Saraswati Chandra - 1 Chapter - 14 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૪

સૌભાગ્યનો સંપૂર્ણ ચંદ્ર

બુદ્ધિધન દરબારમાં ગયો એટલે તેના દ્ધારમાં એકબે વિશ્વાસુ સિપાઇઓ સજ્જ થઇ બેઠા. સૌભાગ્યદેવી-ફરી નહી અને ભસ્મ ચોળી દેવમંદિરમાં રૂપાની દીવીઓમાં ઘીના દીવા અને ધૂપિયામાં ધૂપ સળગાવી દેવની આગળ માતુશ્રીએ શીખવેલાં સ્તોત્ર ગાતી ગંભીર વદન કરી બેઠી. ચૈત્રના પ્રાતઃકાળમાં રમણીય લાગતી પવનની લહેર ખાતા ખાતા વૃદ્ધ દયાશંકર ચોકમાં પડ્યા અને પાસે બેસી અલકકિશોરી અને કુમુદસુંદરી દરબાર, રાણો, શઠરાય, બુદ્ધિધનનાં નાનપણનો ઇતિહાસ, માતુશ્રીની વાતો, કારભારી કુટુંબની દંતકથાઓ, અને એવી એવી એવી કંઇ કંઇ બાબતો પૂછવા લાગી અને સંજયની પેઠે દયાશંકરને તેમની જિજ્ઞાસા રસ અને આનંદ સાથે પૂરવા લાગ્યા. વાતો કરતાં કરતાં દયાશંકરને બુદ્ધિધનના મંદાવાડના દિવસ સાંભરી આવ્યા, એની તીવ્ર પ્રતિજ્ઞા સાંભરી આવી; અને અનાથ વિધવા માતુશ્રી, બાળક સૌભાગ્યદેવી, અને ચિંતાગ્રસ્ત બુદ્ધિધન એ ત્રણનાં દુઃખના દિવસોનું યથાસ્થિત વર્ણન વૃદ્ધ પુરાણી સ્મરણશક્તિને જુવાન કરી કરવા લાગ્યા.

જુવાન બાળકીઓ દયામણે મોંએ તે સાંભળવા લાગી અને વચ્ચે વચ્ચે કહેવા લાગી, ‘અરેરે, આવા દિવસ તો દુશ્મનનેયે ન આવશો.’ સ્તોત્ર ભણતાં ભણતાં પોતે જોયેલા વખતનો ઇતિહાસ સાંભળી સંભારી સૌભાગ્યદેવી એકલી બેઠી બેઠી ડૂસકાં ભરવા લાગી, માતુશ્રીની મમતા વધારે વધારે લક્ષમાં આણી ચોધાર આંસુ પાડવા લાગી, અને આખરે સ્તોત્રપાઠ પડતો મૂકી. આંસુ લોહી દયાશંકરકાકા પાસે ગઇ અને બધામાં બેસી વૃદ્ધ પુરુષની સ્મરણશક્તિને આશ્રય આપવા લાગી. ‘દયાશંકરકાકા, આ વખતે માતુશ્રી જોઇએ, હોં. હાય, હાય, એમના જેવું તો કોઇ થનારું નથી. મને તો એમનું હેત સાંભરી આવે છે કની ત્યારે એકલી બેઠી બેઠી હૈયાફાટ રોઉં છુ. એમણે દુઃખ તે દુઃખ જ દીઠું - સુખના દિવસ જોવા વારો તો એમને આવ્યો જ નહીં. એમણે તો અમને ઉછેરવાને જ દેહ ધારી હતી’ ભૂપસિંહના દરબારમાં ભવ્ય ખટપટ મચી રહી હતી અને તેના અમાત્યની ફેરવલી કૂંચીાળા વાજાં એકદમ અણદાર્યાં ગાજી ઊઠતાં હતાં તે સમયે આ ઘરમાં આવો ચિત્તવેધક પણ શાંત રમણીય પ્રસંગ ચાલતો હતો.

અલકકિશોરી જમાલવાલા બનાવ પછી નિષ્કારણ અટકચાળાં કરવાં ભૂલી ગઇ હતી. નવીનચંદ્રવાળા પ્રસંગ પછી ડાહી બની હતી. ભાભીની ચતુરાઇ અને સુશીલતાએ ઓગળવા માંડેલું ગુમાન માતાપિતાના દુઃખના દિવસની કથાને પ્રતાપે આજ ચારે પાસથી ગળવા માંડ્યું. દીન અને શાંત થયેલા સ્વભાવનો વેલો કુમુદસુંદરી જેવી માળણની ગોઠવણથી વિદુરપ્રસાદની આસપાસ વધારે વધારે અનુકૂળ બની ફરી વળતો હતો.

‘બહેન, હું તો તમમારો ભાઇ થાઉં, હો !’ એ શબ્દ પૂરેપૂરા કાન પર પડવાથી વનલીલાએ નવીનચંદ્રની શુદ્ધતાની ખાતરી કરી આપી હતી એટલે કુમુદસુંદરીના હ્ય્દયમાંથી એક મહાકંટક નીકળી ગયો હતો. બેભાનપણામાં બકી જવાયેલાં પદ જાગ્રત અવસ્થામાં વનલીલાની શુદ્ધ સ્મરણશક્તિને બળે કુમુદસુંદરીએ સાંભળ્યાં અને નવીનચંદ્રના અંતઃકરણમાં એથી કેટલું દુઃખ થયું હશે તેનો વિચાર કરી એ પોતાને નિર્દય માનવા લાગી. પરપુરુષ થયેલાની બાબતમાં આટલો મોહ થાય એ તો પતિવ્રતાધર્મથી કેવળ વિરુદ્ધ અને પોતાના મનમાં આટલી નિર્બળતા હોવા છતાં નણંદને ઠપકો દેવો એ કેવળ મૂર્ખતા - એમ વિચારી નવીનચંદ્રને જોઇ થતા વિકારો એકદમ દાબી નાંખવા ઠરાવ કર્યો અને તરત જ તે ઠરાવ પ્રમાણે વર્તવા સમર્થ થઇ.

પદ્માગણિકાના કમખાથી પડેલી ખબર ઉપરથી મનમાં એમ લાગ્યું કે ‘મનોમન સાક્ષી છે’ એ નિયમ પ્રમાણે જ બનાવો બને છે અને સરસ્વતિચંદ્ર મારા મનમાં પણ ન હોત તો આવા સુશીલ પતિને પદ્માનો જોગ ન હતો. આમ વિચાર મનનમા સ્વામીને મનમાંથી દેશનિકાલ કરવા તત્પર થઇ. કઠિન કાર્ય સાધવા સમર્થ થવા પ્રમાદધનના સારા ગુણોનું ચિન્તન કરવા લાગી, અને તેના ઉપર અંતઃકરણ ચોંટાડવા મહાભારત પ્રયાસ કરવાં માંડ્યો.

દયાંશકરની વાતોથી કારભારી કુટુંબ ઉપર તેની અનુકંપા વધી અને તે કુટુંબના એક બાળકને પોતે વરી છે એ વિચારથી શ્વશુર કુટુંબનું અને પતિનું અભિમાન પ્રથમ જ ઉત્પન્ન થયું. પોતાનુંં મન શુદ્ધ થશે તો પતિને પણ શુદ્ધ કરી શકાશે એમાં વાંધો ન લાગવાથી આજ સુધી દીન મનવાળી રહેનારી ઉત્સાહી બની.

પણ બે પળમાં મધ્યાલ્ન જોવા નિર્મેલી આંખોમાં આમ ચારે પાસથી તેજનો અંબાર પ્રવેશ કરતો હતો અને પોપચાંને પણ ભેદી અંદર જવા મથતો હતો. ભાગ્યનો વરસાદ ઇશ્વરને ઘેરથી નીકળી ચૂક્યો હતો, ઘર બહાર ઊભેલા બુદ્ધિધન પર તેના ફોરાં પડવા માંડ્યાં હતાં. અને ઘરમાં રહેલા તેના કુટુંબને તેની ખબર ન હતી તોપણ પડનાર વરસાદની મધુર શીતળતા તેમને પણ આમ લાગવા માંડી હતી. સમયેન સર્વમુપકારી કૃતમ્‌

તે ન્યાયે સંપૂર્ણ થતા ભાગ્યોદયને સર્વ વાત અનુકૂળ થઇ ગઇ. અલકકિશોરીનું ચિત્ત પવિત્ર થયું. તેના અભિમાનને ઠેકાણે નમ્રતા આવી. ઉન્મત્તપણાને ઠેકાણે શાણપણ આવ્યું, અને પતિ પર ઉદાસીનપણાને ઠેકાણે આદર થયો.

કુમુદસુંદરી પાણિગ્રહણ કરનાર પર ભાવ ચોંટાડવામાં સફળ થઇ. આ સર્વ ભાગ્યોદય નહીં ? કારભાર મળે તેના કરતાં આની મહત્તા શું ઓછી ?

બુદ્ધિધન અને સૌભાગ્યદેવી - એ દંપતીને જે સુખની પળ - ભાગ્યની પળ - આવવાની તેનાં સાધનોમાં આ બનાવોનો પણ ભાગ હતો. દેખીતા શત્રુ સાતે પુત્રીના દુર્ગુણ અને વહુનો અસંતોષ એ બે ગુપ્ત કુળશત્રુ પણ પળવાર નાશ પામ્યા અને અમાત્યના વિજયના ઉપકારક બન્યા.

વાતોમાં દસેક વાગ્યા અને સૂર્યનાં કિરણનું સૈન્ય વધારે ચળકતું - વધારે ગરમ થતું - ચોકમાં ધસવા લાગ્યું તેમ તેમ સૌને ઉકળાટ લાગવા માંડ્યો, અને જયવંતનો તાપ ન સહેવાતાં સૌ તેને માર્ગ આપવા લાગ્યાં.

દયાશંકર થાકી ઊઠ્યા અને દીવાનખાનામાં એક આરામખુરશી પર નિદ્રામાં પડ્યા. સૌભાગ્યદેવી એક હીંચકા પર બેસી પતિની ચિંતામાં પડી. કુમુદસુંદરી મેડી પર ચડી. રસોઇયાને અને ચાકરોને આરંભ કરવાનો હુકમ કરી નણંદ પણ ભોજાઇ પાસે ગઇ.

‘ભાભી, આજે દરબારમાં શું થશે ?’

‘સૌ સારાં જ વાનાં થશે - આપણી ચિંતાની કાંઇ ત્યાં અસર નહીં થાય. દસ વાગી ગયા હોં !’

‘હાસ્તો, હવે કોઇક આવશે. નવીનચંદ્ર આવે -’ નવીનચંદ્રનું નામ લેતાં કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડ્યા.

‘ભાભી, નવીનચંદ્ર તો કાંઇ આડુંઅવળું થશે તો જ આવશે. ?’

‘એમ છે કે ? ત્યારે તો કાંઇ સારા વર્તમાન હશે.’

‘નવીનચંદ્ર માણસ સારું છે, હોં !’ વર્તમાનકાળ જ જોઇ શકનારી કિશોરીના લક્ષમાંથી ભૂતકાળ ખસી ગયો હતો, અને અતિથિ સારો છે એટલું જ તેણે યાદ રાાખ્યું જણાયું. બાળક હ્ય્દયવાળી ઉઘાડા અંતઃકરણવાળી હતી. ભોળી હતી, અને જે બાબત સારુ આપઘાત કરવા તૈયાર થઇ હતી, તે વાત સહેજમાં ભૂલી ગઇ હતી. નવીનચંદ્રની વાતો કરતાં તેને રજ પણ વિકાર થતો ન હતો.

કુમુદસુંદરીએ ઉત્તર ન વાળ્યો.

‘ભાભી, આટલા દિવસ થયા પણ એ અહીંયાં કેમ આવ્યા છે ને ઘેરથી કેમ નીકળ્યા છે તેનો કંઇ પત્તો જ લાગતો નથી, એ શું હશે ?’

‘દેવીને પૂછો. તેમની સાથે આપણને લીલાપુર મોકલવાનો વિચાર કર્યો તેને એ બાબતની ખબર નહીં હોય ?’ વિચારમાં પડી કુમુદસુંદરી બોલી, અને કાંઇ બીજી વાત નીકળે એવું ઇચ્છવા લાગી. સામી પ્રમાદધની છબી તી તે જોઇ પાછી શાંત બની. બીજી વાત કાઢી, ‘બહેન, મને લાગે છે કે સારા સમાચાર જ હશે અને તમારા ભાઇ જ કહેવા આવશે. પછી તો કોણ જાણે કાંઇ બીજું કામ હોય ને રોકાઇ જાય તો.’

‘જો, વરઘેલાં ખરાં ! કશું હોય તો મારા ભાઇની વાત.’

‘હવે તમે મને કહો એવું નથી.’

‘પણ મારે મને કહો એવું નથી.’

‘બહુ સારું. પણ માણસ વરઘેલું હોય તેમાં કાંઇ ખોટું ખરું ?’

‘હાસ્તો, આંખો દહાડો દહાડો વર વહર ને વર. એનું એ. રાંડ તારો રોટલો ને ઘડતાં ભાંગ્યો. એ શું ?’

‘કહો ત્યારે - બાયડીને ભાયેડા કરતાં કરતાં કંઇ વધારે છે ?’

‘હા એ વાત ખરી. વધારે કશું નથી. પણ આખો દાહડો એની એ વાત ?’

‘પણ પહેલાં તો તમે એટલુંયે ક્યાં કબૂલ કરતાં હતાં જે ? નણદોઇની વાત નીકળતાં જ બડફાં નાખતાં હતાં.’

‘હા, બહેન, હા. એ તો ભૂલ્યાં પણ હવે એમ કરું છું ?’

‘ના, ત્યારે હું કાંઇ કહું છું કે તમે એમ કરો છો ? કહો, આ દયાશંકરકાકાની વાતો સાંભળી ?’

‘હા. એ સાંભળતાં તો રૂંવાં ઊભાં થાય છે. પિતાજી અને દેવીનેયે કેટલાં કેટલાં દુઃખ પડ્યાં છે ?’

‘રાંડ ખલકનંદાએ માતુશ્રીને જોઇ મોં મરડ્યું અને લુચ્ચા દુષ્ટરાયે સંદેશો કહાવ્યો તે બધું સાંભળ્યું ?’

‘સાંભળ્યું. આજ જ જાણશે તો કે આખ કરીએ તો આમ થાય !’

‘દેવીની એટલી બાબત ઉપરથી આજ સુધી કેટલાં બધાં વરસ સુધી પિતાજીએ એ વાત મનમાં રાખી અને કેટલા કાળ સુધી ફિકર રાખી ત્યારે આજ વખત આવ્યો !’

‘ભાભી, એમને તો હદ છે હોં ! ચિંતા તે કેટલી ? પિતાજીનું શરીર એની એ ફિકરથી વળતું નથી.’

‘કહો, ત્યારે દેવી પિતાજીની બાબત રાતદિવસ વિચાર અને વાતો કર્યા કરે છે ?’

‘નાસ્તો. અણઘટતું કેમ કહેવાય ?’

‘ત્યારે સ્વામીની બાબત સ્ત્રી કેટલી ચિંતા કરે તો થયું કહેવાય ?’

‘થયું કેમ કહેવાય ? આપણે સારુ જેને આટલી ફિકર થાય તેને સારુ આપણને વરઘેલું ન હોય તે ઇશ્વરના ઘરનું અપરાધી.’

‘હા, હવે બરોબર કહ્યું. કહો ત્યારે વિદુરપ્રસાદજી બાબત રાત ને દિવસ તમે ચિંતા કરો કે વાતો કર્યા કરો તો તેમાં શું ખોટું ? વરઘેલાં હોય

તે તો સારું, હોં. વરઘેલું ન હોય તે ઇશ્વરના ઘરનું અપરાધી.’

અલકકિશોરી શરમાઇ ગઇ. ‘ઇશ્વરના ઘરનું અપરાધી’ એ શબ્દ

બોલી કુમુદસુંદરી પોતે પણ મનમાં લેવાઇ ગઇ, પ્રમાદધનની છબી સામું જોઇ રહી, નિઃશ્વાસ મૂકી મનમાંથી સરસ્વતીચંદ્રને છેલ્લા નમસ્કાર કર્યા, હવે તેના વિચાર પોતે છોડી દીધા છે. જાણી ઊંડો સંતોષ પામી, અને સામી છબીના સામું સ્નેહભરી ભીની આંખે જોઇ રહી.

‘ભાભી, તમે કહો છો તે ખરું તો ખરું હો. તમે મને પેલી ચોપડી આપી છે તેમાંયે લલિતાએ કહ્યું છે કે :

‘રૂડો ભૂંડો તોયે પ્રિયે પતિ ગણીને મન ઠરું -

વિચારો આવા છે પણ મન ન માને કશું ખરું -

અધીરી એવી હું તરત મળવાને મન કરું’ -

આ લીટીઓ તો બોલવામાં અદલબદલ થઇ છે. પણ વાત ખરી.

આવો નઠારો નંદનકુમાર તેને જોઇને લલિતાને ઉમળકો આવ્યો...’

‘અને બધાંયેે હતાં તે વચ્ચે વરના વિચાર કરવા બેઠી,’ કુમુદસુંદરી બોલી ઊઠી અને બોલતાં બોલતાં આવી સહેજ ભણેલી કલ્પિત લલિતાનો દાખલો પોતાને પણ લેવા લાયક ગણ્યો.

‘હા, ભાઇ, હા, ત્યારે એમેય હવે વરઘેલાં થઇશું. પછી કંઇ ?

તમે વરઘેલાં. હુંયે વરઘેલી અને આખો સંસાર વરઘેલો ! વરઘેલાનું ગામ

વસશે.’

ગંભીર વાતો કરતાં કરતાં બે જણ કાંઇક હસ્યાં.

બુદ્ધિધનનો ઘરસંસાર આમ શુદ્ધ થતો હતો. અલકકિશોરી કોઇનું કહ્યું માનતી ન હતી તે ભાભીની આવી આવી વાતોથી સુધરતી હતી, અને વિદુરપ્રસાદનાં ભાગ મળતાં હતાં. એટલામાં વનલીલા આવી.

નણંદભોજાઇને એકલાં વાતો કરતાં - વિશ્રમ્બની કથા કરતાં -

જોઇ વનલીલા જરાક ખમચી પણ પછી તરત અંદર પેઠી.

‘આવ, વનલીલા, કેમ અટકી ?’ અલકકિશોરી એના ભણી જોઇ

બોલી. ‘અત્યારે ક્યાંથી ?’

‘હું તો ગામગપાટા કહેવા આવી છું. રૂપાળી દુષ્ટરાયને મારી નાસી ગઇ અને ખલકનંદા કંઇક સંતાઇ ગઇ છે તે જડતી નથી.’

‘હેં !’ અલકકિશોરી વિસ્મય પામતી ઊઠી અને વનલીલાને ખભે હાથ મૂકી ઊભી. કુમુદસુંદરી ઊઠી નહીં પણ બે જણ ભણી જિજ્ઞાસાથી જોઇ રહી. જાણ્યામાં આવેલા સમાચાર વનલીલાને હાંફતાં હાંફતાં કહી બતાવ્યા.

એટલામાં કૃષ્ણકલિકા અને રાધા આવ્યાં અને દરબારમાં જમાલ

નીકળ્યો તે સમાચાર લાવ્યાં. સૌ સૌભાગ્યદેવી પાસે ગયાં અને એની એ કથા પુનરુક્તિથી નીરસ ન બની.

આખરે વિદુરપ્રસાદ આવ્યો અને દરબાર થઇ રહ્યો ત્યાં સુધીના સવિસ્તર સમાચાર લાવ્યો. અલકકિશોરીનો આનંદ માયો નહીં અને તેનું

ચાલત તો તે ગજકજ કૂદત. કુમુદસુંદરી અમાત્ય બુદ્ધિના વર્ણનથી અદ્‌ભૂત રસમાં ડૂબી, અમાત્ય કુટુંબમાં પ્રવેશ પામવામાં અભિમાનપદ ગણવા લાગી, અને તેનો જય જોઇ તેના સ્વાર્થમાં આત્મસ્વાર્થવશ બની નિશ્ચિત થઇ.

સુખસાગરની સીમા ગંભીરતામાં આવતી હોય તેમ સ્વામીના જયવર્તમાન સાંભળી અને તેના શત્રુઓનો સર્વતઃ નાશ કરવા ઇશ્વર ઇચ્છાને પ્રવર્તતી જોઇ સૌભાગ્યદેવી ગંભીર બની અને કદી ન વેઠેલા આનંદઓઘના ભાર નીચે દબાઇ જતી હોય તેવી દેખાવા લાગી. દયાશંકર આવ્યા અને તેની પાસે વળી સર્વ કથાની પુનરુક્તિ થઇ અને સર્વેએ રસભેર સાંભળી.

સર્વે દીવાનખાનામાં ગયાં. વધારે વધારે સાંભળતાં વિદુરપ્રસાદ

વધારે વધારે વિગત કહેવા લાગ્યો અને ઘડીવાર સર્વનાં મન તેને શરણ રહ્યાં. એમ શરણ રહેવાનો અનુભવ અલકકિશોરીને પણ પ્રથમ આજ થયો અને વિદુરપ્રસાદની વાત આજ તેણે પ્રથમ અભિનંદી. વાત કરતાં વેળા વીતી. આખરે ટપાલમાં આવેલો કાગળ વાંચીને ખીસામાં મૂકતો મૂકતો નવીનચંદ્ર દ્ધારમાં દાખલ થયો, અને ચાલતી વાર્તામાં ઉમેરાની આશા રાખતુપં સર્વ મંડળ એના ભણી આકર્ષાયું. કુમુદસુંદરીનું મન એના ખીસામાં જરીક દેખાતી ટપાલની ટિકિટવાળા કાગળમાં ભમવા લાગ્યું. આજ સુધી કોઇની સાથે નવીનચંદ્રનો પત્રવ્યવહાર તેને જણાયો ન હતો, પત્રવ્યવહાર ઉપરથી તેની બાબત વધારે જણાશે એવો તેના મનમાં તર્ક હતો, પત્ર ઉપરના અક્ષર આદિ જાણવા તેની જિજ્ઞાસા હતી, અન આજ એ જિજ્ઞાસા પૂરી પડવાનો સંભવ તો નહીં - પણ શક્યતા લાગી. એટલે પોતાના બળથી પતિવ્રતા બનનારી પાછી ડગમગવા લાગી. બળવાન બાળકી તરત સાવધ

બની અને પાછું મન વશ કરી લીધું.

જવાના વિચારમાં પડેલા નવીનચંદ્રે ચાલતી વાતોમાં ભળતાં પહેલાં

- ભળતાં ભળતાં - કુમુદસુંદરીને પોતાના મનથી છેલ્લીવેલ્લી જોઇ લીધી.

એક વાર જોઇ - બીજી વાર જોઇ - ત્રીજી વાર જોઇ - જોવાનો પાર જ ન આવ્યો. ‘કુમુદસુંદરી ! હવે આ છેલ્લો મેળાપ !’ વિચારમાં ને વિચારમાં તેની વાર્તા અવિચ્છિન્ન ચાલી નહીં, પણ આ તે પર કોઇનું લક્ષ ખેંચાયું નહીં. દૃષ્ટિ આગળથી પણ જુદા પડવાનો પ્રસંગ વિચારીને તે ગળગળો થવા લાગ્યો. પદ્માના અભિલાષીના કબજામાં પડેલીને જોઇ તેનો અંતઃપશ્ચાત્તાપ વધ્યો. એની આંખોનું નવીન નૃત્ય, એના વદનમાં દેખાઇ આવતી મનની દીનતા, અને ટપાલનો કાગળ : ત્રણને સાંધી કુમુદસુંદરી ચિંતાગ્રસ્ત થવા

લાગી : ‘શું હશે ?’ તેનો તર્ક કરવા લાગી; તેના દૃષ્ટિપાતને પ્રત્યુત્તર ન વાળવામાં આજ સુધી જયવંત નીવડેલો નિશ્ચય હાથમાં ન રહેતો લાગ્યો, પણ મનનું સમાધાન કરવાનો રસ્તો ન સૂઝ્‌યો.

અલકકિશોરીને સાધનભૂત કરવામાં ન ફાવેલી કૃષ્ણકલિકા નવીનચંદ્ર

સામું જોઇ રહી, તેની દૃષ્ટિની સાથે સંધાતી કુમુદસુંદરીની દષ્ટિને શોધી કાઢી અને ઇર્ષ્યાગ્નિથી બળવા લાગી. દુષ્ટ અસંભવ કલ્પી - કુમુદસુંદરીને નવીનચંદ્રથી મળતું સોભાગ્ય કલ્પી - એ સૌભાગ્યનો અંત આણવા ઠરાવ કર્યો. સમયસૂચકતાથી, દેખાતા દૃષ્ટિસંગમ ભણી અલકકિશોરીનું ધ્યાન ખેંચ્યું.

‘રાંડ, ખાલ ખેંચી નાખીશ - જો એવું એવું બોલી તો.’ કહી ખભા વતે કૃષ્ણકલિકાને ધક્કો માર્યો અને અલકકિશોરી વાતોમાં લીન થઇ.

એટલામાં બારણે શોરબકોર થયો. સૌ બારી ભણી દોડ્યાં અને જુએ છે તો ખલકનંદા બાવરી બનેલી રસ્તામાં દોડે છે અને લોકો કાંકરા નાંખતા ગાળો દેતો તેની પાછળ પડેલા દીઠા. શઠરાયનું ઘર જપ્ત થયું તે વખત તે સૂતી હતી ત્યાંથી તેને હાંકી કાઢી. સ્ત્રીવર્ગને અડકવું નહીં એવો અમાત્યનો હુકમ હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવા ઉપરાંત કાંઇ થયું નહીં. ધણીને ઘેર તેનોે સ્વીકાર ન થયો અને એની ખરાબ વર્તણૂક જાણનારાઓ

પ્રસંગનો લાભ લઇ તેની પાછળ પડ્યા, શઠરાયની અપકીર્તિના રસિયા

લોક ચારેપાસ ભરાયા, તાળીઓ પાડવા લાગ્યા અને ‘હો, હો,’ કરતા ઊભરાયા. પડતા દુષ્ટ કુટુંબની કોઇને દયા ન આવી. ખલકનંદાને કોઇ

પાસનો આશ્રય ન દેખાયો. બાભીની સાથે ગઇ હોત તો ઠીક થાત એમ

લાગ્યું, ભયપાશમાં હવે કાંઇ માર્ગ ન સૂઝ્‌યો; અને છાશબાકળી થયેલી, ગાળો અને કાંકરાના વરસાદ વચ્ચે આમ તેમ દોડતી, ઠોકરો ખાતી, પડી જતી, ઊઠતી અને રોતી, ફાવ્યું તે રસ્તે જવા લાગી. આમ લોકને દેખે એટલે આમ જાય અને આમ દેખે એટલે આમ જાય. એમ કરતાં કરતાં બુદ્ધિધનનું ઘર આવ્યું. એની આ અવસ્થા જોઇ બારીમાં ઊભેલી કિશોરી બોલી ઊઠી : ‘દેવી, દેવી, જો, રાંડને જમાલે કામમાં ન આવ્યો ને મ્હાવોયે ન આવ્યો. હત, રાંડ, લેતી જા - રાંડ, ડાકણ, શંખણી -’ દેવીએ આંખ

કાઢી અને પુત્રીને વારી નીચે ઊતરી ઓટલા ઉપર આવી. સૌ એની પાછળ

આવ્યાં અને બારણું રોકી ઊભાં.

આ સૌને જોઇને ખલકનંદા વધારે ગભરાઇ અને હારી. શિકારી કૂતરાઓ પેઠે લોકો ટોળાબંધ તેની પાછળ લાગ્યા હતા તે ચડતી અવસ્થામાં આવેલી પવિત્ર અમાત્ય પત્નીને આનંદની પરિસીમા પર આણવા ઉશ્કેરાશે એ વિચાર એકદમ દુષ્ટાના મનમાં આવ્યો. જમાલની બાબત ઉન્મત્ત અલકકિશોરી વેર લીધા વીના રહેશે અને એ વેર લેવાનો પ્રસંગ આ અચિંત્યો પાસે આવ્યો જાણી શઠરાયની દીકરી ઊંડા અંતરમાંથી બળવા લાગી. ભયની જગાડેલી કલ્પનાએ દૂર ગયેલો ભૂતકાળ પાસે ખડો કર્યો અને બુદ્ધિધનની

માતુશ્રીને કરેલું અપમાન - એ અનાથ વિધવા દ્ધારા સૌભાગ્યદેવીને પોતાને પહોંચાડેલું અસહ્ય અપમાન - એ અને બીજી કાંઇ કાંઇ જૂની ભૂલી જવાયેલી વાતો મગજમાં એકદમ ઊભરાઇ આવી અને કોહી ગયેલા શબમાં અસંખ્ય

જીવડાં તરવરે તેમ તરવર તરવર થવા લાગી. બુદ્ધિધનનું ઘર મૂકી બીજે રસ્તે નીકલી પડવા તેણે યત્ન કર્યો પણ ઇશ્વરે એને નિષ્ફળ કરી. દોડતાં થાકી ગયેલીને પાછળથી આવી પહોંચેલાં માણસોમાંથી એક જણે ધક્કો

માર્યો અને ઓટલા પાસે સૌભાગ્યદેવીના પગ આગળ દુષ્ટરાયની બહેન ઊંઘે માથે પડી. પાછળથી એક માણસ ‘મારો રાંડને’ કરતો આવ્યો અને એના વાંસા ઉપર પગ મૂક્યો. દુષ્ટરાયની પાસે રહેનાર પોલીસનો એક સિપાઇ ઊભો હતો તેણે પણ આ માણસને વાર્યો નહી એક પળવાર વધારે જાત તો ગડદાપાટુનો આરંભ થાત.

ખલકનંદા પડી તેવી જ અલકકિશોરી હાથ ઊંચો કરી બોલી ઊઠી

ઃ ‘મારો રાંડને - એ તો એ જ લાગની.’ એમ કહી લોકસંઘ આગળ

પડેલીનાં પાછલાં કંઇ કંઇ દુષ્કર્મ સંભારવા લાગી અને જીવ વડે લોકોને ઉશ્કેરવા લાગી. રામસેન સિપાઇ ઘરમાંથી નીકળી બુદ્ધિધનના ઘરની કારભારણા દીકરીના હુકમનો અમલ કરવા બહાર આવ્યો.

કૃષ્ણકલિકા, વનલીલા અને રાધા પાસે ઊભાં ઊભાં છાનાંમાનાં તાલ જોતાં હતાં.

વૃદ્ધ દયાશંકર પાછળથી જુવાન કિશોરીને વારતા હતા પણ એ તેમનું બોલ્યું સાંભળતી પણ ન હતી. વિદુરપ્રસાદ અને નવીનચંદ્ર લોકને દૂર રાખવામાં રોકાયા, પણ તેમનું બળ બસ ન થયું.

આખરે સૌભાગ્યેદેવી ભમર ચડાવી બોલી ઊઠી : ‘અલક તું હવે આઘી જા. આપણેયે એના જેવાં થવું ?’ વળી લોકો સામું જોઇ બોલી :

‘ચાલો ચાલો, જાઓ બધા.’ ‘તમારું એણે શું બગાડ્યું છે ?’ ‘તમે બાઇ

માણસ ઉપર પગ મૂકતાં શરમાતા નથી ?’ - ‘રામસેન, ખસેડ આમને.’

લોકો જરાક ખસ્યા પણ પૂરા છાના ન પડ્યા. ઠેકાણે ઠેકાણેથી ગણગણાટ નીકળવા લાગ્યો. ‘આ તો અમાત્યનાં ઘરવાળાં’ - ‘સૌભાગ્યદેવી આ જ !’ ‘મોઇ રાંડ, જવા દો એને - દેવી એમ કહે છે.’ ‘અરે મારો -

એને તે જવા કેમ દેવાય ?’ ‘અલકબહેન, બરોબર કહો છો - એને તો

માર જ ઘટે !’ ‘આ પેલાં અલકકિશોરી !’ - ‘આ દેવીની પાસે ઊભાં છે તે પ્રમાદભાઇનાં વહુ, હોં !’ - એમ જુદાં જુદાં વાક્ય લોકસંઘમાંથી સંભળાવા

લાગ્યાં.

અલકકિશોરી માની સાથે લડવા લાગી : ‘દેવી આજ તારું કહ્યું નહીં માનું - તું તો એવી ને એવી રહી - તને ખબર છે કે આ રાંડના ઉપર દયા ન ઘટે. પકડ રાંડને - ચોટલો ઝાલીને - રામસેન !’

માદીકરીના હુકમમાંથી કોનો માનવો તે રામસેનને સમજાયું નહી.ં એની સાથે બુદ્ધિધનના બીજા સિપાઇઓ હતા તેનું વલણ અમાત્યપુત્રીનું વચન માનવા પર હતું. પણ દેવીનું વચન લોપવું એ વાત થઇ શકે એવી ન હતી.

‘કુમુદ વહુ ! આ છોકરી અત્યારે મારું કહ્યું નહીં માને; જરા તમે કાંઇ સમજાવો ને એને.’ વહુની સમજાવવાની શક્તિ સમજનારી બોલી -

મા દીકરીની કળ જાણી ગઇ હતી.

નણંદના ખભા ઉપર પાછળથી હાથ મૂકી ભોજાઇ ઊભી રહી.

‘અલકબહેન, જવા દ ને એને હવે ! મરેલાંને તે શું મારવાં !’

‘તમેયે દેવીના કહેવામાં હશો !’ કાંઇક ધીરો ઉત્તર આપવાનો અવકાશ કિશોરીને મળ્યો.

‘હાસ્તો. દેવી કાંઇ ખોટું કહે છે ?’

‘પણ સવારે દયાશંકરકાકાની વાતો તમે સાંભળી છે.’

‘હા, પણ એમાં તો ખોટું લાગે તો દેવીને લાગે !’

‘ના, એને તો ન લાગે, એ તો એવી છે કે એને કોઇ મારી નાંખે તો તેને જ એ કહેશે કે જીવ !’

‘પણ તમારે શું ? - તમને શી બાબત ખોટું લાગે છે ?’

‘કેમ ન લાગે ? મને જે કર્યું છે તે તો હું ભૂલી જાઉ છું લો ! પણ એને કરેલું કેમ ભૂલી જાઉં ? એ તો મારી મા હોં !’ અલકકિશોરી કહેતી કહેતી અટકી કે ‘તમારી સાસુ પણ મારી મા.’ કુમુદસુંદરી એ સમજી પણ ખોટું ન લગાડ્યું અને બોલી :

‘હા, તેની હું ના ક્યાં કહું છું જે ? ખોટું તો તમનેય લાગે ને

મનેય લાગે. પણ, બહેન, દેવી કહે છે તે ઠીક કહે છે - તે પ્રમાણે કરો.

એથી તમારું ધાર્યું થશે. આઘાં આવો. મારું કહ્યું કરો - પછી ખરી વાત સમજાવીશ.’ તેલ પડવાથી સમુદ્ર શાંત થાય તેમ ઉન્મત્ત અલકકિશોરી નરમ

પડી અને બડબડતી બડબડતી બોલી : ‘વારુ, બહેન, વારુ. રામસેન, ત્યારે દેવી કહે છે તેમ કર. વારુ, પણ, ભાભી, ભૂલ કરો છો હોં ! આ રાંડને શી ખબર પડશે કે એમ કરીએ તો આમ થાય ?’

ખલકનંદા પર પગ મૂકનાર આઘો ખસ્યો. રામસેન અને અમાત્યના બીજા સિપાઇઓ કુલટાની આસપાસ ફરી વળી કોટ રચી ઊભા અને એ ઊઠીને ઊભી થઇ.

‘કહે, દેવી, હવે આનું શું કરવું છે ? મને રજા આપે તો પિતાજીને પૂછી એને ગરદન મરાવું.’

‘હા, હા, એને તો એ જ ઘટે -’ લોકો બૂમ પાડી ઊઠ્યા -

‘મરાવો ગરદન એને.’

‘અલકકિશોરી, એમ કરો ત્યારે જ ખરાં તમે !’ એક જણે આઘેથી બૂમ પાડી. બીજા એક જણે આઘેથી એક કાંકરો ફેંક્યો તે બરોબર ખલકનંદાની પીઠ પર વાગ્યો.

‘રામસેન, આ લોકો આમ શું કરતા હશે ? તું વાર એમને’ -

દયાર્દ્ર મુખ કરી સૌભાગ્યદેવી બોલી.

‘બાઇ, તમે અમને પૂછો નહીં. એ રાંડે જે જે કામ કર્યાં છે તે

મોંએ કહેવાય એવાં નથી. એને જે કરતાં શરમ નથી આવી તે એમને કહેતાં શરમ આવે છે’ ‘-અરે બહેન, તમારાં સાસુ નથી, નીકર બધું તમને કહી આપત.’ કંઇ કંઇ બૂમો આમ પડવા માંડી. ભાઇની વિષયવાસનાની સાધનભૂત થયેલી બહેને કંઇ કંઇ ઘર ફોડ્યાં હતાં, કંઇ કંઇ પુરુષોની મરજી

ઉપરાંત તેમની બહેનો, દીકરીઓ, અને સ્ત્રીઓ પર લાલચ, કપટ, જુલમ

અને અધિકારની જાળ પથારી હતી, કંઇ કંઇ ભોળી સ્ત્રીઓને ફસાવી હતી, નિર્દોષ દૂષિત કરી હતી અને દૂષિત સ્ત્રીઓની માર્ગદર્શક થઇ હતી. પોતાના સ્વામી સિવાય બીજી કાંઇ બાબતની વાત કરવા સૌભાગ્યદેવી અવકાશ શોધતી ન હતી અને આ અપવિત્ર સંસારમાં એ પોતાના કાનને પણ પવિત્ર રાખી શકાી હતી - અર્થાત્‌ - ખલકનંદાની સત્તા એને બિચારીને ખબર ન હતી. પોતાના ઉપર થયેલો જુલમ તો તેના અંતઃકરણે ઘણાક દિવસથી માફ કર્યો હતો.

અધીરી અને ઊકળેલી બોલી : ‘કહો ભાભી, દેવી તો બોલતી નથી. તમારે શું કરવું છે ?’

‘દેવીનું મન તમારાથી સમજાય એમ ક્યાં નથી ?’

‘હા, દેવીનું મન તો જાણીએ જ છીએ તો ! આ લોકના હાથમાંથી આને છોડાવીએ, ઘરબાર વિનાની થઇ છે તેને આપણા ઘરમાં રાખીએ, અને આપણી સાથે જમાડીએ - તો દેવી રાજી - એને સોનાનો સૂરજ ઊગે.’

સૌભાગ્યદેવીનું અંતઃકરણ એની પુત્રીએ ખરેખરું ખડું કર્યું. આ શબ્દોથી દેવી પ્રસન્નવદનું બની : ‘કુમુદ, કહો વારુ એમ કરીએ તો શું ખોટું થાય ?’

કુમુદસુંદરી અલકકિશોરી ભણી ફરીે બોલી : ‘બહેન, માનું કહ્યું કરવું એ દીકરીનું કામ છે.’

‘ના, એ હું સમજતી નથી. જુઓ, તમેયે વળી એના ભમી વળ્યાં, ખરાં !’

‘ના, ના, આ તો હું સહેજ વાત કહું છું. દેવી, મને લાગે છે કે અમને જુદે ઠેકાણે ચોકીમાં રખાવો અને ત્યાં જ ખાવાનો બંદોબસ્ત કરો.

પછી પિતાજી આવશે ત્યારે ઘટતી વ્યવસ્થા કરશે.’

‘હા. હવે બરોબર.’ પિતાને માન આપનાર પુત્રીને આ વાત બાધ વિનાની લાગી. પતિવ્રતા દેવીને વહુની સલાહ ઘણી ગમી. લોકને સંતોષ વળ્યો. ખલકનંદા નીચું જોઇ રહી હણી તેણે ઊંચું ન જોયું. અલકકિશોરીએ હુકમ કર્યો એટલે રામસેન અને બીજી બે સિપાઇઓ વચ્ચે રાખી શઠરાયની દીકરીને થોડેક છેટે એક ખાલી ઘર હતું ત્યાં લઇ ગયા. ‘હો હો’ કરતા

લોકો વેરાયા. ખલકનંદાથી જુદાં પડતાં પડતાં અલકિશોરી એની સામું જોઇ

બોલી : ‘રાંડ ખલકી ! તારા અને અમારા કારભારમાં આટલો ફરે ! જા

! તારું મોં કાળું કર !’ આટલું બોલી, તે કોઇની દરકાર વિના અભિમાનભરી ઘરમાં સૌથી પહેલી પેઠી. એની પાછળ એની સહિયરો પેઠી. ખલકનંદાને રસોઇ કરી આપવા અને એનં કામ કરવા, તથા પુરુષવર્ગ વચ્ચે એને એકલાં રહેવું ન પડે તે માટે, પોતાની એક વિશ્વાસુ દાસીને એની પાસે

મોકલવા કોમળ સ્વરે વહુને સૂચના કરી, તેનો અમલ થઇ રહેતાં સૌભાગ્યદેવીની આંસુભરી આંખે સૌની પાછળ બારણા ભણી વળી અને વળતાં વળતાં કુમુદસુંદરીનો હાથ ઝાલી બોલી : ‘કુમુદસુંદરી, જોયા વારાફેરા ? શો એનો દિવસ હતો અને શો આવ્યો છે ! પ્રભુ કરે તે ખરું ! તમારો તો જન્મે ન હતો તે દિવસની વાત - શી એની જુવાની અને શો એનો તોર હતો

! હળવે હળવે સૌ ઘસાઇ ગયું. - અને આખર આ વારો આવ્યો. પ્રભુ, તું કરે તે ખરું !’

સાસુના અંતઃકરણ ઉપર આસક્ત થતી કુમુદસુંદરી પ્રસન્ન વિચારમાં પડી સૌથી છેલ્લી ઘરમાં પેઠી. ઘરમાં સર્વ મેડી પર ચડ્યાં હતાં. દાદર પર

ચડતાં ચડતાં પગથિયાં પર દોડાદોડમાં નવીનચંદ્રનો કાગળ ખીસામાંથી પડી ગયો હતો તે પર કુમુદસુંદરીની નજર પડી અને ઊંચકી લીધો. મેડી ઉપર

ચડી તો ખલકનંદાની વાતો થતી હતી અને માદીકરીમાંથી કોનો વિચાર સારો હતો તે વિષય ચર્ચાતો હતો. એટલામાં બારણે પગરવ સંભળાયો અને બારીએ જુએ છે તો કેટલાંક માણસો આવતાં જણાયાં. શઠરાયનો અસ્ત સંપૂર્ણ થયો અને બુદ્ધિધનને કારભાર મળ્યો જ સમજવો જાણી - હવે એની પાસે આવવાની જરૂર લાગ્યાથી - અમલદાર મંડળ દરબારના સમાચાર સાંભળવા અને નવા કારભારીની સેવામાં ખડું રહેવા જમી કરી બીજું કામ

પડતું મૂકી એને ઘેર આવ્યું અને બારણા આગળ ઊભું રહ્યું.

અલકકિશોરી કહે, ‘આ બધા કેમ અત્યારે અહીંયાં આવતા હશે

?’ સૌ કંઇ કંઇ કારણ બતાવવા મંડી ગયાં. અંતે વિદુરપ્રસાદે કહ્યું : ‘એ તો એસ્તો - કારભારીની તહેનાતમાં રહેવા આવે નહીં તો ક્યાં જાય ?

હવે - કારભારીનું ઘર બદલાયું !’

વનલીલા બોલી : ‘અલકબહેન, હવે ઊઠો અહીંયાંથી; હવે આ દીવાનખાનાની મેડીમાંથી બેસવાનું ગયું - હવે તો અમલદારો બેસશે - હવે તો આ કચેરીની મેડી થઇ ગણો.’

નીચેથી સિપાઇએ બારણું ઉઘાડ્યું અને સૌ સ્ત્રીવર્ગ દીવાનખાનામાંથી બારણું ઉઘાડી નવીનચંદ્રવાળી મેડીમાં ગયો. અમલદારો દાદર પર ઊભરાયા.

સ્ત્રીવર્ગ જતાં તેમની પાછળ દયાશંકરે બારણું વાસ્યું અને વાસતાં વાસતાં ગાયું કે,

‘ભલે પધાર્યાં, લક્ષ્મીબાઇ ! સગાંસંબંધી આવે ધાઇ !

કોઇ કહે, મારે મોળાઇ ભાઇ ! કોઇ કહે, મારે મશિયાઇ ભાઇ !’

વિદુરપ્રસાદ તે સાંભળી હસ્યો અને સૌ અમલદારોને સત્કાર દેવા દાદર ભણી ચાલ્યા.

અમલદાર સંઘનાં કડકડ થતાં ઇસ્ત્રીવાળા અંગરખાં, ચમચમ થતાં અને પગેથી નીકળતાં જમીન પર ઘસાઇ શબ્દ કરતા અનેક જોડા, ગુપચુપ થતી વાતો, ઘડીભર સંભળાતું બુદ્ધિધનનું નામ, એ નામની પાછળ પ્રત્યય

પેઠે લગાડાતો ‘ભાઇ’ શબ્દ; આ સર્વ વસ્તુ માંડવ આગળના ખમડમાં હીંચકા પર બેઠેલી સૌભાગ્યદેવીના સરવા થતા કાનના દ્ધાર પર ઉપરાઉપરી ધક્કેલા મારવા લાગી. જડસિંહના સમયમાં સર્વ મલદારોની પાછળ ભલું હોય તો જોડા આગળ એકલો અપ્રસિદ્ધ બેસનાર તિરસ્કારને પાત્ર થનાર -

અનાથ વિધવાનો ગરીબ દીકરો - બુદ્ધિધન ગરીબ ઘરમાં રહેનાર માતુશ્રી પાસે શઠરાયને ઘેરથી આવી મોટા અભિમાની ઘરની વાતો રંક મોંએ મન આગળ ઊભા થયા. તેમની સાથે નવા પ્રસંગને સરખાવતી, જૂી અવસ્થાની અવગણના કર્યા વિના નવી અવસ્થાના ધ્વનિને, પ્રધાનપત્ની બનતી રંક અબળા આનંદનાં આંસુ વડે એકલી બેઠી બેઠી સત્કાર આપવા લાગી.

સ્વામીની ઉચ્ચ પદવી દૃષ્ટિ આગળ મૂર્તિમાન થતી જોઇ કોમળ કલ્પનાવાળીના રોમેરોમ ઊભાં થયાં; અચિંત્યા સુખની શીતળતાથી શરીરને ચમક થતી હોય તેમ કંપારી ચમકાવવા લાગી; અમલદારોના ઓઠ ઉપર પોતાના પતિનું જ નામ સાંભળી અમૃત સરોવરમાં નહાતી હોય તેમ દેવી આનંદપ્રફુલ્લા બની. આજ ઘેર આવશે ત્યારેે કારભારી બનેલા સ્વામીનાથના મોં પર કેટલી મોટપ આવશે - તે કેવા દેખાશે ત્યારે કારભારી બનેલા એવા ને એવા જ રહેશે - એવા એવા વિચારોથી એની સ્નિગ્ધ ભીની આંખ આતુર બની ઉઘાડા આઘા દ્ધારમાં જ ઠરી. મેઘના એકઠા કરેલા મોર પ્રફુલ્લ વૃક્ષ પર બેસી નાચે અને ટહુકા કરે તેમ સંપત્તિના વરસાદે એકઠા કરેલા અમલદારો જ્યારે દિવસમાં ઠેઠ સુધી સહચારિણી થયેલી રંક અવસ્થાની ભાગિયણ આજે પણ એકાંતમાં એકલી પતિના સુખથી અતુલ સુખી બનતી હતી -

સૌભાગ્યદેવી પતિના સંપૂર્ણ સૌભાગ્યચંદ્ર ચંદ્રિકામાં રસભેર નહાતી હતી.

ઘડી બે ઘડી એમ થઇ એટલામાં બુદ્ધિધન દ્ધારમાં આવ્યો; શોધમાં ફરતી તેની આંખો દેવીની આંખ શોધી કાઢી, તેની સાથે તારામૈત્રક રચ્યું, વિકાસ પામી શુભ વર્તમાન સૂચવ્યા, અને એ સંગીતને તાલ દેવા ઓઠ

પર સ્મિત ચમકવા લાગ્યું. પાછળ આવનાર પરિવાર સાથે તે દાદર ઉપર

ચડ્યો અને પ્રફુલ્લા અને પ્રસન્ન બનેલી સૌભાગ્યદેવી ભોજનખંડ ભણી ચાલી.

ત્યાં તેની પુત્રી પાટ પર કચેરી ભરી બેઠી હતી. એ કચેરીમાં આજ રોજના કરતાં વધારે સ્ત્રીઓ ભરાઇ હતી અને અલકકિશોરીની ધમક, તડાકા અને દોર કાંઇક જુદાં જ હતાં.

એ કચેરીમાં કુમુદસુંદરી ન હતી.