Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૫ : સિદ્ધલોકમાં યાત્રા ને વિદ્ધાંગનાઓનો પ્રસાદ

અથવા

શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું અંગત સ્વપ્ન

Before the starry threshold of Jove’s Court

My mansion is, where those immortal shapes

Of bright aerial spirits live insphered

In regions mild of clam and serene air,

Above the smoke and stir of this dom spot

Which men call Earth, and with low-thoughted care,

Confined and pestered in this pinfold here,

Strive to keep up this trail and feverish being,

Unmindful of the crown that Virtue gives,

After this mortal change, to her true servants

Amoungst the enthroned gods on sainted seats.

Yet some there be that by due steps aspire

To lay their just hands on that golden key

That opes the palace of Eternity.

To such my errand is; and, but for such,

I would not soil these pure ambrosial weeds

With the rank vapours of this sin-worn mould.

- Milton’s ‘Comus’

બે જણ થોડી વાર નીચું જોઈ, થોડી વાર એકબીજાનાં સામું એકીટશે જોઈ, બેસી રહ્યાં. ફલાહારનું પાંદડું ખાલી થઈ ક્યારનું વચ્ચે પડી રહ્યું હતું તેને એક પવનને ઝપાટે હવામાં ઉરાડી દીધું, અને ઊડીને સરસ્વતીચંદ્રના ખોળામાં, જ્યાં પ્રથમ કુમુદ સૂતી હતી ત્યાં, પડ્યું. કુમુદનું લક્ષ એણીપાસ પ્રથમ ખેંચાયું ને એણે એ પાંદડું લઈ લીધું, ને ઊઠીને બહાર નાખી દીધું. પાંદડું લેતાં લેતાં થયેલા અજ્ઞાત સ્પર્શના મન્મથ ચમત્કારને બળે બહાર નાખવા જતી જતી અને નાંખતી પણ તે કંઈક પરવશ થતી હતી, અને પાણીનો હેલારો એક પાસનો થાય ને પવનનો ઝપાટો સામી પાસનો આવે ત્યારે કમળની નાળ એક પાસ ખેંચાય ને તેનું પત્રસંપુટ અવળું વળી જાય તેમ તે નાળ જેવું શરીર રવેશ ભણી ખેંચાયું અને મુખકમળ પાછું વળતું હતું. સરસ્વતીચંદ્ર પણ બેઠો બેઠો તે જ જોયા કરતો હતો અને સમુદ્રની ભરતીની સામે માછલાં તણાય તેમ એના તનમનના વેગ સાથે એની આંખો પણ આમ આગળ ધકેલાતી હતી. છતાં એ ઊઠ્યો નહીં અને કુમુદ પણ આવીને પ્રથમને સ્થાને પાછી બેઠી. બેસતાં બેસતાં આકાશને ને ચંદ્રને જોઈ રહી કહેવા લાગી.

‘અર્ધ રાત્રિ વીતી ગઈ. આપ હવે કંઈ નિંદ્રા લેશો ?’

‘હા.’

‘કયું સ્થાન આપને ઇષ્ટ થશે ?’

‘જે તમને ઇષ્ટ હશે તે જ મને ઇષ્ટ થશે.’

કુમુદ વિચારમાં પડી જોઈ રહી. ‘આ વાક્ય દ્વિઅર્થી નથી ? એનો અર્થ કેવો લેવો?’ મનમાં શંકા થઈ ને મને જ તેનું સમાધાન કરી ઉત્તર દેવડાવ્યો. ‘પ્રિય ચંદ્ર ! મારે માટે જ ઇષ્ટ હોય તે જ આપને માટે ઇષ્ટ હોવાનો સંદેહ છે ત્યાં સુધી આપને માટે મને આપનાવાળી ગુફા ઇષ્ટ છે ત્યાં સૌમનસ્યગુફામાં આપ પધારો, અને હું મારે માટે આ જ સ્થાન ઇષ્ટ ગણું છું. આપ હવે પધારો.’

‘એ જ ઉત્તમ વાત છે.’ સરસ્વતીચંદ્ર ધીમે રહી ઊઠ્યો, જરીક વાર દૃષ્ટિ વડે કુમુદનું સર્વાંગ ધ્યાનમાં લઈ લેઈ, પુલ ભણી ફર્યો અને ઘણી વાર લગાડી પગલા પછી પગલું ભરતો ચાલ્યો. કુમુદ પણ ઊઠી તેની પાછળ પાછળ ચાલી - તેને એણે જોઈ પણ કંઈ બોલ્યો નહીં. કુમુદે પોતાને માટે પાથરેલી પથારી સાથે લઈ લીધી અને બે જણ સૌમનસ્યગુફામાં પુલ ઉપર થઈને આવ્યાં. સાધુજનોએ સરસ્વતીચંદ્રને માટે વસ્ત્ર પાથર્યું હતું તે કુમુદે લઈ લીધું, તેને સ્થાને પોતાની કંઈક જાડી પથારી પાથરી, તે ઉપર મૂળ વસ્ત્ર ચાદર પેઠે પાથર્યું અને પોતે પાછી ફરી.

સરસ્વતીચંદ્ર - ‘તમે એવી શિલા પર સૂશો ને મને આ કોમળ પથારીમાં સૂવાની આજ્ઞા કરશો તો મને નિદ્રા નહિ આવે.’

કુમુદ - ‘પથારી એક ને સૂનાર બે ત્યાં પૂજનીય જને પથારીનો સ્વીકાર કરવો એ પૂજક જનના ઉપર અનુગ્રહ કરવાનો માર્ગ છે.’

સરસ્વતીચંદ્ર - ‘સાધુજનોમાં એવાં ભેદના કાર્ય વર્જ્ય ગણાય છે.’

કુમુદ - ‘હું હજી સાધુતા પામી નથી. મારું હૃદય હજી સંસારી જ છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે સાધુ જ છો.’

કુમુદ - ‘આપ મારા અતિથિ છો.’

સરસ્વતીચંદ્ર - ‘મને શિલાશયનનો પરિચય છે ને મને પ્રિય પણ તે જ છે અથવા તમે મારાં અતિથિ છો.’

કુમુદ - ‘મને ગમતી વાત કરવાનું આપે વચન આપેલું છે.’

સરસ્વતીચંદ્ર - ‘હું બંધાયો છું - તો વધારે નહીં તો આ મારાવાળું જ વસ્ત્ર અને મારી કન્થાનો સ્વીકાર કરી લઈ જાઓ ને તેના ઉપર શયન કરજો.’

કુમુદ - ‘ભલે એટલાથી પ્રસન્ન થાઓ.’

કુમુદ તે લઈને પુલ ઉપરથી ચાલી. સરસ્વતીચંદ્ર સૂઈ ગયો. કુમુદ કન્થા વગેરે ખોળામાં લઈને પોતાની ગુફામાં ઓટલા પર બેઠી. તેને નિદ્રા દેખાઈ નહીં. કન્થાને જોઈ રહી અને તેને એક હાથે ઊંચી કરી જોવા લાગી.

‘કુમુદ ! જેના પવિત્ર ખોળામાં તારા ભ્રષ્ટ શરીરને અદૂષિત વાસ મળ્યો તેની પવિત્ર કન્થાને શું તું તારા શરીર નીચે દાબી ચાંપીને નિદ્રા પામીશ ? મહાત્માના શરીરનું રક્ષણ કરનારી પવિત્ર કન્થા ! આજની રાત તને એ મહાત્માનો પ્રસાદ ગણી મારી છાતી સાથે ચાંપી રાખીશ અને તારી પવિત્ર હૂંફથી નિદ્રા પામીશ. કન્થા ! આ પતિત હૃદયને તું પાવન કરજે.’

એ વસ્ત્રો બે હાથ વચ્ચે ઘાલી, છાતી સરસા ચાંપી રાખી, કુમુદ ઓટલા ઉપર સૂતી. સૂતાં સૂતાં પણ નિદ્રાને ઠેકાણે વિચાર આવવા લાગ્યા ને આંખો મીંચાઈ ઊઘડવા ઊઘડી મીંચાવા લાગી.

‘શુદ્ધ પ્રીતિ તે આ જ ! - મારા હૃદયમાંની નહીં પણ એ મહાત્માના હૃદયમાં છે તે જ ! કેવું ઉદાર અને શુદ્ધ હૃદય ! મારી ક્ષુદ્રતા તો એમાં વસતી જ નથી ! મારા ઉપર આ તે કેવો પક્ષપાત ! સંસારમાં પિતાના કરતાં પત્ની ઓછી ગણાય છે. પિતાના કરતાં, માતાના કરતાં, ને કુટુંબમાત્ર કરતાં પતિને વિશેષ ગણવા એ વાતને ઉત્તમ ગણનાર જે સંસાર છે તે જ સંસાર પત્ની ભણી આવો ધર્મ ગણતો નથી ને એ ધર્મને અધર્મ ગણે છે. મારો ચંદ્ર મારે માટે એ અધર્મ ગણાતો ધર્મ પાળે છે, ને સાધુજનો તે વાતનું અનુમોદન કરે છે ! મારું શરીર અન્ય સ્થાનને વરી ચૂક્યું. વરણની મારી પ્રતિજ્ઞાઓને પળાવવા મારા ચંદ્ર ઇચ્છે છે; ને આ શરીર સંપૂર્ણ રીતે તેમને વશ હોવા છતાં, મનને વારી શકે છે - મનને મારે છે ! કેવી પ્રીતિ ! એનો બદલો હું શી રીતે વાળું ? એમને માટે હું શું કરું ?

મન મારવું એ કેવું કઠણ કામ છે ? મને તેનો ક્રૂર અનુભવ થયો છે ને ઈશ્વરકૃપાએ આપેલાં નિમિત્તોથી - મારા બળથી નહીં - હું ફાવી શકી. પણ આ તો પોતાને બળે જ જીતે છે ! હું એમને સ્વાધીન છતાં જીતે છે ને તે શા માટે ? પોતાને તો ધર્મનો અત્યયને ને લોકના અપવાદનો પણ વાંધો નથી; માત્ર જે મને અનિષ્ટ છે તેને તેટલાથી જ એ અધર્મ ગણે છે.

આજે હું પણ મનને વારી શકી છું. મેં તો મનને માત્ર વાર્યું પણ એમણે તો માર્યું. હું તો સંસારના સ્વાદની અનુભવીયણ છું પણ એમનાં રસેંદ્રિય તો આજ સુધી અભોક્તાની દશામાં જ રહ્યાં છે, ભોગના અનુભવનો રસ કલ્પનામાં પૂર્ણ વિકાસથી સ્ફુરે છે ને હૃદયમાં ભરેલો છે, છતાં આવે પ્રસંગે મર્યાદા ન તોડવાની એ હૃદયમાં અપૂર્વ શક્તિ છે તે આજ મેં જોઈ ન હોત એવી શક્તિ કોઈમાં પણ હોય એમ હું માનત નહીં. આવા દૃઢ હૃદયને ઢાંકનારી પવિત્ર કન્થા !’ કન્થાને છાતીમાં ચાંપી, આંખો મીંચાઈ ગઈ. કેટલીક વારે ઝબકીને જાગી.

‘એ શરીરમાં જ્વર હતો. આંખોમાં પ્રવાહ મારા શરીર ઉપર હતો. એ હૃદયની વાસના સ્પષ્ટ હતી. ફલાહાર ! માત્ર આંગળીને જ આંગળી અડકી હતી પણ - પણ

એ જ્વર મારે માટે, એ તુમુલ મનોમંથન મારે માટે જ - એ એમનું મહાયુદ્ધ મારી ઇચ્છાના અભાવને લીધે જ -’

વળી, નિદ્રા આવી. વળી કંઈ ભયંકર સ્વપ્ન થતાં છળી ગઈ ને જાગી ઊઠી બેઠી થઈ.

‘હું નિર્દય છું. ને તે પણ એમના ભણી નિર્દય છું ! દયા ધર્મકો મૂલ હૈ ! આ સ્થાનમાં જ્વરના વેગથી એમના શિરમાં પિત્ત ચડી જશે - તો -’

વળી સૂઈ ગઈ ને નિદ્રા પણ આવી. વળી જાગો.

‘નિદ્રા ! તું કેમ આમ દૂર રહે છે ? આજ તો નિશ્ચિન્ત છે ને તૃપ્ત છે. હવે એ સ્વચ્છંદી મન શામાં ભમે છે ને નિદ્રામાં વિઘ્ન પાડે છે તે મને પોતાને પણ સૂઝતું નથી.’

આંખો ચોળતી ચોળતી કન્થા ખોળામાં રાખી બેઠી થઈ.

‘હું જોઉં તો ખરી કે એમની પણ મારા જેવી સ્થિતિ તો નથી ને હવે એમના જ્વરનું કેમ છે ?’

ધીમે ધીમે તે પુલ ઉપર ગઈ ને સામેના દ્વારમાં એક હાથ કેડે દઈ ને બીજા હાથની બગલમાં કન્થા વગેરે રાખી ઊભી રહી :

સામા ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સૂતો હતો. એ ઓટલો પાંચ-છ હાથ લાંબો ને એક હાથ પહોળો હતો. એના એક છેડા ઉપર પગ રાખી તેના મધ્ય ભાગમાં માથું રાખી, સરસ્વતીચંદ્ર સૂતો હતો, ઊંઘતો હતો ને લવતો હતો.

‘એકના દુઃખમાં અનેકનાં દુઃખ જોઉં છું. કુમુદસુંદરી, ચંદ્રકાંત, તરંગશંકર, ઉદ્ધતલાલ, ગુણસુંદરી, સૌભાગ્યદેવી - સર્વનાં દુઃખ સૂક્ષ્મદર્શક કાચવડે જોઈ લીધાં અને ઓ મારા આર્ય દેશ, તારી ભયંકર અનાથતા જોઈ હું કંપું છું. હું શું કરું ? કુમુદસુંદરી ! તમારો ત્યાગ મેં ન કર્યો હોત તો તમારા અદ્વૈત સહચારમાં રહી દેશની આ સ્થિતિ સુધારવા હું મથત. કુંવારો પુરુષ આ દેશમાં સ્ત્રીઓમાંથી બહિષ્કાર પામે છે, અને સ્ત્રીવર્ગનું કલ્યાણ તમારા જેવી સ્ત્રીના સાધન વિના અશક્ય છે - પણ હવે કામવનમાં વાઘવરુ તમારા સહચારના માર્ગ વચ્ચે ઊભાં રહે છે ને મને કંપાવે છેફ’

તે લવતો બંધ પડ્યો ને કુમુદસુંદરી સર્વ સાંભળતી હતી તે છેક પાસે આવી ને કન્થા પોતાને ખભે નાખી સુંદર કાન્તવદન જોતી ઊભી રહી.

‘ઓ મારા દેશવત્સલ રસિક પવિત્ર કાન્ત ! એટલું કુમુદથી બોલાઈ જવાયું. સૂતેલા નરના શરીર ઉપરના માત્ર પવનને જ - હાથ પહોળા લાંબા કરી - આલિંગન દીધું ને હાથ નીચા પડતા પહેલાં પાછા ખેંચી લીધા, સૂતેલા અધરપુટ ઉપર બે તસુ ઊંચે જાગતું અધરપુટ પળવાર લટકી રહ્યું અને ચડેલો મેઘ વર્ષ્યા વિના વેરાઈ જાય તેમ, જાતે જ પાછું ઊંચું થઈ ગયું, અને પ્રથમ ઊભી હતી તેમ ટટ્ટાર ઊભી રહી. એમ ઊભી રહેતાં રહેતાં લવી. ‘આવી સુંદર પવિત્ર યોગમૂર્તિને મારા દુષ્ટ સ્પર્શથી દૂષિત ખંડિત નહીં જ કરું.

વળી સરસ્વતીચંદ્ર લવ્યો :

ર્‘ંર, જેદ્બર્દ્બહૈહખ્ત જંટ્ઠજિ ! ૈં ર્ષ્ઠદ્બી !ર્ ંર, ર્દ્બેહિકેઙ્મ ીટ્ઠિંર ! ર્હ્લિ ંરીી ટ્ઠહઙ્ઘ ંરૈહ,ી ૈં ઙ્મટ્ઠઅ ટ્ઠજૈઙ્ઘી દ્બઅ ર્એંર, સ્અ ંરર્િહી, દ્બઅ ર્દ્ઘઅજ, દ્બઅ ર્ખ્તઙ્મઙ્ઘીહ ઙ્ઘટ્ઠઅજ, દ્બઅ હૈખ્તરં, સ્અ રટ્ઠઅ ટ્ઠઙ્મટ્ઠષ્ઠી ટ્ઠહઙ્ઘ ંરૈહી ટ્ઠદ્બિજ, જુીીં ઊેીીહ ! ૐટ્ઠઙ્ઘિીિ ર્ં ેં ટ્ઠજૈઙ્ઘી ંરટ્ઠહ ટ્ઠઙ્મઙ્મ ંરી િીજં !

* * *

ર્દ્ગુ ટ્ઠદ્બ ૈં કૈટીઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ર્હુ ૈં ુૈઙ્મઙ્મ ઙ્ઘીટ્ઠિં !

* * *

છહઙ્ઘ ર્હુ ંરી ર્રેિ ૈજ ર્ષ્ઠદ્બી ુરીહ ૈં જર્રેઙ્મઙ્ઘ ૂેૈં

્‌રૈજ ર્ખ્તઙ્મઙ્ઘીહ િૈર્જહ ુરીિી દ્બઅ રીટ્ઠિં ૈજ ષ્ઠટ્ઠખ્તીઙ્ઘ !’

આ સ્વપ્નના ઉદ્‌ગાર સાંભળતી કુમુદ ઊભી રહી અને એની આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં.

‘નક્કી - એમના ત્યાગકાળનું જ આ મનોરાજ્ય એમને આ સ્વપ્ન રૂપે પ્રત્યક્ષ થાય છે ને એમના મહાત્યાગનું કારણ પણ આવું સૂક્ષ્મ, સુંદર અને કલ્યાણકારક છે !’

પોતાના હૃદય પર હાથ મૂકી લવી

‘ક્ષુદ્ર હૃદય ! આવા મહાશય હૃદયને તારી પ્રીતિના પાંજરામાં પૂરવાની તારી યોગ્યતા તે તેં શાથી જાણી ? એ હૃદયના તો કોઈ નાના સરખા ખૂણામાં પણ પડી રહેવાને તેને સ્થાન મળે તો પણ તારું મહાભાગ્ય અને એમની પરમકૃપા. મેં એમના પર દોષ ધર્યો, એમને દોષ દીધો, એમના ભણીની અનેક આશાઓ રાખી, એ સર્વ મારી જડતા અને દુષ્ટતાનું જ પરિણામ ! યોગિરાજ ! મને ક્ષમા કરો. તમારો ચરણસ્પર્શ કરવાનો માત્ર અધિકાર માગું છું અને તે પણ તમારી ક્ષમા માગવાને માટે ! તમે તો ક્ષમાથી પણ વિશેષ આપ્યું છે, આટલાથી પણ અનેકધા વિશેષ અધિકાર વગરમાગ્યે આપી દીધો છે ! તમે તમારે કરવાનું મારું આતિથેય કરી ચૂક્યા, પણ તેનો સર્વ રીતે લાભ લેવાની મારી યોગ્યતાનો વિચાર કરવાનો ધર્મ મારે શિર બાકી છે. મારે આવી સુંદર યોગમૂર્તિને ખંડિત નથી કરવી ! માત્ર ચરણસ્પર્શ જ કરીશ.’

કુમુદ ધ્રૂજતી ધ્રૂજતી આ ચરણ ભણી ગઈ અને ચરણ આગળ કંઈક જગા હતી ત્યાં, ચરણ ભણી દૃષ્ટિ કરી રહી, બેસી ગઈ, બેસી રહી પણ ચરણનો સ્પર્શ કરવા છાતી ચાલી નહીં.

‘મહાત્માના ચરણસ્પર્શમાં તો સંસાર પણ દોષ ગણતો નથી ને એ તો પાવન થવાનો જ માર્ગ છે.’

સરસ્વતીચંદ્રના ચરણનાં ચાપવાં એણે ધીરે રહી, ધીમેથી, ઝાલ્યાં, ત્યાં પોતાનું મસ્તક અરકાડ્યું, ચરણનાં તળિયાંને મધ્ય ભાગે ચુંબન કર્યું, અને અંતે તે તળિયાં પોતાના ખોળામાં મૂકી, હાથ વડે ઝાલી રાખી, ભીંતને ટેકે, કન્થાને ઉશીકે રાખી, બેઠી બેઠી ગાઢ નિદ્રાને વશ થઈ ગઈ. સરસ્વતીચંદ્ર પણ લવતો બંધ થઈ ગયો ને નિદ્રાદેવી એકલી જાગતી રહી.

નિદ્રા જાગતી હતી અને પોતાને વશ થયેલાં હૃદયમાં સ્વપ્નની સામગ્રી ભરતી હતી.

આપણા તેમ પાશ્ચાત્ય વિદ્વાનોનો એક અભિપ્રાય છે કે જાગૃત દશાના સંસ્કારોથી થતા પ્રત્યય સ્વપ્નરૂપે સ્ફુરે છે. પણ આ વિષયનું શાસ્ત્ર નથી વધારે ઝાઝું ધપ્યું નથી. સ્વપ્નમાં કોઈ કવિતા રચે છે તો કઈ શાસ્ત્રવિચાર પણ સાધે છે. આ સર્વ વાતો તો સાંભળી છે પણ બે જણને એક જ સ્વપ્ન એક જ કાળે થતું સાંભળ્યું નથી પણ તેનો અનુભવ સૌમનસ્યગુફામાં આજ થવા લાગ્યો.

સરસ્વતીચંદ્ર ચતો સૂતો હતો અને એના મુખ ઉપર ચંદ્રનો કોમળ પ્રકાશ પથરાયો હતો. એના કારણ આગળ બેઠેલી નિદ્રાવશ કુમુદની આંખો નિદ્રામાં પણ અર્ધઉઘાડી રહી જતી હતી અને પ્રથમ જોનારને તે જાગતી જાગતી સરસ્વતીચંદ્રને એકીટશે જોઈ રહેલી લાગે એવી એની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં તેમને સાથેલાગો સ્વપ્નોદય થવા લાગ્યો અને સ્વપ્નમાં પણ એક જ દર્શન થવા લાગ્યું. તેનું કારક અનેક રીતે કલ્પાઈ શકે છે. લલાટ પાછળના અંતર્ભાગમાં મનુષ્યનું મસ્તિક છે ને સ્વપ્નસૃષ્ટિ તેમાં ઉદય પામે છે. સરસ્વતીચંદ્રના મસ્તિકમાંથી સ્વપ્નસૃષ્ટિનું કારણભૂત તેજ, એના લલાટ બહાર લલાટ ઉપર રમતા, ચંદ્રપ્રકાશમાં ચંદ્રકિરણની નાડીઓમાં, વાદળીમાં પાણી ચડે તેમ, નાડી-આકર્ષણથી આકર્ષાઈ ચડ્યું હોય એને તેમાંથી કુમુદની આંખના ઉઘાડા ભાગમાં થઈને એના મસ્તિકમાં ગયું હોય; અથવા ચંદ્રપ્રકાશમાં જ ઉત્પન્ન થયેલું સ્વપ્ન બે જણનાં સામસામાં મસ્તિકોમાં સાથે લાગું સર્યું હોય; અથવા નવા શોધાયેલા ‘રોજ્જન’ કિરણના યંત્ર જેવી શક્તિ કોઈ સંયોગની કુમુદના મસ્તિકમાં આવી હોય ને તેના પ્રભાવથી તે પ્રિયજનના મસ્તકને કે હૃદયને પારદર્શક કરી જોઈ શકી હોય; અથવા બેના ગ્રહસંયોગે આ દશા આણી હોય; અથવા પ્રાણવિનિયમના કોઈ નિયમથી આ ચમત્કાર બન્યો હોય; અથવા કુમુદે કરેલા ચરણસ્પર્શથી જ એને આ સંગતસ્વપ્નનો લાભ પ્રાપ્ત થયો હોય; અથવા વિષ્ણુદાસ બાવાએ આજથી સાધવા માંડેલી યોગસિદ્ધિનું જ આ ફળ એમના પરાક્રમરૂપ - હોય. આમાંથી ગમે તે એક અથવા અનેક કારણે બળે અથવા અઘટિતઘટના ચરવામાં પ્રવીણ કહેવાતી માયાના ગમે તે બીજા કાર્યને બળે આજે બે મસ્તિકમાં બળવાન સંગત સ્વપ્નોદય થલા વાગ્યો. આ જાગતી સૃષ્ટિની કથા મૂકી, પ્રિય વાંચનાર, આપણે પણ ગુપ્ત શાંત રહી આ સ્વપ્નસૃષ્ટિમાં પ્રવેશ કરીશું, સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પાછળ પાછળ ચાલ્યા જઈશું, અને આપણાં ચર્મચક્ષુથી જે જોવાય તે જોઈશું.

ચંદ્ર મધ્યાકાશમાંથી પશ્ચિત દિશા ભણી ઊતરવા લાગ્યો ત્યાં સુધી તેનો પ્રકાશ સરસ્વતીચંદ્ર ઉપર પડતો તે હવે માત્ર એના મુખ વિના બીજા ભાગ પરથી ક્રમે કરી બંધ થયો. ચંદ્ર વસંતગુફાથી ઢંકાયો અને સૌમનસ્યગુફામાં અંધકાર આવ્યો. છેક તળિયાને ભાગે સાધુઓ ગાઢ અસ્વપ્ન નિદ્રામાં પડ્યા હતા અને ઉપલે માળે સરસ્વતીચંદ્ર અને કુમુદ ઊંડી પણ સ્વપ્નભરી એકાંત નિદ્રામાં હતાં. ગુફા બહાર શાંત અને ધીરા પવનના સર્વ પારદર્શક ભાગમાં ચંદ્રિકા ઊતરી પડી હતી અને ઝાળક સર્વ સ્થાનોની બહારની સપાટી ઉપર શીતળતા ભરતું હતું. સૌમનસ્યગુફાના આ અંધારા ખંડમાં આ પ્રસંગે સર્વ વસ્તુ દેખાતી બંધ થઈ, અને અંધકારની ઘાડી છાયાને જોવાને કે જોઈને બાવાને હવે કોઈ રહ્યું નહીં.

સરસ્વતીચંદ્ર આ વેળાએ પોતાના સ્વપ્નમાં આ ગુફાની બહારના ઝરાઓની એક પાસની પાળ ઉપર થઈને ચાલતો હતો અને કુમુદસુંદરી પણ એની પાછળ પાછળ બોલ્યા ચાલ્યા વિના ચાલતી હતી. તે પોતાની પાછળ છે કે નહીં એ વાત સરસ્વતીચંદ્રના ધ્યાનમાં હોય એવું અનુમાન કરવાનું ચિહ્ન ન હતું; માત્ર તે એટલા ધીમે પગલે ચાલતો હતો કે કુમુદ થાકે નહીં એવા વિચારથી જ આમ ચાલતો હોય એવું અનુમાન થઈ શકે એમ હતું. હવે આપણે નામ દઈશું તે આ સ્વપ્નમાંના જીવોનું ગણવું અને સર્વ સૃષ્ટિ પણ સ્વપ્નની જ ગણવી.

ઝરાના પાણીમાં ચંદ્રિકા પ્રસરતી હતી અને તેની સાથે આ પાળ ઉપર ચાલનારાનાં પ્રતિબિંબનું જોડું પણ તેમાં પડતું હતું અને તેમની જોડે જોડે ચાલતું હતું. આમ ઘણીવાર ચાલ્યાં ને અંતે એક કિલ્લા જેવી ભીંત જણાઈ. તેની વચ્ચે મોટું ઊંચું ગોપુર હતું એમાં થઈને બે જણ બહાર નીકળ્યાં. ત્યાં એક મોટા ચોગાનમાં આવી ઊભાં રહ્યાં. ચારે પાસ અંધકારના સ્તંભ જેવાં વૃક્ષ ઊભાં હતાં અને પાંદડાંના ખડખડાટથી તેમાં પવનની ગતિ જણાતી હતી. પૂર્ણ ચંદ્રનું બિંબ માથે આવ્યું ને ઊંચાં મુખ કરી બે જણે જોયું ત્યાં એ ચંદ્રની નીચે થઈને એક રૂપેરી વાદળી સરવા લાગી ને ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. પાછું પૃથ્વી ઉપર જુએ તે પહેલાં તો વાદળીમાંથી ફૂલના ગોટા જેવો કંઈક પદાર્થ નીચે સરી પડતો લાગ્યો.

આ રૂપાનાં ફૂલના જેવો ગોટો જેમ જેમ નીચે ઊતરતો ગયો તેમ તેમ મોટો થતો ગયો, અને મોટો થતો ગયો તેમ વધારે વધારે સ્પષ્ટ દેખાતો ગયો. થોડીક વારમાં તે કોઈ દેવીના જેવા આકારવાળો લાગ્યો. કુમુદસુંદરી નીચે હાથ જોડી એક પાસ ખસી ગઈ, અને સરસ્વતીચંદ્ર બીજી પાસ ખસી ગયો ને એ દેવીને બે જણની વચ્ચે ઊતરવાનો માર્ગ આપ્યો. એ દેવીનું અંગ સ્ફટિકમણિ જેવું હતું અને સ્ફટિકની મૂર્તિપેઠે બે જણની વચ્ચે આવી ઊભી. જુએ તો સૌભાગ્યદેવીની જ આકૃતિ આ સ્ફાટિક શરીર ધારી ઊભેલી.

સરસ્વતીચંદ્રની સાથમાં આવેલી ઊભેલી કુમુદ સાસુનું શરીર જોઈ લજવાઈ ગઈ અને પોતે ક્ષમાને પણ માત્ર નથી અને હવે કંઈ બોલવાનો પણ માર્ગ નથી એવું ધારતી હોય એમ મુખ છેક નીચું કરી ઊભી રહી. પણ સરસ્વતીચંદ્ર આગળ આવ્યો ને વિનયથી બોલવા લાગ્યો :

‘પવિત્ર સૌભાગ્યરૂપ સૌભાગ્યદેવીની મૂર્તિ ! ચંદ્રલોકમાંથી ઊતરી આ સ્ફાટિક શરીરને દેખું છું તે સૌભાગ્યદેવી ન હોય તો બીજું જે કોઈ પવિત્ર સત્ત્વ તમે હો તેના અભિજ્ઞાનનો હું અધિકારી હોઉં તો તે અભિજ્ઞાનની કૃપા માગું છું.’

‘સરસ્વતીચંદ્ર ! હું સૌભાગ્યદેવીનું જ સિદ્ધ શરીર છું અને આ પ્રદેશમાં તમારું બેનું આગમન મારા સ્થાનમાંથી જોઈ અહીં આવું છું. કુમુદસુંદરી ! પાસે આવો.’ દિવ્ય મૂર્તિના મુખમાંથી સ્વર નીકળ્યો.

કુમુદ બીતી બીતી પાસે આવી, પાસે આવી સાસુને પગે પડી, પણ આંસુ સાથે નીકળતાં ડૂસકાં ઉપરાંત વધારે ઉચ્ચાર કરી શકી નહીં.

‘કુમુદસુંદરી ! બેટા કુમુદસુંદરી ! તમે હવે પૃથ્વીના છેડા ઉપર છો અને પૃથ્વીના ધર્મ ભૂલી સિદ્ધલોકનાં અને તેમના ધર્મનાં દર્શન કરવાનાં અધિકારી થયાં છો.’ દિવ્ય મૂર્તિના મુખમાંથી આશ્વાસક શબ્દ નીકળ્યો ને તેના પવિત્ર હાથે કુમુદને ઊભી કરી છાતીસરસી ચાંપી.

કુમુદ તેની છાતીમાં માથું દાબી રાખી બોલવા લાગી :

‘દેવી ! મનુષ્યરૂપે દેવી હતાં - માતા હતાં - તેને આજ આવે રૂપે જોઉં છું - ને હું તો ભ્રષ્ટ હતી, આપના ગૃહમાં નિવાસને યોગ્ય ન હતી તે હવે વધારે દૂષિત થઈ છું. આપના પવિત્ર શરીરને મારાં સ્પર્શથી દૂષિત કરો છો તેને સ્થાને મને કોઈ અતિશૂદ્રી પેઠે - ચાણ્ડાલિની પેઠે - દૂર ઊભી રહેવા દો.’

સૌભાગ્યદેવી - ‘તારા હૃદયની વાત જાણીને જ હું તને શુદ્ધ કરવા આવી છું. તું હવે થોડી વારમાં સિદ્ધલોકની અતિથિ થઈશ અને આ પુરુષરત્નને જે જે સિદ્ધજન પ્રિય હશે તેનાં દર્શન કરીશ. પણ તું પોતાને ભ્રષ્ટ સમજે છે ત્યાં સુધી તને એ લોકના દેશમાં જવાનો અધિકાર નથી. સાધુજનોએ તને શુદ્ધ ધર્મ સમજાવ્યો છે, પણ સંસારે વંચના કરી તારા મન ઉપર અધર્મને ધર્મ ગણવાની મુદ્રા પાડી છે. સાધુજનોના ઉપદેશથી તે મુદ્રા ન ગઈ તે દૂર કરવા હું આવી છું. મેં પૃથ્વી ઉપરથી દેહ છોડ્યો છે અને સિદ્ધલોકમાં વસું છું. અન્ય સંપત્તિવાળાને તેમ શુદ્ધ અદ્વૈત પ્રીતિયજ્ઞ કરનારને પણ આ દેશનો અધિકાર મળે છે. મારા સ્વામી આ દેશમાં આવશે ત્યાં સુધી હું અહીં છું ને તે ત્યાં છે તોપણ તેમને દેખી શકું છું તે જોયાં કરીશ ને એ પોતે સિદ્ધ થશે એટલે અમે બે જણ આ શરીરનો ત્યાગ કરી સાથે મુક્ત થઈશું. સંસારની વંચનાએ તારા આવા યજ્ઞમાં મહાવિઘ્ન નાખ્યું તેમાં હું નિમિત્તભૂત થઈ તે સંસારમાં હતી ત્યાં સુધી સમજી નહીં પણ આ દેશની દિવ્ય સૃષ્ટિએ મને તે વાત દેખાડી છે. બેટા, મારો પુત્ર તારો અધિકારી ન હતો. તારો અધિકારી આ તારી પાછળ છે તેની સાથે જ તું વરેલી છે.’

કુમુદસુંદરી - ‘જો એમ હોય તો તો આર્ય સ્ત્રીઓ સર્વ વર્યા વિનાની અને નરકની અધિકારી ગણવી જોઈએ. દેવી ! તમારું લગ્ન પણ મારા જેવું જ વંચનારૂપ નહીં ? તમે પતિને માટે આ સિદ્ધલોકમાં પણ વાટ જુઓ છો ને મારી ગતિ જુદી કેમ ?’

સૌભાગ્યદેવી - ‘એમ નથી. આર્યબાલાઓ માતાપિતાના અને લોકાચારના બળથી અજ્ઞાત દશામાં લગ્નાભાસ નામના યજ્ઞાભાસમાં હોય છે. તે પછી સાસરે જાય છે ને સમજણી થાય છે ત્યારથી સાસરે જે તપ કરે છે તે તેમના પિતૃયજ્ઞની વેદી ઉપર થાય છે; એ તપનાં પુણ્ય એ બાલાને, અને એનાં પાપ એનાં માતાપિતાને મળે છે - કારણ એને વદી ઉપર મૂકનાર માતાપિતાની જ તૃપ્તિ માટે એ દુહિતા તપ તપે છે, અને શુદ્ધ વિવાહથી અવિવાહિત પતિને પતિ ગણે છે. તે પછી પરમ ભાગ્યને બળે, ઈશ્વરની કૃપાને બળે, અને પોતાની પરમ સાધુતાને બળે, આવી બાળા આવા પતિ સાથે અદ્વૈત-પ્રીતિથી સંધાય છે તેનું પરણ પુણ્ય તેને પોતાને મળે છે ને મને મળ્યું ને હું અહીં આવી. પણ જેણે એક પુરુષના સહચારમાં આવો યજ્ઞ આરંભ્યો તેને તે યજ્ઞ છોડી પિતૃયજ્ઞને માટે એ પતિયજ્ઞનો ત્યાગ કરાવવો તે બહુ અધર્મ્ય છે. એ ત્યાગ તારાં માતાપિતાની બુદ્ધિએ તારી પાસે કરાવ્યો. તે અધર્મનું ફળ અત્યારે તેઓ અનેકધા ભોગવે છે. સાધુજનોને પ્રયાસે તું એ અધર્મમાંથી છૂટી, અને તેં કરેલા ચરણસ્પર્શથી તું તારા શુદ્ધ પતિની પતિવ્રતા બની તે પુણ્યના ફલદોષથી તું આ પવિત્ર દેશનો અધિકાર પામી છે.’

કુમુદસુંદરી આ મૂર્તિની છાતી આગળથી દૂર થઈ, સામી ઊભી, બોલવા લાગી.

‘હું સ્વપ્ન દેખું છું. અને સ્વપ્નમાં જે દેવીને દેખું છું તે મારાં જીવતાં દેવી જેવું તમે બોલતાં નથી, તો આ સ્વપ્નથી કેમ છેતરાઉ ?’

સૌભાગ્યદેવી - ‘સંસારનું જાગૃત તે અમારું સ્વપ્ન છે ને સંસારનું સ્વપ્ન તે અમારું જાગૃત છે. જે દેવીના ઉપર તારી આવી પ્રીતિ હતી તેણે તે દેહનો ત્યાગ કર્યો છે ને તું અત્યારે તેના જ સિદ્ધ સૂક્ષ્મ શરીરને જુએ છે. મારા વિચાર ને ઉદ્‌ગારમાં તને કંઈ નવીનતા લાગતી હશે; પણ યમરાજ જીવન અને મૃત્યુ વચ્ચેનો પડદો ચીરી નાખે છે તેની સાથે મૃત્યુનાં અધિકારી શરીર મૃત્યુના અનન્ય અંધકારમાં જાય છે અને જીવનનાં અધિકારી શરીર આ ચિરંજીવ સિદ્ધદશાને પામે છે ને અર્ધ જીવનવાળી પૃથ્વીમાંથી પૂર્ણ જીવનવાળા સિદ્ધલોકને પામે છે. તે કાળે તેમને સર્વ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે ને તેથી હતી એની એ જ તારી દેવી હું જુદું બોલું છું.’

કુમુદ વિચારમાં પડી, પછી ઊંચું જોઈ, સરસ્વતીચંદ્રના સામું જોવા લાગી.

સૌભાગ્યદેવી - ‘તું હવે તારા શુદ્ધ પતિ ઉપર દૃષ્ટિ કરે છે. મારો પુત્ર તે તારો પતિ નથી. એક નર સાથે હૃદય જોડીને પછી અન્ય પુરુષ સાથે કોઈ રીતના વિવાહથી કે વિવાહના નામથી તારી પેઠે જોડાયેલી સ્ત્રીનું દૃષ્ટાંત આર્યદેશમાં નથી. કારણ વિવાહયોગ્ય હૃદયવાળી કન્યા ત્યાં કન્યાવસ્થા દેખતી નથી. એવા હૃદયવાળી કન્યા તારા પિતાએ તને જ થવા દીધી. એ તેમણે પરમ પુણ્ય કર્યું. કુમુદ, માત્ર પુત્રના વરણકાળે અમે તારા ને મારા પુત્રના શરીર ઉપર નિસ્તેજ વસ્ત્રના કટકાનાં છેડાછેડી નાખ્યાં હતાં અને તારું તેનું પાણિગ્રહણ કરાવ્યું હતું તેને સ્થાને અત્યારે આ તમારી બેની પીઠ પાછળ અદ્વૈતરૂપે દેખાતા તેજના છેડા હું નાખું છું તે તમારા સ્કન્ધ ઉપર થઈને તમારાં હૃદય ઉપર આવ્યા છે તે જો! અને સ્થૂળ પાણિગ્રહણને સ્થાને સૂક્ષ્મ હૃદયગ્રહણ - હૃદયયોગ - રચાય છે તેના પવિત્ર ચમત્કાર અનુભવો ! એ છેડા અને એ ચમત્કાર જોવાની શક્તિ તમને પ્રાપ્ત થાવ !’

બે જણે જોવા માંડ્યું તો દિવ્ય પ્રકાશમય વસ્ત્ર પોતાની પાછળથી, વરકન્યાનાં છેડાછેડી પેઠે, સાંધતું દેખાયું ને તેનો એક છેડો ખભે થઈને સરસ્વતીચંદ્રના હૃદયમાં જડાયો હતો, ને બીજો કુમુદના હૃદયમાં જડાયો હતો. આનું આદર્શ થતાં બેની આંખોમાં નવું તેજ આવ્યું. તે તેજવાળી આંખો ઉપર સૌભાગ્યદેવીની આંખોનું તેજ પ્રસરવા લાગ્યું. તેની સાથે બે જણ વરકન્યા પેઠે એ વસ્ત્રના આકર્ષથી જ સાથે સાથે જોડાઈને ઊભાં. સૌભાગ્યદેવીની મૂર્તિ પાસે આવી તેમને માથે એકેકો હાથ મૂકી ઊભી ને બોલી

‘હું પ્રમાદધનની માતા તે પ્રમાદધનના આતિથેયમાંથી કુમુદસુંદરીને મુક્ત કરી તેમના શુદ્ધ પતિ જોડે તેમનો નિયોગ કરું છું અને સિદ્ધલોકમાં ચડવાનાં એ દંપતીને અધિકારી કરું છું. આ લોકમાં, નથી મનુષ્યલોકના જેવી ઉદરયાતના, નથી મદનયાતના, નથી લોકવાસના, નથી રો,ગ નથી દ્વેષ, નથી પુરુષાર્થ, નથી સુખ, નથી દુઃખ, નથી અહંતા, નથી મમતા, પણ માત્ર શુદ્ધ સાત્ત્વિક પ્રજ્ઞાચક્ષુ છે, કલ્યાણકર દૃષ્ટિ છે, સર્વભૂતાત્મક વૃત્તિ છે, પૃથ્વી ઉપરના નિવાસકાળે આરંભેલા યજ્ઞના સમાવર્તનની નિષ્કામ વાસના છે, એ વાસનાની તૃપ્તિને માટે તમારા જેવાં સિદ્ધિમાર્ગની કામનાવાળાં હૃદયમાં સિદ્ધજનોના સૂક્ષ્મ સંચાર છે, એ હૃદયોના યજ્ઞોમાં સિદ્ધજનોના સૂક્ષ્મતમ યજ્ઞોની જ્વાળાઓના સ્પર્શ છે અને આહુતિદાન છે, અને એમ સિદ્ધોના યજ્ઞાન્તે મોક્ષ છે. આ વિના બીજું સ્વર્ગ નથી, આ વિના બીજું કલ્પવૃક્ષ નથી, અને આ લોક વિના બીજા દેવ નથી. સિદ્ધશક્તિના પ્રભાવથી હું તમને બેને નવી લોકયાત્રામાં પ્રેરું છું, અને સિદ્ધલોકના અવ્યય દેશમાં યાત્રા કરવાની શક્તિ આપું છું. કુમુદસુંદરી, તમારી તૃપ્તિને માટે મારા હૃદયે મૃત્યુલોકમાં આરંભેલા પુત્રયજ્ઞની આ પૂર્ણાહુતિ છે તે તમારા હૃદયમાં ફલેગ્રાહિણી થાવ ! કુમુદસુંદરી,તમારે અને તમારે લીધે તમારા શુદ્ધ સ્વામીને માથે આ તેજોમય સિદ્ધલેપ હું રેડું છું તે તમારે શરીરે લગ્નના પાનેતરના સૂક્ષ્મ વસ્ત્ર પેઠે વળગી જશે ને તેના બળથી સિદ્ધલોકના ભયંકર વિષધરોની વિષજ્વાળાઓ તમને સ્પર્શ નહીં કરે, અને તમે તેમાં નિઃશંક નિર્ભય સંચાર કરી શકશો !’

આની સાથે એ સ્ફાટિક મૂર્તિના હાથમાંથી તેમનાં શરીર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ, અને તે સુંદર પુષ્પો સમય વૃષ્ટિના છાંટા થઈ બેને શરીરે વળગ્યાં. અને એ છાંટાના રેલા લેપ પેઠે, વસ્ત્ર પેઠે ચળકવા લાગ્યા.

‘કુમુદસુંદરી, સરસ્વતીચંદ્ર, હવે મારે જવાની વેળા આવી. તમારે કંઈ પૂછવું છે કે માગવું છે ?’ સ્ફાટિક મૂર્તિ બોલી.

સરસ્વતીચંદ્ર - ‘દેવી ! આ દેશનાં અમે ભોમિયાં નથી અને ક્યાં છીએ ને ક્યાં જઈશું તે જાણતાં નથી. માટે તેનું કંઈ જ્ઞાન આપવાની કૃપા કરશો ?’

સૌભાગ્યદેવી - ‘સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના પ્રદેશમાં મનુષ્યથી ન જોવાતો સિદ્ધલોકનો પ્રદેશ છે તેના પિતામહનગરની નીચે તમે ઊભા છો. એ નગર ઊડતા દ્વીપ પેઠે તમારા ઉપર ભમે છે તે મારાથી દેખાય છે ને તમને દેખાવાને વાર છે. તમારાં પગલાં સાંભળતાં હું તમારી પાસે આવી તેમ અન્ય સિદ્ધ જન તમારાં પગલાં સાંભળી તમારી પાસે આવશે ને તમને યોગ્ય સાધન ને યોગ્ય દૃષ્ટિ આપશે.’

સરસ્વતીચંદ્ર - ‘બીજું કોણ આપણે ?’

સૌભાગ્યદેવી - ‘જે આવશે તેને તમારું હૃદય જ ઓળખી લેશે. હું એટલું જાણું છું કે મારી પાછળ તમારી માતા ચંદ્રલક્ષ્મી હતાં અને મારા કરતાં સિદ્ધભૂમિમાં તેમનો નિવાસ વધારે થયેલો છે, પૃથ્વી ઉપર તેમનું તપ મારા કરતાં વિશેષ થયેલું છે, ને તેમની સિદ્ધિ પણ પ્રમાણમાં વિશેષ છે. તમારે માટે તેમણે આરંભેલો યજ્ઞ પૂર્ણ થયો નથી માટે તે મળશે.’

સરસ્વતીચંદ્ર - ‘તેમનું તપ તમારા કરતાં વિશેષ શી રીતે ?’

સૌભાગ્યદેવી - ‘મારે મારા સ્વામી સાથે કુમારિકાવસ્થામાં જ અદ્વૈતયોગ થયો હતો અને તેનું કલ્યાણફળ મેં પ્રથમથી જ ચાખવા માંડ્યું. આ સૂક્ષ્મ રસનો અમૃતલેપ મારા ઉપર મૂળથી જ રેડાયો હતો, પણ ચંદ્રલક્ષ્મીનો અદ્વૈતયોગ ઘણા દુઃખને અંતે રચાયો હતો અને તેમ થતાં ઘણીક વિષમય જ્વાળાઓ વચ્ચે તેમને તપ કરવું પડ્યું હતું. એ યોગ પણ મરણકાળે શિથિલ થયો અને તમારા જેવા તેના પુત્રને અપરમાતા મળશે એવો ભય જીવતાં છતં તેમણે જોયો હતો, અને માતાનું હૃદય કંપ્યું હતું. તે છતાં તેમણે તમારા પિતાને માટે દુષ્ટ વિચાર કર્યો નથી, તેમને કઠોર શબ્દ કહ્યો નથી. તેમના ઉપર અમૃતપ્રીતિ રાખી છે, અને તેમના ઉપર જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, તેમને ફરી લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી સંમતિ આપી, આનંદથી દેહ છોડ્યો છે. આવું તપ તેમને કરવું પડ્યું છે અને જે મૃત્યુલોકમાં વધારે તપ કરે છે તેની આ લોકમાં વધારે સિદ્ધિ થાય છે. સરસ્વતીચંદ્ર, તમારા ચરણ જાતે આ દેશમાં તમને પવિત્ર સ્થાનોમાં લઈ જશે માટે ક્યાં જવું એ વિચાર કરશો મા, કુમુદસુંદરી, હું તમારી સાસુ નથી; તમારી શુદ્ધ સાસુ હવે તમને મળશે. મારી વાસના છોડી તેમને તમે પૂજ્જો. તેમનું તપ મારા કરતાં અનેકધા અધિક છે, હું તેમનાં પગલાંનો ઘસારો સાંભળું છું, અને એ મહાશયા મહાસિદ્ધિના પવિત્ર ચરણના માર્ગનેરોકતી ઊભી છું તે ત્યાંથી દૂર થાઉં છું !’

આ મૂર્તિનું સ્ફટિક શરીર ધીમે ધીમે ઓગળતું હોય, વરાળ પેઠે સ્ફટિક ઊડી જતો હોય તેમ એ શરીર ધીમેધીમે અદૃશ્ય થઈ ગયું; ને તેમ થતાં થતાં તેના સર્વાંગમાં બુદ્ધિધનની છાયા, નદીમાં આકાશનું પ્રતિબિંબ તરે તેમ, તરતી દેખાઈ, પળવારમાં બિમ્બ અને પ્રતિબિંબ અદૃશ્ય થઈ ગયાં અને એ મૂર્તિએ વિવાહિત કરેલાં દંપતી એકબીજાના ગળે હાથ નાખી, તેજોમય વસ્ત્રથી હૃદયની નાડીઓનું અદ્વૈત પામી, સજોડે, ચકિત થઈ, હવે શું થાય છે તેની વાટ જોઈ ઊભાં રહ્યાં.

થોડી વારમાં તેઓ નીચેથી ઊંચકાતાં ઊંચાં થતાં લાગ્યાં. ગમે તો તેમને કોઈ અદૃશ્યરૂપે ઉપર ખેંચતું હોય, ગમે તો એમનાં શરીર પવનથી પણ હલકાં થયાં હોય તે છૂટાં મૂકેલાં બલૂનની પેઠે ઊંચાં ચડતાં હોય, અથવા ગમે તો પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણથી વિપરીત શક્તિ જાગીને તેમને ઉપર ધકેલતી હોય, તેમ આ બે જણ ધીમેધીમે આકાશ ભણી અધ્ધર ચડવા લાગ્યાં ને રૂપેરી વાદળોમાં આવ્યાં ત્યાં ચડતાં અટક્યાં. એમ મૃગાકાર વાદળોમાંથી તેમના ભણી કો અધ્ધર ચાલી આવતું દેખાયું ને પાસે આવ્યું ત્યાં સરસ્વતીચંદ્રે પોતાની માતાનું સ્વરૂપ ઓળખ્યું ને તેણે ઓળખ્યું તેની સાથે એના સ્કન્ધ ઉપરના તેજોમય વસ્ત્રમાં સરતા કોઈ પ્રવાહની શક્તિથી કુમુદસુંદરીએ પણ ઓળખ્યું. બે જણ ચંદ્રલક્ષ્મીની મૂર્તિને સજોડે પ્રણામ કરી ઊભાં અને રૂપેરી વાદળાથી બનેલા શરીરવાળી ચંદ્રલક્ષ્મીની મૂર્તિ અમૃત જેવાં વચન ઝરવા લાગી.

‘પુત્ર અને વધૂ ! સૌભાગ્યદેવીએ તમને સંસ્કારેલાં છે ને મારા જે તપનું તેમણે વર્ણન કર્યું તે તપની સિદ્ધિથી હું આ કલ્યાણદેહને પામી છું. પુત્ર ! જે પિતૃયજ્ઞને માટે સ્ત્રીનો, લક્ષ્મીનો અને ગૃહનો તેં ત્યાગ કર્યો તે જ ત્યાગ પિતાના અધર્મરૂપ હતો, તેનું કષ્ટ પરિણામ તે હાલ ભોગવે છે ને તે કષ્ટથીયે સિદ્ધ થાય એવા તેમના યજ્ઞમાં હું અહીંથી પણ સહાયભૂત છું. તારો પિતૃયજ્ઞ સમાપ્ત થયો અને પ્રીતિયજ્ઞ આરંભાયો છે ને તેની સાથે તારા પ્રારબ્ધમાર્ગમાં નવા મહાન મનુષ્યજ્ઞના અગ્નિ સળગતા હું તારા હૃદયમાં જોઉં છું. એમાંના યજ્ઞના વિધિના શોધનને માટે આજ તું પિતામહપુરમાં જઈશ અને ત્યાં તારા કાર્યમાં તને સાધન હું આપું છું તે લેતો જા.

એ નગર આ મેઘસ્થાનથી પણ ઊંચું છે. ‘નેચે પૃથ્વીપર મનુષ્યસૃષ્ટિમાં બનેલા ને બનતા બનાવોમાં પ્રતિબિંબ ઊંચાં ચડી, ગન્ધર્વનગરીની સૃષ્ટિ પેઠે, પિતામહપુરના કેટલાક ભાગમાં, તેજનાં જાળાં પેઠે બાઝેલાં છે; એ જાળાંમાં વચ્ચે વચ્ચે કેટલાંક સ્થાને મોટા મોટા માટીના રાફડા બાઝેલા છે ને રાફડાના અંદરના ભાગમાં અનેક સૃષ્ટિઓ છે. કેટલાક બનાવોનાં પ્રતિબિંબ તેજોમય થાય છે ત્યારે કેટલાકનાં પ્રતિબિંબને સ્થાને આવા રાફડા બઝે છે. એ રાફડા ખોદવાને આ દિવ્ય પાવડો તને આપું છું, તેમાંનાં ભોંયરાંમાં ઊતરવાને આ નિસરણી આપું છું. એક પાંખ કુમુદને બાંધું છું, એક તને બાંધું છું, ને પાવડો ને નિસરણી પોતાની ગતિથી તમારી જોડે જોડે ઊડીને ચાલ્યાં આવશે ને ઇચ્છશો ત્યાં તમને કામ લાગશે.

મારા સ્વભાવને લીધે આ પદાર્થોની મને સિદ્ધિ થઈ છે તે તમને આપું છું કુમુદસુંદરી ! મારી પાછળ ઉપર તમારાં પિતામહી ધર્મલક્ષ્મી તમારી બેની વાટ જુએ છે. તેમનું તપ મારા કરતાં વધારે છે. તેમણે પ્રતિયજ્ઞનો સ્વાદ ચાખ્યો નથી, પણ માત્ર પિતૃયજ્ઞમાંથી પ્રાપ્ત થયેલા અતિથિ - પતિની સેા કરતાં અનન્ત દુઃખ વેઠેલું છે. એ દુઃખથી, એ દુઃખના શાન્ત દીર્ઘ સહનથી, એ સહનકાળે સર્વદા સ્ફુરેલી ધર્મબુદ્ધિથી, ધર્મલક્ષ્મીનું સૂક્ષ્મ શરીર સિદ્ધ થઈ આ દેશમાં વસે છે. તે તમને થોડા કાળમાં મળશે અને તેમના તપપ્રભાવના પ્રમાણમાં તમને ગુરુતર સાધન આપશે.’

ચંદ્રલક્ષ્મી અદૃશ્ય થઈ ગઈ, વાદળાંમાં ભળી ગઈ, ને નિસરણી પાવડા સાથે પોતાની પાંખોને બળે આ બે જણ ઊંચે ઊંચે ઊડવા લાગ્યાં. થોડી વારમાં મેઘમાળાના ઉપરનો અને સ્વચ્છ પ્રદેશ આવ્યો ત્યાં ધર્મલક્ષ્મીનું વૃદ્ધ શરીર એક પાસથી આવ્યું. ધર્મલક્ષ્મી નિરાધાર ઊભી રહી અને બોલવા લાગી.

‘જામાતા અને પુત્રી ! દુઃખસહન એ એક મહાતપ છે. જે દુઃખથી મનુષ્યલોક થાકે છે તે દુઃખને મેં સહન કર્યું તો તેનું ફળ મને કલ્યાણરૂપ થયું છે. એ સહનથી હું સિદ્ધ થઈ છું ને એ સિદ્ધિથી આ કલ્યાણદેશને અને બે ભદ્રમણિને પામી છું. એ મણિનાં આભરણ કરી તમને આપું છું તે લ્યો. તેમાંની એક આ ચિંતામણિના મુદ્રા તમે પૂજ્ય જામાતા છો તેમની આંગળીએ પહેરાવું છું. એ મુદ્રાના મણિ ઉપર દૃષ્ટિ કરી સિદ્ધનગરના જે ભાગનું રહસ્ય જાણવા ઇચ્છશો તે તમને બાધિત થશે. એ મુદ્રાથી જે સિદ્ધ કે સિદ્ધાંગનાનું તમે ચિંતન કરશો તે તમને દેખાશે અને જે લક્ષ્ય ભણી ગતિ ઈચ્છશો તેનો માર્ગ તમને સુપ્રકાશિત થશે. બેટા કુમુદ ! આ સ્પર્શમણિથી-પારસમણિથી-જડેલું મંગલસૂત્ર તારે કંઠે પહેરાવું છું તેનો તારી છાતી ઉપર સ્પર્શ થશે ને પ્રકાશ પડશે, અને એ છાતીમાં પવિત્ર અને ધાર્મિક સંસ્કારોના ઉલ્લેખ પાડી તે સ્પર્શ અને પ્રકાશ તને શાંત અને સુખી કરશે. લોકયાત્રાને કાળે તારા જેવાં ઉપર જે જે દુઃખો પડે છે તે દુઃખોમાં કલ્યાણનાં બીજ જાતે રોપાય છે ને દુઃખના સરોવર ઉપર તરવાને તુંબીફલ અનાયાસે મળી આવે છે. એ બીજને અને એ ફળને આ સ્પર્શમણિ તારા હૃદયના સ્વભાવરૂપ કરશે. આ સિદ્ધલોકની યાત્રામાં તારાપતિની દૃષ્ટિથી જે જે પદાર્થ તું જોઈશ તેનું સૌંદર્ય તને આ સૂત્રના પ્રકાશથી પ્રત્યક્ષ થશે, અને મોટા રાફડાઓની ધૂળ ભેગી કનકની રેતી ગુપ્ત હશેકે ધૂળમાં ઢંકાયેલાં રત્ન હશે તે તને જાતે દેખાશે. તને આમ આ સૂત્રથી જેજે પદાર્થ પ્રત્યક્ષ થશેતે સર્વ સૌભાગ્યદેવીએ આપેલા તેજોમય વસ્ત્રમાં થઈ ને તારા સ્વામીને તારા કરતાં વિશેષ પ્રકાશથી પ્રત્યક્ષ થશે. સરસ્વતીચંદ્ર ! તમે જે વિશુદ્ધ લોભથી પ્રીતિયજ્ઞ આરંભેલો છે તેનું સમાવર્તન મારી કુમુદ એના આ દેશથી દેખશે, અને તેનાં પુણ્યફળ જગત ઉપર મેઘ પેઠે સુવૃષ્ટ થશે. ચિંતામણિ! પારસમણિ ! મારી પાસેથી જઈ મારે ઇષ્ટ સ્થાને વસો !’

તેનું વાક્ય પૂરું થતાં પહેલાં તો મુદ્રા સરસ્વતીચંદ્રની આંગળીએ ચળકવા લાગી ને મંગલસૂત્ર કુમુદના પયોધરભાર ઉપર વીજળી પેઠે ચમકારા કરવા લાગ્યું. ને બે જણ પિતામહીને ચરણે ઉપરથી પડવા માંડે છે ત્યાં તો પિતામહી અદૃશ્ય થઈ ગઈ.

પ્રણામકાળે મીંચેલી આંખો બે જણ ઉઘાડે છે ત્યાં તે પહેલાંથી જ પાસે આવી રહેલો કોઈ મહાન નગરનો ઊંચો કોટ તેમના માર્ગને રોકતો દૃષ્ટિએ પડ્યો.