કેવી કરી અને અત્યારે કેવી કરો છો ? નક્કી, હવે તો મારી પરીક્ષા સંપૂર્ણ થઈ હશે ? હું કેવી રીતે પાસ નાપાસ થઈ છું તે કહી દ્યો - થોડા શબ્દોમાં સ્પષ્ટ વચન કહી દેજો - તમારા હૃદય ઉપર એક પાતળો સરખો પણ પડદો હવે ન રાખશો. હવે રાખશો તે કુમુદની ત્રીજી આંખ એનો પોતાનો જ પ્રલય કરશે તે નિશ્ચિત જાણજો. ઓ મારા વહાલા ! આવું આવું સુંદર વાંચેલું ને વિચારેલું તેનો આવો ક્રૂર પ્રયોગ આમ મારા ઉપર જ કર્યો ?’

આ બોલતાં કુમુદની આંખો આંસુથી છલકાતી હતી.

સરસ્વતીચંદ્ર - ‘હું એ સર્વ વાતમાં મારો અપરાધ સંપૂર્ણ રીતે સ્વીકારું છું. મારી મૂર્ખતા અને મારો દોષ તમને વસતો ન હતો ત્યાં સુધી મારું પ્રાયશ્ચિત્ત ન હતું. હું કેવો દુષ્ટ છું તે તમે આજ સમજ્યાં. અને હવે હું તમારી પાસેથી ક્ષમાનો કંઈ અધિકારી થયો હોઉં તો તે મને આપજો ને ન થયો હોઉં તો ગમે તે માર્ગે પણ મારાથી તમારા અત્યંત દુઃખી મનને સુખ પ્રાપ્ત થશે તો તે જ આ દુઃખી જીવને શાંતિ આપશે.’

કુમુદ - ‘સરસ્વતીચંદ્ર ! આ દીનતા છોડીને મારી જિજ્ઞાસા તૃપ્ત કરશો તો મને હજી તમારામાં એટલે સુધી વિશ્વાસ છે કે મારી અને તમારી ઉભયની શાન્તિ અને તૃપ્તિ સાથે - લાગી જશે. સંસાર દુષ્ટ છે. તેમાં પડેલા નિર્મળ પાણી મેલાં થાય છે. વિદ્યા રસાયણ જેવી છે તે વાપરતાં આવડે તો ગમે તેવાં પાણી નિર્મળ કરે અને ન આવડે તો તેમાં પ્રાણઘાતક રસ પણ ભરે. જ્ઞાન તો અગ્નિના જેવું છે ને તેના પર પડેલાં નિર્મળ અને મલિન ઉભય પાણી ઊડી જાય છે. નિષ્કામ અને ઉચ્ચ રસની પ્રીતિ એકલી જ પાણીમાં નિર્મળી પેઠે ગમે તે હૃદયમાં પડતાં વાર એ હૃદયને નિર્મળ કરી નાંખે છે અને તેને પીવા જેવું કરે છે. મારા ચંદ્રની વિદ્યાએ મને ઠગી - અને એ વિદ્યાએ આપણો આવો વિયોગ કરાવ્યો. કુમુદ હવે એ વિદ્યાનો વિશ્વાસ નહિ કરે. તમારી વિદ્યાને સ્થાને પરમ જ્ઞાન તમને પ્રાપ્ત થયું હોય અને આ ભગવી કન્યાએ તમારા પિતાના અભિલાષ સર્વથા નષ્ટ જ કર્યા હોય તો તે જ જ્ઞાનવડે મારા પણ સર્વ વિકાસનો નાશ કરી દ્યો. પણ તમે કેવળ જ્ઞાની નથી, તમારી પ્રીતિ જ્ઞાનનાથી છૂટી પડી ગઈ નથી, ને તમે તમારી પ્રીતિને ઓળખતા નથી એટલી હું તેને ઓળખું છું - એ પ્રીતિમાં જ મારી આશા છે ને તમારી પાસે ઉત્તમ ઉત્તર જ અપાવશે.’

સરસ્વતીચંદ્ર - ‘એ તો જે કરે તે ખરું. ચંદ્રનો ન્યાય કુમુદના હાથમાં નથી પણ એના હૃદયમાં જ છે. તમે મને બે પ્રશ્નો પૂછ્યા, નહીં વારું ? એક તો એ કે ત્યાગ કાળે મેં તમારો શો વિચાર કર્યો, અને બીજો એ કે અત્યારે શો વિચાર કરું છું.’

કુમુદસુંદરી - ‘એ જ.’

સરસ્વતીચંદ્રે નિઃશ્વાસ મૂકી વાર્તા ચલાવી.

‘મુંબઈમાં તો એટલો જ વિચાર કર્યો હતો કે રત્નનગરી જવું અને અજ્ઞાતરૂપે તમારા મનની ઇચ્છા જાણી લેવી.’

કુમુદસુંદરી - ‘જાણીને શું કરવું હતું ?’

સરસ્વતીચંદ્ર - ‘તમારી પ્રીતિ પ્રજ્વલિત હોય તો તમારી પાસે છતા થઈ તમારા પિતાને મળવું ધાર્યું હતું. એ તમારા વિવાહને અનુકૂળ થાત તો સીતાને લઈ રામ ગયા ને દમયંતીને લઈ નળ ગયો તેમ હું તમને સાથે લઈ જાત. તમારા પિતા તમને અનુકૂળ ન થયા હોત તો તમારું પ્રારબ્ધ નક્કી કરવા તમે સમર્થ થાત ત્યાં સુધી હું મારી ઇષ્ટ યાત્રામાં મગ્ન રહેત અને સમયપરિપાક થતાં તમને મારી સાથે લેવા આવત.

તેમ ન થયું. સમુદ્રમાર્ગે રત્નનગરી આવતાં પ્રતિકૂળ પવનને લીધે દિવસ વીતી ગયા. ત્યાં આવ્યો ત્યારે તો તમે સુવર્ણપુર ગયાં હતાં. તે પછીનો ઇતિહાસ તમે જાણો છો.

કુમુદ - ‘હા...શ ! આજ મારા હૃદયનું મહાશલ્ય દૂર થયું. મને હાનિ કરનાર તમે ન નીવડ્યા - વિધાતા નીવડ્યો. મેં બે કટાક્ષનાં વચન કહ્યાં તે હવે ઉતાવળ કરી લાગે છે. આજ મને સિદ્ધ થયું જણાયું કે તમારી પ્રીતિમાં ધર્મ રહેલો છે ને તમારા ધર્મમાં આ રંક જાત ઉપર પ્રીતિ રહેલી છે. મેં તમને વગર તપાસે મહેણું દીધું. મને પ્રથમથી આ કેમ કહ્યું નહીં કે તમને એ વચન કહી દુઃખી કરવાના પાપમાંથી હું ઊગરત ? વારુ, ત્યારે મને લખેલા પત્ર કે શ્લોકમાં તો તે કંઈ ન હતું.’

સરસ્વતીચંદ્ર - ‘ના, ન હતું. એ પત્ર તો તમને મારા ભણીના ઋણમાંથી મુક્ત કરવા લખ્યો હતો; પણ રજની વાટ જુએ તો ફરતો ફરતો બીજે દિવસે ચંદ્ર પણ આવી પહોંચે એટલી બારી તમારી આશાને માટે મારા શ્લોકની અન્યોક્તિમાં ધ્વનિત હતી.’

કુમુદ - ‘હા ! મારામાં જ એટલી જડતા કે તે ધ્વનિ મારી પાસે બહેરા આગળના ગાયન જેવો રહ્યો. મારું ભાગ્ય જ ટૂંકું.’

કુમુદે કપાળે આંગળી અડકાડી.

સરસ્વતીચંદ્ર - ‘હવે આ સ્થાનમાં આ સમાગમ થવાનો પ્રસંગ આવતાં તમારે માટે બેત્રણ વિચાર મેં કર્યા છે ને બાકીના તમારે કરવાના રાખ્યા છે.’

કુમુદ - ‘કે’ -

સરસ્વતીચંદ્ર - ‘બ્રહ્મચર્ય અને ચતુર્થાશ્રમ તો એકલી સ્થિતિને માટે છે. ગૃહસ્થાશ્રમમાં દંપતી ગૃહમાં રહે છે. તો વાનપ્રસ્થમાં વનમાં રહે છે. ગૃહસ્થાશ્રમમાં તે સુખને માટે પ્રયત્ન કરે છે તો વાનપ્રસ્થમાં કલ્યાણને માટે પ્રયત્ન કરે છે. ગૃહસ્થાશ્રમના વ્યાપારો અપ્રયત્ને જેટલું કલ્યાણ થાય તેટલું થવા દે છે ને તેને માટે પ્રયત્નનો અવકાશ મળતો નથી. વાનપ્રસ્થમાં સુખાર્થને માટે તિરસ્કાર નથી તો પ્રયત્ન પણ કરવામાં આવતો નથી. અધર્મ અને પાપ તો ઉભયમાં વર્જ્ય છે. આવું વાનપ્રસ્થ આપણે માટે વિહિત છે. તેના ત્રણ પ્રકાર થાય છે. ત્રણેમાં પ્રીતિના અદ્વૈત યજ્ઞ સધાય છે. પ્રથમ પ્રકારમાં તારામૈત્રક યજ્ઞ સધાય છે. ચુડુબોધી અને તેની સ્ત્રી વનમાં પ્રવ્રજિત સ્થિતિમાં રહેતાં હતાં અને એક બીજાની દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ રહી સ્ત્રી સ્વામીની પરિચર્યા કરતી હતી અને સ્વામી સ્ત્રીને ઉપદેશ કરતો હતો. દંપતીની આવી અસ્પર્શ દૃષ્ટિસેવાનાં જડ દૃષ્ટાંત ચંદ્ર અને કુમુદનાં, ને સૂર્ય અને કમળનાં છે. એ દૃષ્ટિસેવાનાં આયુષ્યમાં દંપતીની વેદીઓ સમીપ અને પ્રત્યક્ષ રહે છે અને સૂક્ષ્મ શરીરરૂપ પશુનો સંયોગ રહે છે અને તેમના યાગવિધિમાં સર્વથા સર્વદા અદ્વૈત પામેલા પશુનાં અર્ધાંગ પ્રત્યક્ષ સમાગમથી યજ્ઞ કરે છે. એથી વધારે સમાગમ વાનપ્રસ્થ દંપતી એકાગ્નિ યજ્ઞમાં રાખે છે. રામ અને સીતાએ ને વિશ્વંભર અને તેની સ્ત્રીએ આવા યજ્ઞના એકાગ્નિ, વેદીઓએનું અદ્વૈત રાખી, રાખ્યા હતા. ત્રીજી સ્થિતિ પરોક્ષ વેદીની છે. એ સ્થિતિ વિહારપુરી ને ચંદ્રાવલીમૈયા પાળે છે તે. એ જ સ્થિતિ દ્રૌપદીએ વૈરાટરાજાના નગરમાં સૈરંધ્રિરૂપે પાળી હતી. એમાં આત્માગ્નિનું અદ્વૈત રહે છે ને ક્રિયાગ્નિની જ્વાળાઓ એક દિશામાં બળે છે પણ તેમની વેદીઓ પરસ્પરથી પરોક્ષ રહે છે. આ ત્રણ મર્ગ મને સૂઝે છે. એથી ચોથો તમને સૂઝે તે.’

કુમુદ - ‘એમાંથી કયા માર્ગમાં અધર્મનો ભય ? તમે સર્વ વાતમાં ધર્મવિચાર કરો છો તો ધર્મના અત્યયની ભીતિ ન રાખવાથી શાથી ધારી ? સર્વમાંથી કલ્યાણનો માર્ગ ક્યો? તમે જેને એકાગ્નિયજ્ઞ કહો છો તેમાં શું અધર્મની ભીતિ નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘લોકવ્યવસ્થા જેથી ઉત્તમ થાય અને અત્મસિદ્ધિમાં વિઘ્ન ન આવે એવાં બંધનથી સર્વ સાધુજનો જાતે બંધાય છે અને એ બંધન તે એમના ધર્મ અને એવા બંધનનો ત્યાગ તે અધર્મ. સંસારીજનો રાગદ્વેષથી અને અજ્ઞાનથી પોતાનો શુદ્ધ ધર્મ જાણી શકતા નથી, માટે તેમને માટે શાસ્ત્રાદિની આજ્ઞા અને વ્યવસ્થા છે. સાધુઓ પોતાના ધર્મઅધર્મ જાતે જોઈ શકે છે અને તેથી જ તેઓને મનઃપૂત કરેલા કાર્યને ધર્મરૂપ ગણવાનો અધિકાર છે. કુમુદસુંદરી ! મધુરી ! સાધુજનો જેને અધર્મ ગણે છે એવો અધર્મ તો મારા બતાવેલા એક પણ માર્ગમાં નથી. સંસાર જેને અધર્મ ગણુ છે તેનો ભય એકાગ્નિયજ્ઞમાં છે. જે કારણથી હું લોકાપવાદની અવગણના કરવી ધર્મ્ય ગણું છું તે જ કારણથી સંસારના માનેલા અધર્મની ઉપેક્ષા કરું છું. સંસાર છોડે તેને સંસારની વ્યવસ્થાના ધર્મ પાળવાની આવશ્યકતા નથી. તેમના ધર્મ તો નિષ્કામ અને મનઃપૂત માર્ગ ઉપર યાત્રા કરવામાં જ સમાપ્ત થાય છે.’

કુમુદ - ‘કામાદિ વિકારોને અવકાશ આપવો તે નિષ્કામતા કેમ કહેવાય ? એ તો વાંઝણીને પુત્ર છે કહીએ ને કામને નિષ્કામ કહીએ તે બે વાત એક જ જાતની થઈ ગણવી.’

સરસ્વતીચંદ્ર - ‘યજ્ઞાર્થ વેદીનું પોષણ અને તર્પણ ઉભય આવશ્યક છે. અન્ય તાપથી તપ્ત ન હોય તો જ વેદી યજ્ઞાગ્નિમાં તાપને વહેવાને માટે સમર્થ થાય છે. જો અંતરાત્માની સૂક્ષ્મ ગતિથી ત્રસરેણુકજીવન બંધાય જ તો તેની વેદીઓ અન્ય તાપથી અતપ્ત હોય તો જ યજ્ઞાગ્નિને માટે સમર્થ થાય છે. જઠરાગ્નિની શાન્તિથી જેમ એકાંગ વેદી પુષ્ટ થાય છે, તેમ કામાગ્નિની શાન્તિથી ત્રસરેણુક વેદી તુપ્ત થાય છે. કોઈ ધર્મકાર્યને માટે આ તાપને નષ્ટ કરવા આવશ્યક હોય તો સાધુજનો ક્ષુધાસહનને અને બ્રહ્મચર્યને પોતાના ધર્મરૂપ ગણે છે અને તેવે સમયે પણ જે ઇંદ્રિયગ્રામને વશ નથી રાખી શકતાં તે પામર અને કામકામી ગણાય છે. સાધુજનોના યજ્ઞવિધિને માટે ત્રસરેણુક જીવનને જે સમર્થ વેદી જોઈએ તે વેદીને કામાદિના પરાજયના કલેશમાં નાખવાથી નિર્બળ કરવામાં આવે ને તેથી યજ્ઞમાં ન્યૂનતા આવે તો સાધુઓ તેને એક પ્રકારની શમવિડંબનાના રૂપનો અધર્મ ગણે છે ને એવો અધર્મી ત્યાગી કામદ્વેષી ગણાય છે. માટે જે કામની તૃપ્તિમાં કામને કામ પણ નથી અને દ્વેષ પણ નથી તે કામને નિષ્કામ કહેલો છે ને તેનો યોગ સાધુજન વિના બીજાનાં હૃદયને થવો અશક્ય છે. મધુરી ! મેં જે માર્ગ દર્શાવેલા છે તે સર્વ માર્ગ સાધુજનોના સૂક્ષ્મ સનાતન ધર્મની દૃષ્ટિવડે પાવન કરેલા છે, તમને તેમાંથી જે પવિત્ર લાગે તે સ્વીકારવા અધિકારી છો.’

કુમુદ - ‘જે ક્લેશને શમવિડંબના કહો છો તેને શું આપે જાણી જોઈને સહન નથી કર્યો ? જો કર્યો છે તો તે ધર્મ ધારીને કે અધર્મ ધારીને કર્યો છે ? તેમાં ધર્મ હોય તો કયો છે ?’

સરસ્વતીચંદ્ર - ‘એ ક્લેશને અનુભવ્યો છે ને જાણી જોઈને ધર્મ ગણીને વેઠેલો છે. મારા યજ્ઞને તે ક્લેશ પ્રતિકૂળ નથી પણ એ ક્લેશનો અનારંભ પ્રતિકૂળ છે, અને માટે જ એ ક્લેશ મારે ધર્મરૂપ છે.’

કુમુદ - ‘એ છેલ્લી કહીતે પ્રતિકૂળતા કઈ પાસની છે ?’

સરસ્વતીચંદ્ર - ‘શુદ્ધ અપ્રતિહત દંપતીધર્મમાં પણ કામાદિનો એકને આદર હોય ને બીજાને અનાદર હોય તો તેની તૃપ્તિ આદરવાળા અંગે શોધવી અધર્મ છે; અને આદરવાળાના આદરને અનાદત જન પ્રતિકૂળ થાય તો તે એ અનાદરવાળાના અંગનો અધર્મ છે.’

કુમુદ - ‘ધર્મ બેનો એક હોય. એકનો ધર્મ તે બીજાનો અધર્મ કેવી રીતે થાય ?’

સરસ્વતીચંદ્ર - ‘દરિદ્ર યજમાનને ઘેર પૂજ્ય અતિથિ આવે ત્યારે દરિદ્રતા છતાં યજમાન આદર કરે તે જ તેનો ધર્મ અને એ દરિદ્રતામાં ઉમેરો થવા દઈ અતિથિ એ આદરનો સ્વીકાર કરે તો તે એ અતિથિનો અધર્મ.’

કુમુદ - ‘એક પાસ આદર અને બીજી પાસ અનાદર હોય તો રસભંગ તો થાય જ, પણ દયાળુ યજમાનનો ધર્મ તે અતિથિનો અધર્મ સંભવી શકે એવી સૂક્ષ્મ વ્યવસ્થાને પ્રસંગ આજ જ જાણ્યો.’

સરસ્વતીચંદ્ર - ‘રસભંગ થાય તે જડતાથી અને ધર્મભંગ થાય તે દુષ્ટતાથી.’

કુમુદ - ‘સત્ય છે. આપ શુદ્ધ ધર્મ ને શ્રેષ્ઠ રસના માર્ગના પ્રાજ્ઞ છો. મારું હૃદય આજ અપૂર્વ શાન્તિ અનુભવે છે અને મારી વાસનામાત્ર તૃપ્ત થઈ લાગે છે. હવે માત્ર મારો ધર્મ શો તે વિચારવાનો ધર્મ પણ આપે મારે શિર મૂક્યો તેટલું બાકી.’

સરસ્વતીચંદ્ર - ‘હૃદય હૃદયની દૃષ્ટિ ભિન્ન હોય છે, શક્તિ ભિન્ન હોય છે, અને પોતપોતાની દૃષ્ટિનું ને વૃત્તિનું સંવેદન તો સર્વ જાતે જ કરી શકે છે માટે આ વ્યવસ્થા તમને દર્શાવી છે.’

કુમુદ - ‘સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતમાં દૃષ્ટિનાં તેમ શક્તિનાં સંવેદન પણ અદ્વૈત પામે છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ પ્રીતિની પરિપાકદશાનું ફળ થાય છે.’

કુમુદ - ‘હું એ દશાની વાટ જોઈશ.’

સરસ્વતીચંદ્ર - ‘તમે તે જોવા અધિકારી છો.’

કુમુદ - ‘આપણી પ્રીતિના આદિકાળમાં, આપે જે વચનામૃત મારા હૃદયમાં મારાથી જિરવાય એવું કરી રેડ્યું હતું તે જ વચનામૃતના અનુભવનું અત્યારે આસ્વાદન કરું છું. પ્રિય ચંદ્ર ! તમે જે રસધર્મ સમજાવ્યા તેના દાનથી તમારા મનની ને તેના ગ્રહણથી મારા મનની શાન્તિ અને તૃપ્તિ દેખાય છે તે તે વચનામૃતના અનુભવનો સ્વાદ આપે છે.’

સરસ્વતીચંદ્ર - ‘કયું તે વચન ?’

કુમુદ - ‘તે કહું

ર્

ેંિ કીીં ર્હુ, ીદૃીિઅ ઙ્મટ્ઠદ્બ,

છિી જટ્ઠહઙ્ઘટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ુૈંર ષ્ઠટ્ઠઙ્મદ્બ,

છહઙ્ઘ ંરી ઙ્ઘીુર્ કર્ ેિ ુૈહખ્તજ ૈજ ટ્ઠ ટ્ઠિૈહર્ ક હ્વઙ્મટ્ઠદ્બ;

છહઙ્ઘ હ્વીર્અહઙ્ઘર્ ેિ ીઅીજ

્‌રી રેદ્બટ્ઠહ ર્ઙ્મદૃી ઙ્મૈીજ

ઉરૈષ્ઠર દ્બટ્ઠાીજ ટ્ઠઙ્મઙ્મ ૈં ખ્તટ્ઠડીજર્ હ ટ્ઠટ્ઠિઙ્ઘૈજી.

...માત્ર ભૂતકાળનું સ્મરણ થાય છે ત્યારે આ શાન્તિ ભગ્ન થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘તરતિ શોકમાત્મવિત્‌’ એ શ્રુતિનો યથાર્થ અવબોધ આ શાન્તિના વરસાદને વરસાવે છે તેનો અભિષેક તમે પણ કાળક્રમે અનુભવશો ને અંગ્રેજીમાં પણ એ જ કવિ માર્ગ દર્શાવે છે કે

ર્‌ જીેકકીિર્ ુીજ ુરૈષ્ઠર ર્રી ંરૈહાજ ૈહકૈહૈીં;

ર્‌ ર્કખ્તિૈદૃી ુર્િહખ્તજ ઙ્ઘટ્ઠિાીિ ંરટ્ઠહ ઙ્ઘીટ્ઠંરર્ િ હૈખ્તરં;

ર્‌ ઙ્ઘીકઅ ર્ઁુીિ ુરૈષ્ઠર જીીદ્બજર્ દ્બહૈર્ીંહં;

ર્‌ ર્ઙ્મદૃી ટ્ઠહઙ્ઘ હ્વીટ્ઠિ; ર્ં ર્રી ૈંઙ્મઙ્મ ર્રી ષ્ઠિીટ્ઠીંજ

હ્લર્િદ્બ ૈંજર્ ુહ ુિીષ્ઠા ંરી ંરૈહખ્ત ૈં ર્ષ્ઠહીંદ્બઙ્મટ્ઠીંજ;

દ્ગીૈંરીિ ર્ં ષ્ઠરટ્ઠહખ્તી, ર્હિ કટ્ઠઙ્મીંિ, ર્હિ િીીહં;

ર્ય્ર્ઙ્ઘ, ખ્તિીટ્ઠં, ટ્ઠહઙ્ઘ ર્દ્ઘર્એજ, હ્વીટ્ઠેૈંકેઙ્મ ટ્ઠહઙ્ઘ કિીી;

્‌રૈજ ૈજ ટ્ઠર્ઙ્મહી ઙ્મૈકી, ર્ત્નઅ, ઈદ્બૈિી, ટ્ઠહઙ્ઘ ફૈષ્ઠર્િંઅ.’

કુમુદ - ‘એ પણ સમજાવેલું છે હવે સત્ય લાગે છે. માત્ર આ કલ્યાણની સિદ્ધિઓ હવે પછીનો માર્ગ કેવો લેવો તેને માટે વિચાર કરવાનો મને સોંપેલો છે તે મારે કરવાનો બાકી રહે છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમારા સુંદર હૃદયમાં જે બુદ્ધિ અને અભિલાષ થશે તે સુંદર થશે.’

કુમુદ - ‘એનો કંઈ નિયમ નથી.’