Pratisrushti - A Space Story - 27 - Last part books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૭ અંતિમ ભાગ

અંતિમ ભાગ

પોરસે પોતાની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. સિકંદરના ચેહરા ઉપર જીતના ભાવ આવી ગયા. તેને લાગ્યું કે પોરસે હાર માની લીધી છે અને તેને ખબર હોત કે પોરસ શું કરવા માંગે છે, તો તેને તે જ ક્ષણે ખતમ કરી દીધો હોત. પોરસે પોતાના શરીરમાં રહેલ બધાં ચક્રો એકાકાર કર્યા અને પોતાની આંખો ખોલી. તેની આંખોની કીકીનો રંગ સોના જેવો પીળો બની ગયો હતો અને પછી તેના હૃદયમાંથી અન્ટિન્યુટ્રીનો પાર્ટિકલ્સનો ધોધ નીકળ્યો અને તે સિકંદર સાથે ટકરાયો અને એક પ્રચંડ વિસ્ફોટ થયો જેમાં સિકંદર અને તે યાનના ટુકડા ટુકડા થઇ ગયા અને એક જ ક્ષણમાં તે વિસ્ફોટ શમી ગયો અને ત્યાં હવામાં ફક્ત પોરસનું શરીર તરી રહ્યું હતું.

પછી જાણે તેના શરીરને ગતિ મળી હોય તેમ તે વર્મહોલમાં દાખલ થયું અને પ્રતિબ્રહ્માંડમાંથી બ્રહ્માંડમાં પહોંચી ગયું. એક મીની અંતરીક્ષયાન જાણે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ તેમાંથી બે હાથ નીકળ્યા અને તેને તે યાનમાં ખેંચી લીધો. તે હાથ ઇયાનના હતા. 

ઇયાન શ્રેયસની મદદ માટે રોકાઈ ગયો હતો, પણ તેવો મોકો આવ્યો નહોતો. ઇયાને યાનને પ્રોડિસની દિશામાં વાળ્યું. બે દિવસને અંતે શ્રેયસને કળ વળી.

ઇયાને પૂછ્યું, “તમે પોતાના વાયદા ઉપર કાયમ રહીને પાછા આવ્યા ખરા, પણ હવે મને કહો તમને શું કહીને બોલવું શ્રેયસ કે પોરસ?”

તેણે સ્મિત સાથે કહ્યું, “પોરસ તો સિકંદર સાથે ખતમ થઇ ગયો, હવે બચ્યો છે ફક્ત શ્રેયસ.”

           નવ મહિના બાદ તેઓ પ્રોડિસ પર પહોંચ્યા ત્યારે ત્યાં ઉત્સવ મનાવવામાં આવ્યો. શ્રીકાંતે તેનું કામ બખૂબી નિભાવ્યું હતું. જયારે બિલ્વીસ પ્રોડિસોને લઈને પાછો આવ્યો હતો ત્યાં સુધીમાં બધાંને સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા હતા. પછી સિવાનની આગેવાનીમાં એક શિષ્ટમંડળ બનાવ્યું અને તેમને બાકી બચેલા બિલાકીન્સ સાથે દોસ્તી કરી લીધી અને પૃથ્વી ઉપર ન આવવાનો કરાર કર્યો અને તે બદલામાં સિવાન અને તેમની ટીમે પ્રોડિસ ગ્રહ છોડવાનો હતો.

પછી બિલાકીન્સનું એક અંતરીક્ષયાન બધાંને ચુપચાપ પૃથ્વી ઉપર મૂકીને નીકળી ગયું. પરગ્રહવાસીનું અંતરીક્ષયાન પૃથ્વી ઉપર આવ્યું હતું, તે વિષે ગણ્યાગાંઠ્યા લોકો જ જાણતા હતા.

કેલી અને શ્રેયસનાં લગ્ન અંતરીક્ષયાનમાં જ થઇ ગયા હતા. શ્રેયસના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને તેને ખબર હતી કે જવાબ ક્યાં મળશે, તેથી પૃથ્વી ઉપર પાછો ફર્યો તેના બે દિવસ પછી જ તે હિમાલયની સફર ઉપર નીકળી ગયો હતો.

હિમાલયની એક કંદરામાં તે ગુરુજીની સામે બેસીને વાત કરી રહ્યો હતો.

ગુરુજીએ કહ્યું, “નિયતિએ તને ફરીથી યુવાન બનાવ્યો ખરો! હવે કહે પ્રતિસૃષ્ટિનો અનુભવ કેવો રહ્યો?”

શ્રેયસે કહ્યું, “બહુ અદભુત અનુભવ રહ્યો, પણ મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે તેનું સમાધાન કરો.”

“હું પ્રયત્ન કરીશ.”

શ્રેયસે પૂછ્યું, “પદાર્થ અને પ્રતિપદાર્થ જયારે એક બીજા સાથે ટકરાય છે ત્યારે તે એકબીજાનો નાશ થાય છે અને પ્રચંડ ઉર્જાનું નિર્માણ થાય છે અને જયારે સિકંદર સાથે અન્ટિન્યુટ્રીનો પાર્ટિકલ્સ ટકરાયા ત્યારે પ્રચંડ ધડાકો થયો, ત્યારે ફક્ત સિકંદર જ કેવી રીતે નષ્ટ થઇ ગયો? અને બેહોશ થતાં પહેલા તે પ્રચંડ વિસ્ફોટને નાના ગોળામાં પરિવર્તિત થતો જોયો હતો. વિજ્ઞાનના નિયમ મુજબ તે શક્ય નથી.” શ્રેયસ એકધારો બોલી રહયો હતો, તે પાછળ ઘણા સમયથી આ પ્રશ્ન પોતાના મનમાં દબાવીને બેઠો હતો.

ગુરુજીએ કહ્યું, “શાંત થઇ જા શ્રેયસ, મને થોડો સમય આપ હું તને જવાબ આપું છું. થોડો મારી નજીક આવ.”

પછી ગુરુજીએ પોતાનો અંગુઠો શ્રેયસની ભ્રમરની મધ્યમાં મુક્યો અને પોતાની આંખો બંધ કરી અને થોડા સમય પછી તેમણે આંખો ખોલી. તેમના ચેહરા પર નિર્મળ હાસ્ય રમી રહ્યું હતું.

શ્રેયસે પૂછ્યું, “શું થયું ગુરુજી?”

ગુરુજીએ કહ્યું, “હું કહીશ, તો તને મજા નહિ આવે, હું તને બતાવું છું શું થયું હતું.” એમ કહીને શ્રેયસને આંખો બંધ કરવાનું કહ્યું અને ફરી પોતાનો અંગુઠો શ્રેયસની ભ્રમરની મધ્યમાં મુક્યો અને કહ્યું, “પહેલા પોતાનું મગજ નદીના પાણીની જેમ શાંત કર, હવે તને નિંદ્રા આવશે. હવે સમયમાં પાછળ જા અને જો શું થઇ રહ્યું છે અને ત્રીજી વ્યક્તિ તરીકે દ્રશ્ય જો?”

 શ્રેયસે કહ્યું, “હું ઇન્કયુબેટરમાં છું અને પોરસ મારામાં સમાઈ રહ્યો છે.”

ગુરુજીએ ધીમેથી ઘૂંટતા અવાજમાં પૂછ્યું, “હવે શું દેખાય છે?”

“તે ઇન્કયુબેટરમાંથી એક પ્રકાશપુંજ બહાર નીકળ્યો અને તે બહારની તરફ જઈ રહ્યો છે.”

“ઠીક છે, તેનો પીછો કરો.”

થોડીવાર પછી શ્રેયસે કહ્યું, “તે એક મોટા પ્રકાશપુંજ સામે ઉભો છે. .તે પ્રકાશપુંજમાંથી અવાજ આવ્યો, તારે સિકંદર સાથે યુદ્ધ લડવાનું છે એ તારી નિયતિ છે અને તારે એકલા હાથે જ લડવાનું છે અને મદદ જયારે જરૂરી હશે ત્યારે મળી રહેશે.”

“આગળ શું થયું?”

શ્રેયસે કહ્યું, “તે નાનો પ્રકાશપુંજ ફરીથી મારામાં સમાઈ ગયો.”

ગુરુજીએ કહ્યું, “વાહ સરસ! એટલે તને સૃષ્ટિના નિર્માતાને મળવાનો લહાવો મળ્યો. હવે તે પછીના સમયમાં જા અને જો શું થઇ રહ્યું છે.”

શ્રેયસે કહ્યું, “હું પોતાને સિકંદરની સામે બંધાયેલો જોઈ રહ્યો છું. હવે મેં પોતાની આંખો બંધ કરી અને મારા હૃદયમાંથી પાર્ટિકલ્સનો ધોધ નીકળ્યો અને તે સિકંદરની સાથે ટકરાઈને મોટો વિસ્ફોટ થયો અને તે દરમ્યાન મારી આજુબાજુ એક સુરક્ષાચક્ર રચાઈ ગયું છે. જેવા સિકંદરના ટુકડા ટુકડા થઇ જાય છે, તે વિસ્ફોટ સંકોચાઈને નાનું વર્તુળ રચાય છે અને તે મારા શરીરમાં પ્રવેશી જાય છે અને હું ફરીથી એક મોટા પ્રકાશપુંજ સામે ઉભો છું અને તેમાંથી અવાજ આવે છે, સર્જન અને વિસર્જન મારા આદેશથી થાય છે. પછી મારું શરીર વર્મહોલ તરફ ફેંકાઈ જાય છે અને બે હાથ મારા શરીરને ખેંચી રહ્યા છે.”

ગુરુજીએ કહ્યું, “ઠીક છે, હવે ધીમે ધીમે વર્તમાનમાં આવી જા.”

થોડીવાર પછી શ્રેયસે આંખો ખોલી, તેના ચેહરા ઉપર અજબ શાંતિ છવાયેલી હતી. તે ગુરુજીના ચહેરા તરફ જોઈ રહ્યો. ગુરુજીએ કહ્યું, “સૃષ્ટિના નિર્માતાનાં ભાગ્યે જ કોઈને દર્શન થાય છે, જયારે તને બે વાર દર્શન થયાં છે.”

શ્રેયસે કહ્યું, “તે વિસ્ફોટની ઉર્જા મારા શરીરમાં સમાઈ ગઈ છે.”

ગુરુજીએ કહ્યું, “તને શક્તિ મળી છે, તેનો સદુપયોગ લોકકલ્યાણ માટે કરજે.”

હિમાલયથી પાછા ફર્યા બાદ શ્રેયસે સમુદ્રકિનારે એક ઘર બનાવ્યું. કેલી અને શ્રેયસ ત્યાં રહેવા લાગ્યા. થોડા સમયબાદ તેમને સમાચાર મળ્યા કે વાયરસ ફેલાવનાર મિસાની અને તેના ગુપ્ત સંગઠનના સદસ્યો પકડાઈ ગયા છે. સાયમંડની કંપની સિક્રીસ જગતની સૌથી મોટી કંપની બની ગઈ છે અને તેમાં એક નવા ચેરમેન તરીકે યુલરની વરણી થઇ છે.

શ્રેયસ ઘરેથી નીકળીને હેડ કવાર્ટરમાં પહોંચ્યો અને ચીફને પૂછ્યું, “યુલર ચેરમેન કેવી રીતે બની ગયો?”

ચીફે કહ્યું, “તેણે સાયમંડને બચાવવમાં અને મિસાનીના સંગઠનને પકડવામાં આપણી મદદ કરી હતી તેથી તેનો ક્રાઇમ રેકોર્ડ દૂર કરી દેવામાં આવ્યો હવે તું તેની પાછળ ન પડતો.”

શ્રેયસ બીજી દિશામાં જોઈને બોલ્યો, “તે ત્યાં સુધી તો સેફ છે, જ્યાં સુધી તે કોઈ ગુનો ન કરે.” અને એવું કહેતી વખતે તેની આંખોની કિકીનો રંગ સોના જેવો પીળો થઇ ગયો હતો. 

 

સમાપ્ત.