Saraswati Chandra - 1 Chapter - 15 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 15

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૫

સરસ્વતીચંદ્ર -

‘ભભૂત લગાયો ! અલખ જગાયો !! ખલક કિયો સબ ખારો વે !!!’

દીવાનખાનામાં પુરુષો ભરાવા માંડતાં સ્ત્રીવર્ગ નીચે ઊતરી પડ્યો.

તે વખતે કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઇ, હાથમાં આવેલો નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જોવા મંડી ગઇ, અને પોતાની પાસે એક બીજો કાગળ

હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ આજ જ આવ્યો હતો.

તે એની નાની બહેન કુમુદસુંદરીનો લખેલો હતો. એના કાગળમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી તેથી ટપાલમાં ન મોકલતાં સારી સોબતમાં વનલીલા ઉપર બીડ્યો હતો અને સૂચના કહાવી હતી કે કુમુદસુંદરીને હાથોહાથ છાનોમાનો આપવો. વનલીલા આ બે બહેનોની પિયર ભણીની સગી હતી અને ગામના સમાચાર કહેવાને બહાને આવી આજ જ છાનોમાનો કુમુદસુંદરીના હાથમાં તેણે તે મૂકી દીધો હતો અને કાનમાં કાગળ સંબંધી સમાચાર કહ્યા હતા.

એકતાં હાથમાં આવ્યું એટલે એ કાગળ વાંચવા લાગી. નિઃશ્વાસ નાંખતી નાંખતી કુમુદસુંદરી સરસ્વતીચંદ્રના સમાચાર વાંચવા લાગી. પ્રમાદધન ઉપર જ મન ચોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું.

સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબઇને ધનાઢ્ય વ્યાપારી હતો અને દશબાર લાખ રૂપિયાનો ધણી કહેવાતો હતો. સાધારણ વ્યાપારીઓ ભણે છે તેથી વધારે એ ભણ્યો ન હતો. પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મનીનંદનનામાં આન્યા હતા.

ચંદ્રલક્ષ્મીની સાસુ ઇશ્વરકોર સ્વભાવે તીખી હતી. દીકરા ઉપર વહુનું ચલન સાખી શકતી ન હતી, ઘરમાં પોતાનું જ ધાર્યું કરતી અને પોતાનું જ ધાર્યું

થાય છે એ વહુને બાળી મૂકવાના હેતુથી, દેખાઇ આવે એમ કરતી.

ચંદ્રલક્ષ્મી મોટું પેટ રાખી ઘૂંટડા ગળી જતી અને સાસુનો સ્વભાવ મનમાં પણ આણતી ન હતી. લક્ષ્મીનંદનની આથી તેના ઉપર પ્રીતિ વધી હતી અને સરસ્વતિચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં

માન વધ્યાં. પણ પુત્ર ચારપાંચ વર્ષનો થયો એટલામાં ચંદ્રલક્ષ્મી ગુજરી ગઇ

અને તે જ દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવતી જતી થઇ ત્યાં સુધી સરસ્વતીચંદ્ર બાપ અને વડિયાના હાથમાં ઊછર્યો. એને ખોળામાં રાખી ચંદ્રલક્ષ્મીની જોડે બેસી -

સજોડે - લક્ષ્મીનંદને એક છબી પડાવી હતી. મુંબઇવાસી હોવાને લીધે તેણે આ હિંમત ચલાવી હતી પણ છબી પડાવ્ની ખબર પડ્યા પછી ઇશ્વરકોરે વહને બેશરમી બાબત મહિના સુધી જુદ્ધ ચલાવ્યું હતું પરંતુ દીકરાની બેશરમી નેતા મનમાં વસી ન હતી. લક્ષ્મીનંદને આ છબી પોતાની મેડીમાં રાખી હતી, પણ વહુ ગયા પછી માએ બહાર કઢાવી. ‘મોઇ ભેંસના મોટા ડોળા’ એ ગામડિયા કહેવત પ્રમાણે મરેલી વહુને સંભારી ડોશી બહુ રડતી હતી અને એ છબી બાળક સરસ્વતીચંદ્રને બતાવ્યાં કરતી હતી. એમ કરતાં કરતાં ગુમાન ઘેર આવી. તે હલકા કુટુંબની હતી, અને ઓરમાન દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વેર રાખતી હતી. ઓરમાન દીકરા ઉપર પ્રીતિ રાખવી એ તો ખોટું એમ ગુમાનને એની માએ જ શીખવ્યું હતું.

લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન આપવાનો તેને શોખ હોવાથી અને એવા ઉત્તેજનથી મોટા થયેલા ઘણાક વિદ્ધાનો તેના આભારી હોવાથી તેને ઘેર વિદ્ધાનોનું મંડળ ભરાતું, તેમના સંસ્કાર એનામાં પ્રસંગ દ્ધારા આવ્યા હતા, અને નાનામોટા, ભણેલા તથા ભણનારાની પ્રીતિનું પાત્ર, આ જ વિદ્યારસને લીધે એ અધિક બન્યો હતો.

આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્ધાનોના ખોળામાં પડવા લાગ્યો અને ચંદ્રલક્ષ્મીની કાન્તિ જાળવનારું તેનું મધુર હસતું મોં સર્વને પ્રિય લાગતું હતું. પિતાના આશ્રિત વિદ્યાર્થીઓએ બાળકને રમતાં જ વિદ્યારસિક કર્યો.

ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિમાં ઊછરવાના રોગથી બચી નિર્મળ સંગતિમાં ઊછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર રહેતો લાભ

લક્ષ્મીનંદનના ભાગ્યશાળી પુત્રને ઇશ્વરે આપ્યો.

ચંદ્રકાન્ત નામના અતિશય રંક પણ બુદ્ધિવાળા એને વિદ્યાના હોંસીલા સમોવડિયા વિદ્યાર્થી સાથે સરસ્વતીચંદ્રને લઘુવયમાં મિત્રતા બંધાઇ અને શાળામાં પણ સહાધ્યાયી હોવાથી પરસ્પરને લાભ આપતી મિત્રતા વય

વધતાં વધારે વધારે ગાઢ થઇ. ઘણાક વિદ્યાર્થીઓની મિત્રતા બંધાઇ સરી પડી પણ આ મિત્રતા દિને દિને વજ્રલેપ બનવા લાગી.

લક્ષ્મીનંદન સંગતિને લીધે કાંઇખ અંગ્રેજી પણ બોલતો લખતો હતો.

મુંબઇના નગરસુધારક સમાજનો સભાસદ હતો, કાપડ વણવાનાં એકબે યંત્રની કંપીનીઓમાં અંગ્રેસર હતો, ગુપ્ત તથા દેખીતો પરમાર્થ ઘણોક રાખતો, પરમાર્થમાં સ્વાર્થ પણ રાખતો, લોકેષણાનો લોભી હતો, અંગ્રેજ વ્યાપારીઓ તથા અમલદારોનો પ્રસંગ રાખતો; તેમને પોતાને ઘેર નવા નવા પ્રસંગ ઉત્પન્ન કરી બોલાવતો અને રીઝવતો, અને તેને બદલામાં દેખીતું માન સર્વે આપતા. ગવર્નર સાહેબની ‘લેવ્હી’માં તે જતો અને

‘ઇવનિંગ’ પાર્ટી’માં તેને આમંત્રણ થતું. આ સર્વ હકીકત વર્તામાનપત્રોમાં આવવી રહી જતી નહીં.

‘ધી બૉમ્બે લાઇટ’ પત્રનો તંત્રી પ્રખ્યાત વિદ્ધાન બુલ્વરસાહેબ,

‘ગુર્જરવાર્તિક ચોપાનિયાનો તંત્રી ઉદ્ધતલાલ, મુંબઇનો પ્રખ્યાત નગરપ્રિય

કવિ તરંગશંકર, ઊછરતો રંક ગ્રંથકાર શાંતિશર્મા, દક્ષિણ દેશવત્સલ વીરરાવ ધમ્પાટે અને પારસી ભાષણયોદ્ધો સમશેરજી, એવા એવા અનેક ગૃહસ્થનો

લક્ષ્મીનંદનને પ્રસંગ હતો. સેક્રેટરીયેટના એક અમલદારની વગથી શેઠ લક્ષ્મીનંદન

‘જસ્ટિસ આવ ધિ પીસ’ બન્યા હતા.

આ સર્વ સત્તાને લીધે શેઠની રજવાડામાં પણ સારી પ્રતિષ્ઠા હતી.

રત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કાંઇ કામપ્રસંગે મુંબઇ આવતો ત્યારે સ્વજ્ઞાતિના

પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીનંદનને ત્યાં જ ઊતરતો. શેઠનો પુત્ર સરસ્વતીચંદ્ર

વિદ્યાર્થી અવસ્થા સમયે જ વિદ્યાચતુરના પ્રસંગમાં પુષ્કળ આવી ગયો અને એ બાળકની બુદ્ધિ, વિદ્યાની હોંશ, નમ્રતા, વિનય, શુદ્ધ અંતઃકરણ, સંગતિ,

મધુરતા અને એવા એવા ગુણો નિત્યના પ્રસંગે વિદ્યાચતુરના અંતઃકરણમાં વસી ગયા. તેમાં ચંદ્રલક્ષ્મીની કાંતિવાળું સ્મિતભર્યું ગૌર રમણીય વદન તેને ઘણું પ્રિય લાગ્યું.

‘હુવા તો વિવાહ’ એ પ્રમાણે આવા ધણાઢ્યનો આવો પુત્ર પારણામાંથી જ પરખાવો જોઇતો હતો. પણ કાંઇ કારણથી ચારપાંચ વર્ષ વિવાહ વિના વીતી ગયાં. ત્યાર પછી કોઇ વિવાહ કરવા આવતું તેને ગુમાન બારોબાર વિદાય કરી મૂકતી હતી અને લક્ષ્મીનંદન સુધી વાત જવા ન દેતી. ડોશી ઘણું મથતી પણ ગુમાનના ટકોરા ન વેઠાવાથી સૌ કોઇ

આવ્યું - જતું રહેતું. આખરે ડોશીએ માથાની થઇ લક્ષ્મીનંદનને સૌ વાત કહી તો ઉત્તર એ મળ્યો કે નાનપણમાંથી છોકરાને લફરું વળગાડવાની જરૂર નથી. આખરે સરસ્વતીચંદ્ર પંદરસોળ વર્ષનો થયો તેવામાં ગુમાને પુત્ર

પ્રત્યક્ષ અને તેનો વિવાહ તરત જ થયો તેમાં લક્ષ્મીનંદને કાંઇ બાધ દેખાડ્યો નહીં. આથી ડોશીનું માથું ફરી ગયું. લક્ષ્મીનંદનને ફટકાર કરી મહેણું દીધું, અને શરમાયેલે મોંએ તેણે કન્યા શોધવાનું સ્વીકાર્યું. એવામાં રત્નનગરીનો

પ્રધાન વિદ્યાચતુર કાંઇ કામ સારું મુંબઇ આવ્યો અને નિયમ પ્રમાણે જ

પ્રથમની પેઠે લક્ષ્મીનંદનને ત્યાં ઊતર્યો. ત્યાં થોડાક દિવસ રહ્યો એ અરસામાં ઘરમાં ‘હરતાફરતા વિદ્યાર્થી સરસ્વતીચંદ્રનો વધેલો અભ્યાસ, તેની હવે ખીલેલી બુદ્ધિ, સર્વકળાધર સ્વરૂપ, ઇત્યાદિ સર્વ એને ગમી ગયું અને પોતાની પુત્રી કુમુદસુંદરી સારુ વર શોધતો હતો તે સૂઝી આવ્યો; પણ

મોટા માણસને મોંએ એકદમ વાત કરવા પહેલાં ડોશીની સલાહ માગી.

ડોશી તો તૈયાર જ હતી અને લક્ષ્મીનંદને વિવાહ સ્વીકાર્યો. માત્ર ગુમાન અંતરમાંથી બળી, પણ પુરુષોએ માંહોમાંહે મળી જઇ કામ કર્યું અને સ્ત્રીવર્ગ વેગળો રહ્યો લાગ્યો એટલે ચુમાઇને બેસી રહી. વિદ્યાચતુર જેવો વેવાઇ, કુમુદસુંદરી જેવી કન્યા, અને બીજી સર્વ વાત રુચતી લાગવાથી પૌત્ર પંદર વર્ષ કુંવારો રહ્યો તેનું સાટું વળી ગયું સમજી વત્સલ ડોશી આનંદપ્રફુલ્લ

બની, ગુમાન ઊભી હોય ત્યારે બમણો આનંદ બતાવવા અને જોડાનાં વખામ કરવા લાગી, અને પૌત્રને એકાંતમાં વારંવાર ચશ્માં ચડાવી ન્યાળી, રાંચી તેને મસ્તક હાથ મૂકી આશીર્વાદ દઇ લગ્નનો સમય ઇચ્છવા લાગી.

‘વિદ્યાચતુર શાને લગ્ન કરવામાં ઢીલ કરતા હશે ?’ ‘લગ્ન કરે તો હું ભાગ્યશાળી થઇ અને વરકન્યાની જોડ બંધાઇ જોઇ સંસારમાંથી પરવારું.’

આમ વિચારી કોઇ કોઇ સાથે વિદ્યાચતુરને સંદેશા કહાવતી. વિવાહ કરવાની બાબતમાં જેણે ઢીલ નહોતી કરી તે વિદ્યાચતુર લગ્નની ઉતાવળ કરવા ખુશી ન હતો, અને ડોશીને નારાજ કરવા પણ નાખુદ હોવાથી તેને દિલાસા ભરેલા વાયદા કહાવતો.

સરસ્વતીચંદ્રનો વિદ્યાભ્યાસ ઘણો વધ્યો. સત્તરઅઢાર વર્ષની કુમળી વયમાં તે એમ.એ.ની. પરીક્ષામાં સફળ થયો અને તે પછીના વર્ષમાં કાયદાની પરીક્ષામાં પણ સફળ થયો. ઘણીક પરીક્ષાઓમાં અને ઘણાક નિબંધો લકી પારિતોષિકો (ઇનામો) પાંડિત્યવેતનો (સ્કોલરશિપો), ચંદ્રક (ચાંદ) વગેરે તેણે મેળવ્યાં હતાં અને સર્વ ઢેકાણે ઉત્તમ વિજયી નીવડ્યો હતો. મહાશાળાના પાઠકો, પરીક્ષકો અને બીજા પ્રસિદ્ધ પંડિતો તેના ઉપર પ્રીતિ રાખતા. તેનું

મસ્તિક (મગજ)૧ સર્ગસક્તિવાળું ગણાતું, તેની રસજ્ઞતા અને રસિકતા ઊંચા

પ્રકારની લેખાતી. વિદ્યાલક્ષ્મીના સંગમથી સોનું અને સુગંધ બેનો રમણીય

યોગ તેનામાં થયો લાગતો. ગર્ભશ્રીમંતના ગુણ સ્પષ્ટ જણાતાં છતાં શ્રીમંતાઇના સહચારી દોષ તેનામાં આવવા પામ્યા ન હતા. શરીર વ્યાયામ(કસરત)વાળું અને કાંતિમાન હતું. મુખ ઉપર પ્રતાપ અને કોમળતા એકઠો વાસ કરી રહ્યાં હતાં. રાક્ષસ જેવો ન લાગે એટલો ઊંચો, જાડો ન લાગે એવો બેવડિયા કોઠાનો, અને ફીકાશમાં ન ખપતાં આંખને ગમે એટલી ગૌરતાવાળો સરસ્વતીચંદ્ર

ભણ્યો ન હોત, શ્રીમંત ન હોત, તોપણ શરીરના રમણીય અને પૌરુપ દેખાવથી જ સર્વનું મન હરત એમ તેના વિદ્ધાન મિત્રો પણ કહેતા.

કુમુદસુંદરી વયમાં આવી અને વધારે વધારે ભણી તેમ તેમ

સરસ્વતીચંદ્રની વાતો માતાપિતાને મોંએ સાંભળવાની રસિયણ બની.

શ્વસુરજામાતાનો પત્રવ્યવહાર હતો તેથી વિદ્યાચતુર ઘણીવાર ગુણસુંદરી પાસે સમાચાર કહેતો અને વિશેષ વાર્તાની પ્રસંગ આણતો. આવો વિદ્ધાન અને વત્સલ પિતા જેની આટલી સ્તુતિ કરે તે પુરુષ કેવો હશે ? પુત્રી આઘીપાછી બેઠી હોય તેવે સમયે પિતા જાણી જોઇ જામાતાની વાત કાઢતો તે એવી ઇચ્છાથી કે એનો પતિપ્રેમ ગાઢ થાય. આ ઇચ્છા સફળ થઇ. પણ તેની સાથે નિર્દોષ બાળકીના અંતઃકરણમાં ઘણાક મનોવિકાર ઉદય પામ્યા અને કોઇ કોઇ સમયે અગ્નિની પેઠે સળગતા. ઊગતી યુવાવસ્થાનો તનમનાટ આથી વધ્યો. પતિને જોવાની, તેથી સાથે પ્રસંગ પાડવાની, અને એવી કંઇ

કંઇ આતુરતા આ જુવાન થતી વેલીના ફૂટતા નવપલ્લવ પર બેસી તેને કંપાવવા લાગી. એક દિવસ તો પતિએ પિતા ઉપર કાગળ લખેલો તે વાંચીને પિતાએ ટેબલમાં મૂક્યો તે જોવાનું મન થયું. પિતાની રજા વિના તે કેમ બને ? લજ્જા છોડી રજા માગતાં જીભ કેમ ઊપડે ? આખરે મને

મનનો માર્ગ શોધ્યો. પિતા આઘાપાછા થતાં કાંઇક નિમિત્તે ટેબલ પાસે ગઇ, ઘણાક કાગળના જથામાંથી દૃષ્ટિપાત વડે જ જોઇતો આગળ ઓળખ્યો અને સળગતા આકાશમાંથી પ્રભાતનું કોમળ ઊજળું કિરણ શ્વેતકમળને પકડી ખિલાવે તેમ સ્વચ્છ આસમાની સાડીમાંથી નાજુક ગોરો હાથ કાઢી પત્ર પકડી લીધો અને તે જ હાથે પોતાની મેળે ઉકેલાઇ જતો એ પત્ર ઊંચો કર્યો

! લઇ લીધો, જરીક તે ભણી જોઇ રહી, સ્મિતથી મલકાઇ, બીતી આંખ

ચારેપાસ ફેરવી હાથ સોડિયામાં ભરવી દીધો. અને ડાહીડમરી બની પોતાના ખંડમાં ચાલી ! ‘પિતાના ટેબલમાંથી હું ચોરી કરું છું.’ એ વિચાર તેના

મનમાં પળવાર આવ્યો પણ ઇશ્વરલીલાને બળે એ ચોરી એના પવિત્ર મનમાં પણ વસી નહીં ! કાગળ વાંચ્યો - બીજી વાર વાંચ્યો - ત્રીજી વાર વાંચ્યો

- વાંચતા ધરાઇ જ નહીં. સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી - મનહર ભાષાથી

- પ્રૌઢ વિચારથી તે મોહ પામી - પરવશ બની. કાગળ છાતીસરસો દાબ્યો, રોમાંચ અનુભવો અને શૂન્ય ભીની આંખોથી ઊંચું જોઇ રહી.

‘મારા પિર્ય - પ્રીતમ - પ્રાણનાથ - એના આ અક્ષર ! આવા કાગળ મારા ઉપર ન આવે ?’ એવા જ વિચારથી એકાંતમાં ને એકાંતમાં શરમાઇ -

મથાળું જ કેમ કરવું તે સૂઝ્‌યું નહીં. ‘મારા પ્રિય’ એમ લખ્યુ ? ‘પ્રાણનાથ’

લખું ? કંઇ કંઇ વિશેષણો કંઇ કંઇ વિશેષણો કંઇ કંઇ કારણથી રદ કરી આખરે ‘મારા ચંદ્ર’ અને ‘આપની કુમુદ’ એ સંબંધથી લેખનાં અથઇતિ કર્યાં. તેના હ્ય્દયને સાથે પકડી, હ્ય્દયને ઠેકાણે આતુરતા - ઉત્સુકતા - મૂકી, કાગળ ટપાલમાં ચાલ્યો અનેે પ્રવાસ કરતો કરતો લક્ષ્મીનંદનને ઘેર તેના ઉપરના કાગળોના બંડલભેગો એ પણ આવ્યો. લક્ષ્મીનંદને કાગળ ઉપરના અક્ષર જોઇ સહેજ વિચાર કરી ચાકરને આપ્યો. ચાકરે ગુમાનની બતાવી સરસ્વતીચંદ્ર પોતાના ખંડમાં ચંદ્રકાન્ત સાથે બેઠો હતો તેને આપ્યો, અને ગુમાનની સૂચનાનો અમલ કરવા પાછાં જતાં પહેલાં જરીક ઊભો કે કોનો કાગળ છે તે જણાય સરસ્વતીચંદ્ર તે નવીન કાગળ જોઇ વિસ્મિત થયો, ફોડી પ્રથમ જ લખનારનું નામ વાંચતાં મનને ઉપભોગ થયો, કોનો કાગળ

છે તે ન કહેતાં ચંદ્રકાન્તના હાથમાં જ કાગળ મૂક્યો અને હસ્યો અને મિત્રના ઉપર શી અસર થાય છે તે જોતો જોતો આનંદવિચારમાં પડ્યો.

‘ભાઇ, મોટાનું ભાગ્ય મોટું હોય છ તેનું આ દૃષ્ટાંત. આપણા

લોકમાં તો આવી કન્યા આવતે અવતાર પામીએ !’ કાગળ પાછો આપતાં આપતાં વાંચતો વાંચતો ચંદ્રકાન્ત આંખો વિકસાવી અભિનંદન કરતો બોલ્યો.

‘ચંદ્રકાન્ત, એમાં મોટું ભાગ્ય આવી ગયું ?’ સરસ્વતીચંદ્ર પુષ્કળ

હસ્યો.

‘ત્યારે શું આવું રત્ન હિંદુઓના ભાગ્યમાં હોય છે ? ભાઇ, આ કન્યાદાન વાસ્તે ઇશ્વરને જેટલો ઓછો ઉપકાર માનશો તેટલી કૃતઘ્નતા થશે.’

‘તું તો હજી આવો ને આવો રહ્યો. અંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ

તને એ મળ્યું કે સ્ત્રીમાં સંસારને સમાપ્ત કરી દીધો ! સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થતી નથી.’

‘તમારા જેવા રસિકના મુકમાં આ વૈરાગ્ય સમજાતો નથી.’

‘હું ક્યં વૈરાગ્યની વાત કરું છું ?’

‘ત્યારે આ બીજું શું ? મારે ઘેર આવો ને મૂર્તિ બેઠી છે તે જુઓ ને પછી કહો કે મારા ને તમારા ભાગ્યમાં કેટલો ફેર છે ? આ કાગળ જ

પ્રત્યુત્તર !’

‘તું સ્ત્રીસંતુષ્ટ નથી. બાપડી ગંગાભાભી ભોળી છે - તે શી ખોટી છે કે આટલો અસંતોષ બતાવે છે ?’

‘પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજો એમ વિચાર રાખનાર તો તમને જ જોયા ! આવા કુમુદસુંદરી તેનાથી તમને સંતોષ નથી વળતો અને મારે માથે અસંતોષનો આરોપ મૂકો છો ! વાહ ! વાહ

! વાહ ! વાહ ! આવા સ્નેહથી ઊભરાતો મુગ્ધાનો રસિક પત્ર તેનાથી તમે સંતોષ પામતા નથી અને હું અસંતોષી શા માટે ? મને તો સંતોષ જ છે ને મારી ગંગા તે મારી જ છે. પણ વિચાર કરો - કાગળ જુઓ તો ખરા !’

સરસ્વતીચંદ્ર ઊભો થયો, ફરવા લાગ્યો અને હસ્યો.

‘ચંદ્રકાન્ત, શું તારા મનમાં એક જ આવી ગયું કે આ કાગળની

મને કિમ્મત નથી !’

‘તમે બોલો તે પરથી હું તો તુલના કરું.’

‘આ જગતમાં તારું અંતઃકરણ કોઇપણ જાણતું હશે તો તે તું છે અને તું જ આવી ભૂલ કરે તો બીજાને દોષ ન દેવાય.’

‘ત્યારે શું તમે બોલ્યા તે બધું જુઠ્ઠું ?’

‘ના, એયે સાચું ને આયે સાચું, અંતઃકરણ વિના શરીર નાકામું છે, પણ અંતઃકરણ વિના શરીરને બીજા ઘણાક ભાગ છે. સ્ત્રી ખરી પણ એના સિવાય ઘણો સંસાર બાકી છે - તો સ્ત્રીમાં આખા ભાગ્યાની પર્યાપ્તિ કેમ થાય ?’

ઘણીક આવી વિનોદવાર્તા થઇ. અંતે ચંદ્રકાન્ત ઘેર ગયો. એ પણ સરસ્વતીચંદ્ર જેટલું જ ભણ્યો હતો. પરંતુ રંક કુટુંબનો હતો અને મિત્રના આશ્રયથી જ અભ્યાસ કર્યો હતો. એ ગયો એટલે સરસ્વતીચંદ્રે બારણાં વાસી કાગળ લીધો - વાંચ્યો. કાગળમાં તે શું લખ્યું હશે ! બાળક કન્યા વરને શું લખે ? વાંચનાર, સાંભળ. એ કાગળ ઘણો ટૂંકો હતો.

‘મારા ચંદ્ર,

શું લખવું તે મને સૂઝતું નથી. લખવાની સ્વયંભૂ વૃત્તિ થવાથી

લખું છું અને અક્ષર દ્ધારા આપના દર્શન ઇચ્છી રંક લેખ મોકલું છું. આપને તો આ નિર્માલ્ય પત્ર વાંચી હાસ્ય થશે. પરંતુ ચંદ્ર છો - સર્વ ગુણમાં આકાશ જેટલા ઉન્નત છો - તોપણ પૃથ્વી પર પડી રહેલા ક્ષુદ્ર કુમુદને વિકસાવવું તે ચંદ્રનું કર્તવ્ય ગણાય છે. આખું જગત એમ ગણે છે તો હું કેમ ન ગણું ? બીજું શું લખવું તે સૂઝતું નથી.

આપની છબી આપની પાસે માગું તો ?

આ પત્રનો વિષય મેં નથી શોધી કાઢ્યો - મારા અંતઃકરણે શોધી કાઢ્યો છે. અને તેને પ્રેરનાર આપ છો.

વિશેષ શું લખું ?

લિ૦ આપની કુમુદ

રસિકનના બિડાયેલા મર્મસ્થળ વિકસાવનાર એકાંતે સરસ્વતીચંદ્રના હ્ય્દયકમળની પાંખડીઓ કંપાવી. તેના વિચાર પ્રમાણે તો માણસના જીવનને

સ્ત્રી આવશ્યક ન હતી; લગ્ન આખા જન્મારાના પાશરૂપ હતું; નિર્વંશ થવામાં વૈરાગ્યની સંપત્તિ હતી; મન્મથ મનમાંથી દૂર રાખવો એ સર્વ કાળે શક્ય હતું; અને સંસાર ક્ષુદ્ર, નિઃસત્ત્વ, નિર્માલ્ય અને નિરુપયોગી હતો.

આવું છતાં સંસારના પ્રવાહથી અવળે માર્ગે જઇ વૃદ્ધ પિતામહીના વત્સલ

ઉત્સાહનો ભંગ ન કરવો એટલી ઇચ્છાથી વિવાહ સ્વીકાર્યો હતો અને કુમુદસુંદરીના ગુણદોષ વિષે તેના મનમાં કેવળ ઉદાસીનતા હતી. પરંતુ કાચમાં સંતાયેલા પારાને પણ શીતૌણ્ય જણાયા વિના રહેતું નથી, તેમ

આવા વિરક્ત વિચારોમાં ઢંકાયેલી રસજ્ઞતા શુદ્ધ સુન્દરતાથી ચમકવા લાગી અને કુમુદસુંદરીના રમણીય પત્રમાં છલકાતા તરંગોના બળથી પત્થર જેવું અંતઃકરણ ભીનું થઇ ધોવવા લાગ્યું. ચંદ્રકાન્ત ગયો એટલે તો હ્ય્દયનું કમાડ ધક્કેલી અંદરની રસિક વૃત્તિઓ પાંજરામાંથી છૂટતાં પક્ષીઓની પેઠે બહાર ઊડવા લાગી. એકદમ હડપચીએ હાથ મૂકી સરસ્વતીચંદ્ર બોલી ઊઠ્યો.

‘આ શું - આ શું ? આ શી બળવાન અસર - ચંદ્રકાન્ત, તું એ જાણે તો કેટલો હશે ?’ કાગળ સામું જોતાં આત્મપરીક્ષા અદૃશ્ય થઇ, અને શિથિલ થઇ ખુરસી પર બેઠો. ઘણીવાર સુધી પત્રના અક્ષર સાથે નેત્રવૃત્તિ

‘તકાદાર’ થઇ ગઇ. એનો પ્રત્યુત્તર લખવા બેઠો. સ્ત્રીની ઉત્કર્ષ સ્પષ્ટ સ્વીકારતા શરમાયો નહીં.

‘રમણીય પ્રિય કુમુદ,

તારો પત્ર મને ઘણો પ્રિય થઇ પડ્યો છે. કુમુદથી વિકસતો નથી એ ચંદ્ર આકાશમાંનો ખરો પણતારા પત્રે મને સિદ્ધ કરી આપ્યું છે કે આપણે બે માત્ર એક જ દેનનાં અન્યો અન્ય - અનુકંપી ક્ષુદ્ર પ્રાણી છીએ.

ધન્યાસિ વૈદર્મિ ગુણૈરુદારૈર્યયા સમાકૃષ્યત નૈષધોડપિ । અતઃ સ્તુતિઃ કા ખલુ ચંદ્રિકાયાઃ યદભ્ધિમપ્યુત્તરલીકરોતિ ।।

મારા જેવા જ કઠિન ચિત્તવાળા બીજા કોઇ ઉપર તારા જેવી રમણીય

અસર કરનારીને કહેવું પડે તો આ શ્લોક હું કહું.

પ્રિય કુમુદ ! મારું અંતઃકરણ કેવું કઠિન છે તે મારો મિત્ર ચંદ્રકાન્ત જ જાણે છે અને તવું અંતઃકરણ તારા એક નાના પત્રથી એટલું બધું દોલાયમાન થતું હું અનુભવું છું કે કાંઇ કહેવાની જ વાત નહીં ! શરમ

આવવાથી ચંદ્રકાન્તની આગળ એ અસર મેં દંખાડી નથી અને એ બિચારો

મને હજી અસલના જેવો જ પથ્થર ધારે છે !

તું મારી છબી માગે તો ! તારા માગ્યા વિના જ હું મોકલું છું -

અને વળી તારી પાસે જ આવીશ - તારી છબી જોઇશ.

પ્રિય કુમુદ ! લાંબાં પ્રેમદર્શક વાગ્જાળ લખવાનો મને તિરસ્કાર છે.

તારી સાથે મારે રજ પણ પરિચય - પ્રસંગ - પડ્યો નથી, તે છતાં આ આવો પત્ર મારાથી કાંઇક લખી જ જવાય છે અને મારું આત્મસંતુષ્ટ ચિત્ત તારા પુનરુત્તરનો લોભ આગ્રહથી રાખે છે ! લોકો જેને સ્નેહ કહે છે તે શું આ જ હશે ? સ્વયંભૂ અને મનસિજ તે શું આ જ હશે ? કઠિન અંતઃકરણ ઉપર બળાત્કાર કરવામાં તે આટલો ફાવી ગયો લાગે છે તે શું ખરી વાત ?

લિ૦હવે તો તારો જ સરસ્વતીચંદ્ર’

અનુભવ તે કેવળ જ્ઞાન અને વિચારથી કંઇક જુદી જ વસ્તુ છે એ હવે સરસ્વતીચંદ્રને સિદ્ધ થવા લાગ્યું. આ સિદ્ધિ રમણીય તેમ ભયંકર હતી. તેના આગળ માનસિક વૈરાગ્યનો લોપ થયો અને સટે આખા શરીરનો અને મનનો નવા સંસારમાં જન્મ થયો. ‘કુમુદ મારી અને હું તેનો’ એ સ્વપ્ને મસ્તિકને ધમધમાવી મૂક્યું. જ્ઞાનની પ્રૌઢતા સ્નેહની રસવૃત્તિ આગળ

મસ્તક નમાવતી લાગી. એમ કરતાં કરતાં કાંઇ નિમિત્ત કાઢી સરસ્વતીચંદ્ર

રત્નનગરી ગયો અને વિદ્યાચતુરના સ્નેહનો સત્કાર પામ્યો કુમુદસુંદરીને તેણે દૃષ્ટિપાતથી ઓળખી લીધી અને વિદ્યાચતુર દરબારમાં ગયા પછી બપોરે એકાંત શોધી ધ્રૂજતી શરમાતી કુમુદસુંદરી સોડિયું વાળી ચોરની પેઠે સરસ્વતીચંદ્રને ઊતરવા આપેલી મેડીમાં અનિવાર્ય સ્નેહની પ્રેરી પોતાની

મેળે કર્યો અને આવી.

સરસ્વતીચંદ્ર એક ટેબલ આગળ બેસી ચંદ્રકાન્તને પત્ર લખતો હતો.

કુમુદસુંદરી ભણી તેની પીઠી હતી એટલે એ આવી જાણી નહીં. કુમુદસુંદરી તેની દૃષ્ટી પડે તેમ ટેબલની જમણી પાસ ભીંતમાં લપાતી ઊભી, પણ એની બોલવાની શક્તિ જતી રહી હોય એમ થયું અને પત્રમાં મગ્ન બોલાવનારે એના ભણી જોયું નહીં. એટલામા હાથ હલાવતાં સોડિયું સજડ કરતાં કુમુદસુંદરીનો ઘસારો સંભળાયો અને ચમકી સરસ્વતીચંદ્રે તેના ભણી જોયું, રોમાંચ અનુભવ્યો, અને મુંબઇની પાઠશાળાનો વિદ્ધાન ધનાઢ્ય લક્ષ્મીનંદન શેઠનો પ્રખ્યાત પુત્ર સુંદરી કન્યાની લલિત લાવણ્યમય પાંદડી જેવી મુખકાળ

અને મુગ્ધ શરીરકળી જોઇ સ્તબ્ધ બની ગયો, અને થોડીક વાર તો ઉભયમાંથી એક જણે પદ શબ્દ ઉચ્ચાર્યો નહીં, આંખ પલકારી નહીં, અને સામી આંખ

વના બીજા કોઇને અને જગતને તો શું પણ પોતાને પણ સ્મરણમાં રાખી શકાયું નહીં. આટલા બધા ઉમળકાવાળાને બોલવાનો વિષય તો શું જડે પણ બોલવાનું સૂઝ્‌યું પણ નહીં. કન્યા બિચારી મુગ્ધ હતી. આવા વરને આવું થાય તો એ કન્યાને થાય તેમાં શી નવાઇ ? આખરે ભાન આવ્યું હોય, જાગ્યો હોય તેમ સરસ્વતીચંદ્ર પરવશ ઓઠ ઉઘાડી બોલ્યો :

‘મેં એકબે પુસ્તક રચેલાં છે તે આણ્યાં છે.’ કહી પુસ્તક આપ્યાં.

એર હાથવતે પુસ્તક લઇ છાતી આગળ ઝાલી રાખી કુમુદસુંદરીએ સોડિયામાં સંતાડ્યાં અને પોતાના તથા પતિના અંગૂઠા ઉપર વારાફરતી નીચી નજરે જોઇ રહી - બોલી નહીં.

પુસ્તક આવતાં લેતાં એકબીજાની આંગળીઓનો સ્પર્શ થયો. જળથી ભરેલો મેઘ અચિન્ત્યો ઉજાસ મારવા માંડે તેમ રસથી ભરાતા સરસ્વતીંચંદ્રનું

મુક ઉજ્જવળ બન્યું. મળસકાના સ્વચ્છ આકાશનો પૂર્વપ્રદેશે સૂર્યકરના નવા સ્પર્શથી સળગી ઊઠે તેમ કુમુદસુંદરીના ગોરા રૂપેરી ગાલ પર લજ્જાભરી રતાશ ચડી આવી. ઉભયનાં પરસ્પર અવલોકનથી રસે રસને વધાર્યો.

પરંતુ મુગ્ધા નીચું જ જોઇ રહી. પુરુષ ધૃષ્ટ બન્યો અને વાર્તાનો વિષય

શોધ્યો.

‘હવે ઇશ્વર કરશે તો તું થોડા સમયમાં મુંબઇવાસી થઇશ.’

ઉત્તર ન મળ્યો.

‘આ પુસ્તકો આજ જ જોયાં કે પ્રથમ જોયાં હતાં ?’

ઉત્તર કોણ આપો ?

‘આવા સુંંદર પત્ર તો આટલા બધા લખાયા અને આજ તો મુખથી અક્ષર પણ નીકળતો નથી !’

પ્રતિમા જેવીના મુખથી અક્ષર ન જ નીકળ્યો.

‘કુમુદ ! મારી કુમુદ -’ સરસ્વતીચંદ્ર ઊભો થયો.

પોતાના નામાક્ષર પ્રિયમુખમાં સાંભરી મુગ્ધા આનંદમાં ડૂબી, નવીન ઉત્કર્ષતી ફૂલતી ધ્રૂજવા લાગી, અને પ્રિયને ઊઠતો જોઇ નિરુપાય બનતી

લજ્જા શેરડારૂપે ગાલ ઉપર પડી તેના બળથી દીન બની હતું એટલું બળ

બોલવાનું સાહસ કરવામાં અજમાવ્યું અને ઊંડા પાતાળમાં ઊતરી પડતી હોય એવો વિકાર અનુભવતી ધીમે સુંદર સાદે બોલી :

‘આપે અત્રે રહેવાનો વખત ઘણો થોડો જ રાખ્યો.’

ચાંદીની ઘૂઘરીઓવાળા નૂપુરમાંથી રણકાર ઝીણોઝીણો નીકળે, મૂર્છના સમયે સારંગીના તાર રવ કરી રહે, તેમ શુદ્ધ મોતી જેવા - હીરા જેવા -

દાંતની બેવડી તેજ મારતી શ્રેણી વચ્ચે થઇને અધ્ધર ટપકતા આ મધુર મિતાક્ષર સરસ્વતીચંદ્રના કાનમાં પેઠા અને તેના હ્ય્દયસંપુટમાં સ્નેહસ્વાતિનાં

મોતી પેઠે અદૃશ્ય રીતે ભરાઇ ગયા. આ મંગળ સમયે તેના આખા મસ્તિકમાં આનંદતરંગની છોળો અથડાવા લાગી. ઘૂર્ણાયમાન થતી તેની વિકસતી આંખો વિકસતી આંખો અધ્ધર ઊડતા ચકોરની પેઠે લલનાના વદનચંદ્ર ઉપર જ ઠરી. માનસિક સ્નેહસંભોગના અનુભવથી નશો ચડ્યો હોય તેમ તે પાછો વેત્રાસન (ખુરશી) ઉપર ભારે સીસાની પેઠે પડ્યો, અને પડ્યાં પડ્યાં આઘે ઊભેલી કુમુદસુંદરીની સાથે તેણે કલાકેક સુધી નિર્દોષ પ્રમોદભર વાતો કર્યા કરી. પરંતુ તે કલાક જણાયો પણ નહીં. આખરે બાળક કુમુદસુંદરીએ મેડી બહારથી - કાંઇક કામ સારુ - કુમુદસુંદરીને બોલાવી લીધી એટલે વાર્તાનો અંત આવ્યો અને જાગેલા જેવો સરસ્વતીચંદ્ર ઘડીક સુધી બનેલો દુર્ઘટ બનાવ વસ્તુતઃ સાચો હતો કે સર્વ રમણીય સ્વપ્ન જ હતું તેનો નિર્ણય કરતો હોય

તેમ એક વિરામાસન (વિરામખુરશી) પર અર્ધ ઉઘાડી આંખો રાખી ઘડીવાર પડી રહ્યો.

આંગળીવેઢે ગણાય એટલા દિવસ આવાં મનભર સ્વપ્નોમા કાઢી સરસ્વતીચંદ્ર પાછો મુંબઇ ગયો. વિદ્યાચતુર સાથે તેને વાર્તાવિનોદ થતો તેમાંથી પણ કુમુદસુંદરી મોહિત થઇ ગઇ અને મુંબઇ પહોંચ્યાનો સરસ્વતીચંદ્રનો કાગળ આવ્યો તેના ઉત્તરમાં લાચાર બનેલી બાળકીએ લખ્યું કે ‘તમારા ગયા પછી “એ પદ મારી કરું છું. મોહની લગાડી - એણે તે મને મોહની

લગાડી” એ પદ મારી જીભ ઉપરથી ખસતું નથી અને તે ગાતી ગાતી તમારી મૂર્તિ મારી દૃષ્ટિ આગળ ખડી કરું છું. મોહની શું તે હું હવે સમજી-

મારા પિતાજી લગ્નનો દિવસ આવતા માઘ માસમાં રાખનાર છે જાણી મારો ઉત્સાહ માતો નથી !’

આવા પત્ર વરકન્યા વચ્ચે આવ્યા ગયા. કોઇ વિચારે કે કામ વિના આવા નકામા પત્રમાં તે શું ઘડીએ લખવાનું હશે ! એક લખે કે હું તારા વિના ઘોલો થયો છું અને બીજી લખે કે હું તારા વિના ગાંડી થઇ છું !

‘બાળકનાં રમકડાં ને વરવહુનાં ટાયલાં’ - એ ઉપમા ગંભીર વર્ગને મહાન વરવહુનાં ટાયલાં’ - એ ઉપમાખબર છે કે દ્રવ્ય, કીર્તિ આદિ જે જે પદાર્થો ગંભીર વર્ગને મહાન લાગે છે તેને એ જ વરવહુ પોતાનાં પુનરુક્તિથી -

પિષૂટસ્ય પેષણથી - વધારે વધારે ગાઢ બનતા સ્નેહ આગળ ક્ષુદ્ર ગણે છે; ત્યારે બેમાં ખરું કોણ ? ઉભય વર્ગની મનમાની વસ્તુઓ સરખી જ રીતે

- કલ્પનાએ ઉત્પન્ન કરેલીસ, મન, વાણી અને કર્મને પ્રેરનારી, સમયને બળે બળવાળી, સ્વીકારનારને વહાલી અને સંન્યાસીને વજર્ય, સુખદુઃખ

આપનારી, ગણે, તો સત્ત્વમાં સત્ત્વ જેવી અને ને ગણે તો મૃગતૃષ્ણિકા જેવી, અને ક્ષણભંગુર છે. હજારો લાખ્ખો રૂપિયા - એક વખત જનારા -

તેને ફરી ફરી ગણી સંગ્રહી રાજી થવું. કીર્તિ સારુ ધુમાડાના બાચકા ભરવા, બૂલવા સારુ બણવું, મરવા સરજેલાને સારુ મથવું, એ સ્ત્રવમાં ને હ્ય્દયના વિલાસમાં ફેર શો ? સરસ્વતીચંદ્રનું વિરક્તરંગી ચિત્ત નવીન અનુભવને વશ થતું થતું આવી રીતે વૃત્તિને અનુસરતું વાર્તિક રચતું હતું એ ભગવો પણ રાગ રંગ છે તો બીજા રાગનો શા વાસ્તે તિરસ્કાર કરવો તે સમજવા પોતાની અશક્તિ કલ્પતું હતું. ક્ષુદ્ર ઉદર ઉપર સંસારનાં પડ બંધાયાં જાય

છે તો અંતઃકરણ ઉપર કેમ ન બંધાય ? આવા આવા વિષયો શોધી કાઢી

મુખથી ચંદ્રકાન્ત સાથે અને પત્રથી કુમુદસુંદરી સાથે સરસ્વતીચંદ્ર ચર્ચા

ચલાવતો હતો અને એકના વ્યાવહારિક તથા બીજીના મુગ્ધા રસિક ઉત્તર ગ્રહી નવું શીખતો શીખવતો હતો, રસમાં લપટાતો હતો, પ્રથમના વિચાર સાપની કાંચળી પેઠે તજી દેતો હતો, નવો અવતાર ધરતો હતો, અને કુમુદસુંદરીના કોમળ અંતઃકરણને અસ્વતંત્ર કરી નાખતો હતો. વૈરાગ્ય એટલે એક સત્ત્વમાં ચિત્ત પરોવી અન્ય વસ્તુમાત્ર પ્રસંગે પૂર્વાવસ્થાનું ભાન થતાં કહેતો, પરંતુ વર્તમાન અવસ્થાનું સ્વપ્ન દૂર થઇ શકતું નહીં. આ સર્વની છાયા મુગ્ધા પરના પત્રોમાં પડી રહેતી અને એકબે માસમાં તે મુગ્ધાના અંતઃકરણમાં પણ એ જ છાયા સર્વ ભાગે ફળી રહી. નદીના નિર્મળ જળમાં આકાશનું પ્રતિબિંબ અનિવાર્ય અત્યાજ્ય થઇ પડી રહે તેમ સરસ્વતીચંદ્રના અંતઃકરણમાં પણ એ જ છાયા સર્વ ભાગે ફળી રહી. નદીના નિર્મળ જળમાં આકાશનું પ્રતિબિંબ અનિવાર્ય અત્યાજ્ય થઇ પડી રહે તેમ સરસ્વતીચંંદ્રના અંતઃકરણું પ્રતિબિંબ નિર્દોષ કન્યાની માનસિક સૃષ્ટિમાં સંપૂર્ણ અપ્રતિહત અને સર્વકાલિન અવકાશ પામી ગયું.

આણી પાસ ઇશ્વરે આ ખેલ રચ્યો અને બીજી રચ્યો. માનવી એક વાત ધારે તો ઇશ્વર બીજી ધારે.

ગુમાનનો પુત્ર હવે ઠળકો થવા લાગ્યો હતો અને માના ચિત્તમાં સ્વાભાવિક અભિલાષ હતો કે પોતે સાસરે આવી ત્યારે સરસ્વતિચંદ્રને સર્વ તરફથી મળતાં જેટલાં લાલન (લાડ) જોયાં હતાં તેટલાં પોતાના પુત્ર ધનનંદનને

મળે. પરંતુ કેટલાંક કારણોથી એની ઇચ્છા સફળ ન થઇ. સરસ્વતીચંદ્ર

મોટો થયો તેમ તેમ તેના પિતાની આસપાસ રહેનારા પંડિતો વિદ્યામાં વધેલા સરસ્વતીચંદ્રની સંગતિ કરવા લાગ્યા. વળી કાળક્રમે તેમની પોતાની સ્થિતિ પણ વધવાથી તેઓ ધનવાન લક્ષ્મીનંદનનો આશ્રય છોડી સ્વાશ્રયી થયા હતા, એટલે તેનો ઉપકાર માનતા હતા ખરા પણ તેની પાસે મધુરકરવૃત્તિ કરવાનો અવકાશ ઓછો મળતો. તેમજ તેમની દૃષ્ટિને ઝાંઝવાં વાળતાં હવે

લક્ષ્મીને વાર લાગતી હતી. એ સર્વ વર્ગમાં હજી સરસ્વતીચંદ્રને પ્રસંગ રાખવાનો અવકાશ અનેકધા હતો. તે ધારાશાસ્ત્રની પરીક્ષામાં સફળ થઇ

મુંબઇના વરિષ્ઠા ધર્માસનનો૧ પક્ષવાદી૨ બન્યો હતો અને પક્ષમંત્રી૩ થવા અભ્યાસ કરતો હતો. પરંતુ તે અભ્યાસને ઉદર નિર્વાહનુંં સાધન કરવા તેની ધારણા ન હતી. પિતાના વ્યાપારભારમાં અવકાશને સમયે સહાયભૂત થવા યત્ન કરતો અને આખરે પક્ષમંત્રીની પદવી અલંકારસ્થાને રાખી વ્યાપારમાં ગૂંથાવા ઇચ્છતો હતો. પરંતુ આ સમયના ઘણાક વિદ્ધાન ગૃહસ્થો સાથે તેને પ્રસંગ પડતો હતો. ઘણીક સભાઓમાં એ અંગભૂત૪ હોવાથી આ પ્રસંગનાં સ્થાન અનેક થયાં હતાં. પિતાના વિદ્ધાન મિત્રોમાં પરિચય હતો તે તો આ ઉપરાંત. પુત્રને આ લાભ થયો તે પિતાને ઓછો થયો. લક્ષ્મીનંદનની આસપાસ હવે માત્ર દ્રવ્યવાન અને દ્રવ્યાર્થી વર્ગ જ રહ્યો, કારમ વિદ્ધાનો પુત્રની આસપાસ ભરાયા, અને વિદ્ધાનવર્ગમાં તે ઘણેક સ્થળે પોતાના નામને ઠેકાણે ‘સરસ્વતીચંદ્ર પાસે ઝઇ બેસતો અને રમતો, એથી ગુમાન

પ્રસન્ન થવાને બદલે વધારે વધારે ખીજવાઇ. એવામાં સરસ્વતીચંદ્ર પક્ષમંત્રીની પરીક્ષામાં સફળ થયો, લક્ષ્મીનંદન પણ મોટા પુત્રની સ્તુતિ કરવા લાગ્યો, અને તેને વ્યાપારમાં પોતાનો સાથી કર્યો. તે જોઇ ગુમાનની અમૂંઝણનો પાર રહ્યો નહીં. અધૂરામાં પૂરી ડોશી પણ ઉઘાડો આનંદબતાવતી અને વહુના ઇર્ષાગ્નિના સચેત અંગારા પર પવન નાખ્યા જેવું કરતી. ‘મૂઓ, આ છૈયો - પેલાના ખોળામાંજ જઇને બેસે છે’ એવું વચન એક વાર તેના

મુખમાંથી નીકળી ગયું તે ડોશીને કાને પડ્યું અને ગુમાન મોેંની મીઠાશ રાખતી તે પણ ધોવાઇ ગઇ.

ઘરમાં જેમ ગુમાનના માણસો હતાં તેમ ડોશીનાં પણ હતાં.

સરસ્વતીચંદ્રની જે જે વાતો ગુમાન લક્ષ્મીનંદનને મોઢે કરતી તે ડોશીની પાસે આવ્યા વિના રહેતી નહીં, અને પૌત્રને તે સર્વ પોતે કહી દેતી. આ વાતો સાંભળી ક્ષોભ પામ્યા વિના સરસ્વતીચંદ્ર ડોશીને ડાઢી પાડતો હતો.

લક્ષ્મીનંદન અને ગુમાન એકલાં પડતાં કે ગુમાનનું ભાષણ ચાલતું પણ વાળું કરી પરવારી પથારીમાં થાકીપાકી સૂએ તે સમય ભાષણને વાસ્તે વિશેષ અનુકૂળ પડતો. પતિને હાથે દબાતા સ્ત્રીકંઠમાંથી જીભ વધારે વધારે નીકળતી. સ્વાર્થી પુરુષ તે જીભના જોરથી દબાઇ જતો. નિર્લજ્જ વક્ષઃસ્થળ

નીચે અસત્ય વધારે વધારે ભરાતું. આખા દિવસના શ્રમિત અને વિરામ

શોધતા ચિત્ત પર ઉશ્કેરાયેલા ઉશ્કેરતા ભાષણની અસર નિરંકુશ થતી. અને નિશા - ગુરુ બનેલીના ઉપદેશને તરત તો ચેલા જેવો લક્ષાધિપતિ હાએ હા ભણતો.

પ્રતિદિવસ ભાષણ કરવા સારુ ગુમાનને કંઇ કંઇ પણ વિષમ જડતો જ; અને આંસુ, રોષ, મહેણાં ઇત્યાદિ અસરકારક અલંકારોનો ભંડાર તેની પાસે અક્ષય હતો. કાલિદાસ કરતાં પણ તેની ઉપમાઓ વધારે સ્ફુટ હતી.

બાણના કરતાં પણ તેની કથા વધારે સારી રીતે સંકલિત રહેતી.

સરસ્વતીચંદ્રે ઘરના વ્યાપારકાર્યમાં સારી પ્રવીણતા થોડાક કાળમાં

મેળવી અને તેની સુજનતાથી પરભાર્યા તથા હાથ નીચેનાં સર્વ માણસોતેને

પ્રીતિવશ થયાં. પિતાનો ભાર થોડાક કાળમાં પુત્રે પોતાને શિર લઇ લીધો.

એમાંથી ગુમાનના ભાષણોને એક વિષય મળ્યો. સરસ્વતીચંદ્રને ઘરમાં સર્વ

‘ભાઇ’ કહી બોલાવતાં અને ભાઇના સામી ફરિયાદો ગુમાનની શપ્યા પર દૈવકોપદર્શક ધિમેલોની પેઠે ઊભરાવા લાગી.

‘શી વાત ! હવે તમને તો જાણે કોઇ પૂછતું જ નથી ! ઘરમાંયે ભાઇ અને બહાર પણ ભાઇ ! ભાઇ કરે તે ખરું - તે જ થાય. અમને તો કોઇ પૂછે નહીં એમાં નવાઇ નહીં - પણ તમનેયે હવે તો પૂજે તો દેવ નીકર પથ્થર ! તમને કાંઇ તેની ચિંતા છે ? બે આંખની શરમ. તમે માથે છતાં અમારી આ સ્થિતિ તો પાછળ તો ઇશ્વર કઢાવે એ દિવસ ખરા.

જુઓ છો કની પેલી બાપડી દુર્ગાની કોઇ આજ ખબર પણ પૂછે છે ?

‘હવે થવાનું એમ કે ભાઇ આખું ઘર સંભાળશે અને અમે એનાં

ચાકર થઇ રહીશું, પણ કોનો વાંક કાઢું ? તમે જ આવા એટલે કોઇને શું કહું ? પણ સરત રાખજો ને મને સંભારજો કે ભાઇ તમને પણ પાંદડે પાણી પાશે. તમે વિશ્વાસુ છો અને એ આજકાલના અંગ્રેજી ભણેલાઓ ન દેવને ગાંઠે તો માબાપ તે શા લેખામાં ? ઘર, દરદાગીનો અને વેપાર સૌ હાથ કરી લેશે એટલે તમે માળા જપજો - કાકા મટી ભત્રીજા થજો - અને હું અને મારો ધન -’ એમ કરી ડૂસકાં ભરવા લાગી.

‘જો આવો જ સ્વભાવ રાખવો હતો તો પરણ્યા શું કરવાને જે ?

હું મારે કોઇ ન મળતા તો દળણાં દળત પણ આમ કોઇનો ઓશિયાળી થવાનો વખત તો ન આવત ! આ તો કાંઇ જોઇએ તો ભાઇ વગર થાય

નહીં. પેટના દીકરાનુંયે આટલું ઓશિયાળું તો ન હોય.

‘જો મારું સાંભળો. એ કાયદા જાણે છે - સૌ એના છે. છાપાંવાળા અને હાઇકોરટના જ ડજોયે એના. ઘરમાં પેસી બધું જાણી લઇ લેશે ને પછી તમે પચાંત કરશો તો ભાગ લેવા ફરિયાદી કરશે કે પછી એના હાથમાં હશે તો તમારે જ ફરિયાદી કરવા વેળા આવશે. માટે ચેતો ! વેળાસર ચેતો !

હજી વખત છે. અનું આપ્યું આપણે લઇએ એના કરતાં તમારું આપ્યું એ

લે એવું કરો - કે પાછળની ચિંતા નહીં. પણ હું જાણું જ છું તો. એ હોય

એટલાં કાંઇ અમે હઇએ ! ભાઇ બોલ પડતાં માણસો ઉપાડી લે છે. એમાં કાંઇ નવાઇ છે ! તમારે જ મન એ સોનું ને અમે રાખ. પાછળ માું રાંડનું ગમે તે થાઓ ! એની કાંઇ તમને ચિંતા !’

ઉદાર, સુશીલ, અને પ્રવીણપુત્રીની સત્તા સર્વના મન પર જામી ગઇ હતી અને તેમ થવાનું ભાષણમાં કાંઇક સત્ય લાગ્યું. આવાં ફળની સ્થિતિ સ્ત્રીના કહ્યા પ્રમાણે દીઠી અને સ્ત્રીના ભાષણમાં કાંઇક સત્ય લાગ્યું.

આવાં આવાં નિશાભાષણ કાળક્રમે પથ્થરને પ્રહારથી રેતી કરી દેતા સમુદ્રના તરંગની પેટે એક પછી એક ચડિયાતાં બની નિત્ય ઊછળતાં અને અસર કરતાં. પોતાના કાર્યમાં પરોવાયેલું એક ચડિયાતાંબની આવા આવા વિષયો પર વિચાર કરવાનો અવકાશ પણ ન પામતું, કંટાળવા છતાં, સ્ત્રી ધુતકારી કાઢવા છતાં, અને તેની વાર્તા ન માનવાનો નિશ્ચય વારંવાર કરવા અને કહેવા છતાં, રાત્રિ પડ્યા પછી પણ પશ્ચિતમાકાશમાં રઝળતાં સૂર્યકિરણની પેઠે ગૂંચવાયેલા મસ્તિકમાં ગૂંચવાઇ ભરાઇ રહેતી ફરિયાદો પુરુષના મનમાં રહી જતી; સત્યાસત્ય શોધવાનો પ્રસંગ દૂર રહેતો; પુત્રની પરોક્ષે થતા વર્તમાનનું તારણ (ખુલાસો) પુત્ર કરી શકતો નહીં; અને અંતે ઊધઇ લાકડાને આરપાર કોતરી ખાય તેમ સ્ત્રીની નિષ્કંટક જીભે પુરુષના મસ્તિકને નિઃસત્તવ કરી દીધું.

એક દિવસ સંધ્યાકાળે શેઠ થાકિપાકી ઘેર આવ્યા અને શયનગૃહમાં સ્ત્રીને ન દેખી ‘નિરાંત’ થઇ જાણી એક આરામખુરશી પર બેસી ચાકર પાસે ખાવાનું મંગાવી થાક ઉતારવા લાગ્યા. એવામાં ગુમાન જ ખાવાનું

લાવી થાળી ધરી ઊભી. શેઠના પેટમાં ‘વળી હવે શું મહાભારત નીકળશે.’

વિચારી ફાળ પડી, પણ કોઇ બોલ્યું નહીં અને શેઠે ખાવા માંડ્યું. પણ ઇશ્વરલીલાને બળે અકળાયેલા મનમાં પણ પુત્ર રહેતો અને શેઠે પૂછી જવાયું

‘ભાઇ આવ્યો ? ખાધું એણે કાંઇ ?’

અજાણતાં પણ દોષ થતાં કોઇ મેલી માતાને કૂડું પડે તેમ આટલા ઉચ્ચારના ફળમાં શેઠે કાંઇ નવું જ - મોટું - ભાગવત સાંભળવાનું હોય

અને તેનું મંગળાચરણ થવા માંડતું હોય તેમ સાંભળવા માંડ્યું. મેં ‘કીલોત્પાટી વાનર’નું કામ કર્યું એમ શેઠને સ્પષ્ટ લાગ્યું એને પસ્તાવા લાગ્યા. ગુમાન ઊતરી પડી :

‘આ શા ભાઇ ઉપર ઉમળકા ? ભાઇ તો આવ્યાયે ખરા અને બાપના પહેલાં ક્યારનું ખાઇને બેઠા છે. બાપને ભાઇ ભાઇ થઇ રહ્યા છે.

ભાઇને તો બાપ લેખામાંયે નથી. ભાઇ તો બેઠા બેઠા કાગળો આવ્યા છે વહુના તે વાંચે. એમને પરણ્યા પહેલાંથી વહુ વહુ છે અને તમારે મન તો હજીયે ઠીક જ છે. કોણ જાણે ક્યાંથી લોકો જૂઠું જૂઠું ગાય છે કે :

‘બીજ વરની પરણી મહાસુખ પામશે !’

અંગ્રેજ લોક કહે છે કે હિંદુઓમાં સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. પણ આવા ધનાઢ્ય અને વયવાળા પ્રતિષ્ઠિત દણીને પોતે આ ધમકાવે અને શેઠ

સાંભળી રહે એ ગુમાની સ્વતંત્રતામાં શું કાંઇ ન્યૂનતા છે ? વિલાયતથી આવેલો એક તાર લઇ શેઠને આપવા આવેલો એ ગુમાસ્તો આવા વિચાર કરતો તાર આપી પાછો ગયો.

શેઠ તાર વાંચે છે એટલામાં થાળી પાછી મૂકી આવી રસ્તામાં પડતી એક બારીની જાળીને અઠીંગી ગુમાન ઊભી રહી અને તાર વંચાઇ

રહ્યો એટલે પાસેથી એક કાગળ કાઢી આપ્યો. શેઠે પૂછ્યું : ‘કોનો કાગળ

છે આ ?’

‘આ જુઓ તો ખરા - ભાઇએ કાગલ લખ્યો છે વહુ ઉપર - તમે કોઇ દિવસે મને એવું એવું લખ્યું ?’ સરસ્વતીચંદ્રના ટેબલમાંથી ચોરેલો એક કાગળ શેઠને આપી ગુમાન બોલી. શેઠ કાગળ લઇ, ગુમાન ભણી કતરાતી કોપાયમાન આંખે જોતા જોતા ઊંડા વિચારમાં પડ્યા અને આખરે ગાજી

ઊઠ્યા :

‘ક્યાંથી આણ્યો કાગળ આ ? આવું કામ કરે છે ? આ કાગળ મને વંચાવતાં શરમાતી નથી ?’

રજ પણ ગભરાયા વિના શાંતિ રાખી ગુમાન બોલી : ‘હું જાણું છું કે એ કાગળ તમને વંચાવવો ન જોઇએ, એટલું જ નહીં પણ મારેયે વાંચવો ન જોઇએ, એટલું તો હું સમજું છું. પણ આ તો ભાઇની ખૂબી બતલાવવા આણ્યો છે. કાંઇ ચોરીને આણ્યો નથી. ભાઇએ લખીને મૂક્યો હશે તે વાથી ઊડતો ઊડતો મારી મેડીમાં આવ્યો. આપવા જાઉં તો મારે

માથે ચોરી મૂકે. માટે તમને આપું છું અને મરજી પડે તે કરો. પરણ્યાં તો આપણેયે છીએ અને હુંયે ભાઇ કરતાં બે વર્ષે નાની છું - પણ આજથી આવા બાયલા કાગળ લખવા ન ઘટે. બાયડી તે ભાઇને જ હશે કે બીજા કોઇનેયે હશે ?’

શેઠ જરા શાંત પડ્યા, પણ ક્રોધ ઊતરતાં ઊતરતાં કંઇક વાર

લાગી અને એટલામાં કાગળના અક્ષરો ઉપર કાંઇક દૃષ્ટિ પણ પડી હશે.

અંતે ધીમા પડી બોલ્યા, ‘એ ગમે તેવા કાગળ લખે તેમાં તારું શું ગયું ?

હોય, છોકરાં છે તે ગમે તે કરે. કોઇ પારકી બાયડીને તો નથી લખ્યો.

‘હા એ ખરું. મારો કાંઇ દોષ હોય ત્યારે હું ઘરડી અને ભાઇ વાંક કરે તો બાળક. પણ હશે એ તો જે હોય તે. હું તો કાંઇ કામસર બતાવું છું તે જુઓ જોવું હોય તો. ન જોવું હોય તો મરજી. અમારો કોઇ ભાવ પૂછનાર છે ?’- કરી ડૂસકાં ભરતી પાછી ફરી અને જવા લાગી.

શેઠે તેને ગણકારી નહીં, જવા દીધી અને તારમાં મન પરોવતા પરોવતા બડબડ્યાં : ‘કોણ જાણે આ ઇશ્વરે તે બૈરાંની જાત ક્યાંથી કરી હશે ? મૂર્ખ - મૂર્ખ - છેવટ સુધી મૂર્ખ - નખથી તે શિખા સુધી મૂર્ખ !’

ગુમાન મૂર્ખ છે એટલું શેઠને ભાન હતું - તે શઠ નથી એવું સ્વાભાવિક પક્ષપાતે મનમાં વસાવ્યું હતું. મૂર્ખના માફ કરવા લાયક લાગતી પણ કોઇ

વાર તો કંટાળતા.

પોતાને ગાંઠી નહીં - શેઠ મનાવતા નથી - જાણી ગુમાન મિષ કાઢી આંખો લોહતી લોહતી પાછી આવી અને બારણામાં ઊભી. શેઠનું ચિત્ત તારમાં હતું. લક્ષ ખેંચવા ઊભી ઊભી ડૂસકાં બંધ કરવા પ્રયત્ન કરતી દેખાવા લાગી, કમાડ ઉઘાડ અડકાવ કરવા લાગી, અને ઊંડા સંભળાય

એવા નિઃશ્વાસ મૂકવા લાગી. શેઠને તેનો ઘસારો લાગ્યો, તેના ભણી નજર કરી, અને જરાક દયાનો અંશ ઉત્પન્ન થતાં પૂછ્યું : ‘કેમ અહીંયાં ઊભી છે

? આવ, આવ, હવે. છાની રહે. જો, હવે આવું કામ ન કરીશ. એમાં રડે છે શું ? આ કાગળ બતાવ્યાથી તને શું ફળ હતું ?’

ગુમાન પાછી આવી - આખો ફુલાવી શેઠના સામી ખુરશી પર બેઠી. શેઠને દયા આવી. જાતે ઊઠી બારણું વાસી ગુમાન બેઠી હતી તેની સાથે તેની તે ખુરસી પર બેઠા અને મનાવવા લાગ્યા. ગુમાને ખેલ જોઇ

બમણં માન ધાર્યું અને આખરે બોલી :

‘હા, અમારે શું ? જૂઓ, તમને તો એક કાગળ આપ્યો છે. પણ વહુ જોઇએ તેવી મળી છે. ટપાલવાળો ભૂલમાં ભાઇનો કાગળ મને આપી ગયો અને મેં ભૂલમાં ને ભૂલમાં મારો જાણી ફોડ્યો. જુઓ, આ વહુયે કેવી પક્કી છે ? એનાં મૂળ ઊંડાંં છે. બાયડીનો સ્વભાવ તમે ભોળા ભાયડાઓ ન સમજો. અમે સમજીએ. આજથી આટલું ભાઇને ફોસલાવે છે તે અગાડી જતાં કેવી નીકળશે ? ભાઇ એને વશ આટલા થઇ ગયા છે તેનું તો ઠેકાણુંયે નહીં રહે અને અમે સૌને વશ થઇ જઇશું. સસરા સાથે પણ ભાઇને કાગળ લખવાનું ચાલે છે. રજવાડાના લોક કેવા લુચ્ચા છે તે તમે જ મને તે દિવસ કહેતા હતા. વળી અંગ્રેજી ભણેલું માણસ કોઇનું નહીં.

વખત આવ્યે પોતે પ્રકાશે. આજ તો તમે કમાઓ છો - તમારું ચાલે ને

મારું રાજ્ય હોય તેને સટે આ તો ઊલટી જ કથા છે ! એ ભાઇનો તમને વિશ્વાસ !’

દયામણે મોંએ આ ભાષણ નીકળ્યું જોઇ શેઠ નરમ થયા અને બોલ્યા : ‘વારુ, પણ તેમાં આટલું બધું શું ?’ પાસેેના કાગળોમાં એવું શું છે જે - હોય, એ તો જુવાન છોકરાં જરી લખે ગાંડુંઘેલું.’

‘એમ કેમ ? એ ભાઇના હાથમાં બધું સોંપો છો તે પછી મારા ધનની શી વલે - ને મારી શી વલે - થવાની તે કંઇ વિચાર કર્યો ?’

‘એટલું જ કેની ?’

‘તે એ ઓછું છે ? - તમારે મન તો કાંઇ નહીં હોય !’

‘વારુ - વારુ એ તો થઇ રહેશે.’ કરી ગુમાનને હસાવી પટાવી રમાડી બારણું ઉઘાડી શેઠ બહાર ગયા.

આણીપાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને

લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં રહેતો. પિતાના વ્યાપારનો ધણીરણી પોતે જ થઇ રહ્યો હતો એ પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઇ

ના કહે એવું નથી તે પોતે જાણતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને૧ તેનાં માબાપ પાસેથી તેમ જ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું અને બધો

મળી તે સંચય લાખેકના સુમારતો હતો. સરસ્વતીચંદ્ર વયમાં આવતાં આ સર્વ તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને અડકવા કરતાં ચાલતા સુધી પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાનુા બેત્રણ બંગલા હતા તેમાંથી એક બંગલો એને સોંપવામાં આવ્યો હતો.

આમ અગ્રભાગે એક પ્રધાનખંડ૧ હતો તેમાં કાંઇ વધારોઘટાડો કરી પાંચછ હજારનું ખરચ કરી મનસ્વી રીતે તેણે એ શણગાર્યો અને એક ભીંત ઉપર કુમુદસુંદરીની એક મોટી છવી (છબી) રંગાવી એક રમણીય હાથીદાંતના આસનમાં જડાવી મૂકી. તે આસનની ચારેપાસ કોતરકામ હતું અને તેમાં તથા છવિમાં મળી બેચાર હજારનું ખર્ચ થયું. ચંદ્રકાન્ત ખભા ઉપર હાથ

મૂકી સરસ્વતીચંદ્ર જુગના જુગ વીતતા સુધી એ છબી સામું જોઇ રહેતો અને આનંદમય અનિમિષ બનતો. તેનો ભૂતકાળનો વૈરાગ્ય સંભારી ચંદ્રકાન્ત મિત્રની પુષ્કળ મશ્કરી કરતો. સરસ્વતીચંદ્ર ઉત્તરમાં માત્ર હસતો જ. તે પોતાની પત્નીવ્રત વૃત્તિને શ્લાધ્ય ગણતો અને તેને સતેજ કરવી એ પોતાનો ધર્મ ગણતો. વિચાર વૃત્તિને જ અનુસરે છે. કાંઇ અધૂરું હોય તે પૂરું કરવાને સરસ્વતીચંદ્રે એક હીરાની મુદ્રા કરાવી.

આ મુદ્રામાં એક સુશોભિત પાસાંવાસો જળ જેવો નિર્મળ મોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં જડ્યો હતો.

વળી એવી ગોઠવણ કરી હતી કે આસન એક ચાંપવતે ઊઘડતું હતું અને ઊઘડતાં બીજી પાસ એક સૂક્ષ્મ મિજાગરાના આધારે હીરા સહિત છૂટું ન પડતાં લટકતું રહેતું. તે આસન ઊઘડતાં નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જ જગામાં સરસ્વતીચંદ્રના ઉત્તમાંગની૨ એક સૂક્ષ્મ સુંદર હસતી છબી હતી. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબી અદૃશ્ય રહેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી અને તેનું મૂલ્ય પાંચ હજાર રૂપિયાનું થયું.

આમ સૌ મળી પંદરવીસ હજાર રૂપિયા ખરચી નાખતાં લક્ષાધિપતિના પુત્રે કાંઇ આંચકો ખાધો નહીં. કુમુદસુંદરીને સારુ આટલું ખરચ કરવું તેમાં એને કાંઇ મોટી વાત લાગી નહીં. ચંદ્રકાન્ત મોંએ તેને ઘેલો થઇ ગયો કહેતો પણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં જ કહેતો કે ‘આહા ! મોટાનું ભાગ્ય મોટું જ ! આટલી કીર્તિ, આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ ! - કેવો ભાગ્યશાળી મિત્ર ! - ઇશ્વર એનું ભાગ્ય અખંડ રાખો !’ તેને બિચારાને ખબર ન હતી કે ભાગ્યના જ

પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઇ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપટમાં ભાગ્ય-દુર્ભાગ્ય એ એક જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે.

આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા. તેણે શેઠને કહ્યા અને ભાઇ સ્ત્રીવશ બની દ્રવ્ય વેડફી મારશે તે પ્રત્યક્ષ દૃષ્ટાંતથી સિદ્ધ કરી આપ્યું.

આવા વિષયોમાં શેઠે પણ કદી આમ દ્રવ્ય ખરચ્યું ન હતું અને તેને પણ પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. ‘તમે જે સોંપ્યું છે તેનો આ ઉપયોગ તો દેખીતો છે - બીજો આપણી દૃષ્ટી બહાર પણ કેટલો હશે તે તો ખબર જ શી રીતેે પડે ? આ તમારા વિશ્વાસનું ફળ !’ આમ ગુમાને સૂચવ્યું અને

ચંદ્રલક્ષ્મીવાળા દ્રવ્યમાંથી આ ઉપયોગ થયો હશે તે તો શેઠને સાંભર્યું જ નહીં. તેમનો મિજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો.

વૃદ્ધ પિતામહી, ગુમાનનાં સર્વ કાર્યસ્થાન (કારસ્તાન) શોધી કાઢી સરસ્વતીચંદ્રને એકલો બોલાવીસ, ગુપચુપ વાતો કરી કહી દેતી અને સર્વ વાત સાંભળી રહેતો. પિતામહીને શાંત પાડતો. પણ ગુમાનની દુષ્કૃતિ અને શેઠની ફરતી વૃત્તિ જાણી અંંતરમાં ખિન્ન થયા વિના તેનાથી રહેવાતું નહી. પિતામહીના મનમાં એમ નક્કી આવ્યું કે લક્ષ્મીનંદન આખરે મોટા પુત્રને રઝળાવશે. આનો ઉપાય પોતે તો શો કરે પરંતુ પોતાની પાસે પણ

લાખ પોણા લાખનો સંચય હતો તે મોટા પૌત્રને આપી દેવા ઇચ્છા જણાવી.

સરસ્વતીચંદ્ર તે સાંભળી જરી હસ્યો અને કહ્યું કે ‘માજી, ઇશ્વર સર્વની તેમ

મારી સંભાળ રાખશે જ. તમારા વિચારનો નિર્વાહ (અમલ) કરવાથી પિતામાતા વધારે કોપશે, કુટુંબમાં ક્લેશ વધશે, અને મારે માથે વિશેષ આરોપ આવશે,

માટે વધારે સુતર તો એ છે એ સર્વ નાનાભાઇને મૃત્યુપત્ર કરી આપો.

એટલે સૌ આજ તમારા હાથમાં રહેશે, પિતામાતા પ્રસન્ન થશે અને ગુમાનબાજે જે વિપરીત ભાવ આરંભ્યો છે તે મૂકી દેશે.’ આ વાત ડોશીને ન ગમી.

આમ કરવાથી અમીદૃષ્ટિવાળી નહીં બને અને મોટા પૌત્રની હરકત દૂર નહીં થાય એમ ડોશીના મનમાં આવ્યું. તે બીજો ધંધો કરી રળી ખાય એવી તેની તાકાત ડોશી જાણતી હતી, પણ એવા કુળના દીવાને કુળમાંથી કંઇ

નહીં મળે એવી શંકા ઊપજવાથી તેના મનમાં ઓછું આવતું અને રોતી કારણ પોતાના વિચાર સાધવામાં સરસ્વતીચંદ્ર જ વચ્ચે આવતો દેખી ઉપાય

ન સૂઝ્‌યો. એમ કરતાં કરતાં પૌત્ર બહાર ગયો હતો એવે સમયે ચંદ્રકાન્તને એકાંતે બોલાવી તેની સહાયતા માગી.

ચંદ્રકાન્તે ડોશીની વાર્તા સાંભળી અને તેને એ સ્વીકારવા યોગ્ય

લાગી. પણ ડોશીના યોજના પાર પડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જ્યારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંકલ્પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય કંઇક દેશોન્નતિને અર્થે રોકી દેવું, પિતાનું દ્રવ્ય પિતામહોપાર્જિત હતું તેમાં પોતાનો ભાગ હતો તેના ઉપરથી પોતાના સ્વત્વનો (માલકીનો) ન્યાસ૧ કરવો, પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે સાધારણ વર્ગમાં ભળી જઇ દેશાટન કરવું,

લોકઅનુભવ અને ઇશ્વર શોધવો, અને ત્રણચાર વર્ષમાં પાછાં ફરી કોઇ

ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકના ઐહિક અને આમુત્રિક કલ્યાણ અર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંકલ્પનો નિર્વાહ કરવા જતાં તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થે ઇષ્ટ કરવા જતાં પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તે તો તેને ગાંઠવા જેવી લાગી નહીં પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ સંકલ્પ છોડી દીધો હતો. આ સર્વ ચંદ્રકાત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ ઉપરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઇ પડશે. યોજના પણ થયા પહેલાં સરસ્વતીચંદ્રને માલૂમ ન પડે અને પૂર્ણ થયા પછી માલૂમ

પડતાં નિષ્ફળ કરી શકે નહીં એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંતે શોધવા

માંડ્યો. ચંદ્રકાન્ત પોતે વ્યવહારિક દૃષ્ટિ-વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થસંન્યાસી વૃત્તિને લીધે એના ઉપર વધારે દૃઢ પ્રેમ રાખતો; તોપણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડૂબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઇ

જાય, નિર્ધન અવસ્થાનું દુઃખ પોતે અનુભવ્યું હતું તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મૂકી આવી પડે, અનેે સંસારની - સુધારાની -

મોહક માયા મૂકી આટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું

- તિરસ્કારનું પાત્ર થાય : આ સર્વ સ્નેહથી ઊભરાતા ચંદ્રકાન્તને મર્મચ્છેદક થઇ પડે એવું હતું અને તેનો વિચાર કરતાં, તેની કલ્પના જ દારુણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઇ પ્રસંગે પણ મિત્રની દબાયેલી વૃત્તિ પાછી ઊછળશે એવો તેને ભય રહેતો, પણ કુમુદસુંદરી પર ઉત્પન્ન થયેલા મિત્રપ્રેમની રમણીય વૃદ્ધિ જોઇ તે નિર્ભય થયો હતો. તોપણ પ્રથમ થયેલો વૈરાગ્ય અને પાછળનો સ્નેહ બેમાં કાંઇક અવર્ણનીય સામાન્યતા જણાતી, અને તેથી કોઇક પ્રસંગે પોતાના પૂર્વસંસ્કાર જાગતાં કુમુદસુંદરીને સાથે લઇએ જ સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાન્તને અંતઃકરણમાં ઝાંખો આભાસ થઇ આવતો અને તેથી જ ડોશીની યોજના પર પાડવાનો પ્રસંગ ન ચૂકવા તેની વૃત્તિએ તેને અતિબળથી ઉશ્કેર્યો.

ડોશીએ પોતાની મિલકત કોઇ વિશ્વાસપાત્ર માણસને નામે ચડાવી સોંપી દઇ તેને વહીવટદાર નીમવો, અને તે વહીવટદાર ડોશી જીવતાં સુધી ડોશીને તેનું ઉત્પન્ન આપે, અને તેના મરમ પછી સરસ્વતીચંદ્ર અને તેની

સ્ત્રીને નામે એ દ્રવ્ય ઉપર સામાયિક સ્વત્વનો લેખ કરી તેમને આપે એવી વ્યવસ્તા કરવાની ડોશીને સલાહ મળી. સ્ત્રી ન હોય તો સરસ્વતીચંદ્રને એકલાને આપવાનું ઠર્યું. સ્ત્રીના નામનું દ્રવ્ય સરસ્વતીચંદ્ર પોતાની ઇચ્છા

પ્રમાણે વાપરશે નહીં એવી ચંદ્રકાંતની ખાતરી હતી. પણ વહીવટદાર કોને નીમવો તે શંકાનું સમાધાન થયું નહીં. ડોશીએ આ કામ ઉપાડવા ચંદ્રકાંતને કહ્યું અને ઘણા વિચારને અંતે મિત્રના હિતનો બીજો રસ્તો ન દેખતાં તેણે સ્વીકાર્યું. આ વિષયનો લેક વિધિવત્‌ સંપૂર્ણ થયો, સરસ્વતીચંદ્રને તેની જાણ પડવા ન દીધી, સારા પ્રતિષ્ઠિત મનુષ્યોને સાક્ષી કરવા બોલાવ્યા અને અંતે લક્ષ્મીનંદનને અચિંત્યો ડોશી દ્ધારા બોલાવ્યો. સર્વ દેકતાં કાંઇ બોલ્યાચાલ્યા વિના કારણ બતાવ્યા વિના ડોશીએ લક્ષ્મીનંદનને ગંભીર મુખાકૃતિ ધારી

લેખ આપ્યો અને તે ઉપર પોતાના સહી નીચે સંમત (મતું) કરવા કહ્યું અને તેની આંખો સામું તાકીને જોઇ રહી. પોતાની સાજ્ઞાના ઉત્તરમાં આજ્ઞાના પાલન સિવાય બીજો ઉત્તર આપવા પુત્રની તાકાત શૂન્ય થાય એવો પ્રતાપ

માતાએ ધારી દીધો, સર્વ મંડળ બે જણના સામું શું થાય છે તેની જિજ્ઞાસાથી જોઇ કહ્યું. શેઠે લેખ વાંચ્યો, જરાક વિચારમાં પડતાં ‘ભાઇ, સહી કર’ એમ

ડોસીએ ઉચિત પુનરુક્તિ કરી. ધનવાન વયના પ્રતિષ્ઠિત વ્યવહારકુશળ

સ્વતંત્ર પુત્ર વૃદ્ધાવસ્થાના સિંહાસન પર બેઠેલી - વિજ્ઞાપના નહીં પણ નિર્ભય નિરંકુશ આજ્ઞા કરતી - માતુશ્રીના આજ કાંઇક અપૂર્વ લાગતા

પ્રતાપ આગળ અંજાઇ ગયો, પોતે ગુમાનને વશ થઇ ગયો છે તેની આ શિક્ષા ધર્મરાજના દૂતોને વાટ જોવરાવતી માતા ધર્માસન પર બેસી કરતી હોય એવો સંસ્કાર શેઠે અનુભવ્યો, અને પોતે તે શિક્ષાને યોગ્ય છે એવું સ્વીકારતો હોય તેમ માતાના મુખમાંથી અક્ષર ખરતા એકદમ લેખ ઉપર સહી કરી લેખ માતુશ્રીના હાથમાં મૂક્યો. આજ્ઞા ગુરુણામવિચાસ્ણીયા તેનું આ કલિયુગમાં દૃષ્ટાંત બન્યું. પ્રત્ય મંડળે સાક્ષ કરી. આ સર્વ વ્યાપાર થયો તે સમયે કોઇ બોલ્યું ચાલ્યં નહીં; સર્વ જીભ વિનાના સયંત્ર પૂતળાંની પેઠે જ વર્ત્યા; અને અંતે ડોશીના ખંડના દ્ધાર આગલ ચંદ્રલક્ષ્મીની છવી હતી તે ‘મારા પ્રેમને ઉચિત જ કર્યું છે’ એમ વગર બોલ્યો બોલતી હોય, વગર જીવે જીવ આણી પ્રસન્નતા બતાવતી હોય, તેમ એ છવી ઉપર દૃષ્ટિ પડતાં

લક્ષ્મીનંદનને લાગ્યું અને ભૂતકાળના પ્રેમ, ઉમળકાઅને આનંદનો નિર્મળ

વિનિમય૧ સ્ત્રીપુરુષ ઘડિક થતો હોય તેમ થયું. છવિ ઉપર સ્નિગ્ધ દૃષ્ટિ નાંખતો નાંખતો પુરુષ ઘડીક ગુમાનને ભૂલી ઊઠ્યો, ચાલ્યો, ખંડ બહાર આવ્યો, પોતાના ખંડમાં ગયો, ત્યાં ગુમાન બેઠી હતી તેને જોઇ વિચારમાં પડ્યો, અને રામચંદ્રને યુવરાજ કરવાનો સમારંભ આરંભી કૌશલ્યાના મહેલમાંથી કૈકેયીના વચન સાંભળવા આવનાર બિચારા દશરથના જેવો ગુમાનને ખભે હાથ મૂકી ઊભો. પળવારનું નિર્મળ સ્વપ્ન ભયંકર સત્ત્વની દૃષ્ટિએ પળવારમાં ભુલાવી દીધું.

‘જઇ આવ્યા ? શું કામ હતું ?’ આ પ્રશ્નથી આરંભી ધીમે ધીમે ગુમાને સર્વ વાત તથા સુવૃત્તિ પતિના ઉરમાંથી કાઢી લીધી અને તેની ખાતરી કરી કે આ સર્વ કામ સરસ્વતીચંદ્રનું છે. અંગ્રેજી વિદ્યાની કપટશક્તિ દૃષ્ટાંતથી સિદ્ધ કરી આપી. ધનનંદનને થયેલા અન્યાય સટે તેને કાંઇ બદલો વાળી આપવો શેઠને આવશ્યક લાગ્યો. ‘મને પુત્રે છેતર્યો’ એવું વ્યલીક પિતાના મનમાં વસી ગયું, ચોંટી ગયું. સ્નેહની અમીને ઠેકાણે વિષવૃક્ષનું બીજ પડ્યું. આવનાર કન્યાના મસ્તક ઉપર શંકા ભમવા લાગી - ‘આવા નિર્મલ પુત્રને આવું ક્યાંથી સૂઝે ? - ગમે તો કન્યા કે ગમે તો કન્યાના ખટપટી બાપનું એ કામ !’ સહી કરતાં શું તો કરી આપી પણ પાછળ

પસ્તાવો થયો.

સરસ્વતીચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઇર્ષ્યા અને અવિશ્વાસની

ચોકી મૂકવા માંડી. પુત્રના દરેક કામનું પૃથક્કરણ થવા લાગ્યું, કસોટીના કાળા પથ્થર ઉપર ઊજળા સોનાના લિસોટા ઉપર લિસોટા થવા માંડ્યા અને દરેક લિસોટામાં સોનું છતાં પિત્તળ જ અપૃષ્ટિને લાગવા માંડ્યું. જૂનવા અને નવા મતનાં મગજો વચ્ચે ઘણાક મતભેદ થતા; નિઃશંક અને નિર્દોષ પુત્ર એમ જ ધારતો કે હજી પ્રથમની પેઠે જ તકરાર કરી મારો મત ખરો દર્શાવી આપવાનો અધિકાર (હક) મને અપાય છે, શેઠ એ સર્વ ક્રિયાનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગ્યા. વૃત્તિએ અનુરંગી વસ્તુ દેખાડી, અને ‘પુત્ર પોતાના હાથ ઉપર રાખવા - મને દાબી નાંખવા - સર્વ હાથમાં લેવા -

યત્ન કરે છે.’ એ આભાસ ભૂત પેઠે વહેમાયેલા મગજમાં ભરાઇ ગયો !

ખરી ખાતરી કરવાનો ઉપાય શેઠે શોધી કાઢ્યો. ગુમાનનો ભાઇ

ધૂર્તલાલ બહેનના અંતઃકરણની કૂંચી ફેરવતો. શેઠના ઘરમાં પગપેસારો કરવાનો તેને લાગ મળતો ન હતો. હવે સમય જોઇ તેણે સમયસૂચકતા વાપરી, કાંટા પરનું માંસ માંસલ માછલાના મોંમાં પેસતું જોઇ માછી જાળ

ખેંચી - સાળાના હાથમાં બનેવી આવ્યો. ભાઇએ બહેનની જીભ ઉપર પોતાની શક્તિ મૂકી. ‘પુત્ર ઉપર ઘણોયે વિશ્વાસ રાખ્યો હતો - પણ આનું કહેલું સર્વ આમ ખરું પડતું જાય છે - મારો વિશ્વાસ ખોટો પડ્યો - હવે એનું કહ્યું માન્યા વિના કેમ ચાલે ?’ - શેઠે પોતાના મનને પૂછ્યું, અને તેમાં ભરાયેલા ભૂતે પ્રતિધ્વનિ કરીને જ ઉત્તર આપ્યો.

શેઠ એક સૂત્રયંત્ર (સૂતરની મિલ)ના મૂળ વ્યવસ્થાપક હતા. એકબે વર્ષ થયો. પોતાને ઠેકાણે મોટા પુત્રને દાખલ કર્યો હતો. હવે એવ વિચાર કર્યો કે તરત પુત્રના હાથ નીચે ધૂર્તલાલને દાખલ કરવો અને કાળક્રમે બેને સંયુક્ત (જોઇન્ટ) બનાવવા. તરપત પાર પાડવા જેટલી ઇચ્છા પુત્રને કહી બતાવી. પાછલી ઇચ્છાનું ફળ - ધનનંદનનો સ્વાર્ત - જળવાશે એવું -

ધાર્યું. સરસ્વતીચંદ્ર ઉપર અંકુશ મૂકવાની ઇચ્છા તો પિતાની આંખે પુત્રે જોયું હોત તો તરત જણાત. પણ તેની આંખ તેવી હતી હતી. એ આંખમાં તો ભરપૂર વિશ્વાસ હતો. સર્વ પ્રપંચબળ વિશ્વાસઘાતમાં પર્યાપ્ત થાય છે, એકનો વિશ્વાસ બીજાની શક્તિ છે, સારાની સારાશ એ નરસાને ફાવી જવાનું સ્થાન છે ! સામો સારો નીવડે ત્યાં સુધી તેને નરસો જ ગણી વર્તવું એમાં ક્ષેમકારક સાવધાનપણું આવી જાય છે એવી એવી ઘણી કહેવતો સરસ્વતીચંદ્રને ખબર હતી; પરંતુ તેને અનુભવમાં આણવાનો પ્રસંગ તેણે કલ્પ્યો ન હતો. ‘મારી સાથે મારા પિતા દાવપેચ રમે છે’ - આ વિચારતા વત્સલ પુત્રના મનમાં કેમ જન્મવા પામે ? પિતાએ જે ઇચ્છા જણાવી તેનો એમે શુદ્ધ અંતઃકરણથી ઉત્તર આપ્યો.

‘પિતાજી ! ધૂર્તલાલ આપણો સંબંધી છે એને આપણે બને તેટલું એનું હિત ઇચ્છવું જોઇએ. પરંતુ એની વૃત્તિ અને વર્તણૂક આપને ખબર નથી એમ નથી. આપણે ઉચ્ચ અને પ્રામાણિક મનુષ્ય સાથે જ ફાવે એમ

છે. તેમ ન કરવાની શિક્ષા આપણને થશે. આપણા દ્વવ્યની હાનિ થાય તો હરકત નહીં પણ સૂત્રયંત્રના ભાગસ્વામીઓ (શેરહોલ્ડરો)ને હાની થવી ન જોઇએ, અને દ્રવ્યને હરકત થાીય તો હરકત નહીં પણ પ્રતિષ્ઠામાં ન્યૂનતા ન પડવી જોઇએે. જો ધૂર્તલાલને કાંઇ કામે જ વળગાડવો હોય તો આપણા ઘરમાં ઘરના વ્યાપારમાં ક્યાં સમાસ થાય એમ નથી ? એને બે પૈસાની

પ્રાપ્તિ કરી આપાના બીજા નીર્દોષ માર્ગ ક્યાં નથી ? ગુમાનબાને સંતોષ

મળે, ધૂર્તલાલ સુમાર્ગે કાંઇ પ્રાપ્તિ કરે, અને આપણને હરકત ન થાય -

એવા માર્ગ છે.’ આ ભાષણ નિશ્ચિત સિદ્ધાન્તીને ઠીક ન પડ્યું. તેને વધારે શંકા થઇ.

‘ભાઇ, બસ, મારા મનમાં એમ જ છે કે આમ કરવું.’

‘પણ કાંઇ યોગ્ય કારણસર કરવું એ ઉચિત છે.’

‘કારણ મારી ઇચ્છા.’

‘તો જેવી ઇચ્છા. આપની ઇચ્ચા એ મારે મન આજ્ઞા જ છે -

માત્ર ઘરનું હિત લાગ્યું તે સૂચવ્યું.’

‘હવે ઠીક એ તો. આ વિષે જોજો.’

‘હા જી.’

જન્મ્યા પછી પિતાને આમ બોલતા આજ પ્રથમ જ સાંભળ્યા.

કારણ કલ્પાયું નહીં, પણ કલ્પવાની જરૂર ધારી નહીં. ‘આજ કાંઇ એમ જ હશે’ એટલા વિચારથી સંતોષ આણ્યો. પોતાને દૂર કરવાનો માર્ગ શેઠ સાધે છે એવી કલ્પના પણ ન કરી. શેઠે જાણ્યું, ‘ઠીક ઊકલ્યું.’

એટલામાં ભાગ્યશાળી ડોશી કાંઇ આકસ્મિક કારણથી માલા જપતાં જપતાં બગાસું આવ્યાથી પંચત્વ૧ પામ્યાં. લક્ષ્મીનંદનને કાંઇ દુઃખ થયું ફણ

મનમાં લાગેલા ડાઘને બળે તરત જ શાંત થઇ ગયું. સ્મશાનમાં સર્વ હસી વાતો કરતા હતા તેમાં ભળી જતાં કાંઇ અસ્વાભાવિક લાગ્યું નહીં. ગુમાન સાસુ પાછળ શણગાર સજી કૂટવા ઊભી તેના ઉપર ઘડીક મોહથી દૃષ્ટિ કરી એકાંતમાં તેની તે સમયની સુંદરતા વખાણતાં તેને કાંઇ પણ ખેદ થયો નહીં. ડોશીએ કરેલી વ્યવસ્થાથી અજાણ્યો પણ નાનપણથી તે આજ સુધી તેની માયામાં ઊછરેલો સરસ્વતીચંદ્ર ઘણો જ ખિન્ન થયો અને ઘડીવાર તેને એવી ભ્રાંતિ થઇ કે આ ઘરમાં હવે મારું સગું નથી. આત્મપ્રયાસથી તેણે

મનનું સમાધાન કરી દીધું. ડોશીના ખંડમાંથી ચંદ્રલક્ષ્મીની છવિ અને બીજી

કંઇ કંઇ સ્મારક વસ્તુઓ પોતાના ખંડમાં આણી તેના ભણી જોઇ રહેતો.

ડોશી બેસતો, વાતો કરતી, માયા બતાવતા, ઇત્યાદિ કંઇ કંઇ બનાવોનો તાદૃશ ચિતાર મનમાં ખડો કરી ઘડીક તદ્રૂપ બનતો અને વ્યવહારમાં ચિત્ત પરોવવા પ્રયત્ન કરતો. ડોશીના દ્રવ્યનું શું થયું તેનો તેણે વિચાર પણ ન કર્યો.

ગુમાનને નામે અને અર્થે શેઠે ઘણા દિવસ થયાં એક સારી રકમ

કાઢી મૂકી હતી, સરસ્વતીચંદ્ર પોતાની સાથે વ્યવહારમાં ભળ્યો તેવામાં એ રકમ કોઇ સારા ‘શેર’માં રોકી દેવા શેઠની ઇચ્છા હતી, પણ મોટા પુત્ર ઉપર તે સમયે ભાવ હોવાથી તેનો અભિપ્રાય પૂછ્યો. સ્ત્રીઓના દ્રવ્યને

ચાલતા સુદી શેરમાં રોકવું નહીં એવો વિચાર હોવાથી પુત્રે સલાહ આપી કે આ દ્રવ્ય સરકારી ‘લોન’માં નાખો. પિતાએ તે જ પ્રમાણે કર્યું. એ જ સમયમાં ચંદ્રલક્ષ્મીના નામની સરકારી ‘લોન’ હતી તે વટાવી પોતે સગી

મટતાં સરસ્વતીચંદ્રે શેર ઇત્યાદિ વ્યાપારમાં તે દ્રવ્ય નાંખ્યું. હાલ એમ થયું હતું કે રશિયા સાથે લડાઇની કિવદંતી (જનવાર્તા) ચાલતી હતી અને

લોનની ખરીદી બંધ થવા જેવી થઇ અને ભાવ બેસી ગયા. સરસ્વતીચંદ્રવાળા શેરના ભાવ ઘણા જ ચડી ગયા અને તેને ઘણો લાભ મળ્યો. શેઠના મનમાં આવ્યું કે પુત્ર જે સલાહ આપી હતી તે જાણી જોઇ ગુમાનને નુકસાન કરવા આપી હતી. પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજી સલાહ આપી - તેનો અર્થ શો નીકળે ? પ્રીતિ અને વિશ્વાસ ખોટામાંથી સારો અર્થ શોધાવે, અપ્રીતિ અને અવિશ્વાસ સારા હેતુમાં ખોટાનું ભાન કરાવે.

એક દિવસ ભોજન કરી બપોરે પિતા અને પુત્ર બે ઘોડાની ‘ફાઇટન’માં બેસી ‘ઑફિસ’માં ચાલ્યા. નીકળતાં પહેલાં ગુમાને શેઠને તૈયાર કરી મૂક્યા હતા. ડોશીના દ્રવ્યની વ્યવસ્તા, પુત્રની ઉપર વહુ અને સાસરિયાંની સત્તા અને આજ જ બજારભાવમાં ઊથલપાથલથી થયેલાા વિચાર : એ સર્વેએ શેઠનું ચિત્ત ઉકાળ્યું હતું અને તેમાં ગુમાને પુષ્કળ સંભાર ભર્યો હતો. ઘર છોડી ગાડી જરાક ચાલી એટલે શેઠે વાત ઉઘાડી.

‘ભાઇ, બજારભાવ જાણ્યા ?’

‘હા જી. સારા ભાવ છે.’ પોતાને થયેલો લાભ પિતાને પુત્રે ઉત્સાહથી જણાવ્યો.

‘નોટ તો બેસી ગઇ છે.’

‘હા જી. આ તોફાન બંધ થશે એટલે ઠેકાણે આવશે.’

‘ને રશિયાવાળો આવશે તો ?’

પુત્ર હસ્યો. ‘પિતાજી, વાર લાગશે એમ થતાં.’

‘તારી નોટો તો તેં વેચી દીધી ?’

‘હા જી.’

‘ઠીક’ - શેઠ પુત્ર સામું જોઇ રહ્યા. ઝાઝી વાર મનમાં ઊભરો રહી શક્યો નહી અને પુત્રે વાત ટૂંકી કરી એટલે નિત્યસ્વભાવ ભૂલી શેઠે ઊભરા કાઢવા માંડ્યા.

‘ભાઇ ! હું બહું દિલગીર છું તારી બાબતમાં. મારે તને કાંઇ

કહેવું પડશે.’

આ અપૂર્વ અને અતર્કિત મંગળાચરણ સાંભળી પુત્ર વિસ્મય પામ્યો.

‘હા જી. આપ મને નહીં કહો તો બીજું કોણ કહેશે ?’

‘જો સાંભળ. ઘણા દિવસથી હું કાંઇ બોલતો નથી પણ માત્ર જોયા કરું છું. તારામાં દિવસે દિવસે ઘણો ફેર થતો જાય છે. એનું કારણ પ્રથમ

તો હું સમજી શકતો ન હતો. પણ વિચારતાં અને જોતાં એમ માલૂમ પડે છે કે તારું ચિત્ત સ્વતંત્ર નથી.’

‘તારો વિવાહ કર્યો તે મારા સુખને અર્થે. પણ એમાંથી જ કુટુંબમાં ક્લેશ ન થાય તે જોવું એ તારી ફરજ છે. કેટલાક જુવાનિયાઓ નાનપણમાંથી વહુઘેલા થઇ જાય છે અને વહુરો તેનો ગેરલાભ લેવા ચૂકતી નથી. વરને ભંભેરી તેને હાથે સકળ કુટુંબનું અહિત કરાવવા તે તત્પર હોય છે. જે વહુરો પરણ્યા પહેલાં આમ કરાવે તે પછીથી શું ન કરાવે તે સમજાતું નથી. પણ વરનું કાળજું ઠેકાણે હોય તો આ કશાની અડચણ નહીં. તારે જ આમ છે એમ મારું કહેવું નથી. હું તો હૂતાર્થ ઉપર કહું છું કે ખબર હોય તો ચેતતા રહેવાય !’

ઉત્તર દેવાની કાંઇ પણ વૃત્તિ સરસ્વતીચંદ્રના ચિત્તમાં હતી તે સર્વ બંધ થઇ ગઇ. શેઠે મર્યાદા તોડી પણ પોતાથી તૂટે એમ ન હતું. ‘નિર્દોષ પવિત્ર કુમુદસુંદરી ! પ્રિય કુમુદ !’ એ ઉચ્ચાર ચિત્તે ચિત્તમાં જ કર્યો. તેના સામો આ નિર્મૂળ અપવાદ સરસ્વતીચંદ્રના કાનમાં પેસતાં જ ચિત્ત વીંધાયું

ઃ ‘અરરરરર ! આ પિતા ! આ બોલે છે શું ! આનો ઉત્તર દેવાની કાંઇ

જરૂર નથી. પ્રિય કુમુદ - મારા ચિત્તમાં અને ઇશ્વરને ઘેર તારો પવિત્ર ઉત્કર્ષ સિદ્ધ છે. આ અપવાદ તારી પવિત્રતાનું તેજ વધારે છે.’

તે રાતોપીળો થઇ ગયો. રોષ તેના આખા અંગમાં વ્યાપી ગયો.

મોં લાલચોલ થઇ ગયું. તેની સહનશક્તિ ઘણી હતી પણ તે પોતાની જ બાબતમાં હતી. ‘મારી કુમુદ ! તારી બાબતમાં આ કેમ સહુ - હું ઇશ્વરનો અપરાધી ન થાઉં ?’ આટલું છતાં સર્વ વિકાર તેણે ચિત્તમાં જ થવા લાગી તે જણાવી નહીં, અને એક શબ્દ બોલ્યા વિના પુત્રે પિતાના શબ્દપ્રવાહનો રજ પણ પ્રતિરોધ ન કર્યો.

સદયનિર્દયપણાનો ભેદ ન સમજનાર શેઠે જેટલું કહેવાયું એટલું કહ્યું. વિદ્યાચતુરની પરીક્ષા કરવામાં પોતે છેતરાયો, ગુમાન ભણી દયા દર્શાવી, તેના પ્રતિ સરસ્વતીચંદ્રના વ્યક્તાવ્યક્ત ધર્મ કહી બતાવ્યા, કુમુદસુંદરી આગળ ઘેલા બની જવાનો પુત્ર પર આરોપ મૂક્યો, સ્ત્રી અને શ્વશુરને વશ થયેલા માણસ બાયલાં કહેવાય એ ભાન આપ્યું, વાલુકેશ્વરનો બંગલો વગેરે વિષયમાં પૈસા વેડફી માર્યા જાણી ખેદ થયો બતાવ્યો, આવા ઉડાઉ પુત્રના ભવિષ્ય બાબત ચિંતા કરી, અને અંતે ગૂમાનને લોન લેવરાવી પોતે શેર

લીધા અને વિશ્વાસના બદલામાં ઊંધી સલાહ આપી તે સારુ તિરસ્કાર પણ દેખાડ્યો. ‘ડોશીવાળા લેખમાં મેં ત મારાપણા ઉપર જઇ સહી કરી આપી પણ તારે એ લેખ આમ કરાવી લેવો ઘટતો ન હતો’ તે વાત ફુલાશ મારી કહી બતાવી. ‘ધૂર્તલાલની બાબતમાં તું તો ના કહેવા ગયો, પણ ચાલ્યું નહીં એટલે શું કરે’ એ પણ કહ્યું : ‘તું ભણ્યો પણ ગણ્યોનહીં’, ‘આજ તો કાંઇ પણ મારી ગરજ તારે હોવી જોઇએ’, ‘અંગ્રેજી ભણી માથું ફેરવી બેઠાથી પૈસો ન મળે’, ‘એમ ન જણવું કે કાયદો જાણ્યો એટલે બાપ પણ

‘જી ! લબ્બે !’ કરશે : ઇત્યાદિ કંઇ કંઇ અસહ્ય વચન કહી બતાવ્યાં, સોંપેલા વ્યાપારકાર્યમાં કંઇ કંઇ ભૂલો કાઢી, અને બુદ્ધિમાં, અનુભવમાં, આવડમાં, વ્યવહારમાં, સારાંશમાં, પિતૃભક્તિમાં અને એવી કંઇક બાબતોમાં પુત્ર પછાત છે તેને વિષે લાંબું બળવાન ભાષણ કર્યું.

સરસ્વતીચંદ્ર શેઠે કહેલી ઘણીક બાબતોનો મર્મ ન સમજ્યો. ગણી ઘણી બાબતો નવાઇ ભરેલી લાગી, ગુમાનનો પ્રતાપ પૂર્ણ કળી ગયો, પોતાની સ્થિતિ જોઇ લીધી, પિતાની અપ્રીતિનો પૂર્ણ આવિર્ભાવ અનુભવ્યો, અન્યાયની હદ જોઇ, મૂર્ખતાનું શિખર નજરે પડ્યું, ઉત્તર વાળવો પુત્રધર્મ વિરુદ્ધ જણાયો. એક શબ્દ પણ બોલવો નિષ્ફળ લાગ્યો, અને પોતાની

મનોવૃત્તિ દેખાડવી એ પોતાના પદના ત્યાગ જેવું ધારી નીચુ જ જોઇ રહ્યો,

મોંને બંધ જ રાખ્યું, પિતાની મૂર્ખતા પર વિચાર પણ ન કર્યા, અને માત્ર

‘હવે મારે શું કર્તવ્ય તેા સંકલ્પ વિકલ્પની સૃષ્ટિમાં ડૂબી ગયો. આ અને

માત્ર સમાધિમાં શેઠના શબ્દ નીકળવા છતાં તેના કાનની બહાર ઊભા.

તેના ગાલ ઉપર શેરડા પડ્યા, કપાળ પર પરસેવો વળ્યો, બંડી ભીની થઇ

ગઇ, શરીરે પળેપળે રોમાંચ અને કંપ અનુભવ્યો, આંખો મીંચાયા જેવી થઇ ગઇ, મન કેદમય બન્યું, મસ્તિક ગૂંચવાડામાં પડ્યું, પેટમાં આંકડી ગણકારી નહીં, અને સર્વને અંતે આંખની કીકી અને પોપચું તે બેની વચ્ચે પાણી ભરાયું, તેમાંથી અકે ટીપું પડ્યું, અને તે કોઇએ દીઠું નહીં. શેઠની જીભ આખરે થાકી પોતાની મેળે જ બંધ પડી. અને એટલામાં, ઑફિસ આવતાં શેઠ ભભકાભેર શિક્ષા કરનાર ન્યાયાધીશની ઢબથી ઊતર્યા. અને તરત જ ઊંઘમાંથી જાગ્યો હોય એવો પુત્ર ધીમે રહી ઊતરી પાછળ ગયો.

આજ એ કોઇનો ન હતો. તેનું માથું ફરી ગયું.

ઑફિસમાં જઇ તરત જ ચિઠ્ઠી લખી ધૂર્તલાલને બોલાવ્યો. આખો દિવસ તેને ઑફિસની હકીકતથી વિદિત કરવામાં ગાળ્યો. દિવસને અંતે પિતા પાસે ધૂર્તલાલને લઇ ગયો અને ધૂર્તલાલને મોઢે જ પિતાની ફરી ગયેલી વૃત્તિને અનુકૂળ સંતોષ આપે એવો ઉત્તર દેવડાવ્યો. બીજે દિવસે ઑફિસમાં જઇ પોતાના હાતમાં જે જે વસ્તુઓ હતી તે પિતાને દેખાડી.

શેઠને કાંઇક અનુકૂળ નવાઇ લાગી અને પૂછ્યું કે આ બધી શી ગરબડ છે

? પુત્રે ઉત્ત દીધો કે ‘કાંઇ નહીં, સહજ જ.’ સાંજે પિતાની સાથે ઘેર ગયો અને ‘હું આજ વાલુકેશ્વરને બંગલે ખાવાનો તેમ જ સૂવાનો છું.’ કહી નીકળ્યો ઘરમાં નિત્યના જેવો માણસોનો તથા કામનો ગરબડાટ હતો તે પર ઉદાસીન વૃત્તિ થઇ અને દીવા થતાં બે ઘોડાની ફાઇટનમાં નીકળ્યો રસ્તે જતાં ચંદ્રકાંતને સાથે લીધો. ચોપાટીના રસ્તા પર સમુદ્ર પરથી આવતી ભીની ઉત્સાહક પવનની લહેરોથી તે શાંત થયો નહીં. પાસેના કાળા ડુંગરો ઉપર દૃષ્ટિ કરતાં અદ્‌ભૂત વૃત્તિ એણે અનુભવી નહીં. મિત્રની સાથે આખો રસ્તો વટાવતાં સુધી બોલ્યો નહીં. ટેકરી પર ધીમે ધીમે ઘોડાગાડીને જોરથી ખેંચતા ચડતા હતા તે વખતે કોણ જાણે અકસ્માત કે કોઇ જાણે કાંઇ

કારણથી શિથિલ થયેલો સરસ્વતીચંદ્ર મિત્રના શરીર પર પડી ચમક્યો. હોય

તેમ સજ્જ થયો. રસ્તે ચાલતા હવા ખાતા ચિત્રરંગી લોકવર્ગ ઉપર, ગાડીઘોડાઓ ઉપર, હાડકાંના ભાગેલા શેઠિયાઓ ઉપર, સંસારના નિઃસ્પૃહી આનંદી બાલકો ઉપર, પથ્થરો પર, બેઠેલી મિત્રતા ઉપર, નાનો ગુટકો ઝાલી બડબડી બંદગી કરતા ઘડીક પવિત્ર થતા પારસીઓ ઉપર, ઘોડા દોડાવતાં પરપ્રમત્ત દમ્પતીઓ ઉપર કશા ઉપર સરસ્વતીચંદ્રે દૃષ્ટિપાત કર્યો નહીં.

કોલાબાની દીવાદાંડી અને વાલુકેશ્વરની અણીની વચ્ચે આથમતા ગરીબડા સૂર્યને કાંઇ પૂછતો હોય, ફીણ ઉરાડતા ગર્જતા અનાદિ લાગતા સમુદ્ર પર છેટે કોઇ પ્રદેશ જોતો હોય, વિશાળ આકાશમાં ઊતરતા અંધકારને માપી

લેવા ઇચ્છતો હોય તેવો તે દેખાતો હતો. એમ કરાતં કરતાં બંગલો આવ્યો, પાણીદાર ઘોડા ખોંખારા કરતા અંદર વળ્યા, ચાબુક વીંઝાતી બંધ થઇ, વાડીમાની લીલોતરી આંખનો સત્કાર કરવા યત્ન કરવા લીગ, ગાડીનાં ચક્ર

નીચે કચરાતીહતી તે કઠણ નાની કાંકરી ગાડીમાં બેસનારનાં અભિમાન અને પ્રમાદને ભેદી તેના કાનમાં ફરિયાદીનો શબ્દ મોકલવા મંડી. એટલામાં ગાડી દ્ધારનાં પગથિયાં આગળ આવી ઊભી અને બેસનાર ઊતર્યો. તરત જ નવા કરાવેલા ખંડમાં ગયા. સામી કુમુદસુંદરીની છવિ હતી. ચંદ્રકાંતને ખભે હાથ મૂકી સરસ્વતીચંદ્ર ઘડીક તે છવિ જોઇ રહ્યો; છવિની પાસે ગયો, પાછો આવી મિત્રને ગળે બાઝી એક કિનખાબી ગાદીવાળા કોચ પર જોરથી તેને બેસાડ્યો અને તેના ખભા ઉપર માથું મૂકી નાના બાળક પેઠે રોયો !

રોયો નહીં પણ રોયો !

ચંદ્રકાંત ચમક્યો. મિત્રને ઉઠાડી, સામું જોઇ, ધીરજ આપી : ‘ભાઇ, ભાઇ ! આ શું ? ધૈર્ય રાખો ! શું છે આ ?’

‘ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! કાંઇ કહેવાનું નથી. ધૈર્ય જ છે. શું હોય ?

કાંઇ નથી.’

‘ત્યારે આ શું ?’ ચંદ્રકાંતનું હ્ય્દય ઓગળવ્યું અને ધડકવા લાગ્યું.

‘કહીશ.’

પોતાની મેળે જ આંખો લોહી પિતાની સાથે બનેલા સર્વ વર્તમાન ધીરજથી કહી બતાવ્યા. પોતે ધૂર્તલાલને સર્વ સોંપી દીધું તે પણ કહ્યું અને એકદમ હ્ય્દય કઠણ થઇ ગયું હોય એમ ટટાર થઇ બેઠો.

‘ચંદ્રકાંત, મારું મન આજ આટલું નિર્બલ ઘડીક થુયં તેથી મને ઘણી શરમ આવે છે. પણ શું કરું ? હું છેક આમ નહોતો જાણતો. હશે, ઇશ્વરને ગમ્યું તે ખરું....’

‘ભાઇ શા વાસ્તે આમ કરો છો ? તમારો દોષ નથી. પણ તમે આ ઉતાવળ કરી તે ઠીક ન કર્યું.’

‘ચંદ્રકાંત, પિતાનું દ્રવ્ય આજથી મારે શિવનિર્માલ્ય છે !’

‘ના, ના, તે માર્ગ નથી જોઇતો મારે. માર્ગ ન હોય તે ત્યાગ કરે એ તો વૃદ્ધા નારી પતિવ્રતા પિતાના મનમાં એમ જ આવ્યું કે હું આ દ્રવ્યને

લીધે જ એમનો સંબંધી છું. હવે એમને મારી ચિંતા નથી - મારો વિશ્વાસ નથી. ભલે, ચિંતા નતી તો સારું છે. અવિશ્વાસ હું દૂર કરીશ. એ સર્વ દ્રવ્ય હું ગુમાનબા અને ધનભાઇને આપી દઉં છું. ઇશ્વર એ દ્રવ્ય તેમના હાથમાં અચલ રાખો. મારે અને નિર્ધનતા કઠણ નથી.’

‘જાઓ, જાઓ, એમ શું કરો છો ? ઇશ્વરે તમને વિદ્યા ક્યાં નથી આપી ?’

‘વિદ્યા વેચવા હું ઇચ્છતો નથી. પેટની મને ચિંતા નથી. દ્રવ્ય

મારે જોઇતું નથી - તે નિરુપયોગી છે. તને ખબર છે કે માત્ર પિતાના સ્નેહને વાસ્તે જ હું સંસારી હતો, અને એ સ્નેહ હવે નથી !’

‘કોણે કહ્યું કે દ્રવ્ય નિરુપયોગી છે ?’

‘હવે જાણ્યા, જાણ્યા તારા વિચાર. દેશહિત, લોકહિત અને આત્મહિત ત્રણે વાનાં દ્રવ્ય વિના સિદ્ધ થઇ શકે છે. પછી આપણામાં જ ખામી હોય

તો કોઇ શું કરે ?’

‘ત્યારે તેમ ધર્માસન આગળ ધંધો કરો. તમને ક્યાં અનુકૂળતા નથી ?’

‘મૂર્ખ, તને ખબર નથી કે તેનો પ્રથમથી જ મને તિરસ્કાર છે ?

શું ઉદરનિમિત્તે હું અણગમતા સંસારમાં ઝબકોળાઇશ ?’

‘ત્યારે વ્યવહારનો પુરુષાર્થ શો ?’

‘ચંદ્રકાંત ! હવે બસ કર. મારે આ વાદવિવાદ નથી જોઇતો.’

‘તો વગરધંધે તમે ક્યાં રહી શકો નહીં એમ છે ? એક લાખ

રૂપિયા તમારા છે - લાખ રૂપિયા ડોશી આપી ગયાં છે.’

સરસ્વતીચંદ્ર ચમક્યો. ચંદ્રકાંતે ડોસીા સર્વ સમાચાર કહ્યા. સરસ્વતીચંદ્ર

નારાજ થયો. પણ હવે ઉપાય ન રહ્યો. કુમુદસુંદરીનું દ્રવ્ય કોઇને આપવા તેને અધિકાર ન હતો.

‘ચંદ્રકાંત ! એનું ગમે તે થાય. મારે તો દ્રવ્ય જ નથી જોઇતું.’

‘તમે તો ઘેલા છો. તમારું દ્રવ્ય - તમે જુદા રહો પિતાથી. સંતોષમાં વસો, વિદ્યા વધારો, પરમાર્થ કરો અને કુમુદસુંદરીને આનંદ આપો.’

‘પણ હુંપિતાથી જુદો તો ન રહું. વળિ વિચાર કે આ દ્રવ્ય જોઇ

વિદ્યાચતુરે સંબંધ બાંધ્યો હશે. તેને કેવું થશે ? તેનાથી વિવાહ ફોક પણ નહીં થાય.’

‘હવે કાંઇ પરમેશ્વરને પાડે હતા તેવા શાણા થાઓ. તેણે તમને જ જોયા છે - બીજું કાંઇ નથી જોયું.’

‘પણ ચંદ્રકાંત, રંક અવસ્થામાં સુખદુઃખ, ગ્રહોના જેવી નિરાધાર સ્થિતિ, સંસારના ધક્કા, નિર્ધનતાના અંધકારમાં ઢંકાયેલાં રત્ન, અવિદ્યાના

પ્રદેશ અને એવું એવું ઘણુંક જોવાનો મારો અભિલાષ છે અને આ અનુકૂળતા થઇ ગઇ છે.’

‘પણ લોક શું કહેશે ?’

‘મૂઢ, અપકીર્તિ મને ભયંકર નથી. કીર્તિ અપકીર્તિ એ જૂઠાં ત્રાજ્વાં છે. ઊંઘતાંનાં સ્વપ્ન છે, સ્વપ્નમાં સત્ત્વ છે. એ ગાહ્ય પણ નથી, હેય પણ નથી.’

‘વારુ, કુમુદસુંદરીનો વિચાર કર્યો ?’

‘એનો વિચાર ઇશ્વરને સોંપું છું. ટૂંકા પ્રસંગથી ઉત્પન્ન થયેલો સ્નેહ ટૂંકા સમયમાં શાંત થશે. કોઇ સારો વર મળશે એટલે મને ભૂલી જશે.’

‘તમે ભૂલ કરો છો. એ મુગ્ધાને તમે હાનિ પહોંચાડી તો અત્યંત પસ્તાશો અને ઇશ્વરના અપરાધી થશો. તમારા ચિત્તમાંથી પણ એ ખસનાર નથી.’

‘મારા ચિત્તની વાત હું વધારે જાણું.’

‘તે જાણતા હોય ત્યારે જોઇએ શું ? તમે તો માત્ર ઘેલા ઘેલા અભિલાષ કરી જાણો છો અને બીજા મનમાં દાબી રાખે તેને બહાર કાઢી અનુભવમાં આણવા ઇચ્છો છો. એ મૂર્ખતાનું લક્ષણ.’

‘તું બહુ બોલે છે, હાં.’

‘હું તો બોલું છું પણ તમે બોલવા ઊભા થાઓ એવા છો. બારિસ્ટર બન્યા. આટલી કીર્તિ મેળવી. આવો સ્નેહ બાંધ્યો, આટલા શ્રીમંત અને વિદ્યાવાન થયા - તે આ વિચાર તો કરો કે શું કરવા ધારો છો ? આ તો

મૂર્ખતમ. બીજો કોઇ બારિસ્ટર આ દશામાં પડ્યો હોય અને તને તેને જોઇ

શું કહો તે કલ્પો તો ખરા !’

‘ત્યારે હું શું કરું ?’

‘જે જે શક્તિ અને સુંદરતા તમારામાં છે તેનો સારો જયવંત ઉપયોગ કરો, એ જ ! આમ જોગી જેવા બાયલા બની સંસાર દુસ્તર છે

માટે તરવું નહીં એવો વિચાર ન કરો; પાછલ અમને શું થશે તે વિચારજો.’

સરસ્વતીચંદ્ર ઊંડા વિચારમાં પડ્યો. બેઠો હતો તે કોચ ઉપર માથું ઢાળી દીધું અને અર્ધમીચેલી આંખો ઘડીક શૂન્ય થઇ. થોડીક વાર ચંદ્રકાન્તને ખભે હાથ મૂકી દયામણે પણ ધીરગંભીર અને શાંત સ્વરે બોલવા લાગ્યો.

‘ચંદ્રકાન્ત ! પ્રિય ચંદ્રકાન્ત ! તારી મિત્રતાનો બદલો હું વાઓળી શકવાનો નથી. ધર્માધિકારીઓ છેલ્લો અભિપ્રાય બાંધતાં પહેલા પક્ષવાદ

સાંભળે છે. પણ મનુષ્યના ગાંડાઘેલા ઉતાવળા અભિપ્રાય પ્રવાહી મટી સ્થૂળધન નિશ્ચયરૂપ થઇ જાય છે અને તે એકાંતમાં જ થાય છે તેનો પક્ષવાદ

કરનાર મિત્ર વિરલ જ હોય છે. તેં મને ઘણું કહ્યું છે, પ્રતિકૂળ પણ હિત કહ્યું છે, પણ મારી વાત મારા ચિત્તમાંથી ખસતી નથી.’

‘પ્રિય કુમુદ - નિર્મળ કુમુદ - એને વાસ્તે જે વચન હું સાંભળી રહ્યો તે ખરેખર મારી શક્તિ ઉપરાંતનું કામ મેં કર્યું છે. ગમ ખાધી, પણ

મારા અંતઃકરણમાં જે ઊંડો ઘા એ વચનથી પડ્યો છે તે રૂઝતો નથી -

ખમાતો નથી.’

‘પિતા પ્રતિ મારો ધરમ હું જાણું છું. પણ તે ધર્મને શરણ થઇ

પત્ની પર જુલમ કરવો એ મારો ધર્મ છે એમ મારાથી કદી પણ સમજાય

એમ નથી. પત્ની પોતાનાં માતાપિતા પ્રતિ પોતાના ધર્મના કરતા પત્નીધર્મને કેવળ વશ થાય છે, અને માતાપિતા ખરાં - પણ ‘પતિ પહેલો’ એ શાસ્ત્રશાસનને સ્વીકારે છે. પતિનો પતિધર્મ શું જુદી જાતનો છે ? જો કોઇ

પણ શાસ્ત્ર એમ ગણાતું હોય કે માતાપિતાનો મિજાજ જાળવવા પત્ની પર જુલમ કરવો તેને અશરણ કરી દેવી - તો તે શાસ્ત્ર મારે માન્ય નથી. એક આંખે માતાપિતા જોવાં અને બીજી આંખે પત્ની જોવી - અથવા તો એની એ બે આંખોએ બેને જોવાં એ પતિધર્મ હું માન્ય ગણું છું.’

પ્રેયો મિત્રં બન્ધુતા વા સમગ્રા

સર્વે કામાઃ શેવધિર્જીવિતં ચ

સ્ત્રીણાં ભર્તા ધર્મદારાશ્ચ પુંસામે૧

‘આ ઉત્તમ વચન મારે માન્ય છે. પરણ્યા પછી સ્ત્રીને લેખામાં ન ગણે. તેને નિરાધાર બનતી જોઇ બળે નહીં, અને કેવળ અમારી આજ્ઞામાં જ રહે એવો પુત્ર ઇચ્છનાર પિતાએ પુત્રને પરણાવવો જ નહીં એ જાણી

લીધું તે હું મારું મોટું ભાગ્ય - સમજું છું. લગ્ન પછી જાણ્યું હોત તો હું એમની ઇચ્છા પુરી ન પાડી શક્ત અને તેથી એમને અને મને ઉભયને નિરુપાય ખેદ થાત.’

‘લગ્નથી મારે અને કુમુદને સગપણ થાય, પણ પિતાને શું ?

પિતાને મન હું પુત્ર, પણ કુમુદ એમને મન શા લેખામાં ? ચંદ્રકાન્ત, આ કારણનું કાર્ય અસહ્યથાય તે જોવા હું ઇચ્છતો નથી. કુમુદ મારા ચિત્તમાંથી ખસવાથી નથી - એના હ્ય્દયનું લાવણ્ય મારા મસ્તિકને ઘેલું બનાવી મૂકે છે તેમ જ સદૈવ બનાવશે : એનાથી છૂટા પડતાં મન પિતા ખરા અને તે ખરા જ રહે એટલા માટે હું લગ્ન પ્રસંગ નહીં આવવા દઉં. પિતાને ખાતર હું દુઃખ સહીશ, બીજાને પરણી કુમુદ મને કાળક્રમે ભૂલશે. મને પરણી કુટુંબમાં આવી તે સુખી નહીં થાય, તેને કોઇ નિરાંતે બેસવા નહીં દે - માટે...’

એટલું બોલતાં બોલતાં તે ગળગળો થઇ ગયો. વળી સજ્જ થઇ

બોલ્યો :

તું કહીશ કે તમે જુદા રહો અને કુમુદ સુખી થશે. પણ એટલું શાને જોઇએ ? પિતાથી જુદા વસવું - તેમની દૃષ્ટિએ પ્રતિસ્પર્ધી જેવા

લાગીએ - એ તો કલ્પના પણ દુઃખકર છે. વધારે દુઃખકર એટલા માટે કે એથી પિતા દુઃખી થાય અને તેમની જ અપકીર્તિ થાય તે મારે જોવી પડે.

એમનું સુખ એ મારું લક્ષ્ય છે.

‘પ્રસિદ્ધપણે જુદો રહું તેના કરતાં અપ્રસિદ્ધતામાં લીન થાઉં તો કાંઇ હરકત નથી. એથી કાંઇ અપકીર્તિ થશે તો મારી જ થશે અને તેનો

મને ડર નથી. મારી ખોટ ધનભાઇથી સપુત્ર પિતાને પડનાર નથી. ગુમાનબાને

મનથી ફાંસ જશે. પિતા સ્વસ્થ થશે. મારા પર પ્રીતિ નથી એટલે પિતાને વિયોગ દુઃખ થવાનું નથી. આટલા શ્રીમંત એમને જોઇને જાઉં તો એમની બાબત હું નિશ્ચિંત રહીશ.’

‘મારા મનમાંથી તો એ ખસવાના નથી. પણ કુમુદ વીસરાવાની નથી તે એક દુઃખ છે તો આ બીજું ! તું પણ ક્યાં વિસારે પડે એમ છે

! ચંદ્રકાંત, પણ તું તો વ્યવહારજાળમાં લપટાયેલો રહીશ અને અને તેમાં તથા દેશસેવામાં ગૂંથાતાં મને સંભારવાનો અવકાશ નહીં મળે - પણ પિતાને કદીક સાંભરી આવું તો તેમને આશ્વાસન આપજે, હોં ! તને પણ વિદ્યાનો ઉપયોગ મને વિસારવામાં કરજે ! ચંદ્રકાંત પિતાની સંભાળ રાખજે... મને તું સંભારજે -’

ચંદ્રકાંતનું અંતઃકરણ નરમ થઇ ગયું : તેનું હ્ય્દય ભરાઇ આવ્યું.

મિત્રનો હાથ ઝાલી તે બોલ્યો : ‘શું મિત્ર, આમ શું કરો છો ? હું ધારું છું કે તમે બોલો છો એટલે નિર્દય નહીં થાઓ.’

ચંદ્રકાંત વ્યાવહારિક દૃષ્ટિવાળો હતો. બીજી વાતમાં મિત્રને નાંખવાથી તેના તરંગ શાંત થશે એમ ધારી ચાલતી વાત ભુલાવી બીજી વાતો કાઢી.

સરસ્વતીચંદ્ર શાંત થયો લાગ્યો અને રાત્રિના અગિયાર વાગ્યે બે મિત્રો જુદા પડ્યા. જુદા પડતાં પડતાં પાછળ સરસ્વતીચંદ્ર દોડ્યો. અને ચંદ્રકાંતને એક પેટી આપી કહ્યું : ‘ચંદ્રકાંત ! આ અત્યારે તારી સાથે લઇ જા. એ વિષે કાંઇક સૂચના મારે તને પ્રાતઃકાળે કરવાની છે.’

‘મિત્ર, મને એમ થાય છે કે આ જ હું અહીંયાં જ સૂઉં.’

‘ના, ના, ગંગાભાભી મને બે ઘડી શાપ દે.’

‘ના, નહીં દે. પણ મને તમારા ચિત્તનો વિશ્વાસ પડતો નથી.’

સરસ્વતીચંદ્ર હસ્યો : ‘જા, જા, બહુ વહેમી ન થવું. મન જ નિરંકુશ થશે તો અહીં રહી તું શું સાચવશે ? જો પેટી સંભાળજે, હોં !’

‘તમે સાહસિક છે તે ચિંતા.’

‘જા, જા હવે.’

‘પણ જોજો, હોં !’

‘ઠીક.’

‘મને પ્રાતઃકાળે તેડવા ગાડી મોકલજો.’

ગાડીમાં બેસી પેટી લઇ ચંદ્રકાંત ગયો, પેટી વિષે પ્રાતઃકાળે સૂચના થવાની છે જાણી તે નિર્ભય બન્યો. પ્રાતઃકાળ થયો. સાત વાગ્યા, આઠ

વાગ્યા, પણ ગાડી આવી નહીં. તેના પેટમાં ફાળ પડી. ભાડે ગાડી કરી બંગલે ગયો. બંગલે માળી વિના કોઇ મળે નહીં. માળી કહે, ‘ભાઇ ગાડીમાં બેસી ચોપાટી પર મળસકાના ફરવા ગયા છે.’ ચંદ્રકાંતે ચોપાટી પર ગાડી દોડાવી. મુંબઇના નાગરિકોનું ચોપાટી એ પ્રિયસ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં ‘રેલવે’ની સડકનું ‘ક્રોસિંગ’

આવે છે તે ઓળંગતાં ચર્ની રોડ’ સ્ટેશન છે. સરસ્વતીચંદ્રની ગાડી ચંદ્રકાંતને સમુદ્રતટ પર ઊભેલી મળી. ગાડીવાન કહે : ‘ભાઇ આગળ પગે ફરવા ગયા છે, પણ ક્યારના પાછા ફર્યા નથી. મને આ ચિઠ્ઠી આપી છે ને કહી ગયા છે.’

ચંદ્રકાંતનો જીવ ઊડી ગયો. ચિઠ્ઠી લઇ વાંચી :

પ્રિય ચંદ્રકાંત,’

તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ.

પણ આખી રાત મેં વાડીમાં ફર્યા કર્યું છે. ઘણા વિચાર કર્યા. આખર મારો વિચાર ખરો લાગ્યો અને તે પ્રમાણે કરું છું.

તારી પાસે પેટી છે તે તારી પાસે રાખજે. તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે. મારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે - સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને કહેજે - તેમને દુઃખ થવા દઇશ નહીં.

મારા વિયોગનો શોક કરીશ નહીં. મૃત્યુ પાછળના અંધકારમાં એકલાં

પ્રવાસ કરવા પ્રાણીમાત્ર નિર્માયેલાં છે. મૃત્યુ પહેલાં જ અંધકારમાં ફરવું એ

મૃત્યુને માટે સજ્જ થવા જેવું છે. માયાને જૂઠો પ્રકાશ મૂકી આવા નિમિત્ત હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી.

હું તને નહીં ભૂલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઇશ.

હું તને છોડું, પણ હ્ય્દય કેમ છોડશે ?

મારી શોધ કરીશ નહીં. ગંગાભાભીને આશ્વાસન આપજે - હું તેમને ભૂલી શકનાર નથી.

રહી ઓછુંવત્તું વિષય સહુ જાશે તજી મને,

તજું હું તેને તો, પ્રિય સુહ્ય્દ, ના દોષ કંઇ એ.૧

જશે મેળે જ્યોત્સના ઉડુગણ જશે, રાત્રિય જશે,

કલેન્દુ૨ સાંજે એ નીરખી ઊગતાં આથમી જતો.

સ્નેહીથી બંધાયલો તું મને છૂટવા ન દેત જાણી સાહસ કરી છૂટું છું.

લિ. નામે સરસ્વતીચંદ્ર - બીજું શું કહું ?’

ઊંડો નિઃશ્વાસ મૂકી, કપાળે હાથ દઇ, વીલો પડી જઇ ચંદ્રકાન્ત

લક્ષ્મીનંદન પરનો કાગળ વાંચવા લાગ્યો.

‘પ્રિય પિતાજી,

આપને સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી તે છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માગતાં પુત્ર નિરાશ નહીં

થાય.

ધૂર્તલાલને સૂત્રયંત્રનું સર્વ કામ આપની ઇચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ આપને બતાવી દીધા છે.

બ્રહ્માને ઘેર કોઇની ખોટ નથી. મારી ખોટ પડવાનું આપને કારણ નથી. ધણભાઇથી આપને સર્વ સંંતોષનું કારણ મળો એ ઇશ્વરપ્રાર્થના છે.

આપનું સમસ્ત દ્રવ્ય તેના કલ્યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો. આપને હું કોઇ પ્રસંગે સાંભરી આવીશ તો એ જ મારે મન દ્રવ્ય છે.

મારે માનસિક વૈરાગ્ય લેવામાં આપની ચિત્તવૃત્તિ પ્રતિકૂળ નહીં

થાય એવો નિશ્ચય થવાથી હું તે સ્વીકારું છું અને સંસારસાગરને અદૃશ્ય

તળિયે જઇ બેસું છું. સંન્યસ્તારંભે કોઇને જણાવવાની જરૂર નથી લાગતી.

જનાર ‘જાઉં છું’ કહેવા રહે એમ હોતું નથી. ગુમાનબાને આજ સુધીમાં હું નિર્દોષ છતાં મારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો.

મારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું રહેશે. મારી ચિંતા કરવાનું કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં આપ છેતરાયા એ શલ્ય આપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિતતા હવે અમર રહો !

પિતાજી, હવે મારી ચિંતા કરશો નહિ, મારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઇ મોડું-વહેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. ચંદ્રબા ગઇ તેમ હું જાઉં છું. એ એક દિશામાં ગઇ, હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને પણ ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો

માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવ તો સુખી હું તેથી કોને શું ? દુઃખી હું તેથી કોને શું ?

જગતમાં કંઇ પડ્યા જીવ, દુઃખી કંઇ, ને સુખી કંઇક !

સઉ એવા તણે કાજે ન રોતાં પાર કંઇ આવે !

કંઇ એવા તણે કાજે, પિતાજી, રોવું તે શાને ?

હું જેવા કંઇ તણે કાજે, પિતાજી, રોવું તે શાને ?

નહીં જોવું ! નહીં રોવું ! અફળ આંસુ ન કયમ લ્હોવું ?

ભૂલી જઇને જનારાને, રહેલું ન નંદવું શાને ?

સખી હું તેથી કાને શું ? દુઃખી હું તેથી કોને શું ?

પિતાજી ! બીજું શું લખું ? મારા ગયાથી આપના ઘરમા હું સિવાય

કંઇ ચીજ ઓછી થઇ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને કહેજો.

લિ. હવે તો આપના ચિત્તમાંથી પણ

- આપને સુખી કરવા સારુ જ - ખસી જવા ઇચ્છનાર, સરસ્વતીચંદ્ર.’

બે કાગળો વાંચી શોકસાગરમાં પડી, માથે હાથ દઇ ચંદ્રકાંત સમુદ્રતટ પરના એક પથ્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે ‘જા અને તારા મોટા શેઠને ખબર કર કે ભાઇ તો ગયા.’

ગાડીવાળો ચમક્યો : ‘હેં ! ક્યાં ગયો ?’

‘તે તો કોણ જાણે. જા, જઇને કહે કે કંઇક પરગામ ગયા.’

‘કાગળમાં શું લખ્યું છે ?’

‘એ જ.’ ગાડીવાળો વિચારમાં પડી ઘોડાની લગામ લીધી અને ગાડી સાથે ચર્ની રોડ સ્ટેશન આગળનાં ઝાડો પાછળ અદૃશ્ય થઇ ગયો.

ચંદ્રકાંત ઊઠ્યો, ભાડાની ગાડીમાં બેસી સ્ટેશન પર જઇ પોતે તપાસ કરી, પણ કોઇએ પત્તો ન આપ્યો. સ્ટેશન માસ્તર, ટિકિટ માસ્તર, સર્વ એની આસપાસ ગૂંચળું વળી ભરાયા, મેલ અને પેસેંજર ટ્રેનની ટિકિટોની જાવક જોઇ, પણ કાંઇ સમજાયું નહીં. નિરાશ બની ચંદ્રકાંત ઘેર ગયો. ત્યાં એકલો શયનગૃહમાં બેઠો, લેખનપીઠ (ટેબલ) પર માથું મૂકી અશ્રુપાત ખાળી ન શકાતાં તેને રોકવો છોડી દીધો, ગંગાને સમાચાર કહ્યા, એક દુઃખનાં બે ભાગિયાં થયાં અને આખરે આંસુ લોહી શું કહવું તેના વિચારમાં એ પડ્યો, અને ગંગા આગળ હ્ય્દય ઉઘાડું કરવા માંડ્યું :

‘શું કરું અ - હં - હં - હં ! ગયા જ ! સરસ્વતીચંદ્ર ! આ સૂઝ્‌યું

? શેઠના ઉપર રોષ ચડે પણ મારા ઉપર શું ? ગરીબ બિચારી કુમુદસુંદરીની શી વલે થશે ? હું ક્યાં શોધું ? અપ્તરંગી માણસનો ભરોસો જ નહીં -

હેં ?’

વાએવાત ચલાવી અને ઘડીમાં સર્વ સમાચાર લોકવિદિત થઇ ગયા.

એટલામાં લક્ષ્મીનંદનો ગુમાસ્તો ચંદ્રકાંતને બોલાવવા આવ્યો. ચંદ્રકાંતે શેઠ

ઉપરનો કાગળ ફરી વાંચી જોયો. ‘આપનું સમસ્ત દ્રવ્ય તેના (ધનનંદનના) કલ્યાણઅર્થે યોગ્ય લાગે તેમ રાખો એ શબ્દો જોયા. કાગળ શેઠને તરત તો ન જણ આપવો એ વિચાર કરીને ઊઠ્યો અને શેઠને ઘેર ગયો.

ગાડીવાને શેઠને સમાચાર કહ્યા તે વખતે ગુમાન અને ધૂર્તલાલ

પાસે બેઠાં હતાં. સમાચાર સાંભળી ગુમાન ઝંખવાણી પડી ગઇ અને શેઠ

બેબાકળા બની ગયા. ધૂર્તલાગે ગુમાનના કાનમાં સૂચના કરી : જોજે, કાંઇ

ગોટો વાળી ન થયો હોય ! - પાકો છે. ગુમાનને જોર આવ્યું ને બોલી ઊઠી, ‘ઘરમાં બધી તપાસ કરાવો.’ શેઠ બોલ્યા : ‘ઘરમાં શાની તપાસ કરાવે ? પરગામ જાય તેની ઘરમાં શી તપાસ કરાવે ?’

‘જુઓ, ભાઇ કાંઇ કીકલા નથી. આ તો બધાંને ડરાવવાને વેશ કાઢ્યો. કોણ જાણે ક્યાં ભરાઇ પેઠા હશે અને આપણી પાસે શોધાશોધ

કરાવી મૂકશે. બે લાખ રૂપિયાનો ધણી નાસી જાય નહીં. ભલું હશે તો સસરાને ને વહુને મળવા ગયા હશે પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પહેલી કરો. આ તો મારા ભાઇને તમે ઘાલ્યો તે કઢાવવાની યુક્તિ.

પણ આપણેયે એટલું તો સમજીએ. નાકે છી ગંધાતી નથી ?’

રાતીચોળ આંખ કરી શેઠ શેઠાણીના ભણી જોઇ રહ્યા અને આખરે બોલ્યો : ‘જો, આજ હું તારો નથી, હોં ! તારા પેટમાં ન બળે પણ મને તો બળે.’

આ નાટક ભજવાતું હતું અને કણકની પેઠે શેઠને કાંઇક નરમ કરી દેવામાં ગુમાન ફાવી શકી એટલામાં ચંદ્રકાંત આવ્યો.

શેઠ ઊઠ્યા અને એક એકાંત ખંડમાં ચંદ્રકાંતને લઇ ગયા. ગુમાન પાછળ આવી. શેઠે તેને બારણે કાઢી બારણે સાંકળ દઇ પાછા આવી

ચંદ્રકાંત પાસે બેઠા. તેમનું હૈયું ભરાઇ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા.

ધૂર્તલાલને તથા પોતાને હવાલો સોંપી દેવામાં તેણે જે ઉતાવળ કરી હતી તે સાંભરી આવી. પોતે તેને કઠણ વચન કહ્યાં હતાં એમ લાગવા અને સાલવા માંડ્યું.

‘ચંદ્રકાંત ! તું બધું જાણતો હોઇશ - હા - તારા મોં ઉપરથી લાગે છે તને ખબર હશે - મને કહે - આ એને શું સૂઝ્‌યું ? એના વિના હું ઝેર ખાઇશ. હોં !’ શેઠે ટેબલ ઉપર માથું કૂટ્યું. ચંદ્રકાંતે શેઠને ટાઢા પાડ્યા.

ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠનાં જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઇત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહીં તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રમાણિક લાગ્યું. આપ્યા પછી પાછો માગવો તે ઠીક ન

લાગ્યું, આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારગતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઇ જાય - તેનું શું કરવું એ વિચાર થયો, અંતે ‘જોઇ લઇશું’ કહી કાગળ શેઠના હાથમાં મૂક્યો.

ભોજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી, આંખમાંથી ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ

ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઇ, અને કાગળ એક પાસે મૂકી દિન વદનથી ચંદ્રકાંતને કહેવા લાગ્યા : ‘ચંદ્રકાંત, ભાઇને બતાવ. તું જાણે છે

- ગમે તે કર, ભાઇને આણ નહીં ચાલે.’ ચંદ્રકાંતે કાગળ હાથમાં લઇ લીધો અને ફાડી શેઠના દેખતાં જ ચીરા ઉરાડવા માંડ્યા અને લાંબા ચીરા કરી પાછા તેના કટકા કરતાં કરતાં બોલ્યો :

‘શેઠ, મેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.’ કાગળ

ફડાતો શેઠે દીઠો, પણ સર્વવ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી૧ થઇ જવાથી તે વિષે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પૂછ્યો. ચંદ્રકાન્ત ઊકળતા હ્ય્દયમાંથી ઊભરા ઉપર ઊભરા કાઢી બાકી ન રહે એમ ડર વગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દેશબ્દથી શેઠના પસ્તાતા અંતઃકરણના ચીરા કરવા લાગ્યો :

‘શેઠ, આપ તો મોટા માણસ છો. પણ આપણાથી નાનાં માણસ હોય તેની ચિંતા પણ કરવી જોઇએ. પુત્રને પરણાવવા ઇચ્છો તો પરણનાર જોડું એકબીજા પર પ્રીતિ વધારી સુખી થાય તે પણ આપે ઇચ્છવું જોઇએ.

નિર્મળ કુમુદસુંદરી પર આરોપ મૂકી પુત્રના હ્ય્દયમાં કટાર ખોસ્યા જેવું કર્યું

- તેની વેદના એ દંપતીને હવે કેટલી થશે તે ઇશ્વર જાણે ! વરકન્યાની

પ્રીતિ વધે ને માબાપથી ન ખમાય એ તો વિપરીત જ. પણ આપ શું કરો

? ઇશ્વરનું કર્તવ્ય એવું જ. અપરમાના હાથમાં ગયેલા પિતાનો પુત્ર સુસ્થ રહ્યો સાંભળ્યો નથી. ખરી વાત છે કે છોકરાં કરતાં સ્ત્રી વધારે હોય જ.

સરસ્વતીચંદ્ર કેટલો નિર્દોષ છે તે આપના મનમાં શાનું વસે ? પિતાની

મારા પર પ્રીતિ નથી એ વિચારે તેને ઘેલો બનાવી મૂક્યો અને ઘર છોડી તે ગયો ! બે ઘોડાની ગાડીમાં બેસનારો, બૂટમોજાં વિના ન ચાલનારો, આપની શ્રીમંતાઇના વૈભવમાં વસનારો - તે આજ સાધારણ વેશે નિરાધાર એકલો અપ્રસિદ્ધ કોણ જાણે ક્યા ભટકતો હશે ? સભાઓ ગજાવનાર, વિદ્ધાનોનો માનીતો, મારા જેવા કેટલાક નિરાધારનો આધાર, તે આજે ક્યાં હશે ? શેઠ, એને ધ્રુવજીના જેવું થયું. અરેરે ! કુમુદસુંદરી જાણશે ત્યારે તેને શું થશે ? શેઠ, આપના ઘરમાંથી દીવો હોલાઇ ગયો. પણ આપને શું ?

‘એક વાત આપને કહેવા જેવી છે. એક બાબુ અને તેની સ્ત્રીને ઘણી પ્રીતિ હતી. એકબીજાથી તેમના જુદાં જ ન હતાં. તેમના ઘરમાં એક થાંભલા પર ચકલીનો માળો હતો. તેમાં ચકલોચકલી રહે અને આનંદ કરે.

ચકલીએ ઇંડાં મૂક્યાં અને બચ્ચાં થયાં તેની બે જણ સહુ સંભાળ રાખે. એક દિવસ ચકલી મરી ગઇ. ચકલે બીજી ચકલી આણી. બે જણાંએ મળી બચ્ચાંને ધકેલી કાઢ્યાં અને ઊડવા સરખું પણ ન શીખેલાં બચ્ચાં જમીન પર પડી મરી જાત પણ પેલી સ્ત્રીએ ઝીલી લીધાં. તેમની વિચાર કરી તે પોતેરોવા

લાગી. બચ્ચાંને છાતીસરસાં ધરી રાખે ને રુએ.

‘એટલામાં બાબુ આવ્યો. સ્ત્રીને રોવાનું કારણ પૂછ્યું. તેને ન કહ્યું.

ઘણું કર્યું ત્યારે બચ્ચાં બતાવ્યાં, તેમનો ઇતિહાસ કહ્યો અને બોલી - આ પક્ષીઓમાં બન્યું તેવું જ માણસમાં પણ કેમ ના બને ? દેહનો ભરોસો નથી અને તમારી આજ મારા પર પ્રીતિ છે પણ મારા પછી આ કુમળાં બાળકનું શું થશે તે વિચારથી મને રોવું આવે છે. ઘણીએ ઘણું આશ્વાસન કર્યું પણ

સ્ત્રીને વિશ્વાસ ન જ આવ્યો.’

‘પળેપળ જાય તેમ સ્ત્રી રોતી જાય અને આંસુ આંખમાં માય નહીં

!’ ‘હાય હાય ! આ બાળકનું શું થશે ?’ એ જ વિચાર ભરાયો.

‘આખરે ધણીએ કહ્યું કે ન કરે નારાયણ ને એવો સમય આવે તો છોકરાંને કહેજે કે આ થાંભલા આગળ મને આણી આ વાત સંભારી આપે

- શું તારી પ્રીતિ ભુલાય એવી છે ?’

‘દિવસ ગયા અને બાઇ ભાગ્યશાળી તે સૌભાગ્યવતી ગુજરી ગઇ.

બાબુ ફરી પરણ્યો. પ્રથમની સ્ત્રીથી એક છોકરો ને એક છોકરી હતાં.’

‘નવી વહુએ હળવે હળવે કાન ભંભેરવા માંડ્યાં. નવી તો ફરિયાદ

કરે - છોકરાંનું ખોટું બોલે, પણ નમાયાં બાળક - તેમનાથી માનું ખોટું કેમ

બોલાય - ફરિયાદ કેમ થાય ? આખરે નવીએ બાપને ભરવ્યો અને કહે કે આ છોકરાં ભેગાં મારાથી નહીં રહેવાય -ગમે તો એ કે ગમે તો હું.’

‘ખરું ! સ્ત્રી હોય એટલાં નમાયાં છોકરાં હોય ? છોકરાંનું તો ગમે તે થાઓ ! સ્ત્રી ક્યાં જાય ? બાબુએ બાળકોને બોલાવી કહ્યું કે મારે હવે તમે નહીં - બસ જાઓ.’

‘છોકરાંનાં મોં દયામણાં થયાં પણ દયા કોને આવે ?’ ‘બાપા, ક્યાં જઇએ ?’ કરી વીલે મોંએ પૂછ્યું. બાપા કોના ? રાક્ષસે કહ્યું - ‘મને શું પૂછો છો ? જાઓ ગમે ત્યાં. પડો ખાડામાં.’

‘રોતાં રોતાં નિરાધાર છોકરાં બારણા આગળ આવ્યાં. દૈત્યને દયા ન જ આવી.’

‘એટલામાં છોકરી જરા ડાહીલી હતી તેને માનું કહ્યું સાંભરી આવ્યું અને ભાઇને રોતી રોતી કહે : ‘ભાઇ, ચાલ, આટલું માનું કહ્યું કરીએ.’

બે જણ પાછાં આવ્યાં.

‘કેમ પાછાં આવ્યાં ? - જાઓ !’ બાપે ઘાંટો કાઢ્યો.

‘બીતી બીતી થરથરતી બાળકી બોલી : ‘બાપા ! અમે જઇએ પણ માએ કહ્યું હતું કે આ વખત આવે તો બાપાને એક વાત કહેજો. તે કહીએ તો સાંભળશો ?’

‘દૈત્યને દયા આવી અને સાંભળવા હા કહી.

‘છોકરાંએ ચકલીની વાત અને મા રોઇ હતી તે કહી બતાવ્યું.

બાપનું અંતઃકરણ ઓગળ્યું. ભૂતકાળ સાંભરી આવ્યો, આપેલું વચન મન આગળતરી આવ્યું, છોકરાંને રોતો રોતો બાઝી પડ્યો અને ઘરમાં રાખ્યાં.

‘શેઠ આપને પણ આ બાબુના જેવું થયું. પણ સરસ્વતીચંદ્રને

ચંદ્રલક્ષ્મીએ કાંઇ કહી મૂક્યું નથી - તે બિચારા ગયા અને મનાવાનો અવકાશ પણ તમારે નથી.

‘આપના મનમાં એ આવ્યું કે એ પૈસાને લીધે આપનો સગો છે

! હવે એ સગપણ નથી. આપ એને મન બાપ છો - આપને મન એ પુત્ર નથી. હોય, એમ જ હોય તો !

‘શેઠ ! આપના ઘરમાંથી એ ગયો તેની કાંઇ ફિકર કરશો નહીં.

એને સોંપેલી અને બીજી વસ્તુઓ - ઘરની સંભાળજો. ઘરમાંથી કાંઇ ગયું

લાગે તો મને કહેજો. હું ભરી આપીશ.

‘શેઠજી, જાઉં છું. આપ મોટા માણસ છો. વધારે ઓછું બોલાઇ

ગયું હોય તો ક્ષમા કરજો. રજા લઉં છું.’

બોલતાં બોલતાં ચંદ્રકાંતે પાઘડી પહેરી. ઊઠ્યો અને ચાલવા માંડ્યું.

શેઠે હાથ પકડી તેને બેસાડ્યો.

‘ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! આમ શું કહે છે ? મને એનો પત્તો આપ.

તેં મારું ખસી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્રવિયોગથી ફરી ખસશે તો પછી ઠેકાણે નહીં આવે - હોં !’

‘શેઠ, ઘરમાં છે ઠેકાણે લાવનાર. હું ખરેખર કહું છું કે મને ભાઇની ખબર નથી. મને ખબર હોત તો હું આમ જવા ના દેત. હું મારી મેળે હવે અને શોધાશે એટલું શોધીશ, એના જેવો થઇને આથડીશ, મરજી પડે તે કરીશ. એમાં કોઇને શું ? આપ હવે આનંદ કરો - ઘરમાંથી કાંટો ગયો -

એની કનવા કાઢી નાંખો. મારું હૈયું ભરાઇ આવ્યું છે - બસ હવે મન જવા દો.’ શેઠનો હાથ તરછોડી નાંખી બારણું ફડાક ઉઘાડી ચાલતો થયો. ગુમાન બારણામાં પેઠી.

શેઠ ઘેલા જેવી બની લવતા હતા - ‘દુઃખી હું તેથી કોને શું ?’

‘હેં ! શું એમ જ ! શું તું દુઃખી તેનું મને કાંઇ નહીં ?’ - ‘દુઃખી હું તેથી કોને શું ?’ ‘હેં !’ -‘નહીં જોવું - નહીં રોવું - અફળ આંસુ ન શીદ લ્હોવું

?’ પિતાજી, રોવું તે શાને ?’ - ‘ભૂલી જઇને જનારાને’ ‘દુઃખી હું તેથી કોને શું ?’ - ‘હેં - મારો જ વાંકસ્તો’ ‘ચંદ્રકાંત ! મારો ભાઇ મને આણી આપ’ જુએ તો ચંદ્રકાંત ન મળે.

‘ભાઇ, ભાઇ !’

ગુમાન પાસે આવી ઊભી -‘-ભાઇ તો ગયા.’ ગુમાનને દેખતાં જ શેઠ ઊઠ્યા અને એકબે લાતો એવી મૂકી કે ગઇ ગબડતી આઘે અને બારણાં ઉપર અથડાઇ પડી ગઇ. ‘હાં, હાં !’ કરતો ધૂર્તલાલ અને બીજાં માણસો અદર આવ્યાં.

હાથથી વાત ગઇ જાણી ભાઇબહેન શેઠની વૃત્તિને અનુકૂળ થઇ

ગયાં અને સરસ્વતીચંદ્રની શોધ બાબત શેઠની સર્વ આજ્ઞાઓ દેખીતી પળાવા

લાગી. પવનના ઝપાટા આગળ નમી જઇ ઝપાટો પાછો વળતાં ઊભા થતા ઘાસની વૃત્તિ સર્વેએ અનુસરી. તરત સૌ શેઠને વશ થઇ ગયા. દિવસ જવા માંડ્યા, માણસો ઉપર માણસો શોધમાં રોકવા છતાં અને દ્રવ્યનો વ્યય

નિરંકુશ થવા છતાં પત્તો ન લાગ્યો અને એવી રીતનાં ઘણાં કારણોથી શેઠ

હળવે હળવે શાંત થયા અને ગુમાન નિર્ભય બનવા લાગી. શેઠે જે માણસોને

મોકલતા તેમને દ્રવ્ય આપી, લાલચ આપી, સમજાવી, છેતરી, શેઠની ઇચ્છાનો અમલ કરવામાં શિથિલ કરી દેતી અને શેઠને કાને એમ જ જતું કે અદ્‌ભુત શોધ નિષ્ફળ જાય છે.

ચંદ્રકાંતે પણ શોધ કરવામાં બાકી રાખી નહીં. પોતાનો ઊભરો નરમ પડતાં શેઠ પર દયા આવી; પણ તેના ઘરનો તાલ જોઇ પોતાની જ શોધ ઉપર આધાર રાખ્યો.

અકે દિવસ ‘ધિ બૉમ્બે લાઇટ’ વાળા બુલ્વરરસાહેબની ચિઠ્ઠી ચંદ્રકાંત ઉપર આવી. તે તરત સાહેબ પાસે ગયા. એ પત્રના તંત્રી ઉપર પરદેશના પત્રો આવતા તેમાં એક પત્ર સરસ્વતીચંદ્રના અક્ષરનો હતો. બુલ્વસાહેબે એ અક્ષર ચંદ્રકાંતને બતાવ્યા ચંદ્રકાંતે અક્ષર ઓળખ્યા, ભાષા ઓળબી, વિચાર ઓળખ્યા અને તેના હર્ષનો પાર રહ્યો નહીં. પત્ર ઉપરના પરબીડિયા પર ટપાલની છાપ હતી. છાપમાં ‘સુવર્ણપુર’ હતું. આ શોધ ગુપ્ત રાખવાનો સાહેબ સાથે મંત્ર કરી, ચંદ્રકાંતે જાતે સુવર્ણપુર જવાનો વિચાર કર્યો. સુવર્ણપુરના અમાત્યને અને વિદ્યાચતુરને સંબંધહતો એટલે અમાત્ય ઉપર ભલામણ લેવા

પ્રથમ રત્નનગરી જવાનું ઠરાવ્યું. ઉત્સાહના વેગમાં આંખ મીંચાઇ બંધ થાય

એટલી વારમાં રત્નનગરી પહોંચ્યા જેવું લાગ્યું.

વિદ્યાચતુર અને ગુણસુંદરી બંને જણે સરસ્વતીચંદ્રના મિત્રનો ઘણો સત્કાર કર્યો; સરસ્વતીચંદ્ર બાબત ઘણી જિજ્ઞાસા અને ઘણો ખેદ બતાવ્યો.

ચંદ્રકાંતે શેઠની અને ગુમાનની સર્વ વાર્તા કરી, પોતાના મિત્રનું ઉત્કૃષ્ટ હ્ય્દયસ્નેહ અને દુઃખે ઉત્પન્ન કરેલી કવિત્વશક્તિના બળથી તાદૃશ ખડું કર્યું; અને સાંભળનાર દમ્પતી તેમાં લીન થઇ દુ-ખમય બની ગયાં, સરસ્વતીચંદ્રની

મનોવૃત્તિ જોઇ અદ્‌ભુત આશ્ચર્યમાં પડ્યાં. તેમના ભણી સ્નેહની ભરતી થતી અનુભવવા લાગ્યા, અને એ સર્વ છતાં ‘એમણે આમ કરવું જોઇતું ન હતું’ એવું કહેવામાં આશંકા બેમાથી એકેય ન ધરી. વિદ્યાચતુરે કહ્યું :

‘ચંદ્રકાંત, મારે કહેવું જોઇએ કે આપણી અંગ્રેજી વિદ્યામાં એક જાતનો દોષ છે અને તે એ કે માણસની વિચારશક્તિને તે ઉદ્ધત બનાવી મૂકે છે. આ ગુણ આખી પાશ્ચાત્ય૧ વિદ્યાનો છે એમ કહીએ તો પણ ચાલે. અસંતુષ્ટવૃત્તિ સર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિનું મૂળ છે, તે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે, વધારે છે અને દૃષ્ટિમર્યાદાના જેવી ફળ પરંપરા દેખાડે છે. એ વૃત્તિથી માણસ ફળ પ્રાપ્ત કરવા ઉતાવળું બને છે અને અધીરું થાય છે. સ્વાભાવિક માર્ગે ફળ મેળવતાં વાર લાગે છે તે આ વૃત્તિને પ્રતિકૂળ થાય છે. એક જ ફળ શોધી બેસી રહેવાનું નહીં, પણ ફળ ઉપર ફળ ખોળ્યાં કરવાનાં અને તે પણ આટલી ઉતાવળથી, એટલે આ વૃત્તિવાળા મન સટોરિયા જેવી પ્રકૃતિવાળાં થઇ જાય

છે. ભૂતકાળનો અનુભવ શોધ્યા વિના, વર્તમાન સ્થિતિ જોયા વિના, આતુરમન ભવિષ્ય શોધવા નીકળે છે અને સાધન વિના ફળ ઇચ્છે છે ! વર્તમાનથી અસંતુષ્ટ ચિત્ત દૃષ્ટિ આગળ આકસ્માત ઊડતું ભવિષ્ય ઝડપે છે અને એ ભવિષ્યની પાછળ ઊભેલું ભવિષ્ય દૃષ્ટિએ અચિંત્યું પડતાં કંપારી ખાય છે.

સરસ્વતીચંદ્ર આનું એક દૃષ્ટાંત છે. જુઓ એમનો જગત છોડી જગત જોવાનૅ રસ્તો ! તેની અવસ્થા અત્યારે કેવી દયાપાત્ર થઇ હશે તે જોશો ત્યારે મારું કહ્યું સિદ્ધ થશે.

‘આજકાલના જુવાનો સહનશીલતાને દાસત્વ ગણે છે, પરવિચારને વશ થવામાં શૌર્યહીનતા ગણે છે, પોતાના તરંગ પ્રમાણે જ ચાલવાની સ્વતંત્રતા શોધે છે, મનની વાત બહાર કાઢવામાં અને સાકાર કરવામાં વીરત્વ માને છે. અનુભવને હસે છે. નિવૃત્તિને ધિક્કારે છે અને વૃદ્ધાચારને ક્ષુદ્ર કલ્પે છે. ઘણાક પિતાઓ લક્ષ્મીનંદન પેઠે બોલતા હશે, પણ તેટલા ઉપરથી આ પ્રમાણે કરાર તો તમારા મિત્રને જ દીઠા. ખરેખર, મૂર્ખમાં

મૂર્ખ માણસો વચ્ચે ચસાય નહીં એમ રાખી, તીખા, અભિામની, અને દુષ્ટ ઉપરીના હાથ નીચે બે વર્ષ નોકરી કરવી પડે, દુષ્ટ વચન સાંખવા પડે, અને ટૂંકામાં દાસત્વનો અનુભવ થાય તો જ તમારાં મુંબઇગરાં માણસો ઠેકાણે આવે ! આવા દાસત્વમાં કાંઇ દોષ નથી એમ નથી, પણ પારકાં

માણસોને, અનુભવને, અને સ્થિતિને વશ કેમ રહેવું, પોતાના મનની વૃત્તિને પરવશ કેમ રાખવી - એ શીખવું પણ આવશ્યક છે.’

સ્વતંત્ર પ્રકૃતિનો ચંદ્રકાંત આ અનુભવનું અભિમાન જોઇ રહે એવો ન હતો. પરંતુ મિત્રની શોધ કરવામાં વિદ્યાચતુરની સહાયતાની જરૂર હતી; એ પોતાના બળેલા હ્ય્દયની દાઝ કાઢે છે એ ભાન હતું; ઇત્યાદિ ઘણાંક કારણોએ ચંદ્રકાંતને પરવશતાનો ધર્મ શીખવ્યો અને એના પીસેલા ઓઠને સમો કર્યો. મિત્રની શોધ કરવાની જરૂર ન હોત તો તો ચંદ્રકાંત વિદ્યાચતુરને ઉત્તર આપત જ - સરસ્વતીચંદ્રને મુર્ખ લેખવાનો પ્રયત્ન ઇન્દ્ર ઊતરીને કરવા જાય તો તે ચંદ્રકાંત સહી શકે તેમ ન હતું પણ મિત્રસંયોગની આતુરતાએ આ સહનશક્તિ ઉત્પન્ન કરી.

વળી વિદ્યાચતુરે કહ્યું : ‘ચંદ્રકાંત, થનાર તે થયું. હવે દાઝ્‌યા ઉપર ડામ દેવા યોગ્ય નથી. હવે તો તમે એમને શોધી કાઢો. આ સાહસથી સરસ્વતીચંદ્ર શીખશે અને તેમનું કાળજું ઠેકાણે આવશે. મારા રાજ્યમાં

મુખ્ય ધર્માધિકારીની જગા બેચાર માસમાં ખાલી પડશે ત્યાં એમનો જોગ થઇ શકશે. મારી કુસુમનો વિવાહ હજી કંઇ કર્યો નથી અને એમને દેવા હું બહુ ખુશી છું. એ દ્રવ્યહીન હશે તેની મારા મનમાં ચિંતા નથી. પણ આટલી શરત તો ખરી કે એમણે કંઇ પણ ઉદ્યોગમાં પડવું જોઇએ ઇચ્છા હશે તો તો હું ઉદ્યોગમાં પાડીશ,. પણ આમ આથડ્યાં કરે તો તો મારાથી કાંઇ ન થાય.’

ચંદ્રકાંત ક્રોધને દાબી રાખવા વ્યર્થ પ્રયત્ન કરી બોલ્યો : ‘પ્રધાનજી, આપનો બહુ ઉપકાર માનું છું, પણ જે શાણપણ આપ ઇચ્છો છો એ મારા મિત્રમાં આવે એમ નથી - તેમાં આપની શરત પાળવાને સારુ તો આવતું હોય તોયે ન આવે. કુમુદસુંદરીનો હાથ મેળવવા સારુ એ કાંઇ પણ શરત પાળે ને દહાડો વળે તે માનવું નહીં. દુઃખ એને નરમ કરશે એ હું ધારતો નથી. આપ જેને ફાટેલું મગજ કહો છો તેવું એનું મગજ વધારે દુઃખથી વધારે ફાટેલું થશે. વાસ્તે આપને જે બીજો વિચાર કરવો હોય તે ખુશીથી કરવો. આપની ઇચ્છેલી યોગ્યતા એનામાં નહીં આવે એ હું ખાતરીથી કહું છું. મારે તોમાત્ર એમને શોધવામાં આપની સહાયતા જોઇએ છે તે આપી શકો તો કૃપા; ન આપો તો તેમ કરવા સ્વતંત્ર છો. આજ સાંજે મારે નીકળવું જોઇએ.

ચંદ્રકાંત નિર્ધન સ્થિતિમાં ઊછર્યો હતો, પણ પથ્થરની ભૂમિમાં રસ્તો કરી કેટલાક છોડ ઊગી નીકળે છે તેમ આપત્તિઓને ન ગણી એણે પોતાનો ઉન્નત માર્ગ કરી દીધો હતો. પોતાના ઉપર પડેલા નિર્ધનતા રૂપી પથ્થરને ફાડી પરાક્રમથી ઊંચો ઊગ્યો હતો. તેને આશ્રયમાં આશ્રય સરસ્વતીચંદ્રનો હતો અને તે આશ્રય નાનોસૂનો ન હતો, પરંતુ સરસ્વતીચંદ્ર પોતાની મેળે જ સહાયભૂત થઇ પડે ત્યારે જ તેનો આશ્રય ચંદ્રકાંત સ્વીકારતો. ચંદ્રકાંતે કાંઇ માગ્યું છે એ વારો આવ્યો ન હતો. દુઃખ ખમી, હરકત ભોગવી, બેસી રહેવું એ હા, પણ ચંદ્રકાંતનો આત્મભિમાની ચિત્તોદ્રેક નમ્યું આપે તેની ના હતી. ધનાઢ્ય અને પોતાનાથી વધારે વિદ્ધાન ઉપકારક મિત્ર પાસે તેની મિથ્યાપ્રશંસા (ખુશામત) કરવી તો શું પણ પ્રિય વચન કહેવું તે પણ તે સમજતો ન હતો. આ નિઃસ્પૃહી સ્વતંત્રતાને લીધે સરસ્વતીચંદ્રની તેના પર અનુફમ પ્રીતિ થઇ હતી. પરંતુ વિદ્ધાન અને ઉચ્ચ પદવીએ પહોંચેલા પણ દાસત્વના જ સંસ્કારવાળા વિદ્યાચતુરને આ સર્વ અપરિચિત હતુ.ં ઇશ્વરના તરફથી જેમાં દોષ ન આવી જતો હોય એવા વિષયમાં મોટાંનું

મન રાખવું એ તે આવશ્યક ગણતો હતો. પરવૃત્તિનું અનુસરણ કરવું અને

લોકાચારથી વિરુદ્ધ ન દેખાવું એ કળાઓ તે સંપાદ્ય ગણતો હતો. પોતે પણ ઉચ્ચ પદવી પર હતો : એટલે અનુકૂળ ઉત્તર જ સાંભળવાનો અભ્યાસ હતો, ઇચ્છા દર્શાવતામાં જ તેને આજ્ઞા ગણી અનુસરનાર વર્ગ જ એની દૃષ્ટિમર્યાદાને ભરી રાખતો, અને ઉઘાડી આત્મપ્રશંસા પોતે થવા ન દેતો તોપણ પર પ્રશંસાના પ્રવીણ અને પ્રધાનની પ્રીતિ ઇચ્છનાર રીત છોડી દઇ, પ્રધાનને પોતાના ક્યા ગુણનું ભાન છે એ શોધી કાઢી, એકલા તે ગુણની પ્રશંસા કરતા, પ્રધાને કરેલાં કંઇ કંઇ કાર્યોમાં દક્ષતા અને અપૂર્વતા બતાવી આપતા, અને પ્રધાનનાથી ઊલટી રીતિએ ચાલનારને હસી કાઢતા.

પ્રશંસાના કરતાં સર્વની અસર વધારે થતી અને સાવધાન છતાં પ્રધાન બૂલ

ખાઇ ઘણી વાર એમ કલ્પતો કે મારી બુદ્ધિ સર્વમાન્ય છે. આવા આવા સંસ્કારોના અભ્યાસીને ચંદ્રકાંત જેવો ઉત્તર આપનાર મળતાં નવીનતા લાગી,

મૂર્ખતા પ્રત્યક્ષ દેખાઇ, ઉદ્ધતતા મૂર્તિમતી થઇ જણાઇ, અને બાલિશતા અને અવિનીતતાના અવતારનું દર્શન થયા જેવું થયું. પણ એનો ઉપાય ન હતો. ચંદ્રકાંત પોતાના હાથ નીચેનો માણસ ન હતો. ‘એને શું કરવું ?

શું કહેવું ? કહેવું તોયે નિરર્થક ! હશે ! આપણે શું ? કોઇ વખત ખત્તા ખાશે ત્યારે ઘણોયે ઠેકાણે આવશે.-

ઉપદેશો ન દાતવ્યો યાદૃશે તાદુશે નરે ।

પશ્ય વાનરમૂૂર્ખેણ સુગૃહી નિર્ગૃહી કૃતા ।। એ વિચાર કરી શાંત પડી મનમાં પુષ્કળ હસ્યો. ‘આની સાથે શું બોલવું ?’ એમ જ લાગ્યું. આ મુબઇગીરી માંકડાની જાત ! તે વળી કાંઇ

મોભે ચડી ! એને તો છંછેડવી જ નહીં. પેલા પારસીની આટલી આગતાસ્વાગતા કરી ત્યારે મૂર્ખે બધી ખાનગી વાતચીત પણ વર્તમાનપત્રમાં છપાવી -એ અને આ બેયે જાતભાઇ જ ! જગતને શિખામણ આપવી એ કાંઇ મારું કામ

નથી.’ જાતિસ્વભાવ ભૂલી રાજકીય વ્યવહારી બે વસમાં વેણ કહ્યાં હતાં તેનો ઉતાર કરવા લાગ્યો - તે પાછો પોતાની પ્રકૃતિ પર આવ્યો અને હ્ય્દય

ઢાંકી જીભવતે અમૃત લ્હાવા લાગ્યો :

‘ચંદ્રકાંત, તમે ખોટું ન લગાડશો. તમારા મિત્ર તે મારા પણ એક વાર સંબંધી હતી અને હજી પણ મારું ચિત્ત વાસ્તે બળે છે. પણ આટલું તો તમે પણ સ્વીકારશો કે એમણે પાછા મળો તોપણ હવે એ તમારું કહ્યું

માની નહીં શકે અને મારો કરે ! તમે એમને પાછા મળો તોપણ હવે એ તમારું કહ્યું માની નહીં શકે અને મારો સંદેશો પહોંચાડશો તો કાંઇક એમને અસર થશે જાણીને મેં તમને કહ્યું; પણ એમનો સ્વભાવ તમે વધારે સારી રીતે જાણો, માટે યોગ્ય લાગે તે ખુશીથી કરવું. સાંજસોર સૌ વ્યવસ્થા થશે.’

તોફાની સમુદ્રતરંગ ઉપર નૌકાપતિએ તેલ ઢોળ્યું કે તરત જ તરંગ શાંત પડ્યા અને તે ઉપર નૌકા નિરાંતે સરવા લાગી. ચંદ્રકાંત ધીરો પડ્યો.

આવો સમયે મિત્ર પર થયેલી ટીકા ન સંખાઇ તેથી વધારે ઓછું બોલાયું તેની પ્રાધન પાસે ક્ષમા માગી. તે વિજ્ઞપ્તિને પોતે સ્વીકારે છે કે નહીં તે જણાવવાની જરૂર ન લાગી હોય, તત્ત્વતઃ ઉત્તર દેવો ન હોય, અને સામો

માણસ તે ન કળી જતાં શાંત પડે એવા ઉત્તર સહેજે વિષયમાં પણ આપવાના પરિચયપવાળો શબ્દવ્યવહારી હસ્યો અને બોલ્યો : કાંઇ હરકત નહીં, એમાં ક્ષમા શાની માગો છો ?’ નિઃસ્પૃહી ચિત્તમાં આ ધ્વનિ જવા પણ ન પામ્યો;

પ્રતિધ્વનિરૂપે પાછો ઊછળ્યો પણ નહીં; ચિત્તની બહાર કંઇક ખૂણેખાંચરે કોણ જાણે ક્યા ગરબડતો છાનોમાનો સરી ગયો. સંધ્યાકાળે એક મોટા સિગરામમાં બેસી ચંદ્રકાંત નીકળ્યો અને તેમાં સૂતો સૂતો મિત્રના વિચાર કરતો કરતો સુવર્ણપુર ભણીને પન્થે વળ્યો.

નવીનચંદ્રનું નામ બુલ્વરસાહેબ પર આવેલા પત્રો પર હતું પણ નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર જ હશે કે નહીં તેની ખાતરી ન હતી; નવીનચંદ્રના બાપનું નામ ખબર ન હતું. તેનું સરનામું ખબર ન હતું; તે છતાં હશે તો કાગળ આથડતો આથડતો પહોંચશે કરી એક કાગળ લખ્યો. તે જ નવીનચંદ્રને પહોંચ્યો અને તે જ કુમુદસુંદરીના હાથમાં આવ્યો હતો.

ચંદ્રકાંતની વાતો નાની કુમુદસુંદરીએ માબાપની પાછળ બેસી છાનીમાની સાંભળી લીધી હતી અને ચંદ્રકાંતના શબ્દેશબ્દ બાળક મેધાવિનીએ બેચાર પત્રો ઉપર ચીતરી કાઢ્યા હતા. ટપાલમાં જાય તો પ્રમાદધનના હાથમાં જાય માટે સંગાથ શોધી વનલીલા દ્ધારા પત્રરાશિ પહોંચડાવ્યો હતો.

વાંચનાર ! હવે તારી સ્મરણશક્તિની કમાન જરીક ફેરવ. સુવર્ણપુરનો સંસાર ભૂલી સરસ્વતીચંદ્રનો સંસાર જોવા આપણે ઘડીક મુંબઇ અને રત્નનગરીનાં સ્વપ્ન જોયાં. હવે જાગ અને પાછો સુવર્ણપુરના સંસારમાં આવ.

ભૂપસિંહના ભવ્ય દરબારમાં ભજવાયેલા - કલ્પના ભરી નાંખનાર

- નાટકનો સૂત્રધાર નવા ભભકાથી ઘેર આવ્યો; તેની મેડીના પ્રધાનખંડમાં અધિકારીવર્ગ પ્રથમ જ ભીડ મચાવી થનાર કારભારી - ઊગતા સૂર્ય - નો સત્કાર કરવા તરવરતા હતા; એકાંત હીંચકા પર બેસી રંક સૌભાગ્યદેવી એકલી એકલી પતિસંપત્તિએ આણેલા આનંદના ઉપરાઉપરી આવતા ઊભરાવી.

ઊભરાતી મલકાતી દ્ધારમાં પેસતા પતિ સાથે તારામૈત્રક રચી ગૃહકાર્યમાં ભળી; ઉન્મત્ત અલકકિશોરી મોટા સખીમંડળ વચ્ચે પાટ ઉપર બેસી પિતાના દોરનું અનુકરણ કરતી હોય તેમ તડકાધડાકા કરતી હતી અને વાર્તાયુદ્ધમાં ગાજતી હતી - તે સમયે કુમુદસુંદરી પોતાની મેડીમાં એકલી બેઠી બેઠી બહેનનો પત્ર વાંચી રોયા વગર આંસુ સારતી હતી તે ચિત્ર, વાંચનાર, હવે પાછું દૃષ્ટિ આગળ ખડું કર. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં - જાગ્રત અવસ્થામાં પણ - એકાએક સંક્રાન્ત થવું એ - ઓ સંસારના પ્રવાસી !-

તને પરિચિત છે જ.

પ્રથમ બહેનનો કાગળ વાંચ્યો. વાંચતા વાંચતાં મુગ્ધા ગળગળી થઇ ગઇ.

‘શું, પ્રિય ચંદ્ર - આ બધું મારે સારુ સોસવું પડ્યું ?- શું તમને હવે પ્રિય કહી શકું નહીં ? મૃતપત્નીને સંભારનાર પતિ શું મરનારીને પ્રિય

નહીં કહેતો હોય ? તમે મારા વીતી ગયા ભવમાં પ્રિય હતા - ઇશ્વરને પ્રિય કહું છું - પિતાને પ્રિય કહું છું તેમ સરસ્વતીચંદ્રને પ્રિય કહેતાં શો બાધ ? હવે તે મારા પતિ નથી; હવે મારું શરીર મારા પતિને જ સોંપ્યું છે. મનમાં પણ પતિ છે પરંતુ હું ઇશ્વર, માતાપિતા, અને સ્નેહીવર્ગને પ્રિય કહી તેમનું રટણ કરવું તે અયોગ્ય ન હોય તો, સરસ્વતીચંદ્ર, તમારું રટણ કરું તેમાં અયોગ્ય શું ? મારે સારુ તમે આટલું ખમો છો - એક સમય

આવો સંબંધ હતો’ - એમ વિચાર કરતી કરતી પાછો કાગળ વાંચવા

લાગી. પ્રેમબંધનની જાળમાં ચિત્તવૃત્તિ સરસ્વતીચંદ્ર પાછળ કરોળિયા પેઠે દોડંદોડા કરવા લાગી, આંસુ ખાળ્યાં રહ્યાં નહીં, ટપક ટપક થવા લાગ્યાં, અને પત્ર અર્ધો ભીનો થયો. આખરે ટેબલ પર માથું મૂકી પુષ્કળ રોઇ.

કુમુદસુંદરીના કાગળનો અંતભાગ આવ્યો અને ત્યાં આગળ એણે સમાચાર લખ્યા હતા કે ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનો કાગળ લઇ આવે છે. ગુણસુંદરી (કુમુદસુંદરીની મા) લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જનાર છે અને તે પ્રસંગે

‘તને તેડવા મોકલશે માટે તારે સૌની રજા લઇ તૈયાર થઇ રહેવું.’ એ સમાચાર પણ આ કાગળમાં હતા. ઉભય સમાચારથી બાળકીના મનમાં કંઇ

કંઇ વિચારો થવા લાગ્યા અને વિચારે આંસુ વિસરાવ્યાં.

ચંદ્રકાંતે નવીનચંદ્ર ઉપર કાગળ લખ્યો હતો તે પવિત્ર હતો. અંગ્રેજીમાં હતો : ‘દુઃખી સંસાર : તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ.

પ્રિય ચંદ્ર,

તારે તો ચંદ્રકાંત વિના ચાલે છે પણ ચંદ્રકાંતને તારા વિના નથી

ચાલતું ચંદ્રકાંતને મૂકી ચંદ્ર પ્રતિલોમ૧ દેશમાં સંતાઇ જાય તોપણ કંઇ કંઇ

ક્રિયા દ્ધારા ચંદ્ર જણાઇ જાય છે. મેં તારો અપરાધ કર્યો ન હતો - મારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. તારી પ્રામાણિકતા કેટલી જળવાઇ તે પણ જોવાનું છે - રાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું ? ઇશ્વરેચ્છા. પણ હજીયે કંઇ કરતાં કૃપા કર, દર્શનનો - પત્રનો - કાંઇ માર્ગ કાઢ. ભાગ્યની સાથે મારે ઘણી લડાઇઓ થઇ છે અને તેમાં મને જિતાડનાર તું જ હતો.

પણ હવે તો હરાવનાર તું બન્યો.

તારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય.

ત્વયા સહ ન યઃ દિપસઃ સ વિધ્વં સતામ્‌ ।

પ્રમોદમૃગતૃષ્ણિકાં ધિગરપરત્ર યા માનુષે ।। એ મકરન્દની દશા ઉપરથી મારી દશા કલ્પજે - અરરરર ! નિર્દય

- તે બધાંની સાથે નિર્દય !

પિતાની દયા નહીં, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણવાળીની દયા નહીં - આ શી નિર્દયતા !

હશે, તું નિર્દય થઇશ પણ તારું અંતઃકરણ નિર્દય થઇ શકનાર નથી. દૃષ્ટાન્ત - જેનો ત્યાગ કર્યો તેનાં જ દર્શન કરવા તું ગયો હોય તેમ

મને લાગે છે. હવે પશ્ચાત્તાપ કરજે.

દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૂદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કંઇ કંઇ પરસ્પરવિરોધી ગુણો કોઇનામાં ભેગા રહેતા હોય તો તે તારામાં રહે છે.

પણ હરકત નહીં. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાનો ત્યાં જ થોડાં દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. તારી પાછળ આથડવા સરજેલો જીવ તો આથડશે જ.

તારા દર્શનનો ઉત્સુક -

ક્યાં તું તેને ઓળખે એમ નથી ?’

આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હ્ય્દય પાછું ભરાઇ આવ્યું, પણ એટલામાં નીચેથી જમવાનું તેડું આવ્યું. આંખો લોહી સાવધાન થઇ કાગળ

પોતાના કબાટમાં લૂગડામાં વચાળે મૂકી, સજ્જ થઇ નીચે ગઇ. દાદર પર ઊતરતાં ચિત્તે ગાયું :

‘જોયું જોયું જગત બધું આજ, કે સર્વ નકામું રે.’

મેઘધનુષ્યના રંગો પેઠે ચિત્તવૃત્તિઓું આયુષ્ય ટૂંકું હોય છે. પુરુષવર્ગ જમી રહ્યો હતો. સ્ત્રીવર્ગ જેટલો ભરાયો હતો તે સર્વને અત્રે જ જમવાનો અલકકિશોરીએ આગ્રહ કર્યો અને તે આશા એટલે સુધી પળાઇ કે જમેલાંને પણ ફરી જમવાનું સ્વીકારવું પડ્યું. આ સર્વ ઉત્સવકાર્યમાં ભળી જતાં કુમુદસુંદરીનું ચિત્ત ક્ષણવાર પાછું ઠેકાણે આવ્યું અને ઉત્સવ - સંસારી થયું.

સૌભાગ્યદેવીને બુદ્ધિધનની થાળી, અલકકિશોરીને વિદુરપ્રસાદની થાળી, કુમુદસુંદરીને પ્રમાદધનની થાળી, વૃદ્ધ જમનાકાકીને દયાશંકરકાકાની થાળી, - એમ જે જે સૌભાગ્યવતીને પોતપોતાના પતિઓવાળી થાળીઓમાં જમવાનાં સૌભાગ્ય તૈયાર જ હતાં તેમને વાસ્તે તો કાંઇ ગોઠવણની જરૂર ન હતી. બીજું જે વિશેષ મંડળ જમનાર હતું તેનાં ઠામ ગોઠવવાની ધામધૂમ

ચાલી રહી હતી. તે ચાલે છે તેટલા અરસામાં પ્રસંગને અનુસરતી એક ગરબીની કેટલીક કડીઓ વનલીલાએ જોડી કાઢી સૌભાગ્યદેવીને બતાવી અને અલકકિશોરીએ સૌની આગળ તે ગઇ બતાવવાની આજ્ઞા કરી. ‘ભણેલી ભાભીને તે ગમે તો જ તે ગરબી ખરી’ કરી કુમુદસુંદરીને બોલાવી હતી.

કુમુદસુંદરી આવી કે સૌ ખસી ગયાં અને તેને માર્ગ આપ્યો. પાટ ઉપર વચ્ચોવચ નાજુક કુમુદસુંદરી બેઠી અને ગરબીવાળો કાગળ લીધો. તેને એક ખભે હાથ મૂકી જાજરમાન અલકકિશોરી અને બીજે ખભે હાથ મૂકી ફળજિજ્ઞાસું વનલીલા બેઠી અને ત્રણે જણની આંખો કુમુદસુંદરીના હાથમાંના કાગળમાં નદીઓ પેઠે સંગત થઇ. સર્વ સખીઓનું ટોળું આસપાસ પાટ ઉપર તથા નીચે ગૂંચળું વળી ભરાયું. સૌભાગ્યદેવી અને જમનાકાકી પતિઓવાળા પાટલા ઉપર બેસી તેમના ભણી આંખકાન માંડી રહ્યાં, રસોઇયો પણ પળવાર ઊમરા ઉપર હાથમાં થાળી લઇ અર્ધો વળેલો ઊંચું જોઇ રહ્યો. ત્રણેનું ગાન ઘણે જ ઝીણે અને ધીમે પણ કોમળ સ્વરે કિન્નર કંઠોમાંથી નીકળવા લાગ્યું

‘ઇશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે ?

પ્રભુ પૂરે જેવું તે તેવા દીપ બળશે રે.

વહી ગયા તે દુઃખના દિન, સુખના આવ્યા રે;

દીન જનને દેતા કલેશ દુષ્ટ ન ફાવ્યા રે !

ફાવ્યો શઠ તે અંતે નહીં જ, છક્કડ ખાધી રે;

બુદ્ધિબળમાં૧ મા’ત, અધર્મ ! તુજને આપી રે.

રૂડો સુવર્ણપુરનો રાજ નીવડ્યો જાગતો રે;

એનો જુગજુગ તપજો પ્રતાપ, અમોને છાજજો રે! ૪

વનલીલા કહે જોડી હાથ - ઓ દીનબંધુ રે !

આવા સુખનું સોણું૨ સદૈવ રાખજે સંધુ રે.’

ગવાઇ રહેતા સુધી સર્વ શાંત એક ચિત્ત હતાં. ગવાઇ રહ્યું કે સૌની આંખો કુમુદસુંદરી પર વળી. ‘ઠીક જોડાયું છે’ એટલા શબ્દ આનંદભર સુંદરીના મુખમાંથી નીકળતાં સર્વ ઊઠ્યાં, વાતો કરતાં કરતાં પાટલા ભણી ગયાં, એકે ‘કડીઓ ઠીક બેસતી આવી છે,’ કહ્યું, બીજી બોલી ‘ના, અર્થ પણ જુગતે જુગતો છે.’ એક જણી વનલીલા પાસે જઇ પૂછવા લાગી -

અલી - બુદ્ધિબળમાં મા’ત આપી - એ કડીનો અર્થ શો ? વનલીલા ચારે પાસ ઉત્સાહભેર ખેંચાવા લાગી અને આખરે અલકકિશોરીએ એને ગળે બાઝી ખેંચી લઇ જઇ પોતાની જોડેના પાટલા ઉપર બેસાડી. પાટ ખાલી થઇ ગઇ. પાટલા રોકાઇ ગયા, અને સર્વનાં મુખ ભોજન કરતાં કરતાં વિનોદવાર્તાની ક્રિયાનું જ ભાન ધરવા લાગ્યાં. તત્ક્ષજન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળસિદ્ધ પદાર્થ એમ જ ભૂલી જવાય છે.