Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨ : ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા

નિન્દન્તુ નીતિનિપુણા યદિ વા સ્તુવન્તુ

લષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ્‌ ।

અદ્યૈવ વા મરણમસ્તુ યુગાન્તરે વા

ન્યાય્યાત્પથઃ પ્રવિચલન્તિ પદં ન ધીરાઃ ।।

- ભર્તૃહરિ

હ્લૈટ્ઠં ત્નેજૈંંટ્ઠ િેટ્ઠં ષ્ઠટ્ઠીઙ્મીદ્બ ! (ત્નેજૈંષ્ઠી જરટ્ઠઙ્મઙ્મ હ્વી ર્ઙ્ઘહી ંર્રેખ્તર ંરી રીટ્ઠદૃીહજ કટ્ઠઙ્મઙ્મ !) - છ સ્ટ્ઠટૈદ્બર્ ક ન્ટ્ઠુ

‘એ તો જ્ઞાન મને ગમતું નથી ! ઋષિરાયજી રે’

- પ્રેમાનંદ : સુદામચરિત

ચંદ્રકાંતને મળનાર સાધુજન પાછો ચંદ્રકાંતને મળ્યો ને તેમના સંકેત પ્રમાણે તે ગયો ને તે વાતમાં પોતાને જિજ્ઞાસા ન હોય એવું પોલીસના ઉપરી સરદારસિંહે દર્શાવ્યું. ચંદ્રકાંત, ચાર પાસનો દેશ જોવા જાય છે એવું પ્રસિદ્ધ કરી; પાછલે પહોરે નીકળી વિદ્યાચતુરની એક ગાડીમાં ગયો, અને તેને સુંદરગિરિની પૂર્વ તળેટીમાં એક થાણામાં રાખી એક માંચીમાં બેસી ઉપર ચડવાનું હતું ત્યાં આગળ રસ્તામાં પોતાની સાથે સંકેત કરનાર સાધુએ એની જોડે મળવાનો સંકેત કર્યો.

જે સાંજે ચંદ્રકાંત રત્નનગરીથી નીકળ્યો તે પછીને પ્રાતઃકાળે થોડી વાર પછી વિદ્યાચતુરે પોતાના ભવનમાં પોતાના ખંડમાં ગુણસુંદરીને બોલાવી. આરામખુરશી ઉપર તે પડ્યો ને સામે ખુરશી પર ચિંતાતુર ગુણસુંદરી બેઠી.

‘ગુણિયલ ! સરસ્વતીચંદ્રસો એ નવાણું વસા વિદ્યામાન છે. પણ તે સાધુ થયા છે ને વિષ્ણુદાસ બાવાના મઠમાં છે. હવે આપણે તેમની આશા રાખવી વ્યર્થ છે.’

ગુણસુંદરી - ‘મા વિનાના એ બાળકને પાછા સંસારમાં આણવાને મા જોઈએ. એમના દુઃખથી હદ વળી ! હું કુમુદનું દુઃખ ભૂલવા જાઉં છું ત્યાં કુસુમનું દુઃખ ઊભું થાય છે ને તે ભૂલું છું ત્યાં સરસ્વતીચંદ્રનું દુઃખ કાળજું વીંધી નાંખે છે. આપ આજ્ઞા આપો તો બાવાજીના મઠમાં જઈશ ને મારું મોં બાવાજી કે એ બેમાંથી કોઈ નહીં તરછોડે.’

વિદ્યાચતુર - ‘કુસુમનો લોભ તને ભુલાવતો નથી ?’

ગુણસુંદરી - ‘તે ભૂલવતો હશે તો ભુલાવવા દ્યો. જે વાતમાં કાંઈ હાનિ નથી ને લાભ કોઈ પણ અંશે થાય એમ હોય તો તે કામ કરવું જ. મારું હૈયું એમ કહે છે કે મારાં આંસુ એ જોઈ નહીં રહે.’

વિદ્યાચતુર - ‘પણ તેમને ઘેર આણી તું શું કરવાની હતી ? તેમને ત્યાં જ સુખ હશે ત્યારે ?’

ગુણસુંદરી - ‘આપ શું બોલો છો તેની મને કંઈ સમજણ પડતી નથી.’

વિદ્યાચતુર - ‘હું તને કંઈ વિચિત્ર સમાચાર કહું, પણ તે તું કેવી રીતે સાંભળી શકીશ તે મારાથી સમજાતું નથી ત્યાં સુધી મારું બોલ્યું તારાથી સમજાવાનું નથી.’

ગુણસુંદરી - ‘મને જે હોય તે કહી દ્યો. આટલાથી ન ફૂટેલા કાળજાને હવે ઘાયે વાગવાના નથી.’

વિદ્યાચતુર - ‘મારી જીભ ઊપડતી નથી.’

ગુણસુંદરી - ‘હા ! આ પણ એક નવો અનુભવ કે મારી સાથે આપ ભેદભાવ રાખો છો. આ ભેદભાવ મારા કાળજાને જેટલું વલોવે છે તેટલું આપે કહેવાના સમાચારથી નહીં વલોવાય. સ્ત્રીજાતિ અબળા છે - સ્વામીની પ્રતિ છતાં પણ અનાથ છે - તે હું આજ સમજી.’

વિદ્યાચતુર - ‘કુમદ જીવતી છે -’

‘હેં ! - ગુણસુંદરીએ મલકાઈને ઉદ્‌ગાર કર્યો.

વિદ્યાચતુર - ‘ઘણું કરીને છે - ને સરસ્વતીચંદ્રની પાસે જ તે છે.’

ગુણસુંદરીનું મોં લેવાઈ ગયું. તેણે ઉત્તર ન દીધો. નીચું જોઈ રહી ને નેત્રમાંથી આંસુનાં મોટાં બિન્દુ ટપકવા લાગ્યાં.

વિદ્યાચતુર - ‘તને આ સમાચારથી શું થશે તે હું જાણતો હતો માટે જ અચકાતો હતો. હવે તારા હૃદયમાં સરસ્વતીચંદ્રનો કેટલો લોભ છે ને કુસુમનું શું કરવું છે તે કહે.

ગુણસુંદરીના આંસુ ઊડી ગયાં દેખાયાં ને સાટે તેમાં ક્રોધની રતાશ દેખાઈ ને એ રતાશ ઉપર ક્રોધનાં નવાં આંસુ લોહીની તસરોવાળાં દેખાયાં.

‘હું જાઉં છું ! હવે મારે કાંઈ કહેવાનું નથી. આપને ઠીક લાગે તે કરો ને જેને જે ગમે તે કરે. કુમુદની સુવાવડમાંથી હું ઊઠી એ જ ખોટું થયું, હવે જીવવાં સાં ને જોવાં સાં ? હું જાઉં છું. એ દીકરીને તમે બાપ. હું છૂટી ને છૂટીશ.’

ગુણસુંદરી ઊઠી અને દ્વાર ભણી ક્રોધના વેગથી ચાલી. વિદ્યાચતુર તેવા જ વેગથી એની પાછળ ચાલ્યો ને એને બાથમાં લઈ એક ટેબલ પર બેસાડવા લાગ્યો.

‘ગુણિયલ ! ક્રોધનો કાળ નથી. આ વાતમાં તું જ શાંત થઈ મને આશ્રય અને અભિપ્રાય નહીં આપે તો કોની પાસે, હું આ વાત કરીશ ? આપણી પ્રતિષ્ઠા અને આપણો ધર્મ અને આપણે પેટે જન્મેલાં બાળક ! - તેની વ્યવસ્થામાં શું તારા ધર્મસહચારનો લાભ મને નહીં મળે ?’

ગુણસુંદરી - ‘હવે તે શું કરવાનું હતું ? પ્રતિષ્ઠા પાણીમાંપડી ધર્મ ધોવાઈ ગયો, ને આપણી અપ્રતિષ્ઠા જોવામાં સહચાર જ છે સ્તો ! હવે આપ પ્રધાનપદ છોડી દ્યો ને બે જણ કાશીવસ કરી આ સંસાર આગળથી મોઢું સંતાડી ચાલ્યાં જઈએ.’

વિદ્યાચતુર - ‘આપણી કલ્પના મિથ્યા કેમ ન નીવડે ? વિષ્ણુદાસબાવાની છાયામાં કદી અધર્મ કે અનાચાર થયો નથી. ને જીવતી નીકળેલી કુમુદને સરસ્વતીચંદ્રે કેવળ ધર્મનો આશ્રય આપ્યો હોય તો તેમાં કંઈ અશક્ય છે ?’

ગુણસુંદરી કંઈ નરમ પડી. ‘એમ પણ હોય. પણ જગત કેમ માનશે ?’

વિદ્યાચતુર - ‘આપણે માનીશું તો જગત પાસે પણ મનાવીશું.’

ગુણસુંદરી - ‘આપણે માનવાનો કાળ પણ આવે ત્યારે આવે.’

વિદ્યાચતુર - ‘જો આપણાં હૃદય વિશુદ્ધ જ છે ને આપણો સ્નેહ સત્ય જ છે તો આપણી કુમુદનું હૃદય અન્ય સંસ્કારોથી ભરાવાનો સંભવ બહુ જ ઓછો છે.’

ગુણસુંદરી - ‘આપણાં જે હૃદયે વિશુદ્ધિને પોષી છે તે જ હૃદયે દૃઢ સ્નેહને પણ પોષેલો છે. કુમુદના હૃદયમાં આપણે જ આપણા જેવો સ્નેહ અતિઉત્સાહથી સફળ થઈ ભરેોલ તેને ત્યાંથી સરવાને અને નિષ્ફળ કરવાને પ્રમાદધન જેવાની શક્તિ ક્યાંથી હોય?’

વિદ્યાચતુર - ‘એ પણ સત્ય છે.’ ‘નવીનચંદ્ર’ નામના બુદ્ધિધનભાઈના અતિથિની વાતો સાંભળી છે તે સારી કલ્પના સાથે મળતી આવે છે.’

ગુણસુંદરી - ‘લોક કહે છે તે ખરું યે હોય ને મોટું યે હોય. પ્રમાદધનની પોતાની કટેવોએ આ રાંક જાતને માથે અપવાદ આણ્યો હોય તો સંસારને જરી જરીમાં આવી વાતો સાચી માનવાની ટેવ ક્યાં નથી ? સૌભાગ્યદેવીએ આ વાત સાચી માની નથી ને નવીનચંદ્રને કોઈએ હીન વચન કહ્યું નથી. છતાં અપવાદ સાંભળી તેમને સુવર્ણપુર છોડ્યું. પણ જો અપવાદ સાચો હોય તો અપવાદને પણ ગાંઠે નહીં ને સુવર્ણપુરને પણ છોડે નહીં. રાતદિવસ ઘરમાં રહેનારાં સતી સૌભાગ્યદેવીથી એ વાત છાની રહે નહીં ને તેમણે જાણી હોય તો કુમુદને માટે કલ્પાંત કરવામાં જ દેહને પાડે નહીં. બુદ્ધિધનભાઈને ઘેર કુમુદનાં પગલાં દૂધ ધોવાયાં છે. એણે આ અપવાદ ન સહેવાતં જ જળશાયી કરી હોય તે સંભવે છે. માત્ર વહેમ એટલો રહે છે કે આપ કહો છો તેમ તે જીવતી હોય તો સરસ્વતીચંદ્રને સમજાવીને આપણે ઘેર લાવ્યા વિના અને જાતે પાછી આવ્યા વિના રહે નહીં.’

વિદ્યાચતુર - ‘તેમ કરી શકવા જેટલો સંપૂર્ણ અવકાશ તેને ન મળ્યો હોય.’ ગુણસુંદરી - ‘તેમ કરવામાં ખોટો અપવાદ ખરો કરવાની બીક એને લાગતી હોય.’

વિદ્યાચતુર - ‘હોય.’

ગુણસુંદરી - ‘આપ આજ્ઞા આપો તો હું જ સુંદરગિરિ ઉપર જાઉં.’

વિદ્યાચતુર - ‘શા નિમિત્તે તું ત્યાં જઈશ ?’

ગુણસુંદરી - ‘કુસુમને એ સ્થાનોમાં મોકલવાનું કહેલું છે તેને સાથે લઈ હું અને સુંદરભાભી જઈએ.’

વિદ્યાચતુર - ‘પણ લોકાપવાદ ખરો હશે તો ?’

ગુણસુંદરી - ‘ખરો હશે તો આપણું ભાગ્ય ફૂટ્યું ને મારી અક્કલને આગળા દેવાયા સમજ્જો.’

વિદ્યાચતુર - ‘તને કંઈક યથાશક્તિ વિદ્યા આપી છે તેમાંથી આથી વિશેષ ફળની આશા રાખું છું.’

ગુણસુંદરી - ‘આપે તો ઘણી આપી પણ મારી અબુદ્ધિમાં તે સમાઈ નથી.’

વિદ્યાચતુર - ‘તારી બુદ્ધિ ભવ્ય છે. માત્ર તે દુઃખના આવરણથી ચંપાઈ ગઈ છે.’

ગુણસુંદરી - ‘એમ હો. તોપણ તે આપને તો કામ લાગે એવી નથી.’

વિદ્યાચતુર - ‘તરવાર યુદ્ધમાં કામ લાગે ને તારા જેવીની વિદ્યા અને બુદ્ધિ આવે કાળે કામ લાગે. ગુણિયલ ! જે કાર્યથી મારે મણિરાજ મહારાજનું પ્રધાનપદ છોડવાનો વારો આવે છે તે કાર્યના વિચારમાં - પ્રધાનપદ છોડી માત્ર સામાન્ય મનુષ્ય થઈ તારા આશ્રય ઉપર જ આધાર રાખવાનો કાળ આવે છે તેવા પ્રસંગમાં - મારી ગુણિયલની બુદ્ધિ અને વિદ્યા મને કામમાં નહીં લાગે ત્યારે વિદ્યાચતુરનું પોતાનું માણસ બીજું કોઈ રહ્યું નહીં.’

ગુણસુંદરી - ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. મહાકાર્યમાં આપે સ્ત્રીની બુદ્ધિએ ચાલવું ઘટતું નથી.’

વિદ્યાચતુર - ‘લોક તેમ માને છે. પણ આપણાં હૃદય જુદી બુદ્ધિથી સંધાયાં છે તેને તોડવાને શું મારી ગુણિયલનું કાળજું કહ્યું કરે એમ છે ? ગુણિયલ ! મારા કુટુંબમાં જ્યારે અનેકધા કલેશ અને દુઃખ હતાં ને મારી પેટીમાં જ્યારે પાઈની છત ન હતી ત્યારે ગુણિયલની ઉદાર બુદ્ધિએ મારી અને મારા કુટુંબની સંભાળ લીધી છે ને મને આ મહાન પદને પહોંચવાને સમર્થ કર્યા છે ! તે દિવસ તું મારી હતી ને હું તારો હતો. આજ શું તે સંબંધ મટી ગયો ? ને તું મારી હવે નહીં ?’

ગુણસુંદરી વિદ્યાચતુરને ખભે માથું મૂકી રોઈ પડી ને રોતી રોતી કહેવા લાગીઃ

‘પ્રાણનાથ ! ક્ષમા કરો ! હું કૃતધ્ન થઈને આપનો મહાન અપરાધ કર્યો. દુઃખે મારી બુદ્ધિને ડહોળી નાખી ને આપે હવે તેને નિર્મળ કરી. આપ બોલો તે સાંભળવા ને શૂદ્ર બુદ્ધિથી જે બનશે તે કરવા હું સજ્જ છું. હું સત્ય કહું છુું કે - કુમુદ, કુસુમ ને સંસાર એ સર્વને તુચ્છ ગણી હું આપનામાં જ ચિત્ત પરોવીશ. આપને શાને પ્રધાનપદ છોડવા કાળ આવે છે ?’ માથું ઊંચું કરી ગુણસુંદરી સામી બેઠી.

વિદ્યાચતુર - ‘તું સજ્જ છે તો મારા હૃદયના સર્વ પડદા દૂર કરી વાત કરું છું તે સાંભળી લે. કુમુદનો અપવાદ અસત્ય હશે તો તો કાંઈ દુઃખ છે જ નહીં - મારી શ્રદ્ધા છે કે તું, સુંદર અને ચંદ્રકાંત મળી સરસ્વતીચંદ્રને પલાળી શકશો ને કુસુમનું ભાગ્ય ઊઘડશે. ફ્લોરા ને કમલારાણીજી પાસે આશ્રય શોધીશું. તે નહીં ફાવે તો કુમુદની ઇચ્છાથી અવળી ચાલે એટલું કુસુમના હૃદયનું ગજું નથી. પણ લોકનો અપવાદ ખરો હોય તો મેં ઘણા સૂક્ષ્મ વિચાર કરી મારા ધર્મને માર્ગે પ્રવર્તવા નિશ્ચય કર્યો છે. સરસ્વતીચંદ્ર ઉપરથી કુમુદનું હૃદય દૂર થઈ શક્યું ન હોય તો દોષ કોનો ? સર્વથા આપણો. આપણા દોષનું ફળ ચાખતાં આપણે ડરવું ન જોઈએ. આપણા દોષના વિષફળ બીજાને ચાખવાં ન પડે એવું કરવું એ આપણો ધર્મ છે. અન્ય સંસારથી કંટાળી આત્મહત્યા કરવા જતા જીવતી રહેલી કુમુદ પોતાની વિધવાવસ્થામાં સરસ્વતીચંદ્રના આશ્રયથી જ સુખી થવા ઇચ્છતી હોય તો તેમાં વિઘ્ન નાખવું નહીં પણ સાહાય્ય આપવું એ આપણો ધર્મ છે એવું હું માનું છું, અને સર્વ સુધરેલા દેશો તો એને કેવળ ધર્મ નહીં પણ માતાપિતાની ખરી પ્રીતિની કસોટી માને છે - તે તારાથી ક્યાં અજાણ્યું છે ? કુમુદના દુઃખી જીવનને માટે સુખનો જો એ જ માર્ગ હશે તો આપણે તે લેવો

- ગુણિયલે તે આપવામાં મારી સાથે ભળવું - એ હું ઇચ્છું છું. મેં તો વિદ્યા આપવા પ્રયત્ન કરેલો છે તે આવા ધર્મના બોધને માટે.

હું જાણું છું કે આ કાર્યમાં અપકીર્તિ છે, આપણા લોકનું બીજી રીતે કલ્યાણ કરવાને આપણે આ કાર્યને લીધે અશક્ત થઈશું, અને આ કાર્ય કરી મહારાજના પ્રધાનપદમાં રહેવું તે મહારાજને ગૂંચવાડામાં નાખવા જેવું છે. એમની પ્રજા આ કાર્યનું અભિનંદન નહીં કરે અને મને ભ્રષ્ટ ગણશે. પ્રજા જેને ભ્રષ્ટ ગણે એવા મનુષ્યને અધિકારથી દૂર કરવો એ મહારાજનો ધર્મ છે. એ ધર્મનો મહારાજને બોધ કરવો એ મારો ધૃમ છે. એ ધર્મ હું પાળીશ ને કુમુદને સુખી કરવાનો આવો ધર્મ પ્રાપ્ત થશે તો પ્રધાનપદનો ત્યાગ પરમ સંતોષથી કરીશ - તે પછી હું અને તું બે જણનો જ સહવાસ રહ્યો તે સહવાસનો તું મને અધિકારી ગણીશ તો !

એ પ્રસંગ આવશે તો કુસુમનો અભિલાષ પણ હું પૂર્ણ કરીશ. એની ઇચ્છા હશે તો મોહનીમૈયાના પરિવ્રાજિકા મઠમાં યોગ્ય વ્યવસ્થાથી તે રહેશે, મરજી હશે તો હું એને યુરોપ અમેરિકામાં કુમારિકાઓને અભ્યાસમાં અને પરમાર્થમાં જીવન ગાળવાનાં સ્થાન છે ત્યાં મોકલીશ, ને મરજી હશે તો સ્વતંત્ર મુંબઈનગરીમાં રહી નીતિ, પરમાર્થ અને વિદ્યાનું સેવન કરવામાં આયુષ્ય ગાળવાની એને અનુકૂળતા કરી આપીશ. એ કાર્યને અંગે પણ પ્રધાનપદ છોડવું પ્રાપ્ત થશે.

ગુણિયલ ! ધર્મને નામે પ્રચાર પામેલા લોકાચારથી દોરાઈ આપણે એક વાર કુમુદને કૂવામાં નાખી ! એની સ્વતંત્રતાનો નાશ કર્યો ! એને અધમ પુરુષના કર-પંજરમાં પૂરી દીધી. એ સર્વથા પાપ થયું - મહાપાપ થયું. હવે પાપ ફરી કરવાની મારી વૃત્તિ નથી. જે અધ્યાત્મદૃષ્ટિથી મનુષ્યમાત્રને વૃદ્ધ મહારાજ જોતા, જે અધ્યાત્મદૃષ્ટિથી તેમને જોવાનો બોધ આટલી વાર સુંદરગિરિના સાધુજનોને મુખેથી આપણે સાંભળ્યો છે, તે દૃષ્ટિથી જોતાં પૂર્વ અને પાશ્ચાત્ય બુદ્ધિનો સંગમ થાય છે અને એ સંગમસ્થાન આગળના પ્રવાહમાંના પાણીમાં જોતાં જે ભૂમિ પર પથ્થર જેવાં પાપ છે ત્યાં આપણે સંચાર નહીં કરીએ. જો લોકાપવાદ સત્ય હોય તો કુમુદનું સરસ્વતીચંદ્ર પાણિગ્રહણ કરે એ જ યોગ્ય છે ને યોગ્ય વર વિનાની તેમ કૌમારવ્રતની અભિલાષિણી કુસુમનો અભિલાષ સિદ્ધ થાય તે જ યોગ્ય છે. તે જ બે આપણા બેના ધર્મ છે.

તો એ ધર્મના આચારમાં બીજો શો અંતરાય છે ? પ્રધાનપદની વાસનાને લીધે શું આ ધર્મ ત્રુટવો ઘટે છે ? લોક ગમે તે માનતા હશે પણ કામન્દકીને મુખે પવિત્ર ભવભૂતિએ અધિકારના લોભી પિતાઓના સ્નેહનું વર્ણન કરાવ્યું છે તે તને લક્ષ્યમાં હશે.

ગુણોપેક્ષાશૂન્યં કથમિદમુકાન્તમથવા

કુતોડપત્યસ્નેહઃ કુટિલનયનિષ્ણાતનમસામ્‌ ।

ઇદં ત્વૈદંપર્યં યદુત નૃપતેર્નર્મસચિવઃ

સુતાદાનાન્મિત્ર ભવતુ સ હિ મે નન્દન ઇતિ ।।

ગુણિયલ ! પ્રધાનપદના લોભથી તો શું પણ સંસારમાં કોઈ પણ પદાર્થના લોભથી અથવા રાજા કે માતાપિતા કે દેશ કે કોઈને પણ પ્રસન્ન કરવાના લોભથી જે માતાપિતા પુત્રીનું વિવાહમાં દાન કરે છે તેમનો અપત્યસ્નેહ શૂન્ય ગણવો અને તેમણે પુત્રી પ્રતિના પોતાના ધર્મમાં ધૂળ ભેળવી સમજવી ! પુત્રીનું દાન કરતાં પુત્રીના સ્વાર્થ વિના બીજો સ્વાર્થ કે બીજો લોભ રાખે છે તે માતાપિતારૂપે શત્રુ જ સમજવાં. તેવા પિતાને માથે માલતીના જેવા નિઃશ્વાસ ભમ્યાં કરે છે ને કહે છે કે - ‘ઓ પિતા ! તમને અન્યનું આરાધન પ્રિય છે - તમારી પુત્રી પ્રિય નથી !’ - ‘ઓ વાત ! તમે પણ આવા છો તો સર્વથા ભોગતૃષ્ણા નક્કી જ જય પામી છે ! ગુણિયલ ! નક્કી તું મારા પ્રધાનપદને આપણી પુત્રી કરતાં ને આપણા ધર્મ કરતાં અધિક નહીં ગણતી હોય.’

ગુણસુંદરી - ‘સત્ય જ કહો છો ! પ્રધાનપદ ને વૈભવની વાસનાથી પ્રિય ગણવાનું કહું તો આપ કહો છો તે દોષ આવે જ. પણ મહારાજ પ્રતિ રાજ્ય પ્રતિ - આપનો ધર્મ છે ને પુત્રી પ્રતિ પણ છે ને તે બે વચ્ચે વિરોધ આવે ત્યારે મોટા ધર્મ આગળ નાનાનું બલિદાન કરવું એ ધર્મ શું પ્રાપ્ત થતો નથી ?’

વિદ્યાચતુર - ‘એ પ્રશ્નનું સમાધાન પણ એ જ કવિએ કરેલું છે. પુત્રીનું કલ્યાણ કરવામાં પોતાની શક્તિની ન્યૂનતાનું બલિદાન થયેલી પુત્રીની પાછળ અગ્નિમાં પડવા માંડતા પિતાએ પોતાને ચરણે પડેલા રાજાની પણ અવગણનાકરી અને તે જ અવગણના કરાનારા પિતાએ પુત્રીની સુસ્થિતિ સાંભળી તે વધામણીને રાજાએ કરેલા ચરણપાત કરતાં અધિક ગણી. ગુણિયલ ! એક જણની પ્રીતિ ધર્મ કરવાને માટે બીજાની પ્રતિ અધર્મ કરવો પડે ત્યારે એમ જ સમજવું કે જેને આપણે ધર્મ ગણીએ છીએ તે અધર્મ જ છે ! માતાપિતા કે દેશ કે લોકસમસ્ત - સર્વના કલ્યાણ કરતાં પણ એક નાના સરખા આપણા બાળક પ્રતિનો આપણો ધર્મ નાનો છે એવી બુદ્ધિ દૂષિત છે. સામા મનુષ્યોની સંખ્યાથી કે તેમના ગૌરવથી તેમના પ્રતિના ધર્મ મપાતા નથી ! સર્વ લોકના કલ્યાણને માટે પણ અસત્ય બોલવું પડે કે ચોરી કરવી પડે તો તે કરવું અધર્મ મટી ધર્મરૂપ થતું નથી. ધર્મનું આચરણ કરવામાં અથવા અધર્મથી દૂર રહેવામાં પ્રાણીમાત્રનો સંહાર વળી જતો હોય તો તે થવા દેવો એ જ ધર્મ છે. શ્રુતિ અને સ્મૃતિ, જ્ઞાન અને ભક્તિ, વ્યવહાર અને પ્રીતિ, સર્વ આવા ધર્મના આગળ ક્ષણિક અને ક્ષુદ્ર છે.’

ગુણસુંદરી - ‘જો એમ છે તો સ્ત્રીઓને વૈધવ્યના ભયમાં આણી વીરપુરુષો દેશના કલ્યાણ માટે યુદ્ધમાં મરવું ઉત્તમ કેમ ગણે છે ? સ્ત્રીનું સૌભાગ્ય સાચવવું એ શું પતિનો ધર્મ નથી ? અનાથ બાળકોને સંસારમાં એકલાં મૂકી જતાં અટકવું એ શું ધર્મ નથી ? તો એ સર્વ ધર્મનો ભંગ કરી વીરપુરુષો યુદ્ધના ધર્મની પ્રશંસા કેમ કરે છે ? બે દીકરીઓને કારણે આપ પ્રધાનપદ છોડો ને રાજ્યનું અકલ્યાણ થાય અને મહારાજ પ્રતિ કૃતઘ્નતા થાય એ કામ પ્રધાનપદના અધિકારીની બુદ્ધિને છાજતું હોય એવું મને દેખાતું નથી. પણ મારી સ્ત્રીબુદ્ધિને લીધે જ મને આમ લાગતું હોય તો ઈશ્વર જાણે.’

વિદ્યાચતુર - ‘તારી બુદ્ધિ સૂક્ષ્મ છે તેથી જ આ પ્રશ્નોને દેખે છે. એ પ્રશ્નો જેવા સગર્ભ છે તેવું જ તેમનું સમાધાન છે. ગુણિયલ ! ધર્મ ક્રિયારૂપ નથી પણ ક્રિયાનું કારણ છે. જે ક્રિયા કર્તવ્ય થાય છે તે ક્રિયામાં ધર્મ રહેલો નથી, પણ આપણા મનમાં એવી બુદ્ધિ થાય કે આ કર્તવ્ય છે ને આ નથી ત્યારે આપણે તે ક્રિયા કરીએ છીએ કે નથી કરતાં; માટે એ બુદ્ધિ એ ક્રિયાનું કારણ છે. એ બુદ્ધિ સુવિદિત શુદ્ધ સત્ય ધર્મને અનુસરે ત્યારે ધર્મસ્થ ગણવી. આપણી ક્રિયાઓ ત્રણ પ્રકારની છે, આપણે કોઈ પદાર્થનો ત્યાગ કે અસ્વીકાર કરીએ છીએ, અન્ય જીવોને સુખદુઃખ કરીએ છીએ, અને આપણા જીવનની અધોગતિ કે ઉન્નતિ કરીએ છીએ. આપણા જીવનનાં સુખદુઃખના તો આ ત્રણે ક્રિયાઓથી થાય છે માટે તે જોવાનાં કે જુદાં ગણવાનાં નથી. ત્રણે ક્રિયાઓને અંગે આપણે સુખદુઃખ પામીએ તેને પ્રારબ્ધફળ ગણી લઈ લેવાં - આ પવન જેવો આવે તેવો આપણે સંસ્કારી લઈએ છીએ તેમ.

જ્યારે આપણાં પોતાનાં મન કે શરીર પોતાને માટે કોઈ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરે ત્યારે તું કહે છે તેવા ધર્મવિચાર પ્રાપ્ત થાય છે. જેમાં આપણી મમતા છે, જેમાં આપણી અહંતા છે એ સર્વ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરતાં ફળનો વિચાર યોગ્ય છે કે આ મારા ત્યાગથી માતાપિતાને લાભ છે અથવા દેશને લાભ છે અથવા પારકા જીવને લાભ છે. જ્ઞાતિભોજનનું વ્યય કરતી વેળા આપણે સ્વતંત્ર છીએ તેનું કારણ પણ એ કે એ ક્રિયા ધર્મ વિચારની આ કોટિમાં આવે છે.

આ પ્રમાણે પોતે ત્યાગ કે સ્વીકાર કરી અન્ય જીવોને સુખ આપવું એ આપણો અધિકાર છે. પણ કોઈ જીવને દુઃખ દેવું કે તેનું અકલ્યાણ કરવું તો શું પણ તેની ઈચ્છાવિરુદ્ધ માર્ગે તેનું કલ્યાણ કરવા પ્રયત્ન કરવો, એ સર્વ ક્રિયાઓને માટે સામાન્ય રીતે આપણો અધિકાર નથી.

પારકા જીવને દુઃખ દેવું કે તેને અજ્ઞાત પણ હાનિ કરવી એ ક્રિયાનો ધર્મ તો લોકવ્યવસ્થાના અધિકારીને જ પ્રાપ્ત થાય છે. સંસારની વ્યવસ્થાઓ સામાન્ય રીતે રાજાઓના અને તેમણે સ્વીકારેલા અધિકારીઓના અધિકારની વાત છે. માતાપિતા પુત્રાદિક ઉપર અધિકાર વાપરે છે તે પણ રાજાએ આપેલા જ અધિકારથી. રાજાએ જ્યાં આજ્ઞા કે નિષેધ કાંઈ ન કર્યું હોય પણ માત્ર અધિકાર આપ્યો હોય ત્યાં અધિકારીએ સામા જીવનું કલ્યાણ ઇચ્છી ક્રિયા કરવાની છે - એ વિના સર્વ વિષય અને વિચાર તેના અધિકારથી બહાર છે. સેનાધિપતિ અને ન્યાયાધીશ પોતાના અધિકારના વિષયનું જ કલ્યાણ ઇચ્છી અન્ય જીવોને દુઃખ કરે છે અને તેમનાં શરીરને મૃત્યુવશ કરે છે તે ક્રિયાઓથી થતાં સુખદુઃખ વિચારવાનો તેમને અધિકાર નથી; તેમનો અધિકાર માત્ર એટલો જ કે સેનાધિપતિએ અમુક માર્ગે વિજય મેળવવો અને ન્યાયધીશે ન્યાય કરવો. રાજાને પણ લોકવ્યવસ્થાને માટે જ ઈશ્વરે અધિકાર આપેલો છે તે છોડી અન્યથા કામકરે ને પ્રજાને દુઃખ થાય ત્યારે રાજાને સ્વમાર્ગે આણવાને માટે પ્રજા છે, અને પ્રજા વિમાર્ગે ચાલે ત્યારે તેને માથે રાજા છે. આ સર્વ પ્રશ્નોમાં માત્ર લોકવ્યવસ્થાને માટે યોગ્ય સ્થાનમાંથી પ્રાપ્ત થયેલા અધિકારને અને અધિકારના વિષયનો વિચાર છોડી બીજો કાંઈ વિચાર કરવાનો નથી. જેની બુદ્ધિ પહોંચતી નથી તેને માર્ગ દર્શાવવાને પ્રાચીન શાસ્ત્રો, અર્વાચીન મહાત્માઓ અને આસપાસના મહાજન છે. જ્ઞાતિના અજ્ઞાનીજનોને માટે જ્ઞાતિ એક જાતનો મહાજન છે. બાળકને માટે માતાપિતા મહાજનતુલ્ય છે. બાળકનાં વય, બુદ્ધિ અને વિદ્યા વધે તેમ તેના અધિકાર વધે છે ને માતાપિતાના ઘટે છે; તે જ રીતે જે મનુષ્યોની બુદ્ધિ અને વિદ્યા વધે છે તેમનો અધિકાર વધે છે અને જ્ઞાતિના, લોકાચારના, શાસ્ત્રના અને મહાત્માઓના અધિકાર ખસવા માંડે છે. દેશકાળની કાંઈક સ્થિતિ વિચારી પૂર્વકાળના વિદ્વાનોએ અને મહાજનોએ બાળલગ્ન, અને વૈધવ્યસહનના આચાર પાડેલા તે કાયમ રાખવાનો તેમનો અધિકાર નવી વિદ્યા અને નવી બુદ્ધિના હાથમાં છે. મને મળેલો આ અધિકાર હું વેળાસર સમજ્યો નહિ અને એ અધિકાર મને હોય નહિ એમ વિશ્વાસે રહી કુમુદનું ભાગ્ય સુવર્ણપુરમાં મેં બાંધ્યું તે મારાથી અધર્મ થઈ ગયો, ને હવે મારી શક્તિ વિચારી મારો અધિકાર શોધી વેળાસર ચેતું છું તેથી હું મારો ધર્મ કરીશ. અધિકાર કોટિથી પ્રાપ્ત થયેલા આવા ધર્મને અંગે મારા પ્રધાનપદના ધર્મ વિચારવા એ મારા અધિકારમાં નથી. રાજ્યના સામાં હુકમનામાં કરતાં ન્યાયાધીશે ડરવાનું નથી તેમ પ્રધાનપદના અને રાજ્યહિતના વિચારમાં પડી કુમુદ-કુસુમ-ના જીવનનું અકલ્યાણ કે દુઃખ કરવું તે મારા અધિકારથી બહારની વાત છે. કુમુદ રાજ્યાપરાધ કરી મહારાજના ધર્માસન આગળ આવે અને એને દેહાંતદંડની શિક્ષા કરવાનો મારે પ્રસંગ આવે ત્યારે મારો પિતૃધર્મ વિચારવાનો મને અધિકાર નથી; તે જ રીતે યુદ્ધમાં જનાર સેનાપતિએ સ્ત્રીપુત્રાદિકને માથે પોતાના મરણથી આવી પડનાર ભયના વિચાર કરવાનો પણ તેને અધિકાર નથી. આમાંનું એક કાર્ય અથવા કાર્યનું ફળ બીજા કાર્ય કરતાં મોટું કે નાનું છે માટે મોટું કરવું ને નાનું ન કરવું એ વિચાર અયોગ્ય છે. લોકવ્યવસ્થાના અધિકારીએ તો નાનો કે મોટો પોતાના જેવા હોય તેવા અધિકારનો વિષય અને ધર્મ વિચારી ક્રિયામાં પ્રવૃત્ત થવાનું છે.

અને જ્યાં જીવાત્માના આત્મધર્મના વિચાર પ્રાપ્ત થાય ત્યાં તો આ અધિકારનો પણ પ્રશ્ન અનુચિત છે. પ્રત્યેક જીવાત્માનો ઉત્કર્ષ થાય તો તે સર્વ જીવોનું કલ્યાણ છે. એક જીવના અધર્મથી સર્વ જીવનું કલ્યાણ થતું હોય તે કલ્યાણમાં અકલ્યાણનું બીજ રોપાયું ગણવું. એક જીવના ધર્મથી અનેક જીવોને દુઃખ થતું હોય તો પણ તે જ માર્ગે સર્વનો ઉત્કર્ષ ગણવો. સર્વભૂતાત્મક પરમાત્માના અંશરૂપ જીવાત્માનો અભેદ માનો કે સર્વ જીવોના ભિન્નભાવ માનો તો પણ સર્વના ધર્મથી થયેલો સર્વનો ઉત્કર્ષ જ કલ્યાણરૂપ છે. પોતે અધર્મ કરે છે તેથી જગતનું કલ્યાણ થશે એવું માનનાર જીવ મૂર્ખ છે. કારણ સર્વ જગતને જોઈ શકવાની શક્તિ વગરનો ક્ષુદ્ર જીવ એ જગતનું કલ્યાણ ક્યાં છે ને ક્યાં નથી એ જાણવાની શક્તિ શી રીતે પામવાનો હતો ? આવા દંભી મિથ્યાભિમાની જીવોએ સંસારને માથે અનેક અવ્યવસ્થાઓ અને વિપત્તિઓ આણી મૂકેલી ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ગુણિયલ ! જે ક્રિયાથી જીવાત્માની પોતાની અધોગતિ છે સર્વા વર્જ્ય છે, ને તેથી તેની ઉન્નતિ છે તે કર્તવ્ય છે, ને તેમાં કોઈ પણ અન્ય વિચાર કર્તવ્ય નથી.

ઈશ્વરે કુમુદનો જીવ આપણા અધિકારમાં સોંપ્યો. ઈશ્વરે નિર્મેલા સ્નેહની ગતિથી યોગ્ય વયે એ - નદી સમુદ્રમાં ભળે તેમ - પોતાના હૃદયના સ્વામીને ધર્મથી પ્રાપ્ત થઈ હોય તો તેમાં વિઘ્નરૂપ થવા મારો કે તારો અધિકાર નથી. અધિકાર વિનાની ક્રિયામાં પ્રવૃત્ત થઈ એ જીવને પરતંત્ર કરવો એ ક્રિયાથી આપણી અધોગતિ સમજવી. કોઈ જીવ આપણે પેટે બાળકરૂપે જન્મ્યો માટે તેને આપણી ઇચ્છા પ્રમાણે બંધનમાં નાખીએ એવો અધિકાર માતાપિતાએ ધારવાનો નથી. કુમુદ-કુસુમના જીવ હવે આમ સ્વતંત્ર છે. માટે તું અન્ય વિચાર અને દુઃખ છોડી દઈ મેં દર્શાવેલા માર્ગનો શાંત વિચાર કરી લે.’

વિદ્યાચતુર બોલી રહ્યો ને થોડી વાર સુધી થાક્યો હોય તેમ ખુરશીમાં પડી રહ્યો ને માત્ર ગુણસુંદરીના સામું જોઈ રહ્યો. ગુણસુંદરી ઊંડા વિચારમાં પડી બોલ્યાચાલ્યા વિના, બેઠી હતી ત્યાં જ નીચું જોઈ બેસી રહી. અંતે ઊંચું જોઈ બોલી :

‘ચંદ્રકાંત મુંબઈથી આવ્યા તેવામાં તેને સરસ્વતીચંદ્રને વિષયે આપે કઠણ વચન કહ્યાં હતાં. તે કાળે વૃદ્ધાચાર આપને પ્રિય હતો તે ઘણી થોડી વેળામાં અપ્રિય થઈ ગયો. આપે કરેલો બોધ અસત્ય છે એમ સિદ્ધ કરવા જેટલી મારી શક્તિ નથી. પણ જૂનાં સંપ્રદાયમાંથી નવામાં આપ આટલી વેળામાં જતા રહ્યા તેથી મને કાંઈ ભ્રાંતિ થાય છે.’

વિદ્યાચતુર - ‘તેમાં તારો દોષ નથી. સરસ્વતીચંદ્ર ઉતાવળ કરી નાઠા અને કુમુદને હાનિ પહોંચી તે સહન કરવાની અશક્તિને બળે મને કાંઈક ક્રોધ થયો હતો, અને સરસ્વતીચંદ્રનો જ દોષ મારા હૃદયમાં વસી ગયો હતો. શાંત થયા પછી અને કુમુદ-કુસુમનાં હૃદય અને સુખદુઃખ જાણી વિશેષ વિચાર કરતાં મને જે લાગ્યું તે તને અત્યારે કહી દીધું.’

ગુણસુંદરી - ‘નાનપણમાં બાળક પરણાવવાનો પ્રાચીન કાળથી ચાલ્યો આવેલો સંપ્રદાય આપ હવે દુષ્ટ ગણો છો ?’

વિદ્યાચતુર - ‘લોકવ્યવસ્થા રચનારાઓએ આ પાળ દુષ્ટતાથી નથી બાંધી, પણ લોકહિતની જ બુદ્ધિથી દેશકાળની કંઈક પરીક્ષા કરી બાંધેલી હોવી જોઈએ. હાલમાં તે વ્યવસ્થાને બે પિતાઓ બદલી નાખવા જાય તો એકની પુત્રી દુઃખી થાય ને બીજાની સુખી થાય. દ્રવ્યહીન, વિદ્યાહીન, પક્ષહીન પિતાની રંક કે વિદ્યાહીન પુત્રીને આપણી જૂની વ્યવસ્થા તોડ્યાથી સુખ કરતાં દુઃખ અનેકધા અસહ્ય થઈ પડે. નવી વ્યવસ્થાના અધિકારી કુટુંબમાં જન્મેલી બાળકી નવી વ્યવસ્થાથી દુઃખ કરતાં સુખ વધારે પામવાની. સર્વ વાત શક્તિ અને અધિકારની છે. હું નવી વ્યવસ્થાથી પુત્રીઓને સુખી કરવા શક્તિમાન છું અને પુત્રીઓ સુખી થવાની વૃત્તિ તથા શક્તિશાળી છે એવું જાણવાની સાથે તેમને નવી વ્યવસ્થાનું જીવન આપવા હું અધિકારી થાઉં છું ને તેમ કરવું એ મારો ધર્મ થાય છે.’

ગુણસુંદરી - ‘આપે વડીલોના અભિપ્રાય લીધા ?’

વિદ્યાચતુર - ‘સરદારસિંહે વડીલને પૂછ્યું; ને મહારાજે મામાને પૂછ્યું. આપણે આવો પ્રશ્ન પૂછીએ છીએ તેટલાથી જ મામાને આશ્ચર્ય લાગ્યું ને એવા પ્રશ્ન પૂછનારની વૃત્તિ મનગમતો ઉત્તર જ ઇચ્છે અને તે આપવો કે ન આપવો એ વિચારતાં પોતાની નિવૃત્તિમાં વિઘ્ન આવે માટે આ વિચાર મહારાજને અને મને જ સોંપ્યો, અને મહારાજનું અપમાન ન થાય માટે સ્મિત કરી કહ્યું કે ‘હું હવે વૃદ્ધ થયો છું ને નવા યુગનું માહાત્મ્ય જોવું ઘણા કાળથી મેં મૂકી દીધું છે, માટે એ જોવું જુવાનમંડળને જ વધારે અનુકૂળ થઈ પડશે રાજ્યનો કોઈ મોટો પ્રસંગ હોત તો હું નિવૃત્તિ તોડી અભિપ્રાય આપત; પણ નવા યુગનાં નાનાં મોટાં થયેલાંબાળકોના પરિપાકનો મને અનુભવ નથી તે તેના વિચારનો પણ મને અધિકાર નથી.’

ગુણસુંદરી - ‘આ ઉત્તરમાં એમનો અભિપ્રાય જણાતો નથી ?’

વિદ્યાચતુર - ‘એ તો સ્પષ્ટ છે. પણ પિતાજીનો અભિપ્રાય જુદો થયો.

તેમણે કહ્યું કે કાગડાના માળામાં મૂકેલી હંસી, કાગડો મરતાં હંસને શોધે તો એ એક જુવાનીનો વેગ છે. લોક પોતે પોતાની જુવાનીના વેગને અટકાવતા નથી પણ પારકાં બાળક એ વેગને અટકાવે એવું જોવાને ઇચ્છે છે. લોકના કહ્યા પ્રમાણે કરીએ તો બાળક દુઃખી થાય ને બાળકના કહ્યા પ્રમાણે કરીએ તો લોક ચૂંટી ખાય. માટે ડાહી વાત એ છે કે લોક જેને મૂએલી જાણે છે તેને જીવતી કહી લોકની ભૂલ ભાંગવાને આપણે કંઈ બંધાયા નથી, માટે આ બે જણે સુંદરગિરિમાં જે વાસ શોધી કાઢ્યો હોય ત્યાં તેમને નિરાંતે રહેવા દેવાં ને આપણે તેમની કુથલી કરવી નહીં ને લોકમાં થવા દેવી નહીં. મરેલા ગણાતાં છોકરાં ભલે સુખી થાય ને લોકની આંખમાં ધૂળ નાખે. લોકને રીઝવી છોકરાંને મારવાં નથી ને લોકમાં સત્યવાદી થઈ કારભારને આંચ આવવા દેવી નથી. ગુણિયલ ! આ એમના શબ્દેશબ્દ તને કહી દઉં છું.’

ગુણસુંદરી - ‘સંસારને ધર્મથી પાળનાર મામાજીએ સંસારનું રક્ષણ કર્યું, ને સંસાર અને સંસારના ખેલને ઓળખનાર વડીલે એ સંસાર સાથે રમવાનો ખેલ બતાવ્યો.’

વિદ્યાચતુર - ‘હવે તું કહે આપણે શું કરવું ?’

ગુણસુંદરી - ‘મેં કહ્યું છે તે પ્રમાણે અમને સર્વને સુંદરગિરિ ઉપર જવા દ્યો. લોકાપવાદ ખોટો હશે તો તો સર્વ સારાં વાનાં જ છે. લોકોનું કહવું ખરું હશે તો મારાથી કાંઈ પુત્રીને અફીણ ઘોળી પવવાનું નથી. જો એ પસ્તાશે અને ડાહી હશે તો આપણી જંઘા ઢાંકી એને તેડી લાવી બુદ્ધિધનભાઈને ઘેર મોકલી દઈશ ને તેમ નહીં થાય તો તો વડીલની સૂચના સ્વીકાર્યા વિના છૂટકો નથી. લોકાપવાદ હજી સુધી પ્રકટ નથી ત્યાં સુધી તેનો ઘા નિવારી શકાશે.’

વિદ્યાચતુર - ‘વચલો માર્ગ પડતો જ મૂકજે.’

ગુણસુંદરી - ‘જન્મારો સાપનો મારો સાચવવા જેવું હવે એને સાચવવું વિકટ છે તે વિચારું છું ત્યારે હિંમત હારી જાઉં છું, ને વશે કે કવશે વડીલનું વચન પળાશે ને બાકીનું મારું દુઃખી આયુષ્ય ગળાશે તેમ ગાળી પૂરું કરીશ એવું સૂઝે છે. આપે બતાવેલા ધર્મ મારી બુદ્ધિને સત્ય લાગે છે, અને આપને આપવા જેવો ઉત્તર મારી પાસે નથી, પણ મારા હૈયાની હોળી આપના બોધથી શાંત થાય એમ મને તો લાગતું નથી. આપ પુરુષ છો ને હું સ્ત્રી છું. શરીરમાં અને હૃદયમાં એટલો ભેદ તો બ્રહ્માએ ઘડ્યો તે હું શી રીતે ભાંગવાની હતી ? માત્ર એટલી બંધાઉં છું કે આપનો બોલ મારા હૃદયમાં ઊતરશે તેટલો ઉતારવા પ્રયત્ન કરીશ અને પછી તો ઈશ્વર, આપ, અને આ મારું દુઃખઘેલું હૃદય - ત્રણ જણ મળી જે કરો તે ખરું.’

વિદ્યાચતુર - ‘એ કાંઈ ઓછું નથી. ઈશ્વર આવી વેળાએ પણ સામું જુએ છે ને જોશે.’

Share

NEW REALESED