Sandhya - 49 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 49

સંધ્યાએ મન તો મક્કમ કરી જ લીધું હતું. પણ પોતે આવડી મોટી દુનિયામાં સાવ એકલી હોય મહેસુસ કરી રહી હતી. એને નિર્ણય લીધો કે એકલી રહીશ પણ રહેવા માટે ઘર અને જરૂરી સામાન, જીણું જીણું તો કેટકેટલું જરૂર પડે એ બધું જ પોતે કેમ કરશે એ ઉપાધિમાં એ સરી પડી હતી. એ કામ કરતી હતી પણ મન સતત એ ચિંતામાં હતું. પાંચ જ દિવસમાં બધું જ મેનેજ કરવું એ ખુબ અઘરી વાત હતી.

હોસ્પિટલથી હવે બધા જ આવી ગયા હતા. સંધ્યાએ બધાને જમાડ્યા હતા. દક્ષાબહેન સાક્ષીને ઉંઘાડવા ગયા હતા. અને સંધ્યા અભિમન્યુને ઉંઘાડવા ગઈ હતી. બંને જણા બાળકોને ઉંઘાડીને હોલમાં આવ્યા હતા. પંકજભાઈએ સંધ્યાના મનમાં આજ સવારથી કંઈક ગડમથલ ચાલતી હતી એ જાણવાના હેતુથી સંધ્યાને કીધું, "શું બેટા! તું કોઈ ચિંતામાં છે? કોઈ તકલીફ હોય તો વિના સંકોચ કહેજે, અમે તારી સાથે જ છીએ."

"હા પપ્પા! મારે ખુદને તમારી અને મમ્મી સાથે એક વાતની ચર્ચા કરવી હતી." સંધ્યાએ કહ્યું હતું.

સંધ્યા જેવું એમ બોલી કે તરત જ સુનીલને થયું કે, એ કેટલો લાચાર છે કે, પોતાની બેનને તકલીફના સમયે કોઈ જ મદદ કરી શકતો નથી બધી જ રીતે સક્ષમ પરિવાર હોવા છતાં બેન અને ભાણ્યાને સાથે રાખી શકતો નથી. આ વિચારથી સુનીલ ખુબ જ દુઃખી હતો. એને ખુબ જ શરમીંદગી મહેસુસ થતી હતી.

"હા, તો બોલ ને બેટા! એમાં એટલું બધું શું વિચારે છે?" પંકજભાઈ બોલ્યા હતા.

સંધ્યાએ પોતાના પપ્પા, મમ્મી અને ભાઈની સામે પોતાનું મન ખોલતા એ બોલી હતી, "જો હું તમને બધાને જે કહું છું એ તમે શાંતિથી સાંભળજો. હું બહુ જ વિચાર કરીને આ વાતને તમારા લોકો સમક્ષ રજુ કરું છું. હું હવે મારા જીવનની ચુનોતીને મારી રીતે જીલીને જીવવા ઈચ્છું છું. હું હવે મારે સાસરે પણ નહીં અને મારે પિયર પણ નહીં અને સ્વતંત્ર મારી રીતે મારા જીવનમાં સ્થિરતા લાવવા એકલી રહેવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે જીવનમાં વહેલી કે મોડી સ્થિરતા લાવવી જ પડે છે, તો તમારા લોકોની હાજરીમાં જ હું મારુ જીવન સ્થિર કરવા ઈચ્છુ છું. હું મારા અને અભિમન્યુના લક્ષને સરખો સમય આપી શકું આથી મારે નોખું થવું છે. અને હું ઈચ્છું છું કે, તમે મારી વાત સમજીને મને અહીંથી જવા દેવાની અનુમતિ આપો તો હું કોઈ જ ચિંતા વગર શાંતિથી જઈ શકું."

"આ તું શું બોલે છે? આવા ખોટા વિચાર કેમ કરે છે. તારે અહીંથી જવાની શું જરૂર પડી?" સહેજ ગુસ્સા સાથે પંકજભાઈ બોલ્યા હતા.

"શું થયું બેટા? કેમ આજે અચાનક આમ વાત કરી? તું જયાં સુધી ચોખ્ખી વાત જ ન કરે તો એનું સમાધાન કેમ લાવી શકાય?" દક્ષાબહેને પ્રેમથી પૂછ્યું હતું.

"અરે કોઈ જ તકલીફ નથી થઈ. બધું જ બરાબર છે. બસ, મારે હવે મારુ જીવન સ્થિર કરવું છે. અને મને તમારો બધાનો સાથ જોઈએ છે." સાચીવાત કહીને ભાઈને દુઃખી કરવા સંધ્યા ઈચ્છતી નહોતી આથી અલગ જ કારણ એણે સામે ધર્યું હતું. અને આ કારણ એ બંનેના મનમાં ઉતરતું નહોતું.

"એમ નહીં બેટા તું કંઈક છુપાવે છે. જે સચીવાત હોઈ એ કહે ને બેટા..." દક્ષાબહેન બોલ્યા હતા.

"એ ક્યારેય સાચીવાત નહીં કહે, હું જાણું છું એ કેમ નોખી થવાની વાત કરે છે." સુનીલ અત્યાર સુધી ચૂપ હતો પણ હવે એ બોલ્યો હતો.

"એનો મતલબ તું જાણે છે? છતાં તું ચૂપ બેઠો? કારણ શું છે હવે કહીશ?" પંકજભાઈ રીતસર અકળાઈ જ ગયા હતા.

"શું કહું? ને કેમ કહું? પપ્પા આજ પંક્તિએ સંધ્યાને ખુબ જ અપમાનિત કરી છે. એ જયારે ગુસ્સામાં બોલે છે એને કઈ જ ભાન નથી હોતું! આમ પણ એનો સ્વભાવ ઈર્ષાળુ છે આથી સંધ્યાની એને ખુબ જ ઈર્ષા થાય છે. સંધ્યાને પહેલા ખોળે દીકરો અને એને બીજી પણ દીકરી આવી એ એનાથી સહન થયું નથી. બસ એ એના સ્વભાવના લીધે મનમાં આવે એ સંધ્યા પર બોલી હતી. અને સંધ્યા નથી ઈચ્છતી કે આ વાત જાણી તમે દુઃખી થાવ એટલે જ એ સાચીવાત છુપાવે છે." સુનીલે અફસોસ સાથે કહ્યું હતું.

"ઓહ! ઘરમાં આટલું બધું થઈ ગયું ને અમને બંને ને ખબર નથી! અને વહુને કોણે હક આપ્યો કે એ આ ઘરની દીકરીનું અપમાન કરે?હું એની કાલ બરાબરની ખબર લઈશ! એ સમજે છે શું પોતાને? મારીને દક્ષાની વાત હોય અમે બંને સહન કરી લઈએ છીએ પણ સંધ્યાને એણે કહ્યું જ કેમ? હું એને કાલ કહીશ કે પંકજ એટલે કોણ?" એકદમ ગુસ્સામાં પંકજભાઈ બોલી રહ્યા હતા.

"ના પપ્પા! તમે એવું કઈ જ કહેતા નહીં. હું આમ પણ હવે મને ખુદને સમય આપવા ઈચ્છું છું. હું શાંતિ માટે જ સાસરેથી અહીં આવી હતી. અને જો શાંતિ પામવા માટે અશાંતિને નોતરવી એ શું ઠીક કહેવાય પપ્પા? તમે છો ત્યાં સુધી ઠીક છે પણ પછી આવું થાય તો? અને મારે મારા અભિમન્યુને એકદમ સારી રીતે ઉછેરવો છે, સ્વમાનથી. તમે કંઈક કહેશો એટલે એ ભાઈ સાથે પછી ઝગડે..આમ ને આમ કંઈક તો ચાલ્યા જ કરવાનું. પછી સાવ બોલવાના સંબંધ પણ ન રહે એના કરતા દૂરથી મીઠા સંબંધ સારા નહીં? હું હવે શાંતિ ઈચ્છું છું. અને તમે ખરેખર જો દિલથી મને ખુશ જોવા ઈચ્છતા હોવ તો મને બેબીની છઠ્ઠી પતે એટલે અહીંથી જવાની અનુમતિ આપી દેજો." ખુબ સરસ સમજાવટથી વાત સંધ્યાએ રજુ કરી હતી.

"હા બેટા! તારું મન દુઃખી કરી મારે તને અહીં નથી રાખવી. મારી તને અનુમતિ છે. તું ચિંતા ન કરીશ. તને જેમ રહેવું હોય એમ રહેવા તું સ્વતંત્ર છે."

સંધ્યા પપ્પાની વાત સાંભળીને એમને ભેટીને રડી પડી હતી. દક્ષાબહેન કંઈ જ કહી શકે એવી સ્થિતિમાં જ નહોતા. એમને થયું મારી દીકરી અહીં આસુંડા પાડીને જશે! આ કર્મની સજા કેવી હશે! દક્ષાબહેન બધા માટે પાણી લાવ્યા અને બધાને શાંત કરવા પાણી પીવડાવ્યું હતું. પછી બધા ઊંઘવા માટે પોતપોતાના રૂમમાં ગયા હતા.

સંધ્યા પોતાના રૂમમાં આવી અને બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. અસંખ્ય પ્રશ્નો એના મન પર હાવી થઈ રહ્યા હતા. એ આંખ બંધ કરીને સૂરજને મનોમન પોતાના પ્રશ્નો માટેના ઉત્તર માંગી રહી હતી. એ પોતાનામાં જ વસતા સૂરજના અંશને બોલી, આજ હું સાવ ભાંગી ગઈ છું. મને શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી કાંઈ જ સમજાતું નથી. હું મને પોતાને જ સાચવવામાં અસમર્થ છું, તને કેમ સાચવીશ? ખરેખર તારો અંશ મારામાં હોય તો મારા પ્રશ્નોના જવાબ મને શોધી દે! સાચવી લે મને! આપ તારા અસ્તિત્વનો અહેસાસ અને મને મુક્ત કર આ પીડામાંથી!

સંધ્યાએ જેવી આંખ ખોલી કે, આકાશમાંથી એક ખરતો તારો સંધ્યાએ જોયો હતો. સંધ્યાને જાણે સૂરજે સાબિતી આપી એવો એને અહેસાસ થયો હતો. સંજોગ થયો કે, શું થયું પણ સંધ્યામાં એક ગજબની હિંમત આવી ગઈ હતી. એને ખાતરી થઈ જ ગઈ કે એના દરેક પ્રશ્નનો એને જવાબ મળશે જ!

કેવી રહેશે બેબીની છઠ્ઠીની ઉજવણી?
કેમ કરશે સંધ્યા ઓછા દિવસોમાં અનેક પશ્નનો ઉકેલ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻