Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧ : દેશપ્રીતિનું મનોરાજ્ય

શતેષુ જાયતે શૂરઃ સહસ્ત્રેષુ ચ પણ્ડિતઃ ।

વક્તા દશસહસ્ત્રેષુ દાતા ભવતિ વા ન વા ।।

ઈન્દ્રિયાણાં જયે શૂરો ધર્મં ચરતિ પણ્ડિતઃ ।

સત્યવાદી ભવેદ્વક્તા દાતા લોકહિતે રતઃ ।।

- વ્યાસ; મહાભારત

( અર્થ : સેંકડોમાં એક શૂર થાય; હજારોમાં એક પંડિત થાય; દશ હજારોમાં એક વક્તા થાય ને દાતા તો ઉત્પન્ન થાય કે ન થાય. શૂર તે ઇન્દ્રિયો જીતવામાં; પંડિત તે ધર્મ ચરવામાં; વક્તા સત્યવાદી થાય તે; અને દાતા લોકહિતને માટે દાન કરે તે.)

‘Convinced as he was that ‘success in the modern world was to be obtained only by adaptation to the needs of modern life, he wished his fellow - Hindus to unite an inner light of divine philosophy, drawn from their traditional sources, and generously interpreted, to a mastery ofthe physical science, and the means of natural improvement.’ Jurist, statesman, scholar, orator, poet, lover of Nature, and meditative sage, he remain to West the convincing proof that ‘it is by the word and example of him and his like that India must be regenerated, and the moral endowments of her children made noble, serviceable for the general welfae of maknind.’

Fraser’s Literary History of India on our late Mr. Justice Kashinath. T. Telang.

‘Year by year the leanders of Indian thought in Indian spread their influence over over-widening circles, though what the final result may be when these leaders, infused with all the best of the spirit of the East and West, rise up to proclaim that East and West have met, and from the union new forms of thought, new modes of artistic expression, new ways of viewing life, new solutions of religious, social and moral problems have been produced as they must be, is one that whole past history of the world teaches us to be watched with hope, not fear or doubt.’

- Ibid, On the Fusing Point of Old and New.

‘On a poet’s lips I slept,

Dreaming like a love-adept.

In the sound his breathing kept.

Nor seeks nor finds he mortal blisses

But feeds on the aerial kisses

Of shapes that haunt thought’s wildernesses.

He will watch from dawn to gloom

The lake-reflected sun ullume

The yellow bees in the ivy bloom.

Nor heed nor see what thing they be,

But from these create he can

Forms more real than living man,

Nurslings of immortality.

One of these awakened me

And I sped to succour thee.’

-‘A Spirit of the Mind.’

Shelly’s Prometheus Unbound.

વૃક્ષના ઉપર વેલી વીંટાતી હોય તેમ અત્યારે સરસ્વતીચંદ્રના હૃદય ઉપર કુમુદ વીંટાઈ. તેનું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને ભૂલી ગયું. કેવળ હૃદય હૃદયને જોવા લાગ્યું, અને મુખ તો માત્ર હૃદયના ગાનિના વાજા જેવું થઈ ગયું.

સૂર્ય આકાશમાં પોતાનું તેજ મૂકીને પૃથ્વીના સીમાભાગની રેખા નીચે ઊતરી પડતો હતો અને તે તેજ પણ આ સૂક્ષ્મ દંપતીનાં અંતઃકરણમાં ઊતરી પડ્યું હોય તેમ થોડી વારમાં સ્થૂળ જગતમાં સ્થૂળ રાત્રિ પડી, અને એ રાત્રિ આ ચિરંજીવપ્રિય દંપતીને અજ્ઞાત આનંદ આપવાને શક્તિમતી થાય એવું કરવાને ચંદ્ર અને ચન્દ્રિકા સંપૂર્ણ કલાથી ઉદય પામ્યાં.

‘કુમુદ ! પ્રિય કુમુદ ! પુરાણ પુરુષની સત્તા જેમ જગત માત્રને એક કરી લે છે તે જ પ્રમાણે આ ચંદ્રિકા પણ જગતને એકાકાર એકાનંદ કરતી નથી ભાસતી ?’ સરસ્વતીચંદ્ર ચારે પાસ દૃષ્ટિ ફેરવતો બોલ્યો.

કુમુદસુંદરી - ‘એમ જ છે - ને એ ચંદ્રની ચિરંજીવતાનું રમણીય ફળ છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ દીર્ઘ પ્રહરવાળી રાત્રિને આપણે એક ક્ષણ પેઠે ગાળીએ એવો અભિલાષ મારા હૃદયમાં આ ચંદ્ર પેઠે ઉદય પામે છે.’

કુમુદસુંદરી - ‘આપણે આપણા સર્વ આયુષ્યને આનંદની ક્ષણ પેઠે ગાળી નાખીશું.’

સરસ્વતીચંદ્ર - ‘હૃદયના વિવાહના એ મનોરથનું આપણે વિવહન કરીશું. મધુર મધુરી ! કંઈક મધુરી વસ્તુ ગા.’

કુમુદસુંદરી - ‘વિધાતાએ તો લેખ લખ્યો છે !

પ્રાણનાથ શું પ્રાણ જડ્યા છે !

બન્યો એવો ચિરંજીવ યોગ !

જો જો તારા ! ચંદ્ર ! ચકોર !’

સરસ્વતીચંદ્ર - ‘એ સત્ય છે. આ તારા અને ચંદ્ર પણ ચિરંજીવ છે. તેના ભણી આપણું ત્રસરેણુક જીવન ચકોર પેઠે ઊડશે અને સ્થૂળ ભોજન ત્યજી માત્ર સૂક્ષ્મ ચંદ્રિકાનાં કિરણનું પાન કરશે.’

કુમુદસુંદરી - ‘લોકસંઘ આ તારાઓ પેઠે આપણી દૃષ્ટિમર્યાદામાં

ઊભરાય છે પણ તે દૂરથી ચમકારા કરે છે અને આપણો દેશ ચંદ્રની પેઠે પાસે રહી આપણી દૃષ્ટિને ભરે છે. આપણે ચકોરદંપતી પેઠે તેને જોઈ રહીએ છીએ.

સરસ્વતીચંદ્ર - ‘એમ જ.’

કુમુદસુંદરી - ‘આપણે અલ્પ દેહવાળાં પૃથ્વી પરનાં પક્ષી આ ચંદ્રનું શું કલ્યાણ કરી શકીશું ?’

સરસ્વતીચંદ્ર - ‘આખો દિવસ એ વિચાર કરી હું શાંત થઈ ગયો છું ને હવે એ ચંદ્રની ચંદ્રિકા મારા શરીરમાં અને મસ્તિષ્કમાં નિદ્રાનો અભિષેક કરે છે. કુમુદ ! નિદ્રા મને ઘેરે છે ને નીચે જવા જેટલી સત્તા મારામાં નથી.’

કુમુદસુંદરી - ‘એ ચંદ્રિકામાં જ એટલી સત્તા હોય તો તેને ઓઢીને આપ અત્ર શયન કરો.’

સરસ્વતીચંદ્ર - ‘હા.’

નીચે ઊગેલા ઘાસમાં એ સૂઈ ગયો ને ગમે તો નિદ્રામાં એણે જાતે મૂક્યું કે ગમે તો કુમુદે પડતું ઝીલ્યું - પણ એનું મસ્તક કુમુદના ખોળાનું ઉશીકું કરી સૂઈ ગયું.

એની નિદ્રા ગાઢ દેખાઈ. એના નિદ્રાવશ મુખ ઉપર ચંદ્રનાં કિરણ રમતાં હતાં અને પોપચાં ઉપર ભાર મૂકતાં હતાં. એની મૂર્છામાં પવન સરતો હતો. એ સર્વ દર્શન કુમુદ આજ સ્વસ્થ ચિત્તથી કરતી હતી ને વિકાર વિના વિચાર કરતી હતી.

‘આજ સુધી મારી પ્રીતિ સ્વાર્થી હતી. ભોગમાત્રમાં સ્વાર્થ છે ને ભોગની તૃષ્ણાથી થનારી પ્રીતિ સ્વાર્થની જ પ્રીતિ છે; યૌવન થઈ રહેતાં એ પ્રીતિનો નાશ થાય છે. મારી પ્રીતિને હવે શારીરિક ભોગની વાસના નથી. આ પ્રિયજનનું કલ્યાણ જોવું, એને હાથે લોકનું કલ્યાણ થતું જોવું - એ જ હવે મારી વાસના છે. પાંચાલીદેવીના માથા આગળ કુંતીમાતા બેઠાં હતાં તેમ આ મંગળમૂર્તિના શિરને લઈ હું બેઠી છું - તે એમના મહાપ્રયાણમાં એમને વિશ્રાંતિ આપવાને જીવી છું ને જીવીશ. મન્મથ ! તું હવે બે જણનાં ઉરમાંથી ભસ્મસાત્‌ થયો છે. પત્નીનું અર્ધાંગનાસ્વરૂપ ઘણા પ્રકારે સધાય છે. જે મહાન કાર્ય એમને આરંભવું છે તેમાં હું એમની મંત્રી-મંત્રિણી-થઈશ, એમનાં સાધનમાં દાસી થઈશ, અનેક કલેશભરેલી એમની લોકયાત્રામાં એમના મનને અનુકૂલ થઈ, એમની વિશ્રાંતિનું સ્થાન થઈશ, અપરિચિત પ્રયાસથી એ ગભરાયા હશે ત્યારે કુંતીમાતા જેવી થઈ ક્ષમા અને ધીરતા એમની પાસે રખાવીશ, એમના ગૃહસંસારમાં ભોજનાદિ સર્વ પ્રસંગોમાં એમની વેદીને પુષ્ટ કરવામાં માતા વિનાના આ બાળકની માતા થઈશ, મારા ગુણથી એમના કુળનો ઉદ્ધાર કરીશ.

સ્ત્રીએ કરવાનાં એ સર્વ કાર્ય કરીશ. એ સર્વ વાતમાં એમની સ્ત્રી છું તે થઈશ. માત્ર શયનકાળે રંભા થવાનો નિષેધ છે. ચંદ્રાવલીની પેઠે તે નિષેધ પાળીશ, ને એટલી વાતમાં મારા એમના દંપતીધર્મની કળા ન્યૂન રહેશે - તે પણ એમણે દર્શાવેલા બોધથી એમની સાથેના જ અદ્વૈતના બળથી - તેમાં દોષ નથી - ગુણ નથી. આખા દેશને એમણે પોતાનું કુળ કરી લીધું છે ને તેનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે તેમાં હું એમની આમ ધર્મપત્ની થઈશ, ને સ્થૂળ ભોગમાં વિરક્ત રહીશ ! પછી સંસાર મારો કે એમનો શો દોષ કાઢશે ? ને મારામાં દોષ ન છતાં સંસાર દોષ દેખશે તો દેખો.

અપોપેડહં કુલે જાતા મયિ પાપં ન વિદ્યતે ।

યદિ સમ્ભાવ્યતે પાપમપાપિન્યા હિ કિં મયા ।।

આ મહાત્માને પ્રસંગે રંક કુમુદને આજ આટલું મનોબળ આપ્યું છે. કુમુદ ! તારામાં કાંઈ સત્ત્વ નથી. સુંદરતા નથી, કે પવિત્રતા નથી, તેમાં આ નરરત્ન સુંદરતા જુએ છે, પવિત્રતા માને છે, ને સત્ત્વ મૂકે છે ! તારું કર્તવ્ય એટલું જ કે એની પ્રીતિને-કૃપાને-પાત્ર થવું, એ દીવા પેઠે પરમ જ્યોત ધરે તેને માટે એમની વાટ સંકોરવી, ને એમાં તુલ પૂર્યાં કરવું ! એટલો નિર્દોષ અધિકાર પામી છું તો તે પાળીશ.’

સરસ્વતીચંદ્રને કપાળે હાથ ફેરવતી ઊંચે જોઈ ધીરે સ્વરે ગાવા લાગી :

‘આકાશના ચંદ્ર ! આ ચંદ્ર તારાથી વધારે છે . મારે માટે આવું તે આનું વહાલ છે , મારે માટે આવા તે આના હાલ છે ! પૂરો શ્રીમાન ને વિદ્વાન અ ા મારી પ્રીતિમાં થયો બેહાલ આ ! મને સૂઝતાં નથી માતા ને પિતા , ત્યજ્યા મારે માટે એણે તો પિતા ! ત્યજ્યા લક્ષ્મી, ત્યજ્યાં ગૃહમિત્રને , શોધી એકલી રંક કુમુદને , એને માટે ઇચ્છું તે ઓછું પડે , એને માટે શોધું તે ના જડે . ચંદ્ર ! તેજ તારું જડ સર્વ છે . મારા ચંદ્રમાં ચેતનરસ બધે ! ’

ગાવું બંધ કરી હાથ ફેરવતી ફેરવતી બોલ્યા ચાલ્યા વિના બે કલાક એ જ દશામાં બેસી રહી ને પ્રિયમસ્તકનો ભાર એના ખોળાને જણાયો જ નહીં. અંતે સરસ્વતીચંદ્ર હાલ્યો, જાગૃત થયો, બેઠો થયો, ને બે જણ સ્વસ્થ થઈ નીચે ગયાં. ઓટલાને એક છેડે એ બેઠો ને બીજે છેડે કુમુદ બેઠી. કુમુદે વાત કાઢી :

‘હવે આપણે મારી વાતો કરવાની કાંઈ બાકી નથી. આપે આપનું આયુષ્યશેષ કેવી પ્રવૃત્તિમાં ગાળવું ધાર્યું છે તે સમજાવો.’

સરસ્વતીચંદ્ર - ‘ઘણાં વર્ષના મારા અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ આ સ્થાને અને તમારા અદ્વૈતે જ મને સુઝાડ્યો છે. મધુરી ! મને એક વાર કહો -સ્પષ્ટ - અને અંતઃકરણ ઉપર વાસેલા આગળા ઉઘાડી - કહી દો કે આપણાં જીવનનો સમાગમ તમે કેવળ સૂક્ષ્મ ઇચ્છો છો કે સ્થૂળ ને સૂક્ષ્મ ઉભય ઇચ્છો છો ? તમે જે માર્ગ ઇચ્છશો તેને અનુકૂળ રહી મારી અભિલાષાસિદ્ધિ શોધવાનું મને સૂઝ્‌યું છે.’

કુમુદસુંદરી - ‘જો આમ કે તેમ બે વાતને માટે અનુકૂળ માર્ગ આપને સૂઝ્‌યો છે તો આ પ્રશ્ન તેને માટે નકામો નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘જો આમ હોય તો એક માર્ગ છે ને તેમ હોય તો બીજો માર્ગ છે. એમ બે જુદા માર્ગ જડે છે માટે પૂછવાનું થાય છે.’

કુમુદસુંદરી - ‘સ્ત્રીજનના હૃદયનો સ્વભાવ આપ સમજો છો. મારી બુદ્ધિ અનેક નિર્ણય કરી એક નિર્ણય ઉપર આવી છે એ સત્ય છે; પણ સ્ત્રીનાં હૃદય દીવાની જ્યોત જેવાં છે તેનો શો વિશ્વાસ ? અમારી બુદ્ધિઓ અમારા હૃદયના હાથમાં ને હૃદયનો દીવો પવનના હાથમાં આપના જેવા સમર્થ સત્પુરુષો અમારે માટે જેવાં ફાન રચશો તેમાં અમારી શક્તિ પ્રમાણે અમારા હૃદયના દીવા બળશે ને આપને પ્રકાશ આપશે. મારે માટે કેવું ફાનસ આપવું એ આપને સૂઝતું ન લાગ્યું માટે જ ચંદ્રકાંતભાઈને પૂછવા ઉપર રાખ્યું. જ્યારે વહાણના પોતાના સઢ ચાલતા નથી ત્યારે વહાણવટી ખલાસીઓને હલેસાં મારવા બેસાડે છે. જ્યારે આપણા સઢ ન જ ચાલ્યા ત્યારે આપણા સન્મિત્રને હલેસાં ઉપર બેસાડવાનું મને સૂઝ્‌યું તે કહ્યું. મને લાગે છે કે હવે આપને જે જુદા જુદા માર્ગ સૂઝ્‌યા હોય તે સર્વ મને કહી દો. આ વિષયમાં આપના પૌરુષ હૃદયનું તેજ ધારવાને મારું સ્ત્રૈણ હૃદય ઉત્કૃટ આતુર થઈ ગયું છે. પ્રિય મેઘની વૃષ્ટિને માટે જેમ પૃથ્વી ઊકળે તેમ આપના હૃદયમાંથી થવાની વૃષ્ટિને માટે હું આતુરતાથી ઊકળું છું. ને આપની વૃષ્ટિ કલ્યાણકર જ હશે એવી શ્રદ્ધાથી તેની ધારાઓનું મારા હૃદયકમળમાં આધાન પામવાને માટે સજ્જ છું. રાત્રિના અંધકાર જેવા સંસારના અંધકાર આપણી બેની વચ્ચે અંતરાયરૂપ થાય છે તે છતાં આપની રસગર્જના એ અંધકારને ભેદી મારા હૃદયમાં સંભળાઈ છે, ને અનેક શોધથી શ્યામ થયેલા મોઘના જેવા આપના તેજને હું રંક પૃથ્વી જેવી નીચેથી દેખું છું. હવે એ પડદો ચીરી નાખો. આપના મનમાં જે પુરુષાર્થના અભિલાષ ઘણા કાળથી બંધાયા છે તે મારા હૃદયમાં રેડી દો ને શાસ્ત્ર પ્રમાણે વિવાહફળનો ઉચ્ચાગ્રાહ-આપ દ્યૌ ને હું પૃથ્વી - તે સિદ્ધ કરી દ્યો! ઓ મારા પ્રિયતમ પ્રિય ! આપની જે કુમુદ સ્વભાવે રંક, અજ્ઞાની ને લજ્જાશીલ છે તે આ સ્થાનના કોઈ સત્ત્વોને બળે આજ આપની પાસે બલવતી, પ્રબુદ્ધ અને ધૃષ્ટ થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘અવશ્ય આ સ્થાનનો અને થયેલાં સ્વપ્નોનો પ્રભાવ તમને આ નવી પ્રકૃતિ આપે છે ! અથવા સિદ્ધાંગનાઓએ સ્વપ્નમાં આપેલા અદ્વૈત વસ્ત્રના છેડા તમને આ સૂક્ષ્મ પ્રીતિની વિકાસ-અવસ્થાનો અનુભવ આજના પરિપાક પામેલા જાગૃતમાં આપે છે !’

કુમુદસુંદરી - ‘જે હો તે હો. આપ હવે આપના મનોરથ મને કહી દ્યો કે એ મનોરથની ધરીએ જોડાવાના બે અશ્વને સ્થાને આપણે બે તરત જોડાઈ જઈએ. આપના હૃદયમાં મારું હૃદય પ્રવેશ કરે છે તેને માટે દ્વાર ઉઘાડાં મૂકો.’

સરસ્વતીચંદ્ર - ‘મધુરી પ્રિયા ! એમ જ છે તો સાંભળ. મારી જનની જેને આપણે સિદ્ધરૂપિણી જોઈ તેની પાસેથી અને મારાં પિતામહી પાસેથી મને મળેલું દ્રવ્ય હું મુંબઈ છોડતી વેળા ચંદ્રકાંતને આપતો આવેલો છું. એ તેમનું શુદ્ધ સ્ત્રીધન તેમના દયાદ રૂપે હું પામેલો છું. કુમુદની સુંદર મૂલ્યવતી છબી એને માટે કલ્પેલા રંગભવનમાં રાખી અને એને આપવાની મુદ્રા વિશેષ વ્યય કરી તૈયાર કરાવી તે આ દ્રવ્યના પ્રતાપથી. એ છબી મુંબઈમાં રહી, અને તે પ્રતિકૃતિની પ્રકૃતિરૂપ કુમુદને જ આજ હું આમ નવીનરૂપે પામું છું. એ તેને આપવાની મુદ્રા સુવર્ણપુરથી નીકળ્યા પછી એક દુઃખી વણિકને દ્રવ્યવાન કરવાને મેં પહેરાવી દીધી છે અને કુમુદને માટે આ સિદ્ધાંગનારૂપ થયેલી શ્વસુર-જનનીએ આપેલી ચિંતામણિ મુદ્રા જ તેમની પૌત્રીને આપવાને મારી પાસે શેષ રહી છે.’

કુમુદસુંદરી - ‘સ્થૂળ સૂક્ષ્મ પ્રીતિના એ સ્થૂળ પ્રસાદ જાતે આમ છૂટા પડ્યા તે કેવળ સૂક્ષ્મ પ્રીતિને ઉચિત જ થયું છે. હવે આ કંથાઓમાં જ આપણી સ્થૂળ સમૃદ્ધિની સમાપ્તિ રહે તેમાં ચંદ્રાવલીમૈયાએ જિવાડેલી કુમુદના જીવનનું પરિપૂર્ણ સાફલ્ય છે.’

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ-કુમુદસુંદરી ! સિદ્ધ પ્રીતિના અદ્વૈતને બળે ઘડીમાં તમને તું કહું છું ને ઘડીમાં તમે કહું છું - ઘડીમાં કુમુદ કહું છું ને ઘડીમાં કુમુદસુંદરી કહું છું ! ક્રમ વિના આમ ઘણુંક અર્થ વિનાનું મારાથી અને તમારાથી બેથી બોલાઈ બકાઈ જવાય છે. તે ભાગ બાદ કરી બાકીનું સમજી સંગ્રહી લેજો. આજ સુધી અનેક વિચારો મનમાં ઘોળાયાં કરતા હતા તેમને સ્થાને હવે એક વિચાર પરિપાક દશામાં આવતો જાય છે - તેમાં તમે મારાં સહધર્મચારિણી થશો એવી શ્રદ્ધા થઈ છે. મારી જનનીએ ને માતામહીએ મળી મારે માટે ચર-લક્ષ રૂપિયા મૂકેલા હતા તેના વ્યાપારાદિ સાધનથી મેં આજ લગભગ છ સાત લક્ષનો સુમાર વધારો સહિત કરેલો છે. એ સર્વ સંગ્રહ મારા સર્વ મનોરાજ્યની સિદ્ધિને માટે પૂર્ણ નથી. કાળ જતે, ચાર વર્ષે કે પાંચ વર્ષે, તે સંગ્રહ મારા મનોરાજ્યના એક અંગને માટે બસ થશે ત્યાં સુધી ચંદ્રકાંતના હાથમાં એ વધ્યો જશે ને આપણે આ સાધુજનોમાં એકાંત અપ્રસિદ્ધ સૂક્ષ્મ જીવન વ્યતીત કર્યાં જઈશું.’

કુમુદસુંદરી - ‘તે કાળ પરિપાક થયે એ દ્રવ્યનું શું કરવા ઇચ્છો છો ?’

સરસ્વતીચંદ્ર - ‘તમારું શરીર હવે અસ્પૃષ્ટ પવિત્ર રહેશે ને તમારી સૂક્ષ્મ કલ્યાણસમૃદ્ધિનું હું આસ્વાદન કરી શકીશ તે જ રીતે મારી એ લક્ષ્મીનું શરીર અસ્પૃષ્ટ રહેશે તેનો વ્યય નહીં થાય અને તેના ઉત્પન્નનો વ્યય થશે. એ ઉત્પન્નમાંથી એક વર્ષે આ દેશમાં વિદ્વાન ધનવાન વ્યાપારી ઉત્પન્ન થઈ શકશે ને બીજે વર્ષે આ દેશની રંક પ્રજાના કલ્યાણના બીજ રોપાશે. એમ ઉત્પન્નમાંથી વર્ષે વર્ષે વારા ફરતી ચિરકાળની વ્યવસ્થા થઈ શકશે. ‘બી.એ.’ સુધીની પરીક્ષામાં તરી ઊતરેલા વિદ્વાનોમાંથી જેને વ્યાપારી થવાની શક્તિ અને વૃત્તિ હશે એવા બુદ્ધિમાન નરોમાંથી એક જણને કંઈ નિયમો પ્રમાણે શોધી કાઢી તેને વ્યાપરકાર્યમાં સિદ્ધ કરી શકાશે, અને એવી કલ્પના છે કે આવા નરને તે સિદ્ધિને અંતે ચાળીસ હજાર રૂપિયાની ઓછામાં ઓછી મૂડી મળે. તે નરનું શોધન થાય કે તરત તેણે આ દેશમાં જ કોઈ સમર્થ વ્યાપારીઓ પાસે વ્યાપારમાં સિદ્ધ થવું અને તેણે માત્ર ત્રીસ રૂપિયાના માસિક વેતન-પગારથી પોતાના વ્યયનો નિર્વાહ કરવો. આ પ્રમાણે બે વર્ષ તેણે આ દેશમાં વ્યવહારમાં આવી રીતની કરકસરથી રહેતાં ને વ્યાપરીની કળાનું ઉપાર્જન કરતાં શીખવું. તે પછી તેણે ત્રણ વર્ષ યુરોપમાં કે અમેરિકામાં અથવા બે દેશમાં મળી ગાળવાં ને ચાળીસ હજારની મૂડીના વ્યાજમાંથી એ દેશોમાં તેણે નિર્વાહ કરવો અને વ્યાપારકળામાં નિપુણ થવું. તે પછી પૃથ્વીના બીજા કોઈ ભાગમાં એક વર્ષ, ને અંતે આ દેશમાં બે વર્ષ ગાળવાં. એના સર્વ પ્રવાસનું યોગ્ય ખરચ તે આ દેશમાં હોય ત્યાં સુધી માત્ર રૂપિયા ત્રીસનું અને પરદેશમાં ચાળીસ હજારના વ્યાજ જેટલું એને વેતન આપવું. આટલાં વર્ષ તેના પોતાના ધારેલા વ્યાપારમાં સિદ્ધ થવા માટે દ્રવ્યનાં કાંઈ વિશેષ સાધન, અને વ્યાપારમાં સિદ્ધ થયેલા પ્રતિષ્ઠિત અંગ્રેજ અને દેશી વ્યાપારીઓના આશ્રય અને અભિપ્રાય-એટલી વસ્તુઓ એને માટે અથવા મારા પ્રતિનિધિ પુરુષોએ પ્રાપ્ત કરાવવી. આટલાં વર્ષની આટલી સિદ્ધિ તે પૂર્ણ પ્રયત્નથી ને સદ્‌બુદ્ધિથી પામ્યો છે એવો નિર્ણય થાય કે તેને ચાળીસ હજારની રકમ આપી દેવી અને તેનો તે સારો ઉપયોગ કરી પોતાનું ને દેશનું કલ્યાણ કરવા સમર્થ થાય એવો આશીર્વાદ આપવો. જો આ ઉપરાંત તે નર કોઈ બીજી દ્રવ્યોત્પાદક કળા કે શાસ્ત્રીય વિદ્યા પરદેશમાંથી પ્રાપ્ત કરી આવ્યો હોય તો ચાળીસ હજાર ઉપરાંત બીજા દસ હજાર સુધીની રકમ આપવી. આટલા તપથી સિદ્ધ થયેલો વ્યાપારી આ દેશમાં અર્જુનનાં રથનાં સૂત્ર ખેંચવામં સાધનભૂત અને સમર્થ થશે એવી મારી શ્રદ્ધા છે. પોતે પારકે દ્રવ્યે સિદ્ધ થયેલો વિદ્વાન વ્યાપારી, પોતાનું ને પુત્રાદિકનું પેટ ભરી બેસી રહેનાર કે મૂર્ખ વાસનાઓની તૃપ્તિ શોધનાર કે વ્યાજ ખાઈ અનાથ વિધવા પેઠે આળસુ ને મંદ ગતિનો જંતુ નહીં થાય પણ અર્જુન પેઠે ફરતો ચરતો અને અપૂર્વ અદૃશ્ય અસ્ત્રો વસાવી ફેંકતો થશે ને આ દેશની પાંચાલીની ને પોતાના ચારે ભાઈની સમૃદ્ધિઓને ઉત્પન્ન કરનાર થશે. કુમુદસુંદરી ! આવા નરો અંગ્રેજ હનુમાનના સમર્થ શિષ્યો થઈ દૃષ્ટા થશે, પોતાના યુગને ઉચિત નીતિ આપશે, મોટી ક્રિયાઓ રચશે, જિષ્ણુ થશે અને પોતાના જેવા અનેક નરોને ઊભા કરશે. મલ્લમહારાજની વેધશાળામાં અર્જુનનાં પાંચે આસન છે તે આવા નરોની ક્રિયાથી આ દેશમાં ઊભાં થશે. વિદ્યાર્થી ઋષિ, ક્રિયાથી રાજરૂપ, ને સૌમનસ્યથી ઇન્દ્ર જેવા લોક, આ નરોની સૃષ્ટિમાં અવતાર લેવાનું ધર્મક્ષેત્ર દેખશે. ઇન્દ્ર ચરનારનો મિત્ર છે, સત્યયુગ ચરવામાં છે સૂવામાં નથી - એ મિત્રની અને એ યુગની પ્રાપ્તિનું બીજ આવા વિદ્વાન ધનવાન પુરુષોના ઉત્ક્રમથી થશે એવી મારી શ્રદ્ધા છે.’

કુમુદસુંદરી - ‘જ્યારે આપના છ સાત લક્ષ અધૂરા લાગે છે ત્યારે પચાસ હજારની રકમમાંથી તે શી રીતે આ નર આવા થશે ?’

સરસ્વતીચંદ્ર - ‘એ પચાસ હજાર તો એમને માત્ર રથ આપશે. પણ એ રથમાં બેસી પોતાની સિદ્ધિને બળે એ લોક કાળક્રમે પચાસ લક્ષ વસાવી શકશે. કુમુદસુંદરી ! એ લોકના યોગ અને પરાક્રમ આ દેશને કલ્યાણકારક નીવડશે. દ્રવ્યમાન અપંડિતો, રંકપંડિતો, અને દ્રવ્યવાન અને એકલપેટા હાથપગ વિનાના વિદ્વાન અદૃષ્ટાઓ-એ સર્વને સ્થાને આ માર્ગથી જ આ દેશમાં અર્જુનનું વીર્ય સફળ થશે. અનેક લોકને દ્રવ્ય કમાવાને માર્ગ સૂઝતા નથી તેને આવા દૃષ્ટાઓની દૃષ્ટિ અને ક્રિયા ખાતાપીતા અને જોતાકમાતા કરશે. મારી ટૂંકી લક્ષ્મીની મર્યાદાને લીધે માત્ર બબ્બે વર્ષે આવો એક જ નર નીવડી શકશે તે તો ઈશ્વરની ઇચ્છા ! પણ જે ઈશ્વર મને આટલા વિચાર સુઝાડે છે તે આટલા બીજથી બીજાઓને અનેકઘા વિશેષ સમર્થતા આપશે. બાર વર્ષમાં આવા છ પુરુષો નીવડશે. તેઓ સમુદ્ર ઓળંગી પરદેશની કળાઓને અને વિદ્યાઓને આણશે તેની સાથે જ આ દેશનો ધનંજય પોતાની દૃષ્ટિ, જય અને વિભૂતિનું દર્શન કરાવવા માંડશે.’

કુમુદસુંદરી - ‘એક કાર્યમાં મારો ધર્મસહચાર કેવી રીતે કામમાં લાગશે ?’

સરસ્વતીચંદ્ર - ‘પરદેશીય રસસામગ્રી લઈ આવેલાઓને માટે સુભદ્રાઓ ઊભી કરવી એ મારી કુમુદનું કામ - તે ભાવિ કાળમાં વિચારીશું. હવે એક વર્ષ આવા નરો ઉત્પન્ન કરવા તો બીજે વર્ષે મારી ટૂંકી લક્ષ્મીના ઉત્પન્ન શું કરવું તે સાંભળ. વૃદ્ધોની વૃદ્ધાવસ્થાનો આધાર તેમનાં યુવાવસ્થા પુત્ર-વધૂઓમાં છે; બાળકોનો આધાર તેમનાં યુવાવસ્થા માતાપિતામાં છે; રાજ્યનો આધાર પણ યુવક પ્રજાનાં સામર્થ્ય અને સંમતિમાં છે. ચારે આશ્રમનો આધાર જેવો ગૃહસ્થાશ્રમ ઉપર છે તેમ સર્વ અવસ્થાઓનો આધાર યુવાવસ્થા ઉપર છે. તે જ ન્યાયે અને તેથી અધિક ન્યાયે એ સર્વ અવસ્થાઓનું તે સર્વ પ્રજાનું કલ્યાણ દેશના વિદ્વાનો ઉપર છે ને વિદ્વાનોનો આધાર તેમની યુવાવસ્થાના સાફલ્ય ઉપર છે. જો આપણે તેટલા સાફલ્યનાં બીજ રોપી શકીશું તો સર્વ વૃક્ષો જાતે સમૃદ્ધ અને બલવાન થશે. અંગ્રેજ લોકો ઘણી સૂક્ષ્મ બુદ્ધિથી, ઘણી દીર્ઘ દૃષ્ટિથી, અને અનેક નીતિધર્મના વિચારના દોહનને અંતે, આપણા વિદ્વાનોની જે વાડી આ દેશમાં ઊભી કરી છે તેના માળીનું કામ આપણે કરીશું. આપણે આપણાં સૂક્ષ્મજીવનની લોકયાત્રા આ વિદ્વાનોનાં મંદિરોમાં ને ઝૂંપડાંઓમાં કરીશું. એ લોકનાં ગુપ્ત અને પ્રકટ સ્થાનોમાં અને હૃદયોમાં આપણે આપણી બેની પરિવ્રજ્યા કરીશું અને એ ક્ષેત્રોમાંના અંતરાત્માની સ્થૂળસૂક્ષ્મ ગતિને જોઈ લઈશું. આપણા પુરુષવિદ્વાનોમાં હું ફરીશ, ને તેમની સ્ત્રીઓમાં તું ફરજે. તેમની સ્ત્રીઓના આધિ, વ્યાધિ અને ઉપાધિ તું જોઈ લેજે ને તેમના સ્વામીઓના આધિ, વ્યાધિ, ઉપાધિ હું જોઈ લઈશ. આપણે તે બે વર્ગનું, તેમના કલ્યાણ માટે ને દેશના ઉદ્ધાર માટે, સંયુક્ત સખીકૃત્ય કરીશું. પિતામહપુરમાં જે પ્રતિબિંબ જોયાં તેના મૂળ પદાર્થ આપણે જોઈ લેવા. તે પછી તેમનાં જે ઘરમાં જેવાં દુઃખ હોય તે નષ્ટ કરવા આપણે તેમને શક્તિ આપવી.

એમની સ્ત્રીઓ પંડિત થાય, રસજ્ઞ થાય, કુટુંબપોષક થાય, સ્વસ્થ થાય, શરીરે બલવતી, રોગહીન અને સુંદર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુંબબંધનમાંથી તેઓ મુક્ત-સ્વતંત્ર થાય ને તે મુક્તતાથી ને સ્વતંત્રતાથી કુટુંબની મૂર્ખ ઇચ્છાઓ અને કલેશમાંથી છૂટી એ કુટુંબના ખરાં કલ્યાણ કરવા શક્તિમતી અને ઉત્સાહિની બને, કુટુંબના બાળકવર્ગને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગની કલ્યાણવાસનાઓને તૃપ્ત કરે - એવા માર્ગ શોધવા ને લેવા તે મહાકાર્ય ગુણસુંદરીની પ્રિયપુત્રી નહીં કરી શકે તો બીજું કોણ કરી શકશે? એ કાર્યને માટે બબ્બે વર્ષ આપણે પચાસ હજાર રૂપિયાના યોગ્ય ભાગ ખરચી શકીશું. તે છે તો ઓછા - પણ ચલાવી લઈશું.’

કુમુદસુંદરી - ‘આપણી સ્ત્રીઓ કુટુંબને પરવશ છે.’

- ‘એટલા માટે જ હું વિદ્વાન સ્વામીઓની સ્ત્રીઓને આ આશ્રય આપવા ઇચ્છું છું કે સ્વામીને શક્તિ આપીએ તો તે સ્ત્રીને આપે. સ્ત્રીને રસોડામાંથી અને ગૃહકર્મમાંથી મુક્ત કરવાનાં સાધન વિદ્વાન સ્વામીને હોય તો તે સ્ત્રીને મુક્ત કરે, માટે તું જે સ્થાન યોગ્ય ગણે ત્યાં સ્વામીને હું આવાં સાધન આપીશ ને સ્ત્રીને તે સાધનનો ઉપયોગ કરી ઉચ્ચ જીવનમાં પ્રવેશ કરવાની શક્તિ ને વૃત્તિ તું આપજે.’

કુમુદસુંદરી - ‘ગૃહનું વૃદ્ધ મંડળ આ વાતનો તિરસ્કાર કરશે તે ઇતર મંડળ આ સ્ત્રીની ઇર્ષા કરશે.’

સરસ્વતીચંદ્ર - ‘એ સર્વ મંડળને પણ આ સાધનનો લાભ મળે તો તેમને પણ આવા જીવનનો લાભ આપણે આપીશું. હું ને તું એકલાં આ સમારંભને માટે બસ નથી. માટે આપણા દેશમાં સમર્થ સ્ત્રીઓ થાય ત્યાં સુધી અંગ્રેજોની કુલીન સ્ત્રીઓને સારા પગાર આપી આપણી આવી સ્ત્રીઓમાં જતી આવતી ને વાર્તાથી ને સહવાસથી ઉચ્ચ જીવન આપતી કરીશું. આપણી સ્ત્રીઓને ઘેર બેઠે આમ ગંગા પ્રાપ્ત કરાવીશું ને એ સ્ત્રીઓને પણ ધીમે ધીમે ગૃહકાર્યમાંથી મુક્ત કરી બહાર કાઢીશું ને પરદેશની ને આપણા દેશની પંડિત સ્ત્રીઓને એકઠી કરવાનાં ને બોધ અને રસ આપવાનાં સ્થાન રચીશું. આપણી વિધવાઓને આવા નવા ઉપદેશક ઉદ્યોગને માટે પાળી, પોષી, શક્તિમતી પરિવ્રાજિકાઓ કરીશું. આ વાડીમાં કાળક્રમે આપણી બાળકીઓ ઉત્સાહ માનતાં શીખશે ને તે બાળકીઓ નવયુગની તરુણીઓ થઈ જાતે જ આ સમારંભનો ભાર ઉપાડી લેતાં શીખશે. કુમુદ ! આ કાર્યમાં તારા વિના હું કાંઈ કરી શકું એમ નથી. સ્ત્રીઓમાં આવા કાર્યને અર્થે પણ પુરુષ ભળે તો લોક અનાચાર ગણે અને તેની સાથે જ એ સમારંભ ઉપર અશ્વત્થામાનો ભાર ઊછળી પડે ને સર્વ વાત ભાગી જાય.’

કુમુદસુંદરી - ‘આ સ્થાનની સાધ્વીઓ તેમાં ન ભળે ?’

સરસ્વતીચંદ્ર - ‘સંસારને ભ્રષ્ટ ગણી તેનાથી દૂર રહે છે ને તેનો સંસર્ગ તેઓ ઇચ્છતી નથી. આ વિચાર કંઈ ખોટો નથી ? આપણું સ્થૂળ વરણવિધાન સંસારનાં પુનર્લગ્ન ગણાય ને તેની સાતે જ આપણો પોણો સમારંભ ભાંગી નાખવા જેવી આપણી અપકીર્તિ થાય - ને તેને માટે સાધુઓ તો આપણા મનઃસંયોગને જ લગ્નરૂપે ગણે છે. એ સાધુઓથી તો સંસાર દૂર રહે તે જ સારો ! નીકર શંકાપુરીએ બિંદુમતી ઉપર દૃષ્ટિ કરી ને આપણી ગણના કરી તેવી ગણનાનાં પાત્ર આ સાધુજન થાય તો અનેક યુગોના કાલવિવર્ત વચ્ચે અખંડ રહેલો આટલો દીપ હોલાઈ જાય ને તે મહાઅનર્થ થાય. માટે જ મેં આપણાં જીવનની વ્યવસ્થા કલ્પી છે. વળી જુઓ. આ સમારંભને માટે આપણા શાસ્ત્રીપુરાણીઓને આપણે સંસ્કારોથી અને દ્રવ્યથી સંભૃત કરીશું અને ઘેરઘેર તેમની દ્વારા આર્યસંસ્કારોને પ્રવર્તાવીશું. પાશ્ચાત્ય દેશની કુલીન વિદુષી સ્ત્રીઓના અને આ દેશના શાસ્ત્રીપુરાણીઓના, જળ અને અગ્નિ પેઠે અંતરપટથી સહવાસ પામતા, સંસ્કાર આપણાં કુટુંબોની આગગાડીઓને નવી સંગત ગતિ આપશે. આપણે આવાં એંજિન આવી ગાડીઓમાં જોડીશું ને સડકો ને સ્ટેશનો બાંધી આપીશું. આપણાં કુટુંબો આ સડકો ઉપર થઈને નવા નવા જ્ઞાનપ્રદેશોમાં પ્રવાસ કરશે, નવી કલાઓ પામશે અને નવી સમૃદ્ધિઓ પામશે. જે કથાપુરાણો ઉપર આજ તેમની માત્ર સ્થૂળ દૃષ્ટિ પડે છે ત્યાં તેમની સૂક્ષ્મ દૃષ્ટિઓ પડશે અને પિતામહપુરમાં જોયેલા નાગલોકના મણિ અને વિષ ઉભયનાં સત્ત્વ તેમને શુદ્ધ આર્યજીવન આપશે ને અશ્વત્થામાના રાફડાઓ ઓગળવા માંડશે. જે પાશ્ચાત્યની પરિણામ પામેલી બુદ્ધિના ઉગ્ર સૂર્યપ્રકાશ આગળ તેમનાં નેત્ર ઘુવડનાં જેવાં થઈ જાય છે તે પ્રકાશનું મન્દ સુધાકરસ્વરૂપ પાશ્ચાત્ય ચંદ્રમુખીઓ આપણા લોકમાં અમૃતકિરણો દ્વારા પ્રત્યક્ષ કરાવશે. બાળક, સ્ત્રી તરુણ અને વૃદ્ધ સર્વે વર્ગોના કલ્યાણના માર્ગ આ સાધનોથી આપણે યાવદાયુષ્ય શોધ્યા જઈશું. આ પ્રયોગ રાજનગરમાં આરંભી ધીમે ધીમે સર્વ જનપદમાં - જિલ્લાઓમાં ને દેશી રાજ્યોમાં - આપણે વડની વડવાઈઓ પેઠે વિસ્તારીશું. હું તેમાં સર્વના ઉત્કર્ષનાં બીજ જોઉં છું. આપણે જોયેલા અનેક ચિરંજીવોના આશય આપણા લોકના સંસારમાં આમ સાકર થશે. કુમુદ ! બબ્બે વર્ષે પચાસ હજારની રકમ મહાકાર્યને માટે આખરે ઓછી પડશે પણ તરત તેથી સારો આરંભ થશે. કુમુદ ! આ વાત એકલો સરસ્વતીચંદ્ર કરી શકે એમ નથી. એમાં તો સિદ્ધાંગનાઓએ સંસ્કારેલી કુમુદનો જ અદ્વૈતયોગ જોઈએ. આ આપણાં જીવનનો - મારી હાલની ટૂંકી લક્ષ્મી વડે સાધવા યોગ્ય મુદિત આશય તને કહી દીધો.’

કુમુદસુંદરી - ‘આપની પાસેની લક્ષ્મીને ઓછી ગણી આપે આ અભિલાભ બાંધ્યો છે. પૂર્ણ અભિલાષ સિદ્ધ કરો તો તેમાં કેટલું સાધન જોઈએ ને કેટલા અભિલાષ કેવી રીતે સિદ્ધ કરી શકો ?’

સરસ્વતીચંદ્ર - ‘મારા પિતાની લક્ષ્મી જગત જાણે છે તેનાથી ઘણી વિશેષ છે. તે મેં સ્વીકારી હોત તો મારા અભિલાષ બહુ ખંડિત ન થાત. પણ એ તો થઈ ચૂક્યું ને ધર્મથી થયું ને તેમાં ગતં નં શોચામિ. એ લક્ષ્મી મારી પાસે આવી હોત તો હું અહીં આવ્યો ન હોત, અને આવ્યો ન હોત તો આ સ્વપ્નોને બળે મારા અભિલાષનો વિષય આ સ્થાને વધારી દીધો છે તે વધવા પામ્યો ન હોત, અને એટલી બધી લક્ષ્મીને ક્યાં વેરવી ને કોને આપવી તેની ચિંતા કાળ આવ્યે મારા સ્વભાવ પ્રમાણે મને કાંટાની પેઠે સાલત. એ લક્ષ્મી મારી પાસે હોત તો હું શું કરત કે ફરી આવે તો શું કરું એ વિચાર સોમશર્માના પિતાના વિચાર જેવો નિષ્ફળ છે. પણ હાલ તમને કહેલી કલ્પના કરતા પહેલાં મારા પૂર્ણ મનોરથનો મેં નકશો કાઢ્યો હોત અને તે પછી તેમાં જોઈતી લક્ષ્મીનું ગણિત કાઢતાં તે મારા પિતાની લક્ષ્મીથી કાંઈક સહજ અંશે વધ્યું - એ કાકતાલીય થયું. તે પછી મેં એ કલ્પનાને કાતરી નાંખી હાલની કલ્પના કરી છે. તે તમારે જાણવા જેવી ગણી તમને જણાવી છે, બીજી નિષ્ફળ છે.’

કુમુદસુંદરી - ‘નિષ્ફળ હો. તો પણ સ્ત્રીજાતિની સ્વાભાવિક જિજ્ઞાસા મને ઉશ્કેરે છે તેથી પૂછું છું તે કહો.’

સરસ્વતીચંદ્ર - ‘ભલે. તો સાંભળો. પરાયાને જેમાં હાસ્યરસ લાગે તેમાં પ્રીતિના હૃદયને અદ્‌ભુત રસ લાગે છે ને તમારું હૃદય મારા હૃદય વિના બીજા પદાર્થને જાણવા ઇચ્છતું નથી તો તમારી વાસના તૃપ્ત કરવી એ મારો રસ-ધર્મ છે. હવે વળી એમ પણ સૂઝે છે કે આપણાથી ન બને તો કોઈ વધારે શક્તિશાળીથી બની શકે એવી કથાઓનું કીર્તન પણ નિષ્ફળ નથી - તેમાંથી શક્તિમાનને સૂચના મળે ને અશક્તને ઉચ્ચ વિચારનું પગથિયું જડે. કુમુદસુંદરી ! પ્રથમ વિચાર મેં એવો કર્યો કે આપણા અંગ્રેજી વિદ્વાનો, સંસ્કૃત શાસ્ત્રીઓ, અને નિરક્ષર કલાવાનોને માટે એક નાનું સરખું સુરગ્રામ જેવું ગામ કલ્યાણગ્રામ ઊભું કરવું. અંગ્રેજો જેમ સીમલા, દાર્જીલિંગ, મહાબળેશ્વર અને નીલગિરિ વગેરે સ્થાનોએ પોતાનાં તનમનને શક્તિ અને ઉત્સાહ આપવા જાય છે એવાં સ્થાનમાં અને ત્યાં ન બને તો સમુદ્રાદિને તીરે કોઈ બહુ આરોગ્ય-પોષક અને ઉત્સાહક સ્થાનમાં આવું ગ્રામ રચવું. તેમાં આ ત્રણે વર્ગની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત રાખી તેમની સ્ત્રીઓ અને બાળક સહિત આયુષ્ય ગોળવાની અનુકૂળતા કરી આપવી. સુંદરગિરિ ઉપર જે ત્રણ મઠની રચના છે એવાં જ ત્રણ રમણીય ભવન એવી જ વ્યવસ્થાથી આ સ્થાનમાં રચવા. એ ભવનમાં રહેવાનાં અભિલાષી સ્ત્રીપુરુષોને તેમાં રહેવાના અધિકારના કાંઈક નિયમ કરવા. અંગ્રેજી પાઠશાળાઓની છેલ્લી પરીક્ષામાં તરી આવેલા વિદ્વાનો અને પરીક્ષા લઈ શોધી કાઢેલા શાસ્ત્રીઓ, વૈદ્યો અને કારીગરો - એ સર્વમાંથી પ્રતિવર્ષ અમુક સંખ્યાને આ ભવનમાં વાસ આપવો. વિહારભવનમાં દંપતીઓ વસે, કુમારભવનમાં સ્ત્રી વિનાના પુરૂષો, અને સ્ત્રીભવનમાં વિધવાઓ અને - કાળ જતે આ દેશમાં વ્યવસ્થિત થાય તો કુમારિકાઓ ને પરિવ્રાજિકાઓ વસે.’

કુમુદસુંદરી - ‘એમણે ત્યાં વસીને શું કરવું ?’

સરસ્વતીચંદ્ર - ‘વિદ્વાનોએ ને શાસ્ત્રીઓએ પોતાનાં સર્વ આયુષ્ય આ ભવનમાં ગાળવાં. તે કાળમાં એક પાસથી તેમણે આપણાં વેદ, વેદાંત, શાસ્ત્રો, સાહિત્ય, પુરાણો, ધર્મો, આચારો, અને બીજી જે જે અક્ષરરૂપે કે આચારરૂપે વ્યવસ્થાઓ ને રૂઢિઓ આ દેશમાં પૂર્વ કે હાલ પ્રવર્તી કે દેખાઈ છે તેનું શોધન કરવું. આપણા લોકમાં તેમણે ફરવું, જોવું, અને સર્વ પ્રજાના અનુભવોનું તેના મૂળથી મુખ સુધીના પ્રવાહ પર્યંત તારતમ્ય કાઢવું. પાશ્ચાત્ય વિદ્વાનોના શોધ અને વિચારોનો પણ આમાં ઉપયોગ કરવો. પક્ષવાદનો ત્યાગ કરી આ વિદ્વાનોએ સત્યશોધન કરવું. સર્વ પક્ષ અને સર્વ સંપ્રદાય જાણી લેવા પણ પોતાની દૃષ્ટિતત્ત્વ અને નિષ્પક્ષપાત સત્ય નિર્ણય ઉપર રાખવી, પિતામહ અને અશ્વત્થામાના ગુણદોષ શોધવા, રાફડાઓમાં પેસી તેમના ગુણદોષ જોવા, તેમ તેમાંની પ્રકાશમયી નલિકાઓમાં પ્રવેશ કરી સર્વ ભાગ ધીમે ધીમે જોવા, નાગલોકનાં મણિ ને વિષ ઉભય જોઈ લેવાં અને આ દેશના સર્વ યુગોમાં, સર્વ સ્થાનોમાં જે જે પ્રવૃત્તિઓ ને નિવૃત્તિઓ થઈ છે તેનું શોધન સાત્ત્વિક દૃષ્ટિથી કરી લેવું. આ દેશની અર્વાચીન અવસ્થાનાં સાંસારિક અને રાજકીય સર્વ અંગ તેમણે જાણી લેવાં અને દેશની સર્વતઃ ચિકિત્સા કરી ભવિષ્યને માટેનાં ઔષધનું શાસ્ત્ર ખડું કરવું. પિતામહના શરીરમાં પેઠેલા અર્જુનનાં શર કેમ છૂટે, પિતામહનું તેજ લોકમાં કેમ પ્રસાર પામે, અશ્વત્થામાના રાફડામાં કે તે શર કેમ જાય, પ્રકાશમયી નવલિકાઓનો નાશ કર્યા વિના અશ્વત્થામાએ બાંધેલા રાફડાઓ કેવી રીતે ઓગળે ને અસંખ્ય હાલતા ખડકો અને તેમની વચ્ચેના ચીરાઓને સાંધવાની કેમ વ્યવસ્થા થાય, નાગલોકનાં મણિ અને વિષયો કેમ પુનરુદ્ધાર થાય, નાગલોક અને તેમની વડવાઈઓમાંથી આપણને પોષણ અને શક્તિ કેમ મળે ને તે લોકની ને તેમની સૃષ્ટિનો સાક્ષાત્કાર કેમ થાય - અર્જુનદેવ અશ્વત્થામાના મસ્તિષ્કમાં તેનો મણિ પાછો કેમ મૂકે, અને અશ્વત્થામાનાં બ્રહ્મશિરોસ્ત્રની સમૃદ્ધિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરવી : આ સર્વ વિષયના ઊંડા શોધ ને પ્રયોગ - કરવા આ આપણાં ભવનના વિદ્વાનોનું એક કર્તવ્ય.’

કંઈક વિશ્રાંત લઈ વળી સરસ્વતીચંદ્ર બોલવા લાગ્યો : ‘કુમુદસુંદરી ! આટલું બસ નથી. આપણા દેશમાં ચાલતા સર્વ લોકપ્રવાહોનાં સ્વરૂપ અને ગુણદોષ જાણી લેવાં અને પરદેશની - આખી પૃથ્વીની - મહાપ્રજાઓના પ્રવાહો અને પ્રધાનપણે અંગ્રેજ લોકના પ્રવાહ પણ સમજવા, એ આ સ્થાનના વિદ્વાનોનું બીજું કર્તવ્ય. આખી પૃથ્વીમાં આજ પાંડવોના રથ ફરે છે ને તેનાં ચક્રના સર્વ આરાઓમાંથી ને ભાગમાંથી ને તસુએ તસુની ગતિમાંથી નવાં શાસ્ત્રો, નવા શોધ, નવા પદાર્થ અને નવાં સુખદુઃખ પળે પળે પ્રકટ થાય છે. સર્વ લોકની ને પ્રજાઓની શરીરસંપત્તિઓ, સાંસારિક અને રાજકીય વ્યવસ્થાઓ, ધર્મની સંસ્થાઓ, અને સ્થૂળ સૂક્ષ્મ શક્તિઓ, આ પાંડવોના ઘોડાઓના ખોંખારા અને ખરીઓ સંભળાતાં ધ્રૂજે છે, બદલાય છે, ને નવીન રૂપ અને પ્રકાશ ધરે છે. આ રથની સાથે ન દોડતી પ્રજાઓ પાછળ પડે છે, ભૂખે મરે છે; બુદ્ધિહીન થાય છે, બાળહીન થાય છે, પશુ જેવી થાય છે, માટી જેવી થાય છે, નષ્ટ થાય છે -ને અર્જુનના દાવાગ્નિમાં ખાંડવવન પેઠે બળી મરી નષ્ટ થાય છે ! એ સર્વ ચમત્કારોનાં બીજ અને પ્રક્રિયાઓ આપણા ભવનના વિદ્વાનોએ પ્રાપ્ત કરવાં, ને આ પ્રાચીન દેશના કલ્યાણયોગને માટે પ્રાચીન નવીન યોગવિદ્યાથી એવો પ્રયોગ રચવો કે આ દેશ ખાંડવવનમાં બળવાને સાટે અર્જુનને પ્રિય થાય ને એના રથ ઉપરનાં કપિ - આદિ સત્ત્વોના ધારેલા જયધ્વજોનો ધારક થાય.

વિદ્વાનો અર્જુનના અસ્ત્રનું સંપાદન કરે તેને માટે આ ભવનોમાં આપણે પુસ્તકશાળાઓ રાખીએ, પ્રયોગશાળાઓ -ન્ટ્ઠર્હ્વટ્ઠિર્િંૈીજ- ની સામગ્રીઓ સંપૂર્ણપણે ભરીએ, કારીગરોની પ્રાચીન કલાઓના જીર્ણોદ્ધારને માટે અને નવીન કલાઓની પ્રાપ્તિને માટે નકુલદેવના સર્વ સંગ્રહના સર્વ ભંડાર વસાવીએ, વ્યાપાર અને ઉદ્યોગના વ્યવહારમાં નિપુણ થવાને પૃથ્વીમાં વપરાતા સર્વ પદાર્થોના નમૂના આણીએ, અને પૂર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિઓમાં ભળવાને માટે અહીંના અને બહારના વિદ્વાનો અને અનુભવીઓ આ દેશને માટે જે જે વસ્તુનો સંગ્રહ ઉચિત ગણે તે સર્વ વસ્તુઓ આ આપણાં ભવનમાંના વિદ્વાનોના હાથમાં આપણે આપીએ. આ સર્વ આ સ્થાનમાં આપણું કર્તવ્ય થાય એ મારી કલ્પના અને એ વિદ્વાનો તે વસ્તુઓમાં અને કાર્યોમાં આપણે ખર્ચેલા દ્રવ્યનો વ્યય સફળ કરે એ તેમનું ત્રીજું કર્તવ્ય. આ સામગ્રીશીલા સંભૃત કરવી એ મહાન વ્યયનું કામ.

આ વિદ્વાનોને અને કારીગરોને યોગ્ય શિક્ષણ, અનુભવ અને શક્તિ આ દેશમાંની અન્ય શાળાઓમાંથી જેટલાં મળે એટલાં મેળવી રહે તે પછી આ આપણા ગામમાં રહેવાનો અધિકાર આપવો. તેમને નવા ગુરુ આપવાનું કામ માથે લેવાનું આપણે રાખવું નહીં. પણ તેઓ પોતાના વિષયમાં જાતે સ્વતંત્રતાથી ને સ્વાશ્રયથી પ્રવૃત્તિ થઈ શકે એટલી વિદ્યા અને બુદ્ધઈ તેમને પ્રાપ્ત થાય ત્યારે તેમના પોતાના બળથી ને ઉત્સાહથી વેલા પેઠે વધવાને માટે વૃક્ષના જેવો જ આશ્રય આ સ્થાનમાં આપવો. આ સ્થાન આપણા કેવળ વિદ્યાર્થીઓ માટે નહીં, પણ શાસ્ત્રોના પાયા બાંધનાર અને લોકવ્યવસ્થાનો રથ રચનાર વિદ્વાનોને માટે જ સમજવું.

એ વિદ્વાનોને આપણે આ ભવનમાં સુંદરગિરિના ત્રણ મઠોની વ્યવસ્થાથી રાખી તેમને, જીવતા સુધી જઠરાગ્નિને માટે ને વિદ્યાને માટે દ્રવ્ય કમાવાની ને કુટુંબપોષણની અને કુટુંબક્લેશની ચિંતામાંથી મુક્ત રાખવા. આટલાથી આર્ય દ્વિજલોકના જેવાં સંતોષ અને ધૈર્ય જેને હોય નહીં તેને માટે આ ગામ નથી વસાવવું. અસંતુષ્ટા દ્વિજા નષ્ટાઃ । આ વાસમાં આવા સંતોષથી આવાસ શોધે તે આપણો દ્વિજ ! તેને, તેની સ્ત્રીને અને તેનાં બાળક સંસારમાં પડે ત્યાં સુધી તેમને માટે આ ગામમાં ગૃહરચના રાખવી, ભોજન અને વસ્ત્રની વ્યવસ્થા રાખવી; વ્યાયામસ્થાન, વિશ્રાંતિસ્થાન, વિનોદસ્થાન, શયનસ્થાન અને સમાગમસ્થાન, તેમની સર્વની ઉન્નતિને માટે, નિયમસર રાખવાં. તેમનાં માતાપિતા વૃદ્ધ કે અશક્ત હોય ને બહાર રહેતાં હોય ત્યારે તેમનાં ભોજન ઔષધાદિક સેવાની વ્યવસ્થા સારું યોગ્ય દ્રવ્ય આપવું ને શરીર-સેવાને માટે પુત્રાદિકની તેમને આવશ્યકતા હોય તો તેટલો કાળ આ આપણા ગામના રોગાશ્રમમાં આવી રહે; આપણાં માણસ તેમની સેવા કરે, ને આ આશ્રમમાં વસતાં તેમનાં બાળક તેમની પાસે કાળક્ષેપ વિના જતાં આવતાં રહે. આ અહીં રહેનાર વિદ્વાનો અને તેમનાં સ્ત્રીપુત્રાદિક વ્યાધિગ્રસ્ત થાય તો તેમણે પણ એ જ રોગાશ્રમમાં રહેવું. તેમનાં બાળકને વિદ્યાદાન પણ, વિદ્વાન જીવતા સુધી અને તે પછી બાળક મોટાં થતાં સુધી, અમુક મર્યાદામાં આ સ્થાનમાં જ અપાય. જ્ઞાનનિયમ ભોજનાદિકમાં આ આશ્રમમાં પળાય પણ તે વિના બહારની સૃષ્ટિથી આ વિદ્વાનો સકુટુંબ દૂર રહે. માત્ર વર્ષમાં અમુક માસ સુધી પોતાના અવલોકન માટે ને લોકના બોધ, દૃષ્ટાંત, અને કલ્યાણને માટે આખા ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રદેશોમાં તેઓ પરિવ્રજ્યા કરી આવે. આ કાલમાં બહારની સૃષ્ટિ સાથે યથેચ્છ પણ અનિન્દ્ય વ્યવહાર રાખે. તેમનાં બાળક યોગ્ય વયનાં થઈ સંમતિ આપે ત્યાં સુધી તેમને અહીંના આશ્રમીઓ વિવાહમાં યોજે નહીં તો તે બાળકોનાં લગ્નને માટે તેમના વેતનમાં જન્મપર્યંત વધારા કરવા.

આ વિદ્વાનો, શાસ્ત્રીઓ, ને કારીગરોને આટલા સ્વાર્પણથી આ સ્થાનમાં રહેવું ઇષ્ટ હોય તો તેમને માટે ઉક્ત પ્રકારે જે વ્યય થાય તે નિયમાનુસાર આપણે આપવું ને તે ઉપરાંત દસથી પચાસ રૂપિયા સુધી માસિક વેતન તેમને જીવતા સુધી આપ્યાં જવું. ને આશ્રમમાં આવે તે કાળે તેમનું ઓછું વેતન નક્કી કરી યોગ્યતા વધે તેમ તેમ નિયમસર વધારવું. ઓછામાં ઓછા અવિદ્વાન કારીગરને દસ અને વિદ્વાનને પચીસ રૂપિયા આપવા. તે ઉપરાંત કેટલા વધારવા તે પર્થમ વર્ષની સ્થિતિને અંતે એક વાર નક્કી કરવું ને દસ વર્ષને અંતે બીજી વાર નક્કી કરવું. એમ તે નક્કી કરેલી વધારેલી રકમ આશ્રમમાં પ્રવેશ કરે ત્યાંથી તે દસ વર્ષ સુધીની, વ્યાજ સહિત, એમને મરણકાળે તેમનાં સ્ત્રીપુત્રને કે પૌત્રને મળે, તે ન હોય તો તેમણે કરેલાં અનુમૃત્યુપત્ર-વિલ-પ્રમાણે આપવી, ને વિલ ન હોય તો આ આપણો આશ્રમ તેમની દાયાદ થઈ લે. દસ વર્ષ પછીની રકમ પૂરેપૂરી તેમને માસે માસે મળે ને તેમનાં મરણ પછી રાજ્યના ધારા પ્રમાણે દાયના અધિકારી હોય તે લે. દસ વર્ષ પહેલાંની વધારાની રકમ તો કોઈ લોકકલ્યાણના કાર્યમાં વાપરવી હોય તો જ તેના અધિકારી વિદ્વાનને કે કારીગરને હાથે જીવતાં વાપરવા દેવી.

આ વિદ્વાનોના સમાગમસ્થાનને માટે અનેક ભવનવાળું એક અતિથિ પુર અથવા અતિથિપરું રાખવું. તેમાં યોગ્ય પુરુષોનું આતિથેય કરવું. સર્વ પ્રકારના સંભાવિત ગૃહસ્થોને નિયમાનુસાર આ અતિથિભવનમાં આમંત્રણથી આપણે ખર્ચે બોલાવી તેમનો સત્કાર કરવો. તેમાં એક ભાગમાં સાંપ્રત ભક્તિમાર્ગને યોગ્ય દેવમંદિરો રાખી એ મંદિરોમાં આ દેશના ધર્મિષ્ઠજનોનો સત્કાર કરવો. આપણા આશ્રમના સર્વ આશ્રિતજનોનાં માતાપિતાનાં હૃદય પુત્રવત્સલતાથી દ્રવે અને પુત્રોની કે પુત્રીઓની પાસે રહેવા ઇચ્છે ત્યારે આ મંદિરોમાં તેમને વાસ આપવો ને તેમનાં બાલકના વેતનમાંથી તેમનું ભોજનખર્ચ કાળનો અવધિ બાંધુ આપવું ને જે માતાપિતા પોતાના દ્રવ્યથી આવું ખર્ચ નિભાવી શકે એમ હોય તેમને ન આપવું. આ અવધિ ઉપરાંત માતાપિતાને વાસ આપવો ને ભોજનખર્ચ તેમનાં બાળકની શક્તિવૃત્તિ હોય તો તે આપે. માતાપિતા વિના ભક્તજનો, ધર્મવ્યવસ્થાપકો, શાસ્ત્રીઓ, પુરાણીઓ, સંન્યાસીઓ, આદિ અન્ય સજ્જનો આ સ્થાનમં આદરસત્કાર પામે અને પોતપોતાના સંપ્રદાયના મંદિરમાં આવાસ પામે - આપણા આશ્રિત જનોમાંથી જેમને તેમના સમાગમનો લાભ લેવો હોય તે લે.

વળી આ દેશની અનેક અવ્યવસ્થાનો કર્તા અશ્વત્થામા દુઃખી આર્યોના આશ્વસન અને સદ્‌ગતિને માટે આ દેશની વિપત્તિઓના અંધકારને માથે આ મંદિરોમાંની વીજળી પાસે ચમકારા કરાવી રહે છે. તે વીજળીનો ભૂલ્યે ચૂક્યે નાશ કરવા જેવું નથી. એ વીજળી ઘડીકમાં આકાશમાં ચમકારા કરે છે, ઘડીક પૃથ્વી ઉપર આવે છે, અને તેવે સમે અશ્વત્થામા ઉન્માદ છોડી શાંત થઈ અનેક ઊંડાં ગાન કરે છે ને દુઃખી અને અનાથ આર્યોનાં કંપતાં હૃદયોમાં અનેકધા અમૃતવૃષ્ટિ કરે છે તે મેં સુરગ્રામનાં મંદિરોમાં પ્રત્યક્ષ કરેલું છે. કુમુદસુંદરી !

આ મંદિરોના આવા મંગલ ભાગનો આપણે અનેકધા સત્કાર કરીશું અને આપણા આશ્રમના આશ્રીતો પામે તે મંદિરોને નવા સંસ્કાર અને નવા ઉત્કર્ષ અપાવીશું. આ મંદિરોમાંના અતિથિઓ અને આપણા આશ્રિત આશ્રમીઓનો સમાગમ તે ઉભય વર્ગ વચ્ચે અનેકધા પરસ્પર લાભની આપલે કરાવશે અને પ્રજાઓમાં નવા સંપ ને નવા જંપ આપશે. આપણા દેશના પાસેના અને દૂરના ભાગોના અને જ્ઞાતિઓના વર્ગ; વૃદ્ધો, યુવાનો અને બાળકો; ભાતભાતની જાતજાતની સ્ત્રીઓ; નાતજાતના પટેલો, શેઠો અને ગોરગોરાણીઓ; તીર્થયાત્રાઓ ને યાત્રાળુઓ; જૂના મતનાં અને જૂની ચાલનાં અને નવા મતનાં નવાં ચાલનાં મનુષ્યો; સાધુઓ, સંન્યાસીઓ અને યોગીઓ; આદિ અનેક વર્ગની અનુભવી અને અનુભવહીન વ્યક્તિઓનો સત્કાર, એ જ મંદિરોમાં અને તેને જોડેલી ધર્મશાળાઓમાં કરવો ને તેમની પાસેથી જાણવાનું જાણી લેવું. આપણા આ સર્વ લોક ખાય છે, પીએ છે શું અને કેવી રીતે, તેમનાં ગૃહ અને ગૃહસંસાર કેવી રીતે બંધાય છે અને મંડાય છે, તેમાં શી શી છત છે ને શી શી ખામી છે. તેઓ દ્રવ્ય તેમ વિદ્યા અને અનુભવ કેમ આણે છે, કેમ સુધારે છે, કેમ ખર્ચે છે, ને કેમ બચાવે છે, આ અને આવી આવી અનેક નાનીમોટી વાતો અંગ્રેજી અને દેશી વૈદ્યકશાસ્ત્રની દૃષ્ટિથી અર્થશાસ્ત્રની અને વ્યાયામશાસ્ત્રની દૃષ્ટિથી, નીતિશાસ્ત્ર અને સંસારશાસ્ત્રની દૃષ્ટિથી, કવિ અને કારીગરની દૃષ્ટિથી, રાજકીય અને પારમાર્થિક વિદ્યાની દૃષ્ટિથી શોધવાની છે, જોવાની છે. ચારેપાસથી તપાસી લેવાની છે, રક્ષણીય મર્મમાં રક્ષવાની છે, અને વર્જનીય ભાગમાં કાપી નાખવાની છે, દેશકાળ પ્રમાણે બદલવાની ને સુધારવાની છે, અને ટૂંકામાં અનેકધા સુવ્યવસ્થિત કરવાની છે. આ રંક દેશનું ધન અનેકધા નષ્ટ થયું છે, થાય છે, ને થવાનું હશે, પણ તે સર્વ વમળ વચ્ચે સ્વસ્થ અને નિર્ધન જીવન ગાળી જીવવાની કળા અશ્વત્થામાના રાફડાઓમાં વ્યાપી રહી છે તે અમૂલ્ય કળાનો પાશ્ચાત્ય સંસર્ગથી નાશ થશે તો મહાહાનિ થશે. માટે તે કળાના મર્મ પણ જાણી સાચવી રાખવાનાં છે. આ સર્વ કર્તવ્યમાં આ મન્દિરોના અતિથિઓનો સમાગમ બોધક અને ફળપ્રદ થાય એ આપણા આશ્રમના વિદ્વાનોનું એક બીજું મોટું કર્તવ્ય. એક પાસથી ધનનો ક્ષય થાય, બીજી પાસથી ધન કમાવાની કળામાં આપણા લોક હારી જાય, ત્યારે ત્રીજા પાસથી નિર્ધન જીવન ગાળવાની, નિર્ધન જીવનમાં શરીર અને સંસારના ધર્મ અને મર્મ રક્ષવાની કળા પણ નષ્ટ થાય તો આ દેશનું આયુષ્ય પૂરું થયું સમજવું. પ્રિય કુમુદસુંદરી ! પિતામહના શરીરમાંથી અર્જુનનાં શર છૂટો કે ન છૂટો, પણ તેમના કાળમાં આ દેશ સમૃદ્ધ અને સ્વતંત્ર હતો પણ હાલ નથી. માટે અશ્વત્થામાનું આયુષ્ય પૂરું થાય ત્યાર પહેલાં તેની આવી આવી કળાઓનું જ્ઞાન આવા વિદ્વાનોના હૃદયમાં સ્ફુરે એ કામ કરવા યોગ્ય છે. આપણા લોક કહે છે કે પચાસ પોણોસો વર્ષ ઉપર આપણાં દાદાદાદીઓ અનેકધા રંક જીવન ગાળવા છતાં શરીરસંપત્તિમાં ને સુખમાં સંપન્ન હતાં એવાં આજના લોકનાં માતાપિતા ન હતાં ને માતાપિતા હતાં એવાં આપણે નથી ને આપણે છીએ તેવી હવેની પ્રજા નહીં થાય. નવા યુગને તેવા જીવનની કળા આવડતી નથી, દ્રવ્ય કમાતા કંઈક વધારે આવડતું હશે પણ ખર્ચતાં ને ખોતાં વધારે આવડે છે. આ શું નવા યુગની વિદ્યાએ શીખવ્યું કે નવી વિસ્મૃતિએ શીખવ્યું ? નવી વિદ્યાએ શીખવ્યું હોય તો તેનું આટલું વિષ આપણે ઉતારી દેવું જોઈએ ને નવી વિસ્મૃતિએ શીખવ્યું હોય તો સ્મૃતિનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. આપણા આશ્રમના આશ્રિત વિદ્વાનોનું આ મહાકાર્ય આપણા આ અતિથિપુરમાં અને એમની પરિવ્રજ્યાઓમાં જ સિદ્ધ થાય.’

કુમુદસુંદરીએ એને બોલતો અટકાવ્યો. ‘આપના મસ્તક ઉપર હું છાયાઓ ફરતી દેખું છું - અશ્વત્થામાની સ્વસ્થ થયેલી છાયા ને ભગવાન પરશુરામના ચરણ ફરતા દેખું છું !

સરસ્વતીચંદ્ર - ‘તમારા મસ્તક ઉપર કુંતીમાતાનો હસ્ત ફરતો દેખું છું ને તેમનું ગાન મારા કાનમાં આવે છે !’

કુમુદસુંદરી - ‘અશ્વત્થામાની છાયાથી કંઈક છેટે ભવ્ય મણી કોકના હાથમાં દેખું છું.’

ઊંડા વિચારમાં પડી સરસ્વતીચંદ્ર બોલી ઊઠ્યો : ‘આ છાયાઓ તે આ સ્થાનનો પ્રતાપ છે, આપણાં સ્વપ્નનો આવિર્ભાવ છે. કુમુદસુંદરી ! મારો ચિંતામણિ અને તમારો સ્પર્શમણિ આપણા હૃદયોમાં સંધાય છે. જુઓ ! જુઓ ! આ મારો અભિલાષ આ જાગૃત સ્વપ્નના મનોરાજ્યમાં વધારે પ્રદીપ્ત થતો અનુભવું છું. મારા પિતાના દ્રવ્યથી પણ અનેધા અધિક દ્રવ્ય મારા હાથમાં ઊછળતું દેખું છું, ને તેને લોકહિતના પરમાર્થમાં વેરવા પોતાને પ્રવૃત્ત થતો કલ્પું છું ! અનુભવું છું ! આ નવા ચમત્કારને બળે આપણા અતિથિપુરના બીજા ભાગમાં હું બગીચાઓ અને મહેલો ઉઠાવું છું ! એમાં હું આ દેશના અને પરદેશના મોટા મોટા વિદ્વાનોને, કવિઓને, ગ્રન્થકારોને, શાસ્ત્ર અને ‘સાયન્સ’ના અનુભવી સમર્થ વેત્તાઓને બોલાવીશ, વર્તમાનપત્રોના અને માસિક-ત્રૈમાસિક પત્રોના તંત્રીઓને બોલાવીશ. રાજકીય વિદ્વાનોને અને અધિકારીઓને, દેશવત્સલ અને દેશાભિમાની તેમ સર્વદેશાભિમાની અને સર્વલોકહિતચિંતક મહાત્માઓને, અતિ સમર્થ અને અતિ શ્રીમાન વ્યાપારીઓને અને વતનદારોને, એક ધર્મગુરુને અનેક ધર્મવેત્તાઓને અને સત્યશોધકોને, યોગીઓને અને સંન્યાસીઓને આ સથાનમાં અત્યંત આદરથી હું બોલાવીશ અને આપણા આશ્રમીઓને તે સર્વના ગાઢ સૂક્ષ્મ સમાગમનો લાભ અપાવીશ. આ દેશમાંથી, પરદેશમાંથી, આર્યોમાંથી, અનાર્યોમાંથી, પુરુષસૃષ્ટિમાંથી તેમ

સ્ત્રીસૃષ્ટિમાંથી, સર્વ વર્ગમાંથી બોલાવીશ. એ મહાસમુદ્રનું મંથન કરી તેમાંનાં રત્ન પામવાની કળા, સનાતન અને વિશેષ ધર્મોના વિચાર અને શુદ્ધ સાધુજનના આચારની ઉન્નતિ, શારીરિક અને માનસિક સમૃદ્ધિઓ અને ઉત્કર્ષ - એ સર્વ આ મહાસમાગમમાંથી આપણા આશ્રમના વિદ્વાનો પામે એવા માર્ગ શોધીશું. ધર્મરાજના ધર્મ, ભીમસેનની સતત ગતિ અને જાગૃતતા, અર્જુનની ક્રિયા, નકુલની ચિત્રમાર્ગ કલાઓ, સહદેવની પ્રાજ્ઞતા, હનુમાનની બંધુતા અને હિતચિંતકતા, કુંતીનાં ક્ષમા અને ધૈર્ય, અને આ દેશના અને આંગ્લદેશના લોકનું હૃદયઐક્ય - આ સર્વ ફળનાં બીજ આપણા ત્રણે આશ્રમોનાં પુરુષોમાં, સ્ત્રીઓમાં અને બાળકોમાં આપણે રોપીશું. આ સ્થાનમાં સર્વ પૃથ્વીનાં જ્ઞાન અને રસ ફુવારા પેઠે ફૂટશે. મહાલક્ષ્મીના ચરણ કુંકુમ સાથે ફરશે, અને આર્યદેશની ચિંતા ભગવાન પરશુરામે ચિરંજીવ રહી જૂના કાળથી ભરાતા મેઘ પેઠે રાખી છે તેની પ્રથમ વૃષ્ટિના છાંટા થવા માંડશે ! કુમુદ ! પ્રિય કુમુદ ! આ વૃષ્ટિથી સચેત થયેલી પાંચાલી આખી પૃથ્વીનું કલ્યાણ કરી શકશે. ભારતવર્ષની એ શક્તિ અનેક યુગોથી તપ કરતી દુઃખ પામતી જીવી છે તે આ અર્જુનના કપિલોક અંગ્રેજ-ના બંધુત્વથી કલ્પલતા જેવી થશે અને આખા જગતનું કલ્યાણ કરવાનાં બીજ પુરાણ પાંડવોના સહચારથી પોતાના ઊંડા ગર્ભકમળમાં સાચવી રહી છે તેને જન્મ આપશે ! અને તે તેજસ્વી સુજાતાનું સર્વ જગત અભિનંદન કરશે !’

કુમુદસુંદરી - ‘આપણા ચકોર જેવાંની શૂદ્ર ચાંચો ચંદ્રલોકનું તેજ આમ ધરે છે, અને ચંદ્રના તેજમાં લીન થઈ સર્વ તારાઓના તેજને તે ભેગું પીએ છે.’

સરસ્વતીચંદ્ર - ‘આપણે ચકોર જેવાં હતં તે યોગસિદ્ધિને પામીએ છીએ ને યોગારૂઢ ચકોર ચંદ્રલોકમાં અને ત્યાંથી તારામંડળમાં ઊડે છે ને સર્વ તારાઓના હૃદયના તારમાં પોતાના ગાનના સ્વર ભરે છે - કુમુદ ! તું સાંભળે છે ? આપણા કલ્યાણગ્રામના આશ્રમીઓ પોતાની વિદ્યાઓથી, કળાઓથી અને વ્યાપારથી, આ ગ્રામને માટે મેં કાઢેલા દ્રવ્યમાં ઘણો વધારો કરશે. તેમને જોઈતાં દ્રવ્ય આપી આપણે જે દ્રવ્યની વૃદ્ધિ કરાવીશું તેમાંથી એક ભાગ આશ્રમના કલ્યાણ માટે લઈશું, ને બાકીનો ભાગ તેમના સ્વામિત્વમાં - તેમનાં વેતન ઉપરાંત - સોંપી દઈશું. આ દેશનાં રત્ન એ ક્રિયાથી આ સ્થાનમાં પ્રીતિથી આકર્ષાશે, સંસ્કારી થશે, મૂલ્યમાં અમૂલ્ય થશે, અને દેશને લક્ષ્મીવાન, કલાવાન, વિદ્યાવાન અને રાજકીય વિષયોમાં અપ્રતિહત કરશે. એમની પ્રજા શરીરે અને બુદ્ધિમાં સુંદર અને સમર્થ થશે. તેમનાં દૃષ્ટાંત પ્રત્યક્ષ કરનાર સંસારીઓની સંખ્યા વધતી જશે તેમ તેમ આપણા સર્વ લોક એવી પ્રજાના ફાલને આ દેશની વાડીઓમાં ને ક્ષેત્રમાં પોષતા જશે. સ્વતંત્રતાથી, સ્વાસ્થ્યથી, અતિથિઓના સમાગમથી, આપણા આશ્રમીઓ સાધુતાને પામશે અનેઆ સ્થાનની સાધુતાના દીવાઓ આર્ય સંસારમાં, અંગ્રેજોમાં અને આ દેશના અન્ય વર્ણોમાં પોતાની જ્યોત પ્રકકટશે ! અને સાધુતાની એ સર્વવ્યાપિની હુતાશનીની આસપાસ નવા પ્રકાશ, નવા આનંદ અને નવા મેળા એકરંગે જામશે. આપણા લોક અશ્વત્થામાએ ગૂંથેલી અનેક ધર્મની જાળમાં ગૂંચવાયા છે તે ‘સંપ’ અને ‘ઐક્ય’ અને ‘દેશાભિમાન’ અને ‘જાત્યભિમાન’ અને ‘સુધારા’ના નામની માયાથી લોભાઈ અનેક વિગ્રહમાં પડે છે. પણ એ સર્વ માયાની કમાનો અહંતા અને મમતાની શક્તિથી બંધાઈ છે. મનુષ્યો પોતપોતાનાં સંસ્કાર અને સામર્થ્ય સાથે આણી અવતરે છે તે જાણ્યાથી તેમને પરિપાક આપવામાં સુલભતા આવે છે. તેમજ આપણી જાતિએ અને આપણા દેશે આપણામાં અનેક યુગથી, અનેક પેઢીઓથી અને અનેક માર્ગોથી, જે શક્તિઓ અને સંસ્કાર આપણામાં ભર્યા છે અથવા આપણા હસ્તગ્રાહ્ય કર્યા છે તે શક્તિઓને અને સંસ્કારોને શોધી કાઢી તેના કલ્યાણ અંશને પરિપાક આપવામાં આ કમાનોને ચલાવવી એ કાર્ય મંગળ છે; પણ તે ઉપરાંત બીજી રીતે પોતાની કે પારકી, જાતની કે દેશની સર્વ અહંતા અને મમતાનો ત્યાગ કર્યાથી જ સાધુતાનો સનાતન ધર્મ ઉદય પામે છે અને એ ધર્મમાં સાધુતા વિનાની બીજી અહંતા મમતા નથી માટે જ ત્યાં સંપ અને જંપનો દૃઢ અનુભવ થાય છે. આપણે સળગાવવાની હુતાશનીમાં અહંતા અને મમતા કાષ્ઠ પેઠે બળી જશે અને તેમાંથી સાધુતાનો પ્રકાશ થશે, સંપનો મેળો થશે અને જંપની તાણી થશે. અર્જુનના વાયુરથને વળગેલાં સત્ત્વોએ આપણને કહ્યું અને ચિરંજીવોએ પણ સ્પષ્ટ કહ્યું કે ધર્મના અવતાર વિના ભીન કે અર્જુન કે નકુળ, સહદેવની આશા વ્યર્થ છે તેનું રહસ્ય આવું છે. સનાતન ધર્મ વિના, સંપનો તો માત્ર બક-જપ છે, અને સંપનો જપ તો મૃગજળ જેવો છે. આપણા કલ્યાણગ્રામના એ મૃગજળને સ્થાને અમૃત જળ ભરેલી ગંગાને આપણે ભગીરથ પેઠે ઉતારીશું.

કુમુદસુંદરી ! આપણા કલ્યાણગ્રામમાં સિદ્ધ-સંસ્કારિણી થયેલી સ્ત્રીઓ પણ જાતે સ્વતંત્ર સમર્થ સ્વસ્થ ધર્મિષ્ઠ વિદુષીઓ થઈ સંસારમાં પરિવ્રજ્યા કરશે અને ગામેગામ, ઘેરઘેર ભિક્ષા માગ્યા વિના, સ્ત્રીજાતિનો ઉત્કર્ષ-બોધથી, રસથી અને પોતાનાં દૃષ્ટાંતથી કરશે. આ ગ્રામમાં દંપતીઓ અને બ્રહ્મચારીઓ પણ આવી જ પરિવ્રજ્યાઓને કાળે પાંડવોના વિજયધ્વજ આર્યલોકમાં દર્શાવશે અને કેળના થાંભલાઓ પેઠે ઘેર ઘેર એ ધ્વજને રોપશે ને પાંચાલીને પતિસમાગમ આપી એનાં સર્વ અંગને અને આત્માને આરોગ્ય, સ્વસ્થતા, શક્તિ, સુંદરતા અને કલ્યાણભોગ આપશે. લોક એમ માને છે કે સ્ત્રીઓને અને રાજ્યને શો સંબંધ છે. પણ સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, ને પ્રજા વિના રાજ્ય નથી, સ્ત્રીની સુસ્થિતિ વિના રાજાઓનાં મંદિરો મોડાંવહેલાં ભ્રષ્ટ થાય છે; સ્ત્રીના ઉત્કર્ષ વિનાનાં પ્રજાનાં ગૃહોમાં કલેશ અને ચિંતા જાળાં બાંધે છે; અને અસ્વસ્થ ગૃહનો સ્વામી ગૃહ બહાર ગૃહની ચિંતાઓથી ગ્રસ્ત રહી ફરે છે ને બહારની ચિંતાઓમાંથી, શ્રાંતિઓમાંથી, કે મનના ગૂંચવડાઓમાં મુક્ત થવા અજ્ઞગૃહિણીના ધર્મસહચારની આશા રાખી શકતા નથી. મહારાજ્યોના ઇતિહાસના મર્મ શોધતી સ્ત્રીદૂષક પુરુષવિદ્વાનો કહે છે કે રાજ્યોનાં મોટાં યુદ્ધો સ્ત્રીને લીધે થયાં છે ને સ્ત્રીસ્તોત્રપાઠકો કહે છે કે સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે. સાધુજનો સ્ત્રીની નિંદા કે સ્તુતિ કરતા નથી, પણ પુરુષ અને સ્ત્રી ઉભયને અધ્યાત્મદૃષ્ટિથી જોઈ ઉભયનાં અલખ જગાવે છે. સ્ત્રીદૂષક વિદ્વાનો પણ તેમ કરતા હોત તો એક આંખે જોયાથી માલૂમ પડેલા દોષનો પ્રતિકાર સાધુજનોની પેઠે જ કરત, અને સ્ત્રીસ્તોત્રપાઠકો આ પૌરુષદંભી પુરુષોની ઈર્ષાના પાત્ર પણ ન થાત અને સ્ત્રીજાતિ અને પુરુષજાતિ વચ્ચેના કલહમાં નવાં ઇંધન નાખવાના દોષમાંથી ઊગરત. સાધુજનોના ધર્મ આ વિષયમાં પણ સંપ અને જંપ ઉભયનું પોષણ કરે છે તે પોષણનું વૃક્ષ આપણા કલ્યાણગ્રામના આશ્રમોમાં ઊગવા માંડશે.

અહંતા મમતા વિનાનું આર્યલોકનું સર્વ પ્રકારનું બંધત્વ આપણી આ આર્યભૂમિમાં સર્વ સંસારમાં રેલાશે - અનુ કુમુદ ! મારા દ્રવ્યસંચય અને આપણી અદ્વૈત વાસનાઓ આ મહાન સમારંભના પાયાને ચણશે - એ પાયામાં ઇંટો અને વજ્રલેપનું કર્મ કરશે. રખેને આ દાનશક્તિમાં ન્યૂનતા આવે, રખેને સ્થૂળ સમાગમથી આપણને કોઈ જાતની સંતતિ થાય અને પુત્રયજ્ઞના ધર્મબંધનથી આ લોકયજ્ઞમાં અર્પવાની સામગ્રીમાંથી કંઈ પણ અંશ પુત્રાદિકને માટે રાખવો પડે ! રખેને લોકોને અર્પવાનાં આપણાં આયુષ્યનો કોઈ પણ અંશ આપણા સ્થૂળધર્મમાં રોકવો પડે ! રખેને આપણી પૂર્ણાહુતિમાં કંઈ પણ સંકોચ રાખવો પડે એ - ભીતિથી આપણાં સૂક્ષ્મ જીવનનું આપણે સૂક્ષ્મ અદ્વૈત રચ્યું છે તેમાં સ્થૂળ અદ્વૈત નહીં ઉમેરીએ ! પ્રિયતમા ! સૂક્ષ્મ હૃદયની પ્રિયતમા ! તારું હૃદય મારા હૃદયમાં આ રીતે પ્રાપ્ત થયું છે કે નહીં તે કહી દે કે આપણે હરિ, કુંતી અને પાંડવો જેવા પાંચાલીના સપ્તાચલનું પૂજન કરવા નીકળીએ અને આપણું સૂક્ષ્મ લગ્ન સંપૂર્ણ થાય ! આપણાં આયુષ્યના એ સપ્તાચળની યાત્રામાં હું તને પગલે પગલે મારા સામી અચલ ઊભી દેખું છું ! હું પણ તારી સામે એવે જ પગલે ઊભો છું. મારી પાછળ પગલે પગલે તું આવે છે અને હું તારી પાછળ પગલે પગલે સ્થિર પગલે આવુું છું ! આપણાં પગલાં સાથે સાથે ઊપડે છે ! હું તને પગલે પગલે સાથે લઉં છું ને તું આવે છે. તું તેજરૂપ છે ને મારા હૃદયરૂપ તેજને તું પ્રાપ્ત થાય છે. પ્રિયતમા ! આયુષ્યની સહચારિણી ! આપણો શુદ્ધ સંપૂર્ણ વિવાહ થયો. આપણે તેજરૂપ થઈ વરી ચૂક્યાં !’

આ ઉચ્ચાર કરતો કરતો સરસ્વતીચંદ્ર બંધ પડ્યો ત્યાં એની આંખ અર્ધી મીંચાઈ ને અર્ધી ઉઘાડી રહી તે માત્ર કુમુદના હૃદયભાગને જોઈ રહી. એ વાણીરૂપ મટી દૃષ્ટિરૂપ થયો; જડરૂપ મટી તેજરૂપ ગયો. કુમુદની પણ એ જ અવસ્થા થઈ. સૌમનસ્યગુફાના ઉપલા માળના ઓટલાને એક છેડે બેઠેલા સરસ્વતીચંદ્રને બીજે છેડે બેઠેલી કુમુદની વચ્ચે, પૂર્ણિમાની મધ્યરાત્રિના પૂર્ણચંદ્રની ચંદ્રિકા અને મધુર પવનલહરી વિના કાંઈ પણ પદાર્થ અંતરાયરૂપ રહ્યો નહીં અને સંસારમાત્ર એ ઓટલા નીચેના અંધકારમાં ભળી જઈ સંતાઈ ગયો.

કોઈ પણ સત્ત્વ બોલતું ન હતું, દેખાતું ન હતું અને હૃદય હૃદયમાં સૂક્ષ્મરૂપે ભળી ગયું હતું એવે આ પ્રસંગે તે એક થયેલાં હૃદયોમાં માત્ર એક જ ધ્વનિ આકાશવાણીરૂપે જતો હતો.

‘પુત્ર-વધૂ ! હું પાંચાલી તમારા યોગથી જાગૃત થઈ બોલું છું તે તમારા હૃદયમાં ઊતરે. હું સર્વ ભારતવર્ષની શક્તિ છું, ભારતવર્ષની માતા છું ! મારાં બાળક જેને પોતાના રાજાઓ અને મહારાજાઓ કહે છે - તે માત્ર મારાં સ્વપ્નોમાંના પક્ષી છે ! જે લોક મારી ચતુર્દિશામાંથી આવી મને અડકે છે ને મારા બાળકનું મંથન કરવા પ્રયત્ન કરે છે, જે લોક દેશપરદેશમાંથી આવી મારા શરીર ઉપર સામ્રાજ્ય કરવાની વાસના રાખે છે, તે સર્વને મારાં બાળકનું રૂપ આપી મોડીવહેલી મારા સ્વામીની પર્ણકુટીમાં ઘોડિયામાં નાંખી હિંડોળા ખવડાવું છું. આત્રેયી અનસૂયા દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને બતાવેલો ચમત્કાર મારા શરીરની વાસના રાખનાર સર્વ માનવીઓને, આજ સુધી મેં બતાવ્યો છે ને બતાવીશ! મારા શુદ્ધ પતિ તો માત્ર પેલા પાંચ અમરવૃક્ષ પાંડવો ને તેનો ત્રાતા તે સર્વલોકનો ત્રાતા જનાર્દન છે ! સુગ્રીવલોકના દેશમાંના મૂર્ખ દુર્યોધન ગમે તે બોલતા કરતા હશે, પણ એ કપિલોક તો માત્ર મારા સ્વામીના રણરથ ઉપરના ધ્વજવાહક છે ! મારી કૂખમાં જન્મેલાં સૂક્ષ્મ શક્તિવાળાં મારાં બાળકો ! તમે આ દુર્યોધનને તેનું કર્તવ્ય શીખવતાં ડરશો નહીં ! તેની જાતિચેષ્ટા જોઈ શકળાશો નહીં, પણ તેની સાથે સ્વતંત્રતાથી, ચતુરતાથી, શક્તિથી, અને સાધુતાથી વર્તી તેનામાં સુબુદ્ધિનો ઉદય કરજો ! તે લોકનો હનુમાન મારા તમારા છત્રરૂપ ભીમસેનનો ભાઈ છે ને એની વાણીમાં બળ મૂકે છે. મારા ચક્રવર્તી પતિ અર્જુનના રથ ઉપર કીર્તિધ્વજરૂપ ાથય છે ને તેના શત્રુઓનો ધ્વંસ કરે છે! અનસૂયા દેવી જેવી મારી દેહલતામાંથી એ કપિને હું સ્તન્યપાન આપું છું તો અશ્વત્થામાને પણ આપું છું ! તો મારે માથે કોઈ મનુષ્ય રાજા કે મહારાજા નથી ને મારા શુદ્ધ સ્વરૂપના પતિ થવા ચારે યુગમાં ને ચોખૂંટ પૃથ્વીમાં કોઈ મનુષ્યની કે પ્રજાની શક્તિ નથી. કાળ જે સર્વનો નાશ કરે છે ને સ્થૂળ શક્તિવાળા રાજાઓને અને મહારાજાઓને ટૂંકા સ્વપ્ન દેખાડે છે તેણે મારે માથે અમરવૃક્ષ જેવા અમરપતિ મૂકેલા છે તેની જ આણમાં રહજો ! તેને જ શોધજો ! તેને જ માટે તપ તપજો ! ચિરંજીવોમાં ચિરંજીવ ભગવાન જગતત્રાત્રા મારા મહાપરાક્રમી પતિઓનો પાલવ છે તેનું જ દાસત્વ કરજો ! તમે સ્થૂળ સૃષ્ટિને માનશો મા. તેમ સ્થૂળ સૃષ્ટિની અવગણના કરશો મા. સ્થૂળ દેશને સમર્થ કરી તમારાં સૂક્ષ્મ સ્વરૂપને સાચવશો તો તેને દાસત્વ કે બન્ધન કાંઈ થવાનું નથી !

સ્થૂળરૂપે સર્વ આર્યોનું અને અનાર્યોનું બંધુત્વ સ્વીકારજો. તમે મારે પેટ જન્મ લીધો છે તો પૂર્વકાળના યવનો અને શકલોક તેમ આ કાળના મુસલમાનો અને અંગ્રેજો - એ સર્વેને મેં મારા ઘરના પારણામાં બાળક કરી તમારાં ભાઈબહેન કરી હિંદોળ્યાં છે અને હિંદોળવા માંડ્યાં છે તેમની સાથે નિષ્ફળ કોલાહલ અને કલેશ કરશો મા. તમારી સર્વ આશાઓને પરિપાક આપી સફળ કરે એવો મેં તમને સાથ આપ્યો છે તેમાંથી છૂટા પડશો મા. તમારી સૂક્ષ્મ સાધુ શક્તિઓ તમારા સાથીઓને અને અન્ય સંસારને સિદ્ધ કરી આપો! તમારી સ્થૂળ શક્તિઓને વધારજો પણ વધતાં વધતાં પરબળથી કે દૈવબળથી હીન થાય કે ધ્વસ્ત થાય તો પણ ચંદન જેવા તમારા સૂક્ષ્મ સમર્થ સુગંધને ત્યજશો મા ને હૃદયને નિર્બળ કરશો મા ! ધર્મક્ષેત્રની ભૂમિમાં વસનારાં બાળક ! મોક્ષમાર્ગને પ્રત્યક્ષ કરનારા મહાત્માઓ ! તમારી ભૂમિને માથે દુઃખની વૃષ્ટિ થાય તો બ્હીશો મા ! દુષ્ટ પ્રાણીઓની ગર્જનાઓથી કંપશો મા ! અનન્ય સૂક્ષ્મ શક્તિનાં અને સમૃદ્ધિનાં દાયાદો ! મારા સ્વામીઓની છાયામાં ચાલશો અને આપણા ચિરંજીવોની ધર્મસંભાવના કરશો તો તમારે માટે અમર શાન્તિ છે ! - એ શાંતિ તમારે માટે જ છે. તમારા ઋષીઓની તે અમરપુત્રી કુંવરી રહી તમારું જ ભગિનીકૃત્ય કરે છે ને કરશે ! તમારાં હૃદય અને બુદ્ધિ સ્વતંત્ર છે તે સ્વતંત્ર રાખજો ! તમારો સાથ એ સ્વતંત્રતાનો પોષક છે. સૂક્ષ્મ મનુષ્યત્વવાળા તમ આર્યોને બીજું શું જોઈએ ? આ ભૂમિનાં અમરવૃક્ષ થોડો કાળ દૈવદુષ્કાળથી ફાલતાં બંધ થયાં છતાં આર્યોનાં હૃદયોમાં તે વૃક્ષોનાં સૂક્ષ્મ થડ મૂળ સહિત અમર છે ને તેનું સેવન કરશો તો તમને કોની ભીતિ છે ? એ પરદેશનાં કે આ દેશનાં સૂક્ષ્મ સત્ત્વો એ અમર વૃક્ષોના સ્થૂળ ભાગને કાપશે તેમ તેમ તેનાં સૂક્ષ્મ અમર મૂળ કાપ્યાં વધશે !’

આ વાણી બંધ થઈ અને બોલનારી દૂર જતી રહેતી લાગી, પણ તેની પાછળ તેના મુખનું ગાયન લંબાતું સંભળાયાં કર્યું :

‘અંધકારનો સમો પ્રબળ ! આ દશા થઈ મારી !

સુંદર, કોમળ, સબળ બધી મુજ સંતતિ કરમાઈ !

શું કરું ? શું કરું ? નવ ચાલે કંઈ ! પ્રહર બહુ વીત્યા !

પ્રહર બહુ મુજ સુંદરતાએ તિમિરતણા ઝીલ્યા !

તોય હરિનો હાથ અમારે ! અંધકારમાં જીવું !

પોષણ પામું ! રહું સુવાસિત ! અંતર્બળ ના મૂકું !

દઉ-પામું-આનંદ વિજનમાં; ભલે લોક ના દેખે !

અંધકારની મધ્ય અંક મુજ બાળ-સમૃદ્ધિ બહેકે.

મન્વંતર ભર, અંધકાર, તું ભલે રહે ઊભો !

છવાય તેટલું છાય ભલે તું ! ભલે જ તું ખીજો.

અંધકાર ! તુંજને હંફાવું વર્તમાનમાં આજે !

મન્વંતર પળસમા ગણું, પળ પળમાં પૂરી થાશે !

પ્રભાત પળમાં થયું દેખાડું ! ઉષા પણે આવે !

અંધકાર ! તુજને હંફાવી ધકેલી કાઢે.

જાત મુજ, મુજ પ્રજા સુકોમળ, હતી હતી તેવી થાશે.

અંધકારને હંફાવી, જય ભવિષ્યનો ગાશે.’