Saptpadina vachannu shu ? books and stories free download online pdf in Gujarati

સપ્તપદીના વચનનું શું?



"હાઈ! કેમ છે? શું કરે છે મારા જીજું?" ભક્તિ એ મુગ્ધા ને પુછ્યું. મુગ્ધા થોડી સ્થિર થઈ થોડા વિચારવંત થઈ અને પછી હસમુખા ચહેરે , "અરે એકદમ મસ્ત છે તું કહે તારા હબી મજામાં? ઘરે આવો સમય કાઢી ને!" 

ભક્તિ એ મુગ્ધાને જવાબ આપતા, "અરે ! અમારે આવવું જ હતું પણ ઉચિત ને ઓફિસ માંથી ઇમરજન્સી કોલ આવ્યો અને આજે નીકળવું પડે તેમ છે એટલે નેક્સટ ટાઇમ પાકું. અને મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. ઘણું પૂછવું છે.... ઓકે આ વખતે બાય સીયું." 

ભક્તિ અને મુગ્ધા બને બાળપણ ની બહેનપણીઓ હતી બન્ને ને એકબીજા વગર ક્યારેય ચાલતું નહીં. પણ મુગ્ધા ના લગ્ન બાદ બંને વચ્ચે સંપર્ક ઘટી ગયો હતો. મુગ્ધા ને ભક્તિની વાતો મન પર હાવી થઈ ગઇ હતી અને મનોમન, " આ ભક્તિ ને ખબર પડી હશે! ના.. મેં બધા સાથે સંપર્ક એટલે જ તો છોડી દીધો હતો... શહેર પણ છોડી દીધું હતું... શુ પુછવા માંગતી હશે.. એને ખબર પડી હશે તો ખૂબ જ દુઃખી થશે!"  

વિચારોના વમળમાં મુગ્ધા ઘરે પહોંચી ગઈ. વિચારો માં અટવાવવું અને સાથે સાથે કાર્ય કરતું રહેવું એમનું રૂટિન બની ગયું હતું. ભક્તિ સાથેની મુલાકાત એમને ભુતકાળ માં લઇ ગઈ હતી.

મુગ્ધા એ એમના માતા-પિતાની એકની એક લાડકી દીકરી હતી. માતા-પિતા એ લાડ કોડ સાથે સમય અને ઉંમર મુજબ દરેક શિક્ષા અને સૂચનો આપી ઉછેરી હતી. તે માયાળું, લાગણીશીલ, પ્રેમાળ, નખરાળી, સમય આવે અગનજ્વાળા પણ વરસાવી શક્તિ, સુંદર, શુશીલ, પાતળી, કસેલા શરીર સૌષ્ઠ ધરાવતી છતાં નમણી , સમજદાર છોકરી હતી. મુગ્ધાના પિતા કનકરાય એક જમીનદાર હતાં એમની પાસે અનેક એકર જમીનો હતી, જયારે તેમની માતા મીનાક્ષીદેવી દયાળુ, ધાર્મિક સ્વાભાવ ના હતાં. 

મુગ્ધા અને ભક્તિ ગામડાની બાળશાળામાં સાથે ભણતાં અને એમની મિત્રતા થયેલી, મિત્રતા પણ એવી કે બે સગી બહેનો કરતા પણ વધુ કહી શકાય. બે શરીર એક જાન કહી શકાય પણ મુગ્ધાના વિસ્મય સાથે લગ્ન બાદ એ વિસ્મય મય બની ગઈ હતી. મુગ્ધા જ્યારે નાની હતી ત્યારે એમને રાજકુમાર ની વાર્તાઓ કરતાં અને તેના આધારે મુગ્ધાએ એક આકૃતિ મનમાં ધારણ કરેલી હતી. વિસ્મય આ આકૃતિ ને મળતો મુગ્ધાનો રાજકુમાર જેવો જ મળ્યો. મુગ્ધાએ એમની તરુણાવસ્થાથી એમના રાજકુમાર સાથે ઘણા સ્વપ્નાઓ સેવ્યા હતાં. જે વિસ્મય સાથેના લગ્ન બાદ પુરા કરવાનો અવસર મળ્યો. બંનેના જીવનમાં વસંત આવ્યો હતો. ઉષ્માભર્યું, પ્રેમાળ, લગ્નજીવન નો બંને બખુબી આનંદ પણ ઉઠાવતાં. 

ભક્તિ બંનેનું આનંદદાયક લગ્નજીવન જોઈ પોતે જ મુગ્ધાથી દૂર રહેતી ક્યાંક મુગ્ધા એમના આ નિજાનંદ થઈ વિચલિત ન થાય.

અચાનક ઘરની ઘંટડી વાગે છે મુગ્ધા એમના ભુતકાળ ના સ્મરણો માંથી બહાર આવે છે. ઘરનો દરવાજો ખોલે છે ત્યાં તેની જ સખી ભક્તિ. મુગ્ધા ભક્તિ ને જોઈ આનંદવિભોર થઈ જાય છે બંને એક બીજાને ભેટી ચકરડી ફરવા લાગે છે. ચકરડી ફરતાં જ અચાનક મુગ્ધા ને એમની જૂની દુઃખદ ક્ષણો યાદ આવે છે અને રડતાં બેસી પડે છે. વિજ્ઞાન ના નિયમ મુજબ ધરી ફરતે ફરતાં પદાર્થ ધરીથી છૂટો પડતા દૂર ફેંકાય છે તેમ મુગ્ધાના અરમાનો પણ વિસ્મય સાથે ચકરડી ફરતાં દૂર ફેંકાય જાય છે.

ભક્તિ અચાનક જ મુગ્ધાને રડતાં જોઈ મુંઝાઈ છે એ મુગ્ધાને શાંત પાડે છે, " શું થયું મુગ્ધા? કેમ અચાનક તું આ રીતે ભાંગી પડી? મને કહે તારા અંતરમાં જે પણ હોય તે!! તું રડવા માટે સર્જાયેલી નથી!!"
 
રૂમમાંથી મુગ્ધાના પતિ વિસ્મય નો કણસવાનો અવાજ આવે છે. મુગ્ધા અવાજ સાંભળતા જ એમની સાડીના પાલવે ભીંજાયેલી આંખો સાફ કરી દોડતાં રૂમ તરફ જાય છે. ભક્તિ તેની પાછળ જાય છે ત્યારે મુગ્ધા વિસ્મયને ઉઠાડી બાથરૂમ તરફ લઈ જતાં જોવે છે.

ભક્તિ વિચારો માં પડી જાય છે "ફિલ્મના હીરોને પણ પાછા પાડે તેવો દેખાવ ધરાવતો હેન્ડશમ, ડેશીંગ, ઉંચો ખડતલ શરીર વાળો  વિસ્મય આ હાલતમાં કેવી રીતે?"

મુગ્ધા વિસ્મયને ફરી સુવડાવી બહાર ભક્તિ પાસે આવે છે, " બોલ તું શું લઈશ મારે ઘરે પહેલી વાર આવી છે બની શકે તો રોકાઈ જા." ભક્તિના આંખોમાં પાણી હતાં એ મુગ્ધાને પોતાની પાસે બેસાડે છે , " મુગ્ધા પહેલાં તારા અંતર માં રહેલ વાત મને કહે આજે માત્ર તને સાંભળવા ભૂખી છું." 

મુગ્ધા એકદમ સ્વસ્થ થઈ એમની કથની કહે છે, " ભક્તિ તને યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે મેં ઘણા જ સ્વપ્નો જોયેલાં એ બધાં જ અરમાનો હું વિસ્મય સાથે પુરા કરવા દર વર્ષે અમે હીલ સ્ટેશન પર જતાં રહેતાં ત્યાં એકાંતની પળો ની ભરપૂર મજા ઉઠાવતાં એક દિવસ સવારે અચાનક મારી તબિયત માં ફેરફાર જણાયો અમે તુરત ડોકટર પાસે સારવાર માટે ગયાં ત્યારે ખબર પડી અમે માતા-પિતા બનવાનાં છીએ અને બીજો મહિનો જઈ રહ્યો હતો.

આ વાત સાંભળતા જ વિસ્મય ખૂબ જ ખુશ થયો ને મારા હાથ પકડી ચકરડી ફરવા લાગ્યો. ત્યાં અચાનક એમનો પગ મારી સાડીમાં અટવાયો ને અમે બંને ફંગોળાયા. ત્યાં હોસ્પિટલમાં રહેલ બેંચ નો ખુણો વિસ્મયને માથામાં વાગ્યો અને હું નીચે પડી, પડવાથી મારા પેટ પર જ વજન આવ્યું અને મેં ગર્ભ ગુમાવ્યો.  વિસ્મયને માથામાં ઇજા થતાં એના નાના મગજના કોષો ઇજાગ્રસ્ત થયાં અને પરિણામે એમનું અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. તેની સારવાર માટે હું અને વિસ્મયના પરિવારના લોકોએ સાથે અનેક દવાઓ કરાવી. દેશ-વિદેશના ડોક્ટર ને પણ બતાવ્યું અને અંતે એક ડોકટર ની દવા વિસ્મયને લાગુ પડી ગઈ. જેના પરિણામે ધીમે ધીમે સંપૂર્ણ પથારી માંથી પોતાનું સાઈઠ ટકા કામ એ જાતે કરી લે છે પણ ચાલીસ ટકા તો મારે સાથે રહેવું જ પડે છે. બસ એ ક્ષણીક ખુશીની ક્ષણ સાથે મારા સ્વપ્નાઓ, અરમાનો બધાં ભૂતકાળ ના ગર્તમાં ડૂબી ગયાં.

ભક્તિ રડમસ અવાજે, "પણ તું છુટા છેડા પણ લઈ શકતી હતી તારી જીદંગી શા માટે વિસ્મય પાછળ વેડફે છે. હજું તું એટલી જ સુંદર છે કે વિસ્મય થી પણ સારો છોકરો મળી જશે".

મુગ્ધા ભક્તિને , " વિસ્મય ના મમ્મી-પપ્પા એ મને બીજે પરણી જવાનું સૂચન કરેલું પણ મારી 'માં' એ મને બે પ્રશ્નો પુછ્યા 'વિસ્મયની જગ્યાએ મને માથાંમાં વાગ્યું હોત તો? અને સપ્તપદીના વચન નું શું જે અગ્નિ ની સાક્ષીએ લીધાં હતાં?' મુગ્ધાને આ બે પ્રશ્નોના પોતાના અંતર માંથી મળેલા જ્વાબે વિસ્મય સાથે જીવન વિતાવવાનું બળ આપ્યું." આટલું કહી મુગ્ધા રસોડા તરફ જાય છે ભક્તિ અવાચક થઈ ગઈ હોય છે.  મુગ્ધા રસોડા તરફ જતાં, " આ જ મારું પ્રારબ્ધ છે તેમજ લગ્નજીવનની પ્રેમાળ-સુખદ ક્ષણો વિસ્મયને આ વિકટ સ્થિતિમાં સાથ આપી હું જીવી રહી છું."

ભક્તિ મુગ્ધાના અનેક ગુણો થી વાકેફ હતી પણ આજે એમની સમર્પિતતા, સપ્તપદીની વચનબદ્ધતા રૂપી ગુણ નો પરિચય થયો હતો. ભક્તિ મનોમન મુગ્ધાને સલામ કરે છે અને વિચારે છે, "આજના યુગમાં નાની નાની વાતોમાં થતાં છુટા છેડાઓ સામે સપ્તપદીના વચન ને વળગી પ્રેમથી કોઈ પણ જાતના દબાણ વગર લગ્નજીવન ને જીવંત રાખવા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.
તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ
થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !
લથડવાનું પહેલેથી નક્કી હતું
અમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ
ભલે લોક એને કહે છે ગઝલ
મેં તો બસ લખ્યું છે તમારું જ નામ.
(કાવ્ય:-રાકેશ શુક્લા)