Pratisrushti - A Space Story - 11 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૧

ભાગ ૧૧

  શ્રેયસે રાયનને કોલ કર્યો અને પૂછ્યું, “ક્યાં છે?”

રાયને કહ્યું, “સાલા, તું મારો કોઈ મહત્વનો કેસ ચાલી રહ્યો હોય તે વખતે જ કેવી રીતે પ્રગટે છે? તું ઘરે આવ ડ્રીંક લઈશું.”

રાયનના ઘરે પહોંચીને શ્રેયસ તેને મળ્યો. બંને લગભગ એક વર્ષ પછી મળી રહ્યા હતા. તેને ગળે મળ્યા પછી શ્રેયસે તેને કહ્યું, “ભાઈ, તું પોલીસ છે એટલે હું આવું ત્યારે તો કોઈ કેસ જ સોલ્વ કરતો હોય તેની શી નવાઈ! અને આ વખતે તો હું અહીં કોન્ફરન્સ અટેન્ડ કરવા આવ્યો હતો એટલે થયું લાવ મળી લઉં.”

રાયને કહ્યું, “તું કોન્ફરન્સ અટેન્ડ કરી રહ્યો હતો કે છોકરી પટાવી રહ્યો હતો?” 

શ્રેયસ થોડો બઘવાઈ ગયો, તેણે અવાજમાં આશ્ચર્ય લાવીને પૂછ્યું, “અરે, તને કેવી રીતે ખબર?”

રાયને કહ્યું, “તું ડેપ્યુટી પોલીસ ચીફને આવો બાલીશ સવાલ પૂછી રહ્યો છે. એની વે, છોકરી બહુ સુંદર હતી, પણ તને નથી લાગતું કે તે બહુ નાની છે, તારે તારી ઉંમરની સ્ત્રી સાથે ફરવું જોઈએ.” એમ કહીને હસવા લાગ્યો.

શ્રેયસે કહ્યું, “તું ખોટું અર્થઘટન કરી રહ્યો છે, તેની સાથે ફક્ત દોસ્તી છે.”

તે પછી એક સીપ લઈને શ્રેયસ શૂન્યમાં તાકી રહ્યો પછી તેણે કહ્યું, “એક્ઝિબિશન બહુ સરસ રહ્યું, પણ છેલ્લા દિવસે બહુ ભયકંર ઘટના બની ગઈ.”

રાયન થોડો સિરિયસ થઇ ગયો. તેણે શ્રેયસની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, “શું તું કોઈનો ખબરી છે જે દરેક ઘટના વખતે મારી પાસેથી જાણકારી લઈને બીજા કોઈને આપે છે.”

શ્રેયસે કહ્યું, “અરે, મેં તો અમસ્તુ જ પૂછ્યું.” પછી વાર્તાલાપ બીજી તરફ વાળી લીધો. આમ પણ તેને જે જાણકારી જોઈતી હોય તે મળી જવાની હતી. ત્યારબાદ તે જગતના ઇતિહાસ વિષે વાત કરવા લાગ્યો જે બંને મિત્રોનો રસનો વિષય હતો. 

ચર્ચા દરમ્યાન રાયને અચાનક એક પ્રશ્ન કર્યો, “આ સિકંદર કોણ હતો?”

શ્રેયસે કહ્યું, “તેને જગતના શ્રેષ્ઠ સેનાપતિઓમાંથી એક માનવામાં આવે છે. તે નાના પ્રદેશનો રાજા હતો, પણ પછી સૈન્ય અભિયાન ચલાવીને ઘણા બધા દેશો જીત્યો હતો.”

શ્રેયસે પૂછ્યું, “કેમ અચાનક સિકંદર વિષે પૂછ્યું?”

રાયને કહ્યું, “આજે જ ક્યાંક વાંચવામાં આવ્યું.”

બે કલાકને અંતે શ્રેયસે ઘડિયાળમાં જોયું અને કહ્યું, “ઓહ! બહુ મોડું થઇ ગયું, હું અત્યારે નીકળું છું પછી મળીશું.” એમ કહીને ત્યાંથી નીકળ્યો.

હોટેલ ઉપર પહોંચીને પોતાને આવેલા ઇમેઇલ્સ ચેક કર્યા, તેમાં એક કોન્ફીડેન્શીયલ ફાઈલ હતી તે વાંચી એટલે તેને તાળો મળી ગયો કે રાયને કેમ સિકંદર વિષે પૂછ્યું?

બીજે દિવસે તે ફ્લાઇટ પકડીને કેટમંડ (કાઠમંડુ ) પહોંચ્યો અને ત્યાં એક હોટેલમાં રોકાયો. હવે તેણે રાહ જોવાની હતી, પણ વધારે રાહ જોવી ન પડી. બીજે દિવસે બપોરે એક વ્યક્તિ આવી તેણે પોતાનું નામ વીર જણાવ્યું અને કહ્યું, “ગુરુજી, આપને મળવા માંગે છે.”

શ્રેયસે કહ્યું, “ચાલો હું તૈયાર જ છું.”

વીરે કહ્યું, “અત્યારે નહિ નીકળી શકાય, કાલે વહેલી સવારે નીકળીશું.”

બીજે દિવસે સવારે ચાર વાગે એક કારમાં નાના ગામ સુધી આવ્યા પછી વીરે કહ્યું, “આગળનો રસ્તો પગપાળા જ કાપવો પડશે.”

શ્રેયસે પોતાના ખભા ઉલાળ્યા અને પોતાની બેગ ઉપાડીને વીરની પાછળ ચાલવા લાગ્યો. શ્રેયસને પહાડી ચડતી વખતે થાક લાગ્યો અને એક બે જગ્યાએ રોકાઈને આરામ કર્યો. લગભગ ચાર-પાંચ કલાક ચાલ્યા પછી તેઓ એક ગુફા નજીક પહોંચ્યા.  

વીરે કહ્યું, “અહીં અંદર.”

શ્રેયસને થોડું અજુગતું લાગ્યું, કોઈ નાના જાનવરની  ગુફા જેટલું સાંકડું પ્રવેશદ્વાર હતું. વીર પોતાના ઢીંચણ પર બેસી ગયો અને ચારપગા જાનવરની જેમ અંદર પ્રવેશી ગયો. શ્રેયસે થોડી હિંમત દેખાડીને તેનું અનુસરણ કર્યું.

થોડા અંદર ગયા પછી ઉભા થઇ શકાય એટલી જગ્યા હતી. ત્યાંથી થોડો ઢોળાવ હતો તેથી બંને થોડું સંતુલન જાળવીને ઉતરવા લાગ્યા. સર્પાકાર રસ્તા ઉપર ક્યાંક ઉતાર હતો, તો ક્યાંક ચઢાવ હતો. શ્રેયસ વિચારવા લાગ્યો કે હવે ન જાણે ગુરુજી કોણ હશે? હિન્દૂ પુરાણોમાં વાંચ્યું છે તેમ કોઈ જટાધારી સાધુ હશે જે તેણે કોઈ મંત્ર તંત્રની વિદ્યા આપશે કે હિન્દૂ ધર્મ વિષે ઉપદેશ આપશે. 

પ્રત્યક્ષમાં શ્રેયસે વીરને પૂછ્યું, “આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”

વીરે કહ્યું, “ગુરુજી પાસે, બસ,  આપણે પહોંચી જ ગયા છીએ.”

શ્રેયસે જોયું કે ગુફાની અંદર કુદરતી ઉજાસ હતો તેથી વીરે પોતાની પાસે રહેલી લાઈટ બુઝાવી નાખી, જે તેણે ગુફામાં પ્રવેશતી વખતે ઓન કરી હતી. શ્રેયસે ઉજાસનો સ્ત્રોત જોવાની કોશિશ કરી, પણ તે નાકામ રહ્યો.

તે અને વીર એક દરવાજા નજીક પહોંચ્યા એટલે વીરે શ્રેયસને જૂતાં ઉતારવા કહ્યું. શ્રેયસે જૂતાં ઉતાર્યા તે વખતે તેનું ધ્યાન વીરના પગ ઉપર પડ્યું. તે આટલા સમયથી ઉઘાડા પગે ચાલી રહ્યો હતો, તેનાથી તે થોડો આશ્ચર્યમાં પડી ગયો.

અંદર ગયા પછી તેનું આશ્ચર્ય વધી ગયું કારણ અંદર ગુફાને દીવાનખંડનું રૂપ આપવામાં આવ્યું હતું. બહુ સજાવટ ન હતી, પણ બધું એકદમ સુઘડ હતું. ખૂણામાં એક સોફા હતો અને તેની સામે ટીપોય , બે ખુરસી ગોઠવેલી હતી.

વીરે તેને બેસવા માટે ઈશારો કર્યો અને કહ્યું, “ગુરુજી ધ્યાનમાં હશે, તે થોડીવારમાં આવીને મળશે. હું તમારા માટે કંઈક ખાવાનું લઇ આવું છું.” 

થોડીવાર પછી વીર ફ્રૂટ અને એક ગરમ પીણાં સાથે પાછો ફર્યો. આટલું ચાલ્યા પછી શ્રેયસને કકડીને ભૂખ લાગી હતી એટલે તે ફળો ઉપર તૂટી પડ્યો. ત્યારબાદ તેણે ગરમ પીણાને ન્યાય આપ્યો. જેવું તેણે તે પીધું તેના શરીરમાં ગરમાટો આવી ગયો અને તેના ગ્લાસ મુકવા સાથે જ અવાજ તેના કાનમાં પડ્યો, “કેમ છો મિસ્ટર શ્રેયસ?”

આવનાર વ્યક્તિને જોઈને તે થોડો આશ્ચર્યમાં પડી ગયો કારણ તેને આશા હતી કે કોઈ જટાધારી અને ભગવા વસ્ત્રધારી સાધુ હશે, તેને બદલે સાદા કુર્તા પાયજામામાં સજ્જ વ્યક્તિ હતી, પણ તેમનું વ્યક્તિત્વ અદભુત હતું. ભવ્ય કપાળ, કપાળ વચ્ચે તિલક, તેજ તર્રાર આંખો, સીધું નાક, ઘઉંવર્ણો રંગ, ગુલાબી હોઠ અને હોઠો ઉપર હાસ્ય અને ચેહરા ઉપર ગજબની શાંતિ.

શ્રેયસે તેમને જોઈને કહ્યું, “મેં તમને પહેલાં પણ ક્યાંક જોયા છે?”

ગુરુજીએ કહ્યું, “ત્રણ દિવસ પહેલાં કોન્ફરન્સમાં આપણે મળ્યા હતા,  મારુ નામ ડો. કબીર છે અને હું એક વૈજ્ઞાનિક છું. હું સુરીના સ્પેસ સેન્ટરમાં ડાયરેક્ટર છું.”

શ્રેયસે થોડા આશ્ચર્ય સાથે કહ્યું, “મને લાગ્યું હતું કે....”

ડો. કબીરે હસીને કહ્યું, “કે કોઈ જટાધારી સાધુ મળશે અને ધાર્મિક ઉપદેશો આપશે.”

શ્રેયસ કંઇ બોલ્યો નહિ એટલે આગળ કહ્યું, “જુઓ અત્યારે લોકો ધર્મને હીન દ્રષ્ટિથી જુએ છે, જો કે તેની પાછળ ઘણા બધા સબળ કારણો છે. જે વખતે ધર્મોનો પ્રચારપ્રસાર હતો, તે વખતે ઘણા બધા લોકોએ ધર્મોનો દુરુપયોગ કર્યો. ઈશ્વરને સાધ્યને બદલે સાધન બનાવીને તેનો ઉપયોગ શક્તિ અને સંપત્તિ મેળવવા કર્યો અને તેને કારણે જગતમાં યુદ્ધો પણ બહુ થયાં તેથી જ જગતમાં ધર્મો અછૂત થઇ ગયા.”

શ્રેયસે પૂછ્યું, “તો તમારી નજરમાં ધર્મ શું છે?”

ગુરુજીએ કહ્યું, “ધર્મ એ જીવન જીવવાની કળા છે અને દરેક ધર્મમાં પૂજા એટલે પોતાને બનાવનારને યાદ કરવાની અને આભાર માનવાની પદ્ધતિ છે . બહુ પહેલાં ના સમયમાં જયારે કોઈ ધર્મ નહોતો ત્યારે મનુષ્યે ઈશ્વરની કલ્પના કરી અને રચના કરી અને સારી રીતે જીવવાના નિયમો બનાવ્યાં. જેમ ઘોડાને લગામ નાખો એટલે તે સંયમિત થાય, તેમ ધર્મની લગામથી મનુષ્ય નિયંત્રિત બન્યો, પણ ધર્મની રચના કરનાર પણ મનુષ્ય હોવાથી દરેકે પોત પોતાની જુદી જુદી લગામો બનાવી અને પછી બધી ખેલ શરુ થયો. જુદા જુદા ધર્મો જુદા જુદા પંથો અને જુદા જુદા ઈશ્વરો અને જે ધર્મ અને ઈશ્વર લોકોની રક્ષા માટે હતો, તેની રક્ષા કરવા જૂથો રચાયાં. તે પછી ધર્મને નામે ઘણાંબધાં ષડ્યંત્રો રચાયાં અને તે મુખ્ય કારણ હતું ધર્મની પડતી થવાનું.”

તેમની વાત સાંભળીને શ્રેયસ વિચારમાં પડી ગયો તેણે પોતાના મનમાં ઊગેલ પ્રશ્ન પૂછી લીધો, “તો પછી સાચો ઈશ્વર ક્યાં છે અને તેને ક્યાં શોધવો?”

ગુરુજીએ હસીને કહ્યું, “તે ક્યાંય નથી અને બધી જગ્યાએ છે?”

“હું સમજ્યો નહિ.”

ગુરુજીએ કહ્યું, “તમે ઈશ્વરને ભૌતિક રીતે શોધવા માંગશો કે મનુષ્ય રૂપે જોવા મથશો તો તે ક્યાંય નહિ મળે એટલે તે ક્યાંય નથી, પણ જો તમે તેને શક્તિરૂપે જોવાનો પ્રયત્ન કરશો તો તે બધી જગ્યાએ છે, તમારી અંદર પણ છે. ઈશ્વર એ શક્તિ છે, ચેતના છે જે બ્રહ્માંડમાં બધી જગ્યાએ છે તેથી જ બ્રહ્માંડ ધબકતું રહે છે, ફેલાતું રહે છે. ચેતના પણ બે પ્રકારની છે એક જે તમે અનુભવો છો અને બીજી સુક્ષ્મ જે સામાન્ય વ્યક્તિ અનુભવી શકતો નથી, જે આખા બ્રહ્માંડમાં છે.”

 તેમણે આગળ કહ્યું, “જયારે કોઈ મનુષ્ય કે પ્રાણીની અંદરથી ચેતના જતી રહે છે, ત્યારે તેનું શરીર મૃત થઇ જાય છે છતાં તે શરીરની અંદર સુક્ષ્મ ચેતના હોય છે. કોઈ વૃક્ષની અંદરથી ચેતના જતી રહે ત્યારે તે સુકાઈને લાકડું બની જાય છે, પણ તે લાકડામાં પણ સુક્ષ્મ ચેતના હોય છે.”

શ્રેયસના મગજની નસો ખુલવા લાગી હતી. પછી તેણે ગુરુજીને હાલમાં બનેલ ઘટનાઓનો ચિતાર આપ્યો ઉપરાંત ડો. હેલ્મની બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડની થિયરીની વાત કરી.

ગુરુજીએ કહ્યું, “ડો. હેલ્મની થિયરી અદભુત છે અને સત્યની બહુ જ નજીક છે અને હવે તમને અહીં શા માટે બોલાવ્યા તે હું કહું છું ધ્યાનથી સાંભળો.”

ક્રમશ: